Home Blog Page 576

આર માધવને જણાવ્યું કે બૉલિવૂડ એક્ટર્સ કેમ નથી લેતા રિસ્ક?

આર માધવને બોલિવૂડમાં કલાકારોમાં રહેલી અસલામતી અને નાણાકીય બચતના અભાવ વિશે વાત કરી, અને શાહરૂખ ખાનના નિર્માતા બનવાના નિર્ણય પર પણ ટિપ્પણી કરી.

અભિનેતા આર. માધવન તેમના શાનદાર અભિનય તેમજ વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટવક્તા અને સ્પષ્ટ મંતવ્યો માટે જાણીતા છે. માધવન હવે બોલિવૂડમાં બચતના અભાવ વિશે વાત કરી રહ્યા છે. તેમણે હોલીવુડમાં કલાકારોને મળતી રોયલ્ટીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે શાહરૂખ ખાન જેવા મોટા સ્ટાર્સના નિર્માતા બનવાના નિર્ણય પર પણ ટિપ્પણી કરી.

અક્ષય રાઠી સાથેની એક મુલાકાતમાં આર. માધવને બોલિવૂડ કલાકારોની પૈસા બચાવવાની અસમર્થતાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે અસલામતીના કારણે કલાકારો જોખમ લેવાનું ટાળે છે. હોલીવુડમાં, સ્ટાર્સ સતત તેમના પાછલા કામ માટે પૈસા કમાય છે, તેથી તેઓ મોટા જોખમો લે છે. જો ભારતમાં સમાન મોડેલ હોત, તો મારી ત્રણ હિટ ફિલ્મો – 3 ઇડિયટ્સ, રંગ દે બસંતી અને તનુ વેડ્સ મનુ – પેઢીઓને ખવડાવવા માટે પૂરતા પૈસા કમાઈ શક્યા હોત.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું શાહરૂખ ખાનનો કારકિર્દીની શરૂઆતમાં વધુ નફો કમાવવા માટે નિર્માતા બનવાનો નિર્ણય એક સમજદાર પગલું હતું, ત્યારે માધવને કહ્યું કે બધા માટે સમાન અભિગમ અપનાવી શકાતો નથી. સ્ટાર્સનો એક વર્ગ ચોક્કસ આમ કરી શકે છે, પરંતુ ઉદ્યોગના નીચલા સ્તરના લોકો પાસે સમાન સંપત્તિ અથવા નાણાકીય સુરક્ષા નથી. જો તમે બે-અંકી પગાર કમાઈ રહ્યા છો, તો નિયમો અલગ રીતે લાગુ પડે છે કારણ કે તેઓએ તેમનું ભવિષ્ય સુરક્ષિત કર્યું છે.

માધવને એ-લિસ્ટ સ્ટાર્સના પગાર વિશે વાત કરી

સ્ટાર્સની જીવનશૈલી વિશે માધવને કહ્યું કે સ્ટાર્સ ચોક્કસ જીવનશૈલીથી ટેવાઈ જાય છે, પરંતુ બહુ ઓછા લોકો સમજે છે કે તેમણે તેમના ખર્ચ કરતાં વધુ ખર્ચ ન કરવો જોઈએ. એ-લિસ્ટ સ્ટાર્સના પગાર એટલા ઊંચા હોય છે કે તેઓ આ જીવનશૈલી જીવનભર જીવી શકે. જો હું આટલી બધી હિટ ફિલ્મો ધરાવતો હોલીવુડ અભિનેતા હોત, તો શું તમને લાગે છે કે હું કોઈ જોખમી પ્રોજેક્ટ લેતા પહેલા બે વાર વિચારત? હું તરત જ તેમાં કૂદી પડત, એ જાણીને કે ફક્ત ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો મારી ભાવિ પેઢીઓનું ધ્યાન ખેંચી શકે છે. પરંતુ જ્યારે તમને ખબર પડે છે કે કોઈ પેન્શન નથી, પરંતુ તમે એક એવી જીવનશૈલી બનાવી છે જે તમારે જાળવી રાખવાની છે, ત્યારે તમે વિચારવાનું શરૂ કરો છો,”પૈસા લો, તમને ખબર નથી કે તમને કાલે મળશે કે નહીં.”

ઉદ્યોગમાં અસમાન પગાર વિશે કોઈ બોલતું નથી

માધવને કહ્યું કે ઉદ્યોગમાં અસમાન પગાર હવે સામાન્ય બાબત છે, પરંતુ કોઈ પણ તેને પડકારવા માંગતું નથી કારણ કે તેમની પાસે સમય કે સંસાધનો નથી. જેવી આના વિશે વાત થશે, મને ખાતરી છે કે દરેક વ્યક્તિ તેમાં સામેલ થવા માંગશે કારણ કે પછી તમે જે પસંદ કરો છો તે કરી શકશો.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું ભવિષ્ય નથીઃ રામદાસ આઠવલે

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી આરોપ મૂકવામાં નિષ્ણાત બની ગયા છે. તેઓ જે પણ આરોપ મૂકે છે તેનો તેમની પાર્ટી (કોંગ્રેસ)ને જરાય ફાયદો નથી. દેશને મજબૂત બનાવવામાં પણ તેનો કોઈ ફાયદો નથી, એમ કેબિનેટ મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું હતું.

જો રાહુલ ગાંધી સાચું બોલશે, સાચી દિશામાં આગળ વધશે અને વિપક્ષના નેતા તરીકે પોતાની જવાબદારી નિભાવશે, તો ભવિષ્યમાં સારા નેતા બની શકે છે, પરંતુ મારા અનુભવ મુજબ રાહુલ ગાંધી હંમેશાં ખોટું બોલતા આવ્યા છે અને ખૂબ જ વધુ આરોપો લગાવતા આવ્યા છે. તમે નરેન્દ્ર મોદીજી પર આરોપ લગાવી રહ્યા છો, તેમની માતાનું અપમાન કરનારાઓ પર કોઈ કાર્યવાહી થઈ નથી. આથી કોંગ્રેસ પાર્ટીને જરાય ફાયદો નથી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું ભવિષ્ય નથી.

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પાસે કોઈ નક્કર પુરાવા નથી અને તેઓ માત્ર ખોટી વાતો ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રાહુલ ગાંધીને સલાહ આપતાં તેમણે કહ્યું હતું કે જો તેમની પાસે ખરેખર પુરાવા છે, તો તેઓ સીધા કોર્ટમાં જાય અથવા ચૂંટણી પંચ (ECI) પાસે ફરિયાદ નોંધાવે.

ચૂંટણી પંચે અગાઉ પણ પુરાવા માગ્યા હતા, પરંતુ પુરાવા આપવામાં આવ્યા નથી. રાહુલ ગાંધી ક્યારેક કહે છે કે મત ઉમેરાયા છે, તો ક્યારેક કહે છે કે મત કાઢી નખાયા છે. ECI એ સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદીમાંથી નામો ઓનલાઈન દૂર કરી શકાતા નથી, એમ તેમણે કહ્યું હતું.

 તેમને મોદીની પ્રગતિ પસંદ નથી

કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના આરોપો પર અઠાવલેએ વ્યંગ કરતાં કહ્યું હતું કે સાચી ‘ચોરી’ તો કોંગ્રેસના સંગઠનમાં થઈ રહી છે, જ્યાં તેમના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રગતિ પસંદ નથી આવી રહી. તેઓ ‘ડેડ ઇકોનોમી’ જેવાં ખોટાં નિવેદનો આપી દેશને નબળો બનાવવાની કોશિશ કરી રહ્યા છે.

મોતના બે દિવસ પહેલા કાજોલના પિતાએ સલમાન પાસે કરી હતી આવી ડિમાન્ડ

કાજોલ અને ટ્વિંકલ ખન્નાનો ચેટ શો ‘ટૂ મચ’ ગયા ગુરુવારે શરૂ થયો હતો. સલમાન ખાન અને આમિર ખાન આ શોમાં મહેમાન તરીકે આવ્યા હતા. ઇન્ટરવ્યુ દરમિયાન ભાઈજાને કાજોલના પિતા સાથેના પોતાના સંબંધો વિશે ચર્ચા કરી હતી.

Salman Khan

કાજોલ અને ટ્વિંકલ ખન્નાના લોકપ્રિય શો ‘ટૂ મચ’ નો પ્રીમિયર 25 સપ્ટેમ્બરના રોજ થયો હતો. આમિર અને સલમાન ખાન શોના પહેલા મહેમાન હતા, અને બંનેએ નિખાલસતાથી વાત કરી હતી. જોકે, વાતચીતનો સૌથી ભાવનાત્મક ક્ષણ ત્યારે આવ્યો જ્યારે સલમાને કાજોલના પિતા, ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જી સાથેના તેના સંબંધોને યાદ કર્યા, જેમનું 2008 માં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું.

સલમાન ખાન કાજોલના પિતાની ખૂબ નજીક હતો

વાતચીતમાં સલમાન ખાને કાજોલના સ્વર્ગસ્થ પિતા, ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી. તેમણે કહ્યું, “કાજોલના પિતા અને હું ખૂબ જ નજીક હતા, ખૂબ જ નજીક. તેઓ અઠવાડિયામાં લગભગ બે વાર અમારા ઘરે આવતા. હકીકતમાં, તેમના અવસાનના બે દિવસ પહેલા જ, તેઓ મુલાકાતે આવ્યા હતા. તે દિવસે તેઓ હંમેશની જેમ લુંગી પહેરીને આવ્યા હતા. જોકે, તેઓ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમની તબિયત સારી ન હતી.”

છેલ્લી વાતચીત યાદ કરવી

સલમાને કાજોલના પિતા સાથેની છેલ્લી વાતચીત યાદ કરી, જે વર્ષો સુધી તેની યાદમાં કોતરાયેલી રહી. અભિનેતાએ કહ્યું, “તેમણે કહ્યું, ‘દોસ્ત, મને એક ડ્રીંક આપો.’ મેં જવાબ આપ્યો, ‘ના, શોમુ દા, હું…’ પરંતુ તેમણે આગ્રહ કર્યો, ‘હું થોડા દિવસોમાં જઈ રહ્યો છું. મને એક ડ્રીંક આપો.’ મને ખબર નહોતી કે શું કરવું. તેમણે ફરીથી કહ્યું, ‘કૃપા કરીને મને એક ડ્રીંક આપો, મિત્ર.’ તેથી મેં તેમના માટે એક ડ્રીંક બનાવ્યું, અને બે દિવસ પછી, તેમનું અવસાન થયું.” શો હોસ્ટ કાજોલ તેના પિતા વિશે આ સાંભળીને ભાવુક થઈ ગઈ.

સલમાન ખાનનું વર્કફ્રન્ટ

સલમાન ખાન છેલ્લે “સિકંદર” માં જોવા મળ્યો હતો. તેની આગામી ફિલ્મ કારકિર્દીમાં “બેટલ ઓફ ગલવાન”નો સમાવેશ થાય છે. અભિનેતા હાલમાં બિગ બોસ 19 હોસ્ટ કરી રહ્યા છે.

આઈ લવ મોહમ્મદ’ના મંચ પરથી CM યોગીને ખુલ્લેઆમ ધમકી

બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ‘આઈ લવ મોહમ્મદ’ કાર્યક્રમમાં એક મૌલાનાએ CM યોગી વિરુદ્ધ ભડકાઉ ભાષણ કર્યું હતું. મૌલાનાએ મંચ પરથી CM યોગીને ખુલ્લેઆમ દફનાવી દેવાની ધમકી આપી હતી. મૌલાનાએ ભીડ વચ્ચે CM યોગી વિરુદ્ધ અનેક અપશબ્દો પણ કહ્યા. CM યોગીને ધમકી આપનારાએ તેમને માજલગાંવની મુસ્તફા મસ્જિદમાં આવવાની ચેલેન્જ પણ ફેંકી હતી. તેણે કહ્યું હતું કે જો યોગી અહીં આવશે તો તેમને અહીં જ દફનાવી દેવામાં આવશે.

ધમકીનો વિડિયો આવ્યો સામે

હકીકતમાં, બીડના માજલગાંવમાં ખુલ્લા મંચ પરથી ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને દફનાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અહીં ‘આઈ લવ મોહમ્મદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન એક મૌલવીએ મંચ પરથી CM યોગીને દફનાવી દેવાની ધમકી આપી.

મૌલવીની ઓળખ અશફાક નિસાર શેખ તરીકે થઈ છે. હાલ આ મામલે માજલગાંવ પોલીસ સ્ટેશનમાં કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. આ ઉપરાંત CM યોગીને ધમકી આપતો મૌલવીનો વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શું છે ‘આઈ લવ મોહમ્મદ કેમ્પેઇન?

દેશભરમાં ‘આઈ લવ મુહંમદ’ને લઈને મુસ્લિમ સંગઠનો દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જુમ્માની નમાજ પછી આજે મસ્જિદોની બહાર અનેક જગ્યાએ પ્રદર્શન કરવામાં આવ્યાં છે. એ જ ક્રમમાં બીડમાં પણ મસ્જિદની બહાર પ્રદર્શન થયું. મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે કાનપુરમાં ‘આઈ લવ મોહમ્મદ’ના પોસ્ટર લગાવનારાઓ વિરુદ્ધ પોલીસે જે કાર્યવાહી કરી તે ખોટી છે. તેમનો આરોપ છે કે આ પગલાંથી સામ્પ્રદાયિક સૌહાર્દ બગડ્યું છે અને નિર્દોષ નાગરિકોના મૂળભૂત હકોનું હનન થયું છે. હાલ CM યોગીને ધમકી આપવામાં આવેલા મામલે પોલીસ શું એક્શન લે છે તે જોવાનું રહેશે.

અહીં અનોખી રીતે થઈ નવરાત્રિની ઉજવણી…

શક્તિની આરાધનાના દિવસો નવરાત્રિનું પર્વ દરેક ગામ, પ્રાંત અને વિસ્તારમાં અલગ અલગ રીતે ઉજવાઇ રહ્યું છે. નવ દુર્ગાના સ્વરૂપને ભક્તો પોતાની શ્રધ્ધા પ્રમાણે અનુષ્ઠાન કરી ઉત્સવની ઉજવણી અને ભક્તિ કરી રહ્યા છે.

અમદાવાદની જ વાત કરીએ તો પૂર્વ અને પશ્વિમ વિસ્તારની સોસાયટીઓમાં દરેક પ્રાંતના લોકો જ્યાં વસે છે. સૌ ભેગા મળી માતાજીના ચોકમાં કંઇક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમદાવાદ શહેરના વંદેમાતરમ રોડ પર આવેલી આઇ.સી.બી. પાર્ક સોસાયટીમાં રહેતા સોનલ આચાર્ય ચિત્રલેખા.કોમને કહ્યું કે “અમે આ વખતે અનોખી રીતે ગરબાની ઉજવણી કરી. સોસાયટીની બહેનોએ હાથમાં નવરાત્રિના ઉત્સવ માટે મહેંદી મુકી. આ મહેંદીમાં પોતાના ગામનું નામ લખ્યું એની સાથે કુળદેવીનું નામ પણ લખ્યું. આપણે પોતાના ધંધા રોજગાર કે વ્યવસાય હેતુ દુનિયામાં ગમે ત્યાં રહેતા હોઇએ. પરંતુ ધાર્મિક ઉત્સવ દરમિયાન પોતાના ગામ, દેવી દેવતા અને સંસ્કૃતિ યાદ રહે એ માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યુ. ફિલ્મી ગીતો વગર નવરાત્રિના ગરબા સાથે આ પ્રસંગ ઉજવ્યો જેમાં નાની બાળકીઓ સહિત તમામ ઉંમરની 150 જેટલી બહેનોએ ભાગ લીધો.”

સોસાયટીની બહેનોએ પોતાના કુળદેવી અને ગામનું ના મહેંદીમાં લખ્યું અને શક્તિને યાદ કરી નવરાત્રિમાં ભક્તિ કરી. નવરાત્રિ મહોત્સવનો આ પ્રસંગ એકદમ અનોખો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કર્ણાટકમાં દશેરા ઉત્સવમાં મુખ્ય અતિથિ મુદ્દે રાજકીય કશ્મકશ

બેંગલુરુઃ આ વર્ષે કર્ણાટકનો સંસ્કૃતિ, કલા અને સાંસ્કૃતિક ઓળખનો ઉત્સવ રાજકીય તોફાનમાં ફેરવાઈ ગયો છે. વિશ્વપ્રસિદ્ધ મૈસુરુ દશેરાના ઉદ્ઘાટન માટે સિદ્ધારમૈયાની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે લીધેલા નિર્ણયને ભાજપે જરાય સ્વીકાર્યો નથી. CM સિદ્ધારમૈયાએ 22 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે ‘આ વર્ષે પોતાની પુસ્તક હાર્ટ લેમ્પ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનારી હસનની લેખિકા, વકીલ અને કાર્યકર બાનુ મુશ્તાક આ ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કર્ણાટકની લેખિકાને બુકર પુરસ્કાર મળવો રાજ્ય માટે ગૌરવની બાબત છે અને આવી પ્રતિષ્ઠિત મહિલાનું દશેરા ઉત્સવનું ઉદઘાટન કરવું ઐતિહાસિક સિદ્ધિ છે.

ત્યાર બાદ મુશ્તાકે આ આમંત્રણને નમ્રતા સાથે સ્વીકાર્યું અને દશેરા ઉત્સવને સૌનો તહેવાર ગણાવ્યો હતો. તેમણે આ ઉત્સવ સાથેના પોતાના ઊંડા સાંસ્કૃતિક સંબંધ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે દેવી ચામુંડેશ્વરીને ‘માતા’ કહેવું અને તહેવારને ‘નાડ હબ્બા’ કહેવું, બન્ને કર્ણાટકની સંસ્કૃતિના અભિન્ન અંગ છે, જેને તેઓ અન્ય કોઈની જેમ જ મહત્ત્વ આપે છે.મૈસુરના ભૂતપૂર્વ સાંસદ પ્રતિપ સિંહા, સાંસદ તેજસ્વી સૂર્યા અને શોભા કરંદલાજે સાથે ભાજપના રાજ્ય અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રે સરકારની પસંદગી પર તરત જ વાંધો ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, બરતરફ કરાયેલા ભાજપના વિધાનસભ્ય બસરગૌડા પાટીલ યત્નાલે પણ માગ કરી હતી કે મુશ્તાક સ્પષ્ટ કરે કે શું તેઓ હજુ પણ ઇસ્લામનું પાલન કરશે કે હવે તેઓ માને છે કે બધા રસ્તાઓ મોક્ષ તરફ જ જાય છે?

GSTમાં કાપના તૂટ્યા રેકોર્ડઃ ક્રેડિટ કાર્ડ ખર્ચ 10,000 કરોડ સુધી પહોંચ્યો

નવી દિલ્હીઃ સરકાર દ્વારા GST દરોમાં ઘટાડો કર્યા પછીના એક જ દિવસે ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકો દ્વારા કરાયેલા ખર્ચમાં અચાનક જ ભારે વધારો જોવા મળ્યો હતો. RBIના આંકડા મુજબ માત્ર ક્રેડિટ કાર્ડ મારફતે ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન 22 સપ્ટેમ્બરે એક જ દિવસે લગભગ છ ગણા વધી 10,411 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા છે.

દેશમાં 21 સપ્ટેમ્બરે આશરે 36.16 લાખ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં માત્ર ,514 કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા, પરંતુ GSTમાં રાહત મળતા જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને બીજા જ દિવસે ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધીને આશરે 95 લાખ સુધી પહોંચી ગઈ હતી. 23 સપ્ટેમ્બરે પણ ખરીદીની ગતિ મજબૂત રહી અને આશરે 70 લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા, જેમાં ક્રેડિટ કાર્ડથી ગ્રાહકોએ અંદાજે 7274 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગ્રાહકો ખરીદી કરતા અટકતા નહોતા અને ખૂબ જ ઉત્સુક હતા.

RBIના આંકડા મુજબ, પોઇન્ટ-ઓફ-સેલ (POS) ટ્રાન્ઝેક્શન 22 સપ્ટેમ્બરે અગાઉના દિવસના 1106 કરોડ રૂપિયાથી વધી 2533 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા, એટલે કે  બે ગણા કરતાં પણ વધુ લેવડદેવડ થઈ.

ડેબિટ કાર્ડથી થતો ખર્ચ પણ વધ્યો

સૌથી ખાસ વાત એ હતી કે આ તેજી માત્ર ક્રેડિટ કાર્ડ સુધી સીમિત નહોતી. ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા થતી ખરીદીમાં પણ ઉછાળો જોવા મળ્યો. 21 સપ્ટેમ્બરે ડેબિટ કાર્ડ મારફતે માત્ર 193 કરોડ રૂપિયાની જ ખરીદી થઈ હતી. જ્યારે 22 સપ્ટેમ્બરે આ ખર્ચ ચાર ગણા વધી ગયો — હા, 14.33 લાખ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 814 કરોડ રૂપિયા ખર્ચાયા. તેની પાછળનું મુખ્ય કારણ હતું GSTમાં કપાત બાદ તહેવારોમાં દેશભરમાં લોકો દ્વારા ધડાધડ કરવામાં આવેલી ખરીદી હતી.

RBIના આંકડા મુજબ UPI  પ્લેટફોર્મ મારફતે કરાયેલા પેમેન્ટ્સ પણ 22 સપ્ટેમ્બરે વધીને 82,477 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા, જ્યારે એક દિવસ પહેલાં એ  60,320 કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા.

યાદગાર યર ઓફ ધ બોલિવૂડ…

સમાચાર આવે છે કે ઓસ્ટ્રેલિયામાં 9 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ સિડનીમાં ‘શોલે’ નવી અથવા મૂળ ક્લાઈમેક્સ સાથે રિલીઝ થશે. આપણે જે ‘શોલે’ જોઈ છે તેની પરાકાષ્ઠામાં ખાખી વર્દીવાળા પુલીસ અફ્સરો (બધું પતી ગયા બાદ) પહાડોની વચ્ચે આવેલા ગબ્બરસિંહના અડ્ડા પર પહોંચીને એને અરેસ્ટ કરે છે. સર્વવીદિત છે કે દિગ્દર્શક રમેશ સિપ્પીએ શૂટ કરેલી મૂળ પરાકાષ્ઠામાં ઠાકૂર બલદેવસિંહ પોતાની ધારદાર ખીલીવાળી મોજડીથી ગબ્બરને લોહીલુહાણ કરીને મારી નાખે છે, પણ સેન્સરમાં વાંધા પડતા ગબ્બરની ધરપકડ બતાવવી પડી.

હશે. ‘શોલે’ની તો બહુ વાત થઈ. આપણે વાત કરવી છે, જે વર્ષે ‘શોલે’ રિલીઝ થઈ તેની. 1975ની. 1975માં કેટલીક સારી ફિલ્મો રજૂ થઈ, જથ્થાબંધ સારી ફિલ્મો રિલીઝ થઈ. બન્ને રીતેઃ કમાણીની રીતે સારી અને કૃતિ તરીકે પણ સારી. આ સાથે બીજી પણ એક નોંધનીય ઘટના ઘટી, જેની વાત પછી. પહેલાં આ યાદી જુઓઃ

ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીની જાહેરાત કરી એ 1975માં ‘શોલે’, ‘દીવાર’, ‘ફરાર’, ‘ધર્માત્મા’, મિલી’, ‘ચૈતાલી’, ‘ચૂપકે ચૂપકે’, ‘આંધી’, ‘ખુશ્બૂ’, ‘મૌસમ’,’ છોટી સી બાત’, ‘જુલી’, ‘જય સંતોષી મા’, ‘ગીત ગાતા ચલ’, ‘પ્રતિજ્ઞા’, ‘ખેલ ખેલ મેં’, ‘‘સંન્યાસી,’ ‘પ્રેમ કહાની’, ‘જખ્મી’, ‘ઝમીર’,  શ્યામ બેનગલની ‘નિશાંત’, વગેરે રિલીઝ થઈ.

 

-અને નોંધનીય ઘટના તે એ કે આજકાલ ઘણા ફિલ્મમેકર ત્રણ વર્ષમાં એક સારી ફિલ્મ પણ આપી શકતા નથી, પરંતુ ગુલઝાર સાહેબે એક જ વર્ષમાં (1975માં) ત્રણ સ-રસ ફિલ્મો આપીઃ ‘આંધી’, ‘ખુશ્બૂ’ અને ‘મૌસમ’. ત્રણેય ફિલ્મનાં કથાવસ્તુ-અભિનય-ગીત-સંગીત આજેય ડોલાવે એવાં છે. ત્રણમાંથી બેમાં પંચમદા, જ્યારે ‘મૌસમ’માં મદનમોહન અને સલીલ ચૌધરીનાં ગીત-સંગીત. શ્રેય અહીં સંજીવ કુમારને પણ આપવું ઘટે. ત્રણમાંથી બે ફિલ્મ પોલિટિકલ લવસ્ટોરી ‘આંધી’ અને રોમાન્સ ડ્રામા ‘મૌસમ’માં સંજીવકુમાર હતા. સંજીવકુમાર સર્વકાલીન શ્રેષ્ઠ હતા. દુર્ભાગ્યે બહુ વહેલા ચાલી ગયા. મને એવી ફીલિંગ આવ્યા કરે છે કે સંજીવકુમારની એક્ટર તરીકે અને ગુલઝારની ડિરેક્ટર તરીકે જોઈએ એવી કદર થઈ નથી. નિઃશંકપણે લેખક-ગીતકાર તરીકે ગુલઝારને પૂરાં આદરસમ્માન મળ્યાં.

તો 1975માં જ રિષિકેશ મુખર્જીએ આપીઃ ‘મિલી,’ ‘ચૂપકે ચૂપકે’ અને ‘ચૈતાલી’.

બીજી એક રસપ્રદ વાત તે એ કે 1975ની સુપરહિટ ફિલ્મોમાંથી અડધો ડઝન ફિલ્મ (‘શોલે’-‘દીવાર’-‘ફરાર’-‘ચુપકે ચુપકે’-‘ઝમીર’)માં અમિતાભ બચ્ચન હતા. 1975થી જ બચ્ચન નંબર વન હીરો તરીકે ઊભરી આવ્યા, અને આગામી બે દાયકા સુધી એન્ગ્રી યંગ મેન અથવા હીરો તરીકે એકચક્રી શાસન કર્યું. આજે પણ એમના સુપર સ્ટારડમ અને ફેનબેઝ જળવાયેલાં છે. ફરારની વાત નીકળતાં આ વાત યાદ આવી ગઈ. ૧૯૭૫માં જ રિલીઝ થયેલી બાસુ ચેટર્જીની ‘છોટી સી બાત’માં અમિતાભ બચ્ચન ‘ફરાર’ના શૂટિંગમાંથી સમય કાઢીને અશોકકુમારને મળવા આવે છે. એવું દશ્ય છે. એક ખૂણામાં ઊભેલા અમોલ પાલેકર બન્નેને ખાનગી વાત કરતા અહોભાવથી જોતા રહે છે.

તો વસ્તુ એવી કે આ એક જ વર્ષમાં અમિતાભ પાંચ ફિલ્મોમાં, જ્યારે ધર્મેન્દ્ર ચાર ફિલ્મોમાં દેખાયા. ‘ચૂપકે ચૂપકે’ની વાત કરીએ તો, અમિતાભ-જયા ભાદુરીને ખબર હતી કે આ ફિલ્મનાં હીરો-હીરોઈન ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોર છે, પોતે તો નંબર-ટુ છે. આમ છતાં હૃષિદા માટે પ્રેમાદરના કારણે એમણે કામ કરવાનું સ્વીકાર્યું. એટલું જ નહીં, તેમણે પૈસા પણ લીધેલા નહીં. ભઈ, આ પૈસા ન લીધાની વાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્રોત પાસેથી સાંભળેલી છે. સાચું-ખોટું તો દ્વારિકાધીશ જાણે.

-અને હૃષિદાએ કોઈને નિરાશ કર્યા નહીં. ધર્મેન્દ્ર, શર્મિલા ટાગોર, બચ્ચન સાહેબ, જયાજી જ નહીં, પણ ઓમ પ્રકાશ, ઉષા કિરણ, ડેવિડ, કેસ્ટો મુખર્જી, અસરાની આજે પણ યાદ છે. ગુલઝાર સાહેબે લખેલી ચૂપકે ચૂપકે’ કલ્ટ કોમેડી બની ગઈ.

આનાં બે વર્ષ બાદ, 1977માં મનમોહન દેસાઈએ, એક જ વર્ષમાં, ‘પરવરિશ’, ‘અમર અક્બર એન્થની’, ‘ધર્મવીર’ અને ‘ચાચા ભતીજા’ એમ ચાર-ચાર ફિલ્મો આપી, જેની વાત ફરી ક્યારેક.

કોણ છે શેખર જ્યોતિ ગોસ્વામી? જેમને ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં SIT એ કસ્ટડીમાં લીધા

આસામ સરકાર આસામી ગાયિકા ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ કરી રહી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હવે શેખર ગોસ્વામી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. શેખર કોણ છે અને તે ઝુબીનના મૃત્યુ સાથે કેવી રીતે જોડાયેલ છે તે જાણો.

આસામ સરકાર દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ગાયિકા ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ કરી રહી છે. આ તપાસના ભાગ રૂપે સંગીતકાર શેખર જ્યોતિ ગોસ્વામીની અટકાયત કરવામાં આવી છે. જે દિવસે SIT એ નોર્થઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત અને તેમના મેનેજર સિદ્ધાર્થ શર્માના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા તે જ દિવસે શેખર જ્યોતિ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. શેખર જ્યોતિ ગોસ્વામી કોણ છે તે જાણો.

શેખર જ્યોતિ ગોસ્વામી એક ડ્રમર છે. શેખર જ્યોતિ ગોસ્વામી એક ડ્રમર હોવાનું કહેવાય છે જે સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે ઝુબીન ગર્ગના અંતિમ ક્ષણો દરમિયાન તેની સાથે હતો. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ શેખર જ્યોતિ ગોસ્વામી ઝુબીન ગર્ગના લાંબા સમયથી બેન્ડમેટ હતા. જો કે, તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં તેણે પોતાને સાઉન્ડ એન્જિનિયર, મ્યુઝિક પ્રોડ્યુસર, એરેન્જર, કમ્પોઝર અને કોમ્પ્યુટર હાર્ડવેર એન્જિનિયર ગણાવ્યા છે. જો કે, અધિકારીઓએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે સંગીતકારને કેમ અટકાયતમાં લેવામાં આવ્યા.

જુબીનના મેનેજરની ધરપકડની માંગણીઓ તીવ્ર બની

બીજી તરફ, શ્યામકાનુ મહંત અને સિદ્ધાર્થ શર્માની ધરપકડની માંગણીઓ વધી રહી છે, કારણ કે SIT એ તેમના ઘરો પર અલગથી દરોડા પાડ્યા ત્યારે બંને હાજર નહોતા. એવું પણ જાણવા મળી રહ્યું છે કે જુબીનના મેનેજર સિદ્ધાર્થ શર્માના ઘરની બહાર ઘણા લોકો એકઠા થયા હતા અને પોલીસ SIT ટીમને તેમના ઘરે લઈ જતી વખતે પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ મેનેજરની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી અને ગાયકના મૃત્યુ માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. ભીડને ઉશ્કેરવા અને હોબાળો મચાવવા બદલ બે લોકોની પણ અટકાયત કરવામાં આવી છે.

સ્કુબા ડાઇવિંગ કરતી વખતે મૃત્યુ

સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે 52 વર્ષીય સિંગર ઝુબીન ગર્ગનું મોત થયું. તેઓ ઉત્તરપૂર્વ ભારત મહોત્સવમાં ભાગ લેવા માટે સિંગાપોર ગયા હતા. 19 સપ્ટેમ્બરના રોજ તેમનું અવસાન થયું. સિંગાપોરની એક હોસ્પિટલમાંથી મળેલા ઝુબીનના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ ડૂબી જવાને દર્શાવવામાં આવ્યું છે. જોકે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આશા વ્યક્ત કરી હતી કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વધુ માહિતી બહાર આવશે. મુખ્યમંત્રીએ એ પણ ખાતરી આપી હતી કે જો SIT તપાસ સંતોષકારક નહીં હોય, તો આસામ સરકાર CBI તપાસની ભલામણ કરશે.

વાસ્તુ: દિવાળીની સફાઈ માટેના કોઈ વાસ્તુ નિયમો હોય ખરા?

માનવીનો અવતાર આનંદમય જીવન જીવવા માટે છે. આનંદ અને મોજશોખ એ અલગ વિષય છે. આજે જયારે સત્સંગ જેવા વિષયને પણ લોકો વ્યસનની પ્રક્રિયા સાથે જોડી રહ્યા હોય ત્યારે પરમ આનંદ સમજાવવાનું લગભગ અશક્ય છે. માણસ એટલે સહનશક્તિનું પ્રતિક એ વિષય ખબર નહિ ક્યાંથી આવ્યો છે. જો દુખ સહન કરીને જ જીવવાનું હોય તો પછી અન્ય જીવ અને માણસ વચ્ચે ફર્ક શું હોઈ શકે? જે જીવ નિર્ણય લઇ શકે છે. જે પોતાના વિકાસ માટે કાર્ય કરી શકે છે તે માત્ર સહન કર્યા કરે એ વાત મૂળભૂત રીતે જ ખોટી લાગે છે. આંનંદ એ આંતરિક ભાવના છે. જયારે એની સમજણ મળે ત્યારે વ્યક્તિ સુખી થઇ શકે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: દિવાળીની સફાઈ માટેના કોઈ વાસ્તુ નિયમો હોય ખરા?

જવાબ: જી. દિવાળીની સફાઈ પાછળના કારણો આપણે ઘણી વાર ચર્ચ્યા છે. તેથી આજે નિયમોની જ વાત કરીએ. સફાઈની શરૂઆત ઈશાનથી કરવી જોઈએ. સામાન્ય રીતે આપણે એક જગ્યાએથી વસ્તુઓ ખસેડીને ત્યાં પછી મૂકી દઈએ છીએ. આ ખોટી રીત છે. કોઈ પણ વસ્તુને એની જગ્યાએથી ખસેડ્યા બાદ એની પુરતી સફાઈ જરૂરી છે. આ ઉપરાંત એ વસ્તુ વાસ્તુ નિયમ મુજબ ત્યાં મુકાય કે નહિ તેના માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

ઘરમાં એવી વસ્તુઓ હોય કે જે લાંબા સમયથી ન વપરાઈ હોય એને ઘરમાંથી યોગ્ય જગ્યાએ જવા દેવી જોઈએ. દેવસ્થાનની આસપાસ કોઈ પણ વજન વાળી કે ઉંચી વસ્તુ ન રાખવી જોઈએ. ઘરમાં નૈરુત્ય તરફની સફાઈ છેલ્લે કરવી જોઈએ. પરંતુ વસ્તુઓ મુકવાનું નૈરુત્ય દિશાથી શરુ કરવું હિતાવહ છે. આ સફાઈ કરતી વખતે ઘરની દીવાલો ન ધોવાય. એનાથી ઘરમાં બરકત ઘટે છે. ઘરમાં ફર્શ ધોવાની થાય તો તે નૈરુત્યથી ઇશાન તરફ ધોઈ શકાય.

ઘરની સફાઈ પોતાના કાયમના માણસો અથવાતો ઘરની વ્યક્તિઓએ જ કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ અચાનક સફાઈ કરે તો તેની નકારાત્મક ઉર્જાની અસર ઘરની ઉર્જાને નુકશાન કરી શકે છે. દિવાળીની સફાઈ કરતી વખતે કેમિકલ વધારે હોય એવા દ્રવ્યોનો ઉપયોગ ટાળવો જોઈએ.

ગુરુવારે દિવાળી માટેની ઘરની સફાઈ ન કરાય. ઘર ધોતી વખતે જો પાણી ઘરની બહાર ઉડે તો તે ઘરની આર્થિક વ્યવસ્થાને નુકશાન કરે છે.

સવાલ: અમે વરસોથી તમારા લેખ વાંચ્યા છે, તમારા દરેક ટીવી કાર્યક્રમો પણ જોયા છે અને તમારા રેડીઓ શો પણ સાંભળ્યા છે. અમને તમે કાયમ એક ગુરુતુલ્ય વ્યક્તિ લાગ્યા છો. કોઈ આડંબર નહિ અને કોઈ દેખાડો નહિ. તમે કાયમ સીધી વાત જ કરો છો. એક સવાલ અમને સતાવી રહ્યો છે કે જો દુનિયાની ઈકોનોમી ખરાબ હોય, વિશ્વયુદ્ધ થવાની વાતો ચાલતી હોય અને માર્કેટમાં પૈસાના લીધે તકલીફ હોય તો લોકો નવરાત્રી, દિવાળીની ખરીદી અને મોજશોખ પાછળ ધુમાડા કેમ કરે છે? ઉત્તર ભારતમાં વાદળો ફાટે છે, રસ્તાઓ ધોવાઈ જાય છે તો પણ લોકો જાત્રાના નામે ફરવા જાય છે. શું આ બધું રોકી ન શકાય? કે પછી આ સમાચારો માત્ર ડરાવવા માટે જ હોય છે?

જવાબ: કોવીડ પછી માણસને કુદરતનો પણ ડર નથી રહ્યો. જે છે તે વાપરી નાખવાનો વિચાર વધી રહ્યો છે. વળી નવી પેઢી દિશાહીન બની રહી છે. સમગ્ર વિશ્વમાં સ્થિતિ કાબુમાં નથી એ એક હકીકત છે અને લોકો નફિકરા થયા છે અથવાતો માત્ર મોજશોખ કરવા ઈચ્છે છે એ બીજી હકીકત છે. રોજબરોજની ઘટનાઓ અંગે કદાચ એમની સહિષ્ણુતા જતી રહી છે. પણ જો ભવિષ્યનો વિચાર નહિ કર્યો હોય તો આવનાર સમય સાચેજ ખરાબ હશે એ પણ હકીકત છે. સમય સહુથી મુલ્યવાન છે. અને એનો વેડફાટ સતત થઇ રહ્યો છે. કોઈને એકબીજા માટે સમય નથી પણ ન કરવાની બાબત માટે પુષ્કળ સમય છે. બધાજ ભાગી રહ્યા છે પણ કોઈ કશે પહોંચતું નથી.

આવા સમયે પોતાના ભવિષ્યનો વિચાર ચોક્કસ કરવો જોઈએ. કોઈ દેવસ્થાનમાં વિચાર્યા વિના દાન કરવા કરતા કે યાત્રાઓ કરવા કરતા પોતાની પેઢી માટે બચત કરવી જોઈએ. પ્રલોભનોમાં ન જ આવવું જોઈએ.

સુચન: સુપાત્રને દાન જરૂરી છે. આપણા પૈસાનો કોઈ અન્ય પણ દુરુપયોગ કરે તો એ આપણી ઉર્જા ઓછી કરે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)