Home Blog Page 612

What financial journalist Jayesh Chitalia says about investment opportunities for middle class?

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલની સજા

નવી દિલ્હીઃ બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલસજા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના પાંચમાંથી ચાર ન્યાયાધીશોએ તેમને દેશમાં તખ્તાપલટ કરવાનો પ્રયાસ કરવાના ગુનામાં દોષિત ઠેરવ્યા છે. ત્યાર બાદ કોર્ટે જાયર બોલ્સોનારોને 27 વર્ષની જેલસજા સંભળાવી હતી. બોલ્સોનારોને પાંચ કેસોમાં દોષિત ગણવામાં આવ્યા છે, જેમાં તખ્તાપલટનું કાવતરું રચવું, લોકશાહી કાયદાકીય વ્યવસ્થા હિંસક રીતે ખતમ કરવાનો પ્રયાસ, સશસ્ત્ર ગુનાહિત સંગઠનમાં ભાગીદારી, ગંભીર નુકસાન પહોંચાડવું અને વારસાગત સ્થળોને હાનિ જેવા આરોપો સામેલ છે.

સુપ્રીમ કોર્ટે બીજી સપ્ટેમ્બરે કેસની સુનાવણી શરૂ કરી હતી, જેમાં દોષી ઠેરવવા માટે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠમાં બેન્ચના બહુમતની જરૂર હતી. ન્યાયમૂર્તિ એલેક્ઝાન્ડર ડી મોરેસ અને ફ્લાવિયો ડિનોએ બોલ્સોનારોને સંબંધિત આરોપોમાં દોષિત ગણાવ્યા હતા, જ્યારે ન્યાયમૂર્તિ લુઇઝ ફુક્સે બુધવારે તેમને છોડી મૂકવાની તરફેણમાં મત આપ્યો હતો. ન્યાયમૂર્તિ કાર્મેન લુસિયા અને ક્રિસ્ટિયાનો જાનિને ગુરુવારે તેમને દોષિત ઠેરવવા માટે મત આપ્યા હતા.

જોકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો પાસે સજાના આ નિર્ણયને પડકારવાની તક છે. તેઓ આ નિર્ણય વિરુદ્ધ 11 ન્યાયાધીશો ધરાવતી સંપૂર્ણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. હાલમાં 70 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નજરકેદ હેઠળ છે. આ પરિસ્થિતિમાં તેઓ સુનાવણીના અંતિમ તબક્કામાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા નહોતા. તેમણે આ કેસને 2026ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમની ઉમેદવારી રોકવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.

ગૂગલ જેમિનીનો આ નવો ટ્રેન્ડિંગ AI ટૂલ શું છે? મુખ્યપ્રધાને પણ બનાવ્યું 3D પૂતળું

ગૂગલ Gemini એ તાજેતરમાં Nano Banana AI ટૂલ રજૂ કર્યું છે, જે 3D ફિગરિન(પૂતળાં) બનાવી શકે છે. આ ટૂલ લોન્ચ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. 3D મિનિએચર ખાસ કરીને Gen Z માં લોકપ્રિય બન્યા છે.

ગૂગલ જેમિની (Google Gemini)એ તાજેતરમાં નેનો બનાના એઆઈ (Nano Banana AI) ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલ દ્વારા યુઝર્સ 3D પૂતળાં બનાવી શકે છે. ગૂગલનુંએઆઈ ફીચર જનરલ ઝેડ યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. આ 3D પૂતળાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ આ 3D છબીઓ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરી રહ્યા છે. જો તમે પણ ગૂગલ જેમિનીના આ નવા એઆઈ ફીચરનો ઉપયોગ કરીને 3D પૂતળાં બનાવવા માંગો છો, તો તે ખૂબ જ સરળ છે.

નેનો બનાના એઆઈ શું છે?

ગૂગલે તેના એઆઈ ચેટબોટ જેમિની 2.5 માં એક નવું ફ્લેશ ઇમેજ ટૂલ ઉમેર્યું છે, જેનું નામ નેનો બનાના 3D ફિગરીન છે. તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા 3D ફિગરીન જોવા મળશે. ગૂગલનું આ અદ્યતન મોડેલ ખૂબ જ બારીકાઈથી 3D ફિગરીન રજૂ કરે છે. આ દ્વારા બનાવેલા મિનિએચર્સમાં ચહેરાના એક્સપ્રેશન, ક્લોથિંગ અને બેકગ્રાઉન્ડ એલિમેન્ટ એકદમ વાસ્તવિક લાગે છે. આ જ કારણ છે કે તે યુઝર્સમાં, ખાસ કરીને જનરલ ઝેડમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે.

આજકાલ સેલિબ્રિટીઝ, ક્રિકેટ સ્ટાર્સ વગેરેના આ 3D મિનિએચર પૂતળાં પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ મિનિએચર ખૂબ જ વાસ્તવિક લાગે છે. ગૂગલનુંAI ટૂલ ફ્રી-ટુ-યુઝ છે, જેના કારણે તે વપરાશકર્તાઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તાજેતરમાં, આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા સહિત ઘણી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર તેમના 3D વર્ઝન શેર કર્યા, જેના પછી ગૂગલનોનેનો બનાના ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે.

3D ફિગરિન(પૂતળા) કેવી રીતે બનાવવા?

  • સૌથી પહેલા તમે Google AI સ્ટુડિયોની વેબસાઇટ અથવા Google Gemini એપ્લિકેશન પર જાઓ
  • અહીં તમને Nano Banana છબી બનાવવાનો વિકલ્પ દેખાશે. તમે તમારી જે પણ તસવીરનું 3D ફિગરિન બનાવવા માંગતા હો તેને અપલોડ કરો
  • Google Gemini ની વિંડોમાં, તમારે 3D પૂતળા બનાવવા માટે કેટલાક કમાન્ડ આપવાના રહેશે અને તમારી HD એટલે કે ઉચ્ચ રીઝોલ્યુશન છબી અપલોડ કરવી પડશે.
  • જે વિંડોમાં તમે કમાન્ડ લખો છો તેની સાઇટ પર એક + આઇકોન છે, તેના પર ટેપ કરીને અથવા ક્લિક કરીને, તમે તસવીર અપલોડ કરી શકો છો.
  • જેમ જેમ તમે Run and Enter બટન પર ટેપ કરો છો અથવા ક્લિક કરો છો, તમારા કમાન્ડના આધારે 3D પૂતળા બની જશે

કમાન્ડ શું છે?

સામાન્ય રીતે, સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ટ્રેન્ડ માટે તસવીર અપલોડ કરવાની સાથે તમારે કેટલાક કમાન્ડ આપવા પડશે. તમે જે પણ પ્રકારની તસવીર ઈચ્છતા હોવ એનું વર્ણન લખશો એટલે એવા જ બેકગ્રાઉન્ડ સાથે તમારી તસવીર બનશે. જોકે હાલમાં ટ્રેન્ડમાં કમ્પ્યુર થીમ વધારે ટ્રેન્ડમાં છે. તમે જેવી 3D તસવીર બનાવવા માંગતા હોય એવી જ તસવીર કમાન્ડના આધારે બનાવી શકો છો. તમે Google Gemini નો ઉપયોગ કરીને મનગમતી 3D તસવીર બનાવી શકો છો.

અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સોશિયલ મીડિયા કેટલું જરૂરી?

નેપાળમાં તાજેતરના વર્ષોમાં ‘જેન ઝી’ એટલે કે 1997 પછી જન્મેલી યુવા પેઢીએ એક નવો વિરોધ શરૂ કર્યો છે.
‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ના હક નામે આ આખી પેઢીએ નેપાળનું રાજકીય માળખું બદલવા માટે અવાજ ઊઠાવ્યો છે. તેમની લડાઈ માત્ર શિક્ષણ વ્યવસ્થાના સુધારા, રોજગારની તકો અને મૂળભૂત હકો માટે નહોતી, પરંતુ પોતાના વિચારો અને મત વ્યક્ત કરવાની સ્વતંત્રતા માટે પણ તેઓએ જોરદાર અવાજ ઉઠાવ્યો હતો.

સોશિયલ મીડિયાના બંધ થવાનું કારણ

નેપાળ સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધ કરી દીધા, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ વગેરે સામેલ હતા. સરકારનું કહેવુ હતું કે ડિજિટલ નીતિ હેઠળ પ્લેટફોર્મ્સે જરૂરી નોંધણી અને નિયમોનું પાલન કર્યું નહોતું. સાથે જ સરકારનું માનવું હતું કે સોશિયલ મીડિયા પર હેટ સ્પીચ ફેલાય છે, કેટલાક જૂથો દ્વારા સરકાર સામે સાયબર હુમલા થાય છે અને ટ્રોલિંગથી સામાજિક શાંતિ ભંગ થાય છે.

વિરોધનું મૂળ કારણ

આ પ્રતિબંધ સામે યુવાનોમાં ગુસ્સો ફાટી નીકળ્યો. હિંસક વિરોધ થયો અને ઘણા શહેરોમાં ગડબડ સર્જાઈ.
મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયા યુવાનો માટે માત્ર મનોરંજનનું સાધન નહોતું, તેનું મહત્વ ઘણું વિશાળ હતું.

  • ઓનલાઈન ક્લાસ, માર્ગદર્શન અને કારકિર્દીના વિકલ્પો માટે સોશિયલ મીડિયા જરૂરી હતું.
  • ઓનલાઈન નોકરીના ઇન્ટરવ્યૂ માટે માહિતી અને જોડાણ માટે તેનો ઉપયોગ થતો હતો.
  • યુવાનો પોતાનો મત, વિચારો અને સામાજિક મુદ્દાઓ અંગે ચર્ચા કરતા હતા.
  • ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમાજની વિવિધ ઘટનાઓ અને પ્રવૃત્તિઓ સાથે જોડાણ થતું હતું.

આ પ્રશ્ન પણ ઊભો થાય છે કે શું અભિવ્યક્તિ માત્ર સોશિયલ મીડિયાથી જ શક્ય છે? ઇતિહાસ સાક્ષી છે કે સોશિયલ મીડિયા પહેલાં પણ લોકોએ પોતાના હકો માટે અવાજ ઉઠાવ્યો છે — સ્વતંત્રતા માટે, શિક્ષણ માટે, ન્યાય માટે અને સામાજિક સુધારા માટે મોટા આંદોલનો થયા છે. ત્યારે રસ્તાઓ, સભાઓ, પત્રકારિતા અને સામૂહિક ચર્ચાઓ એ માધ્યમ હતા. એટલે કે, સોશિયલ મીડિયા અભિવ્યક્તિ માટેનું આધુનિક સાધન છે, પણ એકમાત્ર સાધન નથી.

હા, આજે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા ઝડપથી માહિતી વહેંચવાની અને સંદેશ પહોંચાડવાની શક્તિ આપે છે. ખાસ કરીને દૂરના ગામોમાંથી પણ અવાજ મુખ્ય મંચ સુધી પહોંચી શકે છે. તેથી તે ખૂબ જ જરૂરી બની ગયું છે.

સરકારે સોશિયલ મીડિયા બંધ કરવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે ટ્રોલિંગ, નફરતભર્યા ભાષણો અને સાયબર હુમલાઓથી સામાજિક શાંતિ અને શાસનની સ્થિરતા પર અસર પડી રહી હતી. પરંતુ સરકારનું આ પગલું યુવાનો માટે દમન જેવી લાગ્યું. તેમણે તેને પોતાના અવાજ દબાવવાની કોશિશ તરીકે જોયું. પરિણામે, યુવાનોમાં વિશ્વાસનો અભાવ વધ્યો અને આંદોલનો વધુ પ્રબળ બન્યા.

 

યોગ્ય માર્ગ શું હોઈ શકે?

સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગથી ઉદ્ભવતા ખતરાઓ સામે નિયમો જરૂરી છે, પરંતુ તે નિયમો એવી રીતે બનાવા જોઈએ કે લોકોના મૂળભૂત અધિકારો પર અસર ન થાય. સરકાર અને સમાજ વચ્ચે ચર્ચા જરૂરી છે. મીડિયા અવેરનેસ વધારવી જોઈએ, જ્યાં યુવાનો શીખે કે ડિજિટલ જગતમાં જવાબદારીપૂર્વક કેવી રીતે વર્તવું.

અભિવ્યક્તિ એ માત્ર બોલવાની સ્વતંત્રતા નહીં, પણ વિચારવાની, સાંભળવાની અને સમાજ સાથે જોડાવાની વ્યવસ્થા છે. સોશિયલ મીડિયા એ એ માટેનું શક્તિશાળી સાધન છે, પરંતુ તેનો ઉપયોગ જવાબદારીપૂર્વક થાય ત્યારે જ તે સાચા અર્થમાં સમાજ માટે લાભદાયી બની શકે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

 

વાસ્તુ: શું નૈરુત્ય દિશા સાથે પિતૃદોષને કોઈ સંબંધ ખરો?

જેમને કશું જ નથી આવડતું, એને કશું પણ સમજાવવું ખૂબ સહેલું છે. વળી મજાની વાત એ છે કે કેટલાક લોકો તો એ તાકમાં જ હોય છે કે નાસમજ લોકોને મૂર્ખ બનાવી પોતાનો સ્વાર્થ કેવી રીતે સાધી શકાય. જે લોકો મૂર્ખ બનાવે છે એ તો ગુનેગારો છે જ, પરંતુ જે લોકો વારંવાર મૂર્ખ બને છે, એ પણ એક રીતે ગુનેગારો ગણાય.

શ્રાદ્ધ એ પોતાના વડવાઓને યાદ કરીને તેમની સકારાત્મક ઊર્જા અથવા આશીર્વાદ લેવાનો અવસર છે. એને અને પિતૃદોષની વિધિને ન્હાવા-નીચોવવાનો કોઈ સંબંધ નથી. વળી પિતૃ પોતાના વંશજોને શા માટે રંજાડે? શું તમે તમારા બાળકોને હેરાન થતા જોઈ શકો છો? આપણા સમાજે કેટલીક અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવીને આપણી સંસ્કૃતિના મૂળ્યોને સમજવા જરૂરી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો નીચે જણાવેલ ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: આપ કહો છો કે પિતૃદોષ જેવું કશું નથી હોતું. તો પછી નૈરુત્ય દિશાને પિતૃદોષની દિશા શા માટે કહે છે? વળી શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન અને જાતજાતની વિધિની વાતો વાંચવા મળે છે. એવું કશું અમે ક્યારેય કર્યું નથી. તો સાચું શું છે?

જવાબ: નૈરુત્ય દિશાના દોષથી જે સમસ્યાઓ ઉદ્ભવે છે, તેને અન્ય એક શાસ્ત્ર સાથે જોડીને પિતૃદોષ કહેવામાં આવે છે. જો જીવનમાં વારંવાર અડચણ આવતી હોય તો નૈરુત્ય દિશાનો દોષ તપાસવો જોઈએ. જોકે, આ માટે નિષ્ણાતની સલાહ અત્યંત જરૂરી છે.

આજે ઘણા લોકો વિષયને નથી સમજતા, છતાં પોતાની રીલ્સ બનાવી શકે છે. આવા લોકો અહીં-ત્યાંથી માહિતી મેળવી એની ખીચડી પીરસે છે અને સમાજના પાયા પર પ્રહાર કરે છે. રીલ્સ ઉછીની માહિતી છે. એને શાસ્ત્રોનો આધાર ન પણ હોઈ શકે. એના પર ભરોસો કરવો એટલે મફતમાં મળેલું ઝેર ખાવા બરાબર છે.

સવાલ: હમણાં એક પ્રદર્શન માટે મારી ઉપર કોઈએ પોસ્ટર મોકલ્યું. એમાં જે નંબર હતો, એ વ્યક્તિ જાણીતી હતી. એમણે મારી પાસે ગુગલ ફોર્મ ભરાવીને કહ્યું કે ટોકન પૈસા ભરી દ્યો. તમને બુકિંગ નહિ કરો તો પાછા મળી જશે. મેં ફોર્મ ભર્યું. પછી એ સતત કન્ફર્મ કરવા પ્રેશર નાખતા રહ્યા. અંતે થાકી જઈને મેં નાં પડી દીધી. હવે એ લોકો પોલીસીનું બહાનું કાઢીને પૈસા રીફંડ આપવાની ના પાડે છે.

આ પહેલા પણ એક કલા પ્રદર્શનમાં એક બહેને આવું કર્યું હતું. જોકે એ બંને સાથે સંકળાયેલી વ્યક્તિ એક જ છે, જે કદાચ દુનિયાની સહુથી વધારે નકારાત્મક વ્યક્તિ છે. મારી સાથે આવું કેમ થાય છે?

જવાબ: ભલા હોવું અને મૂર્ખ હોવું એ બંનેમાં ઘણો ફર્ક છે. આ સમાજમાં લોકોને મૂર્ખ સમજનાર લોકો વધી રહ્યા છે. એનું મુખ્ય કારણ લોકોની રાતોરાત મહેનત વિના પૈસાદાર થવાની વૃત્તિ હોઈ શકે.

તમે જે પૈસા આપ્યા છે એ લોકો પાછા નહિ આપે, કારણ કે ગુગલ ફોર્મની સાથે છુપાયેલી પોલીસી હોય છે, જે તેમણે તમને દેખાડી નથી. ઉપરથી હિતેચ્છુ લાગતા બધા લોકો હિતેચ્છુ હોતા નથી. એ માત્ર પોતાના હિતમાં વિચારે છે. આવા લોકોનું કામ જ છેતરપીંડી હોય છે.

વળી, તમે જે નકારાત્મક વ્યક્તિની વાત કરો છો, એનાથી અને તેના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિથી દૂર થઈ જાવ. જયારે પૂર્વનો દોષ હોય ત્યારે આવા સંજોગો ઉદ્ભવે છે. સવારે વહેલા ઊઠીને સૂર્યને જળ ચડાવો. તમારામાં માણસ પારખવાની શક્તિ ચોક્કસ વિકસિત થશે.

સૂચન: દર બેસતા મહિને કીડીયારું પૂરવાથી વિઘ્નોમાં રાહત મળે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

PM મોદી અને તેમનાં માતાના AI વિડિયો પર વિવાદ

પટનાઃ બિહાર ચૂંટણી પહેલાં PM નરેન્દ્ર મોદી અને તેમનાં માતા હીરાબહેનને લઈને રાજકીય વિવાદ શાંત પડતો નથી. પહેલા જ્યાં કોંગ્રેસની વોટર અધિકાર યાત્રા દરમિયાન PM મોદી અને તેમનાં માતા અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યાં હવે નવો AI વિડિયો સામે આવ્યો છે. આ વિડિયો બિહાર કોંગ્રેસે સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં PM મોદી અને તેમનાં માતા દેખાય છે. કોંગ્રેસના આ વિડિયો અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપે આ વિડિયોને વડા પ્રધાનનાં માતા, મહિલાઓ અને ગરીબોનું અપમાન ગણાવ્યો છે.

ભાજપે કર્યો પ્રહાર

ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ આ વિડિયો અંગે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર PM મોદીનાં માતાનું અપમાન કરી રહી છે. આ હવે ગાંધીજીની કોંગ્રેસ નથી રહી, આ “ગાળો કોંગ્રેસ” બની ગઈ છે. ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે કોંગ્રેસને આ વિડિયોને લઈને શરમ આવવી જોઈએ. તેમણે ફરી એક વાર પી.એમ. મોદીનાં માતા, જે હવે આ દુનિયામાં નથી, તેમનું અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતાઓએ આ વિડિયો માટે માફી માગવી જોઈએ.

PMને લખાયો પત્ર

PM મોદી અને તેમનાં માતાનો AI વિડિયો બનાવવાને મામલે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ PM મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આવા વિડિયો અંગે વાંધો ઉઠાવી ટેકનોલોજીના દુરુપયોગની વાત કરી છે. તેમણે કહ્યું છે કે આવી તક્નિકી ઉપયોગ અંગે કોઈ નિયમ-કાયદો બનાવવો જરૂરી છે. આવા વિડિયોમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ થયો છે તે આપણા ભારત દેશમાં ક્યારેય થતો નથી. અમે લોકો આ વિડિયોમાં દર્શાવાયેલા સંવાદથી પીડાઈ રહ્યા છીએ. તેથી જ અમે આ પત્ર લખ્યો છે.

આ AI વીડિયો શું છે?

બિહાર કોંગ્રેસે જે AI વિડિયો જાહેર કર્યો છે તેમાં PM મોદીને સૂતા બતાવવામાં આવ્યા છે. એ દરમ્યાન તેમનાં માતા આવે છે અને તેમને વઢે છે. આ વિડિયોમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ થયો છે તેને લઈને વિવાદ ઊભો થયો છે.

ગ્લોબલ-લોકલ-ગ્લોકલ: ભારતીય પર્યટકો માટે વિશ્વ પ્રવાસનો સ્વાદ

ઘણાં વર્ષ પૂર્વે પહેલી વાર સ્કેન્ડિનેવિયામાં ગઈ હતી. હું અને સુધીર લંડનની એક ટ્રાવેલ કંપની મારફત આ ગ્રુપ ટુર પર ગયાં હતાં. ટુર્સ કેવી હોય છે, ઈન્ટરનેશનલી ટુર્સ પર શું કરવામાં આવે છે, તેમની પાસેથી આપણે કઈ સારી બાબતો લઈ શકીએ તે જોવાનો આની પાછળ ઉદ્દેશ હતો. તે સમયે અમારી ઈન્ટરનેશનલ ટુર્સ પણ શરૂ થઈ નહોતી. આથી અમારા વિશ્વ પ્રવાસનો અનુભવ બહુ જ મર્યાદિત સ્વરૂપનો હતો. ગ્લોબ ટ્રોટર પદવી ત્યાર પછી અનેક વર્ષ બાદ મળી. આ ટુર સમયે જો કે અમે ખાસ્સાં નવાં હતાં. શૂઝ કેવાં હોવાં જોઈએ, કપડાં શું પહેરવાં, દુનિયાભરમાં ક્યાંયથી પણ જોઈન થનારા પર્યટકો સાથે કઈ રીતે સુમેળ સાધવો આ બધાના શ્રીગણેશ હતા. તે બધામાંથી પછી મારું લેખન શરૂ થયું તે આજ સુધી ચાલુ છે. જે અનુભવમાંથી શીખવા મળ્યું તે શૅર કરવા લાગી. વાચકો સાથે, પર્યટકો સાથે સુમેળ સાધવાનો આ લેખનો પ્રવાસ આનંદદાયક બનતો ગયો. આ ની ટુર પર હતાં ત્યારે હું સંપૂર્ણ વેજિટેરિયન બની ચૂકી હતી. યુરોપમાં ફરતી વખતે, ખાસ કરીને સ્કેન્ડિનેવિયામાં વેજિટેરિયન હોવું એટલે દિવ્ય બાબત હતી. “વેજિટેરિયન ક્યા હોતા હૈ?” એવું દરેક ઠેકાણે સમજાવીને કહેવું પડતું.

અમારી ટુર મેનેજર અમેંડા નામની બ્રિટિશ છોકરી હતી. જે સમયે તેને અમે કહ્યું કે હું વેજિટેરિયન છું ત્યારે તેનો ચહેરો જોવા જેવો થઈ ગયો હતો. હવે આ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવાનો તે ફિકરથી તે ગ્રસ્ત હતી. રોજ અમેંડા રેસ્ટોરાં સાથે વાત કરીને વેજિટેરિયનનો કોઈક ઈનોવેટિવ પ્રકાર કરી આપવાનો પ્રયાસ કરતી. હું ચોક્કસ તે જ સમયે વેજિટેરિયન શા  માટે બની? આ પ્રશ્ને મેં કપાળે હાથ મારી લીધો. જો કે પ્રણ લીધો હતો, જે તોડવાનો નહોતો. આથી મેં જે કાંઈ સામે આવવાનું છે તેમાંથી વેજિટેરિયન ખાદ્ય અને સેલાડ ખાઈને તે ટુર પર હેમખેમ ભૂખ સંતોષી. ડબલ ટોર્ચર હતું એક્ચ્યુઅલી! એક તો આ ટુર્સ પર લંચ પ્રકાર જ નહોતો. બ્રેકફાસ્ટ અને ડાયરેક્ટ ડિનર. બહુ ભૂખ લાગતી. વારુ, વરણ-ભાત, શાક, ચટણી, અથાણું, પાપડ વગેરે જમવામાં નહોતું. એક જ કોઈક ડિશ રહેતી. પછી તે ભાત, બટાટા, શાક હોય અથવા એક જ ઉકાળેલું ફ્લાવર અને તેની સાથે સોસ અને ચિપ્સ. એટલે કે તે ડિશ દેખાવમાં એટલી સુંદર રહેતી કે જોતાં જ રહીએ. તે સમયે મોબાઈલ ફોન નહોતો. અન્યથા મસ્ત ફોટો કાઢી રાખ્યા હોત.

એકંદરે ભૂખ્યા પેટ સાથે તે ટુર પાર પડી અને જ્યારે પણ ઈન્ટરનેશનલ ટુર શરૂ કરીશું ત્યારે આપણા પર્યટકોને “બપોરનું ભોજન આપવાનું” એવું અમે નક્કી કર્યું. આપણા ભારતીય મનને સવારનો નાસ્તો, બપોરનું અને રાતનું ભોજનની એટલી આદત છે કે લંચ વિના કઈ રીતે રહેવું એ પ્રશ્ન પડે છે. તે સમયે મને પણ તે મહેસૂસ થયું. બપોરે જમવાના સમયે ભૂખથી પેટમાં કાગડા ઊડતા. સાઈટસીઈંગમાં મન લાગતું નહીં. ક્યારેક-ક્યારેક શરીરને નહીં પણ મનને ભૂખ લાગતી. ચિપ્સ ખાઈને અથવા એકાદ જ્યુસથી ચાલતું નહીં. સાઈટસીઈંગ કરતાં અને જે તે સ્થળનો આનંદ લેવા કરતાં બપોરનું ભોજન નથી તે ચિંતાએ મનમાં ઘર કરી દીધેલું રહેતું.

અમેંડાએ બહુ સારી રીતે ટુર કંડક્ટ કરી. ટુરના કાર્યક્રમમાં લખ્યું હતું, જે જોઈને અમે પૈસા ભર્યા હતા તે સર્વ બરોબર પાર પડ્યું. ટીકા કરવાની જગ્યા નહોતી. “આઈડિયલ વે ઓફ કંડક્ટિંગ ધ ટુર” નો ઉત્તમ દાખલો તેણે અમારી સામે રાખ્યો. “બપોરનું ભોજન નહીં” એ બાબત આપણા ભારતીય પર્યટકોને નહીં ચાલે, જેથી તેમાં અમે ફેરફાર કરવાનું નક્કી કર્યું.

બીજી એક વાત મને ખૂંચી તે એ કે દરરોજ ફક્ત અડધો દિવસ જ સ્થળદર્શન અથવા બે દિવસ એવા હતા કે તે દિવસે કશું જ નહીં. સંપૂર્ણ ફ્રી દિવસ. એટલે તે જોઈને જ અમે બુકિંગ કર્યું હતું, પરંતુ અમે વિચાર કર્યો હતો કે તે સમયમાં આપણે પોતે શહેરમાં ફરીશું. પગપાળા ચાલ્યા વિના શહેર સમજાતું નથી ને. જો કે થયું ઊલટું. દરરોજ અમેંડા અમને બીજા દિવસના ફ્રી ટાઈમમાં તમે શું-શું ઓપ્શનલ કરી શકો છો તેની લિસ્ટ આપતી તેના ચાર્જીસ સાથે અને પછી બસમાં સુસંવાદ અથવા થોડો વિસંવાદ શરૂ થતો.

“પૈસા” જેમને માટે પ્રોબ્લેમ નહોતો તેઓ તુરંત બુક કરતા. પરંતુ અમારા જેવાં અનેકોને ટુરના પૈસા ભર્યા પછી દરરોજ આવા ઓપ્શનલ માટે ક્યાંક સો-બસ્સો જ્યારે ક્યાંક ચારસો ડોલર્સ ભરવાનું ભારે લાગતું. નહીં જઈએ તો આપણે કશુંક મહત્ત્વનું મિસ કરીશું એવું લાગતું અને જઈએ તો આટલા પૈસા શા માટે? આ વિચારથી જીવ અધીરો બની જતો. ગમે તેટલું કહીએ તો પણ આપણું મધ્યમ વર્ગીય મન હિસાબ તો કરે જ છે.

એકંદરે તે ટુરમાંની આ “ઓપ્શનલ સાઈટસીઈંગ” વાળી બાબત મનમાં ખૂંચી. લોકોએ મોકળા મનથી ટુર એન્જોય કરવી જોઈએ એ વાત આ ઓપ્શનલને લીધે ડિસ્ટર્બ થઈ. એક વાર અમેંડાએ ઓપ્શનલની લિસ્ટ જાહેર કરી એટલે બસમાંનો માહોલ જ બદલાઈ જતો. “તું જશે? તમે શું કરશો? બહુ મોંઘું છે નહીં! અમે જઈ રહ્યાં છીએ…” આવો સંવાદ છેડાતો અને અમુક ચહેરા પ્રફુલ્લિત, અમુક આનંદિત જ્યારે અમુક ઉદાસ એવો સીન થતો. અમે અમુક ઓપ્શનલ સાઈટસીઈંગ લીધા. એક-બે સ્થળનું સારું હતું, જ્યારે બે સ્થળે આટલા પૈસા આપીને મૂડ ખરાબ કરી લીધો એવું બન્યું.

સારું થયું આ ટુર પર અમે ગયાં અને તે પણ શરૂઆતમાં, ઈન્ટરનેશનલ ટુર્સ શરૂ કરવા પૂર્વે, કારણ કે આ ટુર પર જ “કાળા પથ્થર પરનું લખાણ” કહેવાય છે ને તે રીતે નક્કી કરી નાખ્યું કે આપણી ટુર્સમાં ક્યારેય ઓપ્શનલ સાઈટસીઈંગ પ્રકાર નહીં રહેશે. જે જોવાનું છે તે આપણી ટુરમાં હોવું જ જોઈએ. પર્યટકોએ એક જ વાર પૈસા ભરવાના. ટુર પર પૈસાનો મુદ્દો જ નહીં, જેથી નારાજી નહીં અને એકાદ બાબત જોવાની રહી જાય પૈસાને અભાવે એવું ક્યારેય નહીં બનવું જોઈએ. આ તે સ્કેન્ડિનેવિયાની ટુર પર નક્કી કર્યું તે આજ સુધી અમે પાળ્યું અને મને લાગે છે અમારા પર્યટકોને પણ તે ગમે છે.

દુનિયાના પ્રવાસમાં આવી અનેક બાબતો અનુભવતી વખતે તેમાંથી આપણા ભારતીય પર્યટકો માટે ચોક્કસ શું લેવાનું તે વિશેની અમારી કલ્પના સ્પષ્ટ થતી ગઈ. દુનિયાએ અમારી કાર્યશાળા બની. કોઈ પણ વાત જેમની તેમ ઉપાડી નહીં શકાય. ગ્લોબલમાંનું લોકલ, લોકલ ગ્લોબલ મળીને જ ગ્લોકલ એવી ખાસ્સી મસ્ત ખીચડી બની છે. દુનિયા નજીક આવી છે, પરંતુ તે છતાં મુંબઈને ચાલતી એકાદ બાબત અથવા અમારી જાહેરાત ક્યારેક-ક્યારેક પુણેમાં ચાલતી નથી અથવા અમારા દિલ્હીકરો સાથે કરવાનું કમ્યુનિકેશન બેન્ગલુરુ અથવા હૈદરાબાદમાં બદલવું પડે છે અથવા કલકત્તા સાથે સંપૂર્ણ અલગ રીતે બોલવું પડે છે. ગ્લોબલ દુનિયામાં ફરતી વખતે લોકલને ભૂલીને ચાલશે નહીં તે આપણાં ભારતે દુનિયાને શીખવ્યું છે.

હાલમાં અમે દીક્ષિતનું ડાયેટ અથવા ઈન્ટરમિટન્ટ ડાયેટ કરી રહ્યાં છીએ. બે જ વાર ખાવાનું. બ્રેકફાસ્ટ-લંચ અમે પસંદ કરેલો વિકલ્પ. આ જો મેં પાંત્રીસ વર્ષ પૂર્વે કર્યું હોત તો તે સ્કેન્ડિનેવિયાની ટુર પર થયેલો ભૂખમરો ખટક્યો નહીં હોત. યુરોપમાંનું ભોજન, ત્યાંના માણસો અથવા ભાષા કે ત્યાંના અનેક દેશોનો ઈન્ગ્લિશ નહીં બોલવાના આગ્રહને લીધે યુરોપ મોટે ભાગે ગ્રુપ ટુર્સ માટે પ્રસિદ્ધ બન્યું. લોકલ્સ સાથે સુસંવાદ સાધનારો ટુર મેનેજર મેડિયેટર બન્યો ભારત અને યુરોપ વચ્ચે, જેને લીધે ભારતીયોને યુરોપ ફરવાનું સુસહ્ય બન્યું.

હવે ખાવાની બાબત ચિંતા રહી નથી યુરોપમાં. ઊલટું એવું થયું છે કે ફક્ત ભારતીય ભોજન નહીં જોઈએ, વચ્ચે વચ્ચે લોકલ ફૂડ પણ આપો એવું પર્યટકો જ કહેવા લાગ્યા છે. તેમાંય અમે અનેક પ્રયોગ કરીને જોયા. રોજ એક લોકલ મીલ આપીએ અને એક ભારતીય ભોજન એવો પણ પ્રયાસ કર્યો, પરંતુ બાય એન્ડ લાર્જ પર્યટકોને રોજ લોકલ નથી જોઈતું તેની પર મંજૂરીની મહોર લાગી. એક પછી એક ભારતીય ભોજનનો કંટાળો આવે એટલે કાંઈક લોકલ-ગ્લોબલ હોવું જોઈએ એ વિચાર પર્યટકોના અને અમારા પણ ગળે ઊતર્યો. હાલમાં તે પ્રમાણે સપ્તખંડમાં ગ્લોબલ-લોકલ-ગ્લોકલ ભોજનનો સ્વાદ અમે પર્યટકોને આપી રહ્યાં છીએ.

થોડા મહિના પૂર્વે તૈપેઈ, તૈવાનમાં રેસ્ટોરાંએ અમને એટલું સરસ વેજિટેરિયન ખાવાનું આપ્યું કે તે તૈવાની ભોજન પછી અમે બધા પર્યટકોએ ખરા અર્થમાં તૃપ્તિનો ઓડકાર લીધો. તે પછી એન્ટાર્કટિકાની ટુર પર હતી ત્યારે ક્રુઝ પર એક્ઝિક્યુટિવ શેફ અમિત રાવ હતો, જે અમને ગ્રીનલેન્ડ-આઈસલેન્ડ ક્રુઝ પર મળ્યો હતો અને અમારી તેની સાથે સારી મૈત્રી બની હતી. તેણે તે એન્ટાર્કટિકા એક્સપીડિશન ક્રુઝ પર રીતસર અમારા ગ્રુપમાંના પર્યટકોને તેણે લાડ કર્યા. તે સાતમા ખંડ પર અમિતને લીધે પર્યટકોએ ઉત્કૃષ્ટ ગ્લોબલ ફૂડ સાથે એકદમ આપણું ભારતીય લોકલ ભોજન પણ મળતું હતું.

ખરેખર હાલમાં આ ક્ષણે આપણે એક મસ્ત દુનિયામાં છીએ. ગ્લોબલ-લોકલ-ગ્લોકલનો હકારાત્મક તાલમેલ આપણને ફાવે તો આપણે જીતી ગયાં સમજો.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

CP રાધાકૃષ્ણન બન્યા દેશના 15મા ઉપ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ સી.પી. રાધાકૃષ્ણન દેશના 15મા ઉપ રાષ્ટ્રપતિ બની ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. રાધાકૃષ્ણને વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને હરાવીને આ પદ પ્રાપ્ત કર્યું છે. મંગળવારે તેઓ ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમને 452 મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા.

આ શપથવિધિ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા.

રાજ્યોના CM પણ હાજર

ઉપ રાષ્ટ્રપતિના શપથવિધિના સમારંભ પહેલાં ઘણા રાજકીય નેતાઓ કાર્યક્રમમાં હાજર થવા માટે દિલ્હી પહોંચી ચૂક્યા હતા. રાજધાનીમાં હાજર રહેલા લોકોમાં ઓડિશાના CM મોહન ચરણ માઝી, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, આંધ્ર પ્રદેશના CM એન. ચંદ્રબાબુ નાયડુ, પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક ગુલાબચંદ કટારિયા, ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવાર અને મધ્ય પ્રદેશના CM મોહન યાદવ સામેલ હતા.

જગદીપ ધનખડ પણ હાજર

ઉપરાષ્ટ્રપતિપદ માટે સીપી રાધાકૃષ્ણનના શપથવિધિમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા હતા. આ સિવાય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. જોકે વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવા ઉપરાષ્ટ્રપતિના શપથવિધિમાં હાજર નહોતા રહ્યા, કારણ કે તેઓ ગુજરાત પ્રવાસે છે.

રાધાકૃષ્ણને છોડ્યું રાજ્યપાલનું પદનવ સપ્ટેમ્બરે થયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવીને સીપી રાધાકૃષ્ણને ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ છોડ્યું છે. રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો કાર્યભાર સોંપ્યો છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫