Home Blog Page 5050

આજે કેન્દ્રીય કામદાર સંઘો દ્વારા ‘ભારત બંધ’; મુંબઈમાં જનજીવન રાબેતા મુજબ છે

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી NDA સરકારની કથિતપણે ‘જનતાવિરોધી’ નીતિઓ સામેના વિરોધમાં ડાબેરી વિચારસરણી ધરાવતા 10 મોટા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો – INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC – દ્વારા 24-કલાકના ‘ભારત બંધ’નું એલાન કરવામાં આવ્યું છે જે આજે વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. આને કારણે દેશમાં અનેક સ્થળોએ આજે જનજીવનને અસર થવાની સંભાવના છે. આજે દિવસ દરમિયાન બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ તથા અન્ય સેવાઓ ઠપ રહે અથવા એને માઠી અસર પહોંચે એવી સંભાવના છે.

સવારે, પશ્ચિમ બંગાળના હાવડામાં બંધના આંદોલનકારીઓએ ટ્રેનો અટકાવી હતી.

આજે બેન્કોમાં પૈસા જમા કરવાની, ઉપાડવાની, ચેક ક્લિયરિંગ અને ઈન્સ્ટ્રૂમેન્ટ ઈસ્યૂ કરવા જેવી સેવાઓને માઠી અસર પડી શકે છે. જુદી જુદી બેન્કોએ આ વિશે અગાઉથી જ શેરબજારોને સૂચના આપી દીધી છે.

કોલકાતામાં તમામ બેન્કો બંધ છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની બહાર તો આંદોલનકારીઓ દરવાજા પર જ પહેરો ભરતા હતા.

દેશમાં વિદ્યાર્થીઓના 60 સંગઠનોએ કેટલીક યુનિવર્સિટીઓને પણ આજે બંધ કરાવવાની જાહેરાત કરી છે.

175થી વધારે કિસાનોનાં સંગઠનો પણ આજના ‘ભારત બંધ’ને સમર્થન આપી રહ્યા છે.

કેન્દ્ર સરકારે હડતાળ પર ન જવાની સરકારી કામદારોને અગાઉથી ચેતવણી આપી જ દીધી હતી.

કેન્દ્ર સરકારે જાહેર એકમોના સંચાલકોને કહી દીધું હતું કે તેઓ એમના કર્મચારીઓને આજના ‘ભારત બંધ’થી દૂર રહેવાનું કહે.

એક જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ કર્મચારી આજે હડતાળમાં જોડાશે એણે એનું પરિણામ ભોગવવું પડશે. કાં તો એનો પગાર કાપી લેવામાં આવશે અથવા એની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

તે છતાં, AIBEA, ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન, BEFI, INBEF, INBOC અને બેન્ક કર્મચારી સેના મહાસંઘ જેવા બેન્ક કર્મચારી સંઘોએ હડતાળમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

‘ભારત બંધ’ને કારણે સરકારી કામકાજને અસર ન પડે એટલા માટે કેન્દ્ર સરકારે ઈમરજન્સી યોજના પણ તૈયાર કરી રાખી છે.

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોનો દાવો છે કે આજની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં 25 કરોડ લોકો સામેલ થશે.

મુંબઈમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા યથાવત્

મુંબઈમાં આજે શાળાઓ અને કોલેજો ખુલ્લી રાખવામાં આવી છે તેમજ ટ્રેનો અને જાહેર બસ સેવા રાબેતા મુજબ ચાલુ છે.

કેટલાક શિક્ષકોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને ‘ભારત બંધ’ને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ વર્ગોના સંચાલનમાં કોઈ અસર નહીં પડે એવું શાળાઓનાં પ્રિન્સીપાલોનું કહેવું છે.

બોમ્બે યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ યુનિયન, મહારાષ્ટ્ર ફેડરેશન ઓફ યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ ઓર્ગેનાઈઝેશન સંગઠનો સાથે જોડાયેલા શિક્ષકો-પ્રોફેસરોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને કામ કરવાની જાહેરાત કરી છે.

શહેરમાં જાહેર બસ સેવા પૂરી પાડતી BEST કંપનીના કર્મચારીઓ તેમજ ટેક્સી અને ઓટોરિક્ષા ચાલકોનાં અનેક યુનિયનોએ બંધને ટેકો આપવાનો નિર્દેશ કર્યો છે, તે છતાં તમામ પરિવહન સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે એવી ધારણા છે, કારણ કે આ બધી સેવાઓ આવશ્યક સેવાઓની જાળવણીના કાયદા (ESMA) હેઠળ આવે છે અને આ કાયદાનો ભંગ કરી હડતાળમાં જોડાવું ગેરકાયદેસર ગણાય છે.

ડભોઈના આ ખેતરમાં ઉગાડાય છે 542 પ્રકારની ડાંગર

વડોદરા: શહેર-જિલ્લાના નિવાસીઓ ડભોઇના નામથી સુપેરે પરિચિત હોય એ સ્વાભાવિક છે. પ્રાચીન દર્ભાવતી નગરી એટલે કે આજનું ડભોઇ ક્યારેક ઘર ઉપયોગની તિજોરીઓ બનાવવાના ગૃહ ઉદ્યોગ માટે ખૂબ જાણીતું હતું અને કદાચ હજુ પણ છે.પરંતુ મોટા ભાગના લોકોને કદાચ ખબર નહીં હોય કે ડભોઇની બોડેલી રોડ તરફની ભાગોળે એક ૮૦ વીઘા જમીનમાં પથરાયેલું વિશાળ સરકારી ખેતર આવેલું છે અને એના થી આગળ વધીએ તો ડાંગર સંશોધન કેન્દ્ર તરીકે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના છત્ર હેઠળ હાલમાં કાર્યરત આ ખેતરમાં ચોમાસામાં દેશના વિવિધ પ્રદેશોમાં જેની ખેતી થાય છે એવી 542 વેરાયટીસ એટલે કે જાતોની ડાંગર નાના-નાના ક્યારાઓમાં ઉછેરી ગુજરાતમાં તેના પાકની સાનુકૂળતાની ચકાસણી કરવામાં આવે છે એ વાતની તો ભાગ્યેજ કોઈને ખબર હશે.

આ કેન્દ્ર પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ મહારાજની ઉત્તમ અને પહેલરૂપ ભેટો પૈકીની એક ખેડૂત મિત્ર ભેટ છે. તેમણે રાજ્યની રૈયત સુધારેલી ખેતી કરે અને ખેતી આર્થિક ઉન્નતિનું માધ્યમ બને એવા ઉમદા હેતુઓ સાથે ખેતી શાળાઓ એટલે કે મોડેલ ફાર્મસની સ્થાપના કરી હતી. વર્તમાન કૃષિ વિશ્વવિદ્યાલયની પૂર્વજ ગણાય એવી એક ખેતી શાળા આજે પણ વડોદરાના ગેંડા સર્કલ પાસે ખૂબ વિશાળ જગ્યામાં કાર્યરત છે અને આધુનિક ખેતીનું માર્ગદર્શન આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયની દેખરેખ હેઠળ આપે છે.

ડાંગર સંશોધન કેન્દ્ર ડભોઇમાં જ કેમ?

ડભોઇની આસપાસ ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. કદાચ મહારાજા સાહેબે આ ડાંગરની ખેતીને પીઠબળ આપવા જ ૧૧૦ વર્ષ પહેલા ડભોઇ નજીક વિશાળ વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યું હતુ. એની સિંચાઇનો લાભ આજે પણ મળી રહ્યો છે. એની જ એક કડીરૂપે એમણે આ પ્રાયોગિક ખેતર એટલે કે મોડેલ ફાર્મની અહીં સ્થાપના કરી હતી કે જેથી ખેડૂતો ડાંગરની ઉન્નત ખેતી કરી શકે.

આજે લગભગ ૮૫ વર્ષથી કાર્યરત આ ડાંગર સંશોધન કેન્દ્ર ખાતે ડાંગર અને મગની સુધારેલી જાતો વિકસાવવાની અગત્યની કામગીરી સાથે ખેડૂત જાગૃતિની અનેકવિધ પ્રવૃત્તિઓ કૃષિ વિશ્વવિદ્યાલયો અને દેશના અન્ય ડાંગર સંશોધન કેન્દ્રોના માર્ગદર્શન અને રાજ્ય સરકારના ખેતી વિભાગના પીઠબળથી થઈ રહી છે.

આજે નર્મદા યોજનાનું પાણી મળતું થયું છે અને પાણીની મુખ્ય ચિંતા ટળી છે ત્યારે ખેડૂતો ખેતીમાં પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરે, ઓછા અને જરૂરી પાણીથી રોગ જીવાતમુક્ત ખેતી કરે એની જાગૃત્તિ લાવવા હવે સરદાર સરોવર નર્મદા નિગમ આ કેન્દ્રની કામગીરીમાં સહભાગી બન્યું છે. એની જાણકારી આપતા આ કેન્દ્રના સુકાની અને મદદનીશ સંશોધન વિજ્ઞાની ડો.રામજીભાઈ ચોટલીયા એ જણાવ્યું કે નિગમની આ સુવિધા હેઠળ આ વિસ્તારના ખેડૂતોને ડાંગર, ઘંઉ અને ચણા જેવા પાકોના નિદર્શન પ્લોટ વિનામૂલ્યે ફાળવીને સુધારેલી ખેતીની તાલીમ આપવામાં આવે છે.

રાજય સરકારના કૃષિ મહોત્સવના સફળ આયોજનમાં કેન્દ્ર સહયોગ આપે છે અને ખેડૂતોની જમીનોના નમૂના મેળવી એનું પૃથક્કરણ કરાવી સોઈલ હેલ્થ કાર્ડ બનાવી આપવામાં મદદરૂપ બને છે.

આટલા બધા પ્રકારની ડાંગરનો ઉછેર શા માટે?

કેન્દ્રનો મુખ્ય હેતુ સંશોધન કરીને ડાંગરની સુધારેલી જાતો વિકસાવવાનો છે. એટલે નાની-નાની ક્યારીઓમાં દેશના વિવિધ પ્રદેશોની ડાંગરની જાતો ઉછેરી અમે ગુજરાતના વાતાવરણમાં તેના ઉછેરની સાનુકૂળતા, ફૂટ, છોડની ઊંચાઈ, રોગ પ્રતિકાર કરવાની શક્તિ, કંટીની સંખ્યા અને દાણાનું પ્રમાણ, પાકવાનો સમયગાળો જેવી બાબતોમાં સુક્ષ્મ નિરીક્ષણ કરીએ છે. તેની સરખામણી ગુજરાતની પ્રચલિત જાતો સાથે કરી ફાયદાકારક જાતોના વાવેતરની ભલામણ કરીએ છે અને લાભપ્રદ જણાય એવી જાતોનું બિયારણ તૈયાર કરવામાં આવે છે.

આ કેન્દ્ર ખાતે ડાંગરની જી.એ.આર.૧૩ (ગુજરાત આણંદ રાઈસ ૧૩) નામની જાત વિકસાવવામાં આવી છે જે ખેડૂતોમાં લોકપ્રિય બની છે અને એનું પ્રમાણિત બિયારણ મેળવવા માત્ર ગુજરાતના નહી પણ પાડોશી મધ્યપ્રદેશના ખેડૂતો પણ આગોતરી નામ નોંધણી કરાવે છે. એની જાણકારી આપતાં ડૉ. ચોટલિયા એ જણાવ્યું કે, આ જાત હેકટરે ૬ થી ૮ હજાર કિલોગ્રામ ડાંગર આપે છે. જ્યારે પરંપરાગત જાતની ડાંગર ૩ થી ૪ હજાર કિલોનું ઉત્પાદન આપે છે. આ નવી જાત પ્રમાણમાં વહેલી પાકે છે અને રોગ જીવાત સામે વધુ સક્ષમ પ્રતિકાર શક્તિ ધરાવે છે. ઓછા ખર્ચે ઓછા સમયમાં વધુ સારો અને ગુણવત્તા વાળો પાક મળે છે. જી.એ.આર ૧૩ની બીજી એક ખાસિયત એનો ખડતલ છોડ છે. આ છોડ વેગીલા પવનોનો મુકાબલો કરવાની વધુ તાકાત ધરાવે છે અને એના છોડવા તોફાની પવનો ફૂંકાતા પડી જતા નથી જે એની આગવી વિશેષતા છે.

ડાંગર સંશોધન કેન્દ્રમાં આ રીતે સુધારેલા બિયારણો જહેમતપૂર્વક ઉછેરી, નહી નફો નહી નુકશાનના ધોરણો ખેડૂતોને તેનું વેચાણ કરે છે. ગયા વર્ષે આ કેન્દ્ર ખાતે ૮૫૪.૪૬ ક્વિન્ટલ જેટલું આ જાતનું બિયારણ બનાવવામાં આવ્યું જેના વેચાણ થી રૂ.૨૮ લાખની આવક થઇ છે. હમણાં જ પૂરા થયેલા ચોમાસાની ખરીફ મોસમમાં નવું બિયારણ ઉછેરીને ગોદામમાં સુરક્ષિત સંગ્રહ કરવામાં આવ્યો છે. ઉનાળામાં એનું ગ્રેડીંગ કરી આગોતરી નોંધણી અને માંગ પ્રમાણે પારદર્શક રીતે ખેડૂતોને એનું વેચાણ કરવામાં આવશે.

એક જાતના સંશોધન માટે કેટલો સમય લાગે?

આ મામલે ડો. ચોટલીયા એ જણાવ્યું કે, આ ખૂબ ધીરજ, સંયમ અને સમય માંગી લેતું કામ છે. પાક, પાણીની વિવિધ પદ્ધતિઓ હેઠળ સઘન પરીક્ષણ કરવું પડે, કૃષિ સંસ્થાઓ, પ્રયોગશીલ ખેડૂતોના નિરીક્ષણો મેળવવા પડે, વાતાવરણીય અનુકુળતાઓ ચકાસવી પડે. આ બધા કામો ખૂબ સમય, સતર્કતા અને વૈજ્ઞાનિક જાણકારીનો વિનિયોગ માંગી લે છે. એટલે એક નવી જાત વિકસાવતા ૮ થી ૧૦ વર્ષની ધીરજ જરૂરી બને છે. આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય એ ગયા વર્ષે જ ડાંગરની જી.એ.આર.૧૪ (ગુજરાત આણંદ રાઈસ ૧૪) નામક સુગંધિત વરાયટી વિકસાવી છે, જેના સંશોધનમાં આ કેન્દ્રનું યોગદાન રહ્યું છે. એક મહીસાગર નામની જાત વિકસાવી છે જેને સારો પ્રતિસાદ ખેડૂતોએ આપ્યો છે અને તેના ચોખા ઈડલી, ઢોસા જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ બનાવવા માટે વધુ સાનુકૂળ જણાણવામાં આવ્યા છે.

આ કેન્દ્ર દ્વારા મગની સુધારેલી જાતોની ખેડૂતોને ભેટ આપવામાં આવી છે. જીએમ 5 નામક મગની ઉનાળું જાતના નિદર્શન પ્લોટ નાના અને સીમાંત ખેડૂતો ને ફાળવવામાં આવે છે. હૈદરાબાદ ખાતે દેશનું મુખ્ય ડાંગર સંશોધન કેન્દ્ર આવેલું છે. એના દ્વારા પણ ડભોઇના આ કેન્દ્રને દર વર્ષે જુદાં-જુદાં એક્સપેરીમેન્ટ્સ સોંપવામાં આવે છે અને નવાગામ ખાતે આવેલા ગુજરાતના મુખ્ય ડાંગર સંશોધન કેન્દ્ર સાથે સંકલન સાધી આ કેન્દ્ર કાર્યરત છે જેની નોંધ લેવી ઘટે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, એમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સયાજીરાવના સુશાસનના સિદ્ધાંતોને માર્ગદર્શક તરીકે અપનાવી ખેતી સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સુધારા કર્યા અને અનોખા કૃષિ મહોત્સવની ભેટ આપી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારે ઉન્નત ખેતી દ્વારા કિસાનોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યની સિદ્ધિમાં ડભોઇનું ડાંગર સંશોધન કેન્દ્ર નિષ્ઠાપૂર્વક નવા પ્રયોગો દ્વારા યોગદાન આપી રહ્યું છે. ખેતીની દીવાદાંડી જેવી આ પ્રકારની સંસ્થાઓની નિપુણતાનો ખેડૂતો વધુ લાભ ઉઠાવે એ ઇચ્છનીય છે.

આ ઉપરાંત આ કેન્દ્ર દ્વારા માર્ગદર્શક સાહિત્ય પણ બનાવવામાં આવે છે જે ખેડુતોને ખૂબ ઉપયોગી બને છે. ડાંગર સહિતની ખેતી કરતા ખેડુતોને માર્ગદર્શક બની રહે તેમ છે. માર્ગદર્શક પુસ્તિકાઓ અને પત્રિકાઓને કૃષિલક્ષી શિબિર અને તાલીમમાં વિતરણ પણ કરવામાં આવે છે. આ સિવાય પણ ખેડુતોને તે વિનામૂલ્યે મળી રહે છે, જે ખેડુતો ઇચ્છે તે ડાંગર સંશોધન કેન્દ્રમાંથી તે મેળવી શકે છે.

મિશન ગગનયાન: અંતરિક્ષમાં શું ખાશે અવકાશયાત્રીઓ?

નવી દિલ્હી: ઈસરોના પહેલા માનવયુક્ત અંતરીક્ષ મિશન ગગનયાનમાં સામેલ થનારા એસ્ટ્રોનોટ (અંતરિક્ષ યાત્રી)ને અવકાશમાં ઘરનું ખાવાનું મળશે. ભારતીય એસ્ટ્રોનોટ માટે ભોજનનું મેનૂ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેનૂમાં ઈડલી, મગની દાળનો હલવો, એગ રોલ્સ અને વેજીટેબલ પુલાવ સામેલ છે.

એટલું જ નહીં અંતરિક્ષયાત્રિઓને ભોજન ગરમ કરવા માટે ફૂડ હીટર્સ પણ આપવામાં આવશે. સાથે જ પીવાનું પાણી અને જ્યૂસ પણ સાથે આપવામાં આવશે. જો કે, અવકાશમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થઈ જતું હોય છે તેથી ગગનયાનમાં વાપરવા માટે ખાસ પ્રકારના વાસણો પણ બનાવવામાં આવ્યા છે જેમાં અવકાશ યાત્રીઓની ખાવા-પિવાની વસ્તુઓ મુકવામાં આવશે.

મહત્વનું છે કે, અંતરિક્ષ યાત્રિઓ તેની સાથે લઈ જશે એ ભોજન હેલ્ધી અને એક વર્ષ સુધી ચાલી શકે તેટલું હશે. પણ એક વખત ફૂડ પેકેટ ખોલ્યા પછી તેને 24 કલાકની અંદર-અંદર ખત્મ કરવું પડશે. અડધુ ભોજન ખાધા પછી તેને સ્ટોર નહીં કરી શકાય.

મેનૂની તપાસ આઈએએફના ચાર તાલીમ લઈ રહેલા અંતરિક્ષ યાત્રિઓ પર કરવામાં આવશે. આ પ્રયોગ પછી ભોજનમાં ફેરફાર પણ થઈ શકે છે. અંતરિક્ષયાત્રીઓ નાસ્તો પણ આરોગી શકશે તેના માટે અનાનસ અને જેકફ્રૂટ પણ આપવામાં આવશે. કારણકે, નાસ્તા માટે આ સૌથી સ્વસ્થ વિકલ્પ છે.

ડીએફઆરએલના નિર્દેશક ડૉ. અનિલ દત્ત સોમવાલે જણાવ્યું કે, ખાવાની બધી જ વસ્તુઓ અંતરિક્ષ યાત્રીઓ ચાખશે. કારણકે તેમની પસંદગીના આધારે નક્કી થશે કે, તેમને તે કેટલાં ભાવે છે. ઈસરોની એક તપાસ ટીમ તેની તપાસ કરશે.એસ્ટ્રોનોટ માટે શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનાં વ્યંજન બનાવવામાં આવ્યાં છે. તેને ગરમ કરીને ખાઇ શકશે. સોમવાલે વધુમાં જણાવ્યું કે, સાથે ખોરાક ગરમ કરવા માટેનું ઉપકરણ પણ આપવામાં આવશે, જેના દ્વારા 92 વૉટ વિજળીથી ભોજનને ગરમ કરી શકાય છે. આ ઉપકરણ 70 થી 75 ડિગ્રી સુધી ભોજન ગરમ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મિશન ગગનયાનથી અવકાશ યાત્રા પર જનારા ચાર ભારતીય ટ્રેનિંગ લેવા માટે ટૂંક જ સમયમાં રશિયા જવાના છે. ટ્રેનિંગ માટે વાયુસેનાના પાયલટ્સને પસંદ કરવામાં આવ્યા છે.

પતંગોત્સવની સાથે પક્ષી બચાવોની અપીલ

અમદાવાદ- શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સરકારનું પ્રવાસન ખાતું ઉત્તરાયણ  નિમિત્તે પતંગોત્સવની ઉજવણી કરી રહ્યું છે. એમાંય હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારથી પતંગોત્સવ મોટા સ્કેલ પર જોવા મળી રહ્યો છે. વિશાળ સ્ટેજ , રંગારંગ કાર્યક્રમો, બાળકોના સૂર્યનમસ્કાર યોગાસન સાથે દેશી-વિદેશી પતંગબાજો પતંગોત્સવની મોજ માણે છે.

આ વર્ષે  7 જાન્યુઆરી, મંગળવારે વહેલી સવારે પતંગોત્સવની સાબરમતી રિવરફ્રન્ટ પર વિધિવત શરુઆત થઇ ગઈ છે. આ પતંગોત્સવમાં ગુજરાત ટુરિઝમે સ્ટેટ્યુ ઓફ યુનિટી, ગાંધીના 150 માં વર્ષની ઉજવણી, પોલો ફોરેસ્ટ, ચાંપાનેર,  અમદાવાદ ની હેરિટેજ સાઇટની તસવીરી ઝલક, પેવેલિયન તૈયાર કર્યા છે. આ સાથે કળાત્મક ચીજવસ્તુઓના સ્ટોલ્સ અને ફૂડ સ્ટોલ્સ પણ તૈયાર થઇ ગયા છે.

પણ…2020ની શરુઆતમાં જ ઉજવાનારા આ પતંગોત્સવમાં પક્ષી બચાવોના હોર્ડિંગ્સ , કટઆઉટ્સ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. પતંગો દ્વારા પક્ષીઓની પાખો કપાઇ ના જાય એ માટે સરકારના જુદા જુદા વિભાગો દ્વારા કરુણાના દર્શાવવાના કાર્યક્રમો શરુ થઇ ગયા છે. પતંગોત્સવની ઉજવણી અને ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓને દોરી દ્વારા ઇજાઓનાથાય એ માટેની જીવદયાની  અપીલ કરતાં પોસ્ટર્સ, બેનર્સ પતંગોત્સવમાં જોવા મળી રહ્યા છે. એટલે પતંગોત્સવ માણજો સાથે પક્ષીઓ પણ બચાવજો…એવું સરકાર અપીલ કરી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રાશિ ભવિષ્ય 08/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે,


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે,


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

પંચાંગ તા. 08/01/2020

દીપિકા પહોંચી JNU; હિંસા વિરુદ્ધના દેખાવોને આપ્યું સમર્થન…

બોલીવૂડ દીપિકા પદુકોણે 7 જાન્યુઆરી, મંગળવારે સાંજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ખાતે ગઈ હતી અને ગયા રવિવારે થયેલી હિંસામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરવા અને સંપ દર્શાવવા માટે શાંતિપૂર્ણ દેખાવોમાં હાજરી આપી હતી. તેણે ઘાયલ વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.


ગયા રવિવારે જેએનયૂમાં 12 જેટલા બુકાનીધારી શખ્સો ત્રાટક્યા હતા અને ગર્લ્સ હોસ્ટેલ સહિત કેમ્પસમાં તોડફોડ કરી હતી અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી. વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષા આઈશી ઘોષ સહિત 18 જણને ઈજા થઈ હતી.














ટોચના ઉદ્યોગપતિઓ CM ઉદ્ધવ ઠાકરેને મળ્યા…

રતન ટાટા, મુકેશ અંબાણી, ઉદય કોટક, એસ.પી. હિન્દુજા, આનંદ મહિન્દ્ર, હર્ષ ગોએન્કા, અદી ગોદરેજ, ગૌતમ સિંઘાનિયા, દીપક પારેખ, બાબા કલ્યાણી સહિત ટોચના ઉદ્યોગપતિઓ 7 જાન્યુઆરી, મંગળવારે મુંબઈમાં સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ બેઠક મહારાષ્ટ્ર રાજ્યના આર્થિક વિકાસમાં તેજી લાવવા અને રાજ્યના અર્થતંત્રને 2025ની સાલ સુધીમાં ટ્રિલિયન ડોલરના સપનાને સાકાર કરવામાં ઉદ્યોગજગતનો સહયોગ મેળવવા અંગેની હતી. આ બેઠકનું આયોજન અગ્રગણ્ય ઉદ્યોગ સંસ્થા CIIના સહયોગમાં કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના બનેલા ગઠબંધન ‘મહાવિકાસ આઘાડી’ની સરકાર છે.

મુખ્ય પ્રધાન બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ આ પહેલી જ વાર ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં ઠાકરેએ રાજ્યના વિકાસ માટે પોતાની સરકારની ભૂમિકાની રજૂઆત કરી હતી અને વર્તમાન આર્થિક સ્થિતિ તેમજ આર્થિક વિકાસ અંગે ઉદ્યોગપતિઓ પાસેથી એમના વિચારો જાણ્યા હતા.

આ બેઠકમાં મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દેશના આર્થિક વિકાસમાં મહારાષ્ટ્ર રાજ્યનું મોટું યોગદાન રહ્યું છે. દેશના GDP દરમાં મહારાષ્ટ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આમાં ઉદ્યોગ ક્ષેત્રનો મોટો હિસ્સો છે.

નાના પાટેકરનાં વકીલે કેસને લગતા પુરાવાનો નાશ કર્યો છેઃ તનુશ્રી દત્તાનો આરોપ

મુંબઈ – પોતાની સાથે જાતીય ગેરવર્તન કર્યાનો બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર ઉપર આરોપ મૂક્યો છે. આ પ્રકરણ હજી કાનૂની સ્તરે છે. મુંબઈની કોર્ટે તનુશ્રીએ કરેલા કેસમાં 17 જાન્યુઆરીએ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.

તનુશ્રી તેનાં વકીલ નીતિન સાતપુતેની સાથે આજે અહીં પત્રકાર પરિષદમાં ઉપસ્થિત થઈ હતી.

પત્રકાર પરિષદમાં તનુશ્રીએ એવો આક્ષેપ કર્યો હતો કે છેડતીનો કેસ પાછો ખેંચી લેવા માટે નાના પાટેકરના વકીલ નિલેશ પાવસકર મારી પર દબાણ કરી રહ્યા છે. 2005ની સાલથી મેં નાના પાટેકર વિરુદ્ધ કરેલા કેસની વિગતોનો પાવસકરે નાશ કરી દીધો છે.

જોકે તનુશ્રીનાં વકીલ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

એક મહિલા વિરુદ્ધ અભદ્ર ભાષાનો કથિતપણે ઉપયોગ કરવા બદલ મુંબઈ પોલીસે સાતપુતે સામે ફરિયાદ નોંધી હતી.

ફરિયાદી મહિલા 47 વર્ષની છે. બાન્દ્રા (ઈસ્ટ)ના ખેરવાડી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એણે એવો આક્ષેપ કર્યો છે કે પોતાનો વિનયભંગ કરવાના ઈરાદા સાથે સાતપુતેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. એ ઘટના ગઈ બીજી નવેંબરે થઈ હતી જ્યારે બાળકો માટેનું એક ઉદ્યાન બાંધવાના મુદ્દે મહિલાને સાતપુતે સાથે બોલાચાલી થઈ હતી. મહિલાનો આરોપ છે કે સાતપુતેએ પોતાને મોબાઈલ પર ફોન કર્યો હતો અને એને ગાળો આપી હતી. એને પગલે મહિલાએ ગઈ 4 નવેંબરે મહારાષ્ટ્ર મહિલા પંચમાં ફરિયાદ નોંધાવી હતી. એને પગલે પોલીસે સાતપુતે સામે આઈપીસીની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જોકે પોલીસને તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે એ મહિલાએ સાતપુતે સામે ખોટી ફરિયાદ કરી હતી તેથી પોલીસે એ મહિલા તથા એક અન્ય શખ્સની ધરપકડ કરી હતી.

ઈરાનની સંસદમાં સુલેમાનીનો બદલો લેવા કરાયો સંકલ્પ

તેહરાન: ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકા દ્વારા કરાયેલી હત્યા પછી હવે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે. ઈરાનમાં અમેરિકા વિરુદ્ધ ગુસ્સાનો માહોલ છે. આ બધા વચ્ચે ઈરાનની સંસદમાં અમેરિકન સેના અને પેન્ટાગનને આતંકી સંગઠન જાહેર કરવાના સમર્થનમાં મતદાન થયું. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, સાંસદોએ સુલેમાનીની હત્યાના વિરોધમાં આ પ્રસ્તાવ પાસ કર્યો. અમેરિકા અને ઈરાનના ટોચના નેતાઓ એકબીજા પર આકરા નિવેદન કરી રહ્યા છે.

ઈરાની મીડિયા અનુસાર, સંસદમાં બિલ પાસ થયા પહેલા અમેરિકા અને ઈઝરાયલની સખ્ત નિંદા કરવામાં આવી. સાંસદોએ સુલેમાનીની હત્યાનો બદલો લેવા અને અમેરિકા-ઈઝરાયલને પાઠ ભણાવવાનો સંકલ્પ કર્યો. આ અગાઉ પાંચ જાન્યુઆરીએ સંસદમાં સાંસદોએ અમેરિકાની મોતના નારા લગાવ્યા હતા. સોમવારે સુલેમાનીની અંતિમ યાત્રા દરમ્યાન લોકોના ટોળાં તેહરાનના રસ્તાઓ પર ઉતરી આવ્યા. હાથમાં પ્લેકાર્ડ લઈને પહોંચેલા આ લોકોએ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી.

તેહરાન યુનિવર્સિટીમાં સુલેમાનીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યમાં લોકો ભેગા થયા હતા. સ્થાનિક નિવાસીએ તેમના કમાન્ડરના પોસ્ટર લઈને આવ્યા હતા અને જોર જોરથી નારા લગાવ્યા હતા. તેમના કમાન્ડરને અંતિમ વિદાઈ આપતી વખતે દેશના સર્વોચ્ચ નેતા ખામનેઈ ખૂબ જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. નમાઝ દરમ્યાન પણ તેમનો અવાજ અનેક વખત રુંધાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બગદાદ આંતરાષ્ટ્રીય વિમાનમથક પર અમેરિકાએ ડ્રોન વડે હુમલો કર્યો હતો જેમાં સુલેમાનીનું મોત થયું હતું. હુમલો ઈરાન માટે મોટા ઝટકા સમાન છે અને પશ્ચિમ એશિયામાં નવા સ્તર પર યુદ્ધની આશંકાઓને પ્રોત્સાહન મળ્યું છે. ઈરાને 2015 પરમાણુ સમજૂતીમાંથી છૂટા પડવાની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ અને વખત કહી ચૂક્યા છે કે, ઈરાન અમેરિકન પ્રતિષ્ઠાનોને નુકસાન પહોંચાડશે તો તેમને કડક વલણ દાખવી જવાબ આપવામાં આવશે.