Home Blog Page 527

લંડનમાં દસ લાખ પ્રવાસીઓએ અદાણી ગ્રીન એનર્જી ગેલેરીની લીધી મુલાકાત

લંડનઃ વિશ્વ કેવી રીતે વધુ ટકાઉ ઊર્જાનું ઉત્પાદન અને ઉપયોગ કરી શકે તેનું અન્વેષણ કરતી લંડનમાં સાયન્સ મ્યુઝિયમમાં માર્ચ, 2024ના અંતમાં ખુલ્લી મુકાયેલી અદાણી ગ્રીન એનર્જી ગેલેરી એક એવોર્ડવિજેતા નિઃશુલ્ક ગેલેરીએ અત્યાર સુધીમાં 10 લાખ મુલાકાતીઓનું ભલે પધાર્યાના બોલથી સ્વાગત કર્યું છે.

યુકે અને વિદેશની ટેક્નોલોજી અને પ્રકલ્પોને પ્રકાશિત કરતી આ ગેલેરીમાં ઓર્કની પર હાઇડ્રોજન પાવરથી લઈને ભારતમાં ટેરાકોટા એર-કુલિંગ ફેસેડ્સ અને મોરોક્કોમાં સોલાર ફાર્મ સુધીની પ્રસ્તુતિ પરિવારો અને શાળા જૂથો બંનેમાં લોકપ્રિય બની છે. ગેલેરી ખુલ્લી મૂકવામાં આવ્યા બાદ ૧0,000થી વધુ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાતોના ભાગરૂપે ગેલેરીનું અન્વેષણ કર્યું છે.

અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે લાખો મનને પ્રેરણા આપતી અને ટકાઉપણું અને નવીનતા વિષે સંવાદ પ્રસ્થાપિત કરતી અદાણી ગ્રીન એનર્જી ગેલેરીના માધ્યમથી અમે ઊર્જા ક્રાંતિના સાક્ષી બનતા સન્માનની લાગણી અનુભવીએ છીએ. અમે માનીએ છીએ કે અદાણી ગ્રીન એનર્જી ટકાઉ ભવિષ્ય બોલ્ડ નવીનતા અને સામૂહિક કામકાજના મૂળ ધરાવે છે. હરિયાળી આવતી કાલને આકાર આપવાની સહિયારી પ્રતિબદ્ધતાને આ સીમાચિહ્ન પ્રતિબિંબિત કરે છે અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવામાં શિક્ષણની શક્તિ દર્શાવે છે. તેમણે સાયન્સ મ્યુઝિયમ ગ્રુપને આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે સ્વચ્છ, વધુ સ્થિતિસ્થાપક વિશ્વ માટે જિજ્ઞાસાને ઉત્તેજિત કરતી અને ઉકેલોને પોષતી આ ગેલેરીને સહયોગ કરવાનું ગૌરવ અનુભવીએ છીએ.

સાયન્સ મ્યુઝિયમ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ અને ડિરેક્ટર સર ઇયાન બ્લેચફોર્ડે જણાવ્યું હતું કે મુલાકાત લેનારાઓમાં જિજ્ઞાસા જગાડવામાં મદદરૂપ થતી છે અને વધુ ટકાઉ રીતે ઊર્જા ઉત્પન્ન કરવા અને ઉપયોગ કરવાની જરૂરિયાત વિશે સંવાદ શરૂ કરતી આ અનોખી ગેલેરીમાં લાખો મુલાકાતીઓનું સ્વાગત કરવાનો અમને અતિ આનંદ છે. ગેલેરીની એવોર્ડવિજેતા ડિઝાઇન અને પ્રદર્શનમાં રહેલી નોંધપાત્ર વસ્તુઓ પાછળની કથાઓનો આ પ્રભાવશાળી સીમાચિહ્ન હાંસલ કરવું એ પુરાવો છે. જેણે આ ગેલેરીને શક્ય બનાવી એવા અદાણી ગ્રીન એનર્જીનો આ ઉદાર પ્રાયોજકતા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

ઊર્જા ક્રાંતિ:’અનનોન વર્ક્સ’ દ્વારા અદાણી ગ્રીન એનર્જી ગેલેરીના આર્કિટેક્ટ અને સ્ટુડિયોની ડિઝાઇન કરવામાં આવી હતી. તાજેતરમાં ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન માટે તેના ટકાઉ અભિગમ માટે આર્કિટેક્ટ્સ જર્નલ તરફથી રેટ્રોફિટ અને રિયુઝ એવોર્ડથી નવાજવામાં આવી હતી.એવોર્ડવિજેતા ડિઝાઇનના ભાગ રૂપે મ્યુઝિયમના જૂની વસ્તુઓના સ્ટોરમાંથી ૨00થી વધુ બિનજરૂરી ધાતુના છજાઓનો ઉપયોગ આ ગેલેરીમાં વસ્તુઓ પ્રદર્શિત કરવા કરવામાં આવ્યો છે.સરળતાથી રિસાઇકલ કરી શકાય એ હેતુથી શક્ય હોય ત્યાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેલેરીને પ્રકાશિત કરવા માટે ઊર્જા-કાર્યક્ષમ LEDનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને કારણે ગેલેરીના નિર્માણ અને સતત કામગીરીમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળી રહી છે.

 

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા

ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા. આ રાજીનામાં જગદીશ વિશ્વકર્માને સુપરત કરવામાં આવ્યા હતા, જેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાની સૂચના આપી હતી.

જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામાં આપ્યા છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું. મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને અહેવાલો મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે.

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે એટલે કે ગુરુવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે સવારે પધારશે.

બૉલિવૂડ દિવાળી પાર્ટીમાં ઋતિક રોશનથી લઈ મૃણાલ સહિતના સેલેબ્સના લૂક જુઓ

ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને નિર્માતા રમેશ તૌરાનીએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દિવાળી પાર્ટીની રાત અનેક સેલિબ્રિટીઝથી ઝળહળી ઉઠી હતી. ઋતિક રોશનથી લઈને મૌની રોય અને નોરા ફતેહી સુધી, ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતાં. ચાલો દરેક સ્ટારના લુક પર એક પછી એક નજર કરીએ.

ઋતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પાર્ટીમાં પહોંચ્યા હતાં. તો સુનિતા અહુજા પુત્ર સાથે હાજર રહી હતી. અભિનેત્રી મૌની રોય, મૃણાલ ઠાકુર, માનુષી છિલ્લર,નુસરત ભરુચા, જેક્લિન અને નોરા ફતેહિ સહિત અનેક સેલેબ્સે પાર્ટીમાં હાજરી આપી તેને ખાસ બનાવી હતી.


(તસવીરો: દીપક ધૂરી)

ઓબીસી ક્વોટા વધારવાને મામલે તેલંગાણા સરકારને ‘સુપ્રીમ’ આંચકો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તેલંગાણા સરકારને આંચકો આપ્યો છે. કોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પછાતના વર્ગો (Backward Classes) માટેનું આરક્ષણ 42 ટકા સુધી વધારવાની રેવંત રેડ્ડી સરકારની અરજી ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતા સમિતિએ આ મામલે સુનાવણી કરી હતી. તેલંગાણા સરકારે સરકારી આદેશ નંબર 9 પર હાઈકોર્ટ દ્વારા લગાવાયેલી રોકને પડકાર્યો હતો, જેમાં પછાતના વર્ગો માટે આરક્ષણ વધારવાની માગ કરવામાં આવી હતી.

રાજ્યનો તર્ક હતો કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઓબીસી માટે આરક્ષણ 42 ટકા સુધી વધારવું એ એક નીતિગત નિર્ણય છે, જેને કારણે કુલ આરક્ષણ 67 ટકા થઈ જશે. આ સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ નાથે તેલંગાણા સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું હતું કે ચૂંટણીની જાહેરાત પહેલાં પછાતના વર્ગો માટે આરક્ષણ કેમ લાગુ ન થયું. સિંઘવીએ જવાબ આપ્યો હતો કે રાજ્યપાલે બિલને અટકાવ્યું હતું, પરંતુ તે “મૌન સ્વીકૃતિ”ને આધારે કાયદો બની ગયો હતો. તેમણે તામિલનાડુ રાજ્યપાલના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો. તેમણે દલીલ કરી હતી કે કાયદાને પડકાર્યા વિના જ તેના પર રોક લગાવવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું કે ચૂંટણી હાલના આરક્ષણના આધારે યોજવી જોઈએ. કોર્ટે એ પણ કહ્યું હતું કે આરક્ષણની મર્યાદા કરતાં વધુ છૂટ માત્ર અનુકૂળ વિસ્તારો અને જનજાતિ વિસ્તારોમાં જ લાગુ પડે છે, જે તેલંગાણામાં નથી.

સિંઘવીએ રાજ્યમાં કરાયેલા વ્યાપક સામાજિક–આર્થિક અને જાતિ સર્વેનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે રાજ્યને આરક્ષણ નક્કી કરવાનો અધિકાર છે. કૃષ્ણમૂર્તિ કેસમાં આપવામાં આવેલા અગાઉના ચુકાદાઓને યાદ કરાવતા સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય વિસ્તારોમાં ત્રિસ્તરીય પરિક્ષણ (Triple Test) હોવા છતાં આરક્ષણ 50 ટકા કરતાં વધુ ન હોઈ શકે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોને પણ વધારેલા આરક્ષણને લઈને સુપ્રીમ કોર્ટના અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદ: દિવાળી નિમિત્તે રોશનીથી ઝળહળી ઉઠ્યું નગર

અમદાવાદ: દિવાળીના તહેવારો શરુ થાય એ પહેલાં શહેરનો પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. અંધકારને ભગાડી ઉજાસ પાથરતા આ તહેવારમાં આધુનિકતાએ પ્રવેશ કર્યો છે. જેના કારણે દીવડાંની જ્યોતિની સાથે હવે ડીઝાઈનર રોશનીથી ઈમારતો અને માર્ગો ઉજાસ પાથરી રહ્યા છે.

દિવાળી નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટ, સાબરમતી નદી પરના બ્રિજ, નવા બંધાયેલા ઓવર બ્રિજ, અંડરબ્રિજ તમામ દરવાજા પર રોશની કરી છે. આ સાથે કેટલીક સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઈમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. હેરિટેજ સ્થાપત્યોની સાથે મંદિરોને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે.દિવાળીના તહેવારો નજીક આવતાં જ શહેરમાં ધીરે ધીરે બજારોમાં તેજી આવતી જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)

સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલનું વાર્ષિક સ્ટાર્ટ-અપ પિચ ચેલેન્જ

અમદાવાદ: સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ (SJIS) એ પોતાના વાર્ષિક સ્ટાર્ટ-અપ ધ પિચ ચેલેન્જ 2025નું સફળ સમાપન કર્યું. જેમાં ધોરણ 10ના 43 વિદ્યાર્થીઓએ પોતાના નવીન બિઝનેસ આઇડિયાઝ રજૂ કર્યા હતા.SJIS કેમ્પસમાં યોજાયેલી આ શાર્ક ટેંક -સ્ટાઇલ સ્પર્ધામાં વિધ્યાર્થીઓએ સંપૂર્ણ બિઝનેસ પ્લાન રજૂ કર્યા. જેમાં પ્રોડક્ટ ડિઝાઇન, નાણાકીય અંદાજ, માર્કેટિંગ સ્ટ્રેટેજી અને ફંડિંગ પ્રસ્તાવનો સમાવેશ હતો — અને તે પણ પેનલ સામે જેમાં અનુભવી ઉદ્યોગપતિઓ સામેલ હતા.

વિદ્યાર્થીઓના વિચારોમાં પુનઃઉપયોગી બોટલથી લઈને રેકેટ ગ્રિપ, પરફ્યુમ્સ અને હાઇબ્રિડ બાઇક જેવી વિવિધતા જોવા મળી. છેલ્લા છ મહિનામાં, વિદ્યાર્થીઓએ શાયના શાહના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગસાહસિકતાના દરેક તબક્કાઓ શીખ્યા — પ્રોડક્ટ રિસર્ચ અને બિઝનેસ વેલિડેશનથી લઈને પિચ તૈયાર કરવી અને જાહેર ભાષણ આપવાની કુશળતા સુધી.શાયના શાહએ જણાવ્યું “આ માત્ર સ્કૂલ પ્રોજેક્ટ નથી. આ ખરેખર વિશ્વ-તૈયાર બિઝનેસ પ્લાન છે. અમારા વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે તેઓ વિચારવા, બોલવા અને કાર્ય કરવા માટે તૈયાર છે — એક સાચા ફાઉન્ડર તરીકે.”

2025ની આવૃત્તિના વિજેતાઓ હતા:

  • પ્રથમ પુરસ્કાર: જોના અને ગ્રેસી — તેમની નવીન પુનઃઉપયોગી બોટલ વ્યવસાય માટે
  • પ્રથમ રનર્સઅપ: ગ્રીમા અને સમ્યક — રેકેટ ગ્રિપ પર આધારિત સ્પોર્ટ્સ એક્સેસરી સ્ટાર્ટઅપ માટે
  • બીજા રનર્સઅપ: નમન અને હિર્વી — તેમના સુંદર અને સ્કેલેબલ પરફ્યુમ વેન્ચર માટે

વિજેતાઓને ₹50,000 અને વધુ મૂલ્યની સ્કોલરશિપ આપવામાં આવી, પરંતુ સૌથી મોટું ઇનામ હતું — અનુભવ, સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ જે દરેક વિદ્યાર્થી સાથે લઈને ગયા.

જ્યુરી પેનલમાં મૃણાલ વેદ (સ્થાપક, ફિટફોર્મન્સ), અભિવંદન લોઢા (ડાયરેક્ટર, એવોકેબ), જૈનિલ શાહ (પ્રોફેસર અને જાહેર વક્તા), નિરાલી પંડિત (કાઉન્સિલર અને મોટિવેશનલ કોચ), શિવમ પટવાલા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), અને શ્રીરામ નાયર (રેસ્ટોરેન્ટર)નો સમાવેશ થાય છે.

SJIS છેલ્લા 25 વર્ષથી ઉદ્યોગસાહસિક શિક્ષણમાં અગ્રણી રહ્યું છે, જેનો અનોખો અભ્યાસક્રમ ડૉ. હિના શાહ દ્વારા રચાયેલ છે. આ કાર્યક્રમ ધોરણ 1 થી ધોરણ 10 સુધી ચાલે છે, જેમાં દરેક વર્ષે વિદ્યાર્થીઓના બિઝનેસ જ્ઞાન, સમીક્ષાત્મક વિચાર અને વાસ્તવિક વિશ્વના ઉપયોગને વિકસાવવામાં આવે છે.

હેરસ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ પર 32 FIR: કરોડોના ક્રિપ્ટો કૌભાંડનો આરોપ

નવી દિલ્હી: પ્રસિદ્ધ હેરસ્ટાઇલિસ્ટ જાવેદ હબીબનું નામ હવે એક મોટા ક્રિપ્ટો છેતરપિંડી કેસમાં સામેલ છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના પોલીસ દળે બુધવારે દિલ્હીમાં તેમના ઘરે દરોડા પાડ્યા હતા, પરંતુ તેઓ ત્યાં હાજર નહોતા. પોલીસના જણાવ્યા અનુસાર હબીબ હાલ પૂછપરછથી બચી રહ્યા છે અને ફરાર છે. પોલીસે તેમને જલદી હાજર થઈ તપાસમાં સહકાર આપવા આદેશ આપ્યો છે.

કરોડોની છેતરપિંડી, 32 FIR નોંધાઈ

હબીબ પર અંદાજે 5થી 7 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ સ્કેમનો આરોપ છે. અત્યાર સુધી તેમના વિરુદ્ધ 32 FIR નોંધાઈ ચૂકી છે. આ કેસમાં તેમના પુત્ર અનસ અને ભાગીદાર સૈફુલનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ કહે છે કે આ લોકોએ ઊંચા વળતરના લાલચમાં લોકો પાસેથી રૂપિયા લીધા, પરંતુ નક્કી કરેલા સમય બાદ પણ રોકાણકારોને પૈસો પાછા આપ્યા નથી.

શું છે જાવેદ હબીબનો ફ્રોડ કેસ?

હબીબ અને તેમના સાથીઓએ Follicle Global Company (FLC) નામની નકલી યોજના દ્વારા લોકો પાસેથી મૂડીરોકાણ કરાવ્યું હતું. આ યોજનામાં રોકાણકારો પાસેથી 5થી 7 લાખ રૂપિયા સુધી લેવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે તેમને બિટકોઈન (Bitcoin) અને બાઈનાન્સ કોઈન (Binance Coin)માં 50 ટકાથી 70 ટકા સુધીનું રિટર્ન મળશે.

સંભલના રોયલ પેલેસ વેન્કેટ હોલમાં 2023માં એક ઇવેન્ટ પણ યોજાઈ હતી, જેમાં આ સ્કીમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યાનુસાર આશરે 150 લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ કોઈને રિટર્ન નથી મળ્યું.

પોલીસની કડક કાર્યવાહી, લુકઆઉટ નોટિસ જાહેર

સંભલ પોલીસે જણાવ્યું છે કે કુલ 5થી 7 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ કારણે જાવેદ હબીબ, તેમના પુત્ર અને પરિવાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે.

વકીલ પવન કુમારે જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ રીતે પોલીસની તપાસમાં સહકાર આપી રહ્યા છીએ, પરંતુ હબીબની તબિયત હાલ સારી નથી.

શું સોનાક્ષી સિન્હા પ્રેગ્નેન્ટ છે? પતિ ઝહીરે આપ્યું આવું રિએક્શન

અભિનેત્રી સોનાક્ષી સિંહાના ગર્ભાવસ્થાના સમાચાર પર ઝહીર ઇકબાલે રમુજી પ્રતિક્રિયા આપી છે. વાયરલ વીડિયો પર ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં સોશિયલ મીડિયા પર તેના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. તાજેતરના એક કાર્યક્રમમાં તેના લુકથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા, જેનાથી તેણી ગર્ભવતી હોવાની અફવાઓ ફેલાઈ ગઈ. જોકે, આ અફવાઓ ફેલાતાં જ તેના પતિ ઝહીર ઇકબાલે એક એવો જવાબ આપ્યો જેનાથી ચાહકો મજાક ઉડાવી રહ્યા છે.

જ્યારે સોનાક્ષી સિંહા તેના પતિ ઝહીર ઇકબાલ સાથે ફિલ્મ નિર્માતા વિક્રમ ફડનીસની 35મી વર્ષગાંઠની ઉજવણીમાં પહોંચી, ત્યારે તેના ઢીલા ઓફ-વ્હાઇટ અને ગોલ્ડન આઉટફિટે બધાનું ધ્યાન ખેંચ્યું. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે અનુમાન લગાવ્યું હતું કે અભિનેત્રી કદાચ બાળકની અપેક્ષા રાખી રહી છે. જોકે, આ અફવાઓ અંગે અભિનેત્રી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, તેના પતિએ રમૂજી પ્રતિભાવ આપ્યો જેણે અફવાઓનો અંત લાવ્યો.

ઝહીરનો રમૂજી પ્રતિભાવ

ગઈકાલે ઝહીર અને સોનાક્ષી રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઝહીરે કેમેરા સામે મજાકમાં સોનાક્ષીના પેટ પર હાથ મૂક્યો. આ હાવભાવ જોઈને સોનાક્ષી હસવા લાગી, અને ત્યાં હાજર બધા હસવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. નેટીઝન્સે કહ્યું કે આ પ્રકારની રમૂજ તેમની કેમિસ્ટ્રીને પ્રતિબિંબિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોનાક્ષી-ઝહીરનું ટેટૂ વાયરલ થયું

4 ઓક્ટોબરના રોજ આ દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર તેમના મેચિંગ ટેટૂઝના ફોટા શેર કર્યા. તેમના બંને હાથ પર “એકબીજાની જીવનરેખા 04.10.2024” લખેલું હતું. ચાહકોએ ટેટૂઝ જોઈને કહ્યું કે તેમનો સંબંધ ફક્ત પ્રેમ પર નહીં, પરંતુ ઊંડી સમજણ અને વિશ્વાસ પર આધારિત છે.

અલગ અલગ ધર્મો હોવા છતાં એક સુંદર સંબંધ
સોનાક્ષી અને ઝહીરે 23 જૂન, 2024 ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરે એક સાદા સમારંભમાં લગ્ન કર્યા. બાદમાં તેઓએ બાસ્ટિયન રેસ્ટોરન્ટમાં ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું. લગ્ન પછી એક મુલાકાતમાં, સોનાક્ષીએ તેના આંતરધાર્મિક લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી. તેણીએ કહ્યું કે ધર્મ તેમની વચ્ચે ક્યારેય આવ્યો નથી.

 

વિદેશી ભાગેડુઓ સામે ગુનેગારો સામે ઝીરો ટોલરન્સઃ અમિત શાહ

નવી દિલ્હીઃ આર્થિક ગુનેગારો, સાયબર ગુનેગારો, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો અને અન્ય તમામ ભાગેડુઓ સામે કડક વલણ અપનાવવું જોઈએ જેથી તેમને ભારતીય ન્યાય પ્રણાલી સમક્ષ લાવી શકાય એમ ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું.

દિલ્હીમાં CBI દ્વારા આયોજિત ભાગેડુઓનું પ્રત્યાર્પણ — પડકારો અને રણનીતિઓ વિષયક પરિષદને સંબોધિત કરતાં શાહે કહ્યું હતું કે ફક્ત ભ્રષ્ટાચાર, ગુના અને આતંકવાદ સામે જ નહીં, પરંતુ ભારતની બહારથી સક્રિય ગુનેગારો સામે પણ ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવવો જોઈએ.

બધા ભાગેડુઓને કાયદાના ઘેરા હેઠળ લાવવાનું આહવાન

બધા ભાગેડુઓને કાયદાની જાળમાં લાવવા માટે અને તેના માટે એક નિશ્ચિત તંત્ર સ્થાપિત કરવા માટે પ્રયાસ થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ચાહે તેઓ આર્થિક ગુનેગારો હોય, સાયબર ગુનેગારો હોય, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય કે સંગઠિત ગુનાહિત નેટવર્કનો ભાગ હોય — દરેક ભાગેડુ સામે કડક વલણ અપનાવવું જોઈએ જેથી તેમને ભારતીય ન્યાય પ્રણાલી સમક્ષ લાવી શકાય. હવે એ માટે સમય આવી ગયો છે.

મોદીની સરકારે આવા અચૂક ઉપાયો કર્યા છે કે જેથી કોઈ પણ ગુનેગાર કાયદાની પકડમાંથી છટકી ન શકે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં એક શક્તિશાળી ભારત ફક્ત પોતાની સીમાઓની સુરક્ષા જ સુનિશ્ચિત કરી રહ્યું નથી, પરંતુ કાયદાના શાસનને પણ મજબૂત બનાવી રહ્યું છે.

ગુના અને ગુનેગારોની ચાલ ભલે કેટલીય ઝડપી હોય, પરંતુ ન્યાયની પહોંચ એથી પણ વધુ ઝડપી હોવી જોઈએ. તેમણે બધાં રાજ્યોને પોતાના રાજ્યમાં ઓછામાં ઓછી એક આંતરરાષ્ટ્રીય સ્તરની જેલ કોટડી સ્થાપિત કરવાની સલાહ આપી, જેથી વિદેશી અદાલતોમાં ભાગેડુઓ દ્વારા ભારતીય જેલોની નીચી સુવિધા અંગે આપવામાં આવતી દલીલોનો યોગ્ય જવાબ આપી શકાય, એમ શાહે કહ્યું હતું.

CJI ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ પર હવે ચાલશે કેસ

નવી દિલ્હીઃ CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોરની મુશ્કેલીઓ હવે વધી રહી છે, કારણ કે તેમની સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ થવાની છે. આ અંગે ભારતના એટર્ની જનરલે કિશોર સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠને માહિતી આપી હતી કે ભારતના એટર્ની જનરલે એડવોકેટ રાકેશ કિશોર સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ કરવાની સંમતિ આપી છે, જેમણે મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

ACBએ અધ્યક્ષ વિકાસ સિંહને લખેલા પોતાના પત્રમાં એટર્ની જનરલે જણાવ્યું હતું કે કિશોરના કૃત્ય અને નિવેદન માત્ર નિંદનીય જ નથી, પરંતુ સુપ્રીમ કોર્ટની મહિમા અને અધિકારને પણ હાનિ પહોંચાડે છે. તેમણે કહ્યું  કે આવું વર્તન ન્યાય વિતરણ પ્રણાલી (Justice Delivery System)ની પાયાને હચમચાવે છે.

ઘટના પછી CJI એ શું કહ્યું હતું?

વકીલે જૂતું ઉછાળવાની ઘટનાના પછી CJI ગવઈએ આ હુમલાને એક ભુલાયેલો અધ્યાય ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં બોલતાં તેમણે કહ્યું હતું કે સોમવારે જે બન્યું તેનાથી હું અને મારા સાથી ન્યાયાધીશો અત્યંત આશ્ચર્યચકિત છીએ. આપણા માટે આ એક ભુલાયેલો અધ્યાય છે.

આ અક્ષમ્ય ઘટના હતીઃ SG તુષાર મહેતા

સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ એ સમયે હાજર હતા. તેમણે આ ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે આ અક્ષમ્ય ઘટના હતી અને મુખ્ય ન્યાયાધીશે આ બાબતને ભુલાઈ ગયેલી ગણાવીને જે મહાનતા અને ઉદારતા બતાવી છે, તે પ્રશંસનીય છે.

છઠ્ઠી ઓક્ટોબરની ઘટના

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન 6 ઓક્ટોબર, 2025એ CJI ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. રાકેશ કિશોર નામના વકીલે મુખ્ય ન્યાયાધીશ પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ આખા હંગામા દરમિયાન મુખ્ય ન્યાયાધીશ શાંત રહ્યા અને કાર્યવાહી ચાલુ રાખી હતી.