Home Blog Page 5034

દિલ્હીની ડ્રામેટિક ચૂંટણીઃ નાટક હજી જામ્યું નથી

દિલ્હી વિધાનસભાની ચૂંટણી ડ્રામેટિક બનશે તે સૌને ખબર છે. નાનો મોટો ડ્રામા છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યો છે. પણ જામતો નથી. જામતો નથી, કેમ કે એક મુખ્ય નાયક અંડરપ્લે કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે દોઢેક વર્ષથી, લોકસભા 2019ની ચૂંટણી પહેલાંથી જ મોદી અને ભાજપનો વિરોધ કરવાનું બંધ કરી દીધું હતું. ભાજપ સામેના વિપક્ષમાં તેઓ સૌથી ચાલાક છે. બાકીનો વિપક્ષ ભાજપને ભરપુર ફાયદો કરાવી રહ્યો છે, ત્યારે કેજરીવાલ ભાજપની ચાલને બરાબર પામી ગયા છે. તેઓ ભાજપનો વિરોધ કરીને ભાજપને જ ફાયદો કરાવવા માગતા નથી.

પરંતુ ભાજપને ભીંસમાં લેવાના બધા જ પ્રયાસો આ સમયગાળામાં તેઓ કરતા રહ્યા છે. ભાજપના નેતાઓ પણ મૂંઝાતા રહ્યા છે કે આમને ટ્રેપમાં કેવી રીતે લેવા. અરવિંદ ટ્રેપમાં આવતા નથી. તેમણે અસલી મુદ્દા જ ઉપાડ્યા છે. લોકોને દરેક મહોલ્લામાં આરોગ્યની સુવિધા મળે તેવું કરું, સ્ત્રીઓને બસમાં મફતમાં મુસાફરી કરાવો, વીજળી તમે 200 યુનિટ સુધી બાળો ત્યાં સુધી બીલ બહુ ઓછું મળશે, પીવાનું પાણી મળે તે માટે સરકાર કેટલી મથે છે તેની વાત જ કરો. આ મુદ્દાઓ એવા છે કે ભાજપ તેને પડકારી શકે તેમ નથી. પાકિસ્તાનના મુદ્દે પડકાર કરી શકાય, પણ ભઈ પાકિસ્તાનનું આપણે અહીં શું કામ છે. યુવાનોને નોકરી નથી મળતી તેની વાત કરોને – આમ આદમી પાર્ટી આવી વાત કરીને પણ ભાજપના નેતાઓને પાકિસ્તાન પાકિસ્તાન બરાડવાની તક આપતી નથી.

ભાજપ બહુ ભીંસમાં આવે ત્યારે કહેતો હોય છે કે પણ અમારી પાસે મોદી છે, તમારી પાસે કોણ? વિપક્ષ ગેંગેફેંફે થઈ જાય છે. આમ આદમી પાર્ટી કહે છે કે અમારી પાસે કેજરીવાલ છે, તમારી પાસે કોણ? હવે ભાજપના નેતાઓ ગેંગેફેંફે થઈ જાય છે. મનોજ તીવારીને મોટા ઉપાડે મોટા ભા કરવાની તૈયારી ભાજપે કરી હતી, પણ કેજરીવાલ સામે કોણનો જવાબ મનોજ તિવારીમાંથી મળ્યો નથી. તેથી કેજરીવાલ સામે કોણ તે જવાબ ભાજપમાંથી આવવાનો બાકી છે.
ભાજપની સરકારો હોય ત્યાં સરકારી તીજોરીના નાણાંનો બેફામ વેડફાટ કરીને નકરો પ્રચાર કરવામાં આવે છે. કેજરીવાલ અહીં પણ પાવરધા નીકળ્યા છે. તેમણે દિલ્હી સરકારની તીજોરીના કરોડો રૂપિયા પ્રચારમાં વાપરી નાખ્યા છે. તેમણે દિલ્હીના અખબારો અને ટીવીમાં એવી રીતે સરકારી કાર્યક્રમો અને જાહેરખબરો કરી છે કે તેમની ઇમેજ ચકચકિત થાય. દિલ્હી સરકારના માહિતી ખાતાનું, પ્રચારનું, વિજ્ઞાપનનું બજેટ તેમણે બખૂબી વાપર્યું છે અને આમ આદમી પાર્ટી અને કેજરીવાલની વાહવાહ માધ્યમોમાં થાય તેવું સુંદર કેમ્પેઇન કર્યું છે. વિપક્ષને એક પછી એક ઘણા રાજ્યોમાં સત્તા મળી છે. તે રાજ્યોમાં પણ સરકાર સરકારી તીજોરી કરોડો રૂપિયા જાહેરખબરોમાં વેડફી નાખે છે, પણ તે પ્રચારમાં દમ નહોતો નથી. તે પ્રચાર સરકારી લાગે છે. દાખલા તરીકે છત્તીસગઢના કોંગ્રેસના મુખ્ય પ્રધાન રાષ્ટ્રીય ટીવીમાં ચમક્યા કરે છે. સરકાર આદિવાસી નૃત્યોનો કાર્યક્રમ કરે છે વગેરે પ્રચાર થતો રહે છે. પણ તે પ્રચાર સરકારી પ્રચાર જ લાગે છે. માહિતી ખાતામય પ્રચારનો કોઈ ફાયદો થતો નથી.

કેજરીવાલ ચૂંટણીને કલાત્મક રીતે, રચનાત્મક રીતે ડ્રામેટિક બનાવે છે. દાખલા તરીકે ઉમેદવારી પત્રક ભરવા જતી વખતે રોડ શૉ કાઢવાનો નવો રિવાજ નીકળ્યો છે. તેમણે પણ તે રિવાજ પાળ્યો, પણ એવી રીતે નાટક કર્યું કે પોતે સમયસર મામલતદાર કચેરીએ પહોંચી શક્યા નહિ. પોતાને જોવા, સાંભળવા, ટેકો આપવા માટે એટલી મોટી ભીડ ઊમટી પડી હતી કે તેમાંથી માર્ગ કરીને કચેરીએ ફોર્મ ભરવા પહોંચી શકાયું નહીં તેવી છાપ ઊભી કરાય. આટલું વ્યાપક જનસમર્થન છે એવું કહ્યા વિના જણાવાયું. પોતાને પ્રેમથી, ઉમળકાથી મળવા આવેલા મતદારોને મૂકીને પોતે ફોર્મ ભરવા દોડી શકે નહિ એવું કેજરીવાલનું કહેવાનું થતું હતું.

બીજા દિવસે વધારે ડ્રામા કરવાની તક ભાજપે પણ આપી. ભાજપની પદ્ધતિ પ્રમાણે ડઝનબંધ અપક્ષોને કેજરીવાલની સામે ઊભા કરી દેવામાં આવ્યા છે. ભાજપ ભળતા નામ સાથેના અપક્ષોને ખડા કરી દઈને વિપક્ષની નેતાને મૂઝવતો હોય છે. શંકરસિંહ વાઘેલા સામે શંકર અને વાઘેલા આવતા હોય તેવા અપક્ષોને ઊભા કરી દેવાય. થયું એવું કે 60થી વધુ અપક્ષો ચૂંટણીનું ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચી ગયા હતા. મતદારો કરતાં મોટી ભીડ ઉમેદવારોની થઈ ગઈ હતી. સરકારી બાબુઓ મંદ ગતિએ કામ કરવા ટેવાયેલા છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આટલા બધા ફોર્મ સ્વીકારવાનું બાબુઓ માટે શક્ય નહોતું.

તેથી આખરે કેજરીવાલ પહોંચ્યા અને તેઓ અંદર પહોંચ્યા ત્યારે ભારે હોબાળો મચ્યો. લાઇનમાં આવો ભાઈ લાઇનમાં એવી ધમાલને કારણે ભારે ડ્રામા ઊભો થયો હતો. સરકારી બાબુઓ સરકારી ઉપાય જ કાઢ્યો હતો. સૌને ટોકન આપી દીધા હતા. કેજરીવાલને પણ 45 નંબરનું ટોકન મળ્યું હતું. મતલબ કે ઉમેદવારી પત્રક ભરવા માટે લાઈનમાં તેમનો 45મો નંબર. આ જુઓ ભાજપના લોકો, અમને કેવા હેરાન કરે છે તેવી ભાજપની જ દવા કેજરીવાલ ભાજપને પીવરાવી.

ઉમેદવારી પત્રકો પસાર થઈ જાય અને સામસામા ઉમેદવારો નક્કી થઈ ત્યાર પછી પ્રચાર ધમધમતો થશે. તે વખતે સમગ્ર ચૂંટણી વધારે નાટકીય બનશે તેમ લાગે છે. થોડી નાટકીય તો બની જ છે. ભાજપમાં આંતરિક હલચલ પણ ભારે મચી છે. કેજરીવાલ સામે ભાજપનો ચહેરો કયો તે નક્કી થઈ શક્યું નથી. તે જ રીતે કેજરીવાલની બેઠક પર તેમની સાથે ભાજપનો ઉમેદવાર કયો તેની પણ ભારે માથાકૂટ થઈ હતી.

અહેવાલો અનુસાર કેજરીવાલ સામે ભાજપના ઉમેદવારના મામલે ભાજપમાં ટ્રેજી-કોમેડી થઈ હતી. સુનીલ યાદવ નામના ઉમેદવાર નક્કી થયા હતા. તેઓ ફોર્મ ભરવાની તૈયારીમાં પણ હતા, ત્યાં ખબર આવ્યા કે તેમને બદલવાના છે. તેનું કારણ એ કે સુનીલ યાદવનું નામ નક્કી થયું ત્યારે એવી હવા ચાલી કે ભાજપે જાણે હાર સ્વીકારી લીધી છે. કેજરીવાલ સામે ભાજપને મજબૂત ઉમેદવાર જ મળતો નથી તેવી હવા ચાલી. એટલું જ નહિ સમગ્ર રીતે દિલ્હીમાં આપ સામે ભાજપે લડત પહેલાં જ હાર સ્વીકારી લીધી છે તેવી હવા ચાલી હતી.

દરમિયાન ભાજપના કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડા સંપૂર્ણ પ્રમુખ બન્યા. બીજા દિવસે મંગળવારે તેમની સામે જ આ મામલો આવી પડ્યો હતો. વકીલ અને ભાજપના યુવા મોરચાના દિલ્હી એકમના નેતા એવા સુનીલ યાદવને પણ નારાજી હતી કે પોતાને નવી દિલ્હી વિધાનસભામાં હારવા જ મોકલવામાં આવી રહ્યા છે. બીજું કે સોમવારે રાત્રે, ઉમેદવારી કરવાના છેલ્લા દિવસની આગલી રાતે જ નામ જાહેર થયું હતું.

તેથી મંગળવારે ઉમેદવારી કરવા જતા પહેલાં તેઓ છેલ્લે એક વાર રજૂઆત કરવા નડ્ડાને મળ્યા હતા. એવું પણ કહેવાય છે કે સુનીલ યાદવના નામની જાહેરાત થતા ભાજપના કાર્યકરોએ જ હતાશા વ્યક્ત કરી હતી. આવો નબળો ઉમેદવાર – એવો અફસોસ વ્યક્ત થવા લાગ્યો તેથી નડ્ડાએ જ યાદવને મંગળવારે સવારે જ બોલાવી લીધા હતા તેમ કહેવાય છે. તેમણે યાદવને અટકાવ્યા અને દિલ્હીના ભાજપ એકમના ભૂતપૂર્વ પ્રમુખ સતિષ ઉપાધ્યાયને પસંદ કર્યું. જોકે કેજરીવાલ સામે બલિનો બકરો બની જવા માટે છેલ્લી ઘડીએ તેઓ પણ તૈયાર નહોતા. તેમણે સ્પષ્ટ ના પાડી દીધી તેથી નડ્ડાએ દિલ્હીના પ્રભારી શ્યામ જાજુને કહ્યું કે તમે કેજરીવાલ સામે લડો. જાજુએ પણ કહ્યું કે કેજરીવાલ સામે પોતે લડવા માગતા નથી. આ રીતે છેવટે બપોરે યાદવને જ આખરે મેન્ડેટ આપી દેવો પડ્યો હતો.

આ રીતે પ્રચારનો અને પરસેપ્શનનો પ્રથમ રાઉન્ડ કેજરીવાલે અને આમ આદમી પાર્ટીએ જીતી લીધો છે. પરંતુ ચૂંટણી પ્રચાર આગળ વધતો જશે તે સાથે વધારે ઉગ્ર પ્રચાર થશે. ભાજપની કોશિશ લાગણી ઉશ્કેરે તેવા મુદ્દા તરફ વાતને વાળવાની કોશિશ છે, પણ આપ ચાલાકીપૂર્વક ટ્રેપમાં આવી રહ્યો નથી. બીજું આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ સરકારી તીજોરના કરોડો રૂપિયાનો ખર્ચ જાહેરખબર પાછળ કરીને પ્રચારનું ઘણું બધું કાર્ય આપે પૂર્ણ કરી લીધું છે. હવે ઘરે ઘરે ફરીને પ્રચાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મહોલ્લા ક્લિનિક બની હોય ત્યાં જ પ્રચાર ચાલે, જેથી પોતે કરેલા કામનો નમૂનો દેખાડી શકાય.

દેશભરમાં જ્યાં પણ આપના કાર્યકરો હજી વધ્યા છે (બહુ મોટા પાયે કાર્યકરો મળ્યા પછી, તેમાં મોટું ગાબડું પણ પડ્યું હતું.) તેમને દિલ્હી બોલાવીને શેરીઓમાં પ્રચાર થઈ રહ્યો છે. સરકારી શાળાઓમાં શિક્ષકો ઉપરાંત નિષ્ણાતોને મોકલીને બાળકોને વધારે માર્ગદર્શનની રીત આપે અપવાની હતી. તે માટે તેમણે દેશભરમાં પોતાના જે કાર્યકરો હોય તેમને દિલ્હી બોલાવી, જુદી જુદી શાળામાં મોકલીને કાર્યક્રમો કરાવ્યા હતા. સરકારી શિક્ષકો કરતાં વધારે સારી રીતે આ નિષ્ણાતો ભણાવતા હતા. તેની સારી છાપ પડી હતી અને હવે તે જ નિષ્ણાતોને ફરી દિલ્હી બોલાવીને પ્રચારના કામે પણ લગાડાઈ રહ્યા છે એમ માનવામાં આવે છે.

આ બધા વચ્ચે પ્રચારના પડઘમ વાગી ગયા છે અને શિયાળો થોડો ઠંડો પડ્યો છે અને તાપમાન માફકસર બન્યું છે, ત્યારે પ્રચારની ગરમી ક્યારે આવે છે તેની રાહ જોવાની છે. એકાદ અઠવાડિયમાં દિલ્હીમાં કોઈ મોટો રાજકીય ડ્રામા ના થાય તો જ નવાઈ. થશે ત્યારે તેના પાત્રો અને સ્ક્રિપ્ટનો પરિચય તમને કરાવીશું. અત્યારે આવજો.

રાશિ ભવિષ્ય 25/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ ,કાનૂની,નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા,ચામડા,ધાતુ,ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે.  અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે.

પંચાંગ તા. 25/01/2020

ગઠબંધનથી બદલાયું દિલ્હીનું રાજકારણઃ કોંગ્રેસે પ્રથમવાર કર્યો પ્રયોગ

નવી દિલ્હીઃ ગઠબંધનની રાજનીતિથી દિલ્હીની રાજનૈતિક ઓળખ પણ બદલાઈ રહી છે, જ્યાં હંમેશાથી સત્તા પર એક જ રાજનૈતિક દળ રહેતું આવ્યું છે અને ત્યાં હવે સત્તામાં ગઠબંધનના પ્રયત્નો શરુ થયા છે. આ જ કારણ છે કે આ વખતે પહેલીવાર કોંગ્રેસે પણ રાષ્ટ્રીય જનતા દળને સાથે લીધું છે. બીજીતરફ ભાજપાએ પરંપરાગત સહયોગી શિરોમણિ અકાલી દળને છોડીને લોક જનશક્તિ પાર્ટી અને જનતા દળ યૂનાઈટેડના રુપમાં નવા સાથી બનાવી લીધા છે. આમાં બે મત નથી કે આ વખતના ચૂંટણી પરિણામ દિલ્હીની રાજનૈતિક સ્થિતિ બદલી શકે છે.

મુગલકાળથી સત્તાનું કેન્દ્ર રહેલી દિલ્હીની ચૂંટણી માત્ર દિલ્હી માટે નથી હોતી પરંતુ અહીંયાથી આખા દેશને એક સંદેશ જાય છે. એટલા માટે અહીંયાની ચૂંટણી પર આખા દેશની નજર હોય છે. આ વખતે આ ચૂંટણી કંઈક અલગ જ રંગ લઈને આવી છે. વર્ષ 2015 ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત નોંધાવતા 70 પૈકી 67 સીટો પ્રાપ્ત કરી હતી. ભાજપે ત્રણે સીટો કોઈપણ પ્રકારે પ્રાપ્ત કરી લીધી પરંતુ કોંગ્રેસનું ખાતુ જ ન ખુલ્યું. આ વખતે પણ ત્રણેય પાર્ટીઓ માટે આ ચૂંટણી ખૂબ મહત્વની છે.

એક બાજુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ સત્તા બચાવવા માટે પૂરી તાકાત લગાવી છે, તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. તે કોઈપણ પ્રકારે દિલ્હીની રાજનીતિમાં પાછી આવવા માંગે છે. ભાજપ માટે દિલ્હીની સત્તા પ્રાપ્ત કરવી તે એક મોટો પડકાર છે. કારણકે દેશભરમાં થયેલી કેટલાય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે, હરિયાણામાં પણ મુશ્કેલીથી સત્તા બચાવવામાં સફળ રહી.

હવે ભાજપાએ પણ પોતાનું તમામ જોર લગાવ્યું છે. કોંગ્રેસે ટીકિટ પણ ખૂબ વિચારીને આપી છે. સોનિયા, પ્રિયંકા, રાહુલ સહિત કોંગ્રેસે પણ 40 સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. તો એક અલગ પ્રકારથી રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. જાટ સમુદાય જ્યાં રહે છે તેવા વિસ્તારમાં જાટ પ્રચાર કરશે અને પૂર્વાંચલના લોકો માટે પણ અલગ રણનીતિ બનાવવામાં આવી છે. તો આમ આદમી પાર્ટીએ સત્તા મેળવવા ખૂબ જાહેરાતો કરી છે. તો કોંગ્રેસ અને ભાજપે પણ ઘણી જાહેરાતો કરી છે. હવે આ તમામ પાર્ટીઓના પ્રયત્નોનું પરિણામ શું આવે છે, તે આવનારા સમયમાં જોવાનું રહેશે. અત્યારે ત્રણેય પાર્ટીઓ જનતાને આકર્ષવાના તમામ પ્રયત્નો કરી રહી છે.

ખાવાની સ્ટાઈલથી જ સમજી ગયો કે તેઓ બાંગ્લાદેશી છે: કૈલાશ વિજયવર્ગીય

ઇન્દૌર: નાગરિક સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં સામેલ લોકોને લઈને વડાધાન નરેન્દ્ર મોદીના ‘કપડાથી ઓળખવા વાળા નિવેદન પછી હવે તેમની જ પાર્ટીના સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીય એ વિવાદિત નિવેદન આપ્યું છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મારા ઘરમાં કામ કરી રહેલા મજૂરોની પૌંઆ ખાવાની સ્ટાઇલથી હું સમજી ગયો કે તેઓ બાંગ્લાદેશી છે. વિજય વર્ગીયના આ નિવેદન બાદ ટ્વિટરમાં #Poha જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે.

ઇન્દૌર શહેરમાં એક સંગોષ્ઠીને સંબોધિત કરતાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે જ્યારે તાજેતરમાં જ મારા ઘરમાં એક ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું તો કેટલાંક મજૂરોના ખાવાની સ્ટાઇલ મને અજીબ લાગી. તેઓ માત્ર પૌઆ ખાઇ રહ્યા હતા. મેં તેમના સુપરવાઈઝર સાથે વાતચીત કરી અને પૂછયું કે શું આ બાંગ્લાદેશી છે. તેના બે દિવસ બાદ તમામ મજૂર કામ પર આવ્યા જ નહીં.

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે આ કેસમાં મેં હજુ સુધી પોલીસ ફરિયાદ કરી નથી. હું માત્ર આ ઘટનાનો ઉલ્લેખ કરીને તમને બધાને જણાવા માંગુ છું. આ દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો છે. હું જ્યારે બહાર જઉં છું તો મારી સાથે 6 સુરક્ષાકર્મી હોય છે, કારણ કે ઘૂસણખોરો દેશનો માહોલ બગાડી રહ્યા છે. CAA ના સમર્થનમાં બોલતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે અફવાઓથી ગુમરાહ ના થાઓ, સીએએમાં દેશનું હીત છે. આ કાયદા હેઠળ વાસ્તવિક શરણાર્થીઓને નાગરિકતા આપીશું અને ઘૂસણખોરોની ઓળખ થશે.

અગાઉ ઝારખંડમાં એક ચૂંટણી રેલની સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, આ કોંગ્રેસ અને તેના સાથીઓ હલ્લાબોલ મચાવી રહ્યા છે. તોફાન ઉભી કરી રહ્યા છે. તેમની વાત ચાલતી નથી તો તેઓ આગ ફેલાવી રહ્યા છે. તેઓ જે આગ લગાવી રહ્યા છે ટીવી પર જે તેમના દ્રશ્યો આવી રહ્યા છે, આ આગ લગાવનારા કોણ છે, તેમના કપડાં પરથી જ ખબર પડી જાય છે.

BSE ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ, ટર્નઓવર વધીને રૂ. 3,153 કરોડ

મુંબઈ – બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે ટર્નઓવર 3,153 કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. આજે બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ.3,153.47 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ નવી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

આ સિદ્ધિ બદલ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, ”મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધ્યું છે. અમને આનંદ છે કે આજે એક નાની પણ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો વિનિયોગ કરશે.” 

માણસા કોર્ટમાંથી જામિન મળતા જ સિદ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી

માણસાઃ હાર્દિક પટેલની ધરપકડનો દોર યથાવત છે. હાર્દિકને માણસા કોર્ટમાંથી જામિન મળતા જ સિદ્ધપુર પોલીસે તેની ધરપકડ કરી છે. વર્ષ-2017માં મંજૂરી વગર જાહેરસભા યોજવા બદલ માણસા પોલીસે ગુરુવારે સાંજે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. અહીંથી તેને મુક્ત કરાતા જ પાટણ જિલ્લાની સિધ્ધપુર પોલીસે ધરપકડ કરી હતી. તેની સામે સિધ્ધપુરમાં ચૂંટણીમાં મંજૂરી વગર સભા કરવા બદલ ધરપકડ કરાઈ છે. માણસા કોર્ટમાંથી જામીન પર છૂટકારો થતાં કોર્ટ પટ્ટાગણમાં જ સિધ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી છે.

ગત વિધાનસભાની ચૂંટણી પહેલા માણસાના ચક્કર વિસ્તારમાં મંજુરી લીધા વિના જ જાહેરસભા યોજવામાં આવી હતી. જેથી મામલતદાર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. હાર્દિક પટેલ હાજર રહ્યો નહીં હોવાથી ગુરુવારે સાંજે માણસા પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડની જાણ થતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો પોલીસ સ્ટેશનની સામે ઉમટી પડ્યા હતા.

વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન સમયના રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ પકડ વોરંટ કાઢ્યું હતું. સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. જો કે, તેણે કોર્ટમાં હાજર રહેવાની બાંહેધરી આપતા અને ભૂલ ન કરવાની શરતે જામીન આપતા એક રાત જેલમાં વીતાવીને બીજા દિવસે એટલે કે ગુરુવારે મુક્ત થતાં મોડાસા પોલીસે ધરપકડ કરી હતી.

જાણો રાષ્ટ્રીય બાલિકા દિવસનો ઈતિહાસ અને મહત્વ

નવી દિલ્હી: દર વર્ષે 24 જાન્યુઆરીના દિવસને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે એટલે કે રાષ્ટ્રીય બાળકી દિવસ તરકી ઉજવાઈ છે. જેની પાછળનો ઉદ્દેશ્ય દેશની બાળકીઓને દરેક મામલે વધુને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો છે. આ સાથે સદીઓથી છોકરા-છોકરીઓ વચ્ચે રાખવામાં આવતા ભેદભાવને લઈને લઈને જાગૃતિ ફેલાવવાનો પણ ઉદેશ્ય છે. આપણા સમાજમાં છોકરીઓ આજથી નહીં પણ હંમેશાથી જીવના દરેક તબક્કે પક્ષપાતનો સામનો કરતી આવી છે, પછી તે શિક્ષણ હોય કાયદાકીય અધિકાર હોય, સ્વાસ્થ્ય સુવિધાઓ હોય કે પછી સુરક્ષા અને સન્માન આપવાની વાત હોય. નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરવાની પ્રથાથી તેમનું બાળપણ છીનવાવાની સાથે એક રીતે તેમના સમગ્ર જીવનને હાસિયામાં ધકેલી દેવામાં આવે છે.

નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે નો ઈતિહાસ

આ પહેલની શરુઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તર પર બાળકીઓના વિકાસને એક અભિયાનના રૂપમાં માનીને ભારત સરકારે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની શરુઆત કરી છે. આ અભિયાનનો ઉદેશ્ય દેશભરના લોકોને છોકરીઓ પ્રત્યે જાગૃત કરવાનો છે. સાથે લોકોને એ અંગે પણ જાગૃત કરવાના કે, સમાજના નિર્માણમાં મહિલાઓનું પુરુષો જેટલું જ યોગદાન છે. આ અભિયાન હેઠળ માતા-પિતાની સાથે જ સમાજના તમામ તબક્કાના લોકોને સામેલ કરીને તેમને આ વાત માટે જાગૃત કરવામાં આવે છે કે, છોકરીઓ પાસે પણ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ.

નેશનલ ગર્લ ચાઈલ્ડ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં બેટી બચાવો ઝૂંબેશ, યોગ્ય જાતિ ગુણોત્તર અને છોકરીઓ માટે સ્વસ્થ્ય તેમજ સુરક્ષિત માહોલ ઉભો કરવા જેવા કાર્યક્રમો સામેલ છે.

નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે એટલા માટે ઉજવવામાં આવે છે જેથી સમાજમાં છોકરીઓની સ્થિતિ સુધરે અને તેમને એ દરેક તક અને સુવિધા મળે જે છોકરાઓને વગર કહ્યે મળતી હોય છે. સાથે જ તેમને નિર્ણય લેવાનો અધિકાર મળે. આ નિર્ણય ઘરના હોય કે પછી અંગત કેમ ન હોય. આ પ્રકારના કાર્યક્રમો થકી લોકોની એ વિચારસરણી બદલી શકાય જ્યાં છોકરી પહેલા અને છોકરાઓ પછી આવે છે. સશક્ત સમાજના નિર્માણ માટે છોકરીઓની બરાબર ભાગીદારી ખૂબ જ જરૂરી છે.

મહારાષ્ટ્રઃ ફોન ટેપ થતો હોવાનો સંજય રાઉતનો આક્ષેપ

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ બાદ હવે શિવસેનાના નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસની પૂર્વ સરકાર વિપક્ષના નેતાઓના ફોન ટેપ કરાવતી હતી. દેશમુખે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકારમાં વિપક્ષી નેતાઓના ફેન ટેપ કરવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. હવે રાઉતે ટ્વીટ કરીને આ દાવાનું સમર્થન કર્યું છે.

રાઉતે લખ્યું કે, આપના ફોન ટેપ થઈ રહ્યા છે. આ જાણકારી મને ભાજપના એક વરિષ્ઠ મંત્રીએ પણ આપી હતી. મેં કહ્યું હતું કે, ભાઈ મારી વાત જો કોઈ સાંભળવા માંગે છે તો, તેમનું સ્વાગત છે. હું બાલાસાહેબ ઠાકરેજીનો ચેલો છું. કોઈ વાત અથવા કામ હું છુપાવીને કરતો નથી. કોઈ મારી વાત સાંભળે તો કોઈ વાંધો નહી. તો, દેશમુખે જાણકારી આપી હતી કે મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દેશમુખે જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ વિભાગના સાઈબર સેલને વિપક્ષી નેતાઓના ફોન ટેપની ફરિયાદોની તપાસ કરવા મામલે આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર એ અધિકારીઓને પણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે જેમને કથિત રીતે સ્નૂપિંગ સોફ્ટવેરનું અધ્યયન કરવા માટે ઈઝરાયલ મોકલવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વડાપ્રધાને કરી મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રાપ્ત કરનારા બાળકો સાથે આજે મુલાકાત કરી. આ દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આ તમામ એવોર્ડ્સ એક પ્રકારે જીવનની શરુઆત છે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ બાળકોને વિભિન્ન ક્ષેત્રોમાં પુરસ્કાર આપી ચૂક્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપ તમામનો પરિચય જ્યારે થઈ રહ્યો હતો હું ખરેખર અચંબિત હતો. આટલી ઓછી ઉંમરમાં જે પ્રકારે આપ તમામે અલગ-અલગ ક્ષેત્રોમાં જે પ્રયત્નો કર્યા છે, જે કામ કર્યું છે તે ખૂબ અદભૂત છે. આટલી ઓછી ઉંમરમાં જે પ્રકારે આપ તમામે અલગ-અલગ ક્ષેત્રોમાં જે કંઈ કરી બતાવ્યું છે, ત્યારબાદ આપને હવે કંઈક સારુ કરવાની ઈચ્છા થશે. એક પ્રકારે આ જીવનની એક શરુઆત છે. તમે મુશ્કેલીથી ભરપૂર પરિસ્થિતિઓમાં સાહસ બતાવ્યું, અને કોઈએ અલગ-અલગ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે.

વડાપ્રધાને વિદ્યાર્થીઓને જણાવ્યું કે, આઝાદી બાદ આ દેશમાં 33 હજાર પોલીસ જવાન આપણા લોકોની સુરક્ષા માટે શહીદ થયા છે. તે પોલીસ પ્રત્યે આદર ભાવ રાખવો જોઈએ. આ સમાજમાં એક બદલાવ શરુ થઈ ગયો છે. આપ બધાએ પોલીસ મેમોરિયલ જોવા માટે જરુર જવું જોઈએ.

વડાપ્રધાને કહ્યું કે, આમતો તમે ખૂબ નાની વયના બાળકો છો પરંતુ આપે જે કામ કર્યું છે તેને કરવાની વાત તો દૂર પરંતુ તે કામ વિશે વિચારવામાં પણ મોટા-મોટા લોકોના પરસેવા છૂટી જાય છે. આપના સાહસિક કાર્યો વિશે જ્યારે હું સાંભળું છું ત્યારે મને પ્રેરણા મળે છે. તમારા જેવા બાળકોની અંદર છુપાયેલી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે જ આ રાષ્ટ્રીય પુરસ્કારોનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરતા પહેલા પશ્ચિમ બંગાળની રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા સુક્રિતીએ કહ્યું કે, આ પુરસ્કારોના માધ્યમથી ભારતના વડાપ્રધાન દેશના યુવાનોને સશક્ત બનાવી રહ્યા છે. મને આ પુરસ્કાર સામાજિક સેવાઓ માટે આપવામાં આવ્યો છે. તો પુરસ્કાર મેળવનારા એક અન્ય બાળક હ્યદયેશ્વર સિંહે કહ્યું કે, મેં વડાપ્રધાન પાસેથી એ વાત શીખી છે કે, દેશ આપણને કંઈક આપી રહ્યો છે તો દેશને આપણે પણ કંઈક આપવું જોઈએ.

દર વર્ષે ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી પહેલા વીર બાળકોને સન્માનિત કરવામાં આવે છે. આની શરુઆત વર્ષ 1957 માં ભારતીય બાળ કલ્યાણ પરિષદે કરી હતી. આ સન્માન તરીકે એક પદક, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત સામાન્ય સન્માન પણ આપવામાં આવે છે. આ અંતર્ગત પ્રત્યેકને 20-20 હજાર રુપિયાની રકમ આપવામાં આવે છે.