Home Blog Page 528

વિદેશી ભાગેડુઓ સામે ગુનેગારો સામે ઝીરો ટોલરન્સઃ અમિત શાહ

નવી દિલ્હીઃ આર્થિક ગુનેગારો, સાયબર ગુનેગારો, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો અને અન્ય તમામ ભાગેડુઓ સામે કડક વલણ અપનાવવું જોઈએ જેથી તેમને ભારતીય ન્યાય પ્રણાલી સમક્ષ લાવી શકાય એમ ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું.

દિલ્હીમાં CBI દ્વારા આયોજિત ભાગેડુઓનું પ્રત્યાર્પણ — પડકારો અને રણનીતિઓ વિષયક પરિષદને સંબોધિત કરતાં શાહે કહ્યું હતું કે ફક્ત ભ્રષ્ટાચાર, ગુના અને આતંકવાદ સામે જ નહીં, પરંતુ ભારતની બહારથી સક્રિય ગુનેગારો સામે પણ ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવવો જોઈએ.

બધા ભાગેડુઓને કાયદાના ઘેરા હેઠળ લાવવાનું આહવાન

બધા ભાગેડુઓને કાયદાની જાળમાં લાવવા માટે અને તેના માટે એક નિશ્ચિત તંત્ર સ્થાપિત કરવા માટે પ્રયાસ થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ચાહે તેઓ આર્થિક ગુનેગારો હોય, સાયબર ગુનેગારો હોય, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય કે સંગઠિત ગુનાહિત નેટવર્કનો ભાગ હોય — દરેક ભાગેડુ સામે કડક વલણ અપનાવવું જોઈએ જેથી તેમને ભારતીય ન્યાય પ્રણાલી સમક્ષ લાવી શકાય. હવે એ માટે સમય આવી ગયો છે.

મોદીની સરકારે આવા અચૂક ઉપાયો કર્યા છે કે જેથી કોઈ પણ ગુનેગાર કાયદાની પકડમાંથી છટકી ન શકે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં એક શક્તિશાળી ભારત ફક્ત પોતાની સીમાઓની સુરક્ષા જ સુનિશ્ચિત કરી રહ્યું નથી, પરંતુ કાયદાના શાસનને પણ મજબૂત બનાવી રહ્યું છે.

ગુના અને ગુનેગારોની ચાલ ભલે કેટલીય ઝડપી હોય, પરંતુ ન્યાયની પહોંચ એથી પણ વધુ ઝડપી હોવી જોઈએ. તેમણે બધાં રાજ્યોને પોતાના રાજ્યમાં ઓછામાં ઓછી એક આંતરરાષ્ટ્રીય સ્તરની જેલ કોટડી સ્થાપિત કરવાની સલાહ આપી, જેથી વિદેશી અદાલતોમાં ભાગેડુઓ દ્વારા ભારતીય જેલોની નીચી સુવિધા અંગે આપવામાં આવતી દલીલોનો યોગ્ય જવાબ આપી શકાય, એમ શાહે કહ્યું હતું.

CJI ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ પર હવે ચાલશે કેસ

નવી દિલ્હીઃ CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોરની મુશ્કેલીઓ હવે વધી રહી છે, કારણ કે તેમની સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ થવાની છે. આ અંગે ભારતના એટર્ની જનરલે કિશોર સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠને માહિતી આપી હતી કે ભારતના એટર્ની જનરલે એડવોકેટ રાકેશ કિશોર સામે ફોજદારી અવમાનના કાર્યવાહી શરૂ કરવાની સંમતિ આપી છે, જેમણે મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

ACBએ અધ્યક્ષ વિકાસ સિંહને લખેલા પોતાના પત્રમાં એટર્ની જનરલે જણાવ્યું હતું કે કિશોરના કૃત્ય અને નિવેદન માત્ર નિંદનીય જ નથી, પરંતુ સુપ્રીમ કોર્ટની મહિમા અને અધિકારને પણ હાનિ પહોંચાડે છે. તેમણે કહ્યું  કે આવું વર્તન ન્યાય વિતરણ પ્રણાલી (Justice Delivery System)ની પાયાને હચમચાવે છે.

ઘટના પછી CJI એ શું કહ્યું હતું?

વકીલે જૂતું ઉછાળવાની ઘટનાના પછી CJI ગવઈએ આ હુમલાને એક ભુલાયેલો અધ્યાય ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં બોલતાં તેમણે કહ્યું હતું કે સોમવારે જે બન્યું તેનાથી હું અને મારા સાથી ન્યાયાધીશો અત્યંત આશ્ચર્યચકિત છીએ. આપણા માટે આ એક ભુલાયેલો અધ્યાય છે.

આ અક્ષમ્ય ઘટના હતીઃ SG તુષાર મહેતા

સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ એ સમયે હાજર હતા. તેમણે આ ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે આ અક્ષમ્ય ઘટના હતી અને મુખ્ય ન્યાયાધીશે આ બાબતને ભુલાઈ ગયેલી ગણાવીને જે મહાનતા અને ઉદારતા બતાવી છે, તે પ્રશંસનીય છે.

છઠ્ઠી ઓક્ટોબરની ઘટના

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન 6 ઓક્ટોબર, 2025એ CJI ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. રાકેશ કિશોર નામના વકીલે મુખ્ય ન્યાયાધીશ પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ આખા હંગામા દરમિયાન મુખ્ય ન્યાયાધીશ શાંત રહ્યા અને કાર્યવાહી ચાલુ રાખી હતી.

રશિયાથી ઓઇલ ન ખરીદવાને મુદ્દે ટ્રમ્પથી ડરે છે PM મોદીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરે છે. તેમનું નિવેદન ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા એ દાવા પછી આવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત રશિયન તેલની ખરીદી બંધ કરશે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી વારંવાર થયેલી અવગણના છતાં ટ્રમ્પને અભિનંદન સંદેશ મોકલતા રહે છે.

રાહુલ ગાંધીએ X પર લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પથી ડરે છે. તેમણે સોશિયલ મિડિયા મોદીની વિદેશ નીતિ પર પાંચ મુદ્દામાં હુમલો કર્યો હતો.

  1. વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને એ નક્કી કરવાનો અને જાહેર કરવાનો અધિકાર આપ્યો કે ભારત રશિયન તેલ નહીં ખરીદે.
  2. વારંવારની અવગણના છતાં મોદી ટ્રમ્પને અભિનંદન સંદેશ મોકલતા રહે છે.
  3. ભારતે નાણાપ્રધાનનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો.
  4. વડા પ્રધાન મોદીએ શર્મ અલ-શેખમાં યોજાનારી પરિષદમાં ભાગ લીધો નહોતો.
  5. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ટ્રમ્પના દાવાનું ખંડન કર્યું નથી.

એ  પહેલાં કોંગ્રેસ પાર્ટીએ પણ વડા પ્રધાન મોદી પર દેશના ગૌરવ સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને રશિયાને ભારતનો નજીકનો સહયોગી ગણાવ્યો હતો. કોંગ્રેસે ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ફરી એક વાર દેશના ગૌરવ સાથે સમાધાન કર્યું છે. ટ્રમ્પ મુજબ તેમના ગુસ્સા અને ધમકીઓ સામે નમીને મોદીએ આશ્વાસન આપ્યું કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરશે. એક વાત સ્પષ્ટ છે — નરેન્દ્ર મોદી નબળા વડા પ્રધાન છે અને તેમની કામગીરીએ દેશની વિદેશ નીતિને અસ્તવ્યસ્ત કરી છે.

World Anaesthesia Day: એનેસ્થેસિયાથી સૌપ્રથમ કયા રોગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું?

16 ઓક્ટોબર, 1846 ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં એક દર્દીને એથર આપવામાં આવ્યું. ત્યારબાદ સર્જનોએ દર્દીના ગળામાંથી પીડારહિત ગાંઠ કાઢી નાખી. આ પ્રથમ રેકોર્ડેડ એનેસ્થેસિયા ઓપરેશન હતું.

દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ એનેસ્થેસિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, આપણે એવા ડોકટરોનો આભાર માનીએ છીએ જે ઓપરેશન દરમિયાન દર્દીઓને પીડાથી બચાવે છે. ડોકટરો સામાન્ય રીતે પીડારહિત ઓપરેશન માટે એનેસ્થેસિયા આપે છે, જેથી દર્દીઓને સર્જરી દરમિયાન કોઈ અગવડતા ન અનુભવાય. એનેસ્થેસિયા દિવસ પણ ઉજવવામાં આવે છે કારણ કે તે આપણને યાદ અપાવે છે કે એનેસ્થેસિયાએ સર્જિકલ અનુભવને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. તો, વિશ્વ એનેસ્થેસિયા દિવસ પર જાણીએ કે એનેસ્થેસિયા હેઠળ સૌપ્રથમ કયા રોગ પર ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પ્રથમ એનેસ્થેસિયા આધારિત ઓપરેશન

16 ઓક્ટોબર, 1846 ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં એક દંત ચિકિત્સકે દર્દીને એથર આપ્યું. ત્યારબાદ સર્જને દર્દીના ગળામાંથી પીડારહિત ગાંઠ કાઢી. આ પ્રથમ રેકોર્ડેડ એનેસ્થેસિયા ઓપરેશન હતું. આ ઓપરેશન એનેસ્થેસિયાની દુનિયામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થયું. આ એનેસ્થેસિયા પહેલા, વિક્ટોરિયન યુગમાં ઓપરેશન અત્યંત પીડાદાયક અને ખતરનાક હતા. તે સમયે દર્દીઓને લાકડાના બેન્ચ પર રાખવામાં આવતા હતા અને પછી સર્જનો ઓપરેશન કરતા હતા. પીડાને કારણે ઓપરેશન ખૂબ જ ઝડપથી કરવામાં આવતા. જો કે, આ ગતિ ચેપ અને મૃત્યુદરમાં પણ વધારો કરતી હતી. કેટલીકવાર, દર્દી અથવા દર્દીને સંભાળતી વ્યક્તિ ઓપરેશન દરમિયાન મૃત્યુ પામતી હતી. ત્યાં સુધી કે ઓપરેશન ફક્ત છેલ્લા ઉપાય તરીકે કરવામાં આવતા હતા, કારણ કે હાડકાના ફ્રેક્ચર અથવા ગંભીર ઈજાને સુધારવા માટે મર્યાદિત વિકલ્પો હતા. તેથી, એનેસ્થેસિયાની શોધ દર્દીઓ અને ડોકટરો બંને માટે ક્રાંતિકારી સાબિત થઈ.

એનેસ્થેસિયાની શોધ કેવી રીતે થઈ?

1846 પહેલા, ઓપરેશન દરમિયાન દુખાવો ઘટાડવા માટે ઘણી તકનીકોનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 1845માં, દંત ચિકિત્સક હોરેસ વેલ્સે નાઈટ્રસ ઓક્સાઇડનો ઉપયોગ કર્યો હતો, પરંતુ આ પ્રયોગ નિષ્ફળ ગયો હતો. થોડા મહિનાઓ પછી વિલિયમ મોર્ટને સફળતાપૂર્વક ઈથરનો ઉપયોગ કર્યો. બાદમાં, ક્લોરોફોર્મની પણ શોધ થઈ, જેનો વ્યાપકપણે ઉપયોગ થતો હતો. જો કે, શરૂઆતના દિવસોમાં એનેસ્થેસિયાના ઉપયોગથી ઘણા જોખમો ઉભા થયા. ત્યારબાદ, વૈજ્ઞાનિકો અને ડોકટરોએ એનેસ્થેસિયાને સલામત બનાવવા માટે યોગ્ય માત્રા અને તકનીક વિકસાવી. જો કે, એનેસ્થેસિયાના આગમન પછી પણ લગભગ પાંચમાંથી એક વ્યક્તિમાં હજુ પણ સુરક્ષિત એનેસ્થેસિયાનો અભાવ છે.

સેબીએ IEXમાં ઇનસાઇડર ટ્રેડિંગનો પર્દાફાશ કર્યોઃ રૂ. 173 કરોડનું મોટું કૌભાંડ

મુંબઈઃ સેબીએ બુધવારે ઇન્ડિયન એક્સચેન્જ (IEX)ના શેરોમાં ઇનસાઇડર ટ્રેડિંગની માહિતીને આધારે ટ્રેડિંગ કરનારી આઠ વ્યક્તિઓને બજારમાંથી પ્રતિબંધિત કર્યા છે. એ સાથે જ તેમની રૂ. 173 કરોડની ગેરકાયદે કમાણી જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.

IEX ઇનસાઇડર ટ્રેડિંગનો મામલો કેવી રીતે બહાર આવ્યો?

આ લોકો સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC)ના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલી અંદરની માહિતીનો દુરુપયોગ કરીને IEXના શેરોમાં ટ્રેડિંગ કરતા હતા. સેબીને આ બાબતનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે CERCની એક જાહેરાત પહેલાં IEXના શેરના ભાવમાં અચાનક ભારે ઘટાડો થયો અને ટ્રેડિંગ વોલ્યુમમાં અસામાન્ય વધારો નોંધાયો હતો.

CERCની જાહેરાત શું હતી અને તેનો શેર પર શી અસર થઈ?

CERCએ 23 જુલાઈએ માર્કેટ કપલિંગ લાગુ કરવાનો એલાન કર્યું હતું. તેનો અર્થ એ છે કે હવે વીજળીની ખરીદી-વેચાણ માટે અલગ-અલગ એક્સચેન્જની બોલીઓને એકસાથે જોડીને યોગ્ય ભાવ નક્કી કરવામાં આવશે. આ સમાચારનો IEXના શેર પર મોટી પ્રતિકૂળ અસર પડી હતી અને 24 જુલાઈએ શેરની કિંમત લગભગ 29.5 ટકા સુધી ઘટી ગઈ.

 સેબીની તપાસમાં શું ખુલાસા થયા?

સેબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લોકોની ટ્રેડિંગની રીત સામાન્ય રોકાણકારોથી અલગ હતી. તેઓ ખાસ કરીને IEXના શેર નીચે જશે તેવા Put Optionમાં મોટું રોકાણ કર્યું હતું, જે સ્પષ્ટ દર્શાવે છે કે તેમને શેરના ભાવમાં ઘટાડાનો પૂર્વાનુમાન પહેલેથી જ હતું.

સેબીની તપાસમાં એ પણ બહાર આવ્યું કે આ બધા લોકો એકબીજા સાથે સંબંધી છે અને CERCની સિનિયર અધિકારી યોગિતા એસ. મહેરા સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા હતા. સેબીને તેમની વોટ્સએપ ચેટ અને જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં એક જ્યોતિષીનું નામ પણ મળ્યું હતું, જે આ લોકો અને અધિકારી વચ્ચે સંપર્કનો માધ્યમ હતો. આ જ જ્યોતિષી તેમને ટ્રેડિંગ માટે સલાહ આપતો હતો.

CERCના અન્ય એક અધિકારી ગગન દીવાને પણ આ લોકોને માર્કેટ કપલિંગ અંગેની માહિતી આપી હતી. સેબીએ જેમની પર કાર્યવાહી કરી છે, તેમાં ભુવન સિંહ, અમરજિત સિંહ સોરન, અમિતા સોરન, અનીતા, નરેન્દ્ર કુમાર, વીરેન્દ્ર સિંહ, બિંદુ શર્મા અને સંજીવ કુમાર છે. સેબીએ જણાવ્યું કે આ લોકોની ટ્રેડિંગની વ્યૂહરચનાનીતિથી સ્પષ્ટ થાય છે કે આ આખી યોજના ખૂબ મોટા પાયે તૈયાર કરવામાં આવી હતી. સેબીના પૂર્ણ સમયના ટાઇમ મેમ્બર કમલેશ ચંદ્ર વર્શનએ કહ્યું હતું કે જો માત્ર થોડા લોકો જ બજારમાં અંદરની માહિતીનો લાભ લઈ શકે તો સામાન્ય રોકાણકારોનો વિશ્વાસ તૂટી જશે અને તેમનું નુકસાન થશે.

ભારત હવે રશિયાથી તેલ નહીં ખરીદેઃ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત હવે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરશે. ભારત પર ટેરિફ લગાવ્યા પછીના કેટલાક મહિનાઓ બાદ ટ્રમ્પે આ વાત કરી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે મને આશ્વાસન આપ્યું છે કે રશિયાથી હવે કોઈ તેલ ખરીદાશે નહીં. હા, તમે જાણો છો કે આ તરત થઈ શકતું નથી. આ એક નાની પ્રક્રિયા છે, પરંતુ તે પ્રક્રિયા જલદી પૂર્ણ થઈ જશે.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો છે. મને ખુશી નહોતી, કેમ કે ભારત રશિયાથી તેલ ખરીદી રહ્યું હતું, પરંતુ આજે તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તેઓ રશિયાથી તેલ નહીં ખરીદે. આ એક મોટો પગલું છે. હવે અમારે ચીન પાસેથી પણ એ જ કરાવવું પડશે.

ટ્રમ્પે આ ટિપ્પણી ઓવલ ઓફિસમાં FBI ડિરેક્ટર કાશ પટેલ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી.ટ્રમ્પે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ‘બિનજરૂરી’ ગણાવતાં કહ્યું હતું કે આ એવું યુદ્ધ છે જે ક્યારેય શરૂ જ ન થવું જોઈએ હતું, પરંતુ એ એવું યુદ્ધ હતું જે રશિયાને પહેલેલા અઠવાડિયામાં જ જીતી લેવું જોઈએ હતું અને હવે તેઓ ચોથા વર્ષે પ્રવેશી રહ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હું ઈચ્છું છું કે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ થાય.

સુવિચાર – ૧૬ ઑક્ટોબર ૨૦૨૫

૧૬ ઑક્ટોબર ૨૦૨૫

આપવાનો આનંદ એટલે દિન દિન દિવાળી…

આગામી દિવસોમાં રોજ રમા એકાદશીથી દિવાળીનો પ્રારંભ થશે, ભારત જ નહીં, જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં દિવાળીની ઉજવણી થશે. હિંદુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. મહિનામાં બે વખત એકાદશી આવતી હોય છે. એકાદશ (અગિયારસ)ના દિવસે ભક્તજનો પૂરી શ્રદ્ધાથી ઉપવાસ રાખે છે, ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને દીનદુખિયાને યથાશક્તિ દાન આપે છે.

જીવનમાં કેટલાક શબ્દો એવા હોય છે, જે બોલતાં જ અજાણી ઊર્જા અનુભવાય છે. દાન આવો શબ્દ છે. એ આપણી અંદરની માનવતાને જાગ્રત કરે છે. દાન એ માત્ર સંપત્તિ આપવાનું કૃત્ય નથી; એ તો હૃદયની સમૃદ્ધિનો પ્રસાર છે. જ્યારે આપણે ભૂખ્યા જનને જમાડીએ છીએ, ત્યારે એની ભૂખ તો મટે છે, સાથે આપણા મનનાં સંકોચ, સ્વાર્થ અને અહં ઓગળી જાય છે. દાન એ હકીકતનો સ્વીકાર છે કે મારું છે એ બધું મારું નથી.

-અને સાચું દાન એ છે, જ્યાં હાથ આપે, પણ હૃદય અહંકાર-રહિત હોય. આ જ દાનનો મહિમા છેઃ આપીને મેળવવાનો આનંદ.

સન 1892નો આ પ્રસંગ જુઓઃ આર્થિક દૃષ્ટિએ નબળા એવા બે વિદ્યાર્થી અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. ઘરની સ્થિતિ એવી કે યુનિવર્સિટીની ફી ભરવાના વાંધા હતા. ફીના પૈસા કાઢવા બન્નેએ મળીને અમેરિકાના પ્રખ્યાત પિયાનોવાદક ઈગ્નેસી પેડરેસ્ટીના એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કર્યું. તે સમયે પેડરેસ્ટી આવા એક લાઈવ કન્સર્ટ માટે 2000 ડોલર ચાર્જ કરતા. પેલા બન્ને વિદ્યાર્થીએ વિચાર્યું કે પેડરેસ્ટીને 2000 ડોલર આપ્યા પછી પણ ટિકિટના વેચાણમાંથી તો કમાણી થવાની જ છે. એમાંથી ફી ભરી શકાશે, પરંતુ જીવનમાં બધું આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. ઘણી વાર આપણે ધારીએ કંઈક અને થાય કંઈક અલગ. આ બંને વિદ્યાર્થીઓ સાથે પણ કંઈ એવું જ બન્યું. આખા ઈવેન્ટના અંતે બંનેને માત્ર 1600 ડોલર જ મળ્યા. સામે આપવાના હતા 2000 ડોલર, પિયાનોવાદકની ફી. બંને મૂંઝાતાં મૂંઝાતાં પેડરેસ્કી પાસે ગયા અને કહ્યું, ‘અમારે તમને 2000 ડોલર આપવાના હતા, પણ માફ કરજો, અમે આ કન્સર્ટમાંથી માત્ર 1600 ડોલર જ ભેગા કરી શક્યા છીએ, પણ તમે ચિંતા નહીં કરતા. અમે ભણવાનું છોડી દઈશું, નોકરી કરીશું ને તમારા બાકીના 400 ડોલર આપી દઈશું.’

ઈગ્નેસી પેડરેસ્કીએ બન્ને યુવા સ્ટુડન્ટ્સની વાત સાંભળી 1600 ડૉલર પાછા આપતાં કહ્યું, ‘તમે ભણવાનું ચાલુ રાખો. મારે તમારી કોઈ ફી નથી જોઈતી. બન્ને વિદ્યાર્થીઓએ પેડરેસ્ટ્રીનો ખૂબ આભાર માન્યો.

કાળાંતરે મશહૂર પિયાનોવાદક ઈગ્નસી પેડરેસ્કી પોલેન્ડના વડા પ્રધાન બન્યા. 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ પોલેન્ડની હતી. ત્યાંની પ્રજા અનાજ વગર ભૂખમરાના ભરડામાં ફ્સાયેલી હતી. પોતાની પ્રજાને બચાવવા વડા પ્રધાને વિશ્વના જુદા જુદા દેશો પાસે મદદ માટે દરખાસ્તો કરી. જો કે તે સમય ખૂબ કપરો હતો. વિશ્વના બીજા દેશોની સ્થિતિ પણ સારી નહોતી. એટલે કોઈ જગ્યાએથી મદદ ન મળી. અંતિમ ઉપાય તરીકે પેડરેસ્કીએ અમેરિકન ફૂડ ઓર્ગેનાઈઝેશનને મદદ માટે વિનંતી કરી. તે સમયે “યુ.એસ. ફૂડ એડમિનિસ્ટ્રેશન”ના પ્રમુખ હર્બટ હૂવર હતા. હર્બટ હૂવરે પોલેન્ડ અને વડા પ્રધાન ઈગ્નસી પેડરેસ્કીને અકલ્પનીય કહેવાય એવી અને એટલી સહાય કરીને પોલેન્ડની પ્રજાને ભૂખમરાથી બચાવી લીધી.

પ્રાઈમ મિનિસ્ટર ઈગ્નેસી પેડરેસ્ટી ખાસ આ દરિયાદિલીનો આભાર માનવા અમેરિકા ગયા. એ હર્બટને રૂબરૂ મળ્યા ત્યારે હર્બટે કહ્યું, “મિ.પ્રાઈમ મિનિસ્ટર… આભાર માનવાની કોઈ જરૂર નથી. 1892માં તમે આર્થિક મુશ્કેલીમાં આવેલા સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓને મદદ કરીને એમનો અભ્યાસ ચાલુ રખાવ્યો હતો, તે બે વિદ્યાર્થી પૈકીનો એક, હું છું.” આગળ જતાં (1929) હર્બર્ટ હૂવર અમેરિકાના 31મા પ્રેસિડન્ટ બન્યા.

ખરેખર, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કોઈને કરેલી મદદ ક્યારેય પણ વ્યર્થ નથી જતી. ફેંકાયેલું બૂમરેંગ જેમ હંમેશાં આપણી તરફ પાછું ફરે છે તેમ નિઃસ્વાર્થભાવે કરેલી મદદ હંમેશાં એક યા બીજા સ્વરૂપે પરત ફરે જ છે. લેવાની તો બધાને મજા આવે, પરંતુ ક્યારેક આપવાનો આનંદ પણ લેવા જેવો છે. સ્વાર્થ માટે તો બધા બધું કરે, થોડું બીજા માટે પણ કરી લઈએ.

આજે પણ વિશ્વના માંધાતા, ઉમરાવો, મોટા-મોટા ઓફ્સિરોથી લઈને નાના ગામડાનો સામાન્ય માનવી પ્રમુખસ્વામીજીને યાદ કરે છે, કારણ કે આ મહાન સંતે કરેલી મદદ આજે પણ લાખો લોકોનાં હૃદયમાં જાગ્રત છે. આવા પરોપકારી સંતના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે આ દિવાળીએ, અરે દિવાળી જ શું કામ? રોજ રાતે સૂતા સમયે જાતને પ્રશ્ન પૂછીએઃ આજે મેં કોઈને નિઃસ્વાર્થભાવે મદદ કરી?

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કબીરના મતે જીવન અને મૃત્યુ વચ્ચેનો માર્ગ એટલે…

 

જબ લગી મરનેસે ડરે, તબ લગી પ્રેમી નાહિ,

બડી દૂર હૈ પ્રેમઘર, સમજ લેહુ મન માંહિ.

 

જન્મ અને મરણ વચ્ચેનો સમયગાળો તેનું નામ જીવન છે. જન્મે તેનું મરણ નક્કી જ છે, પરંતુ તેનો ડર માણસને હંમેશાં લાગે છે. કેટલાક સંતો કહે છે કે, મૃત્યુનો ડર હોય તો તેનો એક જ ઉપાય છે – તેનો સ્વીકાર કરવો અને તેને મંગળ મંદિરનું દ્વાર માનવું.

વ્યાસ મુનિ કહે છે કે, મૃત્યુ નિશ્ચિત છે, તેથી ધર્મનું પાલન કરો, પરંતુ મારો પુકાર કોઈ સાંભળતું નથી. કબીરજી કહે છે કે, અભય વિનાનો પ્રેમ કશા કામનો નથી. કબીરજીનો ઉપદેશ એ છે કે, મૃત્યુ, જેને માનવી મોટી આફત માને છે, એ સર્વના અંતનો ભાગ છે. જ્યારે (મૃત્યુનો ભય) દૂર થાય અને ભયમુક્ત થાય, ત્યારે જ સાચો પ્રેમ પ્રગટ થાય.

આ કાર્ય સહેલું નથી. પ્રેમના ઘરના સરનામું વાંચીએ તો સમજાય કે તે ખૂબ દૂર છે. તેના અઢી અક્ષરનો તાગ પામવા માટે લાંબી મંજિલ કાપવી પડે. આ માટે ધીરજ જોઈએ. ‘ચટ મંગની અને પટ બ્યાહ’ જેવી લોટેરી-જેમ તત્કાલ પ્રાપ્તિ શક્ય નથી.

લાંબા માર્ગે સમજણ અને ધીરજપૂર્વક, સાચી દિશામાં, અનેક જોખમોથી સાવધ રહીને ડગ મારો, તો પ્રેમઘર સુધી અવશ્ય પહોંચવા શકીએ. ભય છોડીએ તો પ્રેમસ્વરૂપ ભગવાનના દર્શન થાય.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)