સુરત: વેલેન્ટાઈનની એ સાંજ ગીતોની એ સાંજે રફી, મુકેશ પણ હતા, આશા ભોંસલે પણ આવ્યા હતા અને લતા મંગેશકર પણ મૌજુદ હતા. વેલેન્ટાઇન ડેની સાંજે સુરત નજીક જ આવેલી નવી નક્કોર પરાઇઝો ક્લબના પ્રાંગણમાં રઇશ મનીઆરના શબ્દો અને ડોલર મહેતા-ધનશ્રી પાધ્યેના સ્વરએ સુરતીઓને જલસો કરાવ્યો હતો. આ પ્રસંગે સુરતની 12 પ્રેમપૂર્ણ વ્યક્તિઓનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
પરાઇઝો ક્લબ અને હાર્દિક નાયક વેલ્થ મેનેજમેન્ટએ સમ્માનનની સાથે “વીલ (વસિયતનામું)” બનાવી આપવાની ભેંટ આપી. હાર્દિક નાયકએ જણાવ્યું હતું કે, આપણે આપણી પ્રેમપૂર્ણ વ્યક્તિને પ્રેમ આપીએ છીએ પણ આપણા પછીની સલામતી નથી આપતા. વસિયતનામું એ આવશ્યક છે એટલે જ અમે વેલેન્ટાઈનના દિલ અને વીલને ભેગા કરીને કાર્યક્રમ કર્યો છે. પરાઈઝો ક્લબના ડિરેક્ટર મિલીન મારફતિયાએ સમજાવ્યું હતું કે ક્લબની મેમ્બરશિપએ ખર્ચફ નથી પણ એક રોકાણ છે. છેલ્લા 15 વર્ષમાં ક્લબ મેમ્બરશિપએ શેરબજારથી પણ વધુ રિટર્ન આપ્યું છે. એમણે આ વાત આંકડાઓથી સમજાવી હતી.
આ સાથે વિશિષ્ટ-પ્રેમપૂર્ણ વ્યક્તિત્વોનું સન્માન ડૉ.મુકુલ ચોક્સી, હાર્દિક નાયક, મિલીન મારફતિયા, ડો. બુચ, જાણીતા લેખક આશુ પટેલના હસ્તે સમ્માન આપવામાં આવ્યું હતું. સુરતની કેટલીક જાણીતી વ્યક્તિઓને એમનાં ક્ષેત્રમાં એમનાં પ્રદાન બાદલ સમ્માન આપવામાં આવ્યું હતું. વ્યવસાયી અને કાર્યક્રમોના આયોજક ધનંજયભાઇ દેસાઇ, લેખિકા નમ્રતા દેસાઇ, જાણીતા અર્થશાસ્રી પ્રો.ડો.અશોક દેસાઇ, ફેશન ડિઝાઈનર, સાયકલિસ્ટ અને સમાજસેવી અજીતા ઇટાલિયા, બાળરોગ નિષ્ણાત અને કલાના પ્રશંસક ડો. પ્રશાંત કારિયા, સ્પાઇનેક્સના ડો.નીરજ ભણસાલી, જાણીતા નૃત્યાંગના શ્રધ્ધા શાહ, વિશ્વ પ્રસિદ્ધ ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઇ, જાણીતા સીએ અને સીએ સંગઠનના રાષ્ટ્રીય પ્રતિનિધિ સીએ જય છેરા અને ચિત્રલેખાના સુરત ખાતેના પ્રતિનિધિ ફયસલ બકીલીનું સન્માન કર્યું હતું. ગુજરાત કલા પ્રતિસ્થાન ના રમણીક ઝાપડિયા અને વલસાડના સાયકલ મેયર ડો.ભૈરવી જોષી રહી શક્ય ના હતા.
નવી દિલ્હી: સીએએના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી રસ્તો બંધ છે. જેના કારણે સામાન્ય લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શાહીન બાગનો રસ્તો ખોલવા માટે સુપ્રીમ કોર્ટ અરજી થઈ હતી જેના પર આજે કોર્ટેમાં સુનાવણી હાથ ધરતા કહ્યું કે, વિરોધ પ્રદર્શનનું કારણ ગમે તે હોય પણ આ રીતે રસ્તો બંધ ન કરી શકો. જેના જવાબમાં શાહીન બાગ પક્ષના વકીલે કહ્યું કે અમે આના માટે થોડો સમય જોઈએ છે. જેના પર કોર્ટે કહ્યું કે, આજ અહીં વિરોધ થઈ રહ્યો છે. કાલે કોઈ બીજા સ્થાને થશે. અને જો આમ જ થતું રહ્યું તો શહેરના ઘણા વિસ્તારો બ્લોક થઈ જશે અને અફરાતફરી મચી જશે.
સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રકારે રોડ બંધ કરીને પ્રદર્શન કરવાનો વિચાર અન્ય કોઈ ને આવી શકે છે જેથી સારુ રહેશે કે, પ્રદર્શન કોઈ અન્ય સ્થળ પર શિફ્ટ કરવામાં આવે. સાથે જ સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે સમસ્યાના સમાધાન માટે વરિષ્ઠ વકિલ સંજય હેગડેની વાર્તાકાર તરીકે નિમણુંક કરી છે. આ મામલે વધુ સુનાવણી 24 ફેબ્રુઆરીના રોજ થશે. શાહીનબાગમાં 15મી ડિસેમ્બરથી સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યુ છે.
શાહીન બાગના અરજીકર્તા નંદ કિશોર ગર્ગે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, હું ઈચ્છતો હતો કે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ ચૂકાદો આપે. ઘણો સમય વીતી ગયો છે વિવાદનું એક સન્માનીય ઉકેલ આવવો જોઈએ. સંજય હેગડે એક વરિષ્ઠ વકીલ છે, જો તે ઈચ્છે તો આ વિવાદ 2-3 દિવસમાં ઉકેલાઈ શકે છે. પ્રદર્શન માટે વૈકલ્પિક જગ્યા રામલીલા મેદાન, બુરાડી અને જંતર-મંતર છે.
મુંબઈ તા.17 ફેબ્રુઆરી, 2020 – આજથી બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર 318મી કંપની આઈસીએલ ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ લિમિટેડ લિસ્ટ થઈ છે.
આઈસીએલ ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ લિમિટેડે તેના રૂ.10ની મૂળ કિંમતના 20.40 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.20ના ભાવે મળીને કુલ રૂ.408 લાખના શેર્સ ઓફર કર્યા હતા. કંપનીએ 7 ફેબ્રુઆરી, 2020ના રોજ સફળતાપૂર્વક તેનો પબ્લિક ઈશ્યુ પાર પાર પાડ્યો હતો.
આઈસીએલ ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ ઉત્તર પ્રદેશસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ નોઈડા ખાતે છે.
કંપનીનો મુખ્ય વ્યવસાય બધા પ્રકારના ડેરી ફાર્મિંગ, પશુપાલન, કરાર અન્વયે પ્રાણીઓ ભાડા પર લેવાના અને પ્રોડક્ટ્સ વહેંચવાના, દૂધ, ઘી પનીર, ક્રીમ, આઈસક્રીમ અને અન્ય દૂગ્ધ ઉત્પાદનો વિકસાવવાના અને તેને સંલગ્ન વેપારો જેવા કે પશુખાદ્ય અને બિયારણ અને કૃષિ પ્રોડક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 318 કંપનીઓ લિસ્ટેડ છે, જેમણે બજારમાંથી રૂ.3,304.22 કરોડ એકત્ર કર્યા છે. આ કંપનીઓનું અત્યારે કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.18,072.26 કરોડ છે. આ ક્ષેત્રે બીએસઈ 60 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.
જુનાગઢ: કુંભમેળામાં ક્યારેય ન જઈ શક્યા હો તો તેના નાના ભાઈ જેવો શિવરાત્રીનો મેળો છે અને તેમાં રાત્રે નીકળતી નાગા સાધુઓની રવાડી એ દેશમાં કુંભમેળા પછી બીજા નંબરે મળતી સાધુઓની યાત્રા છે. જે તારીખ 21ના રોજ ગિરનાર તળેટીમાં જોવા મળશે. જૂનાગઢની આ રવાડી 3 થી 4 કલાક ચાલે છે. તેમાં ભાવિકોને અગમ-નિગમની અજબ દુનિયાનો અનુભવ થાય છે. ‘સાધુ તો ચલતા ભલા’ એ વાક્ય અહીં ગિરનારની તળેટીમાં 2 કિલોમીટરની તેમની નગ્ન યાત્રા જોઈને નવા જ કલ્પના ઊભા કરે છે.
શિયાળાની ઠંડી ઓસરે. મહા વદ તેરસે રસ્તા પર તેમની ગતિ પકડાય છે. ભવનાથ તળેટીના પ્રથમ પગથિયાંથી છેક મુખ્ય ચોક સુધીના 2 કિલોમીટરનાં રસ્તા પર નાગા સાધુઓનું હેરત પમાડે તેવું સરઘસ નિહાળવાલાયક છે.આ દિવસે 5 દિવસનો મેળો પણ રવાડીના વિસર્જન સાથે પૂર્ણ થાય છે. વહેલી સવારે રવાડીનું વિસર્જન, શિવરાત્રિનાં મેળાનું સમાપન થતાં જ નાગાબાવા મ્રુગીકુંડમાં તળેટી ખાતે સ્નાન કરવા ડૂબકી લગાવે છે. એવું પણ કહેવાય છે કે તે પૈકીના કેટલાક સંન્યાસીઓ અંદરથી જ અદ્રશ્ય થઈ જાય છે અને આવતી શિવરાત્રીએ જ દેખાય છે. લોકવાયકા મુજબ અજર-અમર અને 5 પાંડવો પણ ઉપસ્થિત રહીને સાથે ફરીને સ્નાન કરે છે
શિવરાત્રીનો મેળો તો સૌરાષ્ટ્રના અન્ય માધવપુર, નિષ્કલંક મેળા જેવો લોકમેળો જ છે. પરંતુ અલૌકિક અનુભૂતિ શિવરાત્રિની બાબાઓની રવાડીની છે. જેમાં સમગ્ર દેશમાંથી કુંભ મેળાની જેમ ઉપસ્થિત રહેલા નાગા સાધુ ગિરનાર તળેટીના રસ્તા પર યાત્રા કરે છે. તલવારબાજી, લાકડીનાં ખેલ, આગ સાથે અલગ-અલગ પ્રકારના દાવ, ધર્મધજા અને ધર્મદંડની ઊંચાઇ સાથે જમાવટથી ભૂતપરંપરાની દુનિયામાં રાત વિતાવી હોય તેવો અનુભવ થાય છે. કેટલાક મહાત્માઓ પોતાના લિંગથી ભારે વસ્તુઓ ખેંચીને પણ સાધકોને આશ્ચર્યમાં મૂકી દે છે, અહમ્ બ્રહમાસ્મી!
બપોર પછી 4 વાગ્યાથી સમગ્ર 2 કિ.મી.નો મુખ્ય માર્ગ બ્લોક કરી દેવામાં આવે છે. છતાં લોકો ઘરે જવાને બદલે રસ્તાની બંને બાજુ બાંધેલી બેરીકેટ ફરતે છેક દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર સુધી ભવનાથ મંદિરથી બેસી જાય છે. 5 થી 6 કલાક ભુખ્યા-તરસ્યા બેસી રહ્યા પછી રાત્રે 9 થી 10 કલાકે રવાડી જોવા મળે છે. ભવનાથ મંદિરમાં આરતી કર્યા બાદ રસ્તા પર તેમના સરઘસ સાથે નીકળી પડે છે ત્યારે સાધકોનો 5 થી 6 કલાક બેસી રહ્યાંનો થાક ઓગળી જાય છે અને તેમની અજબ-ગજબ દુનિયા નિહાળીને મોઢામાં આંગળા આપમેળે જ પ્રવેશી જાય છે. પ્રથમવાર રવાડી જોનારા અવશ્ય ‘ઓહ’ એવું બોલી ઉઠશે. કદાચ કુંભમેળામાં ન જવાનો વસવસો રહી ગયો હોય તો તેઓ ગિરનારની ગોદમાં શિવરાત્રીની નાગા બાવાઓની રવાડીથી પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે.
મહા વદ તેરસે બપોર સુધીમાં જૂનાગઢની ગિરનાર તળેટીમાં પહોંચી જવું જરૂરી છે, કારણ કે 5 કિલોમીટર દૂર ગિરનાર દરવાજા ખાતે વાહનો મૂકીને અંદર પગપાળા પહોંચવાનું થાય છે. અને 4 વાગ્યા પછી પગપાળા પણ અંદર ભવનાથ મંદિર સુધી જઈ શકાતું નથી. વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારી તંત્રએ અગાઉથી જ બેરીકેટ બાંધી દીધેલાં હોય છે અને પોલીસને બંદોબસ્તમાં હોય છે. સૌપ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી.તેમની પટ્ટાબાજી અને લાઠીદાવના ખેલ અદભુત હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર 84 સિદ્ધપુરુષોની જગ્યા માનવામાં આવે છે અને તેના સાંનિધ્યમાં નાગા બાવા ખાસ આ રાત્રે તેમજ કુંભ મેળામાં જ ખીલી ઉઠે છે.
આ વખતની રવાડી જોવાનું આયોજન કરતાં હો તો ખાવા-પીવાની વ્યવસ્થા સાથે જ 4 વાગે ગોઠવાવું જોઈએ. હજારોની સંખ્યા હોવાથી પોલીસ ખાતું ઊભું થવા દેતું નથી. છેક વહેલી સવારે રવાડી પૂર્ણ થાય ત્યાં સુધી બેસી રહેવું પડે છે. ધીરજ અને સહનશક્તિનો ગુણ ન હોય તો તેઓ માટે નાગા બાવાઓનું સરઘસ માણવું મુશ્કેલ છે. કેટલાય એવા સાધકો પણ છે કે 2-3 કલાક બેસી શકતા નથી ને રવાડી શરૂ થાય તે પહેલાં જ તેમની ઉભા થઈને ઘર તરફની યાત્રા શરૂ થઈ જાય છે! જોકે ત્યાંથી ઊભા થઈને બહાર નીકળવું પણ અતિ મુશ્કેલ કામ છે. એકવાર સાધુઓનું સરઘસ શરૂ થઈ જાય પછી 3-4 કલાક ક્યારે અને કેમ વીતી જાય છે તેની ખબર પણ પડતી નથી. રાત્રે મેળામાં કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પણ નાગાબાવા છે. જેવી રીતે કુંભ મેળામાં ગંગાસ્નાન છે, તો અહીં મૃગીકુંડ સ્નાન છે. શિવરાત્રી પૂર્વે 6 દિવસથી જૂનાગઢમાં અલખની આરાધનાનો માહોલ જામી જાય છે. સરકારી ધોરણે ખાસ ટ્રેન- બસ જેવા વાહનોની વ્યવસ્થા કરવામાં આવે છે. જેના દ્વારા દેશભરમાંથી સાધુ-સંતો-મહંતો ઉમટી પડે છે. તળેટીમાં ભવનાથ મંદિરની જમણી બાજુએ ફક્ત આ સાધુઓ માટે રાવટી તૈયાર કરાય છે. જેમાં ધૂણી ધખે છે. જગન્નાથની રથયાત્રા હોય કે તાજિયાનું જુલૂસ હોય કે મરાઠી સિસ્ટમથી ગણેશયાત્રા હોય તે પૈકીના નાગાબાવાઓનું સરઘસ જે રવાડી છે, તે માત્ર શિવરાત્રીએ ગિરનારની ગોદમાં જ માણી શકાય છે. જેનાથી અગમ-નિગમની અને ભૂતાવળની દુનિયાને નજીકથી જાણી શકાય છે.
અમદાવાદ: અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને અમેરિકાની એજન્સીઓ અને તેમની સિક્યુરિટીની અમદાવાદમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર અમેરિકન એરફોર્સનું એક હરક્યુલ્સ વિમાન આવી પહોંચ્યું હતું. આ વિમાનમાં ટ્રમ્પ સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો છે. ટ્રમ્પના કાફલામાં ગાડીઓ અને અન્ય સિક્યુરિટી જેવા કે સ્નાઇપર અને ફાયર સેફટી સિસ્ટમ અને સ્પાય કેમેરા સહિતની વસ્તુઓ વિમાનમાં લાવવામાં આવી છે.
અમેરિકન રાષ્ટ્રપતિને અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ અરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. ત્યાં 25 મિનિટ જેટલો સમય પસાર કરશે.
ગાંધી આશ્રમ બાદ બંને નેતાઓ બપોરે 1:15 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
એરપોર્ટ સર્કલ અને ઈન્દિરાબ્રિજ થઈ મોટેરા સ્ટેડિયમ સુધીના 22 કિલોમીટરમાં રોડ-શો યોજાશે.
એરપોર્ટથી ગાંધી આશ્રમ વચ્ચેના રોડ-શો ને ‘ઈન્ડિયા શો’ અને ગાંધી આશ્રમથી પરત ઈન્દિરાબ્રિજ સુધીના રોડ-શો ને ‘વિવિધતામાં એકતા’ નું નામ અપાયું છે.
ઈન્ડિયા શો માં 28 રાજયો પોતપોતાની સંસ્કૃતિ બતાવશે. જયારે વિવિધતામાં એકતામાં વિવિધ ધર્મ-સંપ્રદાયના લોકો જોડાશે.
રોડ શોમાં ટ્રમ્પ-મોદીને આવકારવા 350થી વધુ હોર્ડિંગ્સ લગાવાશે.
રોડ શો દરમ્યાન 10 હજાર પોલીસ જવાન રસ્તાની બંને તરફ સુરક્ષામાં તહેનાત રહેશે.
ટ્રમ્પની 150 મિનિટની મુલાકાત વખતે 25 હજાર જવાન તહેનાત રહેશે.
સ્ટેડિયમમાં 30 બેડની સ્પેશિયલ હોસ્પિટલ તૈયાર કરાઈ છે. તેમાં ટ્રમ્પ, મેલેનિયા અને મોદી સિવાય મુખ્ય વીવીઆઈપીના બ્લડ ગ્રૂપ રખાયા છે.
ટ્રમ્પના સુરક્ષાકર્મીઓ માટે મર્સિડિઝ, બીએમડબલ્યુ સહિત હાઈ સિક્યોરિટી ફિચર્સ ધરાવતી 300 કારની વ્યવસ્થા કરાઈ છે.
આ કાર ફક્ત અમેરિકન પ્રમુખની સુરક્ષામાં તહેનાત લોકો માટે જ હશે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે
મોટેરા સ્ટેડિય ખાતે પહેલા મોદી અને પછી ટ્રમ્પનું ભાષણ.
ગુજરાતની પરંપરાના ભાગરૂપે ટ્રમ્પને ભેટસ્વરૂપે વિશ્વ વિખ્યાત પાટણનું પટોળું અને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલી પાટણની ‘રાણી કી વાવ’ની પ્રતિકૃતિ પીએમ મોદી દ્વારા આપવામાં આવશે.
મુંબઈ – શહેરના મધ્ય-પૂર્વમાં આવેલા મઝગાંવ ઉપનગરના મહારાણા પ્રતાપ ચોકસ્થિત જીએસટી ભવન મકાનમાં આજે બપોરે મોટી આગ લાગી હતી. મકાનના ટોચના 9મા અને 8મા માળ પર આગ લાગી હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
આગની જ્વાળાઓમાંથી નીકળતા કાળા ધૂમાડા ઉંચે આકાશ તરફ ચડતાં આસપાસનું વાતાવરણ કાળું મસ થઈ ગયું હતું. કાળા ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા દૂરના મહોલ્લાઓમાંથી પણ જોઈ શકાતા હતા.
ઘણા ફાયર એન્જિન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જવાનોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
મકાનમાં ફસાઈ ગયેલા ઘણા લોકોને બચાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.
આગ બપોરે 8મા માળ પર લાગી હતી અને 9મા માળ સુધી ઊંચે ફેલાઈ હતી. 9મા માળે ઘણું નુકસાન થયું હોવાનું મનાય છે.
આગનું કારણ તત્કાળ જાણવા મળ્યું નથી.
આગને બુઝાવવા માટે 13 ફાયર એન્જિન્સ, એક ફાયર ટ્રક, બે ક્વિક રીસ્પોન્સ વેહિકલ્સ તહેનાત કરાયા હતા.
ફાયર જવાનોએ મકાનની બહાર બે ઘૂમતી સીડીઓ મૂકીને મકાનની અંદર ફસાઈ ગયેલા લોકોને ઉગારવાનું શરૂ કર્યું હતું.
મકાનમાં રીપેરિંગ કામકાજ ચાલુ છે.
બપોરે 3.30 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે મઝગાંવસ્થિત જીએસટી ભવનના ટોચના બે માળ પર લાગેલી આગને કાબૂમાં લાવી દેવામાં આવી છે.
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવનાર કોરોના વાઈરસના પ્રકોપને લઈને ભારત એકદમ સતર્ક થઈ ગયું છે. દેશમાં દવાઓની અછત ન સર્જાય એને ધ્યાનમાં રાખીને સરકાર એન્ટીબાયોટિક્સ, વિટામિન્સ અને હોર્મોન સહિત લગભગ 12 દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. સરકાર આ પગલા દ્વારા દેશમાં જરૂરી દવાઓની ઉપલબ્ધતા જાળવી રાખવામાં માગે છે. કોરોનાથી ચીનનો હુબેઈ પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે. આ પ્રાંતમાંથી ભારતીય દવા ઉદ્યોગ મોટા પ્રમાણમાં કાચો માલ કે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈનગ્રેડિયન્ટ (API)ની આયાત કરે છે. જો કે, અત્યારે દેશમાં દવાઓની કોઈ અછત નથી પણ હુબેઈ પ્રાંતને જો ફેબ્રુઆરી પછી પણ બંધ રાખવામાં આવ્યો તો મુશ્કેલી પડી શકે છે.
દેશમાં દવાઓની ઉપલબ્ધતાનું આંકલન કરવા માટે રચવામાં આવેલી આઠ સભ્યોની એક એક્સપર્ટ કમિટીએ ક્લોરમફેનિકૉલ, નિયોમાઈસિન, મેટ્રોનિડાઝોલ, એઝિથ્રોમાઈસિન, ક્લિન્ડામાઈસિન, વિટામિન B1,B2 અને B6 સહિત 12 દવાઓ સાથે પ્રોજેસ્ટ્રોન હોર્મોનના નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. પ્રોજેસ્ટ્રોનનો ઉપયોગ ગર્ભાવસ્થા તેમજ માસિક ધર્મ સાથે જોડાયેલી સમસ્યાઓની સારવાર માટે કરવામાં આવે છે.
આ ઉપરાંત સમિતિએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે, તે રાજ્ય સરકારોને જરૂરી વસ્તુ અધિનિયમની જોગવાઈને લાગુ કરવા અને જમાખોરી તેમજ કોઈપણ પ્રકારની કૃત્રિમ અછત ઉભી કરનારાઓ પર નજર રાખવા કહ્યું. પેનલે તેમના રિપોર્ટમાં કહ્યું છે કે, વેપારીઓ તકનો લાભ ન ઉઠાવે અને એપીઆઈ કે મેડિસિન ફોર્મ્યૂલેશન્સની કિંમતોમાં વધારો ન કરે એ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારો પગલા લે.
એક્સપર્ટ કમિટીમાં સામેલ એક અધિકારીએ કહ્યું કે, અમે અંતિમ રિપોર્ટ તૈયાર કરી લીધો છે અને મંગળવારે આ રિપોર્ટ સરકારને સૌંપવામાં આવશે. મહત્વનું છે કે, ભારતમાં દવાઓનો 80થી85 ટકા કાચો માલ ચીનમાંથી આયાત કરવામાં આવે છે.
બનાસકાંઠામાં તીડ આવ્યા તેના સમાચારો ગુજરાતમાં ચમક્યા હતા. તીડ આગળ વધીને રાજસ્થાન તરફ ગયા અને રણની ગરમીમાં તેમનો નાશ પામ્યા એટલે તીડની સમસ્યા ટળી ગઈ એમ બધાએ માની લીધું હશે. તીડની સમસ્યા ટળી ગઈ છે એમ માની લેવું ભૂલભરેલું ગણાશે, કેમ કે તીડનું અસલી આક્રમણ આવતા ચોમાસા પછી આવવાનું છે એવી ચેતવણી સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશન (FAO)એ આપી છે. રાજસ્થાનનું રણ ઉત્તર ગુજરાતને પણ સ્પર્શે છે અને પશ્ચિમ તરફ કચ્છનું રણ છે, તેથી તીડથી થનારું નુકસાન માપસરનું હશે એવું માની લેવું પણ ભૂલભરેલું છે.
અત્યારે આફ્રિકાના દેશોથી શરૂ કરીને સાઉદી અરેબિયા અને યમન સુધીના સૂકા પ્રદેશોમાં પણ તીડનો ત્રાસ ફેલાયો છે. આ વખતે રણ પ્રદેશમાં થતા તીડનું ટોળું બેકાબૂ બની ગયું છે. સહારા રણના કિનારે આવેલા દેશોથી શરૂ કરીને છેક ભારતના રાજસ્થાન અને ગુજરાત સુધીના રણ જેવો સૂકો પ્રદેશ ધરાવતા 30 દેશોમાં આ વર્ષે તીડનું આક્રમણ વધારે તેજ થવાનું છે તેવી ચેતવણી FAOએ આપી છે. 2018-19ના વર્ષમાં વાવાઝોડાંની સંખ્યા વધી હતી. ભારતમાં પણ આપણે જોયું હતું કે અતિવૃષ્ટિ થઈ હતી. તેના કારણે રણપ્રદેશમાં સામાન્ય રીતે હોય તેવા કરતાં વધારે પાણી અને ભેજ જમા થયા. તેના કારણે આ વિશાળ સૂકા પ્રદેશોમાં તીડ પેદા થવાની ગતિ વધી ગઈ છે. આફ્રિકાથી શરૂ કરીને વાયા સાઉદી અરેબિયા, ઈરાન, પાકિસ્તાન અને ભારતના રાજસ્થાન સુધીના દોઢ કરોડ ચોરસ કિમી વિસ્તારના સૂકા હવામાનમાં આ વખતે તીડને માફક આવે તેવું વાતાવરણ ઊભું થયું છે. ત્રીસેક વર્ષ પછી સૌથી મોટી સંખ્યામાં તીડ પેદાં થયા છે. તીડનું એક ટોળું એક કરોડ કરતાં વધારે તીડ ધરાવતું હોય છે. આવા સેંકડો ટોળાં હોય એટલે તીડની સંખ્યા અબજોમાં પહોંચી છે. હવે FAOનો અંદાજ મૂકાયો છે તે કેટલાનો છે ખ્યાલ છે? FAOનો અંદાજ છે કે આગામી જૂન મહિનામાં ફરી ચોમાસું આવશે અને ઈંડા મૂકવાની અનુકૂળતા થશે ત્યારે તીડની સંખ્યામાં 500 ગણો વધારો થઈ શકે છે. બે પાંચ નહિ, પાંચસો ગણો વધારો થવાની શક્યતા છે, ત્યારે તીડની સંખ્યા ખર્વ અને નિખર્વમાં ગણવી પડશે – અબજ બહુ નાની સંખ્યા લાગશે.
FAO દ્વારા તીડની ઉત્પતિ અને તેનાં ટોળાં કઈ દિશામાં આગળ વધી રહ્યા છે તેનું સતત મોનિટરિંગ થાય છે. જુદા જુદા દેશોને તેની માહિતી પહોંચાડવામાં આવે છે. તીડના ઈંડાનો નાશ કરવાની કોશિશ પણ થાય છે, પણ આ પ્રયાસો જુદા જુદા દેશોની સરકારો સાથે મળીને કરવાના હોવાથી ધાર્યા પરિણામો આવતા નથી. ગયા વર્ષે 2019ની શરૂઆત સુધીમાં પ્રથમ મોટું ટોળું યમન, સાઉદી અરેબિયા અને ઇરાનમાં ફરતું થયું હતું. સારા વરસાદથી ઈંડા મૂકીને ટોળું પૂર્વ આફ્રિકા તરફ આગળ વળ્યું હતું. આગલા વર્ષે 2018માં વાવાઝોડાને કારણે પાણી ભરાયા હતા અને રણ પ્રદેશમાં મોટી પ્રમાણમાં ઈંડા મૂકાયા હતા. તેના તરફ કોઈનું ધ્યાન ના ગયું અને ઈંડામાંથી તીડ પેદા થયા અને પાંખો આવી એટલે ઊડીને આફ્રિકાના ખેતરોમાં પાકનો સફાયો કરવાનું શરૂ કરી દીધું. તેમાંથી બીજી પેઢી અને તેમાંથી ત્રીજી પેઢીના અબજો તીડ પેદા થયા તે એરિટ્રિયા, જીબુટી અને કેન્યા સુધી પહોંચી ગયા હતા. ત્રણ દાયકા પછી તીડની આફત આફ્રિકાના દેશો પર ત્રાટકી છે અને FAOને ચિંતા છે કે તેના કારણે આફ્રિકામાં અનાજની અછત ઊભી થઈ શકે છે. કરોડો તીડ ધરાવતું ટોળું એક વિસ્તારમાં ત્રાટકે એટલે અઢી હજાર કુટુંબોને આખું વર્ષ ચાલે તેટલું અનાજ એક દિવસમાં સાફ કરી નાખે. એક મોટું ટોળું ખેતીની સિઝનમાં ત્રણેક લાખ કુટુંબોનું ભોજન સ્વાહા કરી જાય.
FAOના ધોરણ પ્રમાણે એક હદથી વધારે મોટા પ્રમાણમાં તીડનું આક્રમણ થાય ત્યારે તેને મહામારી સમકક્ષ ગણીને કટોકટી જાહેર કરવી પડે. 1930, 1940 અને 1950ના દાયકામાં આવી રીતે તીડનાં ટોળાંની તબાહીને કારણે આફ્રિકા અને એશિયાના દેશોમાં ભૂખમરા જેવી સ્થિતિ પેદા થઈ હતી. તે પછી 1980ના દાયકામાં ફરી તીડનાં ટોળાંઓએ તબાહી મચાવી હતી. ત્રણેક દાયકાની થોડી ઓછી મુસિબત પછી આ વખતે ફરી તીડની સેના આક્રમણ માટે તૈયાર છે.
ગુજરાતમાં પણ ઘણા વર્ષો પછી મોટા પાયે તીડનું આક્રમણ દેખાયું. તેના કારણે એવું બનતું હોય છે કે નવી પેઢીને અથવા તીડનું અગાઉનું આક્રમણ યાદ ના હોય તેમને સામનો કઈ રીતે કરવો તેનો ખ્યાલ હોતો નથી. તીડનું ટોળું વીજળી વેગે ત્રાટકે છે અને તેનો નાશ કરવાનો ઉપાય કરીએ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ જાય છે. જંતુનાશકો છાંટવા, ઈંડા મૂક્યા હોય તે વિસ્તાર શોધી કાઢીને તેનો નાશ કરવો, પાંખો આવે તે પહેલાં જ તીડના બચ્ચાનો નાશ કરવો, હવાની દિશાની પારખી જે દિશામાં તીડ પહોંચવાના હોય ત્યાં પહોંચે તે પહેલાં જંતુનાશક છાંટવા માટેની તૈયારી કરી રાખવી વગેરે ઉપાયો છે ખરા, પણ તેમાં આગોતરું આયોજન ના હોય તો મુશ્કેલી થાય છે.
અનુકૂળ વાતાવરણ હોય ત્યારે તીડનું ટોળું બહુ ઝડપથી મોટું થઈ જાય છે. આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં એક ટોળું 10 અબજથી વધુ તીડનું હોવાનું જોવા મળ્યું છે. તીડનું ગંજાવર ટોળું એકસો કિલોમિટર જેટલું લાંબું હોઈ શકે. આ ટોળું એક દિવસમાં 200 કિમી સુધી ઊડી શકે છે. પ્રાચીન સાહિત્યમાં તેના વર્ણનો મળે છે. ઇશ્વરિય શક્તિની સેના ત્રાટકી તેવા વર્ણનો થતા, કેમ કે 1000 કરોડ તીડ એકસામટા આવે ત્યારે સૂર્ય પણ ઢંકાઈ જાય અને ચોમાસું અંધાર્યું હોય તેવું અંધારું થઈ જાય. બે પાંચ કલાકમાં જંગલની જગ્યાએ રણ બની જાય. 2003થી 2005માં પશ્ચિમ આફ્રિકામાં તીડનું આક્રમણ તેજ બનેલું ત્યારે ઊભા પાકને 2.5 અબજ ડૉલરનું નુકસાન થયાનો અંદાજ સંયુક્ત રાષ્ટ્રસંઘે મૂક્યો હતો. આ વખતે પણ મોટું નુકસાન થવાનો અંદાજ છે.
FAO તરફથી નિયમિત ચેતવણી જાહેર થઈ રહી છે. મોનિટરિંગ સેન્ટરના જણાવ્યા પ્રમાણે છેલ્લા થોડા સમયમાં સોમાલિયા અને ઇથિયોપિયામાં વિનાશ વેર્યા પછી તીડનું આક્રમણ કેન્યા સુધી પહોંચી ગયું છે. 70 વર્ષ પછી કેન્યા પર તીડનું આ સૌથી ખતરનાક આક્રમણ થયું છે. સોમાલિયામાં 25 વર્ષ પછી એટલું વ્યાપક નુકસાન થયું છે કે તીડના આક્રમણને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાને પણ તીડના આક્રમણને કટોકટી જાહેર કરેલી છે. પાકિસ્તાનમાં કપાસ, ઘઉં અને મકાઈને તીડનાં ટોળાંએ સફાચટ કરી નાખ્યા અને ત્યાંથી આગળ વધીને ગુજરાત અને રાજસ્થાનમાં પણ ઊભા પાકનો સોથ વાળી દીધો હતો. પણ હવે પછીનું આક્રમણ વધારે તીવ્ર બનવાનું છે કે આ વખતે અતિવૃષ્ટિને કારણે કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનના થરપારકર રણમાં તીડે અબજોની સંખ્યામાં ઈંડા મૂક્યા છે. તે ઈંડામાંથી તીડ થશે તે ટ્રિલિયનમાં હશે અને ટ્રિલિયનમાં ઇંડા મૂકશે ત્યારે એકડાં માથે 12 મીંડા એટલી મોટી સંખ્યામાં તીડ ફરીથી રાજસ્થાન અને ગુજરાત પર ત્રાટકશે તેવી ચેતવણી છે.
સોમાલિયા અને ઇથિયોપિયામાં 175,000 એકર જેટલી વિશાળ ખેતીને તીડે ખતમ કરી નાખી છે. ત્યાંથી કેટલાંક ટોળાં યુગાન્ડા અને દક્ષિણ સુદાન સુધી પહોંચ્યો છે. 350 ચોરસ કિલોમિટર જેટલું રાક્ષસી કદ તીડનાં ટોળાંનું થઈ ગયું છે અને આફ્રિકામાં રોજેરોજ 1.8 મેટ્રિક ટન વનસ્પતિનો નાશ થઈ રહ્યો છે. કેન્યામાં તીડનું એક ટોળું 40થી 60 કિમી જેટલું મોટું બન્યું હતું. તેણે ઈંડા મૂક્યા હશે તેમાંથી વધારે કદાવર ટોળું પેદા થવાનુંછે. તીડ આકારમાં નાના હોય છે, પણ અબજોની સંખ્યામાં થઈ જાય ત્યારે તેના દળકટક સામે માનવી લાચાર બનીજાય છે. તેનું વચન માંડ બેથી ચાર ગ્રામનું હોય, પણ પોતાના વજન જેટલું તેને ખાવા જોઈએ. એક ચોરસ કિમી વિસ્તારમાં તીડનું ટોળું ત્રાટકે ત્યારે 35,000 લોકો, 20 ઊંટ કે 6 હાથીને ચાલે એટલો ખોરાક એક દિવસમાં સફાચટ કરી નાખે. તીડનાં ટોળાં હવે 100 કિમી જેટલા વિશાળ બનવા લાગ્યા છે ત્યારે 2 કરોડ લોકોની જરૂરિયાતનું અનાજ તીડ ખાઈ જશે તેવી ચિંતા સંયુક્ત રાષ્ટ્રસંઘ વ્યક્ત કરી છે.
આ ચેતવણી ભારત સહિત 30 દેશોની મળી ગઈ છે, પણ ચિંતા એ છે કે સરકાર કેટલી તૈયારી કરશે. ગુજરાતમાં પણ આ વખતે વધારે તીડ આવશે તેવી ચેતવણી મળી હતી. પાકિસ્તાનમાં તીડે ભારે નુકસાન પહોંચાડ્યું તે પછી વધારે ઝડપથી સાવધ થઈ જવાની જરૂર હતી. આમ છતાં ઉત્તર ગુજરાતમાં તીડ મોટા પાયે નુકસાન પહોંચાડીને રાજસ્થાન તરફ જતા રહ્યા. જોઈએ તેટલી સાવધાની રાખવામાં આવી નહોતી, ત્યારે આગામી જૂનમાં અબજોના તીડનું ગુણાવાર 500 સાથે થવાનો છે ત્યારે કેટલી મોટી સાવધાની રાખવી પડશે તેની કલ્પના કરી લો.
કરાચી – પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ આફ્રિકી પાંચમી પુત્રીનો પિતા બન્યો છે. એણે એના પરિવારની આ નવી સભ્યનું નામ પાડવા માટે પ્રશંસકો, ઈન્ટરનેટ યુઝર્સની મદદ માગી છે. એણે વચન આપ્યું છે કે શ્રેષ્ઠ નામનું સૂચન કરનારને પોતે ઈનામ આપશે.
પોતાને પાંચમું કન્યારત્ન પ્રાપ્ત થયું હોવાના સમાચાર આફ્રિદીએ ગયા શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. એ વખતે એણે તેની તમામ પાંચ પુત્રીઓની સાથેની એક તસવીર પણ શેર કરી હતી.
પોસ્ટની કેપ્શનમાં એણે લખ્યું હતું કે, મારી પર અનોખી શક્તિની અસીમ કૃપા અને દયા વરસી રહી છે… મારે ચાર અદ્દભુત પુત્રીઓ છે અને હવે મને પાંચમી પુત્રી પણ પ્રાપ્ત થઈ છે.
આફ્રિદીએ એની પોસ્ટ સાથે આ હેશટેગ લખ્યું છેઃ #FourbecomeFive.
The Almighty’s infinite blessings & mercy are upon me…already having been granted 4 wonderful daughters I have now been blessed with a 5th, Alhamdulillah. Sharing this good news with my well-wishers… #FourbecomeFivepic.twitter.com/Yb4ikjghGC
આક્રમક ઓલરાઉન્ડર તરીકે જાણીતા આફ્રિદીની જોકે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે મજાક પણ ઉડાવી છે.
એક જણે લખ્યું છે કે, વસ્તીવધારાની સમસ્યા તને ક્યારે સમજાશે? કે તું માત્ર પુત્ર મેળવવા માટે જ આ કરે છે?
એક જણે એને સલાહ આપી છે કે જો તને પુત્ર મેળવવાની એટલી બધી ઝંખના હોય તો કોઈક અનાથ છોકરાને દત્તક લઈ લે.
અન્ય એક જણે લખ્યું છે કે પાકિસ્તાનમાં આર્થિક સંકટ છે, ખાવાપીવાના વાંધા છે ત્યારે તું આ શું કરે છે?
કેટલાકે તો આફ્રિદીની માનસિકતા ઉપર જ નિશાન સાધ્યું છે.
આફ્રિદી આ બધાયને ઉત્તર આપે છે કે એ હવે જોવાનું રહ્યું.
When will you understand to control the population in #Pakistan 4 daughter's were not enough ??? Or just to get the male child you will make a girl's cricket team ?? ?? If you want more children adopt some orphan and give them good life.
Abe, your city has reached the threshold of dying in the dying of hunger And you are launching the product? Do 5 more now and prepare the team and make U19 ???? well done!
— Aprchit??Boy उर्फ राम सिंह चंदेल राजपूत (@Gauravk33824811) February 15, 2020