Home Blog Page 623

નેપાળના સંસદ ભવનમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓઃ અનેક શહેરોમાં કરફ્યુ

કાઠમંડુઃ નેપાળમાં હજારોની સંખ્યામાં યુવાનોએ કાઠમંડુ સહિત અનેક શહેરોમાં આજે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન સોશિયલ મિડિયા પરના પ્રતિબંધ, ભ્રષ્ટાચાર અને આર્થિક મંદી સામે છે. વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર વિરુદ્ધ આ Gen-Z રેવોલ્યુશન શરૂ થયું છે. એ દરમિયાન પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ વિરોધને ધ્યાનમાં રાખીને કાઠમંડુના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા છે, જ્યારે ગોળી વાગવાથી એક પ્રદર્શનકારીનું મોત થયું છે.

વડા પ્રધાન કેપી ઓલીની સરકારે ચોથી સપ્ટેમ્બરે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને X સહિત 26 સોશિયલ મિડિયા એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. નેપાળ સરકારે અનેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર રોક લગાવ્યા બાદ સોમવારે રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં ગુસ્સે ભરાયેલા યુવાનો પોલીસ બેરિકેડ તોડી અને ગેટ કૂદી સંસદ ભવનમાં ઘૂસી ગયા. આ પ્રદર્શનકારીઓએ શરૂઆતમાં શાંતિ જાળવવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને વિખેરવા માટે ટિયર ગેસ અને પાણીનો મારાનો ઉપયોગ કર્યો ત્યાર બાદ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. આ પ્રદર્શનમાં Gen-Z સ્કૂલ યુનિફોર્મમાં પણ જોડાયા. તેમણે સોશિયલ મિડિયા પરથી પ્રતિબંધ દૂર કરવાની, ભ્રષ્ટાચાર બંધ કરવાની, નોકરી અને ઈન્ટરનેટ એક્સેસની માગ કરી હતી.

26 સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ

મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિસ અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓને રજિસ્ટ્રેશન માટે 28 ઓગસ્ટથી સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે બુધવાર રાત સુધી સમયમર્યાદા પૂરી થતાં કોઈ પણ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જેમાં મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ), અલ્ફાબેટ (યુટ્યુબ), X (પૂર્વે ટ્વિટર), રેડિટ અને લિન્કડઇન સામેલ છે, એમાંથી કોઈએ રજિસ્ટ્રેશન સંબંધિત અરજી કરી નહોતી.

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ દેશમાં બિનરજિસ્ટર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના તેમની સરકારના નિર્ણયને સમર્થન આપતાં રવિવારે કહ્યું હતું કે રાષ્ટ્રને નબળું કરવાની કોશિશ ક્યારેય સહન કરવામાં નહીં આવે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરુ

15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર આજથી એટલે કે, 8 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાશે. આ 3 દિવસના સત્રમાં રાજ્ય સરકાર કુલ 5 નવા બિલ રજૂ કરશે. આ બિલમાં શ્રમ, નાણા, ઉદ્યોગ અને આરોગ્ય જેવા મહત્વના વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ વિધાનસભા સત્રની સંભવિત કામગીરી અંગે અગાઉ માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, સત્રની શરૂઆત 8 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોતરીથી થશે અને ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. વિધાનસભાના કાયદાકીય કામકાજનો મુખ્ય ભાગ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, જ્યારે કુલ 5 નવા વિધેયક રજૂ કરીને તેના પર ચર્ચા કરવામાં આવશે.

આ સત્રમાં નીચેના પાંચ વિધેયકો રજૂ કરાશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ: ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’
નાણા વિભાગ: ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, 2025’
ઉદ્યોગ અને ખાણ વિભાગ: ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025’
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025’
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025’

ફેમસ બ્રિટિશ સંગીતકાર રિક ડેવિસનું કેન્સરને કારણે નિધન

બ્રિટિશ બેન્ડ સુપરટ્રેમ્પના સહ-સ્થાપક અને સંગીતકાર રિક ડેવિસના નિધનના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ પ્રખ્યાત બ્રિટિશ સંગીતકારે 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રિક ડેવિસના નિધનની પુષ્ટિ તેમના મ્યુઝિક બેન્ડ દ્વારા કરવામાં આવી છે.

મ્યુઝિક બેન્ડ સુપરટ્રેમ્પે તેના સહ-સ્થાપક રિક ડેવિસના અવસાન પર શોક વ્યક્ત કરતા નિવેદન જારી કર્યું છે. ANI સમાચાર અનુસાર, મ્યુઝિક બેન્ડ સુપરટ્રેમ્પે કહ્યું,’રિક ડેવિસના અવસાનની જાહેરાત કરતા ખૂબ જ દુઃખ થાય છે. રિકનું 5 સપ્ટેમ્બરના રોજ લોંગ આઇલેન્ડ સ્થિત તેમના ઘરે લાંબી બીમારી બાદ અવસાન થયું. અમને તેમને જાણવાની અને પચાસ વર્ષથી વધુ સમય સુધી તેમની સાથે કામ કરવાની તક મળી. અમે તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.’

રિક ડેવિસ કેન્સરથી પીડિત

વેરાયટીના સ્ત્રોત અનુસાર, કેન્સર સામે લાંબી લડાઈ બાદ રિક ડેવિસે દુનિયાને અલવિદા કહ્યું. તેમનું 81 વર્ષની વયે અવસાન થયું. 2015માં, તેમને મલ્ટીપલ માયલોમા નામની બીમારી હોવાનું નિદાન થયું હતું.

બ્રેકફાસ્ટ ઇન અમેરિકા સૌથી લોકપ્રિય આલ્બમ હતું

રિક ડેવિસ બ્રિટિશ બેન્ડ સુપરટ્રેમ્પના સહ-સ્થાપક હતા. તેમના રોક મ્યુઝિક બેન્ડે ‘બ્રેકફાસ્ટ ઇન અમેરિકા’ નામનું આલ્બમ બહાર પાડ્યું હતું, જે તેના સમયમાં મ્યુઝિક ચાર્ટમાં ટોચ પર હતું. આ ઉપરાંત, રિક ડેવિસે ‘ગુડબાય સ્ટ્રેન્જર’ અને ‘બ્લડી વેલ રાઇટ’ જેવા હિટ ગીતો લખ્યા અને ગાયા. રિકનો અવાજ ખૂબ જ ઊંડો અને ખાસ હતો. તેમના સાથી રોજર હોજસન સાથે મળીને તેમણે સંગીત પ્રેમીઓનું ખૂબ મનોરંજન કર્યું. પરંતુ 1983 માં, હોજસન તેમનાથી અલગ થઈ ગયા. આવી પરિસ્થિતિમાં પણ, રિક ડેવિસે સંગીત બેન્ડ ચાલુ રાખ્યું.

મેહુલ ચોકસીને ભારતમાં લાવવામાં આવે એવી શક્યતા

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં 13,000 કરોડ રૂપિયાની કહેવાતી છેતરપિંડીને મામલે આરોપી હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ થયા પછી ચાર મહિના બાદ ભારતે ત્યાંની સરકારને એક આશ્વાસન પત્ર મોકલ્યો છે. આ પત્રમાં ભારતે જણાવ્યું છે કે જો મેહુલ ચોકસીને ભારત લાવવામાં આવશે, તો તેને મુંબઈની આર્થર રોડ જેલના પરિસરમાં જ રાખવામાં આવશે.

મેહુલ ચોકસીને CBI તરફથી મોકલાયેલા પ્રત્યાર્પણ વિનંતી બાદ એપ્રિલમાં બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી. ગયા મહિને બેલ્જિયમની એક કોર્ટે તેના જામીન અરજીને નામંજૂર કરી હતી. ગૃહ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી રાકેશકુમાર પાંડે દ્વારા ચોથી સપ્ટેમ્બરે બેલ્જિયમના અધિકારીઓને મોકલાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે ચોકસીના બેલ્જિયમમાંથી પ્રત્યાર્પણની માગ કરી છે જેથી તે ભારતમાં કેસનો સામનો કરી શકે. પાંડેના જણાવ્યા મુજબ ચોકસીના સરેન્ડર માટેની પ્રત્યાર્પણ કાર્યવાહી “ચેંબર્સ ઓફ ઇન્ડિકેશન” સમક્ષ આગળ વધી રહી છે.

પત્રમાં શું–શું લખાયું

પાંડે પત્રમાં લખ્યું છે કે મહારાષ્ટ્ર સરકારના એક રિપોર્ટને આધારે કેન્દ્ર સરકારે વિશ્વાસ આપ્યો છે કે મેહુલ ચોકસીને મુંબઈની આર્થર રોડ જેલના બેરક નંબર 12માં રાખવામાં આવશે. જો તે દોષી સાબિત થશે તો સંભાવિત કેદની સંપૂર્ણ અવધિ દરમિયાન તેને એવી કોઠરીમાં રાખવામાં આવશે, જ્યાં તેને ઓછામાં ઓછી ત્રણ ચોરસ મીટરની ખાનગી જગ્યા મળશે.

આ પત્રમાં પાંડે એ પણ ખાતરી આપી કે મેહુલ ચોકસીને જે ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે, ત્યાં તેને એક સ્વચ્છ અને જાડી કપાસની ચટાઈ, તકિયો, ચાદર અને કંબલ આપવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું કે જો તબીબી જરૂર પડશે તો તેને લાકડાની પથારી પણ આપવામાં આવશે. આ ઉપરાંત રૂમમાં સારી રોશની, હવા અને જરૂરી ખાનગી સામાન રાખવાની જગ્યા પણ ઉપલબ્ધ હશે. ચોકસી અને તેનો ભત્રીજો નીરવ મોદી, પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં વોન્ટેડ છે.

 દેશમાં 2027માં પ્રથમ વખત થશે ડિજિટલ જનગણતરી

નવી દિલ્હીઃ જનગણતરી 2027 દેશની પ્રથમ સંપૂર્ણ રીતે ડિજિટલ જનગણતરી હશે. જનગણતરી કામમાં લાગેલા આશરે 34 લાખ લોકો પોતાના સ્માર્ટફોન અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરશે. આ એપ્લિકેશન અંગ્રેજી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે.

રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) દ્વારા નિયુક્ત ગણનાકર્તા અને ઇનવિજિલેટર ડેટા એકત્ર કરવા માટે પોતાના મોબાઇલ અને ડિવાઇસનો ઉપયોગ કરશે અને તેને મોબાઇલ એપ્લિકેશન મારફતે કેન્દ્રીય સર્વર પર ટ્રાન્સફર કરશે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ માટે અંગ્રેજી તેમ જ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે, એમ અહેવાલ કહે છે.

મોબાઇલ એપ 2021ની જનગણતરી માટે

આ એપ્સ મૂળ 2021ની જનગણતરી માટે બનાવવામાં આવી હતી, પરંતુ હવે મોબાઇલ ફોન અને ઓપરેટિંગ સિસ્ટમના ટેક્નિકલ અપગ્રેડને ધ્યાનમાં રાખીને ફરી વિકસાવવામાં આવી રહ્યા છે. જો કોઈ કારણસર ગણનાકર્તા કાગળ પર માહિતી એકત્ર કરે તો તેને સમર્પિત વેબ પોર્ટલ પર નોંધવી પડશે, જેથી પછી સ્કેનિંગ કે ડેટા એન્ટ્રી કરવાની જરૂર ન પડે. તેનો અર્થ એ છે કે જનગણતરીના આંકડા પહેલી વાર શરૂઆતના તબક્કે જ ડિજિટલ થશે, જેને કારણે સમયસર માહિતી ઉપલબ્ધ થશે.

મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ બંને તબક્કામાં

મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ જનગણતરી 2027ના બંને તબક્કામાં થશે. હાઉસ લિસ્ટિંગ અભિયાન (એપ્રિલથી સપ્ટેમ્બર 2026) અને વસતિ ગણતરી (ફેબ્રુઆરી 2027થી આખા દેશમાં, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સિવાય). આવનારી જનગણતરીમાં પરિવારના સભ્યોની જાતિઓની ગણતરી થશે અને લોકોને સ્વ-ગણતરી કરવાનો વિકલ્પ પણ મળશે.

હાઉસ લિસ્ટિંગ દરમિયાન, રહેઠાણની સ્થિતિ, ઘરગથ્થુ સુવિધાઓ અને પરિવારો પાસે રહેલી મિલકતોનું વર્ણન એકત્ર કરવામાં આવશે. જનગણતરી 2027માં પ્રથમ વખત બધાં જ મકાનો – રહેણાક તેમ જ બિન-રહેણાકનું જિયો-ટેગિંગ પણ કરવામાં આવશે. RGI વાસ્તવિક સમયમાં દેખરેખ અને મેનેજમેન્ટ માટે એક વેબસાઇટ પણ વિકસાવી રહ્યું છે. RGI એ જનગણના માટે રૂ. 14,618.95 કરોડના બજેટની માગ કરી છે.

લંડનમાં એવું તો શું થયું કે અધવચ્ચે જ અરિજિત સિંહનો કોન્સર્ટ અટકી પડ્યો

અરિજિત સિંહનો અવાજ જ્યારે જાદુ ફેલાવે છે ત્યારે લોકો તેમને લાગણીશીલ બની તેને સાંભળવાનું પસંદ કરે છે. તાજેતરમાં લંડનમાં અરિજિતનો એક કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટમાં સિંગરે ‘સૈયારા’નું ટાઇટલ ટ્રેક ગાવાનું શરૂ કર્યું, ત્યારે આખું સ્ટેડિયમ તેમના અવાજમાં ડૂબી ગયું. પરંતુ આ જાદુઈ ક્ષણ જે રીતે સમાપ્ત થઈ તેનાથી ચાહકો આશ્ચર્યચકિત અને નિરાશ બંને થયા.

લંડન સ્ટેડિયમમાં આ કોન્સર્ટ દરમિયાન અરિજિત સિંહ ‘સૈયારા’ ગીત ગાઈ રહ્યા હતા, જે મૂળ ફહીમ અબ્દુલ્લાએ ગાયું છે. ચાહકોની ભીડ સાથે ગીત ગાતા વાતાવરણ ભાવુક થઈ ગયું હતું. પરંતુ રાત્રે 10:30 વાગ્યાનો કર્ફ્યુનો સમય ઓળંગતાની સાથે જ આયોજકોએ કડક કાર્યવાહી કરવી પડી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અરિજિત સિંહ શૉમાં ગીત ગાઈ રહ્યો છે ને સ્ટેડિયમ વહીવટીતંત્ર શોમાં વીજળી બંધ કરી નાખે છે. પરિણામે, અરિજિત ન તો ગીત પૂર્ણ કરી શક્યો કે ન તો પ્રેક્ષકોને યોગ્ય વિદાય આપી શક્યો.

વાયરલ ક્લિપ શેર કરતા એક ઇન્સ્ટાગ્રામ પેજ પર લખ્યું છે,’લંડન સ્ટેડિયમમાં રાત્રે 10:30 વાગ્યે કર્ફ્યુ હોવાના કારણે અરિજિત સિંહનો શો બંધ થઈ ગયો હતો, વીજળી કાપી નાખવામાં આવી હતી અને તેમને ગુડબાય કહેવાની કે ગીત પૂર્ણ કરવાની તક પણ મળી ન હતી. આ દરમિયાન, ‘સૈયારા’ ના તેમના ભાવનાત્મક પ્રસ્તુતિનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.’ આ ઘટના પછી ઇન્ટરનેટ પર લોકોની પ્રતિક્રિયાઓનો પ્રવાહ વહેતો થયો. ઘણા ચાહકોએ તેમની નિરાશા વ્યક્ત કરી, તો કેટલાક વપરાશકર્તાઓએ યુકેના કડક અવાજ નિયંત્રણ નિયમોની પ્રશંસા કરી.

 

View this post on Instagram

 

A post shared by The Whatup (@thewhatup)

એક યુઝર્સે લખ્યું,’સમયપાલન માટે આટલો આદર જોઈને અદ્ભુત લાગે છે.’ જ્યારે બીજાએ કહ્યું, ‘કાશ ભારતમાં પણ કર્ફ્યુ નિયમોને આટલી ગંભીરતાથી લેવામાં આવે.’ બીજી ટિપ્પણીમાં લખ્યું, ‘યુકેમાં અવાજ મર્યાદા અંગે કડક નિયમો છે. કાર્યક્રમ મોડો શરૂ થયો, જેના કારણે અંત પણ મોડો થયો. આયોજકોએ અગાઉથી તૈયારી કરવી જોઈતી હતી.’ નોંધનીય છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે અરિજિત સિંહ વૈશ્વિક સંગીત દ્રશ્ય પર રાજ કરી રહ્યા છે. જુલાઈમાં તે સ્પોટિફાઈ પર ટેલર સ્વિફ્ટને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ મેળવનારા કલાકાર બન્યા. આ ઉપરાંત, જૂનમાં તેમણે બ્રિટિશ ગાયક એડ શીરન સાથે મળીને હિટ સિંગલ ‘સેફાયર’ રજૂ કર્યું, જેમાં શાહરૂખ ખાનનો કેમિયો પણ હતો. આ ગીત ટૂંક સમયમાં જ વિશ્વભરમાં વાયરલ ટ્રેન્ડ બની ગયું.

અલ્કારેઝે સિન્નરને હરાવી જીતી US ઓપન 2025ની ટ્રોફી

નવી દિલ્હીઃ સ્પેનના ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારેઝે યુએસ ઓપન 2025નો પુરુષ સિંગલ્સ ખિતાબ જીતી લીધો છે. સોમવારે રમાયેલા ફાઈનલ મુકાબલામાં તેણે પોતાના સૌથી મોટા પ્રતિસ્પર્ધી યાનિક સિન્નરને ચાર સેટના જોરદાર મુકાબલામાં 6-2, 3-6, 6-1, 6-4થી હરાવ્યો છે. આ જીત સાથે અલ્કારેઝે માત્ર પોતાનો છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો જ નહીં, પરંતુ તે વિશ્વનો નંબર એક ખેલાડી પણ બની ગયો છે.

અલ્કારેઝનો દબદબો

આ મુકાબલાની શરૂઆતથી જ અલ્કારેઝે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. પ્રથમ ગેમમાં જ તેણે સિન્નરની સર્વિસ તોડી અને પહેલો સેટ 6-2થી સહેલાઈથી જીતી લીધો. જોકે, બીજા સેટમાં સિન્નરે જોરદાર વાપસી કરી હતી અને અલ્કારેઝની સર્વિસ તોડી 6-3થી સેટ પોતાને નામે કર્યો હતો, પરંતુ ત્રીજા સેટમાં અલ્કારેઝ ફરી વળ્યો અને સિન્નરને ખરાબ રીતે હરાવી 6-1થી સેટ જીતી લીધો. સિન્નર કંઇક રીતે પોતાની સર્વિસ બચાવી શક્યો હતો 0થી હાર થવાથી બચી ગયો હતો. ચોથા અને અંતિમ સેટમાં પણ અલ્કારેઝે સિન્નરને તક આપી નહીં અને તેની સર્વિસ તોડી લીડ મેળવી હતી. અંતે એક ‘એસ’ (Ace) સાથે મુકાબલો પૂરો કર્યો અને પોતાની શાનદાર જીત સુનિશ્ચિત કરી હતી.

એક વર્ષમાં ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ

અલ્કારેઝ અને સિન્નર – બંનેને ટેનિસનું ભવિષ્ય માનવામાં આવે છે. આ વર્ષમાં ત્રીજી વાર બંને ગ્રાન્ડ સ્લેમના ફાઈનલમાં આમનેસામને આવ્યા હતા. આ સીઝનમાં તમામ ચાર ગ્રાન્ડ સ્લેમ ખિતાબો આ બંને વચ્ચે જ વહેંચાયા છે. સિન્નરે ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલડન જીત્યા, જ્યારે અલ્કારેઝે ફ્રેન્ચ ઓપન અને હવે US ઓપન પોતાને નામે કર્યા છે.

રાશિ ભવિષ્ય 08/09/2025 થી 14/09/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

સદગુરુ: શું વાસ્તુ જરૂરી છે?

સદગુરુ: વાસ્તુ ખરેખર એક ખુબ જ મૂળભૂત બાંધકામની શૈલી વિષેનું માર્ગદર્શન છે. જો તમારે 1000 વર્ષ પૂર્વે ઘર બાંધવું હોત, ત્યારે ગામમાં કોઈ આર્કિટેક ન હોત. તો તમે ઘર બાંધવા માટે કઈ માર્ગદર્શિકાનો ઉપયોગ કરશો? કોઇપણ રચનાના નિર્માણમાં મુખ્ય પડકાર હંમેશા છતની પહોળાઈ હોય છે. તમે છત કેવી રીતે બનાવી હોત? તમે કદાચ તમારા ખેતરમાં જઈને, કોઈ વૃક્ષ શોધી તેને કાપી લેતા. માનો કે તમારી પાસે એક ટૂંકા કદનું ઝાડ હોત જે માત્ર 8 ફૂટ ઊંચું હોત. હવે તમારી છતની પહોળાઈ માત્ર 8 ફૂટ હોત. પણ માનો કે તમને 10 બાળકો છે, તેથી તમારે એક 120 ફૂટનો લાંબો રૂમ બનાવવો પડશે બધાનો સમાવેશ કરવા માટે. જો તમે એક ઘર બાંધશો જે 8 ફૂટ પહોળું અને 120 ફૂટ લાંબુ હોય તો તમે એક ટનલમાં રેહશો.

તમારા શારીરિક તથા માનસિક આરોગ્યને ચોક્કસપણે અસર થશે. તેથી તેઓએ તમને કહ્યું જો તમારે મકાન બનાવવું હોય તો, એક પરિમાણ અમુક માપનું હોય તો બીજું પરિમાણ યોગ્ય માપનું હોવું જોઈએ. તેથી તમે વાસ્તુનો અભ્યાસ કરો તો પર્વત પરનું વાસ્તુ અને મેદાનમાં રહેલાં વાસ્તુમાં ઘણો ફરક હોય છે. કર્નાટકના વાસ્તુમાં અને તમિલનાડુનાં વાસ્તુમાં ફરક હોય છે. હવામાન અને તાપમાન અનુસાર તેઓએ સામાન્ય માર્ગદર્શિકાઓ આપી હતી કે જેથી તમે તમારું ઘર બુદ્ધિપૂર્વક અને સજાગ રીતે બાંધી શકો કારણકે એ સમયે તમારી મદદ માટે કોઈ આર્કિટેક નહતો.

આજે લોકો તેને એટલી હદ સુધી લઇ ગયા છે કે તમામ પ્રકારની બકવાસ થઇ રહી છે કારણકે જયારે તમારી ઉપર ભયનું શાસન હોય ત્યારે તમે દરેક વસ્તુમાં વિજ્ઞાન શોધી લો છો. આ આખી બાબતે છેલ્લા 10થી 20 વર્ષોમાં લોકોનાં મગજ પર કબજો જમાવી લીધો છે. તે પહેલાં, કોઈને આ વાસ્તુ વિષે જાણ ન હતી છતા બધાં સારી રીતે જીવતાં હતાં.

થોડા વર્ષો અગાઉ, હું કોઈના ઘરે રોકાયો હતો. રાત્રે મારી માટે બધાં ફોન ચાલુ થઇ જાય છે કારણકે અમેરિકાના લોકો માટે 10 વાગ્યા પછી કામ ચાલુ થાય છે, એટલે હું ફોન પર તેમની સાથે વાત કરતો હોઉં છું. પરંતુ મારો મોબાઇલ ફોન કાર્યરત નહોતો અને હું ફોન કનેક્ટ નહોતો કરી શકતો. હું સ્થાનિક લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરવાં માંગતો હતો. હું ઘરના માણસની શોધમાં નીકળ્યો. ત્યારે લગભગ રાતના 12.30 કે 1 વાગ્યા હતાં એટલે મારે તેમને જગાડવા નહોતાં, પરંતુ મેં તેને લગભગ 45 મિનીટ પહેલાં જોયો હતો, તેથી થોડી ખચકાટ સાથે મેં તેનાં બેડરૂમનો દરવાજો ખખડાવ્યો- કોઈ જવાબ ન મળ્યો. પછી મેં દરવાજાનું હેન્ડલ અજમાવ્યું અને દરવાજો ખુલી ગયો, મેં અંદર જોયું તો બેડરૂમમાં કોઈ નહોતું.

મેં વિચાર્યું કે તે બહાર બગીચામાં ચાલવા નીકળ્યો હશે અથવા રસોઈઘરમાં અથવા બીજે ક્યાંક હોવો જોઈએ. હું નીચે ગયો અને આખા ઘરની શોધ કરી- કોઈ મળ્યું નહીં. પછી મેં આશ્રમમાં ફોન કરીને કહ્યું, “મારા યજમાન ગાયબ છે. તે ક્યાં છે, બન્ને પતિ- પત્ની ક્યાં ગાયબ છે?” તેઓએ તેના મોબાઇલ પર ફોન કર્યો, જેનો નંબર મારી પાસે નહોતો અને તે માણસ હાજર થયો. મેં તેને પૂછ્યું, “ તું ક્યાં હતો? સ્ટોર રૂમ સહીત મેં બધું શોધી લીધું” તેણે કહ્યું, “ હું સુતો હતો” મેં પૂછ્યું, “ક્યાં?” તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો, મેં ધંધામાં થોડી ખોટ ખાધી છે અને…” મેં કહ્યું, “ તે બધું બરાબર છે, પરંતુ તું ક્યાં હતો?” તે બાથરૂમમાં સુતો હતો! તે એક એવી વસ્તુ હતી જેનાં વિષે મેં વિચાર્યું નહોતું. કોઈ વાસ્તુનો માણસ આવ્યો હતો અને તેણે આ વ્યક્તિને કહ્યું, “તમારા બેડરૂમની દિશા ખરાબ છે જેનાથી તમારું નસીબ ખરાબ ચાલી રહ્યું છે, એટલે તમારે બાથરૂમમાં સુવુ જોઈએ, તો તમારો વ્યવસાય સારો રહેશે” મેં તે માણસને કહ્યું, “બાથરૂમમાં સુઈને લાંબુ જીવન જીવવાને બદલે, ઓછામાં ઓછું તમારા બેડરૂમમાં થોડા ગૌરવથી સુવો, ભલે પછી તમે મૃત્યુ પામો”

(સદગુરુ-જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.

સુરક્ષા દળોની કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણઃ એકનું મોત

કુલગામઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન જ્યારે આતંકવાદીઓએ જોયું કે તેમની ઘેરાબંધી થઈ ગઈ છે, ત્યારે તેમણે ગોળીબારી શરૂ કરી દીધી છે. બંને તરફથી ગોળીબારી થઈ રહી છે. જોકે અહીં કેટલા લોકો હાજર છે તેની માહિતી હજુ સામે આવી નથી.

કુલગામ એનકાઉન્ટરમાં એક આતંકીનું મોત થયું છે. એ દરમિયાન સેનાનો એક JCO પણ ઘાયલ થયો છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ હજુ ચાલુ છે. અંદાજ છે કે બેથી ત્રણ આતંકી ઘેરાયેલા છે. એનકાઉન્ટર સવારે આઠ વાગ્યે શરૂ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ ગુડાર જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ શોધ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર ગોળીબારી શરૂ કર્યા બાદ આ શોધ અભિયાન એનકાઉન્ટરમાં ફેરવાયું હતું.

ભારતીય સેનાની ચિનાર કોરે X પર લખ્યું કે સતર્ક સૈનિકોએ શંકાસ્પદ હલચલ જોવી અને તેમને પડકાર્યા બાદ આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી, જેના બાદ ભીષણ ગોળીબારી થઈ. આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) ઘાયલ થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં 22 સ્થળોએ દરોડા

NIA એ સોમવારે પાંચ રાજ્યો અને જમ્મુ-કાશ્મીરમાં 22 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી એક આતંકી કાવતરાથી જોડાયેલા કેસની તપાસના ભાગરૂપે કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લાઓમાં તપાસ ચાલુ છે.