Home Blog Page 4998

રાશિ ભવિષ્ય 13/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે,


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે

પંચાંગ તા. 13/02/2020

અર્થતંત્રમાં રિકવરી? શેરબજારોમાં બીજા દિવસે ય તેજી

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારામને અર્થતંત્રના  રિકવરી થઈ રહી હોવાના આપેલા સંકેતોને લીધે શેરબજારોમાં તેજીની આગેકૂચ થઈ હતી. તેમણે કહ્યું હતું કે અનેક ક્ષેત્રોમાં રિકવરી થઈ રહી હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે. PMI  ઇન્ડેક્સ, રિટેલ ક્ષેત્રના બેન્ક ધિરાણમાં વધારો, MSME ક્ષેત્રે પણ રિકવરી થઈ રહી છે જેને શેરબજારે વધાવી લીધા હતા. આ ઉપરાંત નાણાપ્રધાને કહ્યું હતું કે જીએસટી વસૂલાતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેની બજાર પર પ્રોત્સાહક અસર પડી હતી.

બીએસઈ સેન્સેક્સ દિવસને અંતે 350 પોઇન્ટ ઊછળીને 41,565.90ના મથાળે બંધ રહ્યો હતો.બીએસઈ સેન્સેક્સે ઇન્ટ્રા-ડે દરમ્યાન 41,671 પોઈન્ટની ઊંચી સપાટી સર કરી હતી.  જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 93.30 પોઇન્ટ વધીને 12,201.20ના મથાળે બંધ આવ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સે અતિ મહત્ત્વની 12,200ની સપાટી પણ કુદાવી હતી. બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન એફએમસીજી, આઇટી બેન્ક, ટેલિકોમ,ઓટો અને મેટલ શેરોમાં ધૂમ લેવાલી થઈ હતી, જ્યારે રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડઝ અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે ચીનના સિનિયર મેડિકલ સલાહકારે કોરોના વાઇરસને કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા દર્શાવી હતી. જોકે સ્થિર ક્રૂડ ઓઇલની કિંમતોને લીધે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. આ ઉપરાંત ટ્રમ્પની અને ભારત મુલાકાતને લીધે વાતાવરણ તેજીમય હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વડા પ્રધાન સાથે તેઓ વેપારી કરાર પણ કરવાના છે. જેથી સ્થાનિક બજારમાં તેજીતરફી વલણ જળવાઈ રહ્યું હતું.

નિફ્ટી 50નું ટેક્નિકલ લેવલ જોઈએ તો નિફ્ટીની 50 દિવસની મુવિંગ એવરેજ 12,210ની છે, વળી નિફ્ટી 12,200ની ઉપર બંધ આવ્યો છે. નિફ્ટીનો એકદમ નજીકનો નીચેનો સપોર્ટ 12,050-12,000 છે, એમ બજારના નિષ્ણાતો કહે છે, પણ નિફ્ટીની ઉપરમાં 12,160 અને 12,200ની સપાટી પ્રતિકારક સપાટી છે. નિફ્ટી બેન્ક પણ 242 પોઇન્ટ વધીને 31,300ની સપાટીએ બંધ આવ્યો છે. જે પણ આગામી દિવસોમાં 31,500-31700 સુધી જઈ શકે છે.

કોરોના વાયરસને મળ્યું નવું નામઃ કોવિડ-19

જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (Who) ચીનમાં ઉદ્ભવેલા ઘાતક કોરોના વાયરસનું અધિકારિક નામ “કોવિડ-19” આપ્યું છે. આ વાયરસની પ્રથમવાર ઓળખ 31 ડિસેમ્બર 2019 માં ચીનમાં થઈ હતી. Who ના પ્રમુખ ટેડ્રોસ એધાનોમ ગેબ્રેયેસુસે જિનેવામાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, હવે અમારી પાસે આ બિમારી માટે નામ છે અને તે કોવિડ-19 છે. તેમણે નામની વ્યાખ્યા કરતા લખ્યું કે, “કો” નો અર્થ કોરોના અને “વિ” નો અર્થ વાયરસ અને “ડી” નો અર્થ ડિસીઝ (બીમારી) છે.

Medical workers in protective suits tend to coronavirus patients at the intensive care unit of a hospital in Wuhan, China.

Who દ્વારા કોરોનાને વિશ્વ માટે ગંભીર સંકટ ગણાવવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં આ વાયરસની ઓળખ થયા બાદથી અત્યારસુધી માત્ર ચીનમાં 1000 કરતા વધારે લોકોના મોત થયા છે અને 4200 થી વધારે લોકોને આનો ચેપ લાગ્યો છે. આ વાયરસ વિશ્વના 25 જેટલા દેશોમાં ફેલાયો છે.

માનવામાં આવી રહ્યું છે કે, આ વાયરસની ઉત્પત્તિ ચામાચિડીયામાંથી થઈ હશે. ઓસ્ટ્રેલિયા, ચીન, ફ્રાન્સ, જર્મની અને અમેરિકાની ઘણી કંપનીઓ અને સંસ્થાઓ કોરોના વાયરસની દવા શોધવાનો પ્રયત્ન કરી રહી છે.

છેલ્લા દાયકામાં ખેડૂતોની માંડી વાળેલી લોન છે 4.7 લાખ કરોડ

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં નવી સરકારે ખેડૂતોની લોન માફ કરવાની કરેલી ઓફર સાથે વિવિધ રાજ્યોએ છેલ્લા એક દાયકામાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોની માંડી વાળેલી લોનની કુલ રૂ. 4.7 લાખ કરોડે પહોંચી છે, જે ઓદ્યૌગિક સ્તરની બેડ લોનના 82 ટકા જવા થાય છે, એમ એક અહેવાલ કહે છે. નાણાકીય વર્ષ 2019માં બેન્કિંગ સિસ્ટમમાં કૃષિ ક્ષેત્રની એનપીએ વધીને 12.4 ટકા અથવા રૂ. 8,79,000 કરોડની કુલ બેડ લોનમાંથી રૂ. 1.1 લાખ કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 2016ની કુલ એનપીએ રૂ. 5,66,620 કરોડના 8.6 ટકા અથવા રૂ. 48,800 કરોડ હતી, એમ એસબીઆઇ રિસર્ચે અહેવાલમાં કહ્યું હતું.

નણાકીય વર્ષ 2019માં કૃષિ ક્ષેત્રની એનપીએ ઓવરઓલ એનપીએના 12,4 ટકા અથવા રૂ. 1.1 લાખ કરોડ હતી. હવે છેલ્લા એક દાયકામાં સરકારોએ કૃષિ ક્ષેત્રની રૂ. 3.14 લાખ કરોડની લોન માફીની જાહેરાત જ ધ્યાનમાં લઈશું તો સરકારી તિજોરી અથવા બેન્કોની પર કેટલો મોટો બોજો હોઈ શકે. છેલ્લાં નવ વર્ષોમાં કૃષિ ક્ષેત્રે રૂ. 4.2 લાખ કરોડની કૃષિ ક્ષેત્રે ખેડૂતોની લોન માંડી વાળવામાં આવી છે અને જો તેમાં મહારાષ્ટ્ર સરકારની જાહેરાત (ત્રણ વર્ષોમાં બીજી વાર) મુજબ રૂ. 45,000-રૂ. 51,000 કરોડની ખેડૂતોની લોન માફીની રકમ ઉમેરીએ તો એ વધીને રૂ. 4.7 લાખ કરોડ થાય છે, જે ઓદ્યૌગિક સ્તરની એનપીએના 82 ટકા થવા જાય છે.

છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. 3,000,240 કરોડની ખેડૂત લોન માફ

નાણાકીય વર્ષ 2015થી અત્યાર સુધી દેશનાં 10 રાજ્યોએ 10 રાજ્યોએ ખેડૂતોની આત્મહત્યા અને તેમને નુકસાન થયાના કિસ્સામાં અને રાજ્યોમાં રાજકીય કારણોસર રૂ. 3,00,240 કરોડની ખેડૂત લોન માફીની જાહેરાત કરી હતી. જોકે કેન્દ્રમાં મનમોહન સિંહની સરકારના કાર્યકાળની લોન માફીની જાહેરાત જોઈએ તો એ રૂ. ચાર લાખ કરોડની હતી.

રાજ્યોએ કરેલી લોનમાફીની વિવિધ જાહેરાત

નાણાકીય વર્ષ 2015માં આંધ્રએ રૂ. 24,000 કરોડ, એ જ વર્ષે તેલંગાણાએ રૂ. 17,000 કરોડ, જ્યારે તામિલનાડુએ નાણાં વર્ષ 2017માં રૂ. 5,280 કરોડની લોનમાફીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ નાણાકીય વર્ષ 2018માં મહારાષ્ટ્રે રૂ. 34,020 કરોડ,  ઉત્તર પ્રદેશે રૂ. 36,360 કરોડ, પંજાબે રૂ. 10,000 કરોડ અને નાણાકીય વર્ષ 2019માં કર્ણાટકે રૂ. 18,000 કરોડ અને અન્ય બીજા રૂ. 44,000 કરોડની લોનમાફીની જાહેરાત કરી હતી. એ જ રીતે નાણકીય વર્ષ 2019માં રાજસ્થાને રૂ. 18,000 કરોડ, મધ્ય પ્રદેશે રૂ. 36,500 કરોડ અને છત્તીસગઢે રૂ. 6,100 કરોડ અને મહારાષ્ટ્રે ગયા મહિને રૂ. 45,000-રૂ. 51,000 કરોડની લોન માફીની જાહેરાત કરી હતી.

આમાં એક વિશેષ વાત એ છે કે  મોટા ભાગની આ લોન માત્ર કાગળ પર માંડી વાળવામાં આવી હતી અને ખરેખર માંડી વાળેલી રકમ કુલ રકમના 60 ટકા કરતાં વધુ ના હતી, જેમાં મધ્ય પ્રદેશે સૌથી ઓછી 10 ટકા રકમ જ માંડી વાળી હતી. જોકે બીજી રસપ્રદ બાબત એ હતી કે જે વર્ષોમાં આ લોન રાજ્યો દ્વારા માંડી વાળવામાં આવી હતી, તે રાજ્યોમાં ખેડૂતો દ્વારા નવી લોન લેવાના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

 

 

આઝાદીથી અત્યાર સુધીમાં કોણ કોણ રહયા દિલ્હીના મુખ્યમંત્રી?

નવી દિલ્હીઃ આમ તો દિલ્હીને રાજ્યનો દરજ્જો બહુ મોડો મળ્યો અને દાયકાઓ સુધી દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ રહયું છે. છેક ડીસેમ્બર, 1993 માં દિલ્હીને રાજ્યનો દરજજો મળ્યો અને વિધાનસભા પણ મળી. પરંતુ મોટાભાગના લોકો કદાચ નહીં જાણતા હોય કે, આઝાદી પછી શરૂઆતમાં દિલ્હીમાં મુખ્યમંત્રી હતા!

આ દષ્ટિએ દેશ જ્યારથી આઝાદ થયો એ પછી દિલ્હીએ સાત મુખ્ય પ્રધાનો જોયા છેઃ

ચૌધરી બ્રહ્મ પ્રકાશ યાદવ

દિલ્હીના સૌપ્રથમ મુખ્ય પ્રધાન કોંગ્રેસ પક્ષના ચૌધરી બ્રહ્મ પ્રકાશ યાદવ હતા, તેમણે  17 માર્ચ, 1952થી 12 ફેબ્રુઆરી, 1955 સુધી સત્તા સંભાળી હતી. તેમણે બે વર્ષ 332 દિવસ સુધી મુખ્ય પ્રધાન રહ્યા હતા.

ગુરુમુખ નિહાલ સિંહ

દિલ્હીના બીજા મુખ્ય પ્રધાન પણ કોંગ્રેસના જ હતા. તેમનું નામ ગુરુમુખ નિહાલ સિંહ હતું, તેમને કાર્યકાળ 13 ફેબ્રુઆરી, 1955થી 31 ઓક્ટોબર, 1956નો હતો. તેમણે એક વર્ષ અને 261 દિવસ મુખ્ય પ્રધાનપદે હતા.

મદનલાલ ખુરાના

દિલ્હીના ત્રીજા મુખ્ય પ્રધાન ભાજપના મદનલાલ ખુરાના હતા. તેઓ બીજી ડિસેમ્બર, 1993થી 26 ફેબ્રુઆરી, 1996 સુધી મુખ્ય પ્રધાનપદે હતા. તેમનો કાર્યકાળ બે વર્ષ અને 86 દિવસનો હતો.

સાહિબ સિંહ વર્મા

દિલ્હીના ચોથા મુખ્ય પ્રધાનપદે ભાજપના સાહિબ સિંહ વર્મા બિરાજમાન હતા. તેમણે 27, ફેબ્રુઆરી, 1996થી 12 ઓક્ટોબર,1998 સુધી શાસનની ધુરા સંભાળી હતી. તેઓ બે  વર્ષ અને 227 દિવસ સુધી મુખ્ય પ્ધાનપદે રહ્યા હતા.

સુષમા સ્વરાજ

દિલ્હીના પાંચમાં મુખ્ય પ્રધાનપદે ભાજપનાં સુષમા સ્વરાજ બિરાજમાન હતા. તેમનો કાર્યકાળ 13 ઓક્ટોબર, 1998થી ત્રીજી ડિસેમ્બર, 1998 હતો, જે માત્ર 51 દિવસનો જ હતો.

શીલા દીક્ષિત

દિલ્હીના છઠ્ઠા મુખ્ય પ્રધાનપદે કોંગ્રેસનાં શીલા દીક્ષિત હતાં. તેમનો કાર્યકાળ ચોથી ડિસેમ્બર, 1998થી 27 ડિસેમ્બર,2103 સુધીનો હતો. તેમણે 15 વર્ષ અને 24 દિવસ સુધી દિલ્હી પર શાસન કર્યું હતું.

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના સાતમા મુખ્ય પ્રધાન આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે. તેમણે 28 ડિસેમ્બર, 2013થી 14 ફેબ્રુઆરી 2014 સુધી શાસન કર્યું હતું. ત્યારે તેમણે માત્ર 49 દિવસ સરકાર ચલાવી હતી. તેમણે બીજી વાર પાંચ વર્ષ અને 45 દિવસ મુખ્યપ્રધાનપદે રહ્યા હતા. એ પછી હવે તેઓ સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદ બનશે.

દિલ્હી સર કર્યા પછી હવે કેજરીવાલ રાષ્ટ્રીય રાજનીતિમાં?

નવી દિલ્હીઃ દિલ્હીમાં મોટી જીત મેળવ્યા બાદ કહેવાઈ રહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાષ્ટ્રીય રાજનીતિમાં કદ વધશે અને તેઓ વિપક્ષના ચહેરા તરીકે ઉભરી શકે છે.

જો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતાના રુપમાં ઉભરી આવતા હજી સમય લાગી શકે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, કેજરીવાલને પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવા માટે અખિલ ભારતીય સ્તર પર આધાર બનાવવાની જરુર છે. અત્યારે આમ આદમી પાર્ટીને ચૂંટણી આયોગ દ્વારા પ્રાદેશિક પાર્ટીની માન્યતા પ્રાપ્ત થઈ છે. પાર્ટી વર્ષ 2017 માં પંજાબમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જો કે તેની રાષ્ટ્રીય અપેક્ષાઓને ત્યારે ઝાટકો લાગ્યો કે જ્યારે ગોવા ચૂંટણી તેમજ ગત બે લોકસભા ચૂંટણીમાં તેને નિષ્ફળતા હાથ લાગી.

તેણે વર્ષ 2014 માં પંજાબમાં ચાર લોકસભા સીટો જીતી અને વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં એક જ સીટ હાથ લાગી હતી, જ્યારે દિલ્હીના મતદાતાઓએ બંન્ને વાર લોકસભા ચૂંટણીમાં તેમને નકારી કાઢ્યા હતા. કેજરીવાલે વર્ષ 2014 માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી અને તેમણે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

દિલ્હીમાં ભાજપ સામે વર્ષ 2017  ની નગર નિગમની ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ, આપની રણનીતિમાં બદલાવ દેખાયો અને તેણે ફરીથી રાષ્ટ્રીય રાજધાનીમાં વિકાસ પર ધ્યાન આપવાનું શરુ કર્યું.

નિર્ભયા કેસ: હારી થાકીને જ્યારે આશાદેવી રડી પડ્યા…

નવી દિલ્હી:  નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં દોષિતો માટે નવુ ડેથ વોરંટ ઈશ્યૂ કરવા અંગેની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે સુનાવણી મોકુફ રાખી છે. હવે આવતીકાલે એટલે કે, ગુરૂવારના રોજ આ કેસમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટમાં દોષિત પવન ગુપ્તાએ કહ્યું કે, મારી પાસે કોઈ વકીલ નથી. ત્યારબાદ કોર્ટે તેને કાયદાકીય મદદની રજૂઆત કરી.

આ અંગે નિર્ભયાના માતા આશા દેવીએ કોર્ટમાં કહ્યું કે, મારી દિકરીના ન્યાય માટે હું ઘણા વર્ષોથી અદાલત ધક્કા ખાઈ રહી છું. મહેરબાની કરીને આ કેસમાં હવે ડેથ વોરંટ ઈશ્યુ કરવામાં આવે. હું પણ એક માણસ છું. સાત વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. હું તમારી સામે હાથ જોડું છું. આમ કહી આશા દેવી કોર્ટમાં રડી પડ્યા હતા. કોર્ટમાંથી બહાર નિકળ્યા બાદ નિર્ભયાની માત મીડિયા સામે વાત કરતી વખતે પણ રડી પડ્યા હતા.

બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આ કેસની સુનાવણી ગુરૂવારે હાથ ધરવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે, આ કેસમાં નિર્ભયાની માતા અને દિલ્હી સરકારે ચારેય દોષિતો માટે નવા ડેથ વોરંટ ઈશ્યુ કરવાની અરજી કરી હતી.

નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવાનું નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગ અંગે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. ટ્રાયલ કોર્ટે જ ચારેય દોષિતોની ફાંસી પર અલગ અલગ આદેશ સુધી અટકાવી છે. દોષિત વિનય શર્મા, મુકેશ કુમાર સિંહ, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવાની હતી, પરંતુ 31 જાન્યુઆરીએ કોર્ટે આને અનિશ્વિતકાળ માટે ટાળી દેવાઈ હતી. બીજી બાજુ દોષિત વિનય શર્માએ દયા અરજી ફગાવવા માટે રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેને પોતાને માનસિક રોગી ગણાવી ફાંસીને ઉંમરકેદમાં ફેરવવાની માંગ કરી છે.

આસામઃ એનઆરસીની વેબસાઈટ પરથી ડેટા જ ગૂમ!!

ગુવાહાટી : નેશનલ રજીસ્ટર ફૉર સિટિઝનશિપ (NRC)નો અંતિમ ડેટા ઑફિશિયલ વેબસાઇટ પરથી ગાયબ થઈ ગયો છે. આઈટી કંપની વિપ્રો સાથે કૉન્ટ્રાક્ટ પૂરો થયા બાદ આ ડેટા ઑફલાઇન થઈ ગયો છે. વિપક્ષ કૉંગ્રેસે અંતિમ ડેટા ઑફલાઇન થવા મામલે સરકારે ઇરાદાપૂર્વક આવું કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત કરી છે.

ઓગસ્ટ 31, 2019માં અંતિમ યાદી પ્રસિદ્ધ થયા બાદ એનઆરસીમાં સમાવેશ કરાયેલા લોકો અને તેમાંથી બાકાત રખાયેલા લોકોની અંતિમ યાદી www.nrcassam.nic.in વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. જોકે, છેલ્લા થોડા દિવસથી ડેટા વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં ભય ફેલાયો છે, ખાસ કરીને એ લોકોમાં ચિંતા પેઠી છે જેમનો સમાવેશ આ યાદીમાં નથી થયો. આ લોકોને હજી રિજેક્શન સિર્ટિફેક્ટ ઇશ્યૂ થયા નથી.

ગૃહ મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા કરી છે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે, એનઆરસીનો ડેટા સુરક્ષિત છે. કેટલીક ટેકનિકલ ખામી સર્જાઇ છે. જેના કારણે સમસ્યા ઉત્પન્ન થઇ. જો કે જેને હવે સુધારવામાં આવી રહી છે.

આ મામલે NRC સ્ટેટ કોર્ડિનેટર હિતેશ દેવ શર્માએ જણાવ્યું હતું કે, ડેટાને ઑફલાઇન કરવામાં આવ્યો છે. જોકે, તેમણે બદઇરાદાથી આવું કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને નકારી દીધા હતા. શર્માએ જણાવ્યું હતું કે, “વિપ્રો તરફથી જંગી ડેટા માટે ક્લાઉડ સર્વિસ પૂરી પાડવામાં આવી હતી. વિપ્રો સાથેનો કોન્ટ્રાક્ટ ગત 19 ઓક્ટોબર સુધી જ હતો. આ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી. આથી આ ડેટા 15મી ડિસેમ્બરથી ઑફલાઇન થઈ ગયો છે.”

સાથે જ કોર્ડિનેટરે એવી પણ માહિતી આપી હતી કે રાજ્યની કોર્ડિનેટ સમિતિએ 30મી જાન્યુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં આ મામલે ચર્ચા કરી હતી અને આ મામલે વિપ્રોને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં પત્ર લખ્યો છે. વિપ્રો ડેટાને લાઇવ કરશે ત્યાર બાદ લોકો પણ તેને જોઈ શકશે. અમને આશા છે કે લોકો આગામી બે કે ત્રણ દિવસમાં ડેટાને ફરીથી જોઈ શકશે.ગૃહ મંત્રાલયે બુધવારે આ મામલે સ્પષ્ટતા કરી છે કે એનઆરસીનો ડેટા સુરક્ષિત છે, હાલ ક્લાઉડ સાથે કોઈ ટેક્નિકલ સમસ્યા છે. આ ખામીને બહુ ઝડપથી દૂર કરવામાં આવશે.

નોંધનીય છે કે એનઆરસીની અંતિમ યાદીમાંથી 19,06,657 લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. કુલ 3,30,27,661 અરજીઓમાંથી આ યાદીમાં 3,11,21,004 લોકોનો સમાવેશ કરાયો છે.

દિલ્હીઃ પરિણામો પછી રાજીનામા ધરવાની નૌટંકી શરૂ

નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપને મળેલી હાર પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાના ઓફર કરી છે. જોકે પાર્ટી હાઈકમાન્ડે મનોજ તિવારીની ઓફરનો જવાબ આપતા કહ્યું કે, હાલ  રાજીનામાની કોઈ જ જરૂર નથી. મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપને માત્ર 8 બેઠકો મળી છે અને ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે.

 

ચૂંટણી પરિણામો પછી રાજીનામાનો દોર શરુ થયો છે. પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપરાએ હારની જવાબદારી સ્વીકારતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ બુધવારે મનોજ તિવારીએ પાર્ટી ઓફિસ ખાતે જીતેલા ઉમેદવારો સાથે મુલાકાત પણ કરી હતી.

મનોજ તિવારીએ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતાં. દિલ્હીમાં ભાજપના નેતાઓનો રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો સૌથી સારુ પ્રદર્શન સંસદીય બેઠક ઉત્તર પૂર્વ દિલ્હીમાં મનોજ તિવારીનું રહ્યું છે. અહીં રોહતાસ નગર, કરાવલ નગર અને ઘોંડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. તો બીજી તરફ ગૌતમ ગંભીરની સંસદીય બેઠક પૂર્વ દિલ્હી લોકસભામાં લક્ષ્મી નગર, વિશ્વાસ નગર અને ગાંધી નગરની ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે.