Home Blog Page 5

બાજરી, જુવાર, મકાઈના ટેકાના ભાવે ખરીદીના જથ્થાની મર્યાદામાં વધારો

ગાંધીનગર: ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. રાજ્ય સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો. કૃષિ મંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બાજરી, મકાઈ, જુવારની ટેકાના ભાવે ખરીદીના જથ્થામાં વધારો

નવી જાહેરાત મુજબ હવે પ્રતિ ખેડૂત બાજરીની ખરીદી મર્યાદા 2,000 કિલોથી વધારી 3,500 કિલો (175 મણ) કરવામાં આવી છે. તે જ રીતે મકાઈની ખરીદી મર્યાદા 1,500 કિલોથી વધારી 2,500 કિલો (125 મણ) અને જુવારની ખરીદી મર્યાદા 1,000 કિલોથી વધારી 1,700 કિલો (85 મણ) કરવામાં આવી છે. એટલે કે બાજરીમાં 1,500 કિલો, મકાઈમાં 1,000 કિલો અને જુવારમાં 700 કિલોનો વધારો કરવામાં આવ્યો છે.

નવી મર્યાદા મુજબ ખરીદી

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોની માંગ અને લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હવે નવી મર્યાદા મુજબ ખરીદી પ્રક્રિયા હાથ ધરશે. સરકારના આ નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે.

રાજ્ય સરકારે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા વધારાયેલા ટેકાના ભાવના લાભને વધુ અસરકારક બનાવવા અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે ખરીદી મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂત કલ્યાણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું આ વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ, CM ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી પાઠવ્યાં અભિનંદન

ગાંધીનગર: ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના છે.  ત્યારે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકો તરફથી વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા છે. CMએ વડાપ્રધાનને પત્ર લખીને આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

વિકાસની સ્પીડ અને સ્કેલ જોઇને જન-જન બોલ્યા ‘મોદી હૈ તો મુમકીન હૈ’

મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું કે, વડાપ્રધાનનો 12 વર્ષનો કાર્યકાળ વિશ્વભરમાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધારનાર રહ્યો છે. તેમના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવાં કડક પગલાંઓ થકી ભારતે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. વડાપ્રધાનએ આપેલો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ નો કાર્યમંત્ર આજે રાષ્ટ્રીય સંકલ્પ બન્યો છે. વિકાસની અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ જોઇને આજે દેશમાં જન-જન બોલી રહ્યાં છે કે ‘મોદી હૈ તો મુમકીન હૈ’. વડાપ્રધાનના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચ સાથે જન-જન સુધી પહોંચાડવામાં આવી છે. દેશમાં પહેલી વખત ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થઈ છે.

ગુજરાતને મળ્યું ડબલ એન્જિન સરકારનું બળ

મુખ્યમંત્રીએ પત્રમાં ગુજરાતને વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વને જે લાભ મળ્યો છે, તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાન તરીકેનું દાયિત્વ સંભાળતાની સાથે જ ગુજરાતને ડબલ એન્જિન સરકારનું બળ મળ્યું છે. વડાપ્રધાનએ ગુજરાતને આ 12 વર્ષો દરમિયાન અનેક ઐતિહાસિક ભેટ આપી છે. વડાપ્રધાન બન્યાના માત્ર 17 જ દિવસમાં નર્મદા યોજના આડેના અવરોધો દૂર કરી ગેટ મૂકવાની પરવાનગી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, ગિફ્ટ સિટી, કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, મોઢેરા સોલાર વિલેજ, સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વગેરે જેવી ભેટ થકી ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે.લોથલ મેરિટાઇમ હેરિટેડ કોમ્પ્લેક્સ, સોમનાથ સ્વાભિમાન પર્વ, દ્વારકા, સોમના, અંબાજી કોરિડોર, પાવાગઢ મહાકાળી ધામનો પુનઃવિકાસ અને વડનગર આર્કિયોલોજીકલ મ્યુઝિયમ થકી ગુજરાતમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ નો મંત્ર ચરિતાર્થ થયો છે.

મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું છે કે, દેશ આજે જ્યારે ‘વિકસિત ભારત @2047’ના મહાસંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે વડાપ્રધાનના દિશા દર્શનમાં ગુજરાત પણ “વિકસિત ગુજરાત”ના લક્ષ્યને સાકાર કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનવાનો સંકલ્પ સિદ્ધ કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ સહુ ગુજરાતીઓ વતી 12 વર્ષના સફળ સુશાસન માટે વડાપ્રધાનને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

TMCના કોંગ્રેસમાં વિલય માટે બેનરજીએ રાહુલ ગાંધી સમક્ષ મૂકી શરત

નવી દિલ્હીઃ TMCના કોંગ્રેસમાં વિલય અંગેની ચર્ચાઓ હવે આગળ વધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધી તરફથી મળેલા પ્રસ્તાવ પર મમતા બેનર્જી સકારાત્મક છે, પરંતુ તેમણે અભિષેક બેનર્જી મારફતે રાહુલ ગાંધી સમક્ષ કેટલીક શરતો પણ મૂકી છે. અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથેની બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચા કરી હતી. TMCના નેતાએ કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ માગ કરી કે મમતા બેનર્જીને રાજ્યસભામાં મોકલવામાં આવે. એટલું જ નહીં, તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતા (Leader of Opposition)નું પદ પણ આપવામાં આવે. જોકે કોંગ્રેસ તરફથી આ અંગે શું પ્રતિસાદ આપવામાં આવ્યો છે તે હજુ સુધી જાહેર થયું નથી.

સોનિયા ગાંધીએ જાતે આપ્યો હતો પ્રસ્તાવ

સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ફોન કરીને TMCનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. તેના બદલામાં મમતાને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ આપવાની વાત કરવામાં આવી હતી. એ ઉપરાંત તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પણ પક્ષના મહાસચિવનું પદ આપવાની ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે.

મમતાએ નિર્ણય માટે માગ્યો સમય

કોંગ્રેસ સંસદીય દળનાં નેતા સોનિયા ગાંધીએ મમતાને જણાવ્યું હતું કે TMC પર ભાજપના વધી રહેલા રાજકીય દબાણને ધ્યાનમાં રાખીને પક્ષનું કોંગ્રેસમાં વિલય કરવું યોગ્ય રહેશે. અન્યથા, ભાજપ તેમની સાથે પણ આમ આદમી પાર્ટી જેવી રાજકીય કાર્યવાહી કરી શકે છે. એ ઉપરાંત TMCની અંદર પણ અભિષેક બેનર્જી સામે કેટલાક નેતાઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા હોવાથી પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે મમતા બેનર્જીએ આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેવા માટે થોડા દિવસનો સમય માગ્યો છે.

રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે દોઢ કલાક બેઠક

TMCના કોંગ્રેસમાં વિલયની અટકળોને ત્યારે વધુ બળ મળ્યું જ્યારે TMCપ્રમુખ મમતા બેનરજીએ 8 અને 9 જૂને સતત બે દિવસ સોનિયા ગાંધી સાથે તેમના 10 જનપથ નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉષ્માભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને બંનેએ એકબીજાને ગળે પણ મળ્યા હતા.

ગિફ્ટ સિટી દ્વારા ફિનટેક રેસિડેન્શિયલ પ્રોગ્રામની બીજી બેચનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)એ તેના ફિનટેક રેસિડેન્શિયલ પ્રોગ્રામની બીજી બેચની શરૂઆત કરી છે. આ પ્રોગ્રામનો હેતુ ક્રોસ-બોર્ડર ફાઇનાન્સ, સિક્યોરિટી, રિસ્ક અને કોમ્પ્લાયન્સ, વેબ3 અને બ્લોકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ GovTech અને RegTech જેવાં ક્ષેત્રોમાં સોલ્યુશન્સ વિકસાવતા શરૂઆતના તબક્કાના સ્ટાર્ટઅપ્સને સહાય પૂરી પાડવાનો છે. લાયક ઠરનારા સ્ટાર્ટઅપ્સ માટે અરજી પ્રક્રિયા બુધવારે (10 જૂન) શરૂ કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ જુલાઈ છે.

ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (GIFT IFIH) દ્વારા અમલમાં મૂકવામાં આવતો આ છ મહિનાનો પ્રોગ્રામ વિચારના તબક્કામાં રહેલા, પ્રોડક્ટ લોન્ચ પહેલાંના, મિનિમમ વાયેબલ પ્રોડક્ટ તબક્કાના તેમ જ પ્રારંભિક માન્યતા પ્રાપ્ત કરતા સ્ટાર્ટઅપ્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોગ્રામમાં ગિફ્ટ સિટીમાં ત્રણ મહિનાની રૂબરૂ હાજરી સાથે ત્રણ મહિનાના વર્ચ્યુઅલ સપોર્ટનો સમાવેશ થાય છે, જેમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ, માર્કેટ વેલિડેશન અને ઇકોસિસ્ટમ સાથે જોડાણ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં જોડાતા સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગના નિષ્ણાતોનું માર્ગદર્શન, ઇકોસિસ્ટમના વિવિધ હિતધારકો સુધી પહોંચ, નિયમનકારી માળખાની સમજ તેમ જ રોકાણકારો અને વ્યૂહાત્મક ભાગીદારો સાથે જોડાવાની તક મળશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ સ્થાપકોને નવા વિચારો વિકસાવવા, તેની ઉપયોગિતા ચકાસવા અને તેને મોટા પાયે વિસ્તૃત કરવામાં મદદ કરવાનો છે, જેથી તેઓ બદલાતા નાણાકીય સેવા ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ સોલ્યુશન્સ તૈયાર કરી શકે.આ બીજી બેચ પ્રથમ ફિનટેક રેસિડેન્શિયલ પ્રોગ્રામની સફળતા પર આધારિત છે. પ્રથમ બેચ હેઠળ 11 સ્ટાર્ટઅપ્સને સુનિયોજિત માર્ગદર્શન, પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સહાય, ઇકોસિસ્ટમ સુધી પહોંચ અને રોકાણકારો સાથે જોડાણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

જાન્યુઆરી, 2025માં ગિફ્ટ સિટી દ્વારા સ્થાપિત GIFT IFIH, ફિનટેક સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન, એક્સિલરેશન અને ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC)માં કાર્યરત વ્યાપક ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇકોસિસ્ટમ સુધી પહોંચ પૂરી પાડવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આગામી ચાર વર્ષમાં આ હબ 250 ફિનટેક સ્ટાર્ટઅપ્સને સહાય પૂરી પાડવાનું અને ગિફ્ટ સિટીને કેન્દ્રમાં રાખીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઇનોવેશન ઇકોસિસ્ટમ વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે.આ પ્રોગ્રામના લોન્ચ અંગે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલે જણાવ્યું હતું કે ફાઇનાન્શિયલ સર્વિસિસના ક્ષેત્રમાં ફાઇનાન્સ, ટેક્નોલોજી અને રેગ્યુલેશનનો સમન્વય ઇનોવેશન માટે નવી તકો ઊભી કરી રહ્યો છે. ફિનટેક રેસિડેન્શિયલ પ્રોગ્રામ દ્વારા અમે એવા સ્થાપકોને સહાય કરવા માગીએ છીએ, જે સ્થાનિક તેમ જ વૈશ્વિક બજારો માટે સોલ્યુશન્સ વિકસાવી રહ્યા છે અને સાથે જ ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ અનોખી ઇકોસિસ્ટમનો લાભ લઈ રહ્યા છે. સ્ટાર્ટઅપ્સ, નિયમનકારો, નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાતોને એક મંચ પર લાવીને અમે એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ, જે નવીનતા, સહયોગ અને જવાબદાર વિકાસને પ્રોત્સાહન આપે છે.

મેલોનીનો મોદીને સંદેશ, PM તરીકે 12 વર્ષ પૂર્ણ થવા બદલ પાઠવી શુભેચ્છા

નરેન્દ્ર મોદીએ સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાનનો રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વ નેતાઓના અભિનંદન સંદેશાઓમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાનનો રેકોર્ડ ધરાવે છે. આજે, બુધવાર (10 જૂન), તેમણે કેન્દ્ર સરકારના વડા તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા. આ પ્રસંગે પીએમ મોદીને દેશ અને દુનિયાભરના નેતાઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

મેલોનીએ થોડા અઠવાડિયા પહેલા રોમમાં થયેલી તેમની દ્વિપક્ષીય બેઠકને પણ યાદ કરી, જેના પર તેમણે ખૂબ આનંદ વ્યક્ત કર્યો. વધુમાં તેમના સંદેશમાં તેમણે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો વિશે વાત કરી. તેમણે કહ્યું કે બંને દેશોએ સંયુક્ત રીતે એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી છે, જે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ ભાગીદારી બંને દેશોના નાગરિકો માટે પ્રગતિ માટે નવી અને ઉત્તેજક તકો ઊભી કરશે.

મેલોનીએ એક્સ પર પોસ્ટ કરી શુભેચ્છા સંદેશ પાઠવતાં લખ્યું કે ‘ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન બનવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન. તાજેતરના અઠવાડિયામાં રોમમાં ફરી મળવાનો અને સંયુક્ત રીતે ખાસ વ્યૂહાત્મક ભાગીદારીનો આનંદ થયો. આ ભાગીદારી ભવિષ્યમાં આપણા દેશો અને આપણા લોકો માટે નવી તકોનું સર્જન કરશે.’

ભારતીય રાજકારણમાં એક મોટો રેકોર્ડ
પીએમ મોદીએ બુધવારે ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું. 26 મે, 2014 ના રોજ પ્રથમ વખત વડા પ્રધાન તરીકે શપથ લેનારા નરેન્દ્ર મોદીએ 4,399 દિવસ કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આનાથી તેઓ બંધારણ અમલમાં આવ્યા પછી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા છે. તેમણે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડને તોડી નાખ્યો, જેમણે 1952 માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પછી સતત 4,398 દિવસ સુધી ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.

પીએમ મોદીએ શું કહ્યું
વિશ્વના ઘણા અગ્રણી નેતાઓએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે, આને જનતાના વિશ્વાસ અને લાંબી રાજકીય સફરમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે. આ સિદ્ધિ અંગે પીએમ મોદીએ કહ્યું કે જાહેર સેવા એ સુશાસનની સૌથી મોટી ઓળખ છે. તેમણે કહ્યું કે ફક્ત તે વ્યક્તિ જ લોકોનો વિશ્વાસ જીતી શકે છે જે સમર્પણ અને ફરજની ભાવના સાથે લોકોનો વિશ્વાસ જીતી શકે છે અને હંમેશા લોકોની સેવા કરવા માટે તૈયાર રહે છે.

યુદ્ધના ભણકારા: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી

મધ્ય પૂર્વ (Middle East) માં ગમે ત્યારે મોટું આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળે તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સીધો મોરચો ખોલતા દાવો કર્યો છે કે ઈરાનનું સૈન્ય માળખું સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. ટ્રમ્પે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, “ઈરાનની સેના સંપૂર્ણ અને સાર્વત્રિક રીતે અવ્યવસ્થિત થઈ ચૂકી છે. તેની શક્તિનો મોટો હિસ્સો, જેમ કે તેની નૌસેના (Navy) અને વાયુસેના (Air Force) હવે લગભગ અસ્તિત્વમાં જ નથી. તેઓ યુદ્ધના મેદાનમાં સંપૂર્ણ રીતે પરાજિત થઈ ચૂક્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, ઈરાન માત્ર મોટી વાતો કરે છે, પણ નક્કર કાર્યવાહી કરવાની તેનામાં તાકાત નથી. પશ્ચિમ એશિયાનો જે દાદા (દબંગ) હતો, તે હવે કાયમ માટે ખતમ થઈ ગયો છે. ભૂતકાળમાં પરમાણુ કે સૈન્ય સમજૂતીની વાતોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી કે, “ઈરાને સમયસર એક એવી સમજૂતી પર વાતચીત કરવામાં બહુ મોડું કરી દીધું જે તેમના પોતાના ભવિષ્ય માટે ઘણી સારી સાબિત થઈ શકતી હતી. પરંતુ હવે મોડું થઈ ગયું છે અને તેમણે પોતાના આ પગલાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.

શા માટે આટલો વધ્યો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ?

અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય સરહદો પર તણાવ ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે દક્ષિણ ઈરાનમાં અમેરિકી દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં ઈરાનની પ્રખ્યાત સૈન્ય પાંખ ‘ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ’ (IRGC) એ બહેરીન, કુવૈત અને જોર્ડન (Jordan) જેવા દેશોમાં સ્થિત અમેરિકા સાથે સંબંધિત સૈન્ય ઠેકાણાઓ પર સેંકડો ડ્રોન અને ઘાતક મિસાઈલોથી વળતો પ્રહાર કર્યો. આ અણધાર્યા હુમલાના કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ છે.

આ અગાઉ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો હતો કે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ જળડમરુમધ્ય (Strait of Hormuz) ની ઉપર ઈરાન દ્વારા એક અમેરિકી મિલિટરી હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલો મળ્યા હતા. જેના જવાબમાં અમેરિકી સેનાએ આત્મરક્ષા (Self-Defense) કાજે ઈરાનના સૈન્ય મથકો વિરૂદ્ધ મોટા પાયે એરસ્ટ્રાઈક કરી હતી. આ ઘટનાક્રમે લાંબા સમયથી ચાલી આવતી બંને દેશોની દુશ્મનીને વધુ લોહિયાળ બનાવી દીધી છે. અમેરિકી ધમકીઓ સામે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) એ પણ આકરી ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, “ઈરાન પોતાના સાર્વભૌમત્વ પર થનારા કોઈપણ હુમલા કે ધમકીને સહેજ પણ સહન નહીં કરે અને તેનો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે.”

ઈઝરાયેલ પર ભડક્યા તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન

પશ્ચિમ એશિયાના આ મહાસંકટ વચ્ચે તુર્કીયે (Turkey) ના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન (Recep Tayyip Erdogan) પણ ઈઝરાયેલના સૈન્ય ઓપરેશનો પર લાલચોળ થયા છે. એર્દોગને સીરિયા (Syria) અને લેબનાન (Lebanon) પર થઈ રહેલા સતત ઈઝરાયેલી હુમલાઓ સામે સખત વાંધો ઉઠાવતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ જે રીતે પડોશી દેશો પર હુમલા કરી રહ્યું છે, તે હવે માત્ર સીરિયા કે લેબનાન પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ તે હવે તુર્કીયેની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ સીધો ખતરો બની ગયું છે.

રિલાયન્સ, મેટા સાથે મળીને બનાવશે દેશમાં પ્રથમ AI ડેટા સેન્ટર

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને મેટા (Meta Platforms)એ ગુજરાતના જામનગરમાં અદ્યતન AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા માટે ભાગીદારી કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ રિલાયન્સ 168 મેગાવોટ (MW) ક્ષમતાવાળું ડેટા સેન્ટર બનાવશે, જેને આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભવિષ્યમાં વધતી માગને ધ્યાનમાં રાખીને તેની ક્ષમતામાં વધુ વધારો પણ કરી શકાશે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ એન્ડ-ટુ-એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર તરીકે કાર્ય કરશે. કંપની ડેટા સેન્ટરનું ડિઝાઇન અને નિર્માણ કરશે તેમ જ વીજ પુરવઠો, નેટવર્ક કનેક્ટિવિટી, રિન્યુએબલ એનર્જી, ઓપરેશન્સ અને અન્ય જરૂરી સેવાઓનું સંચાલન પણ કરશે.

આ ભારતમાં મેટા (Meta)નું પ્રથમ “બિલ્ટ-ટુ-સૂટ” ડેટા સેન્ટર હશે, જેને કંપનીની વિશિષ્ટ જરૂરિયાતો અને AI આધારિત કમ્પ્યુટિંગની માગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે. આ સુવિધા મેટાના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મુખ્ય વ્યાવસાયિક કામગીરી અને મોટા પાયે ડેટા પ્રોસેસિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.

રિલાયન્સના જણાવ્યાનુસાર જામનગરની વ્યૂહાત્મક વિશેષતાઓને કારણે આ પ્રોજેક્ટ માટે તેની પસંદગી કરવામાં આવી છે. અહીં પ્રચુર પ્રમાણમાં રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો, પૂરતું પાણી, જિયોનું વ્યાપક ફાઇબર નેટવર્ક અને પશ્ચિમ કિનારે આવેલા સમુદ્રી ઇન્ટરનેટ કેબલ લેન્ડિંગ સ્ટેશનોની નજીકતા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ડેટા સેન્ટરને સંપૂર્ણપણે રિન્યુએબલ ઊર્જાથી ચલાવવાની યોજના છે, જ્યારે તેના કુલિંગ માટે શુદ્ધ કરાયેલા દરિયાઈ પાણીનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે મેટા સાથેની આ ભાગીદારી ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. તેમણે કહ્યું હતું કે રિલાયન્સ વિશ્વ સ્તરીય ડિજિટલ સુવિધાઓ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે, જે ભારત અને વિશ્વભરમાં AI નવીનતાની આગામી લહેરને ગતિ આપશે. તેમના મતે જામનગર ભવિષ્યમાં હાઇપર સ્કેલ AI કમ્પ્યુટિંગનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનીને ઊભરશે.

બીજી તરફ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે કંપની ભારતમાં પોતાનું પ્રથમ AI-સક્ષમ ડેટા સેન્ટર રિલાયન્સ સાથે વિકસાવવા અંગે ઉત્સાહિત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જામનગરની આ વિશ્વ સ્તરીય સુવિધા મેટાની વૈશ્વિક AI ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે અને ભારતમાં કંપનીના લાંબા ગાળાનાં મૂડીરોકાણોને નવી દિશા આપશે.

આ તળાવ સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે!

મહેસાણા જિલ્લાનું વડનગર(Vadnagar) એક ઐતિહાસિક શહેર છે. તાજેતરમાં જ ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને જૂની ધરબાયેલી સંસ્કૃતિ મળી આવી છે. વડનગરમાં હિંદુ, જૈન, બૌધ્ધ સમયના અવશેષો મળી રહ્યા છે. ધાર્મિક સ્થળો સ્મારકો સાથેના આ નગરમાં અજપાલ કુંડ (ગૌરીકુંડ), અર્જુન બારી દરવાજો, કિર્તી તોરણ, તાના રીરી સમાધિ, હાટકેશ્વર મહાદેવ, જૈન દેરાસર, બૌધ્ધકાળના અવશેષો, વડનગર મ્યુઝિયમ, વાવ જેવા અનેક સ્થળો આવેલા છે.

આ વિવિધ સંસ્કૃતિથી ભરેલા નગર(Vadnagar)માં સૌથી વધારે આકર્ષક શર્મિષ્ઠા તળાવ(Sharmistha Lake) છે. શર્મિષ્ઠા તળાવ સોલંકીયુગના સમયગાળામાં પાણીની જાળવણી માટેનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. શર્મિષ્ઠા તળાવ હાલ પણ ઉપયોગમાં છે. એ અરાવલિની ટેકરીઓમાંથી વહેતા કપિલા નદીના પાણી દ્વારા બનાવવામાં આવેલું એક પ્રાચીન તળાવ છે. આ તળાવ સાથે અનેક લોકવાયકાઓ અને દંતકથાઓ વણાયેલી છે. આશરે 4500 વર્ષ પહેલાં નિર્માણ થયેલા આ તળાવને છેલ્લા દાયકામાં સુંદર બનાવવામાં આવ્યું છે. નવા પગથિયા, એમ્ફિથીયેટર , સુંદર લાઇટિંગ સાથે અનેક આકર્ષણો શર્મિષ્ઠા તળાવની રોનક વધારી રહ્યા છે.

વડનગર(Vadnagar)ની સંસ્કૃતિનો અનુભવ કરાવતું અનંત અનાદિ વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય તાજેતરમાં જ નિર્માણ થયું છે. એની ડિઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવી છે કે પુલ દ્વારા શહેર અને શર્મિષ્ઠા તળાવ(Sharmistha Lake)નો નજારો માણી શકાય. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના વતની છે. એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ શર્મિષ્ઠા તળાવ સહિત નગરનો વિકાસ પૂર ઝડપે થયો. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 12 વર્ષ થયા. વડનગર આ પ્રસંગે અનોખી ઉજવણી કરી રહ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ભારતને ફટકો, હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સીરિઝમાંથી બહાર

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. પીઠની ઈજામાંથી સ્વસ્થ થયા પછી તેને ફિટનેસ ટેસ્ટ દરમિયાન નવી ક્વાડ્રિસેપ્સ ઈજા થઈ હતી. હવે તે ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી રિહેબિલિટેશનમાંથી પસાર થશે.

અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી શરૂ થાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નવી ઈજાને કારણે આખી ત્રણ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે ફિટનેસ મૂલ્યાંકન દરમિયાન પંડ્યાને ક્વાડ્રિસેપ્સ (જાંઘના સ્નાયુ) માં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક તાજેતરમાં IPL દરમિયાન થયેલી કમરની ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યા હતા. સમાચાર એજન્સી PTI એ મંગળવારે અહેવાલ આપ્યો હતો કે હાર્દિક, રોહિત શર્મા સાથે, CoE દ્વારા રમવા માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હવે એવું બહાર આવી રહ્યું છે કે ફિટનેસ ટેસ્ટ દરમિયાન શોધાયેલી નવી ઈજાને કારણે તેમની વાપસી મુલતવી રાખવામાં આવી છે.

ફિટનેસ ટેસ્ટ મુશ્કેલીમાં વધારો કરે છે

અહેવાલ મુજબ, ફિટનેસ એસેસમેન્ટ દરમિયાન હાર્દિકે પૂરા 10 ઓવર બોલિંગ કરી હતી. જોકે, ટેસ્ટ દરમિયાન તેને ક્વાડ્રિસેપ્સ સ્નાયુમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવાય છે કે ઈજા એટલી ગંભીર છે કે તેને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી રિહેબિલિટેશનમાંથી પસાર થવું પડશે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “રિકવરીમાં લગભગ ત્રણ અઠવાડિયા લાગશે. પરિણામે, અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાં તેના રમવાની કોઈ શક્યતા નથી કારણ કે ત્યાં સુધીમાં તેનું રિહેબિલિટેશન પૂર્ણ થશે નહીં.” જોકે, આ ખુલાસાએ હવે પ્રશ્નો ઉભા કર્યા છે. ચાહકો આશ્ચર્ય પામી રહ્યા છે કે, મંગળવારે ફિટનેસ ક્લિયરન્સ મળ્યા પછી, એક દિવસ પછી તે કેવી રીતે જાહેર થયું કે તે હવે શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં અને નવી ઈજા મળી આવી. સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે ટીમમાં કંઈક ચાલી રહ્યું છે.

શનિવારથી શ્રેણી શરૂ થશે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી 14 જૂને ધર્મશાળામાં શરૂ થશે. બીજી મેચ 17 જૂને લખનૌમાં અને ત્રીજી મેચ 20 જૂને ચેન્નાઈમાં રમાશે. હાર્દિકની ગેરહાજરી ટીમ ઈન્ડિયાના સંતુલનને અસર કરી શકે છે, કારણ કે તે બેટિંગ અને બોલિંગ બંનેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

હાર્દિક ODI યોજનાઓનો મુખ્ય ભાગ છે

પંડ્યાને તાજેતરમાં ભારતીય T20 ટીમમાંથી આરામ આપવામાં આવ્યો હતો જેથી તે ODI ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટની નજર 2027 ODI વર્લ્ડ કપ પર છે, અને હાર્દિકને તે યોજનાનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમાં પગની ઘૂંટીમાં ઈજા થયા બાદ ટીમ ઈન્ડિયાને સંતુલન જાળવવામાં નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ હાર્દિકની ફિટનેસ અંગે વધારાની કાળજી લઈ રહ્યું છે.

રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું : ભાજપમાં થશે સામેલ

નવી દિલ્હીઃ TMCમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે વધુ મહત્વપૂર્ણ ઘટના બની છે. પાર્ટીપ્રમુખ મમતા બેનર્જીને વધુ એક આંચકો લાગ્યો છે. રાજ્યસભાનાં સાંસદ અને મમતા બેનર્જીની નજીકની નેતા સુષ્મિતાદેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ તેમણે હિમંતા બિશ્વ સરમા સાથે પણ મુલાકાત કરી હતી, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. સુષ્મિતા દેવનું રાજીનામું TMC માટે વધુ એક મોટી રાજકીય પડકારરૂપ ઘટના માનવામાં આવી રહ્યું છે. તેઓ ભાજપમાં સામેલ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલો મુજબ સુષ્મિતા દેવે બુધવારે રાજ્યસભા સચિવાલયમાં પહોંચીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે TMC પહેલેથી જ પક્ષની અંદર અસંતોષ અને નેતાઓની નારાજગીનો સામનો કરી રહી છે. સુષ્મિતા દેવ TMCના એવા નેતાઓમાં સામેલ રહ્યાં છે જેમને રાષ્ટ્રીય સ્તરે પક્ષનો મજબૂત ચહેરો માનવામાં આવતો હતો. તેમણે વર્ષ 2021માં કોંગ્રેસ છોડીને TMCમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.

જોકે તેમણે રાજીનામું શા માટે આપ્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં તેને TMC માટે વધુ એક મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પહેલાં પણ TMCની અંદર અસંતોષ અને વિખવાદની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અહેવાલો મુજબ પક્ષના 58 ધારાસભ્યોએ નેતૃત્વ વિરુદ્ધ મોરચો ખોલીને વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને અલગ જૂથ બનાવવાનો દાવો કર્યો હતો. આ ધારાસભ્યોએ નિષ્કાસિત નેતા ઋતબ્રત બેનર્જીને પોતાનો નેતા તરીકે પસંદ કર્યો હોવાનું પણ કહેવાય છે અને સ્પીકર તરફથી માન્યતા મળ્યાની ચર્ચા છે. બીજી તરફ લોકસભામાં પણ TMCને ઝટકો લાગ્યો હતો. સાંસદ કાકોલી ઘોષના નેતૃત્વમાં આશરે 20 સાંસદોએ બળવાખોર વલણ અપનાવ્યું હતું. તેમણે ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં અલગ બેઠકોની વ્યવસ્થા કરવાની માગ કરી હતી. એવી અટકળો ચાલી રહી છે કે આ સાંસદો એનડીએને સમર્થન આપી શકે છે.