Home Blog Page 4955

શું સૂર્યમંડળથી બહારના આ ગ્રહ પર જીવન શક્ય છે?

નવી દિલ્હીઃ ભારતવંશી ખગોળવિદના નેતૃત્વ વાળી એક ટીમે પૃથ્વીથી બેગણાથી વધારે મોટા આકાર વાળા એક એવા એક્સોપ્લેનેટની શોધ કરી છે કે જ્યાં જીવન હોવાની શક્યતાઓ છે. સૌરમંડળથી બહારના ગ્રહને એક્સોપ્લેનેટ કહેવામાં આવે છે. કેમ્બ્રિજ યૂનિવર્સિટીની એક ટીમે “કે2-18બી” નામના આ એક્સોપ્લેનેટ પર કરેલા અનેક પ્રકારના અધ્યયનમાં જાણ્યું છે કે ત્યાં પાણી અને જીવન લાયક સ્થિતિ હોઈ શકે છે. જો કે, ગ્રહના વાયુમંડળમાં હાઈડ્રોજનની માત્રા વધારે છે. આનો રિપોર્ટ એસ્ટ્રેફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત થયો છે.  આ એક્સોપ્લેનેટ પૃથ્વીથી 124 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. આની ત્રિજ્યા પૃથ્વીથી 2.6 ગણી વધારે છે. આ તારાની પરિક્રમા કરે છે. આનું તાપમાન એવું છે કે ત્યાં પાણી હોઈ શકે છે. ગત વર્ષે પણ આના વિશે મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી, જ્યારે બે ટીમોએ દાવો કર્યો હતો કે ત્યાંના વાયુમંડળમાં બાષ્પ મળી આવી છે. જો કે, ત્યારે તેની વાયુમંડલીય અને આંતરિક સ્થિતિનો ખ્યાલ આવી શક્યો નહોતો.

ખગોળવિદોનું નેતૃત્વ કરનારા કેમ્બ્રિજ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમીના ડો. નિક્કૂ મધુસૂદને કહ્યું હતું કે, ઘણા એક્સોપ્લેનેટના વાયુ મંડળમાં બાષ્પના કણો મળી આવ્યા છે. આનો અર્થ એ નથી કે ત્યાં જીવનની શક્યતાઓ છે. જીવનની શક્યતાઓ માટે જરુરી છે કે ત્યાંની આંતરિક અને વાયુમંડલીય સ્થિતિઓને સમજવામાં આવે. ખાસ કરીને ત્યાં કે જ્યાં વાયુમંડલ નીચે પાણી હોઈ શકે છે.

પૃથ્વીથી મોટા અને નેપ્ચ્યુનથી નાના હાઈડ્રોજનની વધારે માત્રા વાળા આ એક્સોપ્લેનેટ પર પાણી હોઈ શકે છે. જો હાઈડ્રોજનનું આવરણ ગાઢ(ઘાટ્ટુ) હશે તો તાપમાન અને પાણીની સપાટીનું દબાણ જીવનની શક્યતાઓ માટે ઉપયોગી હશે.

વૈજ્ઞાનિકોએ આને મિની નેપચ્યૂન જેવો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, એવું લાગે છે કે આ ગ્રહ પર હાઈડ્રોજન અને પાણી સિવાય પર્વતો અને લોહ અયસ્ક પણ ભારે માત્રામાં ઉપસ્થિત છે. ખગોળશાસ્ત્રીઓએ આ ગ્રહ પર બીજા રસાયણો જેવાકે, મીથેન અને અમોનિયાની સપાટી પણ શોધી છે પરંતુ તે અપેક્ષાથી ઘણી ઓછી છે પરંતુ આ સપાટી જૈવકીય પ્રક્રિયામાં કેટલું યોગદાન આપી શકે છે તેનો અંદાજ લગાવવાનો હજી બાકી છે.

રાશિ ભવિષ્ય 04/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ તા. 04/03/2020

આલિયાની ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં કેટરીનાનો આઈટમ ડાન્સ?

મુંબઈ : આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ બંને બોલીવૂડની A-List અભિનેત્રી છે. રીયલ લાઈફમાં બંનેનો બોયફ્રેન્ડ પણ એક જ. જોકે આલિયા હવે રણબીર કપૂરની ગર્લફ્રેન્ડમાંથી દુલ્હન બને એવા સમાચાર છે.

આ બંને અભિનેત્રી આગામી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં સાથે જોવા મળશે. સંજય લીલા ભણસાલીએ એમની આ ફિલ્મમાં આલિયાને મુખ્ય ભૂમિકા આપી છે અને કેટરીના એક સ્પેશિયલ – આઈટમ સોન્ગ કરવાની છે.

આલિયા અને કેટરીના રિયલ લાઈફમાં ગાઢ બહેનપણીઓ છે.

થોડાક દિવસ પહેલાં, કેટરીના મુંબઈમાં ભણસાલીની ઓફિસમાં જતી જોવા મળી હતી અને આઈટમ સોન્ગમાં એના સમાવેશની અટકળ સાચી પડે એવું લાગે છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. કેટરીના આ પહેલાં ‘ચિકની ચમેલી’, ‘શીલા કી જવાની’, ‘કમલી’, ‘જરા-જરા ટચ મી’ જેવા આઈટમ સોન્ગ કરી ચૂકી છે. હવે ભણસાલી ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં એની પાસે કેવા પ્રકારનો આઈટમ ડાન્સ કરાવે છે એ જોવાનું રહ્યું.

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં આલિયા મુંબઈની માફિયા ક્વીનની ભૂમિકા કરી રહી છે.

કેટરીના હાલ સૂર્યવંશી ફિલ્મના પ્રચારકાર્યમાં વ્યસ્ત છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મ 24 માર્ચે રિલીઝ થવાની છે. જેમાં અક્ષય કુમાર તેનો હિરો છે.

તાતા ગ્રુપઃ આ છે ગ્રુપની રસપ્રદ સફર…

નવી દિલ્હીઃ એક વ્યક્તિ પોતાના જીવનમાં તાતા ગ્રુપની અગણિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે, જેમાં તાતા ગ્રુપની હાજરી ના હોય. તાતા કંપની મીઠાથી માંડીને વિશ્વમાં પ્રસિદ્ધ વ્યાવસાયિક વાહન અને શાનદાર હોટેલોની ચેઇન બનાવવા માટે જાણીતી છે. 18મી સદીમાં ગુજરાતના એક પારસી પરિવારમાં જમશેદજીનો જન્મ થયો હતો. માત્ર 14 વર્ષની ઉંમરે તેઓ પિતાની સાથે મુંબઈ આવી ગયા અને અહીં વેપારમાં પગ માંડ્યા. વેપાર-વ્યવસાયમાં તેમણે પોતાના પિતાને સાથે આપવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેમણે પાછું વાળીને નથી જોયું.

પ્રારંભિક જીવન

જમશેદજીનો જન્મ ત્રીજી માર્ચ, 1839માં દક્ષિણ ગુજરાતના નવસારીમાં એક પારસી પરિવારમાં થયો. તેમનું પૂરું નામ જમશેદજી નુસીરવાનજી તાતા હતું. તેમના પિતાનું નામ નુસીરવાનજી તથા માતાનું નામ જીવનબાઈ તાતા હતું. તેમના પિતા તેમના ખાનદાનમાં  પોતાનો વ્યવસાય કરવાવાળા પહેલી વ્યક્તિ હતા. માત્ર 14 વર્ષની વયે જ જમશેદજી પોતાના પિતાની સાથે મુંબઈ આવી ગયા અને વેપારમાં ડગ માંડ્યા. એ ઉંમરમાં તેમણે પોતાના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ 17 વર્ષના હતા, ત્યારે તેમણે મુંબઈની એલફિન્સ્ટન કોલેજમાં એડમિશન લીધું અને બે વર્ષ પછી વર્ષ 1858માં  ગ્રીન સ્કોલર (સ્નાતક સ્તરની ડિગ્રી)ના રૂપે પાસ થયા અને પિતાના વેપારમાં સંપૂર્ણપણે ઝંપલાવ્યું. ત્યાર બાદ તેમનું લગ્ન હીરાબાઈ દબુની સાથે કરાવવામાં આવ્યું.વેપાર માટે વિદેશ પ્રવાસ

જમશેદજીએ વેપાર સંરવા સંબંધે ઇંગ્લેન્ડ, અમેરિકા, યુરોપ અને અન્ય દેશોનો  પ્રવાસ કર્યો, જેનાથી તેમને વેપારના દરેક પ્રકારના આઇડિયા મળ્યા. તેનાથી તેમને વેપારી જ્ઞાનમાં વધારો થયો. આ પ્રવાસો પછી તેમને એક વાત સામે સમજાઈ કે બ્રિટિશ આધિપત્યવાળા કપડાં ઉદ્યોગમાં ભારતીય કંપનીઓ પણ સફળ થઈ શકે છે.

ઉદ્યોગમાં પ્રવેશ

29 વર્ષની ઉંમરે તેમણે તેમના પિતાની કંપનીમાં કામ કર્યું, એ પછી તેમણે વર્ષ 1868માં માત્ર રૂ. 21,000ની મૂડીએ એક વેપારી પ્રતિષ્ઠાનની સ્થાપના કરી. વર્ષ 1869માં તેમણે એક નાદાર થયેલી ઓઇલ મિલ ખરીદી અને એક કોટન મિલમાં એને તબદિલ કરીને એનું નામ એલેક્ઝેન્ડર મિલ રાખ્યું. આશરે બે વર્ષ પછી જમશેદજીએ આ મિલને થોડાક નફાએ વેચી દીધી અને એ જ રૂપિયાથી તેમણે વર્ષ 1874માં નાગપુરમાં એક કોટન મિલની સ્થાપના કરી. તેમણે આ મિલનું નામ પછીથી ઇમ્પ્રેસ મિલ કરી દીધું.. જ્યારે મહારાણી વિક્ટોરિયાને ભારતની રાણીનો એવોર્ડ આપવામાં આવ્યો. વર્ષ 2015-16માં કંપનીને 103.51 કરોડ અબજ ડોલરની આવક થતી હતી. આ કંપની દેશની જીડીપીમાં મોટો હિસ્સો આપતી હતી.

સામ્રાજ્ય ઊભું કર્યું

જમશેદજી તાતા ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ તથા ઔદ્યોગિક જૂથ તાતા ગ્રુપના સંસ્થાપક હતા. ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રમાં જમશેદજીએ યોગદાન આપ્યું એ અસાધારણ અને બહુ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે ઉદ્યોગ સ્થાપિત કરવામાં માત્ર અંગ્રેજને જ હોશિયાર માનવામાં આવતા હતા. જમશેદજીએ ભારતમાં ઔદ્યોગિક વિકાસનો માર્ગ કંડારી આપ્યો. તાતા સામ્રાજ્યના સંસ્થાપક જમશેદજી દ્વારા કરવામાં આવેલા કાર્ય આજે પણ લોકોને પ્રોત્સાહિત કરે છે.  તેમની પાસે ભવિષ્યને જોવાની ગજબની ક્ષમતા હતી, જેમના દમ પર તેમણે એક ઔદ્યોગિક ભારતનું સપનું જોયું હતું. ઉદ્યોગોની સાથે-સાથે  તેમને વિજ્ઞાન અને ટેક્નિકલ શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.

જીવનનું મોટું લક્ષ્ય

જમશેદજીના જીવનનાં મોટા લક્ષ્યોમાં એક સ્ટીલ કંપની શરૂ કરવાનું હતું. એક વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર સ્થાપિત કરવું. એક ઉચ્ચ કક્ષાની હોટલ શરૂ કરવી અને એક હાઇડ્રો પાવરની યોજના શરૂ કરવી. જોકે તેમના જીવન કાળમાં આમાંથી નીત્ર ક જ સપનું તેઓ પૂરું કરી શક્યા, હોટેલ તાજ મહલનું સપનું. બાકીનાં તેમનાં સપનાંઓને તેમની આવનારી પેઢીઓએ પૂરાં કર્યાં. હોટેલ તાજમહલ ડિસેમ્બર, 1903માં રૂ. 4 કરોડ 21 લાખમાં મસમોટા ખર્ચે તૈયાર થઈ એ સમયે એ ભારતની એકમાત્ર હોટેલ હતી, જ્યાં  વીજળીની વ્યવસ્થા હતી. ભારતમાં એ દિવસોમાં ભારતીયોને ઉત્કૃષ્ટ યુરોપિયન હોટેલોમાં ઘૂસવા નહોતા દેવાતા. તાજમહલ હોટેલનું નિર્માણ કરીને તેમણે આ અન્યાયકારી નીતિનો જવાબ આપ્યો હતો.

દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન

દેશના ઔદ્યોગિક વિકાસમાં જમશેદજીનું અસાધારણ યોગદાન છે. તેમણે ભારતમાં ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો છે. જ્યારે દેશ ગુલામ હતો ત્યારે ઉદ્યોગ-ધંધા સ્થાપિત કરવામાં અંગ્રેજ પોતાને હોશિયાર સમજતા હતા. દેશના ઔદ્યોગિકરણ માટે તેમણે લોખંડનાં કારખાનાંની સ્થાપવાની મહત્ત્વપૂર્ણ યોજના બનાવી. તેમની મોટી યોજનાઓમાં –તેમણે પશ્ચિમી ઘાટોથી તીવ્ર જલપ્રપાતોથી વીજ ઉત્પન્ન કરવાની યોજના બનાવી. જેની ઇંટ આઠ ફેબ્રુઆરી, 1911 રાખવામાં આવી.

કોમર્શિયલ વાહનો બનાવનારી સૌથી મોટી કંપની

તાતા મોટર્સ ભારતમાં વેપારી વાહન બનાવવાવાળી સૌથી મોટી કંપની છે. એનું જૂનું નામ ટેલ્કો (તાતા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની લિમિટેડ) હતું. તાતા ગ્રુપની મુખ્ય કંપનીઓમાંની એક છે. તેના ઉત્પાદન એકમ ભારતમાં જમશેદપુર (ઝારખંડ), પુણે (મહારાષ્ટ્ર) અને લખનૌ (યુપી) સહિત અન્ય કેટલાક દેશોમાં છે. તાતા ગ્રુપનાં આ કારખાનાંની શરૂઆત રેલવે એન્જિનથી થઈ હતી. જોકે હવે આ કંપની ભારે કોમર્શિયલ વાહનો ખરીદે છે. કંપનીએ બ્રિટનની પ્રસિદ્ધ બ્રાંડ જગુઆર અને લેન્ડ રોવરને પણ ખરીદી લીધી છે.

મોટા ઉદ્યોગપતિ અને મહાન રાષ્ટ્રવાદી અને પરોપકારી પણ ખરા

જમશેદજી દિગ્ગજ ઉદ્યોગપતિની સાથે મોટા રાષ્ટ્રવાદી અને પરોપકારી હતા. જમશેદજીના પુત્ર દોરાબ તાતાએ 1907માં દેશની પહેલી સ્ટીલ કંપની તાતા સ્ટીલ એન્ડ આયર્ન કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં કર્મચારીઓને પેન્શન, ઘર, મેડિકલની સુવિધા અને કેટલીક સુવિધાઓવાળી કદાચ એકમાત્ર કંપની હતી.

વિજ્ઞાન માટે અડધી સંપત્તિનું દાન

બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના માટે તેમણે પોતાની અડધાથી વધુ સંપત્તિ જેમાં 14 બિલ્ડિંગો અને મુંબઈની ચાર સંપત્તિઓ દાનમાં આપી હતી.

જમશેદપુર છે તેમના વિઝનનું જીવતું ઉદાહરણ

તેમનું લક્ષ્ય માત્ર વેપાર કરીને રૂપિયા કમાવાનું નહોતું. બલકે તેઓ એક એવું શહેર પણ વસાવવા ઇચ્છતા હતા, જે ઉદાહરણ બને. જે જમશેદજીનું વિઝન જોવા ઇચ્છે તેમણે એક વાર ઝારખંડમાં જમશેદપુર જરૂર જોવું જોઈએ.  કર્મચારીઓના કલ્યાણ અને સુવિધાનો એટલો સરસ ધ્યાન રાખવામાં આવ્યો છે કે એ આપણી કલ્પના બહાર હોય.

 

 

 

 

 

 

 

 

 

કોરોનાનું સંકટઃ નોઇડામાં શાળાઓ બંધ, ચાર દેશના નાગરિકોના વિઝા રદ્દ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે.

કોરોના વાયરસના કેસો સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે એક એડવાઈઝરી જાહેર કરીને ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા, અને જાપાનના એ નાગરિકોને જાહેર કરવામાં આવેલા નિયમિત વિઝા અથવા ઈ વિઝા, સસ્પેન્ડ કર્યા છે કે જે લોકો અત્યારસુધી ભારતમાં પ્રવેશ કર્યો નથી. આ સાથે જ એડવાઈઝરીમાં જાપાન અને દક્ષિણ કોરિયાના નાગરિકોના વિઝા પણ કેન્સલ કર્યા છે.

કોરોના વાયરસ દિલ્હી પહોંચ્યા બાદ હવે નોઇડા અને આગ્રામાં પણ સંકટ મંડરાયું છે. આને લઈને નોએડાની એક મોટી શાળાને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. તો અન્ય એક શાળાને 11 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે. નોએડા સીએમઓ અનુરાગ ભાર્ગવે કહ્યું કે, સ્કૂલ બસોને પણ સિનેટાઈઝ કરવામાં આવશે કે જેમાં શાળાના બાળકો આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીમાં કોરોના વાયરસથી પીડિત જણાયેલા વ્યક્તિનો બાળક નોએડાની શાળામાં અભ્યાસ કરે છે. આને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના પરિજનોમાં ડર ફેલાયો છે. સ્વાસ્થ્ય વિભાગ પાસેથી જાણકારી મળ્યા બાદ તરત જ બે બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. બંન્ને અલગ-અલગ શાળામાં અભ્યાસ કરતા હતા. અત્યારસુધી કોઈપણ બાળકમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ નથી.

હકીકતમાં કોરોના વાયરસનો ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને લાગ્યો એમ ફેલાતો ગયો અને આજે હજારો લોકોને તે વળગી ચૂક્યો છે. હવે આવું જ કંઈક ભારતમાં થવાની આશંકા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસ હતો, તેના કારણે વાયરસ આગ્રા પહોંચ્યો હોવાનું પણ સંકટ છે. ત્યાં 6 જેટલા લોકોની તપાસ ચાલી રહી છે. સેમ્પલ ટેસ્ટમાં તેમને કોરોના પોઝિટવ આવ્યો છે. આ તમામ 6 દિલ્હી વાળા દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. અત્યારે તમામ લોકોને અલગ-અલગ રાખવામાં આવ્યા છે.

કોરોના વાયરસના લક્ષણ સામે આવવા પર નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રને જાણકારી આપો. સ્વાસ્થ્ય મંત્રાલયના 24 કલાક કાર્યરત કંટ્રોલ રુમનો ફોન નંબર 011-23978046 અથવા તો ઈ-મેઈલ એડ્રેસ ncov2019@gmail.com દ્વારા પણ પોતાની તંત્રનો સંપર્ક કરી શકો છો.

ટોકિયો ઓલિમ્પિક્સ વર્ષના અંત સુધી મુલતવી રખાય એવી શક્યતા

ટોકિયો : આગામી ઓલિમ્પિક રમતોત્સવના આયોજન માટે જાપાને નિયુક્ત કરેલા મહિલા પ્રધાને આજે જણાવ્યું છે કે કોરોના વાઈરસને કારણે ફેલાયેલા ભયને કારણે ટોકિયો 2020 ગેમ્સ આ વર્ષના અંત સુધી મુલતવી રાખવામાં આવે એવી શક્યતા છે.

ઓલિમ્પિક્સ આવતા જુલાઈ મહિનામાં ટોકિયોમાં નિર્ધારિત છે.

જાપાનની સંસદમાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં પ્રધાન સેઈકો હાશીમોતોએ જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સાથે ટોકિયો શહેરે કરેલા કોન્ટ્રાક્ટ મુજબ ઉનાળુ ઓલિમ્પિક્સને 2020ના વર્ષમાં યોજવી પડે.

પ્રધાને વધુમાં કહ્યું કે, આનું અર્થઘટન ગેમ્સને મુલતવી રાખવામાં આવે એવું પણ કરી શકાય.

ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ 24 જુલાઈથી શરૂ થવા નિર્ધારિત છે અને તે 9 ઓગસ્ટ સુધી ચાલશે.

હાશીમોતોએ વધુમાં ઉમેર્યું કે, ગેમ્સ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ યોજાય એની અમે પૂરી તકેદારી લઈ રહ્યા છીએ.

IOCના પ્રમુખ થોમસ બેકે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે અમારી સંસ્થા ટોકિયો ઓલિમ્પિક્સને નિર્ધારિત સમયે યોજવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

બાળ કલાકારોના ચિત્રોનું આ પ્રદર્શન ખરેખર જોવા જેવું હતું

અમદાવાદઃ હમણાં અમદાવાદમાં જાણીતા મહિલા ઉદ્યોગ સાહસિક રુઝાન ખંભાતાની આગેવાની હેઠળ જોધપુર આર્ટ ગેલરી રામદેવનગર ખાતે વજ્ર ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જીવન કૌશલ્ય તાલીમ કાર્યક્રમના ભાગરુપે અમદાવાદની વિવિધ શાળાઓમાંથી 9 વર્ષથી 12 વર્ષ સુધીના બાળ કલાકારો દ્વારા રચિત કલાત્મક ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

અમદાવાદના મેયર બિજલ પટેલ, ડીડીઓ અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર, સહિતના લોકો હાજર આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. મેયરે કહ્યું કે, આ પ્રસંગનો ભાગ બનવો તે ખૂબ સન્માનની વાત છે. મને ખુશી છે કે હું આ વિદ્યાર્થીઓના સપના પેઈન્ટિંગ રુપે જોવામાં સમર્થ બની કારણ કે તેઓએ તેમના સપના, વિચારો અને આકાંક્ષાઓ પણ આ અદભૂત પેઈન્ટિંગમાં દર્શાવી હતી. રુઝાન ખંભાતાએ કહ્યું કે, આ જીવન કૌશલ્ય તાલીમનો એક ભાગ હતો, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ કાગળ પર તેમના જીવનના સ્વપ્નો દોર્યા હતા અને તેમના વિચારને બહાર લાવી ચિત્રમાં કંડાર્યા હતા. અમે આ પેઈન્ટિંગ્સ વેચવાનું પણ નક્કી કર્યું છે, અને તેના દ્વારા જે કંઈપણ આવક થશે તે સીધી જ સંબંધિત વિદ્યાર્થીઓને આપવામાં આવશે. હું આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપવા માંગુ છું અને અમે અમારા અમદાવાદ શહેરમાં આ પ્રકારના પ્રોજેક્ટ ચાલુ રાખીશું. જેથી વિદ્યાર્થીઓના સ્વપ્નાઓને પ્રોત્સાહન મળે અને આ વિદ્યાર્થીઓને એક મંચ મળે.

આ શોમાં વજ્ર ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા જીવન કૌશલ્ય તાલીમના ભાગરુપે 1500 થી વધારે બાળકો દ્વારા બનાવવામાં આવેલા આર્ટવર્ક દર્શાવવામાં આવ્યા હતા. ગેલરી ડિસ્પ્લે પર 300 થી વધારે આર્ટવર્કનો સમાવેશ કરતી એક જૂથ પ્રવૃત્તિ તરીકે આર્ટ વર્ક્સ બનાવવામાં આવ્યા હતા. આ કાર્યો વિશેની સૌથી વિશેષ બાબત એ હતી કે તેઓ તેમના સપનાને પ્રતિબિંબિત કરવા માટે હતા.

આ શાહરુખ તો મોડલિંગનો શોખીન નીકળ્યો…

નવી દિલ્હીઃ દિલ્હીનાં તોફાનો દરમ્યાન પોલીસના લમણે પિસ્તોલ મૂકનાર શાહરુખની ધરપકડ થઈ છે. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું છે કે શાહરુખને મોડલિંગનો શોખ છે અને તે ટિક ટોક વિડિયો બનાવે છે. તેણે મુંગેરમાં બનેલી પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. એડિશનલ સીપી, ક્રાઇમ બ્રાંચના અજિતકુમાર શિંગલાએ જણાવ્યું હતું કે તેણે ત્રણ ગોળીઓ ચલાવી હતી. તેની પાસેથી પાંચ ગોળી મળી આવી હતી. તેની પાસે સેમી ઓટોમેટિક પિસ્તોલ છે, 6.75 બોરની છે. તેને જિમનો શોખ છે.

શાહરુખે BA ના બીજા વર્ષ સુધી તેણે અભ્યાસ કર્યો છે. તેણે મ્યુઝિક વિડિયો પણ બનાવી રાખ્યો છે. તે દિલ્હીથી ભાગ્યા પછી જલંધર ગયો હતો.ત્યાંથી તે બરેલી અને પછી શામલી આવ્યો હતો. તે ત્યાં એક મિત્રને ત્યાં રહેતો હતો. શામલી બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે એને પકડ્યો હતો. શામલીમાં લોકેશન શોધાશે, એ પછી જેમણે તેની મદદ કરી છે, તેમની પણ ધરપકડ કરાશે.

પોલીસને તેની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે એકલો જ પ્રોટેસ્ટમાં આવ્યો હતો. હજી એને કોર્ટમાં રજૂ કરવાનો છે. એ પછી તેની વધુ તપાસ કરાશે. તેણે ભાગવા માટે એસ્ટીમ ગાડીનો ઉપયોગ કર્યો હતો. તાહિરની સાથે કનેક્શન મામલે પણ તેની પૂછપરછ કરાશે. તેની સામે ભારતીય દંડ સંહિતાની  કલમ 186, 353, 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સૌથી પહેલાં ઘટના પછી તે કોનોટ પેલેસના એક પાર્કિંગમાં સૂતો હતો. તેનો કોઈ ગુનાઇત રેકોર્ડ નથી, પણ તેના પિતા નાર્કોટિક્સના એક કેસમાં આરોપી છે.

દિલ્હીના જાફરાબાદમાં હિંસા મામલે મોહમ્મદ શાહરુખની પોલીસે ધરપકડ કરી છે. શાહરુખે તોફાનો દરમ્યાન દિલ્હીના હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર પિસ્તોલ તાણી હતી અને આઠ રાઉન્ડ ફાયરિંગ કરી હતી. દીપક પર પિસ્તોલ તાણ્યા બાદ અને ફાયરિંગ કર્યાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો. વિડિયો વાઇરલ થતાં તે પોતાના પરિવાર સાથે ભાગી ગયો હતો.

 

શ્રદ્ધા કપૂરે અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો સાથે મળીને જન્મદિવસ ઉજવ્યો…

બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે 3 માર્ચ, મંગળવારે તેનો 33મો જન્મદિવસ સાદાઈથી ઉજવ્યો હતો. આજના દિવસે એણે મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી સેવાભાવી અનાથાલય 'આશાદાન' સંસ્થાની મુલાકાત લેવાનું પસંદ કર્યું હતું. મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા સંચાલિત આ સંસ્થામાં જઈને એણે અસહાય અને ગરીબ બાળકો તથા વરિષ્ઠ નાગરિકો સાથે કેક કાપીને અને એમને મદદરૂપ થઈને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શ્રદ્ધાએ તેની આ મુલાકાતની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.












શ્રદ્ધાની નવી ફિલ્મ આવી રહી છે 'બાગી 3'. આ એક્શન-પેક્ડ ફિલ્મમાં તે ફરી ટાઈગર શ્રોફ સાથે ચમકશે. ફિલ્મ 6 માર્ચે રિલીઝ થઈ રહી છે.