Home Blog Page 582

ફાર્મા સેક્ટર પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે 100 ટકા ટેરિફ બોમ્બ ઝીંક્યો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે કયો નિર્ણય લઈ લે તે કહેવું મુશ્કેલ છે. હવે તેમણે પહેલી ઓક્ટોબરથી ફાર્મા ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી બ્રાન્ડેડ અને પેટન્ટ મેડિસિન પ્રોડક્ટ્સ પર 100 ટકા ભારે ટેરિફ લગાવવાનો જાહેર કર્યો છે. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું છે કે પહેલી ઓક્ટોબર, 2025થી અમે કોઈ પણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ દવા પર 100 ટકા ટેરિફ લગાવીશું. આ ભારે ટેરિફથી છૂટ મેળવવા માટે કંપનીઓએ અમેરિકા અંદર જ ઉત્પાદન શરૂ કરવું પડશે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પના આ નિર્ણયની પ્રતિકૂળ અસર ભારતીય કંપનીઓ પર પણ થશે, કારણ કે અમેરિકા માટે દવાઓના સૌથી મોટા સપ્લાયર્સમાં ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે.

હાલ ભારતીય દવા પર કેટલો ટેક્સ?

હાલ અમેરિકાથી ભારત આવતી દવાઓ પર 10.91 ટકા ટેક્સ લાગે છે. જ્યારે અમેરિકા ભારતીય દવાઓ પર કોઈ ટેક્સ લગાવતું નથી. જોકે બીજી એપ્રિલ, 2025ના ટેરિફ જાહેરાત વખતે ટ્રમ્પે ફાર્મા સેક્ટરને બહાર રાખ્યું હતું, પરંતુ હવે 100 ટકા ટેરિફ જાહેર કરવામાં આવ્યો છે.

મેડ ઇન અમેરિકા પર ઝીરો ટેરિફ

ટ્રમ્પે લખ્યું છે કે જો કંપનીઓ અમેરિકામાં દવાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી ન રહી હોય. તેમણે છૂટની કડક શરતો પણ સ્પષ્ટ કરી હતી “કન્સ્ટ્રક્શન અન્ડર પ્રોસેસ” એટલે કે નિર્માણ કાર્ય શરૂ થવું અથવા ચાલુ હોવું એટલે કે જો પ્લાન્ટનું નિર્માણ શરૂ થઈ ગયું છે તો આ દવાઓ પર કોઈ ટેરિફ લાગશે નહીં.

આ ઉત્પાદનો પર પણ ટેરિફ લાગશે

એ સિવાય રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલી ઓક્ટોબરથી કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50 ટકા, ફર્નિચર પર 30 ટકા અને ભારે ટ્રકો પર 25 ટકા શુલ્ક વસૂલવાની જાહેરાત કરી છે. આ નિર્ણયની પણ મોટો અસર પડશે.

અમેરિકન જનતા પર વધશે ખર્ચનો બોજ

વર્ષ 2024માં અમેરિકાએ લગભગ 233 અબજ ડોલરની દવાઓ અને ઔષધીય ઉત્પાદનોની આયાત કરી હતી. દવાઓ પર ભારે ટેરિફથી અમેરિકામાં દવાઓના ભાવમાં મોટો વધારો થશે, જેનો બોજ સીધો જનતાને સહન કરવો પડશે. ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકન જનતા પર બુમરેંગ સાબિત થશે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫

Chitralekha Gujarati – 06 October, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 26/09/2025

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકની જાહેરાત

મુંબઈ: સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું, એવા લોકપ્રિય સાહિત્યકારની સ્મૃતિમાં સ્થપાયેલું હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ વર્ષ ૨૦૦૫થી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરે છે.વર્ષ ૨૦૨૪ માટે કુલ ત્રણ વિભાગમાં આ પારિતોષિક જાહેર કરવામાં આવે છે. સાહિત્ય વિભાગમાં રાજકોટસ્થિત કવિ લલિત ત્રિવેદી, રાજકોટથી પ્રગટ થતાં વર્તમાનપત્ર ‘ફૂલછાબ’ના તંત્રી જ્વલંત છાયા અને કલા વિભાગમાં મુંબઈસ્થિત નાટ્યકલાકાર મીનળ પટેલની પસંદગી કરવામાં આવી છે. જવલંત છાયાએ આ પહેલાં ‘ચિત્રલેખા’ના રાજકોટ ખાતેના પત્રકાર તરીકે ફરજ બજાવી છે.આ ત્રણેય પારિતોષિક કથાકાર મોરારિબાપુના હસ્તે એનાયત કરવામાં આવશે. પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂપિયા ૫૧,૦૦૦ (એકાવન હજાર)ના ચેકનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ૨૮ સપ્ટેમ્બરે, સાંજે ૬.૦૦ વાગ્યે હિંદુસ્તાની પ્રચાર સભા હૉલ, મહાત્મા ગાંધી મહાત્મા મેમોરિયલ બિલ્ડિંગ, ચર્ની રોડ, મુંબઈ ખાતે યોજાશે.હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે નવીનભાઈ દવે, ટ્રસ્ટી તરીકે રોહિત પટેલ, કુન્દન વ્યાસ, રમેશ પુરોહિત તથા કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે ગોપાલ દવે, હિતેન આનંદપરા, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોષી કાર્યરત છે.

વિજ્ઞાન સાથેનું અનુભવજન્ય શિક્ષણ ગુજરાત સાયન્સ સિટીમાં

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત કાર્યરત છે. જેના માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.

ગુજરાત સાયન્સ સિટીના એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી, એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્ક સહિતના સાયન્સ સીટીના વિવિધ આકર્ષણો આવેલા છે.

ગુજરાત સાયન્સ સિટીમાં દરરોજ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ સહીત મોટી સંખ્યા માં મુલાકાતીઓ આવે છે. તેઓની આ મુલાકાત ને ‘સાયન્સ સફર’ બનાવવા શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓને જુદા વર્કશોપ્સ વડે વિજ્ઞાનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે.

આ વર્કશોપ્સમાં વિદ્યાર્થીઓને STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) વિષયક શિક્ષણ આપવામાં આવશે. વર્કશોપ્સમાં હેન્ડ્સ ઓન એક્ટિવિટી સાથે સાઉન્ડ, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ, હીટ એન્ડ કેન્ડલ, મશીન્સ, એસ્ટ્રોનોમી, ફોર્સ, પ્રેસર એન્ડ ફ્રિકશન, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ, લિવિંગ સિસ્ટમ, આર્ટ એન્ડ મેથેમેટિક્સ, સ્પોર્ટ્સ એન્ડ મેથેમેટિક્સ, બેઝિક એરિથમેટિક એન્ડ નંબર સીસ્ટમ, એડવાન્સ્ડ એરિથમેટિક એન્ડ કમ્પ્યુટેશનલ થિંકિંગ, થ્રી-ડી વિઝ્યુલાઈઝેશન એન્ડ જીયોમેટ્રી, ફેક્ટર્સ એન્ડ ફ્રેક્શન્સ, અલજેબ્રા એન્ડ મોશન, ICT એન્હેન્સ્ડ લર્નિંગ, પેપરબેઝ્ડ મેથેમેટિક્સ જેવા વિષયો અંગે શિક્ષણ આપવામાં આવશે.

H1B વિઝાની ફીઝમાં વધારોઃ ભારતીયો પાસે હવે શું વિકલ્પો?

અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે H1B વિઝા માટેની ફીઝમાં (એક લાખ ડૉલર કરવાની) અચાનક વધારો કરી દેવાની સૂચના જે રીતે બહાર પાડી છે, તેને કારણે એવા ઘણા H1B visa હોલ્ડર્સ અને અરજદારો છે, જેઓ આ જાહેરાત સમયે ભારતમાં હતા અથવા ભારત આવવાની યોજના ઘડતા હતા અથવા ભારત આવવા નીકળી ચૂક્યા હતા, તેઓ દરેકને તાત્કાલિક પોતાની યાત્રા અટકાવવી પડી અને યુ.એસ. પરત થવું પડયું. જે તેમની માટે આર્થિક અને માનસિક આઘાત હતો, કારણ કે આ બદલાવને કારણે તેમણે ભારતમાં રહેવાથી એક લાખ ડોલર ભરવા પડશે અથવા તેમના વીઝા કેન્સલ થશે એવી મુંઝવણમાં મુકાઈ ગયા હતા.અમેરિકાનો આ નિર્ણય સ્થાનિક ધોરણે પ્રવર્તતી બેરોજગારીની સમસ્યાને કારણે હોઇ શકે એ સમજી શકાય એવું છે. અમેરિકાનાં નિયમાનુસાર કંપનીઓને એમની જરૂરિયાત અનુસાર સ્થાનિક સ્તરે વ્યક્તિ ન મળતી હોય તો જ એ કંપનીઓ અન્ય દેશના લોકો માટે H1B વિઝાની અરજી કરી શકે છે.

આવા સંજોગોમાં હવે ભારતીયોએ શું કરવું જોઈએ?

  • પહેલાં તો એ સમજી લઈએ કે જે અમેરિકન કંપનીઓએ લાયક અને અનુભવી ભારતીયોને નોકરીઓ આપી છે એ લોકોને કોઈ વાંધો નહીં આવે. કેમ કે એમની કંપનીઓએ એક લાખ ડૉલર ભરવા પડશે નહીં. જો ભવિષ્યમાં આ કંપનીઓ ભારતથી કોઈ રિક્રૂટ કરે તો તેમના વિઝાનો પ્રબંધ કંપની પોતે કરશે, કેમ કે કંપનીને તેમની જરૂરિયાત છે અથવા હશે.
  • જે વિદ્યાર્થીઓ અમેરિકામાં રહીને ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને અમેરિકામાં નોકરી કરતા હોય તેમની કંપનીઓ એકથી ત્રણ વર્ષ સુધીમાં H1B વિઝાની પ્રક્રિયા કરતી હોય છે. જો આવા વિદ્યાર્થીઓ માટે H1B વિઝાનો પ્રબંધ નહીં થઈ શકે તો તેઓએ ભારત પાછા આવવાની તૈયારી રાખવી પડશે.
  • જે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓના રિટાયરમેન્ટ ફંડમાંથી રકમ વાપરીને અથવા મા-બાપના એકમાત્ર રહેઠાણના ઘર સામે અથવા અન્ય કોઈ રીતે લોન લઈને અમેરિકાનું સ્વપ્ન જોતાં હોય, તેમણે અમેરિકા જવાના પોતાના ખ્યાલ વિશે પુનઃ વિચાર કરવો જરૂરી બને છે. શું અમેરિકામાં લીધેલી માસ્ટરની ડિગ્રી તેમને મદદ કરી શકશે? જો તેમને અમેરિકામાં નોકરી ન મળી શકે તો શું તેઓ અમેરિકામાં ટકી શકશે અને એ લીધેલી લોનની ચુકવણી તેઓ કરી શકશે?હકીકતમાં, આમ પણ ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં અમેરિકામાં અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા લગભગ ત્રણ દશકમાં અમેરિકામાં H1 વિઝા ઉપર કામ કરતાં આઇટી પ્રોફેશનલ્સે ભારત પાછા ફરવાની ચિંતા કરવાનું મૂકી દીધું છે. કેમ કે આમાંના ઘણાં યુ.એસ.ના નાગરિક અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર બની ગયા છે, જેથી તેમની લાઈફ યુ.એસ.માં સેટલ્ડ છે.


અનેક  H1B વિઝા ધારકોએ તેમની બચતનું આયોજન કર્યું છે, જેથી જો તેમને ભારત પાછાં ફરવાનું થાય તો તેમને ચિંતા નથી. સદનસીબે મોટાભાગના લોકોએ ઘણી સફળતા મેળવી છે. કેવળ છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓએ પાછા ફરવું પડ્યું છે, જે સિલસિલો હજી સુધી ચાલુ છે. ઘણા લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશો તરફ પણ વિકલ્પ તરીકે નજર ફેરવી રહ્યા છે. એટલે એક વાત તો નક્કી જ છે કે જો તમે અમેરિકાના કાયમી નાગરિક ન બન્યા હો તો તમારે ભારતમાં કાયમી રહેઠાણ અને બચત માટે તૈયારી રાખવી જ પડશે. જો સ્થળાંતર કરવું પડે તો ભારતમાં ઠરીઠામ થાવ ત્યાં સુધીનાં અમુક વર્ષો સુધી આ બચત તમને ઉપયોગી થઈ શકે.

હવે આગળ શું?

અમેરિકા જવાની યોજના ઘડતા અગાઉ જ વિદ્યાર્થીઓએ તેમની આર્થિક પરિસ્થિતિનો યોગ્ય રીતે ક્યાસ કાઢવો પડશે. જે વિદ્યાર્થીઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ એક્સટેન્શન પર હોય તેમણે બચત કરવા ઉપર ભાર આપવો પડશે અને પાછા ફરવાની તૈયારી રાખવી પડશે.

શું ટ્રમ્પ OPT ના  નિયમમાં બદલાવ કરી શકે છે?

આ બાબતે કંઈ કહી ન શકાય, પરંતુ એમના આ નિર્ણયથી અમેરિકન યુનિવર્સિટીઓ અને એને સંલગ્ન અન્ય વ્યવસાયો ઉપર એની અવળી અસર અવશ્ય પડશે. H1Bની વધારી છે, જેને કારણે વધુ આઉટસોર્સિંગ કરવું પડશે. પરંતુ ટ્રમ્પ એ મુદ્દે પછીથી ફરી કોઈ આકરો નિર્ણય લઈ શકે છે. વિઝાની ફી એક લાખ ડૉલર છે. એટલે જે લોકોને H1B વિઝા મળશે એ લોકોએ ત્રણથી છ વર્ષમાં વિઝા ફીની આંશિક અથવા પૂરી રકમ તેમની કંપનીને ચૂકવવી પડશે (જો તેમની કંપની ન ચૂકવે તો). અમેરિકન કાયદા હેઠળ આવી માલિક કંપની તેના કર્મચારીઓ પાસે કાનૂની બોન્ડ કરાવી શકે છે.ટૂંકમાં, આગામી વર્ષોમાં અમેરિકા ઉપરનું અવલંબન ઓછું કરવામાં જ શાણપણ છે. કેમ કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પણ હવે બદલાવ આવી રહ્યા છે. જો H1B વિઝા ફી મંજૂર થઈ જાય તો નોકરિયાતોએ એમના નોકરીદાતાઓ સાથે ફ્લેક્સિબલ રહેવું પડશે. આ સાથે યોગ્ય ગાઈડ-કન્સલટન્ટ પાસેથી માર્ગદર્શન મેળવવું હિતાવહ રહેશે. મહત્વનું એ છે કે ભારત તેમજ અમેરિકાની જીવનશૈલીની સરખામણી કરવાનું છોડી દેવું અને જો તમારે ભારત પાછું ફરવું પણ પડે તો નિરાશ ન થવું કેમ કે ભારત સરકાર વધુ નોકરીઓનું સર્જન કરવા અને સ્ટાર્ટ-અપ શરૂ કરવા માટે કટિબધ્ધ છે.

(અપૂર્વ પરીખ-અમેરિકા)

(લેખક મૂળ ભારતીય છે, તેમણે અમેરિકામાં અને ભારતમાં અમેરિકન કંપનીમાં પણ ઘણાં વરસો સિનીયર લેવલે જોબ કરી છે અને હાલ નિવૃત છે.)

શાહરુખ ખાન, ગૌરી ખાનની કંપની સામે બદનક્ષીનો કેસ

મુંબઈઃ બોલિવુડ એક્ટર શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન કાનૂની ચક્રવ્યૂહમાં ફસાયાં છે. IRS અધિકારી સમીર વાનખેડેએ તેમની વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વાનખેડેનો આરોપ છે કે નેટફ્લિક્સની વેબ સિરીઝ બેડ્સ ઓફ બોલીવુડમાં તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક છબીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

ભૂતપૂર્વ નાર્કોટિક્સ અધિકારી સમીર વાનખેડેએ આર્યન ખાન દ્વારા નિર્દેશિત નેટફ્લિક્સ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલીવુડમાં તેમના પાત્રને લઈને, નેટફ્લિક્સ અને શાહરુખ ખાન સામે દિલ્હી હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.

માનહાનિનો કેસ  

વાનખેડેએ શાહરુખ ખાન અને તેમની કંપની તેમ જ ધ બેડ્સ ઓફ બોલીવુડના નિર્માતા રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પાસેથી બે કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે, જેને તેઓ કેન્સરના દર્દીઓના સારવાર માટે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાનમાં આપવાનો દાવો કરે છે.

સમીર વાનખેડેનું નિવેદન

સમીર વાનખેડે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે અભિનેતા શાહરુખ ખાન અને ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય લોકો વિરુદ્ધ કાયમી અને જરૂરી રોક, ઘોષણા અને વળતરની માગ કરી છે. તેઓ કહે છે કે રેડ ચિલીઝ દ્વારા બનાવવામાં આવેલી અને નેટફ્લિક્સ પર રજૂ થયેલી ટીવી સિરીઝ ધ બેડ્સ ઓફ બોલીવુડના એક ભાગરૂપે દર્શાવાયેલ વિડિયો ખોટો, દુર્ભાવનાપૂર્ણ અને માનહાનિકારક છે, જેને લઈને તેમને ઠેસ પહોંચ્યા છે.

આ સિરીઝમાં નશાના વિરુદ્ધ કામ કરતી એજન્સીઓને ખોટી રીતે અને ખરાબ રીતે બતાવવામાં આવી છે, જેને કારણે લોકોનો કાયદો અમલમાં લાવતી સંસ્થાઓ પરનો વિશ્વાસ ઓછો થાય છે. એ સાથે જ તેમનું કહેવું છે કે આ સિરીઝમાં એક પાત્રને સત્યમેવ જયતે નારો લગાવ્યા બાદ અશ્લીલ ઇશારો કરતાં બતાવવામાં આવ્યું છે, જે રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન છે.

ભાજપે ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ભાજપ નેતૃત્વએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે. ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર ચૂંટણી માટે પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને આગામી વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા હસ્તાક્ષરિત પત્રમાં ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂકોની જાહેરાત કરવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી તરીકે, સીઆર પાટીલને અને કેશવ પ્રસાદ મૌર્યને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂકો તાત્કાલિક અમલમાં આવશે.” વધુમાં, બિપ્લબ કુમાર દેબને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

બિહારમાં થોડા મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ મુકાબલો NDA અને મહાગઠબંધન વચ્ચે છે, જેના માટે બધા નેતાઓએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વડાપ્રધાન મોદીથી લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુધી, બધાએ તાજેતરમાં બિહારની મુલાકાત લીધી છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ પણ સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. મમતા બેનર્જી 2011 થી બંગાળના મુખ્યમંત્રી છે, અને TMC રાજ્યમાં સત્તામાં છે.