દૂધી ન ભાવતી હોય તો દૂધી ઢોકળીનું શાક બનાવીને દૂધીનો શાકમાં ઉપયોગ કરી શકાય છે.
સામગ્રીઃઢોકળી માટેઃ
દૂધી 250 ગ્રા.
ગાજર 1
કોબી 100 ગ્રા.
ધોઈને સમારેલી પાલક 2 ટે.સ્પૂન
ધોઈને સમારેલી કોથમીર 1 કપ
આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
2-3 ચપટી હીંગ
સ્વાદ મુજબ મીઠું
લીંબુનો રસ 1 ટે.સ્પૂન
હળદર 2-3 ચપટી
તેલ 1 ટી.સ્પૂન
વઘાર માટેઃ
આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
હીંગ ¼ ટી.સ્પૂન
સ્વાદ મુજબ મીઠું
ટામેટાં 4
આમચૂર પાઉડર
કસૂરી મેથી 1 ટી.સ્પૂન
સ્વાદ મુજબ મીઠું
આખા લાલ મરચાં 2
કળીપત્તાના પાન 6-7
તેલ વઘાર માટે
રીતઃ દૂધી, ગાજર, કોબીને અલગ અલગ ખમણીને એમાંનું પાણી નિચોવીને એક વાટકીમાં કાઢીને બાજુએ રાખવું.
શાકની ખમણેલી છીણ એક મોટા વાસણમાં લઈ તેમાં સમારેલી પાલક તેમજ કોથમીર લો. હવે તેમાં 2-3 ચપટી હીંગ, આદુ-લસણ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, 1 ટી.સ્પૂન તેલ તેમજ 2-3 ચપટી હળદર મેળવીને મિશ્રણનો લોટ બાંધો. જરૂર મુજબ તેમાં પાણી ઉમેરો. ઢોકળીનો લોટ બંધાઈ જાય એટલે તેમાંથી અડધા ઈંચના નાના ચપટા ગોળા વાળી લો.
આ ગોળાને મુઠીયાની જેમ 10 મિનિટ માટે બાફવા મૂકો.
વઘાર કરવા માટે આદુ-મરચાં-લસણની પેસ્ટ સાથે કોથમીર પણ વાટીને પેસ્ટ તૈયાર કરી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરી રાઈ તતડે એટલે જીરૂનો વઘાર કરી, લાલ મરચાં બે ટુકડામાં તોડીને વઘારી લો. ત્યારબાદ હીંગ ઉમેરીને વાટેલાં આદુ-મરચાં-લસણ-કોથમીર એકાદ મિનિટ સાંતળી લીધા બાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરૂ તેમજ થોડો ગરમ મસાલો સાંતળો. હવે ટામેટાંને ખમણીને ઉમેરી, કઢાઈ ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. ત્યારબાદ આ વઘારમાં ખમણેલાં શાકમાંથી નિતારેલું પાણી તેમાં મેળવી દો. એકાદ કપ પાણી બીજું ઉમેરી દીધા બાદ દૂધીની બાફેલી ઢોકળી તેમાં મેળવીને ગેસની ધીમી આચે 10-15 મિનિટ શાક ચઢવા દો.
ત્યારબાદ કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને શાક ગરમાગરમ રોટલી સાથે પીરસો.
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં મંગળવારે સાંજે એક મોટો અકસ્માત થયો. એન્નોર થર્મલ પાવર પ્લાન્ટના નવા સ્થળે બાંધકામ દરમિયાન પાલખ ધરાશાયી થયો. ઘણા કામદારો કાટમાળ નીચે ફસાયા હતા. અકસ્માતની માહિતી મળતાં, થર્મલ પાવર પ્લાન્ટના કામદારો ઘટનાસ્થળે દોડી ગયા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. દરમિયાન, રહેવાસીઓએ પણ અકસ્માત અંગે પોલીસ અને અધિકારીઓને જાણ કરી. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી. અકસ્માતમાં અત્યાર સુધીમાં નવ કામદારોના મોત થયા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે અંધાધૂંધી છવાઈ ગઈ.
એન્નોર થર્મલ પાવર પ્લાન્ટ ચેન્નાઈમાં સ્થિત કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે, જે 1970 માં સ્થાપિત થયો હતો. 450 મેગાવોટની ક્ષમતા સાથે, તે TANGEDCO હેઠળ રાજ્ય માટે એક મહત્વપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડનાર રહ્યો છે. એન્નોર સેઝ સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ જેવા વિસ્તરણ પ્રોજેક્ટ હાલમાં બાંધકામ હેઠળ છે, જેની શરૂઆત સપ્ટેમ્બર 2026 માં થવાની છે.
Tamil Nadu: An accident occurred at the North Chennai Thermal Power Plant when the fourth-floor construction site collapsed, trapping workers. Nine people, lost their lives and were taken to Stanley Hospital for post-mortem, while another remains in critical condition pic.twitter.com/qTCo5vmxt4
મંગળવારે સાંજે આ થર્મલ પાવર પ્લાન્ટમાં એક દુ:ખદ અકસ્માત થયો. પાવર પ્લાન્ટના નવા સ્થળે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. કામદારો પાલખ પર કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાલખ તૂટી પડ્યો. કામદારો લગભગ 30 ફૂટ નીચે પડી ગયા, જેનાથી જોરદાર અવાજ થયો. અવાજ સાંભળીને, સ્થળ પર વિવિધ સ્થળોએ કામ કરતા અન્ય કામદારો ઘટનાસ્થળે દોડી ગયા. કામદારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને પાવર પ્લાન્ટના અધિકારીઓને જાણ કરી.
રાહત અને બચાવ કામગીરી ચાલુ છે
માહિતી મળતા જ થર્મલ પાવર પ્લાન્ટના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે જિલ્લા પોલીસ અને વહીવટીતંત્રને ઘટના અંગે જાણ કરી. માહિતી મળતાં જ વહીવટી અધિકારીઓ પોલીસ ટીમ સાથે પહોંચ્યા. અવડી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે થર્મલ પાવર પ્લાન્ટમાં પાલખ તૂટી પડવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
અકસ્માતમાં નવ સ્થળાંતર કામદારોના મોત
પ્રારંભિક માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 10 સ્થળાંતર કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી નવના મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. ઘાયલોને સ્ટેનલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમાંથી નવને મૃત જાહેર કર્યા હતા. એક કામદારને ગંભીર ઈજાઓ માટે સારવાર આપવામાં આવી રહી છે.
આજે દુર્ગા અષ્ટમી નિમિત્તે વરુણ ધવને બધાને શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે જ તેણે કન્યા ભોજનનું પણ આયોજન કર્યું હતું.
આજે શારદીય નવરાત્રીની અષ્ટમી તિથિ છે. આજે દુર્ગા અષ્ટમીની ઉજવણી થઈ રહી છે. ઘણા લોકો દુર્ગા અષ્ટમીની શુભકામનાઓ પણ આપી રહ્યા છે. આ કડીમાં અભિનેતા વરુણ ધવને પણ સોશિયલ મીડિયા પર બે ફોટા શેર કર્યા છે, જેમાં તેણે દુર્ગા અષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે. આ ફોટામાં તે દુર્ગા અષ્ટમી નિમિત્તે કન્યાઓને ભોજન પીરસતા જોવા મળે છે.
અભિનેતા વરુણ ધવને દુર્ગા અષ્ટમી પર કન્યા ભોજનનું આયોજન કર્યું હતું. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં કેટલીક છોકરીઓ દુર્ગા અષ્ટમી પર પ્રસાદ અથવા ભોજન લઈ રહી છે. વરુણ ધવન પણ તેમની સાથે બેઠા છે. વરુણ સહિત બધા કેમેરા માટે પોઝ આપી રહ્યા છે. ફોટામાં વરુણ હસતો જોવા મળે છે. ફોટામાં, વરુણ તેના ઘરે કેઝ્યુઅલ શોર્ટ્સ અને ટી-શર્ટમાં જોવા મળે છે. વરુણે બીજો ફોટો પણ શેર કર્યો છે, જેમાં પ્લેટ પર પ્રસાદ દેખાય છે. તેમાં શાક, પુરી, ખીર અને હલવો શામેલ છે. આ ફોટા શેર કરતી વખતે, વરુણે કેપ્શનમાં દુર્ગા અષ્ટમીની પણ શુભેચ્છા પાઠવી છે.
વરુણ ધવન ‘સની સંસ્કાર કી તુલસી કુમારી’ ના પ્રમોશનમાં વ્યસ્ત
કામની વાત કરીએ તો વરુણ ધવન હાલમાં તેની આગામી ફિલ્મ “સની સંસ્કાર કી તુલસી કુમારી” ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. વરુણ તેની સાથે જાહ્નવી કપૂર, રોહિત સરાફ, સાન્યા મલ્હોત્રા, મનીષ પોલ અને અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શશાંક ખેતાન દ્વારા દિગ્દર્શિત, “સની સંસ્કાર કી તુલસી કુમારી” બોક્સ ઓફિસ પર ઋષભ શેટ્ટીની “કાંતારા ચેપ્ટર 1” સાથે ટકરાશે.
અમદાવાદ: આસો સુદ એકમથી શરૂ થયેલા નવરાત્રિ મહોત્સવ દરેક ગામ અને પ્રાંતમાં જુદી-જુદી રીતે ઉજવાય છે. પરંતુ શેરી, મહોલ્લા, સોસાયટીઓમાં પણ રાસ ગરબાની રમઝટમાં વિવિધતા જોવા મળે છે. પરંપરાગત શેરી ગરબાની વચ્ચે હવે ફિલ્મી ગીતોને રાસ ગરબામાં ભેળવી ડી.જે ના તાલે લોકો ઝુમી લે છે.બીજી તરફ પહેરવેશમાં પણ રોજ-બરોજ પરિવર્તન જોવા મળે છે. પરંપરાગત ઝભ્ભા લેંઘા ચોયણી, ચણિયા ચોળીની સાથે કપડા મેચિંગ અને વેશભૂષાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. આ સાથે ગરબે રમનારાની હરિફાઇ પણ રાખવામાં આવે છે. એમાં નાના-મોટા ઇનામો અને લહાણી તો ખરા જ.. એટલે હવે રસિયાઓ નવરાત્રિ મહોત્સવને લોકો ભક્તિની સાથે ભારે મોજ માણે છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારની ભાવસાર સોસાયટીમાં શ્રી અંબિકા માઇ મંડળ દ્વારા આયોજિત રાસ ગરબામાં સમગ્ર ઉત્સવ દરમિયાન વિવિધ પહેરવેશની થીમ અપાઇ છે. જેમાં પારંપરિક ડે, કલર કોમ્બિનેશન ડે, કપલ ડે, વેશભૂષા ડે, પ્રાદેશિક ડે, ગોગલ્સ વિથ સાફા ડે અને ટ્રેડિશનલ વિથ કોમ્પિટિશન યોજવામાં આવે છે.શહેરના સાયન્સ સિટી વિસ્તારના લક્ઝરિયા વનના દેવલબહેનચિત્રલેખા.કોમ કહે છે, “અમારા કેમ્પસમાં પણ વેશભૂષા દિવસ ઉજવાયો. જેમાં 40 થી 50 લોકોએ અલગ-અલગ વેશભૂષામાં ભાગ લીધો.
ઝુંડાલ વિસ્તારમાં આવેલા વિવાન એમિયન્સમાં ક્રિકેટરોથી માંડી માતાજી સુધીની વિવિધ થીમ સાથે વેશભૂષા સાથે નવરાત્રિ ઉજવાઇ રહી છે.દેવમ રેસિડન્સીના મેક ઓવર આર્ટિસ્ટ પિનલ રાવલ કહે છે, “અમારી સોસાયટીમાં બહેનો ભેગી થઇ એક જ સરખા ડ્રેસ ચણિયા-ચોળી સાથે મેચિંગની થીમ સાથે ગરબા મહોત્સવની ઉજવણી કરીએ છીએ. જ્યારે પુરુષો પણ જુદી-જુદી વેશભૂષા, મેચિંગ સાથે ગરબા મહોત્સવમાં સહભાગી થાય છે.”ગરબા મહોત્સવના આયોજક ભાવેશ પટેલ કહે છે, “હમણાં સાઉથ ઇન્ડિયન અન્ના સ્ટાઇલ ખૂબ પ્રચલિત હોવાથી અમે યુવાનો એ આ થીમ સાથે ગરબાનું આયોજન કર્યુ. ગરબા મહોત્સવમાં ડેકોરેશન, થીમ, ફૂડના આયોજનથી ઉત્સવમાં લોકોનો ઉત્સાહ વધે છે.”
રાવ્યા એક વ્યસ્ત વર્કિંગ વુમન છે. કામના ભારણ અને રોજિંદી જવાબદારીઓના કારણે સતત તણાવમાં રહેતી હતી. ઘણી વખત ગુસ્સામાં આવીને એ પતિ આદિત્યને કહેતી કે, ઘર, નોકરી અને આ વ્યવહાર-તહેવારોની જવાબદારીઓ મારાથી હવે સંભાળાતી નથી. બધું છોડીને ક્યાંક દૂર ચાલી જવાનું મન થાય છે, પરંતુ બાળકો અને તમારી ચિંતા મને રોકે છે. આદિત્ય એને શાંત થવા અને થોડો વિરામ લેવાનું કહેતો, પરંતુ રાવ્યાને લાગતું કે કોઈ સામાન્ય બ્રેકથી એને રાહત નહીં મળે.
રાવ્યાની વધતી ચિંતા જોઈ આદિત્યએ ડોક્ટરની સલાહ લીધી. ડોક્ટરે રાવ્યાને દવાની નહીં, પરંતુ માઈન્ડફુલનેસ થેરાપીની કરવાની સલાહ આપી, જે એક પ્રકારનું ધ્યાન છે. આ થેરાપી લીધા પછી થોડા સમયમાં રાવ્યાના જીવનમાં નવી ઊર્જા અને તણાવમુક્તિ આવી, જેણે એને માનસિક શાંતિ અને જીવનમાં સંતુલન પ્રાપ્ત કરવામાં મદદ કરી.
માઈન્ડફુલનેસ થેરાપીમાં જરૂરી છે…
માઈન્ડફુલનેસ થેરાપી એ એક એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિને વર્તમાન ક્ષણમાં જીવવાનું અને પોતાના વિચારો, લાગણીઓ તેમજ શારીરિક અનુભવો પર ધ્યાન આપવાનું શીખવવામાં આવે છે, બિનજરૂરી નિર્ણયો લીધા વિના. માઈન્ડફુલનેસ થેરાપીમાં શ્વાસ પર ધ્યાન, શરીરની જાગૃતિ, અને મનની શાંતિ વધારવા માટેની વિવિધ ટેકનીકોનો સમાવેશ થાય છે. આ થેરાપીને નિયમિત રીતે અનુસરવામાં આવે તો ધીમે-ધીમે ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિ પણ ખુશ રહેતા શીખી જાય છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં અને નિયમીત ધ્યાન કેન્દ્રમાં જતા અર્ચના ચંદ્રેશકુમાર બારોટ કહે છે, “આ થેરાપી કરવા માટે કોઈ ખાસ જગ્યાએ જવાની જરૂર નથી, કે નથી મસમોટી ફી ચૂકવવાની જરૂર. માઈન્ડફુલનેસ થેરાપી તમે ગમે ત્યારે ગમે ત્યાં બેસીને ધ્યાન કરી શકો છો. જેમ કે ઘરમાં જમીન પર બેસીને કે પછી ખુરશી પર બેસીને પણ કરી શકો છો. કમરને ટટ્ટાર રાખી બેસો અને દસ મિનિટ સુધી ધ્યાન કરો. તમારી સમક્ષ જે સ્થિતિ છે એનો સ્વીકાર કરી માત્ર એટલું જ વિચારો કે જે સત્ય છે તે સામે છે, અને જે થવાનું છે એ થઈને જ રહેશે. બસ, આ રીતે પંદર દિવસ નિયમિત કરવાથી ચોક્કસથી ઊર્જા મળે છે.”
ખુશ રહેવાથી જ મુશ્કેલીઓનો હલ થશે
આ થેરાપી દ્વારા જે ક્ષતિ હોય એની સાથે આપણે જોડાઈ જઈએ છીએ. એટલું જ નહીં, એને સ્વીકારી પણ લઈએ છીએ. માટે ભવિષ્યમાં શું બનશે, વર્તમાનમાં કેમ આવું બની રહ્યું છે કે ભૂતકાળ કેમ નબળો હતો. આ બધાં કારણ વગરના વિચારોથી મુક્તિ મળી જાય છે. એ હકીકત સ્વીકારી લઈએ છીએ કે જે નજર સમક્ષ છે એ જ સત્ય છે. એમાં ખુશ રહેવાથી જ મુશ્કેલીઓનો હલ થશે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સરોજ પ્રકાશભાઈ ચૌહાણ કહે છે, “રોજના અનેક કામો મારે ફરજિયાત કરવા પડે છે. ઘણીવાર એકસરખાં કામો કરવાથી માનસિક અને શારીરિક થાક લાગે છે. માનસિક થાક શરીર અને મન બંનેને નબળાં પાડે છે. મેં માઈન્ડફુલનેસ થેરાપી અપનાવી, જેનાથી મારું મન ખુશ રહે છે, શરીર અને મનને આરામ મળે છે, નવા વિચારો તેમજ કામ પ્રત્યે ઉત્સાહ વધે છે.”
માઈન્ડફુલનેસ થેરાપીના ફાયદા
તણાવ ઘટાડવો: માઈન્ડફુલનેસ ચિંતા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી મન શાંત થાય છે. ભાવનાત્મક સંતુલન: લાગણીઓને સમજવામાં અને એના પર નિયંત્રણ કરવામાં મદદ મળે છે. ધ્યાન કેન્દ્રિત કરવું: એકાગ્રતા વધે છે, કારણ કે મન વધારાના વિચાકો નથી કરતું. ઊંઘમાં સુધારો: નિયમિત થેરાપી કરવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. શારીરિક આરોગ્ય: બ્લડ પ્રેશર ઘટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સ્વ-જાગૃતિ: પોતાની જાતને વધુ સારી રીતે સમજવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળે છે.
માઈન્ડફુલનેસ થેરાપીનો ટૂંકમાં સમજીએ તો ભવિષ્યની ચિંતા છોડી, વર્તમાનમાં જીવો અને જે કરો એના પર ધ્યાન કેન્દ્રિત કરો. આ માટે છ બાબતોનું ધ્યાન રાખો. ભવિષ્ય વિશે ન વિચારતાં મનને શાંત રાખો, પોતાના શરીર અને લાગણીઓ પર ધ્યાન આપો, સત્યને સ્વીકારી સકારાત્મક વિચારો, પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી સ્વ-જાગૃત રહો, વાસ્તવિકતાને સમજી વ્યક્તિને જેવું છે એવું સ્વીકારો, અને એક સમયે એક જ કામ કરી શાંતિથી સાંભળો અને કામ કરો. આ પ્રથા જીવનને સરળ અને શાંત બનાવે છે.
વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં H1B વિઝા ફીમાં ભારે વધારો કરવાનો નિર્ણય લીધો હતો, જેની સીધી અસર ભારતીયો પર પડી છે, કારણ કે અમેરિકામાં H1B વિઝાધારકોમાં 70 ટકાથી વધુ ભારતીયો છે, પરંતુ હવે ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને અર્થશાસ્ત્રીઓ કહે છે કે ટ્રમ્પના આ નિર્ણયથી સીધો લાભ ભારતને થવાનો છે.
ભારત તરફ અમેરિકન કંપનીઓનો પ્રવાહ
USએ H1B વિઝા ફીમાં ભારે વધારો થયા પછી અમેરિકન કંપનીઓ પોતાના ઓફશોર ઓપરેશન્સ માટે ભારત તરફ વળી રહી છે અને દેશમાં સ્થિત ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ (GCC)નો લાભ લઈ રહી છે. વિશ્વના અડધાથી વધુ GCC સેન્ટર્સનું હોસ્ટિંગ કરતું ભારત હવે AI અને દવા શોધ (ડ્રગ ડિસ્કવરી) જેવા હાઈ વેલ્યુ ટાસ્ક માટે હબ તરીકે વિકસી રહ્યું છે, એમ અહેવાલ કહે છે. આ મહિનાની શરૂઆતમાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા અને વિદેશી સ્કિલ્ડ કામદારો માટેના નવા H1B અરજીઓ પર 100,000 ડોલર (લગભગ 88 લાખ રૂપિયા) ફી ફટકારી છે. આ અગાઉની ફીથી લગભગ 70 ગણો વધારે છે, જે 1500–4000 ડોલર (2–4 લાખ રૂપિયા) વચ્ચે હતી.
ટ્રમ્પ પ્રશાસન તરફથી અમેરિકનોની નોકરી છીનવાઈ જવાની અને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ દર્શાવતા H1B વિઝા પર પ્રતિબંધ લગાવવા પર ભાર મુકાતાં ઈન્ડસ્ટ્રીમાં ઘણી અસમંજસતા સર્જાઈ છે. શરૂઆતમાં ઓર્ડરમાં સ્પષ્ટતા ન હોવાને કારણે મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને અમેરિકા ન છોડવા અને તરત પરત જવાની સલાહ આપી. જોકે બાદમાં સ્પષ્ટ થયું કે આ નિર્ણય ફક્ત નવી અરજીઓ પર લાગુ થશે.
અમેરિકન કંપનીઓએ બદલી વ્યૂહરચના
વિશ્વનું પાંચમા સૌથી મોટા અર્થતંત્ર ભારત પાસે 1700 GCC છે, જે વૈશ્વિક સંખ્યાના અડધાથી વધુ છે. હવે તે ટેક સપોર્ટથી આગળ વધી લક્ઝરી કાર ડેશબોર્ડ ડિઝાઇનથી લઈને દવા શોધવા સુધીના ક્ષેત્રોમાં હાઈ વેલ્યુ ઈનોવેશનનું સેન્ટર બની ગયું છે.
ભારત શિફ્ટ થવા તૈયાર કંપનીઓ
રોહન લોબોએ કહ્યું હતું કે અનેક અમેરિકન કંપનીઓ પહેલેથી જ પોતાના વર્કફોર્સની જરૂરિયાતોનું ફરી મૂલ્યાંકન કરી રહી છે અને ભારત તરફ શિફ્ટ થવાની યોજના બનાવી રહી છે, એમ અહેવાલ કહે છે.
યુએસ સરકાર મંગળવારે શટડાઉન તરફ આગળ વધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી ભંડોળ મધ્યરાત્રિ સુધીમાં સમાપ્ત થઈ જશે, અને ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પોતપોતાની માંગણીઓ પર અડગ છે. સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે મળેલી છેલ્લી બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નથી. ટોચના સેનેટ ડેમોક્રેટ ચક શૂમરે કહ્યું કે બંને પક્ષો વચ્ચે મોટા મતભેદો રહ્યા છે. કોંગ્રેસના બંને ગૃહોમાં લઘુમતી ધરાવતો તેમનો પક્ષ સરકાર પર પોતાની સત્તા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળના આઠ મહિના પછી થયું છે, જે દરમિયાન ઘણી સરકારી એજન્સીઓને તોડી પાડવામાં આવી છે.
સેનેટમાં 60 મતોની જરૂર છે
સેનેટના નિયમો અનુસાર, સરકારી ભંડોળ બિલ પસાર કરવા માટે 60 મતોની જરૂર છે, જે રિપબ્લિકન કરતા સાત વધુ છે (53 મત). જો કોંગ્રેસ મધ્યરાત્રિ પહેલાં ભંડોળ બિલ પસાર નહીં કરે, તો સરકારનો એક ભાગ બંધ થઈ જશે, જેનાથી વોશિંગ્ટનમાં એક નવો રાજકીય સંકટ સર્જાશે.
શટડાઉનના પરિણામો શું હશે?
શટડાઉન બિન-આવશ્યક સરકારી કામકાજ બંધ કરશે, લાખો સરકારી કર્મચારીઓને કામચલાઉ ધોરણે પગાર વગર છોડી દેશે અને ઘણા સામાજિક કલ્યાણ કાર્યક્રમોના ચુકવણીમાં વિક્ષેપ પાડશે. ગયા અઠવાડિયે, વ્હાઇટ હાઉસે સરકારી એજન્સીઓને છટણી માટે તૈયારી કરવાનો આદેશ આપ્યો હતો, જે સામાન્ય કામચલાઉ રજાઓ કરતાં વધુ ગંભીર હોય છે. આ પગલાથી સરકારી કર્મચારીઓ પર વધુ અસર પડશે, ખાસ કરીને એલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીએ આ વર્ષની શરૂઆતમાં મોટા પાયે છટણી લાગુ કર્યા પછી.
બંને પક્ષો એકબીજા પર દોષારોપણ કરે છે
યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી શટડાઉન ખૂબ જ અપ્રિય છે, અને ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને તેમને ટાળવાનો પ્રયાસ કરે છે, પરંતુ જો તે થાય છે, તો તેઓ એકબીજા પર દોષારોપણ કરે છે. સેનેટ રિપબ્લિકન નેતા જોન થુને સોમવારે ડેમોક્રેટ્સની માંગણીઓને “બંધક બનાવવા” ના પ્રયાસ તરીકે વર્ણવી હતી.
કાબુલઃ અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અનૈતિકતા સામે તાલિબાનની કાર્યવાહી બાદ ઈન્ટરનેટ સેવાઓ સંભવિત રીતે દેશવ્યાપી સ્તરે બંધ કરવામાં આવી છે. ઓગસ્ટ, 2021માં તાલિબાને સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારથી આ પહેલી વાર છે કે અફઘાનિસ્તાનમાં આ પ્રકારનો પ્રતિબંધ જોવા મળ્યો છે.
ટેલિકોમ સેવાઓ પર પડી રહી છે અસર
સપ્ટેમ્બરની શરૂઆતમાં તાલિબાન નેતા હિબતુલ્લાહ અખુન્દજાદાએ અનૈતિકતા રોકવા માટે ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યા બાદ અનેક પ્રાંતોના ‘ફાઇબર-ઓપ્ટિક કનેક્શન’ બંધ થઈ ગયા હતા. ઈન્ટરનેટના ઉપયોગ અને તે સુધી પહોંચના સમર્થક સંગઠન ‘નેટબ્લોક્સ’એ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કનેક્ટિવિટી સામાન્ય સ્તરના 14 ટકાએ પહોંચી ગઈ છે અને દેશમાં ટેલિકોમ સેવાઓમાં લગભગ સંપૂર્ણ વિક્ષેપ જોવા મળી રહ્યો છે. સંગઠને કહ્યું હતું કે આ કાર્યવાહી લોકોની બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની ક્ષમતા ગંભીર રીતે મર્યાદિત કરી શકે છે.
તાલિબાન સરકારે નથી કરી પુષ્ટિ
દેશના પૂર્વ અને દક્ષિણ પ્રાંતો નંગરહાર અને હેલમંદમાં તેમના પ્રતિનિધિઓ સાથે સંપર્ક કરવામાં નિષ્ફળ રહ્યું હતું. તાલિબાન સરકાર તરફથી ઈન્ટરનેટ બંધ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, જ્યારે તે પોતાની આંતરિક અને બાહ્ય સંચાર માટે ‘મેસેજિંગ એપ’ અને સોશિયલ મિડિયા પર ઘણું નિર્ભર રહે છે. ખાનગી ‘ટોલો ન્યૂઝ ટીવી ચેનલે જણાવ્યું હતું કે સૂત્રોની પુષ્ટિ મુજબ દેશમાં ‘ફાઇબર-ઓપ્ટિક ઈન્ટરનેટ’ કાપી નાખવામાં આવે એવી શક્યતા છે.