Home Blog Page 655

૨૪ ઓગસ્ટ ૨૦૨૫

ક્રાઈસિસ મેનેજમેન્ટ : અડીખમ નેતૃત્વ

મહાભારતના વનપર્વમાં સંકટ વ્યવસ્થાપન અંગે મળતી અમૂલ્ય શીખ એ છે કે જ્યારે વ્યક્તિ ધ્યેયથી ચંચળ બને, સંશયગ્રસ્ત થાય ત્યારે તેને ખોટી રીતે દબાવીને નહીં પરંતુ સમજાવીને ઉર્જાવાન બનાવી ધ્યેય તરફ વાળવો એ જ સાચું નેતૃત્વ છે. અર્જુન જ્યારે ધર્મસંકટમાં મુકાય છે અને પોતાનો માર્ગ ભૂલવા લાગે છે ત્યારે શ્રીકૃષ્ણ ધીરજપૂર્વક તેને પોતાના કર્મ, ધર્મ અને ધ્યેય અંગે સમજાવે છે. અહીં ક્રાઈસિસ મેનેજમેન્ટનાં ત્રણ સોપાનો – સમજૂતી, સંવાદ અને આત્મસંયમ મહત્વનો ભાગ ભજવે છે. આજે પણ ઘણા બધા જાણીતા નેતાઓ અને સંસ્થાઓએ આ સોપાનો અંગીકાર કર્યા છે. કોર્પોરેટ ક્ષેત્રે પણ આવાં અનેક ઉદાહરણો છે.

આવા જ એક ઉદાહરણ તરીકે, નારાયણ મૂર્તિએ ઈન્ફોસીસમાં જ્યારે શરૂઆતના તબક્કે રોકાણકારોનો વિશ્વાસ ઓછો હતો ત્યારે ધીરજપૂર્વક સમજૂતી સાથે ટીમના દરેક સભ્યને જોડી રાખ્યો અને નૈતિકતાથી કંપનીને આગળ વધારી. બીજું ઉદાહરણ લઈએ તો રતન ટાટાએ 2008માં તાતા નેનો કાર પ્રોજેક્ટ સફળ ના થવા છતાં પણ ટીમને મોરલ સપોર્ટ આપ્યો અને આર્થિક નુકસાન બાદ પણ સંસ્થા તેમજ ટીમ સાથે અડીખમ ઉભા રહ્યા. આવાં ઉદાહરણો દર્શાવે છે કે સંકટ સામે લડવા માટે પોઝિટિવ દ્રષ્ટિકોણ અને ઇફેક્ટિવ સંવાદ ખૂબ જ મહત્વ ધરાવે છે.

અર્જુનની જેમ ઘણા કર્મચારીઓ સંકટ વખતે ગભરાટમાં કે ઉશ્કેરાટમાં આવીને પોતાની મર્યાદાઓ અને શક્તિઓ ભૂલી જાય છે ત્યારે નેતાનું કામ હોય છે તેમને પુનઃ તેમની ક્ષમતાનો અહેસાસ કરાવવાનું. સ્પેસએક્સના એલન મસ્ક પણ એક સમયે રોકાણકારોની ટીકા અને ટેકનિકલ નિષ્ફળતાઓ વચ્ચે પોતાની ટીમને પ્રેરિત કરતા રહ્યા અને સંવાદથી જ તેમને વિશ્વાસમાં લીધા અને એને કારણે એમણે કંપનીને એકવાર નહીં અનેકવાર પુનર્જીવિત કરી.

મહાભારતનો આ પ્રસંગ એ બતાવે છે કે સંકટ સમયે લીડર શાંતિ, નમ્રતા અને આધ્યાત્મિક સમજથી સમગ્ર ટીમને એક ઉર્જા આપે તો તેનું શું પરિણામ આવી શકે! સંકટ એ અવસર છે જેમાં નેતૃત્વની સાચી પરીક્ષા થાય છે. આ પ્રસંગ ટાઈમલેસ મેનેજમેન્ટ મેન્યુઅલ છે, જે આજે પણ દરેક સંસ્થાને શીખવે છે કે સંકટ નિવારણ માત્ર વ્યવહારુ યુક્તિથી નહીં પરંતુ ધૈર્ય અને વિચારોના સંવાદથી થાય છે. યાદ રાખો એ લીડર શુડ બી એ ડીલર ઇન હોપ.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

મેડ-ઇન-ઇન્ડિયાને લઈને PM મોદીએ મોટી જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતની અર્થવ્યવસ્થા અને વિકાસ કાર્ય વિશે ઘણી વાતો શેર કરી. તેમણે કહ્યું કે દેશની પહેલી મેડ-ઇન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ 2025 ના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર મેડ-ઇન-ઇન્ડિયા 6G નેટવર્ક વિકસાવવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. પીએમ મોદીએ આર્થિક સુધારા કાર્યક્રમોને દેશની જરૂરિયાત અને તેમની સરકારના વિશ્વાસ તરીકે વર્ણવ્યા. તેમણે કહ્યું કે આજના ભારતમાં સુધારા અને પરિવર્તન દ્વારા વિશ્વ અર્થતંત્રને વેગ આપવાની શક્તિ છે.

પીએમ મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી દિવાળી સુધીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારા લાગુ કરવાના પોતાના વચનનો પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દાયકાના આર્થિક સુધારાઓ અને નવી પહેલોનું પરિણામ એ છે કે ભારતનું અર્થતંત્ર મજબૂત જમીન પર ઊભું છે. ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.

 

પીએમ મોદી આજે સાંજે નવી દિલ્હીમાં એક મીડિયા હાઉસ કોન્ફરન્સમાં એક સત્રને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “આ પરિષદનો સમય ખૂબ જ યોગ્ય છે. હું તેની પ્રશંસા કરું છું. મેં લાલ કિલ્લા પરથી આગામી પેઢીના સુધારાઓ વિશે વાત કરી હતી. આ મંચ તેને વધુ વિસ્તૃત કરી રહ્યું છે.” મોદીએ કહ્યું કે સ્વતંત્રતા દિવસના એક અઠવાડિયામાં શું થયું તે તમે બધાએ જોયું હશે. તેમણે કહ્યું કે વિશ્વના વિકાસમાં ભારતનું યોગદાન ખૂબ જ ટૂંક સમયમાં 20 ટકાના સ્તરે પહોંચવાનું છે. ભારતીય અર્થતંત્રની આ મજબૂતી અને વૃદ્ધિ એક દાયકામાં ભારતીય અર્થતંત્રમાં કરવામાં આવેલા સુધારાઓનું પરિણામ છે. આને કારણે, આપણા મેક્રોઇકોનોમિક સૂચકાંકો મજબૂત છે.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર ભાજપનો પ્રચાર તેજ

ભાજપે હવે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર પોતાનો પ્રચાર તેજ કર્યો છે. JPC આગામી સત્રમાં આ અંગેનો પોતાનો અહેવાલ પણ રજૂ કરશે અને તે જ સત્રમાં સરકાર 129મો બંધારણ સુધારો બિલ લાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ હાલમાં સૌથી મોટો પડકાર બે તૃતીયાંશ બહુમતીનો અભાવ છે. આ જ કારણ છે કે ભાજપ હવે સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચી રહી છે અને આ વિચારને રાષ્ટ્રીય હિતનો મુદ્દો બનાવીને વિપક્ષના વિરોધને નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે. આજે દિલ્હીમાં વેપારી વર્ગ સાથે એક મોટી બેઠકમાં, પક્ષના નેતાઓએ તેના આર્થિક ફાયદાઓની ગણતરી કરી.

ભાજપે શનિવારે દિલ્હીમાં વેપારી સમુદાય સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પક્ષના નેતાઓએ કહ્યું હતું કે જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તો દેશને મોટો આર્થિક લાભ મળશે. ચૂંટણી ખર્ચમાં હજારો કરોડ રૂપિયા બચશે. વારંવાર આચારસંહિતા લાગુ થવાને કારણે વિકાસ કાર્યોમાં આવતી અડચણ દૂર થશે. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે આ પગલાથી GDP માં 1 થી 1.5 ટકાનો વધારો થઈ શકે છે.

‘એક દેશ, એક ચૂંટણીનો શું ફાયદો થશે?

  • ચૂંટણી ખર્ચમાં હજારો કરોડની બચત.
  • વારંવાર આચારસંહિતાથી મુક્તિ.
  • વિકાસ કાર્યમાં સાતત્ય.
  • GDP માં 11.5% નો અંદાજિત વધારો.

ભાજપે આજની બેઠકમાં આ મુદ્દા પર ભાર મૂક્યો હતો કે આનાથી વેપારીઓને સ્થિર વ્યાપાર વાતાવરણ મળશે. વારંવાર ચૂંટણીઓને કારણે વેપારીઓના કામમાં પણ અવરોધ આવે છે. પરંતુ આ મહત્વાકાંક્ષી યોજનાના માર્ગમાં રાજકીય પડકારો ઓછા નથી. સરકાર સંસદના આગામી સત્રમાં 129મો બંધારણ સુધારો બિલ રજૂ કરવા જઈ રહી છે. તેને પસાર કરાવવા માટે, બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે, જે હાલમાં ભાજપ અને NDA પાસે નથી. આ જ કારણ છે કે બિલને સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે JPC ને મોકલવામાં આવ્યું છે. વિપક્ષનું કહેવું છે કે આ પ્રસ્તાવ બંધારણ અને સંઘીય માળખાની ભાવના વિરુદ્ધ છે. પંજાબ સરકારે તેને સ્પષ્ટપણે રાજ્યોની સ્વાયત્તતા પર હુમલો ગણાવ્યો છે.

બિગ બોસના સ્ટેજ પર સલમાનનો ધમાકેદાર ડાન્સ

ટીવીના સૌથી વિવાદાસ્પદ અને રિયાલિટી શો ‘બિગ બોસ 19’ ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. આ શો આવતીકાલે એટલે કે 24 ઓગસ્ટથી પ્રીમિયર થવા જઈ રહ્યો છે. આ શોની પહેલી ઝલક બધાની સામે આવી ગઈ છે. તે જ સમયે, હવે તેના પ્રોમોએ ચાહકોનો ઉત્સાહ ઘણો વધારી દીધો છે. સ્ટેજ પર પરફોર્મ કરતા કેટલાક સ્પર્ધકોની ક્લિપ્સ વાયરલ થઈ છે, જ્યારે હવે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો એક પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે શોના પ્રીમિયર પહેલા, નિર્માતાઓ દ્વારા સલમાન ખાનના ડાન્સ પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં, દબંગ સુપરસ્ટાર સ્ટેજ પર જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે.

સલમાન ખાને જોરદાર ડાન્સ કર્યો

Jio Hotstar એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર બિગ બોસ 19 શોનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા સલમાન ખાન બિગ બોસના સેટ પર જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. સલમાનના ડાન્સ મૂવ્સ અદ્ભુત છે. સલમાન ખાન 17-18 વર્ષમાં પહેલીવાર પોતાની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’ના ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ભાઈજાનનો આ વીડિયો જોયા પછી યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

પંચાંગ 24/08/2025

HL કોલેજ એલ્યુમની એસોસિએશનનો ઈકો-ફ્રેન્ડલી ગણેશ વર્કશોપ

અમદાવાદ: HL કોલેજ એલ્યુમની એસોસિએશન દ્વારા એલ્યુમની પેવેલિયનમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં લગભગ ૩૦ વિદ્યાર્થીઓ અને એલ્યુમની સભ્યોએ ભાગ લીધો હતો. તેઓ પર્યાવરણને નુક્સાન ન કરે તેવી સરસ મજાની માટીની ગણેશ મૂર્તિઓ બનાવતા શીખ્યા.આ વર્કશોપનું સંચાલન સેન્ટર ફોર એનવાયરનમેન્ટ એજ્યુકેશન (CEE) દ્વારા Yflow, અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરા અને તહેવારોને પ્રકૃતિ સાથે સંતુલનમાં ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.ઈકો-ફ્રેન્ડલી વિઘ્નહર્તા એટલે પ્રકૃતિ સાથે સંવાદ કરતા ગણેશજી… આપણા ત્યાં ગણેશજીની સ્થાપના અને બાદમાં તેમના વિસર્જનની પરંપરા છે. આથી જ્યારે બાપાને વિદાય આપે ત્યારે તેમનું સ્વરૂપ કોઈ પણ રીતે પર્યાવરણને નુક્સાન ન કરે તે જોવાનું કામ આપણા ભક્તોનું છે. આ વર્કશોપમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કુદરતી વસ્તુઓમાંથી જ ગજાનનની મૂર્તિ બનાવવાની કલા શીખી. જેમાં માટી, પ્રાકૃતિક રંગોનો સમાવેશ થાય છે. આ પહેલથી ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન પર્યાવરણને નુકસાન ટાળીને પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવાનું ધ્યેય રાખવામાં આવ્યું.

અસારવા નીલકંઠ મહાદેવ: શ્રાવણી અમાસનો ભવ્ય મેળો

અમદાવાદ: શહેરના ખૂબ જ પ્રાચીન અંદાજે 700 વર્ષ જૂના નીલકંઠ મહાદેવ મંદિરે 23 ઓગષ્ટને શનિવાર, શ્રાવણ માસના આ છેલ્લા દિવસે સવા લાખ બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં.અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલ ચિત્રલેખા.કોમને કહે છે અમદાવાદનો અસારવા ગામ વિસ્તાર હવે વર્ષોથી શહેરમાં મળી ગયો. અહીં અતિ પ્રાચીન સ્થાપત્યો અને મંદિર મહાદેવ આવેલા છે. અસારવાના લગભગ 700 વર્ષ જૂના સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણી અમાસનો મેળો દર વર્ષે શ્રધ્ધાથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ભક્તો દ્વારા ભગવાન શંકરને સવા લાખ બિલી પત્રો અર્પણ કરાયા.શ્રાવણની અમાસના દિવસે બપોરે 12 વાગ્યે મહા આરતી યોજાઈ‌. અહીં મેળા દરમિયાન અસારવા યુથ સર્કલ અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર પાણી પરબનું તથા ઇન્ક્વાયરી ઓફિસનું આયોજન કરવામાં આવ્યું. અસારવા નીલકંઠ મહાદેવ આશરે 700 વર્ષ પહેલાં સ્વામી હિરાપુરીજી મહારાજ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.આ મહારાજ લુણાવાડાના મનોહરનાથગિરીજી મહારાજના શિષ્ય હતા. મનોહરનાથગિરીજી મહારાજે એમને ભભૂતિનો ગોળો તથા અન્નપૂર્ણા માતાજીની પ્રતિમા આપી હતી. એ લઇને હિરાપુરીજી મહારાજ અમદાવાદ આવ્યા અને અસારવા ગામે કનૈરા વૃક્ષ નીચે ચૈતન્ય ધૂણી સ્થાપી તપસ્યા કરી હતી.એ સમયે સત્પુરુષ બેહચરદાસ મણકીવાળાએ મહારાજની પ્રેરણાથી નીલકંઠ મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયથી આજ સુધી દર વર્ષની જેમ આ પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

ગુજરાત સાયન્સ સિટીમાં ‘નેશનલ સ્પેસ ડે’ની ઉજવણી

ગુજરાત સાયન્સ સિટી દ્વારા તા. 12 ઓગસ્ટના રોજ ડૉ. વિક્રમ સારાભાઈની જન્મજયંતી તેમજ 23 ઓગસ્ટના રોજ નેશનલ સ્પેસ ડે નિમિત્તે તા. 12 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન સ્પેસ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષની થીમ “આર્યભટ્ટ ટુ ગગનયાન: એન્સિયન્ટ વિસડમ ટુ ઇન્ફિનાઇટ પોસિબિલિટીઝ” હતી. આ કાર્યક્રમમાં 3000થી વધારે વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમ અંતર્ગત અવકાશ વિજ્ઞાન અંગે વિદ્યાર્થીઓમાં રસ જાગૃત કરવા માટે મોડેલ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓની 106 ટીમોએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન 3નું મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં લેન્ડર, રોવર તેમજ ઓર્બિટરનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ક્રમે ધ્યાના પટેલ, કેયા પટેલ, પાર્થ પટેલ, દ્વિતિય ક્રમે આર્યન રાવત, પરિક્ષિત પરમાર તેમજ તૃતિય ક્રમે તનમય પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સેકન્ડરી સ્ટૂડન્ટમાંથી પ્રથમ ક્રમે જશીથ વીર સિંઘ, અવિન દાલમૈદા, આદિત્ય નારાયણ શાહ, દ્વિતિય ક્રમે ધ્વનિ જૈન તેમજ તૃતિય ક્રમે નયન લકુમને વિજેતા જાહેર કરવામાં આવ્યા. જયારે હાયર સેકન્ડરી સ્કૂલમાંથી નેહા ગોહિલ, વિશ્વા પુરોહિત તથા ટીમ તેમજ તૃતિય ક્રમે ભવ્યકુમાર પ્રજાપતિને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઈસરોના વૈજ્ઞાનિક રાહુલ ખાંડેકર,  ઉલ્કેશ દેસાઈ તેમજ આશિષ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડલ વિશે નિર્ણાયકોએ ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને વિજેતા જાહેર કર્યા હતા.

આ સ્પર્ધા ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ મોડલ બનાવ્યું હતું.

અમદાવાદ: હત્યાના વિરોધમાં આક્રોશ સાથે બજારો બંધ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારના ખોખરા હાટકેશ્વર નજીક આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઇ ગઇ જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વિધર્મી બાળક દ્વારા હત્યા કરવામાં આવી હોવાથી સ્થાનિક હિંદુ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સેવન્થ ડે સ્કૂલ પાસે 23મી ઓગષ્ટની સવારે મૃતક નયન માટે એક શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મૃતક નયનને શ્રધ્ધાંજલિ આપવા માટે સેવન્થ ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ સાથે સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા. નયનને ન્યાય મળે એ માટે બેનર્સ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા. નયનને ન્યાય અપાવવા શહેરના ઘણાં બજારોમાં બંધનું એલાન અપાયું હતું. વેપારીઓનું બંધનું એલાન..

નયન માટે સ્કૂલ પાસે શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો. આ સાથે શહેરના રીલિફ રોડ, રેવડી બજાર, કાપડ માર્કેટ, ઘીકાંટા, ગાંધી રોડ જેવા અનેક વિસ્તારમાં કાપડ, મોબાઇલ, ઇલેકટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ બજાર જેવાં અનેક વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ આક્રોશ સાથે સજ્જડ બંધ પાળ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)