Home Blog Page 633

સુરતમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમ પર ગણેશજીની સ્થાપના

સુરત: શહેરના સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર અને ‘સુદામા કા રાજા’ ગણેશ પંડાલે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. 6G- ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા અને ગણપતિ આધારિત અનોખો ગણેશ પંડાલ માત્ર દર્શન નહીં, પણ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવે છે.અહીં વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાની એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, શહીદ ભગતસિંહ તથા બીજી બાજુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ જેવા રાષ્ટ્રનાયકોની તસવીરો પ્રદર્શિત કરી છે. અહીં ભારતના ભવ્ય ઐતિહાસિક, સામાજિક અને રાજકીય સંસ્કૃતિના દર્શન સાથે ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતો ત્રિરંગા થીમ પર શણગારેલા તેમજ  વિવિધ થીમ આધારિત ગણેશ પંડાલની મુલાકાત લેવા હજારો ભક્તો ઉમટી પડે છે. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના રોનકભાઇ કહે છે, “સમગ્ર ભારતને એક કરીને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભાઈ પટેલ તથા સ્વતંત્ર ભારતના એકીકરણ માટે સૌપ્રથમ પોતાનું રાજ્ય આપનાર ભાવનગરના નેકદિલ પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીની તસવીર ભાવિક ભક્તોને એકતા અને ત્યાગનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ બન્ને રાષ્ટ્રનાયકોની તસવીરોને સાથે રાખીને અખંડિતતા અને સમર્પણનો અનોખો સમન્વય કરવામાં આવ્યો છે.” આ ઉપરાંત અહીં તાજેતરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કરેલા વીરતાભર્યા ઓપરેશન સિંદુર તેમજ તેનું નેતૃત્વ કરનાર સાહસિક મહિલા સેના અધિકારીઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ, બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ ફાઈટર જેટ, પેરા કમાન્ડો, વ્યસન મુક્તિના કટઆઉટ્સ મૂકવામાં આવ્યા છે.

(અરવિંદ ગોંડલિયા- સુરત)

રાજ્યમાં ચારથી સાત સપ્ટેમ્બર અતિથી અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ચાર થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે.હાલમાં બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં એક લો પ્રેશર એરિયા રચાયું છે, જે આગામી ચોવીસ કલાકમાં વધુ સક્રિય થવાની આગાહી છે.

મંગળવારે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની મીટિંગ મળી હતી, જેમાં સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા અલગ-અલગ રિજિયનમાં પાણીના સ્ટોરેજની માહિતી આપવામાં આવી હતી. તે મુજબ રાજ્યના 206 ડેમમાંથી 111 ડૅમ હાઈ ઍલર્ટ પર છે. જ્યારે 27 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ લેવલ પર છે.

હવામાન વિભાગ અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

જ્યારે ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાકાંઠા, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ટેરિફ યુદ્ધ વચ્ચે જર્મનીએ ભારતને વેપાર કરાર પર સારા સમાચાર આપ્યા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલ વચ્ચેની બેઠકથી બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો માર્ગ ખુલ્યો છે. બંને નેતાઓએ વૈશ્વિક પડકારો પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને ભારત અને જર્મની વચ્ચેના વેપારને બમણો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ બેઠક દરમિયાન, જર્મન વિદેશ મંત્રીએ કહ્યું કે આગામી મહિનાઓમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર થઈ શકે છે. અમેરિકા તરફ ઈશારો કરતા તેમણે કહ્યું, “જો અન્ય દેશો વેપારમાં અવરોધો ઉભા કરે છે, તો આપણે તેનો જવાબ ઘટાડીને આપવો જોઈએ.

અર્થતંત્ર અને વેપારમાં નવો ઉત્સાહ

જયશંકર અને વાડેફુલે ભારત અને જર્મની વચ્ચે વેપારને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. ગયા વર્ષે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 50 અબજ યુરો હતો. વાડેફુલે કહ્યું કે જર્મની આ વેપારને બમણો કરવા માટે પોતાની બધી શક્તિ લગાવશે, અને જયશંકરે પણ આ લક્ષ્ય માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

જયશંકરે ખાતરી આપી હતી કે જર્મન કંપનીઓને ભારતમાં વ્યવસાય કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. ભારત સરકાર તેમની બધી ચિંતાઓનું ખાસ ધ્યાન રાખશે. આ ઉપરાંત, જર્મનીએ ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વેપાર કરાર (FTA) ને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું, જે બંને દેશો માટે એક મોટું પગલું હોઈ શકે છે.

ટેકનોલોજી અને નવીનતામાં સહયોગનો નવો માર્ગ

ભારત અને જર્મની ટેકનોલોજીના ક્ષેત્રમાં એકબીજા સાથે હાથ મિલાવવા તૈયાર છે. વાદેફુલે બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) અને ISRO ની મુલાકાત લીધી, જ્યાં તેમણે ભારતની તકનીકી શક્તિને નજીકથી જોઈ.

તેમણે ભારતને નવીનતાનું પાવરહાઉસ ગણાવ્યું. બંને દેશો અવકાશ, કૃત્રિમ બુદ્ધિ (AI) અને સાયબર ક્ષેત્રમાં સહયોગ વધારવા સંમત થયા. જયશંકરે કહ્યું કે હવે 50 વર્ષ જૂના વૈજ્ઞાનિક સહયોગને ઉદ્યોગો સાથે જોડવાનો સમય છે. ભારતે જર્મનીના રસનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું, ખાસ કરીને સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં.

યમુના નદી ઉત્તર ભારતમાં વિનાશની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રમાં પાંચ વિધેયક રજૂ કરાશે

ગાંધીનગર: ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. જેના અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 8મી સપ્ટેમ્બરના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે. ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત પાંચ વિધેયક રજૂ કરાશે.વધુમાં તેમણે જણાવ્યું કે, પાંચ વિધેયકમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, ૨૦૨૫’, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક’, ૨૦૨૫ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫’ અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે.વધુમાં, પ્રવક્તા મંત્રીએ કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (GGST Act) ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણીઃ NDAમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી?

પટના: બિહાર વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોમાં બેઠક વહેંચણીને લઈને મથામણનો દોર તેજ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર NDAમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. NDAમાં પાંચ પક્ષો છે – જેમાં ભાજપ અને JDU ઉપરાંત ચિરાગ પાસવાનની પાર્ટી, જીતન રામ માંઝીની પાર્ટી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી સામેલ છે. આ પાંચેય વચ્ચે બેઠકોનું વહેંચણી નક્કી થઈ જવાનું ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી વધુ બેઠકો પર નીતીશકુમારની પાર્ટી JDU લડશે. બિહારની કુલ 243 બેઠકોમાંથી JDUને 102 બેઠકો આપવામાં આવી છે. બીજા નંબરે પર ભાજપ છે, જે આ વખતે 101 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને 20 બેઠકો આપવામાં આવી છે. જ્યારે જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને 10-10 બેઠકો મળશે.

એકાદ-બે બેઠકો ઉપર-નીચે થઈ શકે છે. જોકે આ આંકડા અંગે હજી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બેઠક વહેંચણી અંગે બહુ જલદી જાહેરાત થશે, તે પણ નક્કી છે. એટલે કે બિહારમાં NDA ગઠબંધનની બેઠક વહેંચણીની તસવીર હવે લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. પરંતુ કઈ પાર્ટી કઈ બેઠક પરથી લડશે તેની ચર્ચા હજુ આગળ થશે.

JDUને વધુ બેઠકો આપીને આ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે નીતીશકુમારના નેતૃત્વમાં જ NDA ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે.હકીકતમાં, લોજપા (આર)ની સ્થિતિ ઘણી મજબૂત થઈ છે. એટલા માટે લોકસભાની જીતના સમીકરણ મુજબ લોજપા (આર)ને 30થી 35 બેઠકો મળવી જોઈએ, પરંતુ સાથે-સાથે NDAના વ્યૂહરચનાકારોને ગઠબંધનના બીજા સાથી પક્ષોને પણ એડજસ્ટ કરવાના છે. આ હિસાબે JDU, ભાજપ અને લોજપા (આર)એ પોતાની બેઠકોમાં કાપ મૂકીને અન્ય સાથી પક્ષોને એડજસ્ટ કરવાની વ્યૂહરચના પર કામ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોજપા (આર)નું અડગ રહેવું NDAના રાજકારણને નુકસાન પહોંચાડી શકે છે.

શાહબાઝ શરીફની ફરી એકવાર મજાક ઉડી, પુતિન પણ હસી પડ્યા

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર પોતાનું અપમાન કર્યું. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે ત્રણ વખત પહેલા જેવી જ ભૂલનું પુનરાવર્તન કર્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

બેઇજિંગમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની બેઠક દરમિયાન શાહબાઝ શરીફ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. જ્યારે તેઓ વાતચીત માટે બેઠા હતા, ત્યારે તેઓ ફરી એકવાર તેમના ઇયરફોન સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, જ્યારે રશિયન નેતા તેમને હાથના ઈશારાથી ઇયરફોન કેવી રીતે લગાવવા તે શીખવી રહ્યા હતા.

પુતિન પણ પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં

વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે શરીફનો હેડસેટ કાનમાં મૂકવાનો પ્રયાસ કરવા છતાં લપસી ગયો અને પડી ગયો. પુતિન થોડીક સેકન્ડો સુધી શરીફને સંઘર્ષ કરતા જોતા રહ્યા અને હસવા લાગ્યા. વૈશ્વિક મંચ પર શરમથી બચવા માટે, રશિયન નેતાએ પાકિસ્તાની રાષ્ટ્રપતિને ઇયરફોન ઉપાડીને તેને કેવી રીતે લગાવવો તે બતાવ્યું.

 

PM મોદીને 111મી ગાળઃ શું વિરોધ પક્ષોને પડશે ભારે?

નવી દિલ્હીઃ કોંગ્રેસ-RJDના મંચ પરથી સ્વર્ગસ્થ માતા માટે અત્યંત અભદ્ર શબ્દો અને ગાળોઓને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં મહિલાઓને સંબોધતા ભાવુક થયા હતા. તેમણે ભોજપુરીમાં કહ્યું હતું કે બિહારમાં ‘માઈ’નું સ્થાન દેવતા-પિતૃઓ કરતાં પણ ઊંચું હોય છે. તેમણે કહ્યું હતું કે આ માત્ર તેમની માતાનું નહીં, પરંતુ દેશની દરેક માતા-બહેન અને દીકરીનું અપમાન છે. તેમનું આ સંબોધન સાંભળીને રાજ્ય ભાજપાધ્યક્ષ દિલીપ જયસ્વાલની આંખોમાં આંસુ આવી ગયા હતા.

રાજ્યભરમાં મહિલા ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને ચોથી સપ્ટેમ્બરે NDAએ બિહાર બંધનું આહવાન કર્યું છે.વિરોધ પક્ષના અપશબ્દોની લાંબી યાદી

PM મોદી વિષે વિરોધ પક્ષે બોલેલા અપશબ્દોની લાંબી યાદી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભાજપાધ્યક્ષ જે.પી. નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને આ બધું વિગતવાર જણાવ્યું હતું. નડ્ડાએ લખ્યું કે કોંગ્રેસના નેતાઓએ પીએમ માટે 100થી વધુ વખત અપશબ્દો, ગાળો અને અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. ક્યારેક “મોદી તારી કબર ખૂદશે”, “નીચ”, “કમિના”, “મોતનો સોદાગર”, “ઝેરીલો સાપ”, “બિચ્છુ”, “ચૂહો”, “રાવણ”, “ભસ્માસુર”, “નાલાયક”, “કૂતરાના મોતે મરશે”, “મોદીને જમીનમાં દાટી દઈશું”, “રાક્ષસ”, “દુષ્ટ”, “કાતિલ”, “હિંદુ જિન્ના”, “જનરલ ડાયર”, “જેબકતરો”, “ગંદી નાળી”, “કાળો અંગ્રેજ”, “કાયર”, “ઔરંગઝેબનો આધુનિક અવતાર”, “દુર્યોધન”, “હિંદુ આતંકવાદી”, “ગધેડો”, “નામર્દ”, “ચોકીદાર ચોર છે”, “તુઘલક”, “મોદીની બોટી-બોટી કરી દઈશું”, “સાલો મોદી”, “નમક હરામ”, “ગંવાર”, “નિકમ્મો” જેવા શબ્દો વપરાયા હતા.

કોંગ્રેસ નેતાને ‘ચાવાળો’ કહેવું પડ્યું ભારે

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે “ચાવાળો” કહીને મોદીની મજાક ઉડાવી હતી. મોદીએ તેનો પ્રચારમાં જબરદસ્ત ઉપયોગ કર્યો અને ભાજપે ઘણાં સ્થળોએ ચાવાળાઓનું સન્માન કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યો. જ્યારે મોદીને “નીચ” શબ્દ કહેવામાં આવ્યો ત્યારે તેમણે બતાવ્યું કે કેવી રીતે એક ઓબીસી વર્ગમાંથી આવેલા ગરીબ માતાના પુત્રનો અપમાન થયો છે. આ પણ કોંગ્રેસને ભારે પડ્યું. ઇતિહાસ સાક્ષી છે કે આવો દરેક હુમલો કોંગ્રેસ પર જ ભારે પડ્યો છે.

હવે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને “વોટ ચોર” કહેવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં મતદાર યાદીના વિશેષ પુનરીક્ષણ અભિયાનને લઈને ‘વોટ અધિકાર યાત્રા’ કાઢી છે. આ વચ્ચે ભાજપને પીએમ મોદીની સ્વર્ગસ્થ માતાને ગાળવાનો મુદ્દો હાથ લાગ્યો છે. પીએમ મોદીએ હંમેશાની જેમ આને પણ હથિયાર બનાવ્યું છે.

“AI નજરે અંબાજી: અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી”

પાલનપુર: વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે દૂર-દૂરથી પગપાળા આવે છે. યાત્રિકોની સુરક્ષા, સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વોને ડામવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલન-ચલન, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે. સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્વના સ્થળો પર CCTV કેમેરાથી લાઇવ મોનીટરિંગ થાય છે. કોઈ પણ પ્રકારની અણધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે.બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, CCTV સર્વેલન્સ સાથે AI ટેક્નોલોજીનો સમન્વય સાધી મેળામાં યાત્રિકોને સલામતિ અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોમાંથી મેળવેલ ગુનેગારોના ચહેરા ઓળખી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત એક સમયે મંદિરમાં કેટલાં લોકોએ દર્શન કર્યા તેનો અંદાજ મેળવી ભીડને નિયંત્રણ કરી શકાય છે.

“શો માય પાર્કિંગ” એપ દ્વારા પાર્કિંગ નિયોજન કરવામાં આવે છે. આમ મેળામાં આધુનિક ટેક્નોલોજી અને AIના સમન્વયથી પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક માઇભકતો માટે નિષ્ઠાપૂર્વક ખડેપગે સેવા બજાવી રહી છે. પોલીસ અધિક્ષકએ કહ્યું કે “યાત્રિકોની જાનમાલની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ટેક્નોલોજીનો આ ઉપયોગ ભક્તોની સલામતિને વધુ મજબૂત બનાવશે.”અંબાજી મંદિર ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુરક્ષાના અન્ય ઉપકરણો જોઈએ તો પીપલ કાઉટીંગ કેમેરા – ૧૨, AI કેમેરા – ૧૨, સોલાર બેઝ AL કેમેરા – ૨૦, બોડી વોર્ન કેમેરા – ૯૦, પોલીસ વ્હીકલ માઉટીંગ કેમેરા, ક્રાઉડ મેનેજમેન્ટ સીસ્ટમ વિથ માઈક્રો ફોન સ્પીકર તેમજ હંગામી તમામ પાર્કિંગ કેમેરાની ફીડ GPYVB દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં આપવામાં આવે છે, જેના દ્વારા મેળામાં કોઇપણ અસામાજિક કે ગુનાહિત પ્રવૃતિ પર બાઝ નજર રાખી તેને ડામી શકાય છે.

વરસાદને કારણે હિમાચલ પ્રદેશ સરકારનો મોટો નિર્ણય

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હિમાચલમાં થયેલા વિનાશને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ 7 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થશે. રાજ્ય શિક્ષણ વિભાગે વર્તમાન હવામાન પરિસ્થિતિઓ વચ્ચે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સમયમાં મંડી, ઉના, બિલાસપુર, સિરમૌર અને સોલન જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. આને ધ્યાનમાં રાખીને, હિમાચલ સરકારે સાવચેતીના પગલાં લીધા છે અને 7 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરી છે.