Home Blog Page 508

પંચાંગ 26/10/2025

ચૂંટણી પંચ આગામી સપ્તાહથી દેશમાં SIR શરૂ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ આગામી સપ્તાહે દેશમાં મતદાર યાદીનું પહેલું સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ કરે એવી શક્યતા છે, એમ અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. ચૂંટણી પંચ તેની શરૂઆત 10થી 15 રાજ્યોમાંથી થશે, જેમાં આવતા વર્ષે ચૂંટણી થનારાં રાજ્યો પણ સામેલ હશે.

આસમ, તામિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળ એ એવાં રાજ્યો છે જ્યાં 2026માં ચૂંટણી થવાની છે અને જ્યાં મતદાર યાદીની સફાઈનું કામ સૌથી પહેલા શરૂ થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી અધિકારીઓ આગામી અઠવાડિયાના મધ્ય ભાગમાં SIRના પ્રથમ તબક્કાની જાહેરાત કરે એવી શક્યતા છે, જેમાં 10થી 15 રાજ્ય સામેલ હશે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ એ રાજ્યોમાં મતદાર યાદીની સફાઈનું કામ નહીં કરે, જ્યાં સ્થાનિક ચૂંટણી ચાલી રહી છે અથવા થવાની છે, કારણ કે ત્યાંની ગ્રાઉન્ડ લેવલ પોલિંગ મશીનરી વ્યસ્ત છે અને કદાચ SIR પર ધ્યાન આપી શકશે નહીં. આવાં રાજ્યોમાં SIR પછીના તબક્કામાં થશે.

બિહારમાં મતદાર યાદીની સફાઈનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યાં 30 સપ્ટેમ્બરે આશરે 7.42 કરોડનાં નામો ધરાવતી અંતિમ યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. બિહારમાં બે તબક્કામાં 6 નવેમ્બર અને 11 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 14 નવેમ્બરે થશે.

ચૂંટણી પંચ SIR રોલઆઉટ રોડમેપને અંતિમ રૂપ આપવા માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) સાથે પહેલેથી જ બે બેઠક યોજી છે. ઘણા CEOsએ પોતાની છેલ્લી SIR પછી પ્રકાશિત થયેલી મતદાર યાદી તેમની વેબસાઇટ પર મૂકી દીધી છે.

SIRનો મુખ્ય હેતુ છે વિદેશી ગેરકાયદે વસાહતોની ઓળખ કરી તેમને મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે. ખાસ કરીને તેમના જન્મસ્થળની તપાસ કરીને આ પગલું બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિતનાં અનેક રાજ્યોમાં ગેરકાયદે વસાહતો સામેની કાર્યવાહી બાદ અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે.

નિર્દેશકે ફિલ્મ માટે સચિન તેંડુલકરની જ ફેરારી કાર મેળવી!              

શરમન જોશી સાથેની ફિલ્મ ‘ફેરારી કી સવારી’ (2012) માટે નિર્દેશક અસલ અને તે પણ સચિન તેંડુલકરની જ ફેરારી કાર મેળવવા માંગતા હતા. સચિને એ કાર વેચી દીધા પછી પણ એને કેવી રીતે મેળવી એની રસપ્રદ વાતો નિર્દેશક રાજેશ માપુસકરે એક મુલાકાતમાં યાદ કરી છે.

ફિલ્મમાં સૌથી ખર્ચાળ જો કોઈ વસ્તુ હતી તો એ ફેરારી કાર જ હતી. રૂ.૨.૫ કરોડની કારનો ઉપયોગ કરવાનો હતો. એ માટે એવું નક્કી થયું કે ફેરારી કંપનીનો સંપર્ક કરવાનો અને જો તેમની પાસેથી કાર મળે તો લઈ લેવાની. તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને તેઓ કાર આપવા સંમત થઈ ગયા પણ પછી રાજેશ અટકી ગયા. એમને થયું કે સચિનની જ ફેરારી હોવી જોઈએ. તે સમય પર ભારતમાં બે વ્યક્તિ સચિન અને ભૂષણકુમાર પાસે ફેરારી કાર હતી.

વિનોદ ચોપડાએ નવી કાર લેવાનો આગ્રહ કર્યો ત્યારે રાજેશે કારણ આપતા કહ્યું કે વાત એ છે કે સચિનની કારમાં એક નોબ છે. એ નોબની બાજુમાં ગણપતિ કોતરેલા છે તે જોઈએ છે. નવી કારમાં એ મળશે નહીં. દરમ્યાનમાં સંજય દત્ત પાસે પણ ફેરારી કાર આવી ગઈ હતી. તેણે પોતાની કાર આપવા કહ્યું. એક વખત બધા ટ્રાયલ માટે ગયા. સંજયે શરમન અને બોમનને કારનો ઉપયોગ સમજાવ્યો અને તાલીમ આપવાનું શરૂ કર્યું. રાજેશનું મન સચિનની કારમાં હતું. વિનોદ ચોપડાએ કહ્યું કે તું ગાંડો થઈ ગયો છે. રાજેશ માન્યા નહીં એટલે સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી અને ફિલ્મની વાર્તા સંભળાવી.

સચિને પોતાની ફેરારી કાર આપવાની સંમતિ આપી દીધી. ‘ફેરારી કી સવારી’ ના નિર્માણ માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી. એમાં થોડો સમય નીકળી ગયો. જ્યારે ફિલ્મનું શુટિંગ શરૂ થવાનું હતું ત્યારે ખબર પડી કે સચિને ફેરારી કાર વેચી દીધી છે! રાજેશે માહિતી મેળવી ત્યારે ખબર પડી કે સુરતમાં કોઈને આ કાર વેચવામાં આવી છે. રાજેશે પોતાના મિત્ર વિમલની મદદથી એમનો સંપર્ક કર્યો. એમણે એમ કહીને અસમર્થતા બતાવી કે આ કાર સચિનની છે. એની સાથે બીજી મહત્વની વાત એ હતી કે એમની પુત્રીને રોજ રાત્રે ફેરારી કારમાં આઇસ્ક્રીમ ખાવાની આદત હતી.

રાજેશે એ વાતનો તોડ એવો કાઢ્યો કે ફેરારીએ જે કાર એમને આપવાનું કહ્યું હતું એ તેમને આપી દેશે. એમાં પુત્રીને આઇસ્ક્રીમ ખાવા લઈ જવાની. પણ એમની પુત્રી જિદ્દી હતી. એણે બીજી ફેરારી કાર માટે ના પાડી. થોડા દિવસની સમજાવટ પછી એ માની ગઈ અને રાજેશને સચિનની મૂળ ફેરારી કાર શુટિંગ માટે મળી ગઈ.

કાર માટે એક અલગ અને તે પણ F1 નો ડ્રાઈવર રાખવામાં આવ્યો. જેનો પગાર ઘણો વધારે હતો. એટલું જ નહીં એ કાર માટે બોડીગાર્ડ રાખવામાં આવ્યા હતા. મૂળ સચિનની કાર હતી અને રોડ પર રહેતી હતી એટલે કોઈ એને અડકે નહીં એ માટે એની ચારે તરફ બોડીગાર્ડ રક્ષા કરતાં હતા.

કાર ભરોસા પર આપી હતી અને જેવી હતી એવી જ પરત કરવાની હતી. આ કારણે રાજેશ માપુસકરે પોતે એમાં બેસવાનું ટાળ્યું હતું. જેથી ફિલ્મ સાથે સંકળાયેલ અન્ય કોઈ પણ એમાં બેસવાનું કહે નહીં. માત્ર કલાકારો શરમન, બોમન, ઋત્વિક વગેરે જ એમાં શુટિંગ માટે બેસી શકતા હતા. રાજેશે ફિલ્મના અંતમાં ફેરારી કાર આપવા માટે જયેશ દેસાઈનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

અશાંતિના યુગમાં શાંતિની શોધ

લોકોના મહાન કાર્યોને ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખે છે, પરંતુ શું આપણા મનને ઇતિહાસ જેટલી અક્કલ નથી? રોજિંદા જીવનમાં બનેલ અપ્રિય ઘટનાઓને વાગોળીએ છીએ, અને તેના પ્રભાવ હેઠળ વર્તમાન કર્મોને વિકર્મ બનાવી દઈએ છીએ. હે મન! હવે તો માન, સમયને ઓળખ — ઘેર જવાનું છે. ક્ષમાનું દે દાન, આજ છે સાચું જ્ઞાન, જેનાથી થશે કલ્યાણ.

છેલ્લા છ દશકોના સમયગાળામાં, જ્યાં એક દેશનો બીજા દેશ પર અવિશ્વાસ વધ્યો છે, ત્યાં યુદ્ધ તથા ગૃહયુદ્ધની આગ ઝડપથી ફેલાઈ છે. વિશાળ સ્તરે સહજ મૃત્યુના નવા નવા ઉપાયો શોધાયા છે. હથિયારોના ઢગલા ઊંચા જઈ રહ્યા છે. બોમ્બ વર્ષા કરનાર વિમાનો બનાવવાનું કામ તથા તેની ખરીદ-વેચાણની સોદાબાજી બધા દેશોની દિનચર્યાનો ભાગ બની ગઈ છે.

ક્રોધે નવા નવા અપરાધોને જન્મ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય ગુનેગાર ટોળકીઓ પ્રખ્યાત વ્યક્તિઓનું અપહરણ કરીને સરકારને ઘૂંટણિયે પાડી દે છે તથા સજાથી પણ બચી જાય છે. તેઓ પોતાની અનુચિત માંગણીઓ મનાવી લે છે અને અન્ય ભયંકર અપરાધીઓને મુક્ત કરાવે છે.

ખૂન, આગ લગાડવી, લૂંટ, જાહેરમાં તોફાન — આ બધું રોજની વાત બની ગયું છે. અપરાધીઓના હાથે નિર્દોષ લોકોની હત્યા થતી રહે છે. બદલો લેવાની ખરાબ ભાવના બસ, ટ્રેન, પોસ્ટ ઓફિસ, શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસો વગેરેને નષ્ટ કરવાની રૂપે કરોડો રૂપિયાનું નુકસાન કરતી રહે છે.

ગેરકાયદેસર રીતે શરાબ બનાવવી અને વેચવી સામાન્ય બની ગઈ છે. ભેળસેળ તથા કાળાબજારી હવે કોઈ શરમની બાબત નથી રહી. જેઓ સન્યાસી બની ભગવા વસ્ત્ર ધારણ કરે છે, તેઓ પણ રૂપિયાના સંગ્રહમાં લાગેલા છે. કામવાસનાની અતિ થઈ ગઈ છે, નાની ઉંમરના લોકો જાતીય રોગોના ભોગ બની રહ્યા છે. માનવમાસ ખાવાના કિસ્સા હવે આશ્ચર્યજનક રહ્યા નથી.

ઘોર અત્યાચાર તથા નૈતિક પતનની લાકડીઓથી મનુષ્ય જાતિએ પોતાની ચિતા સ્વયં બનાવી લીધી છે. 11 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં થયેલ આતંકવાદી હુમલાએ આ ચિતાને ભડકાવવાની આગ અને ઘી બંનેનું કામ કર્યું છે.

ચિંતકો તથા બુદ્ધિજીવીઓમાં ત્રીજા વિશ્વયુદ્ધના આસાર જોઈને ચિંતા વ્યાપેલી છે. 12 સપ્ટેમ્બર, 2001ના રોજ પ્રકાશિત નવજ્યોતિ અંકમાં લખાયેલું હતું કે – “ભવિષ્યવક્તા માઈકલ ડી નાસ્ત્રેડમસે અમેરિકામાં થનાર આતંકવાદી હુમલાની ભવિષ્યવાણી સો વર્ષ પહેલા કરી હતી. તેમણે કહ્યું હતું કે 45° અક્ષાંશ ઉપર આવેલા અમેરિકાના એક મહાન શહેરને ત્રીજા વિશ્વયુદ્ધમાં નિશાન બનાવવામાં આવશે. નિષ્ણાતોના મત મુજબ આ શહેર ન્યૂયોર્ક હોઈ શકે છે.”

વિશ્વમાં આતંકવાદના કીડા ઉત્પન્ન થઈ રહ્યા છે. ત્રીજા વિશ્વયુદ્ધ માટે ઉગ્રવાદ અને આતંકવાદ નિમિત્ત બનશે — એવું કહેવું અતિશયોક્તિ નથી. પરમપિતા પરમાત્મા આજે જે સત્ય પ્રત્યક્ષ થઈ રહ્યું છે તે 1936–37થી પ્રજાપિતા બ્રહ્માના માધ્યમ દ્વારા કહેતા આવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે મનુષ્ય સૃષ્ટિની 5000 વર્ષ જૂની કહાની અત્યારે અંતિમ તબક્કા પર પહોંચી ગઈ છે.

ફિલ્મ અને ટેલિવિઝનના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના જાણીતા અભિનેતા સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ નિધન થયું. તેમનું 74 વર્ષની વયે અવસાન થયું. તેમનું મૃત્યુ કિડની ફેલ્યોરને કારણે થયું.

આજે બોલિવૂડ અને ટેલિવિઝન જગતમાંથી દુ:ખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત કોમેડી અભિનેતા સતીશ શાહનું શનિવારે 74 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું. અહેવાલો અનુસાર તેઓ લાંબા સમયથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હતા અને કિડની ફેલ્યોરને કારણે તેમનું અવસાન થયું. પ્રખ્યાત નિર્માતા અને IFTDA પ્રમુખ અશોક પંડિતે આ સમાચારની પુષ્ટિ કરી.

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના જાણીતા અભિનેતા સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ અવસાન થયું. અશોક પંડિતે કહ્યું, “હા, સતીશ શાહ હવે રહ્યા નથી. તેઓ મારા સારા મિત્ર હતા. કિડની ફેલ્યોરને કારણે તેમનું અવસાન થયું. તેમને અચાનક દુખાવો થયો અને તેમની તબિયત બગડી. તેમને દાદર શિવાજી પાર્ક સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું અવસાન થયું.”

સતીશ શાહનું અવસાન એ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. તેમના પાર્થિવ શરીરને બાંદ્રા સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે અને આવતીકાલે 26 ઓક્ટોબરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સતીશ શાહ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના એક પ્રખ્યાત અભિનેતા છે, જેમણે તેમના શાનદાર અભિનય અને ઉત્તમ કોમિક ટાઇમિંગથી દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. તેમણે ફિલ્મો અને ટેલિવિઝનમાં પણ પોતાના અભિનયથી દિલ જીતી લીધા હતા.

સતીશ શાહનો જન્મ 25 જૂન, 1951 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી FTII (ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા)માંથી અભિનયની તાલીમ લીધી. તેમણે 1970 ના દાયકામાં ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેમની ખરી ઓળખ ટીવી શો “યે જો હૈ ઝિંદગી” થી મળી, જેમાં તેમણે દરેક એપિસોડમાં અલગ અલગ પાત્રો ભજવ્યા હતા. બોલિવૂડમાં તેમણે “મૈંને પ્યાર કિયા,” “હમ આપકે હૈ કૌન,” “કલ હો ના હો,” “ઓમ શાંતિ ઓમ,” અને “સત્યમેવ જયતે” સહિત અનેક હિટ ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.

ફેશનની દુનિયામાં સમજદારીનો પાસવર્ડ

એક સમય હતો, જયારે વર્ષમાં એક જ વખત ખરીદી થતી. ઘરમાં દરેક સભ્ય માટે એક જ વાર કપડાં લેવાતાં, તેમાંય વળી બાં ને પપ્પા તો ‘અમારે હજી ચાલે એમ છે’ એમ કહીનેજ ખરીદી ના કરતાં, જેથી બાળકોના કપડાં લઈ શકાય. બાકીના સમયમાં, સિલાઈ અને થીગડાંથી કામ ચાલી જતું. મોટાભાઈના કપડાં, નાનો ભાઈ પહેરતાં, કદી શરમ ના અનુભવતા, માસી અને ફોઈ વચ્ચે તો આવાં કપડાંની અદલબદલ સામાન્ય રીતે હોંશભેર થતી.

આજે જમાનો અલગ છે. શોપિંગ એ હવે જરૂરિયાત નહીં, ફેશન અને ટ્રેન્ડનું પર્યાય બની ગઈ છે. દરેક તહેવાર, દરેક મૂડ અને દરેક ફોટો માટે નવી રેન્જ. શોપિંગ એ ઇન્ડિયન ઈકોનોમીની કરોડરજ્જુ છે. એટલે જ દરેક પરિસ્થિતિ કે તહેવારમાં શોપિંગને ડોમિનેટ કરવા માટે, ઈકોમર્સ કલ્ચરે કમર કસી છે. કેઝુઅલ વેર, પાર્ટી વેર, ફોર્મલ વેર, એથનિક વેર, નાઈટ વેર, જિમ વેર, સમર વેર, બીચ વેર, સ્પ્રિંગ વેર જેવી અસંખ્ય કેટેગરી તો માત્ર કપડાં માંજ છે, એ સિવાય બાકીની અકસેસરીઝની કેટેગરી તો અલગ. અને લગભગ એક ચોક્કસ વર્ગ આ બધુ જ ઓફિશ્યિલી ફોલ્લો પણ કરે છે. કારણ કે અત્યારે શોપિંગ, એ જરૂરિયાત કરતા ફેશન અને ટ્રેન્ડ બની ગઈ છે. કોઈ પણ નાના ફંક્શન કે વેકેશન પ્લાન કરતાં પહેલા શોપિંગનો આનંદ જ ખાસ અને અનેરો હોય છે. ફ્રેન્ડ્સ સાથે મૂડ ચેન્જ કરવાં કે ટાઈમ પાસ કરવાં શોપિંગ પર જવું સામાન્ય વાત છે, એમાંય વળી, મોલ કલ્ચરે તો છોકરાઓના રમવાના પાર્ક, નાની પિકનીક અને ફેમિલિ ગેધરિંગને લગભગ નષ્ટ જ કરી નાખ્યું છે. કેમકે ફ્રી ટાઈમમાં લોકો મોલમાં જવાનું જ પસંદ કરે છે.

પરંતુ છેલ્લા 2 વર્ષ થી, આ અભિગમ બદલાયો છે. ભીડથી બચવાં, મોટા ભાગના લોકો ઓનલાઇન શોપિંગ તરફ વળ્યાં છે. ઓનલાઇન શોપિંગમાં ટાઈમની બચત સાથે, હેવી ડિસ્કાઉન્ટ, પ્રોડક્ટની અવેબીલિટી, તથા તેની સંપૂર્ણ જાણકારી, એક સાથે ઘણી જ બ્રાન્ડ ઓપ્શનના લીધે ઓનલાઇન શોપિંગને લોકો પસંદ કરવાં લાગ્યા છે. ઉપરાંત ઓનલાઇન શોપિંગમાં, જે તે શોપિંગ આસિસ્ટન્ટના ખરીદી કરવાના પ્રેસરને અને ભીડમાં બિલિંગ માટે લાઈનમાં ઉભવાની માથાકૂટથી ટોટલી બચી શકાય છે.

ઈકોમર્સ વેબસાઈટ પર લગભગ બધી જ નેશનલ, ઇન્ટરનેશનલ બ્રાન્ડની ઉપલબ્ધીને લીધે જ આજે ગણોદના ગોરધનકાકા, Gucci ના ગોગલ અને લંડનમાં રહેતો લુઇસ માળીયાની ગાયના ગોબરમાંથી બનેલ છાણાં, આરામથી ઘર બેઠા મંગાવી શકે છે.

ઢગલાબંધ ડિસ્કાઉન્ટ અને HD ફોટોગ્રાફીને કારણે ગ્રાહકો,ઓનલાઇન શોપિંગના નામે છેતરાતા ઠગની જાળમાં આરામથી ફસાય જાય છે. તમે, હું બધાને જ આવાં કોઈ ને કોઈ નાના મોટા અનુભવ થયેલા છે.. એવુ નથી કે અહીંયા બધા જ ચોર છે,પણ મોટા ભાગે ઈકોમર્સ હેકરસ બહુજ ચાલાક હોય છે. તે તમારી નાની ભૂલનો પણ મોટો ફાયદો લઈ શકે છે, ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચવાથી લઈને તેઓ આપણા બેંક એકઉન્ટ પણ હેક કરી શકે છે. પણ થોડી ઓનલાઇન શોપિંગ માટેની ટિપ્સથી આવાં હેકરસથી બચી શકાય છે.

જેમ કે હંમેશા ઓનલાઇન શોપિંગ માટે સિક્યોરડ વેબસાઈટ જ સિલેક્ટ કરવી વધુ હિતાવહ છે, જેમાં URL, HTTPS:// હોય, ના કે HTTP://  વેબસાઈટની, URLની જમણી બાજુ આવેલ Padlock હંમેશા બંધ હોય, આવી locked વેબસાઈટ સેફ્ટી પ્રોટોકોલને ફોલ્લો કરતી હોય છે. જે તમારી બેંકની ડિટેઇલને હંમેશા Safe રાખે છે, જો Padlock, લોક ના હોય કે ગાયબ હોય તો તે વેબસાઈટ શોપિંગ માટે સિક્યોર નથી.

હંમેશા તમારા એકાઉન્ટના પાસવૉર્ડ સ્ટ્રોંગ રાખવાથી કોઈ તેને ટેકલ કરી શકતા નથી, ઘણી બધી વેબસાઈટ એવી છે, જે બિનજરૂરી અંગત માહિતી માંગે છે, જે બિલકુલ આપવી નહિ. હંમેશા બંને તેટલી ઓછી માહિતી જ આપવાનો આગ્રહ રાખો. જ્યારે પણ શોપિંગ કરો ત્યારે યાદ રાખો કે તે પર્સનલ ગેજેટસ પર થી જ કરો, પબ્લિક કોમ્યુટર પરથી શોપિંગ કરવાથી બેંક ડિટેઇલ લીક થવાની સંભાવના રહેલી છે. આ જ રીતે ઈન્ટરનેટ કનેકશન પણ પ્રાઇવેટ હોય તે જરૂરી છે, પબ્લિક વાઇફાઇ કનેકશનથી ડીટેઈલ્સ હેક થઇ શકે છે.

આતો હતી safe શોપિંગની વાત, તેમ છતાં તમે ઓર્ડર કરેલ પ્રોડક્ટ ડુપ્લીકેટ કે ડેમેજડ આવે છે, તો તમે તે વેબસાઈટ પર કાયદેસર કાર્યવાહી કરી શકો છો. કેમકે 2020 સુધી ગ્રાહક સુરક્ષામાં ઓનલાઇન કે ટેલિશોપિંગ માટે કોઈ કાયદાઓ ન હતા. પણ જુલાઈ 2020 થી ઇકોમર્સ કંપનીઓ માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 લાગુ પાડેલ છે, જેમાં ઈકોમેર્સ કંપનીઓ માટે ગાઈડ લાઈન બનાવામાં આવી છે. આ નિયમો પ્રમાણે ઓનલાઇન શોપિંગ કરનારાઓની સાથે હવે કોઈ પણ છેતરપિંડી માટે સજા થઇ શકે છે. જેમાં ખરાબ સામાન ડિલિવરી માટે રિફંડ, એક્સચેન્જ, ગેરેન્ટી, વૉરંટી જેવી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરાંત પ્રોડક્ટને લગતી તમામ ડીટેઇલ્સ કંપનીએ ગ્રાહકોને આપવી પડશે. જેમાં હિડન ચાર્જીસ તેમજ ખોટી કિંમત ઉપર પણ જોગવાઈ થઇ શકે છે. આ કાયદામાં ટેલિશોપિંગ, ડાયરેક્ટ સેલિંગ, ઓનલાઇન કે ઓફલાઈન બંને પ્રકારની લેવડ દેવડ સામેલ છે.

તો માણો શોપિંગ તમારા મૂડ મુજબ, ઓનલાઇન કે ઓફલાઈન, ટાઈમ પાસ માટે, કે મૂડ રિફ્રેશ માટે.. ગમે ત્યારે, ગમે ત્યાં, પણ સેફ્ટી પ્રોટોકોલ સાથે…

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

ભારતે વનડે નવ વિકેટથી જીતીઃ ગિલની વનડે કપ્તાન તરીકેની પહેલી જીત

સિડનીઃ ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજા વનડેમાં નવ વિકેટથી હરાવી દીધું છે. રોહિત શર્માએ 121 રનની મેચવિજેતા ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. બીજી બાજુ, વિરાટ કોહલી પણ 74 રનની અડધી સદી ફટકારીને નોટઆઉટ રહ્યો હતો. સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે ભારતે જીતી લીધી હોવા છતાં સિરીઝ 2-1થી ઓસ્ટ્રેલિયાને નામે રહી. આ શુભમન ગિલ તરીકેની પહેલી વનડે કપ્તાન તરીકેની જીત પણ રહી.

ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને આખા 50 ઓવર પણ ન રમવા દીધા. કાંગારુ ટીમ પ્રથમ બેટિંગ કરતાં માત્ર 236 રન જ બનાવી શકી હતી. હર્ષિત રાણાએ ભારત માટે સૌથી વધુ ચાર વિકેટ લીધી, જે અત્યાર સુધીના તેના વનડે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

વિરાટ-રોહિત શર્મા ચમક્યા

237 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયાએ 69ના સ્કોર પર શુભમન ગિલની વિકેટ ગુમાવી હતી. ગિલ માત્ર 24 રન બનાવી આઉટ થયો. ત્યાર બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ સાથે મળી ઇનિંગ સંભાળી અને ટીમને જીત અપાવી હતી.

રોહિત શર્માએ નોટઆઉટ 121 રનની ઇનિંગ રમી, જે તેનાં વનડે કારકિર્દીની 33મી અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 50મી શતક છે. તેણે બીજા વિકેટ માટે 168 રનની અણનમ ભાગીદારી કરી. આ વનડેમાં 19મો પ્રસંગ હતો, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ 100થી વધુ રનની ભાગીદારી કરી છે. સૌથી વધુ 100 + રનની ભાગીદારીના મામલે હવે માત્ર સચિન તેંડુલકર-સૌરવ ગાંગુલી અને કુમાર સંગાકારા-તિલકરત્ને દિલશાન જ તેમની આગળ છે.

શુભમન ગિલની પહેલી જીત

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં શુભમન ગિલને નવો વનડે કપ્તાન બનાવાયો હતો. તેની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા પ્રથમ મેચ સાત વિકેટથી હારી ગઈ હતી. એડિલેડમાં રમાયેલી બીજી વનડેમાં પણ ભારતને બે વિકેટથી હાર મળી હતી. કપ્તાન તરીકે પ્રથમ બે મેચ હાર્યા બાદ ગિલે આખરે સિડનીમાં વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો.

વિરાટ કોહલી વનડેમાં વિશ્વનો બીજો સૌથી સફળ બેટ્સમેન બન્યો

ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શનિવારે વનડેમાં વિશ્વનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેણે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાના રેકોર્ડને તોડ્યો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન કોહલીએ અડધી સદી ફટકારી, વનડે ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો. વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે બીજી વિકેટ માટે સદીની ભાગીદારીએ ભારતને ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવવામાં મદદ કરી.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની અંતિમ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી. આ મેચ પહેલા, તેને સંગાકારાના 14,234 રનના રેકોર્ડને તોડવા માટે ફક્ત 54 રનની જરૂર હતી. કોહલીએ 81 બોલમાં 74 રન બનાવીને તેનો રેકોર્ડ તોડ્યો. કોહલીએ તેની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા ફટકાર્યા. કોહલીએ આ રેકોર્ડ સંગાકારા કરતાં ઘણી ઓછી ઇનિંગ્સમાં હાંસલ કર્યો, જે આ ફોર્મેટમાં તેની સાતત્ય અને પ્રભુત્વ દર્શાવે છે. સંગાકારાએ ૧૪,૨૩૪ રન બનાવવા માટે ૪૦૪ વનડે મેચ રમી હતી, જ્યારે કોહલીએ આ સિદ્ધિ માત્ર ૩૦૫ મેચમાં હાંસલ કરી હતી.

વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહાન સચિન તેંડુલકરના નામે છે. તેંડુલકરે ૪૬૩ મેચમાં ૪૪.૮૩ ની સરેરાશથી ૧૮,૪૨૬ રન બનાવ્યા છે. તેમની પાસે ૪૯ વનડે સદી છે. વિરાટ કોહલીએ ૩૦૫ મેચમાં ૫૭.૬૯ ની સરેરાશથી ૧૪,૨૫૦ રન બનાવ્યા છે, જેમાં ૫૧ સદી છે. કુમાર સંગાકારાએ ૪૦૪ મેચમાં ૨૫ સદી અને ૧૪,૨૩૪ રન બનાવ્યા છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ આ યાદીમાં ચોથા ક્રમે છે, જેમણે ૩૭૫ મેચમાં ૧૩,૭૦૪ રન બનાવ્યા છે. પોન્ટિંગ પાસે ૩૦ સદી છે.

વનડેમાં સૌથી વધુ રન

18426 – સચિન તેંડુલકર

14255 – વિરાટ કોહલી

14234 – કુમાર સંગાકારા

13704 – રિકી પોન્ટિંગ

13430 – સનથ જયસૂર્યા

12650 – મહેલા જયવર્દને

મુકેશ અંબાણીએ ફેસબુક સાથે કર્યો કરાર

પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, ફેસબુક ઓવરસીઝ ઇન્ક. સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. આ નવા સાહસનું નામ રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ લિમિટેડ (REIL) રાખવામાં આવશે, જેમાં રિલાયન્સ 70 ટકા હિસ્સો અને ફેસબુક 30 ટકા હિસ્સો ધરાવશે. શનિવારે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં, RIL એ જણાવ્યું હતું કે 24 ઓક્ટોબર, 2025 ના રોજ, ભારતમાં સમાવિષ્ટ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ દ્વારા REIL ની રચના કરવામાં આવી હતી. આ કંપનીનો પ્રાથમિક ઉદ્દેશ્ય એન્ટરપ્રાઇઝ AI સેવાઓ વિકસાવવા, માર્કેટ કરવા અને વિતરણ કરવાનો રહેશે.

કરોડોનું રોકાણ

સંયુક્ત સાહસ કરાર હેઠળ, રિલાયન્સ ઇન્ટેલિજન્સ અને ફેસબુક ઓવરસીઝ સંયુક્ત રીતે ₹855 કરોડની કુલ પ્રારંભિક મૂડીનું રોકાણ કરશે. રિલાયન્સ મોટાભાગના રોકાણનો ભોગ બનશે, જ્યારે ફેસબુક બાકીના 30 ટકા રોકાણ કરશે. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે REIL ની રચના માટે કોઈ સરકાર કે નિયમનકારી મંજૂરીઓની જરૂર નહોતી, જેનાથી પ્રક્રિયા ઝડપી બની.

એન્ટરપ્રાઇઝ AI પર ધ્યાન કેન્દ્રિત કરો

REIL મોટા વ્યવસાયો માટે કસ્ટમાઇઝ્ડ AI સોલ્યુશન્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમાં ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન, પ્રિડિક્ટિવ મોડેલિંગ અને સ્માર્ટ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ્સનો સમાવેશ થશે. નિષ્ણાતો માને છે કે આ ભાગીદારી ભારતીય ઉદ્યોગોને વિશ્વ કક્ષાની AI ટેકનોલોજી પૂરી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

રિલાયન્સના ડિજિટલ વિસ્તરણ

આ પગલું રિલાયન્સની ડિજિટલ અને ટેકનોલોજી વિસ્તરણ વ્યૂહરચનાનો એક ભાગ છે. અગાઉ Jio દ્વારા ટેલિકોમમાં ક્રાંતિ લાવનાર કંપની હવે AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં નેતૃત્વ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. મેટા સાથેના આ જોડાણથી રિલાયન્સને વૈશ્વિક AI ઇકોસિસ્ટમમાં મજબૂત પગપેસારો મળશે. 2020 માં, ફેસબુકે Jio પ્લેટફોર્મ્સમાં $5.7 બિલિયન (આશરે રૂ. 43,574 કરોડ)નું રોકાણ કર્યું, જે તેનો સૌથી મોટો લઘુમતી શેરધારક બન્યો. જૂન 2020 માં ભારતના સ્પર્ધા પંચ દ્વારા મંજૂર કરાયેલા આ રોકાણથી ફેસબુકને Jio પ્લેટફોર્મ્સમાં 9.99% હિસ્સો મળ્યો, જે લગભગ 500 મિલિયન ગ્રાહકો સાથે RIL ના ટેલિકોમ વ્યવસાયનો આધાર બનાવે છે.

દિલ્હીમાં એકનાથ શિંદે, PM મોદી સાથે દોઢ કલાક મુલાકાત

નાયબ મુખ્યમંત્રી શિંદે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે શિંદેએ મોદીને શાલ, ગુલદસ્તો અને સંત તુકારામ મહારાજની પ્રતિમા ભેટમાં આપી. બેઠક દરમિયાન અનેક મહત્વપૂર્ણ કેન્દ્રીય અને રાજ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

પ્રધાનમંત્રી મોદીએ NDAના તમામ ઘટક પક્ષોને તેમના વિચારો પર એકતામાં રહેવા અને ગઠબંધન મજબૂત રીતે કાર્યરત રહે તેની ખાતરી કરવા વિનંતી કરી. તેમણે શિંદે પરિવારને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી. આ બેઠક રાજકીય અને વહીવટી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમાં રાજ્ય-કેન્દ્ર સહયોગ અને આગામી પ્રોજેક્ટ્સ માટે વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવી હતી.

વિકાસ પ્રત્યે જોડાણની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા, શિંદેએ જણાવ્યું હતું કે મહાયુતિ અને NDA વિકાસના એજન્ડા પર એકતામાં છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર બોલતા, તેમણે જણાવ્યું હતું કે બેઠક વહેંચણી અને વ્યૂહરચના અંગે અંતિમ નિર્ણય વરિષ્ઠ નેતાઓ લેશે. તેમણે આ ચૂંટણીઓને “ગ્રાઉન્ડ રૂટ ચૂંટણીઓ” ગણાવી. કોંગ્રેસના ધારાસભ્ય રવિન્દ્ર ધંગેકર અને ભાજપના નેતા મુરલીધર મોહોલ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર ટિપ્પણી કરતા શિંદેએ ગઠબંધનમાં સંયમ રાખવાની વિનંતી કરી.