Home Blog Page 64

૧૪ મે ૨૦૨૬

ઝળહળતી સફળતા કે શુદ્ધ અંતરાત્મા?

હજારોની ભીડ તાળીના ગડગડાટથી એને વધાવી રહી હતી… માત્ર 30 વર્ષની વયે પ્રતિષ્ઠિત યંગ અચિવર એવોર્ડની ટ્રોફી લઈને એ ઊભો હતો, પણ કોણ જાણે કેમ, એના મનનો એક ખૂણો અજાણ્યો ડર અનુભવતો હતો. શું કામ? એકાદ ક્ષણ વિચારતાં એની સામે જવાબ આવ્યોઃ અધર્મના માર્ગે મળેલી પ્રસિદ્ધિ એ લાલચના રણમાં દેખાતા મૃગજળ જેવી છે. હા, કાવાદાવા કરીને એ અહીં પહોંચ્યો હતો, પોતાનાથી લાયક ઉમેદવારોને એણે કાવતરાથી પછાડ્યા હતા. કંઈ જ બોલ્યા વગર એ સ્ટેજ પરથી નીચે ઊતરી ગયો.

આજના કમ્પિટિટિવ યુમાં માણસ પોતાનો પ્રભાવ પાડવા કે જીત મેળવવા પોતાનાં મૂલ્યોની આહુતિ આપી રહ્યો છે. એ જીતી તો જાય છે, પણ જીત્યા પછી અરીસામાં પોતાની નજર સાથે નજર મેળવી શકતો નથી. કેમ કે જગતઆખઆને છેતરી શકાય, પણ અંતરાત્માને નહીં. અંતઃકરણની શુદ્ધિ વગર મનની શાંતિ કયારેય ન મળે. એ અંતઃકરણની શુદ્ધિ એટલે ચારિત્ર્ય.

તમે પેલી પ્રચલિત કહેવત સાંભળી હશેઃ શુદ્ધ અંતઃકરણ જેવું મુલાયમ અને આરામદાયક ઓશીકું હોઈ ન શકેઃ અંતરમાં શુદ્ધ ભાવનાઓ હશે, જીવનમાં ખોટું આચરણ કે વિચાર નહીં કર્યાં હોય તો જ માણસ શાંતિથી સૂઈ શકશે. અંતરની શુદ્ધિ માટે ચારિત્ર્યની દઢતા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. યુગોથી ભારતભૂમિ આવા વિરલ મહાપુરુષોના ચારિત્ર્યયી દેદીપ્યમાન રહી છે.

ગાયકવાડ સરકાર પ્રતિ વર્ષ વિદેશી વક્તાને પ્રવચન માટે આમંત્રણ આપતાં. તે મુજબ એક જર્મન મહાશય પ્રવચન માટે આવ્યા હતા. વાત કરતાં પહેલાં શ્રોતાઓની ભૂમિકા જાણવા હેતુથી તે જર્મન મહાશયે પૂછ્યું, ‘મારે કેવા શ્રોતાઓ સામે ચારિત્ર્યની વાત કરવાની છે?’ સંચાલકે કહ્યું કે આ બધા શ્રોતાઓ ચારિત્ર્યની એ ભૂમિ પર ઊછરેલા છે, જ્યાં લક્ષ્મજીને આદર્શ ગણવામાં આવે છે. પછી સંચાલકે રામાયણનો લક્ષ્મણજીનો પ્રસંગ કહ્યો. રાવણના પુત્ર ઈન્દ્રજિતને વરદાન હતું કે 12 વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું હોય એના હાથે જ તેનો નાશ થશે… રામ વિચારમાં પડયા કે આવી વ્યક્તિ લાવવી કયાંથી? ત્યારે વિભીષણે જવાબ આપ્યો કે આપના ભાઈ લક્ષ્મણ ૧૩ વર્ષયી બ્રહ્મચર્યનું પાલન કરે છે તે તેને મારશે. રામાયણકારે નોંધ્યું છે કે રાવણ અપહરણ કરીને સીતાજીને લઈ જતો હતો ત્યારે સીતાજીએ પોતાનાં ઘરેણાં કાઢીને નીચે ફેંક્યાં હતાં. સીતાજીની શોધમાં નીકળેલા રામ અને લક્ષ્મણ કિષ્કિંધામાં સુગ્રિવને મળ્યા ત્યારે સુગ્રિવે તે ઘરેણાં તેમને બતાવ્યાં. શ્રીરામે ઘરેણાં લક્ષ્મણને બતાવીને પૂછ્યું કે તું આ ઘરેણાં ઓળખે છે? ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ‘હું આ બાજુબંધને કે કુંડળને નથી ઓળખી શકતો.’ કારણ એ હતું કે 13-13 વર્ષ સુધી શ્રીરામ-સીતાજીની સાથે વનમાં રહેવા છતાં, લક્ષ્મણજીએ ક્યારેય ઊંચી દૃષ્ટિ કરીને સીતાજીની સામે જોયું નહોતું. એટલે જ કાનનાં કુંડળ કે હાથના બાજુબંધને તેઓ ઓળખી શકયા નહીં, પરંતુ ઝાંઝરને એ તરત ઓળખી ગયા, કારણ રોજ તેઓ સીતાજીની ચરણવંદના કરવા જતા ત્યારે ઝાંઝરનાં દર્શન થતાં.

આ પ્રસંગ સાંભળીને પેલા જર્મન વિદ્વાન પ્રવચન આપવા ઊભા થયા ત્યારે એમણે આટલું જ કહ્યું, ‘મારાં બહુ મોટાં ભાગ્ય કે ભારતની ભૂમિમાં આવ્યો. ગાયકવાડનો પણ આભાર. આટલા બધા સારા શ્રોતા બેઠા છે એ મારાં બહુ મોટાં ભાગ્ય.’ એમ કહીને એ પોતાની જગ્યાએ બેસી ગયા.

ચારિત્ર્યના આદર્શ સમાન આવા જ એક ઐતિહાસિક વીર એટલે ખુદીરામ બોઝ. એક એવું નામ, જેને દરેક ભારતીય ગર્વયી આજેય યાદ કરે છે. સૌ જાણે છે કે એ ભારતની આઝાદી માટે સૌથી નાની ઉંમરે શહીદ થનાર વીર સપુત હતા. ખુદીરામ માત્ર અઢાર વર્ષના હતા ને શાળામાં ભણતા હતા ત્યારે એક બૉમ્બબ્લાસ્ટ કેસમાં એમની ધરપકડ થઈ. કાળકોટડીમાં ગુપ્ત બાતમી કઢાવવા પોલીસે રૂપાળી કન્યાને એમની પાસે મોકલી. કન્યા એના ચેનચાળા શરૂ કરે તે પહેલાં જ ખુદીરામ બે હાથ જોડી બોલ્યાઃ ‘ભલે તમે આવ્યાં, મા. હું બાળપણથી જ મા વગરનો હતો. હું કેવો નસીબદાર કે આજે મરતાં મરતાં મા મળી. મને એવા આશીર્વાદ આપો કે હું માતૃભૂમિ કાજે આનંદથી મરું.’

ખુદીરામની વાત સાંભળી કન્યાની આંખોમાં આંસુ આવી ગયાં. એ તરત પાછી ફરી ગઈ.

ખુદીરામની શુરવીરતાના મૂળમાં તેમનું ચારિત્ર્ય હતું. આજે લોકો દેશ-દુનિયામાં અનેક અજાયબીઓ જોવા જાય છે, પણ એ બધી અજાયબીઓ કરતાં પણ ચારિત્ર્યની આવી મોટી મોટી અજાયબીઓનો વારસો આપણા દેશમાં જ ધરબાઈને પડ્યો છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

પંચાંગ 14/05/2026

કાળઝાળ ગરમીથી માર્ગો પર રાહત માટે સ્પ્રિંક્લર સ્પ્રેનો પ્રયોગ

અમદાવાદ: ઉનાળાની ઋતુએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 42 ડીગ્રી તાપમાનથી શહેરો સેકાઇ રહ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ, સરકારની ચેતવણીઓ પછી લોકો બને ત્યાં સુધી ઘરમાંથી નીકળાનું ટાળે છે. એવા સમયે જરૂરી કામે શહેરના માર્ગો પર બહાર નીકળેલા રાહદારીઓ અને વાહનચાલકોને થોડી ઠંડકનો અહેસાસ થાય એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. મોટી ટ્રકની ટાંકીમાં પાણી ભરી વોટર સ્પ્રિંક્લર દ્વારા માર્ગો પર સ્પ્રે કરવામાં આવી રહ્યું છે.અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં આ આધુનિક ટ્રક ટેન્કરમાં ફિટ કરેલા સ્પ્રિંક્લર દ્રારા સતત છંટકાવ થઇ રહ્યો છે. આ સાથે માર્ગ પર જેટલા વૃક્ષ આવે એને બચાવવા તેમજ એમાં રહેલાં પક્ષીઓને ગરમીથી રાહત મળે એ માટે ખાસ કાળજી સાથે પાણીના આ ફૂવારાનો છંટકાવ થઇ રહ્યો છે. AMCની આ સિસ્ટમથી ટ્રાફિક સિગ્નલો અને બસ સ્ટોપ પર ઠંડક પ્રસરે એવી રીતે સતત પાણીનો છંટકાવ થઇ રહ્યો છે.

વોટર સ્પ્રિંક્લર અને વોટર સ્પ્રેઇંગ દ્વારા માર્ગો પર પાણીના છંટકાવનો હેતુ નાગરિકોને ગરમીથી તાત્કાલિક રાહત આપવાનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્રયોગથી માણસોની સાથે વૃક્ષો અને પશુ પક્ષીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

અનોખી પહેલ: વડાપ્રધાનના કાફલામાં હવે માત્ર 2 જ ગાડીઓ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠા પર જોવા મળી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે. જોકે, આ અપીલ માત્ર શબ્દો પૂરતી મર્યાદિત નથી, વડાપ્રધાને પોતે તેનો અમલ કરીને સૌને ચોંકાવી દીધા છે.

PM મોદીના કાફલામાં હવે માત્ર 2 ગાડી

સામાન્ય રીતે વડાપ્રધાનના સુરક્ષા કાફલામાં અનેક આધુનિક ગાડીઓનો સમાવેશ થતો હોય છે, પરંતુ તેલ બચાવવાના અભિયાન હેઠળ પીએમ મોદીએ પોતાના કાફલામાં વાહનોની સંખ્યામાં ધરખમ ઘટાડો કર્યો છે. હાલમાં જ પીએમ મોદીના કાફલામાં માત્ર 2 ગાડીઓ જ જોવા મળી હતી. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની જનતાને એ સંદેશ આપવાનો છે કે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય હિતમાં પેટ્રોલ-ડીઝલની જરૂરિયાતોને ઓછી કરવી અનિવાર્ય છે.  વડાપ્રધાન મોદીની આ પહેલથી પ્રેરિત થઈને અન્ય મંત્રીઓ અને નેતાઓએ પણ પોતાના કાફલાને મર્યાદિત બનાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમની અપીલ બાદ પોતાના કાફલાનું કદ ઘટાડીને અડધાથી પણ ઓછું કરી દીધું છે. પ્રધાનમંત્રીએ ઇંધણ બચાવવા માટે તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પીએમ મોદીના કાફલામાં ફક્ત બે વાહનો જ જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ ઇંધણ બચાવવા માટે આ પહેલ શરૂ કરી હતી, જેથી અન્ય લોકો પણ આવું કરવા માટે પ્રેરિત થઈ શકે. કાફલામાં વાહનો ઘટાડવાનો હેતુ સમગ્ર દેશને સંદેશ આપવાનો છે કે આપણે આ સમયે કોઈપણ કિંમતે પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતો ઘટાડવી જોઈએ. અમેરિકા-ઈરાન જંગને કારણે દુનિયાભરમાં તેલ અને ગેસની સપ્લાય ખોરવાઈ છે, જેનાથી ભારત પણ અછૂત નથી. વધતા ભાવો અને અછતને પહોંચી વળવા માટે સરકાર ‘ઉર્જા બચત’ પર ભાર મૂકી રહી છે. વડાપ્રધાન માને છે કે જો નેતાઓ પોતે સંયમ રાખશે તો દેશની જનતા પણ ઈંધણ બચાવવા માટે પ્રોત્સાહિત થશે.

બેન્ક હડતાળઃ ચાર દિવસ SBIની સેવા રહેશે ઠપ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)માં આ મહિનાના અંતે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. બેંક કર્મચારીઓના યુનિયને 25 અને 26 મે, 2026S દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે 24 મે રવિવાર અને 23 મે ચોથો શનિવાર હોવાથી સતત ચાર દિવસ સુધી ઘણી શાખાઓમાં કામકાજ ઠપ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી ગ્રાહકોને બેંક સંબંધિત જરૂરી કામો પહેલેથી પૂર્ણ કરી લેવા સલાહ આપવામાં આવી છે.

 હડતાળ કેમ થઈ રહી છે?

આ હડતાળ ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા આપવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે છેલ્લાં બે વર્ષથી કર્મચારીઓની અનેક સમસ્યાઓ અંગે બેંક મેનેજમેન્ટ સાથે સતત ચર્ચા થઈ રહી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. તેથી કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

 શું છે મુખ્ય માગણીઓ?

  • યુનિયને કુલ 16 માગણીઓ રજૂ કરી છે. તેમાં સૌથી મોટી સમસ્યા સ્ટાફની અછત હોવાનું જણાવાયું છે. કર્મચારીઓનું કહેવું છે કે બેંક શાખાઓમાં કામનો બોજ સતત વધી રહ્યો છે, પરંતુ ભરતી ઓછી થઈ રહી છે.
  • સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે ઘણી જગ્યાએ સશસ્ત્ર ગાર્ડની અછત થઈ ગઈ છે, કારણ કે નિવૃત્તિ અને પ્રમોશન પછી નવી નિમણૂક કરવામાં આવતી નથી.
  • હડતાળનો એક મોટો મુદ્દો આઉટસોર્સિંગ પણ છે. યુનિયનનો આરોપ છે કે બેંક કાયમી કામ માટે કોન્ટ્રેક્ટ આધારિત કર્મચારીઓનો ઉપયોગ કરી રહી છે, જ્યારે આ જૂના કરારોના વિરુદ્ધ છે. એ સાથે જ આવા કર્મચારીઓને ઓછું વેતન આપવામાં આવતું હોવાની પણ ફરિયાદ છે.
  • વેતન અને પેન્શન મુદ્દે પણ કર્મચારીઓમાં નારાજગી છે. યુનિયનનું કહેવું છે કે અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓના વેતન વધારો વચ્ચે મોટો તફાવત છે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સંબંધિત અનેક મુદ્દાઓ પર પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

 સેવાઓ કેટલી અસરગ્રસ્ત થશે?

જો હડતાળ થશે તો બેંક શાખાઓમાં રોકડ જમા-ઉપાડ, ચેક ક્લિયરિંગ અને પાસબુક અપડેટ જેવી સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. જોકે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ATM સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે, પરંતુ શાખાઓમાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ખુશીના સમાચાર: કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોની MSPમાં કર્યો ધરખમ વધારો

ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વર્ષ 2026-27ની સીઝન માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળશે અને તેમની આવકમાં સીધો વધારો થશે.

કુલ 14 પાકોના ભાવમાં વધારો

કેન્દ્ર સરકાર દ્વારા કુલ 14 જેટલા મહત્વના ખરીફ પાકોની MSP માં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો મુખ્યત્વે ખેડૂતોના ખર્ચ અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી ખેતી ક્ષેત્રે રોકાણ વધશે અને ખેડૂતો વધુ ઉત્સાહ સાથે વાવણી કાર્યમાં જોડાશે.

કયા પાકમાં કેટલો થયો વધારો?

નવા જાહેર કરાયેલા ટેકાના ભાવમાં તેલીબિયાં અને રોકડિયા પાકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે:

સૂર્યમુખી: સૂર્યમુખીના બીજમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. સરકારે મણદીઠ (20 કિલો) ભાવમાં 124 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે.

કપાસ: ગુજરાતના મુખ્ય રોકડિયા પાક એવા કપાસની MSP માં મણદીઠ 111 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે કપાસ પકવતા ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ લાવશે.

મગફળી: સૌરાષ્ટ્ર અને ગુજરાતની શાન ગણાતી મગફળીના ટેકાના ભાવમાં પણ મણદીઠ 50 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

આ નિર્ણય દ્વારા કેન્દ્ર સરકારે ખેડૂતોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ગુજરાતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીના ભાવ વધતા રાજ્યના લાખો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે. આગામી દિવસોમાં આ અંગેના સત્તાવાર પરિપત્રો પણ જાહેર કરવામાં આવશે.

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 11 જૂન 2026થી 20 જૂન 2026 દરમિયાન યોજાશે. જો તમે કે તમારા કોઈ પરિચિત વિદ્યાર્થી બોર્ડની મુખ્ય પરીક્ષામાં એક કે બે વિષયમાં પાસ નથી થઈ શક્યા, તો ટેન્શન લેવાની જરૂર નથી. આ પૂરક પરીક્ષા આપીને તમે પોતાનું વર્ષ બચાવી શકશો. આ પરીક્ષામાં ધોરણ 10 ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિગતવાર કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ છે.

ધોરણ 12 સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ બપોરના 3:00 વાગ્યાથી સાંજના 6:15 સુધી લેવામાં આવશે.ટાઈમટેબલ મુજબ:11 જૂન 2026: પ્રશ્નપત્ર-1 અનિવાર્ય વ્યાકરણ12 જૂન 2026: પ્રશ્નપત્ર-2 અનિવાર્ય કાવ્ય13 જૂન 2026: સમાજશાસ્ત્ર15 જૂન 2026: અંગ્રેજી (નિમ્નસ્તર)16 જૂન 2026: મુખ્યવિષય-1 (સાહિત્ય, વ્યાકરણ, વેદ, આયુર્વેદ, દર્શનશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્ર)17 જૂન 2026: મુખ્યવિષય-2 (સાહિત્ય, વ્યાકરણ, વેદ, આયુર્વેદ, દર્શનશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્ર)18 જૂન 2026: પૌરોહિત્યમ થીયરી અને પ્રાયોગિક અથવા કમ્પ્યુટર (બપોરે 3:00 થી 5:15 સુધી)

રોયલ ફ્લેવર્સ ઓફ બંગાળ સાથે મુર્શિદાબાદ મેંગો ફેસ્ટિવલ 2026નું આયોજન

મુર્શિદાબાદ: આ ઉનાળામાં મુર્શિદાબાદની ઐતિહાસિક કેરી પરંપરા ફરી જીવંત બની રહી છે, કારણ કે મુર્શિદાબાદ હેરિટેજ ડેવલપમેન્ટ સોસાયટી (MHDS) અને હાઉસ ઓફ શેહેરવાલી દ્વારા “મુર્શિદાબાદ મેંગો ફેસ્ટિવલ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિના ભર ચાલનારો વિશેષ ઉત્સવ જિલ્લાના પ્રખ્યાત નવાબી કેરીઓ, ખાવાની વિરાસત અને બગીચા સંસ્કૃતિને સમર્પિત છે. અઝીમગંજના ઐતિહાસિક શહેરમાં યોજાનારો આ ઉત્સવ પ્રવાસીઓ, ખાદ્યપ્રેમીઓ અને સ્વાદરસિયાઓને ભારતની અત્યંત દુર્લભ પરંપરાગત કેરીની જાતોનો અનુભવ કરાવશે, જેમાંથી ઘણી જાતો માત્ર મુર્શિદાબાદની સદીઓ જૂના બગીચાઓમાં જ જોવા મળે છે.

એક સમયના બંગાળના નવાબોની રાજધાની રહેલું મુર્શિદાબાદ 150થી વધુ કેરીની જાતોનું ઘર છે, જેમાં દરેક જાત રાજાશાહી, વેપાર અને પરંપરાની વાર્તાઓ સમાવે છે. વેપારી રીતે પરિવહન થતી કેરીઓથી વિપરીત આ કેરીઓનો સાચો સ્વાદ બગીચામાંથી તાજી તોડીને જ માણી શકાય છે. સ્થાનિકો કહે છે કે કેરીનો અસલી સ્વાદ તો બગીચામાં જ મળે છે.

આ ઉત્સવ દરમિયાન મહેમાનો હરિયાળા કેરીના બગીચાઓમાં ફરી શકશે, ઝાડ પરથી જાતે કેરી તોડી શકશે અને તાજી કાપેલી કેરીનો સુગંધ અને સ્વાદ માણી શકશે. આ ઉત્સવમાં અનેક અનોખી પરંપરાગત કેરીની જાતો રજૂ કરવામાં આવશે, જેમ કે:

* કોહિતૂર — નવાબોની સૌથી દુર્લભ અને કીમતી કેરી, કેસર જેવી સુગંધ માટે પ્રસિદ્ધ

* બિમલી — નાની કદની પરંતુ ખૂબ જ મીઠી અને પાતળી છાલવાળી

* રાણી — સ્થાનિક કેરીઓની “રાણી”, ફૂલ જેવી સુગંધ અને રસદાર સ્વાદ ધરાવતી

* ભવાની — રેસા વગરનો ગાઢ પલ્પ અને લાંબો સમય રહેતો સ્વાદ

* કાલા પહાડ — પ્રસિદ્ધ જનરલના નામ પરથી ઓળખાતી, ગાઢા રંગ અને મધુર સ્વાદવાળી

* સરાંધ્રા — વહેલી પાકતી, ખાટ્ટી-મીઠી અને તાજગીભરી જાત

અને અન્ય ઘણી વિશેષ જાતો…

હાઉસ ઓફ શેહેરવાલીના સ્થાપક અને મુર્શિદાબાદ હેરિટેજ ડેવલપમેન્ટ સોસાયટીના પ્રદીપ ચોપરાએ જણાવ્યું હતું કે મુર્શિદાબાદની કેરીઓ માત્ર ફળ નથી, પરંતુ જીવંત ઇતિહાસ છે. આમાંથી ઘણી જાતો વેપારી પરિવહનમાં પોતાનો અસલી સ્વાદ ગુમાવી દે છે. આ ઉત્સવ દ્વારા અમે લોકોને આ કેરીઓનો અનુભવ તેમના મૂળ સ્થાન — મુર્શિદાબાદના બગીચાઓમાં — કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

મુલાકાતીઓ પરંપરાગત શેહેરવાલી રેસિપી પરથી તૈયાર થતી અનેક કેરી વાનગીઓનો પણ આસ્વાદ માણી શકશે, જેમાં આમ પન્ના, કાચી કેરીની ખીર, કેરીની ચટણી, મેંગો સંદેશ, અથાણાં, શરબત અને ઋતુપ્રેરિત ફાર્મ-ટુ-ટેબલ ભોજનનો સમાવેશ થાય છે. મુર્શિદાબાદ મેંગો ફેસ્ટિવલ 2026નું આયોજન એક જૂનથી 30 જૂન, 2026 દરમિયાન હાઉસ ઓફ શેહેરવાલી ખાતે કરવામાં આવશે. દેશભરના પ્રવાસીઓને મુર્શિદાબાદની દુર્લભ રાજસી કેરીઓનો આસ્વાદ માટે તેમના મૂળ બગીચા વાતાવરણમાં અનુભવ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. મર્યાદિત ઉત્સવી પેકેજ ઉપલબ્ધ હોવાથી મહેમાનોને વહેલી તકે બુકિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.

નીટ પેપર લીકનું ગુજરાત કનેક્શન!

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 વિવાદોના વમળમાં ફસાઈ છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)ની તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં હવે ‘ગુજરાત કનેક્શન’ની પણ પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેપર લીક માફિયાઓએ આ આખું ષડયંત્ર એટલી સિફતપૂર્વક રચ્યું હતું કે વિદ્યાર્થીઓને પણ ખ્યાલ ન આવે કે તેઓ અસલી પ્રશ્નપત્ર ખરીદી રહ્યા છે. લીક થયેલા પ્રશ્નોને 400 પ્રશ્નો ધરાવતા એક ‘ગેસ પેપર’માં છુપાવવામાં આવ્યા હતા.

આ પેપર દેશભરના વિદ્યાર્થીઓને 10 લાખથી 25 લાખ રૂપિયાની અધધ રકમમાં વેચવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ ગેસ પેપરમાં NEET પરીક્ષાના બાયોલોજીના તમામ 90 અને કેમિસ્ટ્રીના 45 પ્રશ્નો બેઠેબેઠા સામેલ હતા. વિદ્યાર્થીઓને એવી લાલચ આપવામાં આવી હતી કે જો તૈયારી ઓછી હોય તો પણ આ પ્રશ્નો ગોખી લેવાથી પરીક્ષા સરળતાથી પાસ કરી શકાશે. કેસની ગંભીરતા જોતા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના આદેશથી હવે CBI એ મેદાનમાં ઉતરી છે. સીબીઆઈએ ગુનાઈત ષડયંત્ર, છેતરપિંડી અને પુરાવા નષ્ટ કરવા જેવી કલમો ઉપરાંત નવા અમલી બનેલા ‘પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024’ હેઠળ પણ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. તપાસ એજન્સીઓએ સિકરના પેપર સોલ્વર રાકેશ માંડવરિયાની પૂછપરછ કરી છે, જેણે પોતાના ક્લાયન્ટ્સને આપેલા પેપરમાંથી 120 પ્રશ્નો પૂછાયા હોવાનો દાવો કર્યો હતો.

આ કેસમાં મહારાષ્ટ્રના નાશિકમાંથી 27 વર્ષીય શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી છે, જે ભરૂચ કે ગુજરાતના અન્ય ભાગોમાં સંપર્ક ધરાવતો હોવાની આશંકા છે. તે મધ્યપ્રદેશમાં BAMS નો વિદ્યાર્થી છે અને કાઉન્સેલર તરીકે કામ કરતો હતો. જયપુર, સિકર અને ગુડગાંવથી શરૂ થયેલું આ નેટવર્ક હવે ગુજરાત સુધી પહોંચ્યું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે, કારણ કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે.