Home Blog Page 529

કબીરના મતે જીવન અને મૃત્યુ વચ્ચેનો માર્ગ એટલે…

 

જબ લગી મરનેસે ડરે, તબ લગી પ્રેમી નાહિ,

બડી દૂર હૈ પ્રેમઘર, સમજ લેહુ મન માંહિ.

 

જન્મ અને મરણ વચ્ચેનો સમયગાળો તેનું નામ જીવન છે. જન્મે તેનું મરણ નક્કી જ છે, પરંતુ તેનો ડર માણસને હંમેશાં લાગે છે. કેટલાક સંતો કહે છે કે, મૃત્યુનો ડર હોય તો તેનો એક જ ઉપાય છે – તેનો સ્વીકાર કરવો અને તેને મંગળ મંદિરનું દ્વાર માનવું.

વ્યાસ મુનિ કહે છે કે, મૃત્યુ નિશ્ચિત છે, તેથી ધર્મનું પાલન કરો, પરંતુ મારો પુકાર કોઈ સાંભળતું નથી. કબીરજી કહે છે કે, અભય વિનાનો પ્રેમ કશા કામનો નથી. કબીરજીનો ઉપદેશ એ છે કે, મૃત્યુ, જેને માનવી મોટી આફત માને છે, એ સર્વના અંતનો ભાગ છે. જ્યારે (મૃત્યુનો ભય) દૂર થાય અને ભયમુક્ત થાય, ત્યારે જ સાચો પ્રેમ પ્રગટ થાય.

આ કાર્ય સહેલું નથી. પ્રેમના ઘરના સરનામું વાંચીએ તો સમજાય કે તે ખૂબ દૂર છે. તેના અઢી અક્ષરનો તાગ પામવા માટે લાંબી મંજિલ કાપવી પડે. આ માટે ધીરજ જોઈએ. ‘ચટ મંગની અને પટ બ્યાહ’ જેવી લોટેરી-જેમ તત્કાલ પ્રાપ્તિ શક્ય નથી.

લાંબા માર્ગે સમજણ અને ધીરજપૂર્વક, સાચી દિશામાં, અનેક જોખમોથી સાવધ રહીને ડગ મારો, તો પ્રેમઘર સુધી અવશ્ય પહોંચવા શકીએ. ભય છોડીએ તો પ્રેમસ્વરૂપ ભગવાનના દર્શન થાય.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

Chitralekha Gujarati – 27 October, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 16/10/2025

મુંબઈમાં ફેશન ઈવેન્ટમાં જામ્યો બૉલિવૂડ સેલેબ્સનો જમાવડો

બોલીવુડના સુલતાન સલમાન ખાને ફરી એકવાર પોતાની સ્ટાઇલથી ફેશન જગતમાં ધૂમ મચાવી દીધી. તાજેતરમાં જ તેમણે તેમના નજીકના મિત્ર અને પ્રખ્યાત ડિઝાઇનર વિક્રમ ફડણવીસના ભવ્ય ફેશન શોમાં શો સ્ટોપર તરીકે હાજરી આપી હતી.

આ ખાસ પ્રસંગ ફેશન ઉદ્યોગમાં વિક્રમ ફડણવીસના 35 વર્ષની ઉજવણીનો હતો. જેમાં સલમાન ખાન સહિત સોનાક્ષી સિન્હા, હુમા કુરેશી, સુનિલ શેટ્ટી, તાપસી પન્નુ અને સુષ્મિતા સેને હાજરી આપી હતી.

(ફોટો: દીપક ધૂરી)

NFSU ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી

ગાંધીનગર: વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સ્કૂલ ઓફ બિહેવિયરલ ફોરેન્સિક્સ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે કરવામાં આવી હતી. 15 ઓક્ટોબરના રોજ યોજાયેલા માસ્ટર ઓફ સેરેમની કાર્યક્રમમાં NFSUના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસે અધ્યક્ષીય સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશેષ આમંત્રિતોમાં DIG પ્રશાંત કે. શર્મા (TM, CoS(offg); HQ-CGR(NW); બ્રિગેડિયર અનિલ કાકડે, અમદાવાદ આર્મી કેન્ટ અને લેફ્ટનન્ટ કર્નલ ડૉ. સંજય કુમાર, એસોસિયેટ પ્રોફેસર અને હેડ, મનોચિકિત્સા વિભાગ, આર્મી હોસ્પિટલનો સમાવેશ થયો હતો. પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર; સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU અને પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડિરેક્ટર, NFSU-દિલ્હી પણ મંચ પર ઉપસ્થિત હતા.ડૉ. જે.એમ.વ્યાસ દ્વારા અપાયેલા અધ્યક્ષીય સંબોધનમાં જણાવાયું હતું કે, મનને નિયંત્રિત કરવું એ પવનને કાબૂમાં રાખવા જેટલું પડકારજનક છે. સતત અભ્યાસ અને આત્મનિરીક્ષણ દ્વારા – ધીમે-ધીમે મનને શિક્ષિત કરી શકાય છે. પ્રતિક્રિયાઓ પર ચિંતન કરવું જરૂરી છે. ચિંતા, ભય જેવી ભાવનાત્મક ભૂલોને બુદ્ધિપૂર્વક દૂર રાખવી જોઈએ. દરેક વ્યક્તિ ભાવનાત્મક સંઘર્ષોનો સામનો કરતો હોય છે. જો કે, ધીરજ અને સ્વ-અભ્યાસ સાથે, દુઃખને શાંતિ, સંવાદિતા અને પ્રસન્નતામાં પરિવર્તિત કરી શકાય છે. આ રીતે, નિયંત્રિત મન આપણા જીવનને શાંતિપૂર્ણ બનાવે છે.

DIG પ્રશાંત કે શર્માએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓપરેશનલ સ્ટ્રેસ, આઘાત, એકલતા અને ડિજિટલ ઓવરલોડથી ઉદ્ભવે છે. સપોર્ટ સિસ્ટમ્સ હોવા છતાં, આત્મહત્યા સહિતના સંવેદનશીલ કિસ્સાઓ તાત્કાલિક વિજ્ઞાન-સમર્થિત હસ્તક્ષેપની માંગ કરે છે. આ કટોકટીનો સામનો કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને NFSUએ એક સમજૂતી કરાર પણ કર્યા છે. જેને કારણે આ સંદર્ભમાં વધુ સંશોધન અને સમસ્યા નિવારણ માટેના મહત્ત્વપૂર્ણ પગલાં ભરી શકાય.

આ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહનો ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને સામાન્ય લોકોને તેનું મહત્વ સમજાવવાનો હતો. કાર્યક્રમના છેલ્લા દિવસે કેમ્પસમાં ‘માનસિક સ્વાસ્થ્ય’ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ રેલીમાં ભાગ લીધો હતો. વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.

છત્તીસગઢમાં 10 મહિલા સહિત 27 નક્સલવાદીઓનું સમર્પણ

નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં 10 મહિલાઓ સહિત કુલ 27 નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાં કુલ 50 લાખ રૂપિયાના ઈનામ ધરાવતા 16 નક્સલીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી (PLGA)ની બટાલિયન નંબર-1માં સક્રિય બે કટ્ટર નક્સલવાદીઓ સહિત 27 નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓમાં પી.એલ.જી.એ. બટાલિયન નંબર-1ના સપ્લાય ટીમ કમાન્ડર ઓયામ લખમુ (53) પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું. અન્ય આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓમાં પી.એલ.જી.એ. બટાલિયન નંબર-1નો સભ્ય મડવી ભીમા (18), રીજનલ મિલિટરી કંપની નંબર-2ની પાર્ટી સભ્ય સુનિતા ઉર્ફે કવાસી સોમડી (24) અને રીજનલ મિલિટરી કંપની નંબર-1ની પાર્ટી સભ્ય સોડી માસે (22) પર 8-8 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું.

એ ઉપરાંત એક નક્સલી પર 3 લાખ, બે નક્સલીઓ પર 2-2 લાખ અને નવ નક્સલીઓ પર 1-1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ છત્તીસગઢ સરકારની ‘છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ પુનર્વસન નીતિ’ અને ‘નિયદ નેલ્લા નાર’ યોજનાથી પ્રભાવિત થઈને તેમ જ માઓવાદીઓના અમાનવીય વર્તન, ખોટી વિચારધારા, શોષણ અને બહારથી આવેલા માઓવાદીઓ દ્વારા થતી ભેદભાવપૂર્ણ વર્તણૂકથી ત્રસ્ત થઈ આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો હતો.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે તમામ આત્મસમર્પિત નક્સલવાદીઓને સરકારની નવી પુનર્વસન નીતિ ‘છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ પુનર્વસન નીતિ – 2025’ હેઠળ 50,000-50,000 રૂપિયાની પ્રોત્સાહન રકમ અને અન્ય સુવિધાઓ આપવામાં આવશે.

આ દરમિયાન ટોચના નક્સલી મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિએ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં 60 અન્ય નક્સલવાદીઓ સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આત્મસમર્પણ કર્યું હતું. એક અધિકારીએ માહિતી આપી કે ભૂપતિ પર 6 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર હતું. અધિકારીએ જણાવ્યું કે નક્સલવાદીઓએ આત્મસમર્પણ સમયે પોતાના 54 હથિયારો પણ સોંપી દીધા, જેમાં 7 AK-47 અને 9 INSAS રાઇફલનો સમાવેશ થાય છે.

Was Ami Trivedi Considered for ‘Dayaben’ in Taarak Mehta.? Truth revealed.

 

ધર્મપરિવર્તન પર લગામ કસવાની તૈયારીમાં છત્તીસગઢ સરકાર

રાયપુરઃ છત્તીસગઢ સરકાર ધર્મપરિવર્તન વિરુદ્ધ કડક કાયદો લાવવા તૈયારી કરી રહી છે. ગૃહમંત્રી વિજય શર્માએ મંગળવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં ગેરકાયદે ધર્મપરિવર્તન વિરુદ્ધ વિધેયક લાવશે. તેમણે કહ્યું હતું કે પ્રસ્તાવિત કાયદામાં “ચંગાઈ સભા” (ધર્મપરિવર્તન માટે યોજાતી ધાર્મિક સભાઓ) સામે કાર્યવાહી માટેના જોગવાઈઓ પણ હશે.

આગામી વિધાનસભા સત્રમાં અમે એવો અધિનિયમ લાવીશું, જે રાજ્ય સ્તરના અન્ય બધા ધર્મપરિવર્તનવિરોધી કાયદાઓ કરતાં એક પગલું આગળ હશે, કારણ કે અમે તમામ કાયદાનો અભ્યાસ કર્યા બાદ તેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. એ સાથે જ ચંગાઈ સભા જેવી પ્રવૃત્તિઓ- જે લોકોમાં ગેરસમજ ફેલાવવા માટે યોજાય છે, તેને રોકવી જરૂરી છે. ચંગાઈ સભા જેવી ઘટનાઓને રોકવા માટે કાયદામાં વિશેષ જોગવાઈની જરૂર છે, જે આ અધિનિયમમાં કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

ધર્મપરિવર્તનના આક્ષેપો મોટો મુદ્દો

હાલમાં આવા કેસો છત્તીસગઢ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ, 1968 હેઠળ આવે છે. રાજ્યમાં ધર્મપરિવર્તનના આક્ષેપો લાંબા સમયથી મોટો મુદ્દો રહ્યા છે. આ વર્ષે 25 જુલાઈએ કેરળની બે નનને, નારાયણપુર જિલ્લાના ત્રણ મહિલાઓની કથિત રીતે તસ્કરીના આરોપમાં દુર્ગ રેલવે પોલીસે ધરપકડ કરી હતી, જેને કારણે રાજકીય વિવાદ ઊભો થયો હતો.

રાજ્યના અનેક વિસ્તારોમાં ધર્મપરિવર્તનને લઈને તણાવ

જાન્યુઆરી 2023માં, લગભગ 50 લોકોની ભીડે નારાયણપુર જિલ્લાના એક ચર્ચમાં તોડફોડ કરી અને પોલીસ અધિકારીઓ સહિત પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પર હુમલો કર્યો હતો. આ ઘટનાના બાદ ખ્રિસ્તી ધર્મ અપનાવનાર 100થી વધુ લોકોને કાંકેર, કોંડાગાંવ અને નારાયણપુરના ગામોમાંથી સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો અને તેમને નારાયણપુરના એક સ્ટેડિયમમાં રહેવું પડ્યું હતું.

રાયપુર સહિત છત્તીસગઢના અનેક વિસ્તારોમાં ધાર્મિક પરિવર્તનને લઈને દક્ષિણપંથી જૂથો અને ખ્રિસ્તીઓ વચ્ચે વારંવાર અથડામણો થઈ છે. બસ્તર વિસ્તારમાં, ખ્રિસ્તી ધર્મ અપનાવનાર આદિવાસી અને દલિતોને તેમના ગામનાં કબ્રસ્તાનોમાં પોતાના મૃતકોને દફનાવવાની પણ મનાઈ કરવામાં આવી હતી.

ડોનમાંથી નેતાઃ મોકામાંથી JDUના ઉમેદવાર સામે 28 ગુનાહિત કેસ

પટનાઃ બિહારના મોકામાં વિધાનસભા ક્ષેત્રથી JDUના ઉમેદવાર અનંત સિંહે પોતાનું નામાંકન દાખલ કરતાં 37.88 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ માહિતી તેમણે ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં આપી છે. એ સોગંદનામા મુજબ બાહુબલી છબી ધરાવતા સિંહ સામે કુલ 28 ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેમણે ચૂંટણી પંચ સમક્ષ નામાંકન દાખલ કર્યું હતું. તેમણે આ નામાંકન JDU તરફથી મોખામાની બેઠક માટે ટિકિટ મળ્યા બાદ કર્યું હતું.

JDUની સત્તાવાર ઉમેદવારોની યાદી બહાર આવે તે પહેલાં જ અનંત સિંહે ઉચ્ચ નેતૃત્વની મંજૂરી મેળવી નામાંકન દાખલ કરી દીધું હતું. સિંહની પત્ની નીલમ દેવી 2020ની વિધાનસભા ચૂંટણીમાં RJDની ટિકિટ પર મોકામાં બેઠક પરથી જીત્યા હતા. ત્યાર બાદમાં તેમણે રાજ્યની NDA સરકારને સમર્થન આપવાનું શરૂ કર્યું હતું. નીલમ દેવી પાસે કુલ 62.72 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે.મોકામાં બેઠક પર પ્રથમ તબક્કામાં છ નવેમ્બરે મતદાન થવાનું છે. નામાંકન સાથે દાખલ કરાયેલા સોગંદનામા મુજબ અનંત સિંહ પાસે 26.66 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 11.22 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. તેમની પત્ની નીલમ દેવી પાસે 13.07 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 49.65 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે.

સિંહ પાસે 15.61 લાખ રૂપિયા રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે 34.60 લાખ રૂપિયા રોકડ છે. સિંહને નામે અનેક બેંક ખાતાં છે અને આશરે 15 લાખ રૂપિયાના સોનાના દાગીના છે. જ્યારે નીલમ દેવી પાસે 76.61 લાખ રૂપિયાના સોનાના દાગીના છે.

સિંહ પાસે ત્રણ લક્ઝરી SUV કાર છે, જેની કુલ કિંમત 3.23 કરોડ રૂપિયા છે. જ્યારે તેમની પત્ની પાસે ત્રણ કાર છે, જેની કિંમત 77.62 લાખ રૂપિયા છે. તેમની સંપત્તિમાં ઘોડા અને ગાયો પણ સામેલ છે. અનંત સિંહને તેમના સમર્થકો છોટે સરકાર નામે ઓળખે છે. સિંહ 1990થી મોકામાં બેઠક પરથી પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. તેમના પરિવારે છેલ્લા ત્રણ દાયકાથી આ બેઠક પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે.

દિવાળીમાં હજારો દિવડાઓથી ઝળહળતું અક્ષરધામ

ગાંધીનગરસ્થિત અક્ષરધામ મંદિર BAPS સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલું ધર્મ અધ્યાત્મનું એક મહત્વનું કેન્દ્ર છે. હિંદુ ધર્મના શિક્ષણ, પ્રદર્શન અને સત્સંગ પ્રવચનોનું આ વિશાળ સ્થાપત્ય વિશ્વ પ્રસિદ્ધ બની ગયું છે. અમદાવાદ-ગાંધીનગરના મુલાકાતે આવતા પ્રવાસીઓ આ અક્ષરધામની અવશ્ય મુલાકાત લેતા હોય છે.

દિવાળીના પર્વ નિમિતે અક્ષરધામના આખાય સંકુલને દીવડાઓથી સુશોભિત કરવામાં આવે છે. આ દિવસે અક્ષરધામ હજારો દિવડાંઓથી ઝગમગી ઉઠે છે. સાથે અક્ષરધામ પરિસરમાં ‘ગ્લો ગાર્ડન ‘ પણ તૈયાર કરવામાં આવે છે , જે રાત્રિ પ્રકાશમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

વર્ષોથી અક્ષરધામ સંસ્થા પરંપરાગત શૈલીમાં દીપોત્સવીના ઉત્સવને આ રીતે રોશનીથી ઉજવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)