Home Blog Page 511

મસ્કની સ્ટારલિંક હવે દેશમાં શરૂ કરશે ઇન્ટરનેટ સેવા

નવી દિલ્હીઃ અમેરિકન અબજોપતિ એલન મસ્કની આ કંપની દેશમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરતાં પહેલાં ઝડપથી પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે. કંપનીએ દેશભરમાં નવ ગેટવે અર્થ સ્ટેશન સ્થાપવાની યોજના બનાવી છે, જેમાં મુંબઈ, નોઇડા, ચંડીગઢ, હૈદરાબાદ, કોલકાતા અને લખનૌ જેવાં મોટાં શહેરોનો સમાવેશ થાય છે. આ પગલું ભારતમાં ઝડપી અને વિશ્વસનીય ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો નવો યુગ શરૂ થવાનો સંકેત આપે છે.

કંપનીએ પોતાની Gen 1 સેટેલાઇટ કોન્સ્ટેલેશન દ્વારા 600 ગિગાબિટ પ્રતિ સેકન્ડ ક્ષમતા માટે અરજી કરી છે. દૂરસંચાર વિભાગ (DoT)એ હાલ કંપનીને ડેમો માટે પ્રોવિઝનલ સ્પેક્ટ્રમ ફાળવી આપ્યા છે, જેથી સુરક્ષા ધોરણોની તપાસ કરી શકાય. આ મંજૂરી હેઠળ સ્ટારલિંકને 100 યુઝર ટર્મિનલ ઇમ્પોર્ટ કરવાની અને માત્ર ફિક્સ્ડ સેટેલાઇટ સર્વિસના ડેમો કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટારલિંકને પરીક્ષણમાં સુરક્ષા સંબંધિત તમામ શરતોનું કડક પાલન કરવું પડશે, કારણ કે સેટેલાઇટ કોમ્યુનિકેશન (Satcom) જો ખોટા હાથે પહોંચે તો દેશની સુરક્ષા જોખમમાં આવી શકે છે. તેથી સ્ટારલિંકને સૂચના આપવામાં આવી છે કે ગૃહ મંત્રાલય દ્વારા વિદેશી ટેક્નિકલ નિષ્ણાતોને મંજૂરી ન મળે ત્યાં સુધી ફક્ત ભારતીય નાગરિકો જ આ ગેટવે સ્ટેશનોનું સંચાલન કરશે.

સુરક્ષા સામે ચિંતાઓ

આ પહેલાં પણ ભારતની સુરક્ષા એજન્સીઓએ કેટલીક પ્રતિબંધિત વિસ્તારોમાં સ્ટારલિંક ટર્મિનલના ગેરકાયદે ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. માર્ચ, 2025માં ગૃહ મંત્રાલયે દૂરસંચાર વિભાગને તપાસના નિર્દેશ આપ્યા હતા, જ્યારે મણિપુર અને આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં ગેરકાયદે સ્ટારલિંક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ સરકારે ડેટા લોકલાઇઝેશન અને નિયમિત રિપોર્ટિંગ ફરજિયાત કર્યું હતું.

 હવે કંપનીને માનવા પડશે ભારતીય નિયમો

શરૂઆતમાં સ્ટારલિંકે સુરક્ષા એજન્સીઓની ચિંતાઓને ગંભીરતાથી ન લીધી હતી, પરંતુ હવે કંપનીને ભારતમાં સેટેલાઇટ કમ્યુનિકેશનની મંજૂરી મળી ગઈ હોવાથી કંપનીએ કડક સુરક્ષા નિયમોનું પાલન કરવું ફરજિયાત બન્યું છે.

જાણીતા ગુજરાતી સંગીતકાર સચિન સંઘવીની ધરપકડ, જાણો સમગ્ર મામલો

બોલિવૂડ ગાયક અને સંગીતકાર સચિન-જીગર બેલડીના સચિન સંઘવીની ધરપકડ કરવામાં આવી છે. એક મહિલાને લગ્નનું વચન આપીને તેનું જાતીય શોષણ કરવાના આરોપસર તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર સચિન સંઘવીની ધરપકડ કરવામાં આવી છે. સચિને એક મહિલાને સંગીત આલ્બમમાં કામ આપવાનું કહ્યું હતું. આ સાથે જ તેણે મહિલાને લગ્ન કરવાનું વચન આપીને જાતીય શોષણ કર્યુ હોવાનો આરોપ છે. આ કારણે હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે માહિતી આપી હતી કે ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા’ જેવા હિટ ગીતો માટે જાણીતા સચિન સંઘવીની ગુરુવારે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 20 વર્ષીય ફરિયાદીએ દાવો કર્યો હતો કે તે ફેબ્રુઆરી 2024 માં સંઘવીના સંપર્કમાં આવી હતી જ્યારે તેણે તેણીને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ મોકલ્યો હતો. અધિકારીએ કહ્યું કે સંઘવીએ કથિત રીતે તેણીને તેના સંગીત આલ્બમમાં ભૂમિકા આપવાનું વચન આપ્યું હતું, ત્યારબાદ બંનેએ વાતચીત શરૂ કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સચિન સંઘવીએ તેણીને તેના સ્ટુડિયોમાં બોલાવી હતી, જ્યાં તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ઘણી વખત તેનું જાતીય શોષણ કર્યું હતું. તપાસના આધારે, ગાયકની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સચિન-જીગરની બેલડી સંગીત ક્ષેત્રમાં જાણીતું નામ છે. તેમણે ઘણા હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. સંઘવી મૂળ ગુજરાતી છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં સ્થાયી છે.

ભારત પછી હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનનું અટકાવશે પાણી

કાબુલઃ ભારત પછી હવે અફઘાનિસ્તાન પણ નદીઓ મારફતે પાકિસ્તાનને મળતું પાણી અટકાવે એવી શક્યતા છે. તાલિબાનના ઉપમાહિતી મંત્રી મુજાહિદ ફરાહી જણાવ્યું છે કે જલ અને ઊર્જા મંત્રાલયને તાલિબાનના સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુન્દઝાદાએ કુનર નદી પર બંધ બાંધવાનો આદેશ આપ્યો છે. આ નદી પાકિસ્તાનમાં પણ વહે છે અને જો બંધ બાંધવામાં આવશે તો પાકિસ્તાનમાં પાણી માટે હાહાકાર મચવાનો નક્કી છે. તાલિબાને આ નિર્ણય અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા અથડામણ પછી લીધો છે, જેમાં બંને બાજુના ઘણા લોકો માર્યા ગયા હતા.

અફઘાનોને પોતાના સ્રોતો પર અધિકાર

મુજાહિદ ફરાહી મુજબ તાલિબાનના સર્વોચ્ચ નેતાએ વિદેશી કંપનીઓની રાહ જોવાને બદલે સ્થાનિક અફઘાન કંપનીઓ સાથે આ પ્રોજેક્ટ આગળ ધપાવવા કહ્યું છે. જલ અને ઊર્જા મંત્રી મુલ્લા અબ્દુલ લતીફ મન્સૂરે આ પગલાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે અફઘાનોને પોતાના જળસ્રોતોનું સંચાલન કરવાનો અધિકાર છે.

પાકિસ્તાન માટે ડબલ આંચકો

કુનર નદી પર બંધ બાંધવાનો નિર્ણય પાકિસ્તાન માટે ડબલ આંચકો સાબિત થઈ શકે છે. કારણ કે ભારત પહેલેથી જ સિંધુ નદી કરારને સ્થગિત કરી ચૂક્યું છે. હવે કહી શકાય કે પાકિસ્તાન ટુ-ફ્રન્ટ વોટર વોરમાં ફસાતું જઈ રહ્યું છે — એક બાજુ ભારતનું કડક વલણ અને બીજી બાજુ તાલિબાનનું પાણી રોકવાનું પગલું, જેનાથી પાકિસ્તાનની હાલત ખરાબ થવાની છે.

અફઘાનિસ્તાને પાણીને આપી પ્રાથમિકતા

વર્ષ 2021માં સત્તામાં આવ્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનના પાણીના સ્વરાજને પ્રાથમિકતા આપી છે. તેણે ઊર્જા ઉત્પાદન, સિંચાઈ અને પડોશી દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે દેશની નદી પ્રણાલીઓનો ઉપયોગ કરીને બંધ બાંધકામ અને જલવિદ્યુત વિકાસની યોજનાઓને વેગ આપ્યો છે. વધુમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ સત્તાવાર દ્વિપક્ષીય જળ-વહેંચણી કરાર નથી. ઇસ્લામાબાદ પહેલેથી જ અફઘાનિસ્તાનના જળસ્વરાજના આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે.

કચ્છના મોટા રણને છેવાડે, આ જ તો છે સ્વર્ગનો રસ્તો

ધોળાવીરા… સિંધુ વેલી સિવિલાઈઝેશન તરીકે ઓળખાતી સંસ્કૃતિ સદીઓ અગાઉ ભારતીય ઉપખંડમાં જ્યાં જ્યાં પાંગરી હતી એમાંથી એક મહત્વનું સ્થળ એટલે આ ધોળાવીરા. અત્યારના નકશામાં જુઓ તો કચ્છના રણ વચાળે ખડીર ટાપુ પર છે આ સ્થળ. ભુજથી વાગડના રાપર શહેર થઈ ધોળાવીરા સુધીનો રસ્તો થાય ૨૪૫ કિલોમીટર જેટલો. માર્ગ મહદઅંશે સિંગલ. એમાં પણ રાપર પછી તો સો કિલોમીટર સાવ ઉબડખાબડ રોડ. આ રસ્તો ધોળાવીરા જનારા પ્રવાસીને એટલો અકળાવી મૂકતો કે પ્રવાસ અડધેથી મૂકવાનું મન થાય.

વર્ષો સુધી એના વૈકલ્પિક માર્ગની વાતો થતી. જો કે પૂર્વમાં ખાવડાથી ઘડૂલી-સાંતલપુર માર્ગ બનાવવાની ચર્ચા રાજકીય આટાપાટા અને ઈચ્છાશક્તિ વચ્ચે અટવાતી રહેતી, પણ છેવટે એ માર્ગ બન્યો… અને એવો બન્યો કે લોકો આજે એને ‘રોડ ટુ હેવન’ તરીકે ઓળખે છે. રોડ ટુ હેવન: સ્વર્ગ તરફ જતો રસ્તો!

હવે ભુજથી ખાવડા થઈ ધોળાવીરા પહોંચતા ૧૧૦ કિલોમીટરનું અંતર ઓછું થઈ ગયું છે. એ આ માર્ગને કારણે. આ રસ્તો પાકો છે એ કારણ તો છે જ, મૂળ વાત એ છે કે આ  રસ્તો નજર પહોંચે ત્યાં સુધી પથરાયેલા રણની વચ્ચેથી પસાર થાય છે અને આ હકીકત જ એને અતિ સુંદર બનાવે છે. મંઝિલે પહોંચવા કરતાં મુસાફરી વધુ રોમાંચ આપે એવો આ રસ્તો છે.

આ રસ્તો પ્રમાણમાં એટલો પહોળો નથી કારણ કે બંને બાજુએ સફેદ વિસ્તરેલું રણ છે. આ માર્ગનો હેતુ ધોળાવીરા પહોંચવાનો સમય ઓછો કરવાનો છે, પણ સૌંદર્ય માણવા માગતા સહેલાણીઓ આ ૩૦ કિલોમીટર માર્ગ કાપવામાં સૌથી વધુ સમય લે છે. ખાસ તો ફોટોગ્રાફી ઘણી થાય છે અને સોશિયલ મીડિયા માટે રીલ્સ પણ ચિક્કાર બને છે.એક તો રસ્તો જ આ એકદમ અદભુત છે. છોગામાં, રસ્તા પરથી પસાર થતી વખતે બન્ને તરફ રણમાં સેંકડોની સંખ્યામાં ફ્લેમિંગો, પ્લોવર્સ, ક્રેન્સ, ગલ અને બતક જેવા ઋતુપ્રવાસી (યાયાવરી) પક્ષીઓ નજરે પડે. ધોળાવીરા ગામના સરપંચ જીલુભા સોઢા ચિત્રલેખા.કોમને કહે છે, ‘રાપરથી લોદ્રાણી થઈને ખડીર ટાપુના છેડાનું અંતર ઓછું છે, પણ એમાં વચ્ચે રણનો વિસ્તાર ઓછો આવે. જ્યારે ખાવડાથી ત્રીસેક કિલોમીટરે આવતા કાઢવાંઢ પછી તો બીજા ત્રીસ કિલોમીટરના રસ્તાની બન્ને બાજુએ રણ જ રણ છે. ચોમાસા પછી પાણી સુકાય એટલે ચમકતા મીઠાના કળણ બાકી રહે અને એમાં વચ્ચે ક્યાંક વાદળી રંગના મોસમી તળાવ એક અલગ જ લેન્ડસ્કેપ બનાવે છે. અગાઉ કેટલાક લોકો રણમાં ભરાયેલું પાણી સુકાય ત્યારે થોડે સુધી ફરવા જતા. પછી કાચી સડક બની તો ચારેક વર્ષ વર્ષ પહેલાં પાક્કો રસ્તો બન્યો. હવે તો આ રસ્તા વિશે એટલી ચર્ચા થાય છે કે રણોત્સવમાં આવતા પર્યટકો રોડ ટુ હેવનનો પ્રવાસ માણવા ખાસ વધારે સમય લઈને આવે છે.’

આ વખતની જ વાત કરીએ તો  આમ તો કચ્છનો અતિ જાણીતો બનેલો રણોત્સવ આ વર્ષે ૨૩ ઓકટોબરથી શરૂ થવાનો છે, પરંતુ આ રોડનું આકર્ષણ એવું છે કે દિવાળી વેકેશન પહેલાંથી પ્રવાસીઓ અહીં આવવા માંડ્યા છે. વ્યવસાયે ગાઈડ એવા ધોળાવીરાના રહેવાસી શંકરભાઈ ધેડા ચિત્રલેખાને કહે છેઃ રણોત્સવ દરમ્યાન અને એ પછી પણ પ્રવાસીઓ ધોળાવીરા, કાળો ડુંગર અને રોડ ટુ હેવનની મજા લેવા આવતા જ રહે છે. ગત વર્ષે રણોત્સવ દરમ્યાન ૪,૦૯,૮૪૯ પ્રવાસી રોડ ટુ હેવનને માણવા આવ્યા હતા. અમારો અંદાજ છે કે આ વખતે તો પાંચ લાખનો આંક પાર થઈ જશે!’વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બેસ્ટ ગાઈડનો એવોર્ડ મેળવી ચૂકેલા શંકરભાઈ કહે છે,’રણોત્સવ દરમ્યાન અને એ પછી પણ પ્રવાસીઓ ધોળાવીરા, કાળો ડુંગર અને રોડ ટુ હેવનની મજા લેવા આવતા જ રહે છે.’ ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ એડ કેમ્પેઈન કરનારા અભિનેતા અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચન અને કેટલાક પરિવારજનો આ વર્ષની શરૂઆતમાં કચ્છનું સફેદ રણ જોવા આવ્યા ત્યારે ગાઈડ તરીકે શંકરભાઈ એમની સાથે હતા. એ ઉમેરે છે: ‘પ્રાકૃતિક સુંદરતા, રોડની આસપાસ ક્ષિતિજ સુધી વિસ્તરેલા અફાટ સફેદ રણ ઉપરાંત વાઈલ્ડલાઈફ માટે પણ આ માર્ગ જાણીતો છે. કાઢવાંઢથી ટંગડીબેટ પહોંચ્યા પછી ફોરેસ્ટ વિસ્તાર શરૂ થાય છે, જેમાં ક્યારેક ચિંકારા પણ દેખાઈ જાય. એ જંગલમાં તો ચિંકારા જોવા માટે ખાસ વ્યવસ્થા છે. જો કે આ આખા રસ્તામાં ક્યાંય શૌચાલયની સુવિધા નથી એટલે પ્રવાસીને ખાવડાથી ધોળાવીરા સુધી તકલીફ ભોગવવી પડે છે.’

વળી, પ્રવાસીઓ ઈચ્છે ત્યાં એમના વાહન ઊભા રાખીને ફોટોગ્રાફી કરતાં હોવાથી ક્યારેક ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. જીલુભા સોઢા એટલે કે કહે છે કે થોડા થોડા અંતરે વ્યુ પોઈન્ટ ઉપરાંત રસ્તાની બંને બાજુ ડોમ જેવાં પાર્કિંગ ઊભા કરવાની જરૂર છે. રસ્તા પરથી રણની સપાટી પર ઉતરવા પગથિયાંની સવલત હોય તો પ્રવાસીઓ અહીં પણ સફેદ રણમાં ફરવાનો આનંદ લઈ શકે.’

આ રસ્તાને રોડ ટુ હેવન નામ આપવા પાછળ અમુક પ્રવાસીઓ જ છે. જીલુભા કહે છે કે રસ્તો નવો નવો બન્યો એ પછી ધોળાવીરા આવેલા કેટલાક બાઈક સવારોએ વાત વાતમાં કહ્યું: આ રસ્તો તો સ્વર્ગમાં જતા હોય એવો છે. બસ, જીલુભાએ આ રસ્તા માટે ફઈબાનું કામ કર્યું અને એમણે ‘રોડ ટુ હેવન’ એવું નામકરણ કરી નાખ્યું!

વેકેશનની ભીડથી બચવા વહેલા અહીં આવી પહોંચેલા મુંબઈના પ્રિયકાંત શર્મા ચિત્રલેખાને કહે છેઃ  ‘આ મનોહર રસ્તો ગ્રેટ રણ ઑફ કચ્છમાંથી પસાર થાય છે. એ જોયા પછી હવે મોકો મળે ત્યારે અહીં આવવાનું પાકું કરી લીધું છે. ખારા રણ અને વિશ્વના સૌથી મોટા મીઠાના મેદાન સમા આ વિસ્તારના સ્ફટિક-સ્વચ્છ પાણી, ચમકતા મીઠાના પટ અને અનંત વાદળી આકાશના આકર્ષક દૃશ્યોએ અમને રીતસર મોહી લીધા છે.’ અહીં પ્રિ-વેડિંગ શૂટિંગ કરવા આવતા યુવા જોડા પણ જાણે સાચે જ સ્વર્ગ જેવાં અનુભવ સાથે ફોટોશૂટ કરાવતા હોય એવા કેફમાં મસ્ત દેખાય છે. આવું જ કપલ તન્મય અને આકૃતિ કહે છે કે કચ્છમાં અનેક સ્થળ સુંદર છે, પણ આ રસ્તા જેવું સૌંદર્ય ક્યાંય સંભવ નથી. અમે લગ્ન પહેલાં આવી જ પ્રાકૃતિક જગ્યાની શોધમાં હતાં, અમારું તો જાણે સ્વપ્ન પૂરું થયું છે.

(સુનીલ માંકડ કચ્છ)

(તસવીરો: અરવિંદ નાથાણી – જીલુભા સોઢા – પ્રવીણ ડોંગેરા) 

એક જાહેરાતને લીધે કેનેડા સાથે બધી વેપારી વાતચીત ખતમઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ અમેરિકા તેઓ કેનેડાના બધી વેપાર ચર્ચાઓ ખતમ કરી રહ્યા છે, કારણ કે તાજેતરમાં પ્રસારિત થયેલી ટેલિવિઝન જાહેરાતોમાં અમેરિકાના ટેરિફ્સ (શૂલ્ક)નો વિરોધ કરવામાં આવ્યો છે, એમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મિડિયામાં જણાવ્યું છે. ટ્રમ્પે આ જાહેરાતોને “અત્યંત અન્યાયી વર્તન” ગણાવ્યું છે, જેનો હેતુ અમેરિકાની કોર્ટોના નિર્ણયોને પ્રભાવિત કરવાનો છે.

આ પોસ્ટ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના એ નિવેદન બાદ આવી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિના શૂલ્કના ખતરાને ધ્યાનમાં રાખીને તેમનો ઉદ્દેશ અમેરિકા બહારના દેશોમાં નિકાસને દોઢ ગણી કરવાનો છે.

 જાહેરાતમાં શું છે?

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતની સરકારે એક જાહેરાત પ્રકાશિત કરી છે, જેમાં અમેરિકાના ભૂતપૂર્વ રિપબ્લિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનના ભાષણનો ઉપયોગ કર્યો છે, જે ટેરિફ્સના વિરોધમાં છે.

આ જાહેરાતમાં અમેરિકા દ્વારા વિદેશી આયાત પર ઊંચા શૂલ્ક લગાવવાનાં જોખમો વિશે ચેતવણી આપવામાં આવી છે. રેગન કહે છે, ઊંચા ટેરિફ અનિવાર્ય રીતે વિદેશી દેશોની પ્રતિશોધાત્મક કાર્યવાહી અને ભયંકર વેપાર યુદ્ધોને જન્મ આપે છે. એ પછી સૌથી ખરાબ થાય છે — બજાર સંકોચાય છે, ઉદ્યોગો બંધ થાય છે અને લાખો લોકો નોકરી ગુમાવે છે. ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે જાહેરાત જારી કરીને જણાવ્યું કે તેઓ રોનાલ્ડ રેગનના મોટા પ્રશંસક છે.

કેનેડાના વડા પ્રધાનનું નિવેદન

ટ્રમ્પે આ જાહેરાતોને ખોટી ગણાવી છે. આ પહેલાં વડા પ્રધાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે તેમની સરકારનું લક્ષ્ય અમેરિકા બહારના દેશોમાં નિકાસ દોઢ ગણી કરવાનો છે.

 કેનેડાને અમેરિકા સાથે જોડવા માગે છે ટ્રમ્પ

રાષ્ટ્રપતિ બન્યા બાદથી ટ્રમ્પ સતત કેનેડાને અમેરિકા સાથે વિલીન કરવાનો વિચાર વ્યક્ત કરતા રહ્યા છે. તેમનું માનવું છે કે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવી દેવું જોઈએ. આ પહેલાં ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે કેનેડાની સરહદ પરથી અમેરિકા સુધી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. ટ્રમ્પે કેનેડાની ઉપર 35 ટકા ટેરિફ લગાવ્યો છે, જ્યારે કેનેડાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાની સામે ઝૂકવાના નથી.

જાહેરાત જગતમાં એડગુરુ તરીકે ઓળખાતા પીયૂષ પાંડેનું નિધન

એડગુરુ તરીકે જાણીતા અને એક અનુભવી જાહેરાત વ્યક્તિત્વ પીયૂષ પાંડે (Piyush Pandey)નું શુક્રવારે નિધન થયું. ફેવિકોલ, કેડબરી અને એશિયન પેઇન્ટ્સ જેવા બ્રાન્ડ્સ માટે લોકપ્રિય જાહેરાતો ડિઝાઇન કરનારા પાંડે 70 વર્ષના હતા. તેમણે 1990 ના દાયકામાં પ્રખ્યાત ગીત “મિલે સુર મેરા તુમ્હારા” પણ લખ્યું હતું. પીયુષ પાંડે ચેપથી પીડાતા હતા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્ક ખાતે કરવામાં આવ્યા.

પીયૂષ પાંડે ભારતીય જાહેરાતનો અવાજ બન્યા

પીયૂષ પાંડેએ લગભગ ચાર દાયકા સુધી જાહેરાત ઉદ્યોગમાં કામ કર્યું. તેઓ ઓગિલ્વીના વિશ્વવ્યાપી મુખ્ય સર્જનાત્મક અધિકારી અને ભારતમાં એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. પાંડે 1982 માં ઓગિલ્વીમાં જોડાયા અને સનલાઇટ ડિટર્જન્ટ માટે તેમની પ્રથમ જાહેરાત લખી. છ વર્ષ પછી તેઓ કંપનીના ક્રિએટીવ વિભાગમાં જોડાયા અને ફેવિકોલ, કેડબરી, એશિયન પેઇન્ટ્સ, લુના મોપેડ્સ, ફોર્ચ્યુન ઓઇલ અને અન્ય ઘણી બ્રાન્ડ્સ માટે નોંધપાત્ર જાહેરાતો બનાવી. તેમના નેતૃત્વ હેઠળ ઓગિલ્વી ઇન્ડિયાને 12 વર્ષ સુધી સ્વતંત્ર સર્વેક્ષણમાં નંબર વન એજન્સી તરીકે સ્થાન આપવામાં આવ્યું. પાંડેએ અનેક પુરસ્કારો જીત્યા છે. 2016 માં, તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અભિનયની દુનિયામાં પ્રવેશ

પીયુષ પાંડેએ અભિનય ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો, 2013માં જોન અબ્રાહમ અભિનીત ફિલ્મ “મદ્રાસ કાફે” અને મેજિક પેન્સિલ પ્રોજેક્ટ વિડિઓઝ (ICICI બેંક દ્વારા માર્કેટિંગ ઝુંબેશ) માં દેખાયા. પાંડેએ “મિલે સુર મેરા તુમ્હારા” ગીત લખ્યું. દેશમાં રાષ્ટ્રીય એકતા અને વિવિધતાને પ્રોત્સાહન આપતું આ ગીત, 90 ના દાયકામાં ટેલિવિઝન દ્વારા દરેક ઘર સુધી પહોંચ્યું. પાંડેએ પ્રશંસનીય ફિલ્મ “ભોપાલ એક્સપ્રેસ” માટે પટકથા પણ લખી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ શ્રદ્ધાંજલિ આપી

વ્યવસાય, જાહેરાત અને રાજકારણની દુનિયાના લોકોએ પિયુષ પાંડેને શ્રદ્ધાંજલિ આપી. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “પીયુષ પાંડે ભારતીય જાહેરાત જગતમાં એક દિગ્ગજ હતા. તેમણે રોજિંદા રૂઢિપ્રયોગો, રમૂજ અને વાસ્તવિક હૂંફ લાવીને સંદેશાવ્યવહારમાં પરિવર્તન લાવ્યું.” સીતારમણે કહ્યું, “મને વિવિધ પ્રસંગોએ તેમની સાથે વાતચીત કરવાની તક મળી. તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર સર્જનાત્મક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. તેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.”

ઉદય કોટકે કહ્યું, “પીયુષ પાંડેનું વિદાય દુઃખદ છે.” કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદય કોટકે કહ્યું, “પીયુષ પાંડેએ આપણને દુઃખી છોડી દીધા છે. તેમણે 2003 માં કોટક મહિન્દ્રા બેંકની શરૂઆત એક અભિયાન સાથે કરી હતી જેમાં બેંકિંગને ‘સામાન્ય સમજ’ તરીકે ગણાવ્યું હતું. તેઓ એક નોંધપાત્ર, આઉટ ઓફ ધ બોક્સ વિચારક અને નમ્ર માણસ હતા. તેમણે ભારતીય સંદર્ભમાં સર્જનાત્મકતાને વણી લીધી.

બિહારના સમસ્તીપુરથી PM મોદીનો ચૂંટણીપ્રચારનો શંખનાદ

પટનાઃ બિહારના સમસ્તીપુરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે. ચૂંટણીની જાહેરાત પછી વડા પ્રધાન મોદી બિહારમાં પોતાની પ્રથમ જનસભાને સંબોધશે. પ્રથમ સભા બપોરે 12:15 કલાકે સમસ્તીપુરમાં અને બીજી બપોરે બે વાગ્યે બેગુસરાયમાં યોજાશે.

મોદી સમસ્તીપુરથી અભિયાનની શરૂઆત કરશે, જે ભારત રત્ન કર્પૂરી ઠાકુરનું જન્મસ્થળ છે. તેઓ 1970ના દાયકામાં બિહારના CM રહ્યા હતા. આ વર્ષે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. બિહારના પ્રખ્યાત સમાજવાદી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને સામાજિક ન્યાય અને વંચિત વર્ગોના ઉન્નતિ માટેના તેમના સમર્પણ માટે યાદ કરવામાં આવે છે. પછાત વર્ગોને આરક્ષણ આપવાની તેમની નીતિઓએ રાજ્યના રાજકારણ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો.

શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ વડા પ્રધાન મોદી બપોરે 12:15 કલાકે સમસ્તીપુર અને બે વાગ્યે બેગુસરાયમાં જનસભાને સંબોધશે.. એનડીએ સરકાર બિહારમાં પોતાની સિદ્ધિઓનું પ્રચાર કરી રહી છે. વડા પ્રધાન મોદીએ ગુરુવારે રાજ્યના યુવા કાર્યકરો સાથેના વર્ચ્યુઅલ સંવાદમાં વિરોધ પક્ષ પર તીવ્ર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બિહારમાં ‘જંગલરાજ’ વિશે આવતાં 100 વર્ષ સુધી ચર્ચા થતી રહેશે. વિરોધ પક્ષ પોતાના કુકર્મો છુપાવવાનો જેટલો પણ પ્રયાસ કરે, પરંતુ જનતા તેમને માફ નહીં કરે.

તેજસ્વી યાદવને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કર્યા બાદ મોદીએ આરજેડી–કૉંગ્રેસ પર નિશાનો સાધતાં કહ્યું હતું કે વિરોધી ગઠબંધન કોઈ “ગઠબંધન” નથી, પરંતુ “લઠબંધન” (અપરાધીઓનું ગઠબંધન) છે. મોદીએ કહ્યું કે દિલ્હીના અને બિહારના બધા નેતાઓ જામીન પર બહાર છે.

મોદીએ ભાજપના કાર્યકરોને કહ્યું કે તેઓ વડીલ લોકોને પ્રોત્સાહિત કરે કે તેઓ યુવાનોને જંગલરાજ દરમિયાન થયેલા અત્યાચાર વિશે જણાવી શકે. મોદીએ સંકેત આપ્યો કે તે સમય RJDપ્રમુખ લાલુપ્રસાદ મુખ્ય મંત્રી હતા.

‘મેરા બુથ સૌથી મજબૂત: યુવા સંવાદ’ કાર્યક્રમને ઑડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા મોદીએ કહ્યું કે બિહારમાં “જંગલરાજ”ને લોકો આવતા 100 વર્ષ સુધી નહીં ભૂલે. વિરોધ પક્ષ પોતાની કરતૂતો છુપાવવાનો પ્રયત્ન કરે, પરંતુ જનતા માફ નહીં કરે.

નવીનવાઈનું મ્યુઝિયમ, અહીં પથ્થર પળ પળ બોલે છે…

સુરત: રેલવેસ્ટેશનથી ૧૩ કિલોમીટર અને ઍરપોર્ટથી પાંચ કિલોમીટરના અંતરે કરમ યુનિકો નામે એક મ્યુઝિયમ છે. આમ તો આ એક બંગલો છે, પણ બંગલાના માલિકે એમાં મ્યુઝિયમ બનાવ્યું છે. પ્રવેશદ્વાર પાસે હાર્ટ શેપનો પથ્થર તમને આવકારે છે. અંદર પ્રવેશતાં જ પ્રતીતિ થાય કે આપણે પથ્થરોની અલાયદી સૃષ્ટિમાં પ્રવેશી ગયા છીએ. પ્રાંગણમાં પણ કામણ પાથરતા વિવિધ પ્રકારના પથ્થર જોવા મળે છે. પથ્થરો ઉપરાંત અહીંની કાષ્ઠકળાકૃતિઓ પણ ધ્યાનાકર્ષક છે. આ છે: પથ્થરનું મ્યુઝિયમ.

આ પથ્થરપ્રેમી વ્યક્તિનું નામ છે: કનુભાઈ રામજીભાઈ આસોદરિયા. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા કનુભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રનું ગોંડલ, પણ પિતા અમદાવાદના જાણીતા વિજ્ઞાની વિક્રમ સારાભાઈના બંગલામાં કામ કરવા ગયા એટલે એ અમદાવાદી પણ ગણાય.

કનુભાઈએ નવમા ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં જ કર્યો. ભણવામાં એ હોશિયાર, પણ એ સમયે એટલે કે ૧૯૬૫-૧૯૭૦માં સુરતમાં વિકસતી ડાયમંડ ઈન્ડસ્ટ્રીએ એમને આકર્ષ્યા. કનુભાઈના મામા સુરતમાં હીરાના વ્યવસાયમાં જ હતા. ૧૯૭૧માં મામાના પગલે એ પણ સુરત આવ્યા અને હીરા ઘસવાનું કામ શીખવા લાગ્યા. ત્રણ મહિનામાં તો એ ઘાટ (હીરા ઘસવાનો એક પ્રકાર)ના અચ્છા કારીગર બની ગયા. ૧૯૭૬માં લગ્ન કર્યાં અને પછી ભાગીદારીમાં સુરતમાં હીરાનું કારખાનું ચાલુ કર્યું. પછી તો એક કારખાનું અમદાવાદમાં પણ ચાલુ કર્યું. અમદાવાદમાં હીરા તોડવાનો પહેલો કાંટો એમની પાસે હતો.

કનુભાઈ હીરામાં ટ્રેડિંગનું કામ પણ કરતા. ધીરે-ધીરે ટ્રેડિંગમાં એમનો રસ વધતો ગયો. જાણીતા વેપારી ગોવિંદ ધોળકિયાની ઑફિસની બાજુમાં જ એમણે એક ઑફિસ ભાડે લીધી અને ત્યાંથી ટ્રેડિંગ શરૂ કર્યું. અવાર-નવાર એમને ગોવિંદભાઈ સાથે પ્રેરક ગોઠડી થતી. કામ પ્રગતિના પંથે ચડ્યું. પછી તો મુંબઈમાં પણ એક ઑફિસ ખોલી.

આ દરમિયાન એમનો વિદેશયોગ સર્જાઈ રહ્યો હતો. ૧૯૯૧માં પ્રથમ વખત વ્યવસાય અર્થે બેલ્જિયમની સફર ખેડી. ત્યાર બાદ વિદેશોની બિઝનેસટ્રિપ વધવા લાગી. ૨૦૦૧માં કારખાનાની ભાગીદારી તૂટતાં કરમ સાથે નવી ભાગીદારીની શરૂઆત થઈ. કરમ એક્સપોર્ટના નામે ૧૯૯૪થી એ ટ્રેડિંગ કરતા. હવે એ જ નામથી સ્વતંત્ર વેપાર શરૂ કર્યો. કરમ  નામ રાખવા પાછળ પણ ખાસ કારણ હતું. એક તો કરમના ત્રણેય અક્ષરમાં એમના પરિવારજનનાં નામ છે અને ગીતાનો કર્મનો સંદેશ છે.

૨૦૦૩નું વર્ષ. આજે આપણે આ સ્ટોન મ્યુઝિયમમાં છીએ એનું કારણ આ વર્ષ જ છે. કનુભાઈ એ ઘટનાનું સ્મરણ કરતાં કહે છે: ‘બેલ્જિયમમાં ગિરધરભાઈ ગજેરાના કોમલ જેમ્સમાંથી ડાયમંડની રફ ખરીદી હતી, જે મૂળ આફ્રિકાની ખાણની હતી. સુરત આવ્યા પછી મારા પિતાએ કહ્યું કે આ રફની અંદર ગણેશજી આશીર્વાદ આપી રહ્યા હોય એવું લાગે છે. તપાસ કરતાં અંદરથી ખરેખર ગણેશ આકારનો એક હીરો જડ્યો. જાણે રિદ્ધિ-સિદ્ધિનો ખજાનો સાંપડ્યો. એને કરમ ગણેશ નામ આપી, પૂજા કરી એને મંદિરમાં સ્થાન આપ્યું.’

અહીંથી કનુભાઈનાં કરમ અર્થાત્ નસીબ પલટાયું અને કરમ ગણેશ પછી જ કનુભાઈને દુર્લભ પથ્થર એકત્ર કરવાનો શોખ જાગ્યો. ૨૦ વર્ષની રખડપટ્ટી પછી પણ આજે આ શોખ એવો ને એવો તાજો છે. ૨૦ વર્ષ અને ૪૦ જેટલા દેશમાં રખડીને એમણે ૫૦૦૦થી વધુ સ્ટોન એકઠા કર્યા છે, જે આ મ્યુઝિયમમાં જોવા મળે છે.

કનુભાઈ ચિત્રલેખાને કહે છે: ‘હવે મારા માટે આ પથ્થર નથી, રત્ન છે, ઈશ્ર્વરના આશીર્વાદ છે. આ આશીર્વાદ એટલે પથ્થરોની આયુ તો વર્ષો પુરાણી છે ને એના મોલ તો અણમોલ છે.’

મ્યુઝિયમમાં નૅચરલ ડાયમંડની કુદરતી રીતે બનેલી ગણેશજીની ત્રણ મૂર્તિ છે. તો એક ડાયમંડ કોયલ આકારનો છે. આ બધા હીરા સાચા હોવાનાં ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટનાં સર્ટિફિકેટ પણ છે.નૅચરલ ડાયમંડ સાથે મ્યુઝિયમમાં બહુધા જેમ્સ અને મિનરલ સ્ટોનની અનેક આકર્ષક કૃતિઓ છે. અહીંની બધી જ પથ્થરની કૃતિ જે કુદરતી આકારમાં મળી એમ જ મૂકવામાં આવી છે. એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. સાત સૂંઢવાળા ગણેશ, એમેથિસ્ટ તેમ જ અનેક મુદ્રામાં ગણેશજી, શિવજી, બાલાજી ઉપરાંત અલ્લાહ નામનો પણ એક દુર્લભ સ્ટોન છે. શિવલિંગમાં થાળું કુદરતી છે. જો કે લિંગને આકાર ચોક્કસ આપવામાં આવ્યો છે. આ સિવાય બધું જ કુદરતી છે. દ્રોણ, સંજીવની જેવા પર્વતો, જ્યોતિ, વિષ્ણુનું વાહન ઘુવડ, લક્ષ્મીજીનું કમળ, ચંદ્રમા, કશ્યપ અવતાર, શંખ, વગેરે પચ્ચીસથી વધુ પ્રકારનું ધાર્મિક કલેક્શન છે.

દેવતાઈ આકારના કદાચ દેશના આ પહેલા અને એકમાત્ર સ્ટોન મ્યુઝિયમના ભોંયતળિયે અને પહેલા માળે બન્ને જગ્યાએ મળીને સ્ટોન ઉપરાંત અન્ય કલેક્શનમાં સ્ટોન બુકે, ડિવાઈન કપલ્સ, હાર્ટ, શાકભાજી, ફળ, આઈસક્રીમ, ઍર જેટ, મોતી, પ્રાણીઓ, વ્હાઈટ ડેઝર્ટ, વગેરે આકારના વિવિધ જેમ્સ અને મિનરલ સ્ટોન છે. આઈસક્રીમ તો એવા કે હમણાં હાથમાં લઈને આરોગવા માંડીએ. વિમાન એવું, જાણે હમણાં જ ઉડાણ ભરશે. ડિવાઈન કપલ્સ સ્ટોન વિશે જરા જાણવા જેવું છે. એક જ સ્ટોનના આમાં બે ભાગ છે, જેને જોડો તો ક્યાંથી જુદા થયા એ કહેવું મુશ્કેલ થઈ જાય. મોટા ભાગે નાળિયેરના બે ભાગ જેવા એ દેખાય ને ભેગા કરો તો આખું નાળિયેર! દિલ આકારના પણ ઘણા સ્ટોન છે. સુપર હિટ ફિલ્મ ટાઈટેનિકનું જહાજ પણ તમારી આંખ સામે તરતું દેખાશે. સર્પમુખ, રાણીનો તાજ, પિરામિડ સાથે ક્રિસ્ટલ બુકેનું પણ અનોખું કલેક્શન છે. રુબી ડાયમંડ પર પ્રકાશ પડે એટલે ઉપર લાલ તારા ટમટમતા થઈ જાય.મ્યુઝિયમમાં પેટ્રિફાઈડ વૂડ (લાકડાંમાંથી સ્ટોન) કલેક્શન છે, જેમાં પહેલી નજરે તમે કહી જ ન શકો કે આ પથ્થર છે. સ્પર્શ કરો ત્યારે ખબર પડે કે આ કાષ્ઠ નહીં, પાષાણ છે. આવા અનેક પ્રકારનાં સૌંદર્ય અને આશ્ર્ચર્યથી ભરેલા પથ્થરો અહીં નિવાસ કરે છે. દરેક પથ્થરમાં કનુભાઈનો પ્રેમ તરવરતો જણાય. એ કહે છે: ‘જો જડ પદાર્થ તરીકે મારો જન્મ થાય તો મારો એ જન્મ પથ્થર તરીકે જ હોય.’

કનુભાઈ હીરા ટ્રેડિંગ ઉપરાંત કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. અમરેલીમાં લેઉઆ પટેલ સમાજની હૉસ્ટેલના એ સ્થાપક ટ્રસ્ટી છે.

પથ્થરોના આ સંગ્રહ માટે કનુભાઈનાં અમેરિકા અને ઈંગ્લૅન્ડમાં તથા દેશમાં સમ્માન થયાં છે. સુરત, ગુજરાત અને દેશભરમાંથી તેમ જ વિદેશમાંથી પણ લોકો આ મ્યુઝિયમની મુલાકાત અર્થે આવી રહ્યા છે. (અત્યારે મ્યુઝિયમમાં પ્રવેશ-ફી લેવામાં આવતી નથી.) હૈદરાબાદનાં જેમોલૉજિસ્ટ મીનુબહેન વ્યાસ મુલાકાત બાદ નોંધે છે કે કટ પથ્થરનાં ઘણાં સંગ્રહાલય છે, પણ કુદરતી આકારમાં જ પથ્થરો રાખ્યા હોય એવું આ પહેલું સંગ્રહાલય છે. આવું કામ એક પૅશનેટ માણસ જ કરી શકે.

કનુભાઈ આસોદરિયા ચિત્રલેખાને કહે છે: ‘કરમ ગણેશ આવ્યા બાદ મારા સહિત કેટલાય લોકોનાં ભાગ્ય બદલાયાં છે. પથ્થર સાથે પ્રેમમાં પડવાની પળ પણ આ જ ગણેશ છે. આ દિવ્ય પથ્થરો માણસને દિવ્ય ઊર્જા પૂરી પાડે છે. આ પથ્થરો સુરતને એક આગવી ઓળખ આપે એ જ અભ્યર્થના છે.’

કવિ નિરંજન ભગતની કાવ્યપંક્તિ પથ્થર થર થર ધ્રૂજેમાં થોડા ફેરફાર સાથે કહી શકાય (અહીંના) પથ્થર પળ પળ બોલે…

(અરવિંદ ગોંડલિયા- સૂરત)

(તસવીરો: ધર્મેશ જોશી)

કુર્નુલમાં બસમાં આગ લાગતાં 20 લોકો જીવતા ભૂંજાયા

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના કુર્નુલ જિલ્લામાં એક ખાનગી સ્લીપર બસમાં આગ લાગતાં ભયાનક અકસ્માત થયો હતો. કુર્નુલ જિલ્લામાં બનેલી આ દુર્ઘટનામાં 40 મુસાફરો લઈ બેંગ્લોર જઈ રહેલી બસમાં આગ લાગતાં 20 લોકોનાં મોત થયાં છે. કાવેરી ટ્રાવેલ્સ હેઠળ હૈદરાબાદથી બેગલોર જતી આ બસ ચિન્નાતેકુરુ ગામની પાસે એક બાઇક સાથે અથડાતાં સંપૂર્ણપણે સળગી ખાખ થઈ ગઈ.

પ્રાપ્ત માહિતી મુજબ બસમાં કુલ 41 મુસાફરો સવાર હતા. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. કાવેરી ટ્રાવેલ્સની આ બસ મધરાતના આસપાસ હૈદરાબાદથી રવાના થઈ હતી. જેમ-જેમ તે કુર્નુલ શહેરની બહારની હદ ઉલિંડાકોન્ડા પાસે પહોંચી, પાછળથી આવતી એક બાઇક બસ સાથે અથડાઈ ગઈ.

તેને કારણે બાઇક બસની નીચે ફસાઈ ગઈ અને ઈંધણની ટાંકી સાથે અથડાતાં જોરદાર આગ લાગી. આ આગ ઝડપથી બસમાં ફેલાઈ ગઈ. કુનુલના કલેક્ટર ડો. એ. સિરીએ જણાવ્યું હતું  કે આ દુર્ઘટના સવારે 3થી 3:10 વચ્ચે બની હતી.

આ બસમાં કુલ 41 મુસાફરો હતાં, જેમાંથી 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બાકીના 20માંથી 11ના મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે, બાકીની ઓળખની પ્રક્રિયા ચાલુ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આંધ્ર પ્રદેશના કુરુનૂલમાં બસમાં લાગેલી આગની દુર્ઘટનામાં થયેલા જાનહાનિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ ટ્વિટ કર્યું હતું કેકુર્નુલ જિલ્લાના ચિન્ના ટેકુર ગામની પાસે થયેલી બસ આગની દુર્ઘટનાની ખબર સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેવા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. સરકારી અધિકારીઓ ઘાયલો અને અસરગ્રસ્ત પરિવારોને દરેક શક્ય મદદ કરશે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો