Home Blog Page 630

કોણ છે અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી? 17 વર્ષ બાદ જેલમાંથી છૂટી પહોંચ્યો મુંબઈ

એક બાજુ દેશમાં ગણેશ ઉત્સવની ધામધમૂ ચાલી રહી છે તો બીજી બાજુ પંજાબમાં ભારે વરસાદે કપરી સ્થિતિ ઉભી કરી છે. એવામાં એક નામ ચર્ચામાં આવ્યું, અરુણ ગવળી. અપરાધની દુનિયામાંથી રાજકારણ તરફ વળેલો અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી મુંબઈ પાછો ફર્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ બુધવારે ગવળીને નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.

લગભગ 17 વર્ષ પછી, અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી ઉર્ફે ડેડી નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ મુંબઈ પરત ફર્યો છે. ગવળીના આગમન બાદ મુંબઈની દગડી ચાલમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં ગવળીને જામીન આપ્યા બાદ, ગવળીને મુક્ત કરવામાં આવ્યો અને તે મુંબઈ આવ્યો. સૂત્રો કહે છે કે ગવળીના ભાઈ અને સંબંધીઓ તેની મુક્તિ દરમિયાન નાગપુરમાં હાજર હતા. આ દરમિયાન જેલ પરિસરની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેલ પરિસરમાં ATS ટીમ પણ હાજર હતી. 2007માં શિવસેના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં 2012માં મુંબઈ સેશન્સ કોર્ટે ગવલીને આજીવન કેદની સજા ફટકારી હતી, ત્યારબાદ તે નાગપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.

ગુનાથી રાજકારણ સુધીની સફર

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગપુર સેન્ટ્રલ જેલમાં હતા ત્યારે ગવલીએ ધાર્મિક પ્રવૃત્તિઓ અને શિસ્તબદ્ધ જીવન અપનાવ્યું હતું. જેલમાં હતા ત્યારે ગવલીએ એકનાથ ભાગવત અને અન્ય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તેમણે સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું કડક પાલન કર્યું હતું. ત્યાં, ગવલીએ ઘણા અન્ય કેદીઓનું જીવન સુધારવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસ રેકોર્ડ મુજબ, ભાયખલાના સાત રસ્તા ખાતે દગડી ચાલમાં રહેતા ગવળી મરાઠી સમુદાયમાં ખૂબ લોકપ્રિય હતા.

1980ના દાયકામાં, અરુણ ગવળી દાઉદ ઇબ્રાહિમ સાથે કામ કરતો હતો, પરંતુ 1988માં રામા નાઈકની હત્યા પછી, બંને દુશ્મન બની ગયા. 1990ના દાયકામાં, મુંબઈ પોલીસના વધતા દબાણ અને ગેંગ વોરથી બચવા માટે, ગવળીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને અખિલ ભારતીય સેના (ABS) નામની પાર્ટી બનાવી. 2004માં, તેઓ ચિંચપોકલીથી વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય પણ બન્યા. જોકે, એવી ચર્ચા ચાલી રહી છે કે શું અરુણ ગવળી તેમની મુક્તિ પછી રાજકીય રીતે વાપસી કરશે કે તેમની જૂની ગેંગ અથવા તેમના નેટવર્કને ફરીથી સક્રિય કરશે. જોકે, મહારાષ્ટ્ર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ ગવળીની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે.

અરુણ ગવલી એક સરળ પરિવારમાંથી આવે છે

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળી, જે ‘ડેડી’ તરીકે જાણીતા છે, તે મુંબઈના કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રહ્યા છે, જે પાછળથી રાજકારણમાં સક્રિય થયા. ભલે તે મહારાષ્ટ્રના એક સરળ મિલ કામદાર પરિવારમાંથી આવે છે, પરંતુ 1970-80 ના દાયકામાં મુંબઈના ગેંગ વોરમાં તેમની ભૂમિકાએ તેમને કુખ્યાત બનાવ્યા. તેઓ દાઉદ ઇબ્રાહિમ જેવા મોટા ડોનનો હરીફ હતો અને દગડી ચાલને પોતાનો ગઢ બનાવ્યો હતો.

અરુણ ગવળીનો જન્મ 17 જુલાઈ 1955ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરગાંવમાં થયો હતો. ગવલીના પિતા ગુલાબરાવ ગવળી એક મજૂર હતા, પરંતુ બાદમાં તેઓ મુંબઈ આવ્યા અને અહીં સિમ્પ્લેક્સ મિલમાં કામ કરવાનું શરૂ કર્યું. ગવલીની માતા લક્ષ્મીબાઈ ગૃહિણી હતી. આર્થિક તંગીને કારણે ગવળીએ SSC પછીનો અભ્યાસ છોડી દીધો અને નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું.

1980 અને 1990ના દાયકામાં તે ગુનાની દુનિયામાં જોડાયો અને મુંબઈના અંડરવર્લ્ડનો એક પ્રખ્યાત ચહેરો બન્યો. મધ્ય મુંબઈના દગડી ચાલ વિસ્તારમાં તેની ગેંગને કારણે અરુણ ગવળી ઉર્ફે ડેડીનું નામ ખૂબ પ્રખ્યાત હતું. રામ ગોપાલ વર્માએ ગવળીજીવન પર ‘ડેડી’ નામની ફિલ્મ પણ બનાવી હતી, જેમાં વર્માએ પોતે ગવળીની ભૂમિકા ભજવી હતી.

પરિવારમાં કોણ કોણ છે?

અરુણ ગવળીનો પરિવાર મુંબઈના દગડી ચાલમાં રહે છે. તેમનો પરિવાર પણ દાઉદ ઇબ્રાહિમ જેવા દુશ્મનોના હુમલાનો ભોગ બન્યો છે. પિતા ગુલાબરાવ ગવળી સિમ્પ્લેક્સ મિલમાં કામ કરતા હતા. માતા લક્ષ્મીબાઈ ગવલી એક મિલ કામદાર હતી, જેનું 2018 માં અવસાન થયું. ભાઈઓ કિશોર ગવળી અને બાપ્પા ગવળી અંડરવર્લ્ડમાં ભાગીદાર હતા, જેમની દાઉદની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પ્રદીપ ગવળી ખટાઉ મિલમાં કામ કરતા હતા.

અરુણ ગવળીની પત્નીનું નામ આશા ગવળી છે. તે મુસ્લિમ પરિવારમાંથી આવે છે. લગ્ન પછી તેણીએ હિન્દુ ધર્મ અપનાવ્યો. તે મહારાષ્ટ્ર વિધાનસભાની ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂકી છે. તેણી પરિવારની ‘મમી’ તરીકે ઓળખાય છે. અરુણ ગવળીને પાંચ બાળકો છે મહેશ ગવળી, ગીતા ગવળી, યોગિતા ગવળી, યાતિકા ગવળી અને અસ્મિતા ગવળી.

સુપ્રીમ કોર્ટનો આદેશ

28 ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટની બેન્ચ – જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને એન. કોટેશ્વર સિંહ – એ ગવળીને જામીન આપ્યા. કોર્ટે કહ્યું કે તે 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને તેની અપીલ હજુ પણ પેન્ડિંગ છે.

ગવળી પર મુંબઈ શિવસેનાના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની હત્યાનો આરોપ હતો. 2012માં સેશન્સ કોર્ટે તેમને આજીવન કેદ અને 17 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી, જેને 2019માં હાઈકોર્ટે માન્ય રાખી હતી. ગવળી વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મોરબીના સિરામિક ઉદ્યોગને માલવહન માટે નવી રેલ ક્નેક્ટિવિટી મળી

રાજકોટ: દેશભરમાં સિરામિક અને ટાઈલ્સ ઉદ્યોગનું હબ બનેલા મોરબીને માલ પરિવહન માટેની મુશ્કેલીમાં મોટી રાહત મળી છે. રેલ્વે વિભાગે મોરબી નજીક મકનસર ફેટ ટર્મિનલ વિકસાવ્યું છે અને રમીનલ મારફત દેશના અન્ય ભાગો સાથે મોરબી અને આસપાસના વિસ્તારોને જોડી માલ પરિવહન શરુ કરવામાં આવ્યું છે. રેલ્વે વિભાગના આ પ્રયાસોથી મોરબીના ઉદ્યોગ્કારોને આર્થિક રીતે મોટો ફાયદો થશે અને ઓછા સમયમાં માલનુંપરિવહન શક્ય બનશે. મોરબીના લાંબા સમયની માગણી અંતે સંતોષવામાં આવતી છે.મોરબી અને આસપાસ આશરે 1000 જેટલા સિરામિક્ અને ટાઈલ્સના કારખાના છે અને પાંચ લાખથી વધુ લોકોને આ સ્થાનિક ઉદ્યોગ રોજગારી આપે છે. સિરામિક અને ટાઈલ્સના ઉદ્યોગનો વાર્ષિક કારોબાર આશરે રૂ. 60,000 કરોડ છે તેમાં ડોમેસ્ટિક રૂ. 40,000 કરોડ અને નિકાસ 20,000 કરોડની છે. મોરબી પંથકમાંથી દેશભરમાં માલ લઇ જવા ઉદ્યોગકારોને મોટી મુશ્કેલી પડતી હતી.રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) એ મકનસર સ્થિત નવા ફ્રેટ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનમાં મોરબીની સિરામિક ટાઇલ્સ લોડ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આજે આ ટર્મિનલ પર લોડિંગનો પ્રારંભ થયો છે, જેના કારણે માલવહનની કિંમત ઘટશે અને મોરબી તથા આસપાસના ઉદ્યોગોને સમગ્ર દેશમાં માલ મોકલવા માટે નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. ગુજરાતના મોરબી નજીક મકનસર ખાતે નવું ફ્રેટ ટર્મિનલ (ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ) જી-રાઈડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ગુજરાત સરકાર અને રેલ મંત્રાલયનો સંયુક્ત ઉપક્રમ છે. દેશભરમાં આ પ્રકારના ટર્મિનલ વિકસાવવા માટેની પી.એમ. ગતિ શક્તિ નીતિનો ભાગ છે.

નવી-નવી કોમોડિટીના રેલ માર્ગે પરિવહન માટે રાજકોટ રેલ મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) દ્વારા સતત સર્વે કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વેપારીઓ સાથે સંપર્ક કરીને તેમને રેલ માર્ગથી માલ મોકલવાના ફાયદાઓ સમજાવવાના પ્રયાસોને સફળતા મળી છે. રાજકોટ ડિવિઝનની કામગીરીના પરિણામે મકનસર ગતિ શક્તિ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનનું સંચાલન પહેલી વખત થયું છે. પ્રથમ આ કન્ટેનર ટ્રેનના ૫૬ કન્ટેનરમાં ૧૮૨૪ ટન સિરામિક ટાઇલ્સનું સંચાલન થયું છે, જેના કારણે રાજકોટ ડિવિઝનને અંદાજે ૫.૯૪ લાખ રૂપિયાની આવક થઇ છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)

CMની દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે ઉદ્યોગકારો સાથે સંવાદ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રમોશન માટે યોજાયેલા રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ કોન્ફરન્સ ગુજરાતના ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા, આર્થિક સંભાવનાઓ અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે ઉજાગર કરશે.

2003માં વડાપ્રધાન દ્વારા શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે રાજ્યને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવ્યું, અને હવે રિજનલ કોન્ફરન્સ દ્વારા આ સફળતા દરેક જિલ્લા સુધી પહોંચાડવામાં આવશે. આ કોન્ફરન્સ ટ્રેડ, ટ્રેડિશન, કોમર્સ, કલ્ચર, ઇન્ડસ્ટ્રી અને એન્ટરપ્રિન્યોરશિપનો સંગમ બનશે, જે ગુજરાતને રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરશે.

આ રિજનલ કોન્ફરન્સ દ્વારા ગુજરાતના વિવિધ પ્રદેશોની આગવી શક્તિઓ, જેમ કે ઉત્તર ગુજરાતની ડેરી, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, સૌરાષ્ટ્રની એન્જિનિયરિંગ અને ફિશરીઝ, દક્ષિણ ગુજરાતના ડાયમંડ અને ટેક્સટાઇલ, તેમજ મધ્ય ગુજરાતના સેમિકન્ડક્ટર અને ગ્રીન મોબિલિટી જેવા સેક્ટર્સને પ્રોત્સાહન મળશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક અને ગિફ્ટ સિટી, ધોલેરા SIR, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ જેવા ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ્સ વિકાસનું નેક્સ્ટ સ્ટેપ બનશે.

આ કોન્ફરન્સ ટ્રેડ-શો, એક્ઝિબિશન અને સેક્ટર-સ્પેસિફિક સેમિનાર્સ દ્વારા સ્થાનિક MSME અને આનુષંગિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પર લઈ જશે, જે ‘લોકલ ફોર ગ્લોબલ’ના સંકલ્પને સાકાર કરશે.

પ્રથમ રિજનલ કોન્ફરન્સ 9-10 ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં યોજાશે, જે ઉત્તર ગુજરાતની ઔદ્યોગિક શક્તિને ઉજાગર કરશે, જેમાં જાપાન પાર્ટનર દેશ તરીકે જોડાશે. ત્યારબાદ રાજકોટ (8-9 જાન્યુઆરી, 2026), સુરત (9-10 એપ્રિલ, 2026) અને વડોદરા (10-11 જૂન, 2026)માં કોન્ફરન્સ યોજાશે.

મુખ્ય સચિવ પંકજ જોષીએ કહ્યું કે, ગુજરાતે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ટોચનું સ્થાન જાળવ્યું છે, અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ-2017 દ્વારા 200થી વધુ મંજૂરીઓ માટે ઓનલાઇન પોર્ટલ કાર્યરત છે. DPIITના સચિવ શ્રી અમરદીપસિંહ ભાટિયાએ VGRCની પ્રશંસા કરતાં કહ્યું કે, આ કોન્ફરન્સ ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં નવા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોના વિકાસને વેગ આપશે, જે ગુજરાતને દેશમાં પથપ્રદર્શક બનાવશે.

આ પ્રસંગે ઉદ્યોગ સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, FICCI પ્રેસિડેન્ટ હર્ષવર્ધન અગ્રવાલ, હેસ્ટર બાયોસાયન્સીસના CEO  રાજીવ ગાંધી સહિત અગ્રણી ઉદ્યોગકારો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ

અમદાવાદ: IIM-A મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તરીકે ફરી એકવાર નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025માં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા NIRF 2025માં મેનેજમેન્ટ કેટેગરીમાં IIM-A સળંગ છઠ્ઠા વર્ષે ટોચની ઈન્સ્ટિટ્યુટ રહી છે. IIM-A 2020થી સતત ટોચની મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ રહી છે. આ કેટેગરીમાં IIM-બેંગ્લોર બીજા અને IIM-કોઝિકોડે ત્રીજા સ્થાને રહી છે.

દરવર્ષે  NIRF દ્વારા ટોચનું પ્રદર્શન કરનારી યુનિવર્સિટી, કોલેજ અને ઈન્સ્ટિટ્યૂટની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે યાદી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવી હતી.

17 કેટેગરીમાં આપવામાં આવ્યું રેન્કિંગ

NIRF દ્વારા આ વર્ષે 17 કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવ્યું છે. અગાઉ 16 કેટેગરીમાં રેન્કિંગ આપ્યું હતું. આ વર્ષે સસ્ટેનેબિલિટી કેટેગરીનો ઉમેરો કર્યો છે. 2024માં ઓપન યુનિવર્સિટી, સ્કિલ યુનિવર્સિટી, સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીની ત્રણ નવી કેટેગરીનો ઉમેરો થયો હતો. આ રેન્કિંગની શરૂઆત 2016માં કરવામાં આવી હતી.

ભારતનો સૌથી મોટો કૃષિ-ડેરી-પોલ્ટ્રી ઉદ્યોગ એક્સ્પો

ગાંધીનગર: એગ્રી એશિયાની 14મી આવૃત્તિ અને ડેરી લાઇવસ્ટોક એન્ડ પોલ્ટ્રી એક્સ્પો (DLP એશિયા)ની 13મી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી. જેને રેડીકલ કોમ્યુનિકેશન્સ (ઇન્ડિયા), એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (AMMA-ઇન્ડિયા), ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશન (GPDFA) તેમજ સહયોગીઓ IFFCO અને GUJCOMASOL સાથે મળીને કરી. આ ઈવેન્ટ આગામી 18 થી 20 સપ્ટેમ્બર, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાશે.આ વર્ષે, ડી.એલ.પી. એશિયા ૨૦૨૫માં પ્રથમવાર વિશિષ્ટ પૉલ્ટ્રી પેવિલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. જે બ્રૉઇલર પૉલ્ટ્રી ફાર્મર્સ એસોસિયેશન (Global Welfare Foundation) અને લેયર પૉલ્ટ્રી એસોસિયેશન (United Peoples Foundation)ના સહયોગથી યોજાશે.

૨૦૧૦થી એગ્રી એશિયા એ ગુજરાતના ખેડૂતો અને એગ્રી-ટેક સ્ટાર્ટઅપ્સને નવિન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ અને સ્ટાર્ટઅપ ઇનોવેશન સુધી સીધી પહોંચ અપાવી છે. આ કાર્યક્રમ પરંપરાગત ખેતી અને આધુનિક ઉકેલ વચ્ચેનો પુલ બનીને ઉત્પાદકતા, નફાકારકતા અને ટકાઉપણું વધારવામાં મદદરૂપ બન્યો છે.શા માટે જોડાવું?

  • ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય કૃષિ અને અનુસંગી ક્ષેત્રના એક્ઝિબિશન અને કોન્ફરન્સ.
  • ૨૫૦+ પ્રદર્શકો અને ૧,૦૦,૦૦૦+ મુલાકાતીઓની હાજરીની અપેક્ષા, જેમાં કેન્યા, ઇથિઓપિયા, ઇરાન, પોલેન્ડ, ઓમાન સહિતના આંતરરાષ્ટ્રીય ખરીદદારોનો સમાવેશ.
  • ૧૫,૦૦૦+ ચો.મી. વિસ્તારમાં ત્રણ આધુનિક પ્રદર્શની હોલ.
  • સહ-કાર્યક્રમો: ડી.એલ.પી.ઈ., કૃષિ-ડેરી-પૉલ્ટ્રી સેમિનાર્સ અને લોકપ્રિય ગાય સ્પર્ધા (બીજો સંસ્કરણ).
  • નવો હોલ લોન્ચ: પૉલ્ટ્રી ફાર્મિંગ અને સ્ટાર્ટઅપ પેવિલિયન – નવાચાર, નેટવર્કિંગ અને જ્ઞાન વહેંચાણનું મંચ.
    સમર્થન અને માન્યતા
  • ભારત સરકારના માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) મંત્રાલય દ્વારા માન્ય.
  • કોન્ફરન્સ અને સેમિનાર પાર્ટનર: એગ્રોહાઉસ
  • ઇવેન્ટ પાર્ટનર: ગુજરાત સીડ્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (GSIA)
  • અન્ય અગત્યના ઉદ્યોગ સંગઠનોનું સહયોગ: IAI, GAMMA, AMMA–India, GFCI, IGMA અને GSIA.

એગ્રી એશિયા અને ડી.એલ.પી. એશિયા ૨૦૨૫ નવીનતા, વ્યાપારિક તકો અને ક્ષેત્રિય વિકાસનું મંચ સાબિત થશે. અહીં અદ્યતન મશીનરીથી લઈને એગ્રી-ફાઇનાન્સ ઉકેલો સુધી અને પશુપાલનથી લઈને કૂકડીઉદ્યોગ ટેકનોલોજી સુધી.

ગુજરાતીઓ બિહારીઓને ઓછા ના આંકેઃ લાલુપ્રસાદ યાદવ

પટના: RJDપ્રમુખ લાલુ યાદવે ગુરુવારે બિહાર બંધને લઈને ભાજપ પર મોટો હુમલો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે બિહાર બંધ દરમિયાન ભાજપ કાર્યકરોએ રાજ્યની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો. લાલુ યાદવે X હેન્ડલ પર ટ્વીટ કરીને કહ્યું હતું કે શું વડા પ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે આજે આખા બિહારમાં બિહારની માતાઓ–બહેનો અને દીકરીઓને ગાળોઓ આપો? ગુજરાતીઓએ બિહારીઓને એટલા ઓછામાં ન લેવા જોઈએ. આ બિહાર છે.

ભૂતપૂર્વ CM લાલુ યાદવે આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરો- સન્માનિત શિક્ષિકાઓ, રાહદારી  મહિલાઓ, વિદ્યાર્થિનીઓ, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને પત્રકારોને ગાળો આપી રહ્યા છે, તેમની સાથે મારપીટ કરીને દુર્વ્યવહાર કરી રહ્યા છે. શું આ યોગ્ય છે? લાલુએ તેને શરમજનક ગણાવ્યું હતું.

તેજસ્વી યાદવે પણ ભાજપ પર નિશાન સાધ્યું

RJD નેતા અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વડા પ્રધાન મોદીની ટીકા કરતાં તેમના પર બિહારની જનતા સાથે “ખોટાં વચનો” કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વડા પ્રધાનની મંછા પર પણ સવાલ ઊભા કર્યા અને કહ્યું હતું કે ભાજપ ચૂંટણી લાભ માટે બિહારના મતનો ઉપયોગ કરવા માગે છે અને ગુજરાતમાં કારખાનાં લગાવી રહી છે.

બિહાર બંધ દરમિયાન NDAનું પ્રદર્શન

બિહારમાં મહાગઠબંધનના એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વ. માતા વિશે કરાયેલી અપમાનજનક ટિપ્પણીને લઈને NDAએ બિહાર બંધનું આહ્વાન કર્યું છે. તે પહેલાં આજે ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે દરભંગામાં મતદાર અધિકાર યાત્રા કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વ. માતા વિશે કરાયેલી અપમાનજનક ટિપ્પણીની આકરી નિંદા કરી હતી.

 

ભીલ આદિવાસી સંસ્કૃતિને સાચવનાર ભગવાનદાસને નર્મદ એવોર્ડ

અમદાવાદ: આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક અને સર્જક ભગવાનદાસ પટેલને કવિ નર્મદ સાહિત્યપ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ડો. હેમરાજ શાહ પ્રેરિત કવિ નર્મદ સાહિત્યપ્રતિભા એવોર્ડ અમદાવાદના ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો ઓડિટોરિયમમાં આપવામાં આવ્યો.સાબરકાંઠાના જામળા ગામના ભગવાનદાસ કુબેરદાસ પટેલ મોટા ખેડૂત પરિવારમાંથી આવે છે. સ્નાતક થયા પછી ગુજરાતીના શિક્ષક તરીકે ફરજ બજાવી. ખેડબ્રહ્યામાં આદિવાસી વિસ્તાર નજીક એટલે એમને ભીલી બોલીમાં રસ પડ્યો. ભાષામાં રસ ધરાવતા ભગવાનદાસે આદિવાસી વિસ્તારોમાં જઇ એમના ગીતો, આખ્યાન, વાર્તા, કથા જેવી એમની સંસ્કૃતિની અનેક સારી બાબતોનું ઓડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું.ભગવાનદાસને આદિવાસી સાહિત્ય એકઠું કરવામાં ઘણી કઠીનાઇનો સામનો કરવો પડ્યો. કેટલાય દિવસો અને રાતો આદિવાસી વિસ્તારમાં રહ્યા, ફર્યા અને લોકજીવન, લોકબોલી લોકો સુધી પહોંચે એ માટે દસ્તાવેજીકરણ કર્યું. ભગવાનદાસે ભીલીબોલીના ગીતો, કથાઓ, મહાકાવ્યોના પંચાવનથી વધુ પુસ્તકો લખ્યા. એમણે ઓડિયો કેસેટ્સ અને વિડિયો રેકોર્ડિંગ કરી આદિવાસીઓના સાહિત્યને જીવંત રાખવાના પ્રયાસ કર્યા.

આદિવાસી વિસ્તારોમાં વારંવાર પ્રવાસ દરમિયાન સ્ત્રીઓને અત્યાચાર થતો હોય એવી ડાકણ પ્રથાથી ખૂબ જ પીડા થતી. સંવેદનશીલ ભગવાનદાસે ડાકણપ્રથા દૂર કરવા ખૂબ જ પ્રયાસ કર્યા. એના માટે અનેક વિભાગ, સંસ્થાઓને મળ્યા. આદિવાસી લોકોને જ તૈયાર કરી ડાકણ પ્રથાનું નાટ્યરૂપાંતર કર્યું. ગામડે-ગામડે જઇ ડાકણ પ્રથા દૂર થાય એવા વિષય સાથે નાટકો રજૂ કર્યા. ડાકણપ્રથાને નાબૂદ કરવામાં ભગવાનદાસનો મોટો ફાળો રહ્યો છે.શિક્ષક, ખેડૂતપુત્ર ભગવાનદાસને એમના શ્રેષ્ઠ, અનોખા કામના ખેડાણ માટે અનેક એવોર્ડ પારિતોષિક મળ્યા છે. બુધવારની સાંજે ગુજરાત વિશ્વકોશ ખાતે કુમારપાળ દેસાઇ, પ્રેમજી પટેલ, રતીલાલ બોરિસાગર, અરવિંદ બારોટ, દલપત પઢિયાર, ડો.માણેક પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાનદાસ પટેલને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે એમણે જે વિસ્તારના ભીલ આદિવાસી લોકો વચ્ચે કામ કર્યું એમની કલાની રજૂઆત પણ કરવામાં આવી.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

બેતરફી વધઘટે BSE સેન્સેક્સ 150 પોઇન્ટ વધ્યો

અમદાવાદઃ ઘરેલુ શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. શરૂઆતના ટ્રેડમાં સેન્સેક્સ 898 પોઇન્ટ ઊછળ્યો હતો અને નિફ્ટી 24,980ને પાર થયો હતો, પરંતું ઊંચા મથાળે નફારૂપી વેચવાલી અને વૈશ્વિક નબળા સંકેતોને પગલે સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો હતો. FMCG, ઓટો અને ડ્યુબેલ્સમાં GST દરોમાં કાપને પગલે શરૂઆતમાં તેજી થઈ હતી, પરંતુ વિદેશી રોકાણકારોએ ભારે વેચવાલી કરતાં સેન્સેક્સ તૂટ્યો હતો.  જોકે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 150 પોઇન્ટ વધીને બંધ થયો હતો.

સરકારે GSTના દરોમાં મોટા સુધારા કરતાં સ્થાનિક બજારોમાં જોરદાર તેજી થઈ હતી, જેને લીધે ઓટો, FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં લેવાલ વધી હતી, પરંતુ ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી આવતાં શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી. આ સાથે FIIએ પણ રૂ. 1666 કરોડની વેચવાલી કરી હતી. ઘરેલુ રોકાણકારો 2495 કરોડની લેવાલી કરી હતી. જોકે અમેરિકી ટેરિફ અને કંપનીઓનાં નબળાં પરિણામો રોકાણકારોની ચિંતા વધારી હતી.  વળી, ઘરેલુ શેરબજારોમાં વીકલી એકસપાયરીને કારણે પણ વેચવાલી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ રહ્યું. શાંઘાઈ અને હેંગસેંગ નીચે બંધ થયા, જ્યારે નિક્કી અને કોસ્પી વધીને બંધ રહ્યા હતા. ચીનમાં રેગ્યુલેટરી કુલિંગ અંગેની ખબરથી રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો હતો.

BSE પર કુલ 4280 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1812 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2318 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 150 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 141 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 50 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 219 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 152 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

અભિનેતા નીલ નિતિન મુકેશ લાલબાગચના રાજાના આશીર્વાદ લેવા પહોંચ્યા

બોલિવૂડ સેલેબ્સ ખૂબ જ ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે. ઘણા સેલેબ્સ તેમના ઘરોમાં ગણપતિ બાપ્પાની પૂજા કરી રહ્યા છે. તે જ સમયે, કેટલીક સેલેબ્સ પ્રખ્યાત ગણપતિ પંડાલોમાં પહોંચી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મ ‘એક ચતુર નાર’ ના અભિનેતા નીલ નીતિન મુકેશ લાલ બાગચા રાજાના દર્શન માટે પહોંચ્યા હતા. સની દેઓલ, અનન્યા પાંડેએ પણ ગણપતિ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

નીલ નીતિન મુકેશ સ્ટારર ફિલ્મ ‘એક ચતુર નાર’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે દિવ્યા ખોસલા જોવા મળશે. ફિલ્મની રિલીઝ પહેલા નીલ નીતિન મુકેશ લાલ બાગચા રાજાના દર્શન માટે પહોંચ્યા હતા. તેઓ ગણપતિ બાપ્પા સામે હાથ જોડીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

ટી-સીરીઝ ઓફિસમાં ભૂષણ કુમાર સાથે સની દેઓલ પણ જોવા મળ્યો હતો. ટી-સીરીઝ ઓફિસમાં આયોજિત ગણપતિ ઉત્સવમાં સની દેઓલે હાજરી આપી હતી. તે ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરતો જોવા મળ્યો હતો.

અનન્યા પાંડે પણ મંત્રી આશિષ શેલારના ઘરે જોવા મળી હતી. તેમણે મંત્રીના ઘરે આયોજિત ગણપતિ ઉત્સવમાં હાજરી આપી હતી. તે સાદા ભારતીય પોશાકમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચી હતી. અનન્યાએ વિધિ મુજબ પૂજા કરી અને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા.

માત્ર નીલ નીતિન મુકેશ અને અનન્યા પાંડેએ જ ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા નહીં, તેમના સિવાય આમિર ખાન, સલમાન ખાન જેવા સેલેબ્સ પણ ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે વિવિધ સ્થળોએ પહોંચ્યા. સલમાન ખાને પણ પોતાના ઘરે ગણપતિ ઉત્સવ ઉજવ્યો, ગણપતિ બાપ્પાની પૂજા કરી અને પરિવાર સાથે નાચતા-ગાતા વિસર્જન વિધિ પણ પૂર્ણ કરી.

સુરતમાં કવિ રઇશ મનીઆરે કર્યો વીર કવિ નર્મદનો ઇન્ટરવ્યુ

સુરત: વીર કવિ નર્મદની 192મી જન્મજયંતિની શહેરમાં ખાસ ઉજવણી કરવામાં આવી. સુરતની 113 વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા કલા અને સેવાકીય સંસ્થા માનવ-કલરવના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો. શહેરના પી ટી સાયન્સ કોલેજ ખાતે આવેલા તારામોતી ઓડિટરીયમમાં ખીચોખીચ સાહિત્ય અને નર્મદ પ્રેમીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમની અનોખી રૂપરેખામાં નાટક, સંગીત અને કવિ સંમેલનનુ ખૂબ જ કલાત્મક રીતે મિશ્રણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શહેરના જાણીતા કવિ ડૉ. રઈશ મનીઆરે કર્યું હતું. કાર્યક્રમમાં ‘પ્રથમ મરદ’ નામે નર્મદ નાટક ભજવાયું હતું. જેમાં સ્કોપા કોલેજના નાટયવિભાગના વિદ્યાર્થીઓએ દિગ્દર્શક ગિરીશ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રસ્તુતિ આપી.કવિ નર્મદના પાત્રમાં ઓમ દેસાઈએ નર્મદને સ્ટેજ પર જાણે જીવંત કર્યા. જો નર્મદ હયાત હોય તો એમનો કેવો ઇન્ટરવ્યુ થઈ શકે? એની ઝલક રૂપે રઇશ મનીઆરે નર્મદ સાથે સંવાદ કર્યો હતો અને રોચક પ્રશ્નો પૂછીને શ્રોતાઓને અનોખી રીતે નર્મદના જીવન અને કવનથી વાકેફ કર્યા હતા.ઇન્ટરવ્યુ દ્વારા નર્મદની ઘણી જાણી-અજાણી વાતો લોકોને જાણવા મળી. કાર્યક્રમમાં સ્કોપાના આદિત્ય નાયક સહિતના વિદ્યાર્થીઓ દ્વારા નર્મદની રચનાઓનું સુંદર ગાન કરવામાં આવ્યું. જેને સંગીતબદ્ધ કરી હતી, જાણીતા સંગીતકાર મેહુલ સુરતીએ.કાર્યક્રમના અંતિમ મણકામાં કવિ સંમેલન યોજાયું. નામાંકિત કવિ કૃષ્ણ દવે, કિરણસિંહ ચૌહાણ તથા વડોદરાના ભરત ભટ્ટ ‘પવન’ એ સ્વરચિત કવિતાઓના ધોધમાર વરસાદ અગાઉ નર્મદની કવિતામાંથી એક પંક્તિ લઈને એના પર લખેલી રચનાઓ પ્રસ્તુત કરી હતી. શ્રોતાઓએ દરેક પ્રસ્તુતિને વધાવી લીધી હતી.

સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પૂર્વ અધ્યક્ષ રાજેશ દેસાઈએ આ પ્રસંગોપાત વાત કરી. માનવ કલરવ સંસ્થાના ડૉ. વિનોદ શાહ અને ડૉ. નીતિન ગર્ગએ કહ્યું કે, નર્મદના વિચારો નવી પેઢી સુધી પહોંચે એવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. ૩ કલાક સુધી આખું વાતાવરણ નર્મદમય બની ગયુ હતું. આવતા વર્ષે પણ આ ઉપક્રમ જળવાશે.