Home Blog Page 6

રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું : ભાજપમાં થશે સામેલ

નવી દિલ્હીઃ TMCમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે વધુ મહત્વપૂર્ણ ઘટના બની છે. પાર્ટીપ્રમુખ મમતા બેનર્જીને વધુ એક આંચકો લાગ્યો છે. રાજ્યસભાનાં સાંસદ અને મમતા બેનર્જીની નજીકની નેતા સુષ્મિતાદેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ તેમણે હિમંતા બિશ્વ સરમા સાથે પણ મુલાકાત કરી હતી, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. સુષ્મિતા દેવનું રાજીનામું TMC માટે વધુ એક મોટી રાજકીય પડકારરૂપ ઘટના માનવામાં આવી રહ્યું છે. તેઓ ભાજપમાં સામેલ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલો મુજબ સુષ્મિતા દેવે બુધવારે રાજ્યસભા સચિવાલયમાં પહોંચીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે TMC પહેલેથી જ પક્ષની અંદર અસંતોષ અને નેતાઓની નારાજગીનો સામનો કરી રહી છે. સુષ્મિતા દેવ TMCના એવા નેતાઓમાં સામેલ રહ્યાં છે જેમને રાષ્ટ્રીય સ્તરે પક્ષનો મજબૂત ચહેરો માનવામાં આવતો હતો. તેમણે વર્ષ 2021માં કોંગ્રેસ છોડીને TMCમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.

જોકે તેમણે રાજીનામું શા માટે આપ્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં તેને TMC માટે વધુ એક મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પહેલાં પણ TMCની અંદર અસંતોષ અને વિખવાદની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અહેવાલો મુજબ પક્ષના 58 ધારાસભ્યોએ નેતૃત્વ વિરુદ્ધ મોરચો ખોલીને વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને અલગ જૂથ બનાવવાનો દાવો કર્યો હતો. આ ધારાસભ્યોએ નિષ્કાસિત નેતા ઋતબ્રત બેનર્જીને પોતાનો નેતા તરીકે પસંદ કર્યો હોવાનું પણ કહેવાય છે અને સ્પીકર તરફથી માન્યતા મળ્યાની ચર્ચા છે. બીજી તરફ લોકસભામાં પણ TMCને ઝટકો લાગ્યો હતો. સાંસદ કાકોલી ઘોષના નેતૃત્વમાં આશરે 20 સાંસદોએ બળવાખોર વલણ અપનાવ્યું હતું. તેમણે ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં અલગ બેઠકોની વ્યવસ્થા કરવાની માગ કરી હતી. એવી અટકળો ચાલી રહી છે કે આ સાંસદો એનડીએને સમર્થન આપી શકે છે.

બિહારના CM સમ્રાટ ચૌધરીએ પીએમ મોદીને લાંબો પત્ર લખ્યો, શું લખ્યું એમાં?

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સતત 12મા વર્ષ કાર્યકાળમાં અભિનંદન પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે બિહારના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સમૃદ્ધ બિહાર વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત 12 વર્ષ કાર્યકાળ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપતો એક વિગતવાર પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને જણાવ્યું કે સમૃદ્ધ બિહાર વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બિહારના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસાને ટાંકીને, તેમણે રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારના સમર્થનને મહત્વપૂર્ણ ગણાવ્યું.

બિહારના ભવ્ય વારસાનો ઉલ્લેખ કર્યો

સમ્રાટ ચૌધરીએ પત્રમાં લખ્યું છે કે બિહારનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. ભારતીય ઇતિહાસમાં બિહાર શક્તિ, સંસ્કૃતિ અને શિક્ષણના કેન્દ્ર તરીકે જાણીતું રહ્યું છે. તેમણે કહ્યું કે બિહાર જ્ઞાન અને મુક્તિની ભૂમિ છે, જ્યાં આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્ર લખ્યું હતું અને આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી.

નાલંદા યુનિવર્સિટી અને વિક્રમશિલા યુનિવર્સિટીને વિશ્વના મુખ્ય જ્ઞાન કેન્દ્રો ગણાવતા તેમણે કહ્યું કે રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીનું પુનઃસ્થાપન ફક્ત પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના સમર્થનથી જ શક્ય બન્યું છે. 2024 માં પ્રધાનમંત્રી દ્વારા નવા નાલંદા યુનિવર્સિટી કેમ્પસનું ઉદ્ઘાટન આ ભવ્ય વારસાને પુનર્જીવિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

કેન્દ્ર સરકારના સમર્થનથી બિહારનું ચિત્ર બદલાઈ ગયું

સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે બિહારને તેના વિકાસમાં કેન્દ્ર સરકાર તરફથી સતત સમર્થન મળી રહ્યું છે. તેમણે યાદ કર્યું કે 2015 માં વડા પ્રધાન મોદીએ બિહારના વિકાસ માટે ₹1.25 લાખ કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું હતું.પત્રમાં તેમણે જણાવ્યું હતું કે 1934ના ભૂકંપ પછી મિથિલા બે ભાગમાં વહેંચાઈ ગયું હતું, પરંતુ વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં, કોસી મહાસેતુના નિર્માણ દ્વારા આ પ્રદેશ ફરીથી જોડાયો હતો. તેમણે ગંગા નદી પર ગાંધી સેતુના પુનઃસ્થાપન, મોકામામાં રાજેન્દ્ર સેતુની સમાંતર છ-લેન પુલ, મુંગેરમાં શ્રી કૃષ્ણ સેતુ અને પટણા, દિઘવારા-શેરપુર અને ભાગલપુરમાં નવા પુલ બનાવવામાં આવી રહ્યા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે વડા પ્રધાનના માર્ગદર્શનને પગલે, બિહારમાં પ્રથમ વખત પાંચ એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. વધુમાં, ઘણી મહત્વપૂર્ણ ટ્રેનો, ખાસ કરીને વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. પટણા મેટ્રોનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, અને આ વર્ષના બજેટમાં પટણાથી પસાર થતી હાઇ-સ્પીડ ટ્રેનની પણ જાહેરાત કરવામાં આવી હતી.

એરપોર્ટ અને આરોગ્ય સુવિધાઓનો વિસ્તાર

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પટણા એરપોર્ટ પર નવું ટર્મિનલ રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. દરભંગા અને પૂર્ણિયામાં નવા એરપોર્ટ વિકસાવવામાં આવ્યા છે, જ્યારે બિહતા એરપોર્ટ પર બાંધકામ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાનના માર્ગદર્શન હેઠળ, દરભંગામાં બિહારનું બીજું એઈમ્સ બનાવવામાં આવી રહ્યું છે. રાજ્યને પાંચ નવી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના નિર્માણ માટે કેન્દ્ર સરકાર તરફથી પણ સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.

પૂર નિયંત્રણ અને સિંચાઈ પ્રોજેક્ટ્સને વેગ મળ્યો

સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે પૂર નિયંત્રણમાં સુધારો કરવા અને સિંચાઈ સુવિધાઓનો વિસ્તાર કરવા માટે રચાયેલ બાગમતી-બુધી ગંડક નદી લિંક પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે કોસી-મેચી નદી લિંક પ્રોજેક્ટ પર કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના હેઠળ નિયમિત સમીક્ષાઓથી વિકાસ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં નોંધપાત્ર વેગ આવ્યો છે.

યુદ્ધવિરામનો ભંગઃ અમેરિકાએ ઇરાન પર કર્યો ભીષણ બોમ્બમારો

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાન પર ભારે હુમલો કર્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક આવેલાં ત્રણ સ્થાનો પર જોરદાર બોમ્બમારો કરવામાં આવ્યો છે. અમેરિકા દાવો કરી રહ્યું છે કે તેનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કહ્યું છે કે ઈરાને અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર પાડી દીધું હતું અને તેના જવાબમાં આ બોમ્બમારો કરવામાં આવ્યો છે.

ઈરાની મીડિયાના જણાવ્યાનુસાર અનેક સ્થળોએ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા, જ્યારે સિરિક, જાસ્ક અને કુહ-એ-મોબારક વિસ્તારોમાં પ્રોજેક્ટાઇલ પડ્યાની પણ પુષ્ટિ થઈ છે. અમેરિકાએ આ હુમલાઓને ઈરાનની અનુચિત આક્રમકતાનો પ્રમાણસર જવાબ ગણાવ્યો છે. બીજી તરફ આ કાર્યવાહી બાદ તહેરાને પણ આકરું વલણ અપનાવ્યું છે અને અમેરિકાને ફારસની ખાડી વિસ્તાર છોડવાની ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે હવે તેની સામે થનારા દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે.

અમેરિકાનો મોટો દાવો

એક અમેરિકન અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાનમાં આશરે 20 સ્થાનોને નિશાન બનાવ્યાં છે. એ સાથે જ ઈરાન દ્વારા છોડવામાં આવેલી લગભગ તમામ મિસાઇલ અને ડ્રોનને રસ્તામાં જ તોડી પાડવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

જોર્ડનમાં અમેરિકી બેઝ પર ઈરાનનો હુમલો

IRGએ દાવો કર્યો છે કે તેણે જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથક પર હુમલો કર્યો છે. ઈરાને એ પણ કહ્યું છે કે તેણે ખાડી વિસ્તારમાં અન્ય 21 સ્થળોએ પણ હુમલા કર્યા છે.

અમેરિકાએ હુમલો શા માટે કર્યો?

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો છે કે ઈરાને અમેરિકાનું હેલિકોપ્ટર પાડી દીધું હતું અને તેના જવાબમાં જ આ મોટી સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાએ ઈરાન પર ભીષણ હુમલો કર્યો છે, જેમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીકનાં ત્રણ સ્થળોએ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. અમેરિકા કહે છે કે તેનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર બોમ્બમારોઃ 13 લોકોનાં મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ભારે હુમલો કર્યો છે. આ હુમલામાં 13 અફઘાન નાગરિકોનાં મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. મૃતકોમાં 11 બાળકોનો સમાવેશ થાય છે. મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાની સેનાના લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરીને નાગરિકોના રહેણાક વિસ્તારોને નિશાન બનાવી ભારે બોમ્બમારો કર્યો હતો. બીજી તરફ અફઘાનિસ્તાને આ હુમલાને પોતાની અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.અફઘાનિસ્તાનના ત્રણ પ્રાંતો પર બોમ્બમારો

અફઘાનિસ્તાનના પ્રવક્તાએ જાહેર કરેલા નિવેદન મુજબ પાકિસ્તાની લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ટ અને પક્તિકા પ્રાંતોને નિશાન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના જણાવ્યાનુસાર રહેણાક વિસ્તારો અને સામાન્ય નાગરિકોનાં ઘરો પર બોમ્બમારો કરવામાં આવ્યો, જેને કારણે અનેક મકાનો ધ્વસ્ત થઈ ગયાં હતાં.

13 લોકોનાં મોત

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે જણાવ્યું હતું કે આ હુમલામાં 13 લોકોનાં મોત થયાં છે અને તમામને શહીદ જાહેર કરવામાં આવ્યા છે. મૃતકોમાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ હુમલામાં 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જણાવાયું છે.

પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

પાકિસ્તાન તરફથી આ હુમલાની તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફેબ્રુઆરીના અંતથી જ તણાવ અને અથડામણો ચાલી રહી છે, જેમાં સેંકડો લોકોના મોત થયાં છે. ફેબ્રુઆરીના અંતમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનના હવાઈ હુમલાઓના જવાબમાં સરહદ પાર હુમલો કર્યો હતો.

અફઘાન સરકારનો આકરો વિરોધ

આ હુમલા બાદ અફઘાન સરકારમાં ભારે રોષ જોવા મળ્યો છે. પ્રવક્તા ઝબીબુલ્લા મુજાહિદે નિવેદનમાં આ કાર્યવાહીનો આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમે આ અમાનવીય ગુના અને હુમલાની સૌથી આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ. અફઘાનિસ્તાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોનું ઉલ્લંઘન તેમ જ નિર્દોષ નાગરિકો વિરુદ્ધનો ક્રૂર ગુનો ગણાવ્યો છે.

BIMSTECના 30 વર્ષઃ ભારત માટે કેમ મહત્વનું છે આ સંગઠન?

ગાંધીનગરસ્થિત ગિફ્ટ સિટી (GIFT City) હમણાં એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું સાક્ષી બન્યું. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી અહીં BIMSTEC (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation) સંગઠન પર બે-દિવસીય કોન્ફરન્સ યોજાઇ ગઇ. BIMSTECના સભ્ય દેશો વચ્ચે કનેક્ટિવીટી, કલ્ચર અને કો-ઓપરેશનમાં વધારે મજબૂતી કઇ રીતે સાધી શકાય એ વિષય પર યોજાએલી આ કોન્ફરન્સમાં સભ્ય દેશોના પ્રતિનિધિમંડળો અને નિષ્ણાતો ઉપસ્થિત હતા. BAOUના વાઇસ-ચાન્સેલર ડો. અમી ઉપાધ્યાય આ પ્રકારના ઉપક્રમો યોજવા માટે હંમેશા સક્રિય અને ઉત્સાહિત હોય છે. આ કોન્ફરન્સમાં પણ એમણે વિવિધ દેશોના, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને એક મંચ પર એકત્ર કરી દીધા.

એ જાણી લો કે, BIMSTEC એ બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ એમ સાત દેશનું બનેલું પ્રાદેશિક સંગઠન છે, જેની સ્થાપના જૂન 1997માં થઇ હતી. એનો ઉદ્દેશ દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વચ્ચે પરસ્પર આર્થિક અને ટેકનિકલ સહયોગને વધારે મજબૂત બનાવવાનો છે. જી-7. જી-20, BRICS જેવા અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોની સરખામણીએ આ સંગઠન પ્રાદેશિક અને નાના કદનું લાગે, પણ વાસ્તવમાં BIMSTECના સાત સભ્ય દેશોની વસતિનો સરવાળો કરો તો એ 1.8 બિલિયન જેટલી છે એટલે વિશ્વની લગભગ ચોથા ભાગની વસતિનું પ્રતિનિધિત્વ કરે છે અને બંગાળની ખાડીની આસપાસ આવેલા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના વિસ્તારમાં સ્થિત છે એ જોતાં એનું જિયો-પોલિટીકલ વજૂદ વધારે મહત્વનું બની જાય છે. હાલ આ સંગઠન એની સ્થાપનાના ત્રણ દાયકા પૂરાં કરવા તરફ છે અને એ જ ઉપલક્ષ્યમાં BAOU દ્વારા આ કોન્ફરન્સ યોજાઇ હતી.

અલબત્ત, સ્થાપનાના ત્રણ દાયકા પછી ય વેપાર, કનેક્ટિવિટી, ટેકનોલોજી, ઊર્જા, સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને આર્થિક વિકાસ જેવા ક્ષેત્રોમાં આ સંગઠન અપેક્ષા પ્રમાણે પ્રગતિ સાધી શક્યું નથી, પરંતુ આમ છતાં બદલાઇ રહેલા જિયો-પોલિટીકલ સમીકરણો અને બંગાળની ખાડીના વધતા જતા વ્યૂહાત્મક મહત્વના કારણે ભારત માટે આ સંગઠનની જરૂરિયાત ગઇકાલે હતી એના કરતાં આજે વધારે છે. ખાસ કરીને, દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીને બંદરો અને માળખાકીય સુવિધાઓમાં મોટું રોકાણ કર્યું છે ત્યારે.

વળી, દક્ષિણ એશિયાના દેશોનું બનેલું સંગઠન સાર્ક-SAARC (South Asian Association for Regional Cooperation) છેલ્લાં કેટલાક વર્ષોથી નિષ્ક્રિય છે. પાકિસ્તાનની અવળચંડાઇના કારણે ભારત SAARC પાસેથી બહુ અપેક્ષા રાખી શકે એમ નથી એટલે સાર્કની ગેરહાજરીમાં BIMSTEC ભારત માટે વધારે મહત્વનું બની જાય છે. દક્ષિણ એશિયામાં ચીનની કૂટનીતિને કાપવા માટે પણ આ દેશો સાથે સહયોગ જાળવી રાખવો અને મજબૂત કરવો અનિવાર્ય છે. સાથે સાથે ભારતની ‘નેબરહૂડ ફર્સ્ટ’ અને ‘એક્ટ ઈસ્ટ’ (Act East) નીતિઓ સાથે પણ એ વધારે સુસંગત છે. સંગઠનના સૌથી મોટા દેશ તરીકે ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડ સાથે કનેક્ટીવીટી વધે, ઉર્જા કોરિડોર બને અને સંયુક્ત રેલ નેટવર્ક વિકસે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંગઠનને વધારે ચેતનવંતુ બનાવવા 21 મુદ્દાનો એક્શન પ્લાન પણ રજૂ કર્યો છે.

આમ છતાં, BIMSTEC માટે રસ્તો આસાન નથી. આ સંગઠન માટે સૌથી મોટો પડકાર સભ્ય દેશોમાં પ્રવર્તતી રાજકીય અસ્થિરતા છે. ખાસ કરીને બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા કેટલાક સમયથી રાજકીય અસ્થિરતા અનુભવે છે. બધા દેશોમાં બહુપક્ષીય રાજકીય સિસ્ટમ છે.  મ્યાનમાર, થાઇલેન્ડ અને ભૂતાનને બાદ કરતાં બાકીના દેશો માટે એમના આંતરિક રાજકારણ માટે ભારત પોતે એક મોટું ‘ફેક્ટર’ છે.

વળી, આ બધા દેશોના ચીન સાથે પણ આર્થિક અને લશ્કરી હિતો સંકળાયેલા છે એટલે ભારત માટે થઇને આ દેશો ચીન સાથે સંબંધો બગાડે એ વાતમાં માલ નથી. ચીન BIMSTECનું સભ્ય ન હોવા છતાં એની કાર્યવાહી પર ડોળો રાખીને બેઠું છે કેમ કે, બંગાળના અખાત (Bay of Bengal)માં એના હિતો સચવાયેલાં છે એટલે ચીન એટલી ઝડપથી BIMSTECની મુરાદને બર ન આવવા દે એ દેખીતું છે. આ બધાં પરિબળો જોતાં BIMSTECના દેશો માટે સમાન એજન્ડા પર આવીને સમયમર્યાદામાં લક્ષ્યાંકો હાંસલ કરવાનું અઘરું છે.

હા, BIMSTECમાં સંભાવનાઓ પુષ્કળ છે. દુનિયાની અંદાજે 22 ટકા વસતિ ધરાવવાની સાથે આ દેશોના સંયુક્ત અર્થતંત્રનું કદ સાડા પાંચ ટ્રિલિયન ડોલર જેટલું થવા જાય છે. જો આ દેશોમાં રાજકીય સ્થિરતા સ્થપાય અને કોમન એજન્ડા પર ઝડપથી અમલ થાય તો બંગાળની ખાડી દક્ષિણ એશિયાઇ દેશોની સિકલ બદલાવી શકે. ભારત માટે બીજી એક મહત્વની બાબત છે એનો મહત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર વિકાસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ સીધી રીતે BIMSTECનો ભાગ નથી, પણ એના થકી ભારત બંગાળની ખાડી અને પૂર્વ હિંદ મહાસાગરમાં પોતાની હાજરી મજબૂત ચોક્કસ કરી શકે છે. મલક્કા જળમાર્ગ નજીક આવેલું ગ્રેટ નિકોબાર વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાં આવે છે. ભવિષ્યમાં તે એક મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ અને ટ્રાન્સશિપમેન્ટ હબ બની શકે છે. BIMSTECની કનેક્ટિવિટી અને દરિયાઈ સહકારની યોજનાઓ સાથે પણ આ પ્રોજેક્ટ ભારત માટે સુસંગત છે અને આ સમગ્ર વિસ્તારમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવી શકે છે.

BAOU દ્વારા યોજાએલી આ કોન્ફરન્સમાં પણ આવા અનેક મુદ્દાઓ પર રસપ્રદ ચર્ચા થઇ. વિદેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી એસ. કે. રાજારામે વડાપ્રધાનના 21 મુદ્દાના એક્શન પ્લાનની સાથે યુથ અને ડિજીટલ કનેક્ટીવીટી પર ભાર મૂક્યો. તો BIMSTECના સાતેય દેશમાં ડિપ્લોમેટ તરીકે ફરજ બનાવી ચૂકેલા નિવૃત્ત એમ્બેસેડર અખિલેશ મિશ્રાએ બહુ યોગ્ય રીતે કહ્યું કે, BIMSTECના સાતેય દેશ પાસે પોતાની યુનિક તાકાત છે, યુનિક સંસ્કૃતિ અને કલ્ચર છે. ભૂતાન નેગેટીવ કાર્બન ઇકોનોમી ધરાવે છે તો શ્રીલંકાએ પોતાની ભૌગોલિકસ્થિતિનો લાભ લઇને લોજિસ્ટીક્સ-વેપારમાં પોતાને ગ્લોબલ હબ સાબિત કર્યું છે. દરેક દેશ એકબીજા પાસેથી કાંઇક શીખી શકે છે અને દરેક દેશનું કલ્ચર એમાં મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે.

કોન્ફરન્સમાં ઉપસ્થિત ભારત સ્કાઉટ એન્ડ ગાઇડના ચીફ નેશનલ કમિશ્નર કે. કે. ખંડેલવાલે એમના ઉદબોધનમાં Bay of Bengal ને BIMSTECના સભ્ય દેશો માટે Bay of Brotherhood એટલે કે ભાઇચારાનો અખાત ગણાવ્યો, પણ એ ભાઇચારો તો જ સાર્થક બને, જ્યારે બધા દેશો સમાન લક્ષ્યાંકો માટે સમાન ભૂમિકાએ આવે.

સામાન્ય રીતે આ પ્રકારના વિષયો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મંચ પર વધારે ચર્ચાતા હોય છે ત્યારે પ્રાદેશિક કક્ષાએ BAOU જેવી યુનિવર્સિટી આ પ્રકારની કોન્ફરન્સ યોજે એ પણ આવકારદાયક છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.) 

બેસન કાંદા સબ્જી

ગરમીમાં જ્યારે સરખા શાક ન મળતા હોય ત્યારે કાંદા અને ચણાના લોટનું આ શાક ખરેખર સ્વાદિષ્ટ બને છે! વળી, ઝટપટ બની પણ જાય છે!

સામગ્રીઃ કાંદા 6-7, ચણાનો લોટ ½ કપ, રાઈ ½ ટી.સ્પૂન, જીરુ ½ ટી.સ્પૂન, વરિયાળી ½ ટી.સ્પૂન, તેલ 2 ટે.સ્પૂન, 2-3 ચપટી હીંગ, 1 લીલું મરચું, આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, ખમણેલું આદુ 1 ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ કાંદાને લાંબી અને સહેજ જાડી સ્લાઈસમાં સમારી લો.

કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરુનો વઘાર કરો રાઈ-જીરુ તતડે એટલે વરિયાળી તેમજ હીંગનો વઘાર કરી ખમણેલું આદુ નાખીને એકાદ મિનિટ સાંતળીને કાંદાને ઉમેરીને સાંતળો. કાંદા ગુલાબી રંગના સંતળાઈ જાય એટલે તેમાં સમારેલું લીલું મરચું, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ, તેમજ હળદર પાઉડર મેળવો. 2-3 મિનિટ બાદ તેમાં આમચૂર પાઉડર મેળવીને ચણાનો લોટ મેળવી દો. કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે 10 મિનિટ થવા દો.

કાંદા તેમજ લોટ ચઢી જાય એટલે કોથમીર ભભરાવીને તૈયાર શાક રોટલી સાથે પીરસો.

૧૦ જૂન ૨૦૨૬

પંચાંગ 10/06/2026

ફ્રાન્સમાં G7 સમિટમાં ભાગ લેશે પીએમ મોદી

વિશ્વના સૌથી શક્તિશાળી સાત દેશોના સંગઠન G7 ની વાર્ષિક શિખર પરિષદ આ વર્ષે ફ્રાન્સના એવિયનમાં યોજાવા જઈ રહી છે. ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 અને 17 જૂને આ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ફ્રાન્સ જશે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને લઈને વૈશ્વિક રાજકારણમાં નવી વહેંચણીઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે આ સમિટના બહાને ભારત અને અમેરિકાના સંબંધોમાં એક મોટો અને નવો વળાંક આવવાની સંભાવના જોવામાં આવી રહી છે.

G7 સમિટમાં શું રહેશે ભારતનો મુખ્ય એજન્ડા?

ફ્રાન્સના એવિયનમાં એકઠા થનારા વિશ્વના સૌથી તાકાતવર દેશોના આ વૈશ્વિક મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર G7 ના કાયમી સભ્ય દેશોના રાષ્ટ્રીયાધ્યક્ષોને જ નહીં મળે, પરંતુ સમિટમાં આમંત્રિત અન્ય ભાગીદાર દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે પણ મહત્વના રાજદ્વારી મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ વર્ષે શિખર સંમેલનમાં મુખ્યત્વે ત્રણ મોટા વિષયો પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:

આંતરરાષ્ટ્રીય એકતા (International Solidarity)

સમાન આર્થિક વિકાસ (Equitable Economic Growth)

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI – Artificial Intelligence)

આ મુખ્ય એજન્ડા ઉપરાંત, વડાપ્રધાન મોદી સમિટની બાજુમાં (On the Sidelines) વિશ્વના ઘણા અગ્રણી નેતાઓ સાથે વન-ટુ-વન દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના છે.

શું ફ્રાન્સમાં સામસામે બેસશે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ?

ગયા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે તેઓ G7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ જઈ રહ્યા છે. ત્યારથી જ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની સંભવિત મુલાકાતની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. જો ફ્રાન્સમાં આ બેઠક થાય છે, તો ફેબ્રુઆરી 2025 માં પીએમ મોદીની અમેરિકા યાત્રા પછી આ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ સામસામે (ફેસ-ટુ-ફેસ) દ્વિપક્ષીય વાર્તાલાપ હશે. જો કે, વિદેશ મંત્રાલયે હજુ સુધી આ સંભવિત બેઠક અંગે કોઈ સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું નથી. છેલ્લા દોઢ વર્ષમાં ભારત અને અમેરિકાના સંબંધોએ ઘણા મોટા ઉતાર-ચઢાવ જોયા છે, જેના કારણે આ સંભવિત મુલાકાત પર આખી દુનિયાની નજરો ટકેલી છે.

સંબંધો પર જામતો બરફ પીગળવાના મજબૂત સંકેતો

તમામ પ્રકારના રાજદ્વારી તણાવ અને નિવેદનબાજીઓ હોવા છતાં, પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વ્યક્તિગત કેમિસ્ટ્રી અને ગાઢ મિત્રતા હજુ પણ અકબંધ છે. બંને નેતાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ફોન કોલ દ્વારા સતત એકબીજાના સંપર્કમાં રહ્યા છે. બંને દેશોના સંબંધોમાં તાજેતરનો સુધારો ગયા મહિને જ જોવા મળ્યો હતો, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારતના પ્રવાસે આવ્યા હતા. રુબિયોએ નવી દિલ્હી આવીને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર, રોકાણ, ઉર્જા સુરક્ષા અને શિક્ષણ જેવા અનેક મહત્વના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વ્યાપક સમીક્ષા કરી હતી.

મોટા ઐતિહાસિક વેપાર કરારની અંતિમ તૈયારી

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ સંભવિત કૂટનીતિક મુલાકાતની પાછળ પડદા પાછળ એક બહુ મોટી આર્થિક ડીલ પર પણ કામ ચાલી રહ્યું હોવાના અહેવાલો છે. ભારત અને અમેરિકા એક ઐતિહાસિક દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Agreement) ને અંતિમ ઓપ આપવાની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. આ જ મહત્વના સિલસિલામાં તાજેતરમાં જ અમેરિકી ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવ્યું હતું અને ભારતીય પક્ષ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ફ્રાન્સની આ સમિટ બંને દેશોના વ્યાપારી અને સૈન્ય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટેનું સૌથી મોટું માધ્યમ સાબિત થઈ શકે છે.

મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો

મધ્ય પ્રદેશના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં યોજાનારી રાજ્યસભાની હાઈ-પ્રોફાઈલ ચૂંટણી પહેલા વિપક્ષ કૉંગ્રેસ પક્ષને ભારે ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. પક્ષના અગ્રણી ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન પત્ર (નોમિનેશન ફોર્મ) ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર) દ્વારા કાયદાકીય ખામીઓ અને વિગતો છુપાવવાના કારણે રદ કરી દેવામાં આવ્યું છે. આ કાનૂની આંચકાના કારણે મધ્ય પ્રદેશની ત્રીજી રાજ્યસભા બેઠક માટે થનારી જંગ હવે વહેલી પૂરી થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર મહેશ કેવટ હવે નિર્વિરોધ (બિનહરીફ) ચૂંટાવા જઈ રહ્યા છે.

કેલાશ વિજયવર્ગીય અને રાકેશ સિંહે નોંધાવી હતી આપત્તિ

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભાજપના વરિષ્ઠ નેતાઓ કૈલાશ વિજયવર્ગીય અને રાકેશ સિંહે કૉંગ્રેસ ઉમેદવાર મીનાક્ષી નટરાજનની ઉમેદવારી સામે સત્તાવાર લેખિત વાંધો (આપત્તિ) નોંધાવ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે મીનાક્ષી નટરાજને પોતાના સોગંદનામામાં (એફિડેવિટ) એક ગંભીર ગુનાહિત કેસની વિગતો છુપાવી છે, જે ચૂંટણી કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન છે. આ ગંભીર આપત્તિને ધ્યાનમાં લઈને રિટર્નિંગ ઓફિસરે મીનાક્ષી નટરાજનને પોતાનો પક્ષ અને ખુલાસો રજૂ કરવા માટે મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. જો કે, મીનાક્ષી નટરાજન અને તેમના કાનૂની સલાહકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સ્પષ્ટીકરણથી ચૂંટણી અધિકારી સંતુષ્ટ થયા નહોતા, જેના પરિણામે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની સંબંધિત કલમો હેઠળ તેમનું નામાંકન સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યું હતું.

શું છે હૈદરાબાદ કોર્ટનો એ વિવાદાસ્પદ મામલો?

સત્તાવાર કાનૂની દસ્તાવેજો અનુસાર, આ આખો વિવાદ વર્ષ 2025 માં નોંધાયેલી એક ફરિયાદ સાથે જોડાયેલો છે. 20 ઓગસ્ટ, 2025 ના રોજ એ. શ્રીલતા નામની મહિલાએ હૈદરાબાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં મીનાક્ષી નટરાજન (આરોપી નંબર-4) અને અન્ય કેટલાક લોકો વિરૂદ્ધ એક ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે મીનાક્ષી નટરાજન અને અન્ય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો જેમ કે 356, 61, 45, 46, 351(2), 3(5) અને 79 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મામલાની ગંભીરતાને જોઈને હૈદરાબાદ કોર્ટે 17 સપ્ટેમ્બર, 2025 ના રોજ મીનાક્ષી નટરાજનને સમન્સ (નોટિસ) જારી કરીને કોર્ટમાં રૂબરૂ હાજર થઈ જવાબ આપવા આદેશ કર્યો હતો. ત્યારબાદ, મીનાક્ષી નટરાજન વતી તેમના વકીલે 24 ઓક્ટોબર, 2025 ના રોજ કોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં તેમણે આ આક્ષેપોને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવીને કેસ રદ કરવા માંગ કરી હતી. જો કે, કોર્ટે 17 નવેમ્બર, 2025 ના રોજ આ કેસને ફગાવવાનો ઇનકાર કરીને તેની સામે નિયમિત સુનાવણી (ટ્રાયલ) શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસ હાલમાં પણ કોર્ટમાં પેન્ડિંગ (વિચારાધીન) છે, જેની માહિતી મીનાક્ષી નટરાજને રાજ્યસભાના ફોર્મમાં આપી નહોતી.

મધ્ય પ્રદેશ વિધાનસભાનું ગણિત અને ભાજપનો વિજય

મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની કુલ 3 બેઠકો માટે આગામી 18 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. 230 સભ્યોની સંખ્યા ધરાવતી મધ્ય પ્રદેશ વિધાનસભામાં સત્તાધારી ભાજપ પક્ષ પાસે 164 ધારાસભ્યોનું પ્રચંડ સંખ્યાબળ છે. આ આંકડાના આધારે ભાજપ પોતાના બે ઉમેદવારોને ખૂબ જ આસાનીથી જીતાડી શકે તેમ હતું અને તે પછી પણ ભાજપ પાસે 48 વધારાના (સરપ્લસ) મતો બચી રહ્યા હતા.

બીજી તરફ, વિપક્ષ કૉંગ્રેસ પાસે કુલ 63 ધારાસભ્યો છે. પરંતુ, કૉંગ્રેસના બે ધારાસભ્યો – રાજેન્દ્ર ભારતી અને મુકેશ મલ્હોત્રા કાનૂની કારણોસર આ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર (એલિજિબલ) નથી. આથી કૉંગ્રેસનું અસરકારક સંખ્યાબળ ઘટીને માત્ર 61 મતોનું જ રહી જાય છે. આ જ ગણિતના કારણે ત્રીજી બેઠક માટે ક્રોસ વોટિંગ અને અન્ય નાના પક્ષોના સમર્થનની આશાએ ચૂંટણી રસપ્રદ બની હતી. પરંતુ હવે કૉંગ્રેસના ઉમેદવારનું ફોર્મ જ રદ થઈ જતાં, આ ત્રીજી બેઠક પણ વગર કોઈ ચૂંટણીએ ભાજપના ખાતામાં જવી સો ટકા નક્કી થઈ ગઈ છે.