Home Blog Page 649

ગણેશોત્સવ: મૂર્તિઓ અને શણગારના બજારમાં ઉત્સાહ!

અમદાવાદ: ભાદરવા સુદ ચોથ 27 ઓગષ્ટ, બુધવારથી 10 દિવસીય ગણેશ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેના પગલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ખુલ્લી જગ્યાઓમાં ગણેશજીની કલાત્મક મૂર્તિઓના વેચાણ માટે વિશાળ બજાર લાગી ગયા છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અને સો ટકા માટીની એવી તરત જ વિસર્જન થઈ જાય એવી નાની-મોટી કલાત્મક મૂર્તિઓના બજાર મોટા પ્રમાણમાં લાગ્યા છે.મહારાષ્ટ્ર બાદ સાર્વજનિક ગણેશ મહોત્સવનું ગુજરાતમાં પણ મહત્વ વધ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ગણેશજીની ઘરે પણ સ્થાપના કરી શ્રધ્ધાથી ઉજવણી કરે છે. વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓ એક સમયે શહેરના ગુલબાઇ ટેકરામાં જ મોટા પ્રમાણમાં બનતી અને વેચાતી હતી. હવે ચારે તરફ વિસ્તરતા શહેરના જુદા-જુદા ભાગના માર્ગો પર ગણપતિની મૂર્તિઓ બનતી અને વેચાતી જોવા મળે છે.ગામડાંઓમાં પણ સિઝનેબલ ચીજ-વસ્તુઓનો વેપાર-ધંધો કરતાં લોકો હવે મૂર્તિઓની સાથે ઉત્સવની ઉજવણી માટેનો ડેકોરેશન અને પૂજાપાના સામાનનું પણ વેચાણ કરી રહ્યા છે.

આ વર્ષે ગણપતિની મૂર્તિઓ સાથે આર્ટિફિશિયલ ફ્લાવર, હિંચકા સાથેની બેઠક, સિંહાસન, પંડાલની સામગ્રી ડેકોરેશનનો સામાન, ખેસ, પૂજાની સામગ્રીના સ્ટોલ ઉભા થયા છે. ગણેશજીના આસન, રંગબેરંગી તોરણ, મુગટ મળી રહ્યા છે. નિકોલ, નરોડા, નવા વાડજ, બોપલ, વસ્ત્રાપુર, વંદેમાતરમ રોડ સહિતના દરેક વિસ્તારમાં માટીની મૂર્તિઓનું વેચાણ વધ્યું છે. પર્યાવરણની જાળવણી માટે લોકોમાં જાગૃતિ આવી છે. સાથે માટીની મૂર્તિઓનું સરળતાથી વિસર્જન થઈ જાય છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું વિસર્જન યોગ્ય રીતે થતું નથી. જો કે બજારમાં હાલ તો દરેક પ્રકારની મૂર્તિઓનું વેચાણ મોટી માત્રામાં થઈ રહ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

ભોપાલમાં કલાકાર પર ભડક્યા સુનિલ શેટ્ટી, કહ્યું-મારી આટલી ખરાબ મિમિક્રી…

સુનીલ શેટ્ટી એક એવા અભિનેતા છે જેની શૈલી અને સંવાદ ડિલિવરીની ઘણી નકલ કરવામાં આવે છે. ઘણીવાર તેમની ફિલ્મ ‘ધડકન’ અને કેટલીક અન્ય ફિલ્મોના સંવાદોની નકલ કરવામાં આવે છે. કેટલીક વખત તો સુનીલ શેટ્ટીની સામે પણ આવી મિમિક્રી થાય છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુનીલ શેટ્ટી તેની મિમિક્રી સાંભળીને કલાકાર પર ગુસ્સે થતાં જોવા મળે છે.

આ વાયરલ વીડિયો ભોપાલમાં યોજાયેલા એક કાર્યક્રમનો કહેવામાં આવી રહ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન અભિનેતા સુનીલ શેટ્ટી પણ ત્યાં હાજર હતા. તેમની સામે એક કલાકારે તેમની નકલ કરી અને તેમની શૈલીમાં કેટલાક સંવાદો બોલ્યા. પરંતુ આ વખતે અભિનેતાને આ મિમિક્રી બિલકુલ પસંદ ન આવી અને તે કલાકાર પર ગુસ્સે થયા. વાયરલ વીડિયોમાં સુનીલ શેટ્ટી સ્ટેજ પર એક મિમિક્રી કલાકારને કહેતા જોવા મળે છે, ‘આ ભાઈ સાહેબ અલગ અલગ સંવાદો બોલી રહ્યા છે જે મારા અવાજમાં નથી. મેં ક્યારેય આટલી ખરાબ મિમિક્રી જોઈ નથી. જ્યારે સુનીલ શેટ્ટી બોલે છે, ત્યારે તે મર્દની જેમ બોલે છે. તે બાળકની જેમ બોલતો હતો.’

અભિનેતાએ કલાકારને આગળ સલાહ આપી કે જ્યારે તમે મિમિક્રી કરો છો, ત્યારે તમારે તે સારી રીતે કરવું જોઈએ. તમારે કોઈનું ખરાબ રીતે અનુકરણ ન કરવું જોઈએ. આના પર મિમિક્રી કલાકારે અભિનેતાની માફી માંગી અને દાવો કર્યો કે તે સુનીલનું અનુકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો નથી. આના પર અભિનેતાએ કહ્યું, પ્રયાસ પણ ન કર દીકરા. સુનીલ શેટ્ટી બનવા માટે હજુ ઘણો સમય છે. વાળ બાંધવાથી કોઈ ફાયદો થતો નથી. સુનીલ શેટ્ટી બનવા માટે તારે ઘણી લાંબી મજલ કાપવાની છે. સુનીલે મિમિક્રી કલાકારને બાળક કહ્યો અને કહ્યું કે તેણે સુનીલ શેટ્ટીની એક્શન ફિલ્મો જોઈ નથી. જો તે મને પૂછે તો હું પણ અજમાવી શકું છું. અભિનેતાની આ પ્રતિક્રિયા પર મિમિક્રી કલાકાર ખૂબ જ શરમ અનુભવવા લાગ્યો.

આ વીડિયો સામે આવ્યા બાદ એક ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. કારણ કે એક તરફ ઘણા લોકો સુનીલ શેટ્ટીનું સમર્થન કરી રહ્યા છે અને તેમને ન્યાયી ઠેરવી રહ્યા છે. બીજી તરફ, ઘણા લોકોને સુનીલ શેટ્ટીનું આ વર્તન પસંદ નથી. લોકો માને છે કે સુનીલ શેટ્ટીએ એક નાના કલાકાર સાથે આ પ્રકારનું વર્તન ન કરવું જોઈતું હતું.

જમ્મુ-કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી તબાહીઃ ચારનાં મોત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે મંગળવારે વાદળ ફાટવાથી ભારે તબાહી જોવા મળી છે. અનેક જગ્યાએ વાદળ ફાટવાથી 10થી વધુ મકાન વહી ગયાં છે. ડોડામાં બાદલ ફાટવાને કારણે ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં છે. ભલેસા, થાથરી અને મરમતમાં વાદળ ફાટ્યા પછી અચાનક આવેલા પૂરથી અનેક પૂલ વહેતા થયા છે. ડોડાના ઉપાયુક્ત હરવિંદર સિંહે જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે બે જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ડોડામાં નદી ખતરાના નિશાન પર છે. ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહે કહ્યું હતું કે ચિનાબ નદી આસપાસ વસેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. સતત ભારે વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

અધિકારીઓએ જણાવ્યું કે અચાનક પૂરને લીધે 10થી વધુ મકાનો નુકસાન પામ્યાં છે. આ પહેલાં કઠુઆ અને કિષ્ટવાડમાં પણ આવી જ આફતો આવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં સતત ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે.

રામબન જિલ્લામાં અનેક ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (NH-44) પર ટ્રાફિક ઠપ થઈ ગયો. પડતી ચટ્ટાનોને કારણે હાઈવેના અનેક ભાગો હજી પણ અવરોધિત છે. જેના કારણે ગંભીર જોખમ ઊભું થયું છે. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર રહેવાસીઓને અને મુસાફરોને સલાહ આપી છે કે ખૂબ જ જરૂરી ન હોય તો આ માર્ગનો ઉપયોગ ન કરે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર

ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ કઠુઆ, સાંબા, ડોડા, જમ્મુ, રામબન અને કિષ્ટવાડ સહિત જમ્મુ વિસ્તારમાં અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદનુ એલર્ટ જાહેર કર્યું છે. જેને કારણે અનેક વિસ્તારોમાં પૂરની આશંકા છે.

સુરતમાં સુડોકુ ,રૂબીક ક્યૂબ તથા ચેસ પઝલ સ્પર્ધાનું આયોજન

સુરત: ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશનના ઉપક્રમે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સહયોગથી એક સ્પર્ધા યોજાઈ. સ્વ. ડૉ નાનુભાઈ દેસાઈ સુડોકુ, સ્વ.શશીકાંત જરદોશ રુબીક  ક્યુબ  તથા સ્વ. ડૉ ટોની નિકોલસ ચેસ પઝલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 વર્ષથી 82 વર્ષના 250 કરતાં વધારે સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મુખ્ય મહેમાન સામાજિક કાર્યકર ભરતભાઈ શાહે જણાવ્યુ હતું કે, આ પ્રકારની બુદ્ધિ કસવાની રમતો દરેક વિદ્યાર્થી તથા બધાએ જ નિયમિત રીતે રમવી જોઈએ. તેના બંધાણી થઈ જવું જોઈએ તો ચોક્કસ મગજનો વિકાસ સારો થશે.

ડૉ બંકિમ દેસાઈએ જણાવ્યું હતું કે, “આજના ટીવી મોબાઈલ યુગમાં બધાં એ જ ડિજિટલ ડીટોક્સની ખૂબ જ જરૂરિયાત છે. અઠવાડિયામાં એક દિવસ તમામે ટીવી મોબાઇલથી દૂર રહી આ પ્રકારની બૌદ્ધિક રમતો રમવી જોઈએ. ચેસ પણ તમારા જીવનમાં તથા અભ્યાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.” ડૉ શેરીલ નિકોલસે જણાવ્યું કે, “આ પ્રકારની બૌદ્ધિક રમતોથી બાળકોના અભ્યાસમાં પણ ખૂબ જ સુધારો થાય છે તથા માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે.”આ સ્પર્ધામાં 13 વર્ષના અનીક મોમીને માત્ર 19 સેકંડમાં ક્યુબ સોલ્વ કર્યો હતો. આ પ્રસંગે હાજર રહેલ પંકજભાઈ વરિયાએ સ્પર્ધકોના ઉત્સાહથી પ્રભાવિત થઈ દરેક વિજેતાઓને પોતાના તરફથી પણ  ઇનામ આપ્યા હતા .

ચેસ પઝલ સ્પર્ધાથી આકર્ષાઈને 75 વર્ષના કિરણભાઈ શાહ આણંદથી ખાસ આ સ્પર્ધા રમવા આવ્યા હતા તથા વિજેતા પણ થયા હતા. ડૉ ચંદ્રેશ તથા હેમંતી જરદોશે આ ત્રણેય રોમાંચક સ્પર્ધાઓ ખૂબ જ સરળતાથી અને સહજતાથી પાર પાડી હતી.કેતન દેસાઈએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. સ્પર્ધાને અંતે દરેક વિજેતાઓને ઇનામ તથા ટ્રોફી સ્વર્ગસ્થના કુટુંબીજનોના હસ્તે આપવામાં આવ્યા હતા.રવિ રાંદલ પબ્લિકેશન , રાજૂલા , અમરેલી તરફથી ભેજા ફોડી, શબ્દ શતરંજ ,ફુલ ટાઈમ મનોરંજન, ક્રોસ વર્ડ, પઝલ સુપર સ્ટાર તથા ચાણક્ય મીડિયા હાઉસ, અમદાવાદ તરફથી ટાઇમપાસ , મગજમારી  ભેજામારી તથા શબ્દ સંગમ જેવા પઝલના મેગેઝીન દરેક  હાજર રહેલ વ્યકિતઓને ભેટમાં આપવામાં આવ્યા હતા.

(અરવિંદ ગોંડલિયા-સુરત)

સ્ત્રીઓની એકલતા માટે જવાબદાર કોણ?

તૃષ્ણા, બે ભાઈઓની લાડકી બહેન, સુંદર અને ઉચ્ચ શિક્ષિત, કો-ઓપરેટિવ બેંકમાં મેનેજર તરીકે કામ કરતી. મિત્રોનું વિશાળ વર્તુળ હોવા છતાં, લગ્ન પ્રત્યે એને કોઈ રસ નહોતો. એ લગ્નને બંધન માનતી એકલું, મનગમતું જીવન જીવવાનું પસંદ કરતી. ભાઈઓના લગ્ન બાદ માતા-પિતાએ એને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તૃષ્ણા ટસથી મસ ન થઈ.

40 વર્ષની ઉંમરે, પિતાના અવસાન બાદ, તૃષ્ણા માતા સાથે એકલી રહેતી. ભાઈઓ અને મિત્રો પોતાના જીવનમાં વ્યસ્ત થતાં, એને એકલતા ડંખવા લાગી. એનો સ્વભાવ જીદ્દી અને રૂઢ બન્યો. ઓફિસમાં કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન, પુરુષો પ્રત્યે કારણ વગરની નફરત અને સ્ત્રીઓ પ્રત્યે ઈર્ષ્યા એને અંદરથી તોડી રહી હતી. ઝગડાખોર વૃત્તિથી ભાઈ-ભાભી અને મિત્રો સાથે સંબંધો પણ બગડ્યા.

માતા વારંવાર સમજાવતી કે સ્વભાવ બદલ, નહીં તો એકલી પડી જઇશ. પરંતુ તૃષ્ણાને ગુસ્સો, અભિમાન અને બીજાને નીચા દેખાડવાની વૃત્તિએ એને પોતાના પરિવાર અને સમાજથી દૂર કરી. પૈસો અને રૂતબો હોવા છતાં, એને સમ્માન ન મળ્યું, એ પોતાની તકલીફો માટે બીજાને દોષ આપવા લાગી.સવાલ એ થાય કે શું ખરેખર તૃષ્ણા જેવી મહિલાની એકલતા માટે સમાજ, પરિવાર કે મિત્રો જવાબદાર ખરા?

એકલ સ્ત્રીઓનો મનોભાવ અને સમાજની નજર

આજના સમયમાં ઘણી સ્ત્રીઓ પોતાના નિર્ણયથી એકલી રહેવાનું પસંદ કરે છે અથવા તો પરિસ્થિતિને કારણે છૂટાછેડા બાદ નવી રીતે જીવન જીવતી હોય છે. આ પરિસ્થિતિમાં એમનો મનોભાવ ઘણી વખત જટિલ બની જાય છે. એક બાજુ તેઓ સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા અનુભવે છે, તો બીજી બાજુ અલગાવ અને અનિશ્ચિતતાનો સામનો પણ કરે છે. સમાજની નજરે તેઓ ઘણીવાર અન્ય માનવામાં આવે છે, જેના કારણે એમને પોતાની ઓળખ સાબિત કરવાની તાકાતથી વધારે મહેનત કરવી પડે છે. આ સતત દબાણ માનસિક આરોગ્ય પર અસર કરે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પ્રોફેસર ડો. સપના દેસાઈ કહે છે કે “ઘણી વાર આવી સ્ત્રીઓ ડિપ્રેશન, ઇર્ષ્યા અથવા અતિશય આકાંક્ષા તરફ ધકેલાય છે. કેટલીક વખતે તેઓ પોતાના લક્ષ્યમાં એટલા તન્મય થઈ જાય છે કે આસપાસના લોકોની જવાબદારીઓ અથવા સમાજના નિયમોને સમજવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. એમનું વર્તન ક્યારેક અણધાર્યું લાગે છે, જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે. સ્ત્રીઓએ પોતે પણ આંતરિક સંતુલન જાળવવા, સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા અને માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રયત્ન કરવો જોઈએ.”

પોતાની એકલતાનો બોજ બીજા પર ન નાંખવો જોઈએ

મહિલા એકલી રહે છે એના માટે ઘણીવાર એ પોતાની આસપાસના લોકો કે સંજોગોને જવાબદાર ઠેરવે છે, પરંતુ આ વલણ એના માનસિક અને ભાવનાત્મક વિકાસને અવરોધે છે. ઘણી સ્ત્રીઓને સમાજની અપેક્ષાઓ, પારિવારિક દબાણ કે સામાજિક રૂઢિઓને કારણે એકલતાનો અનુભવ થાય છે, અને તેઓ આ માટે બીજાને દોષ આપે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જલ્પા ચલ્લા કહે છે, “હકીકતમાં આ વાત જરાય યોગ્ય નથી. કોઈ પણ મહિલાની એકલતા એ એની સાથે જોડાયેલી હોય છે. ઘણીવાર લગ્ન પછી સંજોગો એવા બની જાય કે મહિલા એકલી થઈ જાય, પણ એનો અર્થ એ નથી કે આ સ્થિતી સમાજ કે અન્ય વ્યક્તિની કારણે સર્જાઇ હશે. દરેક પરિસ્થિતીમાં પોતાની જાતને મક્કમ રાખવી એ દરેક સ્ત્રીના હાથમાં જ છે. પોતાની એકલતાનો બોજ બીજા પર નાંખી હાથે કરીને જીવનને વ્યર્થ બનાવવાનો પ્રયાસ કરે છે. સ્ત્રી ઇચ્છે તો એકલતા તક પણ બનાવી શકે, પોતાની સાથે જોડાવાની, આત્મનિરીક્ષણ કરવાની અને પોતાની શક્તિને ઓળખવાની. બીજાને દોષ આપવાને બદલે, પોતાની જવાબદારી સ્વીકારવી અને એકલતાને સકારાત્મક રીતે સ્વીકારવી એ મહિલાને વધુ સશક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવી શકે છે.”

એકલતામાંથી બહાર આવવાના રસ્તા જાતે જ શોધવા જરૂરી

કેટલીકવાર મહિલાઓ પોતાની એકલતા માટે પોતે જવાબદારી સ્વીકારવાને બદલે બીજાને જવાબદાર ગણાવે છે. તેઓ માને છે કે પરિવારના દબાણ, સમાજની ટીકા, મિત્રોનો અભાવને કારણે જ તેઓ એકલી  છે. આ રીતે, પોતાની ખામીઓ કે પસંદગીઓ તરફ નજર નાખવા કરતાં તેઓ બીજાના વર્તનને કારણભૂત ઠેરવે છે. પરિણામે, એમની એકલતા વધુ ઊંડી બને છે, કેમ કે તેઓ સતત એ વિચારમાં જીવે છે કે જો અન્ય લોકોનું વર્તન જુદું હોત, તો એમનું જીવન પણ જુદું હોત.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મેકઅપ આર્ટિસ્ટ ચેલ્સી ચેતન દલવાડી કહે છે કે, “મારા પતિના અવસાનને છ વર્ષ થયા, આ સમયમાં એકલતાને મે ખુબ નજીકથી અનુભવી છે. જે લોકો કહેતા હતા કે અમે તારી સાથે છીએ, એ માત્ર પોકળ વાતો નીકળી. પોતાની તકલીફને જાતે જ સોલ કરવી પડે છે. મે ક્યારેય એવુ વિચાર્યુ ન હતું કે ચેતન મારી સાથે નહીં હોય. પણ એવું બન્યું, એક જ ક્ષણમાં મારી દુનિયા બદલાઈ ગઈ. એકલતા એ ઉધઈ છે જે ધીમે-ધીમે જીવનને કોતરી ખાય છે.”

એ ઉમેરે છે,”જીવનમાં અનેક જવાબદારીઓ અને પડકારો આવે છે, જેનાથી ઘણીવાર ગુસ્સો આવે, એકલાપણામાં રડવું પડે છે, બાળકોની સામે પણ આંસુ નિયંત્રણમાં રાખવા મુશ્કેલ બને છે. મારી આ પરિસ્થિતી માટે કિસ્મત જવાબદાર છે, નહીં કે કોઈ વ્યક્તિ, સમાજ કે સંબંધી. માટે આમાંથી બહાર આવવાના રસ્તા પણ જાતે શોધવા જરૂરી છે. આર્ટિફિશિયલ સંબંધોની વાતો બધી ખોટી છે સાચા રિલેશનશિપને જાળવવા માટે હૃદયથી સહયોગની જરૂર છે. મિત્રો બનાવો, કામમાં વ્યસ્ત રહેવું, સકારાત્મક વિચારો કરવા. આ બધુ એકલતાને દૂર કરી શકે છે.”

હેતલ રાવ

ગણેશ ઉત્સવમાં સુરક્ષા માટે મુંબઈ પોલીસ સંપૂર્ણપણે તૈયાર, AI કેમેરા દ્વારા રખાશે દેખરેખ

મુંબઈ પોલીસે આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે સુરક્ષા વ્યવસ્થા માટે વિસ્તૃત તૈયારીઓ કરી છે, જેમાં ખાસ કરીને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુંબઈના વિવિધ ભાગોમાં અનેક મોટા ગણપતિ પંડાલો અને વિસર્જન સ્થળોએ AI કેમેરા લગાવવામાં આવ્યા છે.

લાલબાગચા રાજા

આ કેમેરામાં શું ખાસ છે?

ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈ પોલીસ જે કેમેરાનો ઉપયોગ કરશે તે ભવિષ્યમાં આખા શહેરમાં લગાવવાની પણ યોજના છે. આ કેમેરાની પોતાની વિશેષતા છે જેમાં કેમેરા મુંબઈ પોલીસના ડેટાબેઝમાંથી વોન્ટેડ ગુનેગારોને ઓળખી શકે છે અને પોલીસ અને ઓપરેટરને રીઅલ ટાઇમ અપડેટ્સ પણ મોકલશે.

આ કેમેરા ભક્તો અને આવતા-જતા ભક્તોની ગતિવિધિઓ પર પણ નજર રાખશે જેથી ભીડના સમયે પણ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ સમસ્યા ન આવે. મુંબઈના લાલબાગ અને જાણીતા ગણપતિ પંડાલો અને વિસર્જન સ્થળોએ લગભગ 300 AI કેમેરા લગાવવામાં આવ્યા છે.

મુંબઈ પોલીસ 17,600 થી વધુ કર્મચારીઓને તૈનાત કરશે

તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે 10 દિવસના ગણેશ ઉત્સવ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મુંબઈના રસ્તાઓ પર 17,600થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. આ ઉત્સવ માટે માઉન્ટેડ પોલીસ યુનિટ, ડ્રોન, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ મોટા પાયે તૈનાત કરવામાં આવશે.

11000 સીસીટીવી કેમેરા ભીડ પર નજર રાખશે

મુખ્ય ગણેશ પંડાલો અને મૂર્તિ વિસર્જન સ્થળોએ લોકોની ભારે ભીડ જોવા મળે છે. તેથી, ઉત્સવ દરમિયાન શહેરમાં ઓછામાં ઓછા 15000 પોલીસ કોન્સ્ટેબલ, 26,00 સબ-ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર, 51 સહાયક પોલીસ કમિશનર અને 36 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તૈનાત કરવામાં આવશે. ભીડ પર નજર રાખવા માટે 11000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે લાલબાગચા રાજા ગણપતિ મંડળ માટે અલગ પોલીસ પણ તૈનાત કરવામાં આવશે.

 

રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવામાં ભારત કરશે યોગદાનઃ ઝેલેન્સ્કીને વિશ્વાસ

નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ દેશના સ્વાતંત્ર્ય દિવસ પર શુભેચ્છા પાઠવવા બદલ PM નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત કરવામાં ભારતના યોગદાન પર યુક્રેનને વિશ્વાસ છે.

ઝેલેન્સ્કીએ એક સોશિયલ મિડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે યુક્રેન, શાંતિ અને સંવાદ પ્રત્યે ભારતના સમર્પણની કદર કરે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હવે જ્યારે આખી દુનિયા આ ભયાનક યુદ્ધને સન્માનજનક રીતે અને કાયમી શાંતિ સાથે સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે અમને ભારતના યોગદાન પર વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે કૂટનીતિને મજબૂત બનાવતો દરેક નિર્ણય માત્ર યુરોપમાં જ નહીં પરંતુ હિન્દ-પ્રશાંત પ્રદેશ અને તેનાથી આગળ પણ વધુ સુરક્ષા તરફ દોરી જાય છે.

PM મોદીએ 16 ઓગસ્ટે યુક્રેનના લોકો માટે શાંતિ અને પ્રગતિથી ભરેલા ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી અને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા બદલ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. તે પહેલાં ઝેલેન્સ્કીએ 15 ઓગસ્ટે ભારતને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તેમને આશા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલુ યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રયત્નોમાં ભારત યોગદાન આપશે.

પીએમ મોદીએ X પર કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, તમારી હાર્દિક શુભેચ્છા બદલ આભાર. હું ભારત અને યુક્રેન વચ્ચે વધુ નજીકના સંબંધો બાંધવા માટેની અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાને બહુ મૂલ્ય આપું છું. અમે યુક્રેનમાં અમારા મિત્રોને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિથી ભરેલા ભવિષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. ત્યાર બાદ ઝેલેન્સ્કીએ મંગળવારે પ્રધાનમંત્રી મોદીને 24 ઓગસ્ટે પ્રાપ્ત થયેલો એક પત્ર પોસ્ટ કર્યો, જેમાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિને ભારતના સ્વાતંત્ર્ય દિવસ પર તેમના સંદેશ અને શુભેચ્છા બદલ આભાર માન્યો હતો.

ગોબર ગણેશઃ એ.એમ.સીની ઝુંબેશમાં પર્યાવરણ કલા ભક્તિનો સમન્વય

અમદાવાદ: ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી સાથે ગણેશોત્સવના શરૂઆત થશે. વિઘ્નહર્તા ગણેશજીને ગલી, મહોલ્લા, સોસાયટીના પંડાલમાં વાજતે ગાજતે લવાશે. આ સાથે કેટલાક શ્રધ્ધાળુ ભક્તો ઘરમાં પણ ગણેશોત્સવ મનાવે છે. ગણેશોત્સવ બાદ વિદાય બાદ મૂર્તિઓનું જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે. પર્યાવરણની જાળવણી માટે સરકાર તરફથી લોકોને જાગૃત કરવામાં આવે છે.નાની મૂર્તિઓ, માટીની મૂર્તિઓનું ચલણ વધે એવા પ્રયાસ કરવા માટે સરકાર તરફથી મૂર્તિકારોના મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. એમાંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી વિભાગે નવો પ્રયોગ કર્યો. કરુણા મંદિરમાં રહેલી ગાયોના ગોબરનો ઉપયોગ ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં કર્યો. આ સાથે શેરડીના સાંઠામાંથી પણ ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. જેનું સરળતાથી વિસર્જન કરી શકાય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી (કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ)ના મુખ્ય અધિકારી નરેશ રાજપૂત ચિત્રલેખા.કોમને કહે છે અમારા વિભાગનું કામ શહેરના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરને નિયંત્રણમાં લેવાનું છે. હાલ અમારી પાસે ઢોર વાડો એટલે કે કરુણા મંદિરમાં અંદાજે 1500 જેટલા ગૌ વંશ છે. આ ગૌ વંશનું 2800 કિલો જેટલું ગોબર ભેગું થાય છે. પર્યાવરણને બચાવવાની એ.એમ.સીની ઝુંબેશને ધ્યાનમાં રાખી આ ગોબરનો સદ્ ઉપયોગ શરૂ કર્યો. આ વખતે વૈદિક હોળી માટે 80 જેટલી જગ્યાઓ પર ગોબર માંથી સ્ટિક બનાવી લોકોને પૂરી પાડી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ગોબરની સ્ટિક સ્મશાનમાં અંતિમ વિધિમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયના ગોબરમાંથી વૈદિક વિધિ માટે વપરાતી સામગ્રી પણ બનાવવમાંનું શરૂ કર્યું છે. અહીંની ગાયોના ગોબરમાંથી બાયોગેસ બનાવવાનું પણ શરૂ થઇ ગયું છે.નરેશ રાજપૂત વધુમાં કહે છે સૌથી મહત્વની વાત હું છેલ્લા કેટલાક વર્ષોથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો છું. ગણેશોત્સવ દરમિયાન પી.ઓ.પી.માંથી બનેલી મોટી વિશાળ મૂર્તિઓ ઝડપથી ઓગળતી નથી. પર્યાવરણના સંરક્ષણ માટે વિચાર આવ્યો કે આપણી પાસે જે ગાયો છે એના ગોબરમાંથી મૂર્તિ બનાવવામાં આવે તો એ ઝડપથી બની પણ જશે. ગણેશોત્સવ બાદ વિદાય વખતે ઝડપથી પર્યાવરણ સાથે ઓગળી ભળી પણ જશે. ગાયના ગોબરમાંથી બનાવેલી મૂર્તિ વજનમાં પણ એકદમ હલકી છે. જુદા જુદા કલર સાથે એને સજાવી પણ શકાય છે. નવરંગપુરા ગામમાં વર્ષોથી ગાયના ગોબરમાંથી ચીજ વસ્તુઓ બનાવતા અશોક પટેલનું પણ ગૌ ગણેશની આ કામગીરીમાં મોટું યોગદાન છે.

ગાયના ગોબરમાંથી બનેલી વિવિધ વસ્તુઓ અને ગૌ ગણેશજીની મૂર્તિઓ દાણીલીમડા કરુણા મંદિર અને બાકરોલ કરુણા મંદિરમાં ઉપલબ્ધ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

22 વર્ષની પરંપરા તૂટી, શિલ્પા શેટ્ટીના ઘરે આ વર્ષે નહીં થાય ગણેશજીનું સ્થાપન

સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવની તૈયારીઓને ઓપ અપાઈ રહ્યો છે. ખાસ કરીને મુંબઈમાં લોકોમાં એખ અલગ જ ઉત્સાહ અને હરખ જોવા મળે છે. બૉલિવૂડ સ્ટાર્સ પણ ગણેશોત્વની ધામધૂમથી ઉજવણી કરે છે. શિલ્પા શેટ્ટી છેલ્લા 22 વર્ષથી પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે. પરંતુ અમુક કારણોસર આ વખતે તેની આ પરંપરા તૂટી છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ વર્ષે ગણેશ ચતુર્થી ઉજવશે નહીં. તેણીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે તેણીના પરિવારમાં શોકને કારણે તેણીએ આ તહેવારથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. શિલ્પાએ લખ્યું હતું કે, ‘પ્રિય મિત્રો, ખૂબ જ દુઃખ સાથે હું તમને જણાવું છું કે પરિવારમાં શોકને કારણે, અમે આ વર્ષે ગણપતિ ઉત્સવ ઉજવીશું નહીં. પરંપરા મુજબ, અમે 13 દિવસનો શોક અવધિ પાળીશું અને આ સમય દરમિયાન કોઈપણ ધાર્મિક કાર્યક્રમથી દૂર રહીશું. તમારી સમજણ અને પ્રાર્થનાની અપેક્ષા છે.’ જોકે, શિલ્પાએ સ્પષ્ટતા કરી નથી કે પરિવારમાં કોણ મૃત્યુ પામ્યું.

શિલ્પા શેટ્ટી દર વર્ષે ખૂબ જ ધામધૂમથી પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. તેમના પરિવારને આ તહેવાર પ્રત્યે ખાસ પ્રેમ છે અને ચાહકો પણ તેની ઝલક જોવા માટે આતુરતાથી રાહ જુએ છે. જોકે, આ વખતે, પરિવારે વ્યક્તિગત કારણોસર પરંપરાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષે, શિલ્પાએ પોતાના ગણપતિ ઉત્સવનો એક વીડિયો શેર કર્યો હતો. તેણે પોતાના પતિ રાજ કુન્દ્રા અને પુત્રી સમિષા સાથેનો પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.શિલ્પાએ ગણપતિ બાપ્પા મોર્યા સાથે પોસ્ટનું કેપ્શન આપ્યું હતું: “ગણપતિ બાપ્પા મોર્યા. બાપ્પાના સ્વાગત માટે આપણા હૃદય અને દરવાજા ખોલી રહ્યા છીએ. વર્ષનો અમારો પ્રિય સમય.”

આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટથી શરૂ થશે. આ સમય દરમિયાન ભક્તો તેમના ઘરો અને પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરશે, ઉપવાસ કરશે અને પરંપરાગત વાનગીઓ બનાવશે. આ તહેવાર ભગવાન ગણેશને ‘નવી શરૂઆતના દેવતા’, ‘વિઘ્નહર્તા’ અને ‘જ્ઞાન અને વિવેકના દેવ’ તરીકે આદરપૂર્વક ઉજવવામાં આવે છે.

PM મોદીએ મારુતિની સૌપ્રથમ EV e-વિટારાને આપી લીલી ઝંડી

અમદાવાદઃ વડા પ્રધાન  નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની મુલાકાતે છે. જ્યાં તેમણે મારુતિ સુઝુકીની પહેલી ઈલેક્ટ્રિક કાર e-વિટારાને લીલી ઝંડી દેખાડી છે. ત્યાર બાદ તેમણે જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેર વર્ષ પહેલાં જ્યારે હું ગુજરાતનો CM હતો, ત્યારે અમે મારુતિ સુઝુકીને જમીન ફાળવી હતી. ત્યારે પણ અમારું વિઝન ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઈન ઇન્ડિયા’નું જ હતું.’ આ અવસરે તેમણે ગુજરાતમાં TDS લિથિયમ-આયર્ન બેટરી પ્લાન્ટમાં હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્લાન્ટ તોશિબા, ડેન્સો અને સુઝુકીનું સંયુક્ત સાહસ છે.

ગુજરાતના અમદાવાદમાં PM મોદીએ કાર્યક્રમમાં બોલતાં જણાવ્યું હતું કે આજે ભારતની ‘મેક ઈન ઈન્ડિયા’ યાત્રામાં એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. આ મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના આપણા લક્ષ્ય તરફ એક મોટો કૂદકો છે. આજથી ભારતમાં બનેલાં ઈલેક્ટ્રિક વાહનોનો એક્સપોર્ટ 100 દેશોમાં કરવામાં આવશે. એ સાથે જ હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોલાઇટનું મેન્યુફેક્ચરિંગ પણ આજથી શરૂ થઈ રહ્યું છે.

આ દિવસ ભારત અને જાપાનની મિત્રતાને પણ એક નવો આયામ આપી રહ્યો છે. એક રીતે કહીએ તો 13 વર્ષ કિશોરાવસ્થાની શરૂઆતનું પ્રતીક છે અને કિશોરાવસ્થાએ પાંખો ફેલાવાનો સમય હોય છે. એ સપનાંઓને ઉડાન આપવાનો સમય હોય છે અને કિશોરાવસ્થામાં ઘણાં સપનાં વિકસે છે. મને આનંદ છે કે આજે મારુતિ પોતાની કિશોરાવસ્થામાં પ્રવેશ કરી રહી છે. ગુજરાતની મારુતિ પોતાની કિશોરાવસ્થામાં પ્રવેશ કરી રહી છે, એટલે કે આવતા દિવસોમાં મારુતિ નવી પાંખો ફેલાવશે અને નવા જોશ અને ઉત્સાહ સાથે આગળ વધશે. ભારતની સફળતાની ગાથાનાં બીજ લગભગ 13 વર્ષ પહેલાં વાવવામાં આવ્યાં હતાં. 2012માં જ્યારે હું અહીંનો CM હતો, ત્યારે અમે હાંસલપુરમાં મારુતિ સુઝુકીને જમીન ફાળવી હતી.