Home Blog Page 516

ચા વેચનારાના ઘરમાંથી 1.05 કરોડ રૂપિયા રોકડ, સોનું જપ્ત

નવી દિલ્હીઃ બિહાર પોલીસે ગોપાલગંજમાં એક ચા વેચનારાના ઘરમાં દરોડો પાડી રૂ. 1.05 કરોડથી વધુ રોકડ અને મોટી માત્રામાં દાગીના જપ્ત કર્યા છે.પોલીસે બે ભાઈઓને ધરપકડ કરી છે, જેઓ પર આંતરરાજ્ય સાયબર ગુનાહિત નેટવર્ક ચલાવવાનો આરોપ છે. ગુપ્ત માહિતીને આધારે પોલીસે 17 ઓક્ટોબરની રાત્રે અમૈઠી ખુર્દ ગામમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે જે સામાન જપ્ત કર્યો તે ચોંકાવનારો હતો.

ચા વેચનારાના ઘરમાંથી રૂ. 1,05,49,850 રોકડ, 344 ગ્રામ સોનું અને 1.75 કિલોગ્રામ ચાંદી મળી આવી। સાયબર DSP અવંતિકા દિલીપકુમારે જણાવ્યું કે જપ્ત કરાયેલા સામાનમાં 85 ATM કાર્ડ, 75 બેંક પાસબુક, 28 ચેકબુક, આધાર કાર્ડ, બે લેપટોપ, ત્રણ મોબાઇલ ફોન અને એક લક્ઝરી કાર પણ સામેલ છે. DSPએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ ઠગાઈથી મેળવેલા પૈસા અનેક બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને પછી તેને રોકડમાં ફેરવતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી અભિષેકકુમાર પહેલા નાની ચાની દુકાન ચલાવતો હતો. બાદમાં તે કથિત રીતે સાયબર ગુનાહિત રેકેટમાં જોડાયો અને દુબઈ ચાલ્યો ગયો, જ્યાંથી તે ઠગાઈના ઓપરેશનનું સંચાલન કરતો હતો. તેની ભાઈ આદિત્યકુમાર ભારતમાં ટ્રાન્ઝેક્શન અને લોજિસ્ટિક્સનું કામ સંભાળતો હતો.

પોલીસે શોધ્યું કે જપ્ત કરાયેલ મોટા ભાગની પાસબુક બેંગલુરુની બેંકોમાંથી જારી થઈ હતી, જેના કારણે તપાસનો વિસ્તાર અન્ય રાજ્યો સુધી વધારવામાં આવ્યો છે. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ ખાતાઓ કોઈ રાષ્ટ્રીય સ્તરના સાયબર નેટવર્ક સાથે જોડાયેલા તો નથીને.

ધરપકડ કરાયેલા બંને ભાઈઓની છેલ્લા બે દિવસથી પૂછપરછ ચાલી રહી છે અને પોલીસે જપ્ત કરાયેલાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ડેટાનું વિશ્લેષણ શરૂ કર્યું છે જેથી નેટવર્કના અન્ય સભ્યોની ઓળખ કરી શકાય. આ તપાસમાં આવકવેરા વિભાગ અને આતંકવાદ વિરોધી દળ (ATS) પણ જોડાઈ ગયાં છે જેથી પૈસાનો સ્ત્રોત અને સંગઠિત સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથેના સંભવિત સંબંધો શોધી શકાય.

 

 

 

NDAના અનેક ઉમેદવારો પર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષ જનતાને લોભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. એ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને આરાના ભૂતપૂર્વ સાંસદ આર. કે. સિંહે NDA ના ઘણા ઉમેદવારો પર ગુનાહિત પૃષ્ઠભૂમિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.

તેમણે ખાસ કરીને તારાપુરના NDA ઉમેદવાર અને ઉપ મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીનું નામ લેતાં કહ્યું હતું કે તેમના પર હત્યાનો આરોપ રહ્યો છે અને વયપ્રમાણપત્રમાં ફર્જીવાડાનો કેસ રહ્યો છે, જેના જવાબ આજ સુધી આપવામાં આવ્યા નથી.આર. કે. સિંહે રવિવારે ભાષણમાં કહ્યું હતું કે બિહારની જનતાએ હવે નક્કી કરવું પડશે કે તે ગુનાહિત અને ભ્રષ્ટ રાજકારણને ફરી તક આપશે કે સ્વચ્છ શાસનને ટેકો આપશે. તેમણે જનતાને અપીલ કરી હતી કે તેઓ કોઈ પણ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારને મત ન આપે, ભલે તે તમારી જ જાતિનો કેમ ન હોય, બિહારનું ભવિષ્ય એટલે બાળકોનું ભવિષ્ય છે.

NOTA નો વિકલ્પ પસંદ કરવો જોઈએ

સિંહે કહ્યું હતું કે જો તમામ ઉમેદવારો ભ્રષ્ટ અથવા ગુનેગાર સ્વભાવના હોય, તો મતદાતાઓએ NOTAનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. તેમના અનુસાર ગુનેગારો અને માફિયા સમર્થિત નેતાઓને મત આપવો એટલે બિહારને પાછા પડતાપણાની દિશામાં ધકેલવું.

તેમણે પોતાના નિવેદનમાં અન્ય ઉમેદવારો સાથે તારાપુરના NDA ઉમેદવાર સમ્રાટ ચૌધરીનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તેમની ઉમેદવારી અંગે જનતામાં પ્રશ્નો ઊઠી રહ્યા છે, જેનું સ્પષ્ટીકરણ હજુ સુધી આપવામાં આવ્યું નથી. તેમના આ નિવેદનથી ભાજપ અને NDA નાં આંતરિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

જનતાના વિશ્વાસ સાથે દગો

NDA ઉમેદવાર અનંત સિંહ પર ગંભીર આક્ષેપ કરતાં આર. કે. સિંહે કહ્યું હતું કે જેમના પર હત્યા, નરસંહાર અને અપહરણ જેવા ગંભીર આરોપો લાગેલા છે, તેમને ટિકિટ આપવી એ જનતાના વિશ્વાસ સાથે દગો કરવો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ 1985માં પટનાના જિલ્લા અધિકારી હતા, ત્યારે અનંત સિંહ, તેમના ભાઈ દિલીપ સિંહ અને વિવેકા સિંહ અનુમંડળ કચેરીની સામે ઉપદ્રવ કરી રહ્યા હતા. “હું પોતે ત્યાં ગયો હતો અને તેમને ખદેડી ને ભગાડ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

ધોરડો બન્યું ‘સોલાર વિલેજ’: વાર્ષિક 16,064 રૂ.નો આર્થિક લાભ થવાનો અંદાજ

કચ્છ: યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે.

દરેક ઘરમાં વાર્ષિક 16 હજાર રૂપિયાથી વધુનો લાભ

પ્રધાનમંત્રી સૂર્યઘર મફ્ત વીજળી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું. આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બની રહ્યા છે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ પ્રોજેક્ટના કારણે ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક 16,064 રૂપિયાનો આર્થિક લાભ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટથી વાર્ષિક 2 લાખ 95 હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વાધારાના યુનિટના લીધ પણ આવક થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ 13 લાખ રૂપિયાથી વધુનો લાભ થવાની સંભાવના છે.આ બાબતે ધોરડો ગામના સરપંચ મિંયા હુસેને જણાવ્યું કે, “આ છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ગામમાં પહેલાથી ઘણો વિકાસ થયો છે. હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઇ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે. સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહિવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે.”

શનિવારવાડામાં મહિલાઓ દ્વારા નમાજ અદા કરવાથી રાજકીય વિવાદ

પુણેઃ ઐતિહાસિક શનિવારવાડા પરિસરમાં કેટલીક મહિલાઓએ નમાજ અદા કર્યાનો વિડિયો વાયરલ થતાં શહેરમાં રાજકીય અને સામાજિક ખળભળાટ મચી ગયો છે. મરાઠા સામ્રાજ્યની શૌર્યગાથાનું પ્રતીક માનવામાં આવતા આ ઐતિહાસિક સ્મારક સ્થાને નમાજ વાંચવાની ઘટનાએ રવિવારે આખા મહારાષ્ટ્રમાં ચર્ચા અને વિરોધની લહેર ઊઠી હતી.

વાયરલ થયેલા વિડિયોમાં ત્રણ મહિલાઓ શનિવારવાડાના ખુલ્લા વિસ્તારમાં નમાજ અદા કરતી જોવા મળી છે. આ વિડિયો સોશિયલ મિડિયામાં ઝડપથી ફેલાતાં  હિંદુ સમાજ અને પતિત પાવન સંસ્થાએ આનો આકરો વાંધો ઉઠાવ્યો હતો.સોમવારે આ સંસ્થાઓએ સ્થળ પર જઈને ‘શિવવંદન’ અને ‘શુદ્ધીકરણ’ અનુષ્ઠાન યોજ્યું, જેને તેમણે ‘મરાઠા ગૌરવની રક્ષા’નું પ્રતીક ગણાવ્યું હતું

આવી પ્રવૃત્તિ સ્વીકાર્ય નથીઃ ભૂતપૂર્વ ભાજપ સાંસદ

ભાજપ નેતા અને ભૂતપૂર્વ સાંસદ ડો. મેધા કુલકર્ણીએ આ ઘટનાને ‘જાણબૂજીને કરાયેલું પગલું’ ગણાવતાં જણાવ્યું હતું કે શનિવારવાડા કોઈ સામાન્ય સ્થાન નથી, આ છત્રપતિ શિવાજી મહારાજની પરંપરાનું પ્રતીક છે. અહીં આ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી.

એ જ રીતે ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ પણ આકરો વિરોધ વ્યક્ત કરતાં રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

પુણે પોલીસે ASIની ફરિયાદને આધારે ત્રણ અજ્ઞાત મહિલાઓ સામે કેસ નોંધ્યો છે. પોલીસે શનિવારવાડાના CCTV ફુટેજ જપ્ત કરી લીધા છે અને વિડિયો સાચો છે કે નહીં તથા તેમાં દેખાતી મહિલાઓની ઓળખ કરવા પ્રયાસો શરૂ કર્યા છે.

પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અફવા કે ઉશ્કેરણીજનક સંદેશાઓમાં વિશ્વાસ ન કરે.

પોલીસે જણાવ્યું છે કે આ ઘટનાની દરેક દિશામાં તપાસ ચાલી રહી છે અને કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપવામાં નહીં આવે.

પાત્રતા

આશ્રમનાં તમામ ઝાડવાંઓ જંપી ગયાં હતાં. પંખીઓ નિદ્રાધીન હતાં. ગૌશાળાની ગાયો પણ આંખો મીંચીને જાણે સમાધિસ્થ થઈ હતી.

મધ્યરાત્રીની નીરવતાનું સામ્રાજ્ય સર્વત્ર છવાયેલું હતું.
ગઈકાલે પડેલા અનરાધાર વરસાદના જોરની પકડમાંથી આકાશ હજી પૂરેપૂરું છૂટ્યું ન હોય એમ મ્લાન અને તારલિયા વિહીન હતું અને એટલે જ ગુરુપૂર્ણિમાની રાત્રિનું આકાશ પણ ચંદ્રવિહોણું અંધારિયું દીસતું હતું.

આશ્રમની એક કુટિરમાં સ્વામીજી પડખાં બદલતા હતા. એ જ એકમાત્ર ગતિશીલતાને બાદ કરતાં સમગ્ર વાતાવરણ કોઈ ચિત્રકારે ઘટ્ટ રંગોથી દોરેલી છબિ જેવું સ્થિર……!

આમ તો સ્વામીજીની ઊંઘ ગણીને ચાર કલાકની જ, પણ આજે તો એય તે છેટી ભાગી ગઈ હતી.રાત્રે આશ્રમે આવતાં સંસારીઓ સાથે જ્ઞાન-ઉપદેશનો સત્સંગ કરીને હરિ—સ્મરણ કરતાં—કરતાં નિદ્રાધીન થતા અને બ્રાહ્મમુહૂર્તમાં જાગી નિત્યકર્મ આટોપીને ધ્યાનમાં બેસવાનો એમનો ક્રમ હતો.

પરંતુ આજે તો સત્સંગ સભામાંથી ઊઠ્યા પછી જાણે કે મનનાં મરકટવેડા શરૂ થયા હતા..!

ગામના સરપંચની એકની એક દીકરી નિર્મલા નાની બાળ- વિધવા થઈ હતી. બીજી વાર સંસાર માંડવા પ્રત્યે રુચિ ન રહેતાં એણે પોતાનું મન પ્રભુભજનના માર્ગે વાળ્યું હતું. સરપંચ પણ દીકરીના નિર્ણયને પૂરું માન આપતા હતા. નિર્મલા કાયમી ધોરણે પિયરમાં આવ્યા પછી નિયમિતપણે આશ્રમે આવતી. સ્વામીજી સાથે ધર્મ-વેદ-પુરાણ-ઉપનિષદના શાસ્ત્રાર્થ કરવામાં ઉભયપક્ષને અનેરો આનંદ આવતો.

ગુરુપૂર્ણિમાના દિવસે નિર્મલાએ સ્વામીજીનું ભાવભક્તિપૂર્વક પૂજન કર્યું હતું.

સરપંચની હાજરીમાં જ નિર્મલાએ સ્વામીજીને ગુરુપદે સ્થાપવાનો પોતાનો મનોરથ રજૂ કર્યો હતો. ઘણી હોંશથી એકાગ્રચિત્તે શિવ ઉપાસના કરી શકાય એ હેતુથી ઘરથી દૂર શ્રાવણ માસ ગાળવા માટે નિર્મલા આશ્રમમાં રહેવા આવી ગઈ હતી.

રાત્રિની સત્સંગસભામાં નિર્મલાએ જે જ્ઞાનોપદેશ આપ્યો એનાથી સ્વામીજી અભિભૂત થઈ ગયા હતા. જાણે કે નાભિમાંથી ફૂટતી સત્ય વાણીની અસર સમગ્ર વાતાવરણમાં વ્યાપેલી હતી.

સંન્યાસ લીધાનાં આટલાં વરસો પછી પણ સ્વામીજીના વ્યક્તિત્વમાં જે આભા નહોતી ખીલી તે ઓજસનો તાપ સ્વામીજીને નિર્મલાના સમગ્ર અસ્તિત્વમાંથી ઝરતો અનુભવાયો.

મનમાં સાતમા પાતાળેથી એક ઈચ્છાએ જાણે કે પોતાની ફેણ ઊંચકીને ફુત્કાર કર્યો. વૃત્તિઓને જીતી લીધાના ભ્રમે જાણે કે ડંશ દીધો હોય એમ રૂંવાડે-રૂંવાડે લબકારા ઊપડ્યા.

જપ-ધ્યાનને વીસરી જઈ સ્વામીજી અવશપણે નિર્મલાની કુટીર તરફ દોરવાયા.

ફૂલક્યારી વટાવીને જ્યાં કુટીરની ઓટલી પાસે પહોંચ્યા કે પગ થંભી ગયા….!!!

કુટીરના અર્ધખુલ્લા દ્વારમાંથી દેખાયેલ દૃશ્ય.

ધૂપ અને પ્રજ્વલિત દીપની સામે આંખો મીંચીને પદ્માસન વાળીને ધ્યાનમાં બેઠેલી નિર્મલાના હોઠ આછું—આછું કંપતા હતા.

સ્વામીજી જાણે કે ખીણની ધારેથી પાછા ફરતા હોય એમ ધ્રૂજતા પગલે પરત ફરી ગયા.

(રેખાબા સરવૈયા)

(લેખિકા હાલમાં પોરબંદર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ ઉપરાંત કવિતા, વાર્તા અને નિબંધોથી જાણીતું નામ છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

મનોજ પોતાના ગીતોવાળી પહેલી ફિલ્મ જોઈ શક્યા નહીં! 

મનોજ મુંતશિરને ફિલ્મ ‘એક વિલન’ (2014) ના ‘તેરી ગલિયાં’ ગીતથી ભારે લોકપ્રિયતા મળી હતી પણ એમનું લખેલું એ 40 મું ગીત હતું. સંગીતકાર અંકિત તિવારીએ જ્યારે એ ગીત રેકોર્ડ કરીને સાંભળવા મોકલ્યું ત્યારે મનોજને વિશ્વાસ ન હતો કે એ આટલું લોકપ્રિય થશે.

ગીતકાર તરીકે પહેલી ફિલ્મ મળી હતી એને થિયેટરમાં જોઈ ના શક્યા અને અમિતાભ સાથેની પહેલી મુલાકાત કેવી રહી હતી એની અજાણી અને રસપ્રદ વાતો મનોજ મુંતશિરે એક મુલાકાતમાં લાગણીશીલ બનીને કહી છે.

મુંબઇ આવ્યા પછી મનોજને ગીતકાર અને સંવાદ લેખક તરીકે કામ તો મળતું રહ્યું હતું પણ લોકપ્રિયતા માટે ૧૫ વર્ષનો લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. મનોજ પહેલાં ટીવી સિરિયલો માટે લખતા હતા. દરમ્યાનમાં અમિતાભ બચ્ચનને એમના કામની ખબર પડી હતી અને ‘કૌન બનેગા કરોડપતિ’ માટે ઇન્ટરવ્યુ લીધો હતો. એમણે મનોજ લખતો હતો એ ‘યાત્રા’ નામના શૉ વિશે જાણ્યું હતું. અને એને મળવા બોલાવ્યો હતો.

મનોજ પોતાની પાસે સારા કહી શકાય એવા જે કપડાં હતા એ પહેરીને હોટલમાં અમિતાભને મળવા ગયો હતો. જ્યારે એને બોલાવવામાં આવ્યો ત્યારે એમણે પૂછ્યું કે,‘બતાવ, શું લખે છે?’ મનોજ એમની પ્રતિભાથી અંજાઈ ગયો અને જલદી કશું બોલી શક્યો નહીં એટલે ફરી પૂછ્યું,‘સંભળાવો, શું લખ્યું છે?’ ત્યારે મનોજને ટીવી શૉ લખવાનો કોઈ અનુભવ ન હતો. તે ગીતકાર તરીકે સંઘર્ષ કરી રહ્યો હતો. અત્યાર સુધી મહાન લેખકોનું જે પણ કંઇ વાંચ્યું હતું અને ચિંતન કર્યું હતું એના આધારે પાંચ મિનિટ સુધી બોલતો જ રહ્યો.

અમિતાભે એને અટકાવીને કહ્યું કે,‘બસ. તારી ભાષા સારી છે.’ પછી પૂછ્યું કે,‘ક્યાંથી છું?’ મનોજથી ન જાણે કેમ ખોટું કહેવાય ગયું કે,‘અલ્હાબાદથી.’ અમિતાભે તરત કડક અવાજે કહ્યું કે,‘પ્રભાવિત કરવાનો પ્રયત્ન ના કરીશ. સાચું બોલ.’ મનોજે કહ્યું કે,‘હું અલ્હાબાદમાં ભણ્યો છું. પણ અમેઠીનો છું.’ અમિતાભે કહ્યું કે,‘એમ બોલ ને. અલ્હાબાદ કેમ બોલે છે?’ મનોજે માફી માંગી લીધી. એ બસ પકડીને ઘરે પહોંચ્યો એ પહેલાં જ પેજર પર સંદેશ આવી ગયો કે તમને ‘કેબીસી’ માટે પસંદ કરી લેવામાં આવ્યા છે. જ્યારે મનોજને કરાર સહી કરવા આપવામાં આવ્યો ત્યારે એમાં પ્રતિ દિવસના રૂ.33000 મળશે એમ લખ્યું હતું. મનોજને પહેલાં તો એ આંકડા પર વિશ્વાસ આવ્યો ન હતો. પણ એ સાચું હતું.

મનોજની ગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ‘યુ બોમસી એન્ડ મી’ નો કિસ્સો પણ નવાઈ પમાડે એવો છે. 2005 માં ફિલ્મ થિયેટરમાં રજૂ થઈ હતી. ગીતો લખતી વખતે એ નાની છે કે મોટી એવું મનોજે જોયું ન હતું. કેમકે તે માને છે કે ફિલ્મ બને છે ત્યારે એ મોટી જ હોય છે. જ્યારે એને કોઈ જોતું નથી કે સફળ થતી નથી ત્યારે એ નાની બની જાય છે. ફિલ્મનું નિર્માણ ‘યૂનિવર્સલ સંગીત કંપની’ એ કર્યું હોવાથી મનોજ બહુ ખુશ હતો.

પોતાની પહેલી ફિલ્મ હોવાથી મનોજે સંગીતકાર દીપક પંડિતને પણ થિયેટર પર બોલાવ્યો હતો. મનોજ જ્યારે પત્ની નીલમ અને દીપક સાથે થિયેટર પર ગયો અને ટિકિટબારી પર ત્રણ ટિકિટ માંગી ત્યારે એણે કહ્યું કે હમણાં બાજુ પર ઊભા રહો. ત્રણ માણસ માટે ફિલ્મ ચાલુ કરીશું નહીં. કોઈ બીજા આવશે તો ફિલ્મ ચલાવવામાં આવશે. અને એ ફિલ્મ જોવા બીજું કોઈ આવ્યું ન હોવાથી મનોજ પોતાની પહેલી ફિલ્મ જોઈ શક્યો ન હતો. લગભગ 9 વર્ષ પછી ફિલ્મ ‘એક વિલન’ ના ગીતોએ મનોજનું જીવન બદલી નાખ્યું હતું.

૨૧ ઑક્ટોબર ૨૦૨૫

સોનીના સો તો લુહારનો એક

 

સોનીના સો તો લુહારનો એક

 

સોની દાગીના ઘડે છે. સોનું એ મોંઘી ધાતુ છે અને દાગીના ઘડવા માટે એનો જથ્થો પણ ઓછો હોય એટલે સોનીના ઓજારો અને ખાસ કરીને હથોડી નાની હોય છે. એ હથોડીથી ધીરે ધીરે ટીપીને દાગીનાને ઘાટ આપે.

આથી ઊલટું લુહાર લોખંડ સાથે કામ કરે છે. એ જે ઓજારો ટીપીને બનાવે છે એમાં કોશથી માંડીને ધારિયું કે તલવાર સુધીની વસ્તુઓ આવી જાય.

આ લોખંડને પહેલાં ભઠ્ઠીમાં લાલચોળ તપાવવું પડે અને ત્યાર પછી એને જોરદાર ફટકો મારીને ઘડવા માટે જે વપરાય તે હથોડીનો એકદમ મોટો ભાઈ ઘણ કહેવાય. ધગધગાવીને ગરમ કરેલું લોઢું એરણ પર મૂકી જોરથી આ ઘણ એના ઉપર ઝીંકવો પડે.

આમ સોની હથોડીથી જે ટીકટીક કર્યા કરતો હોય તેની સરખામણીમાં લુહારનો ઘણ ખૂબ મોટો ફટકો મારે. આ કહેવત કોઈ પ્રમાણમાં નિર્બળ માણસ નાની નાની હરકતો કરીને કોઈ સબળ વ્યક્તિને હેરાન કરતો હોય ત્યારે વપરાય છે જેનો અર્થ થાય આવી અનેક નાની નાની હરકતો સામે પેલા સબળ માણસનો એક જ વળતો પ્રહાર કાફી છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

દિગ્ગજ અભિનેતા અસરાનીનું નિધન

દિગ્ગજ બોલીવુડ અભિનેતા અને હાસ્ય કલાકાર અસરાની હવે આપણી વચ્ચે નથી. તેમનું સોમવારે, દિવાળીના દિવસે અવસાન થયું. અસરાની, જેમનું પૂરું નામ ગોવર્ધન અસરાની હતું, ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને સારવાર લઈ રહ્યા હતા. જોકે, 20 ઓક્ટોબરના રોજ, તેમનું 84 વર્ષની વયે અવસાન થયું, જેના કારણે તેમના પરિવાર અને ઘણા ચાહકો રડી પડ્યા.

અસરાનીને ફેફસાંની સમસ્યાને કારણે છેલ્લા પાંચ દિવસથી આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાના મેનેજર બાબુભાઈ થિબાએ અસરાનીના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ ઘણા દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

અસરાનીનું આજે અવસાન થયું, અને થોડા જ સમયમાં, તેમના પરિવારે સાંતાક્રુઝ વેસ્ટના શાસ્ત્રીનગર સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા. આ પાછળનું કારણ અસરાની હતા. પરિવારના જણાવ્યા અનુસાર, અસરાની ઇચ્છતા ન હતા કે તેમના મૃત્યુના કોઈ હંગામો કે સમાચાર આવે. તેથી, તેમના અંતિમ સંસ્કાર ઝડપથી કરવામાં આવ્યા.