Home Blog Page 657

CM પિનરાય વિજયનને હસ્તે અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

 કોચીઃ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ  કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસની સહર્ષ જાહેરાત કરી છે,  કેરળના CM પિનરાય વિજયનને હસ્તે આ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

ઈન્વેસ્ટ ઇન કેરળ પહેલ હેઠળ વિકસાવવામાં આવેલા આ સીમાચિહ્નરૂપ પ્રકલ્પ કેરળને લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. કોચીમાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ શહેર ઝડપથી ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ વિકાસ માટેના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે. 70 એકરથી વધુ વિસ્તારને આવરી લેતો આ પાર્ક પરિવહન ખર્ચ ઘટાડવા, ઇન-ટાઇમ ઓપરેશનને સક્ષમ કરવા અને ઈ-કોમર્સ, FMCG/FMCD, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોટિવ અને રિટેલ સહિતનાં મુખ્ય ક્ષેત્રોમાં નિકાસ ક્ષમતાઓને વધારવા માટે બનાવવામાં આવશે.

આ રૂ. 600 કરોડથી વધુના મૂડીરોકાણથી લોજિસ્ટિક પાર્કમાં આકાર લેનારા EV ચાર્જિંગ સ્ટેશનો, સ્માર્ટ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ અને ડિજિટલ એકીકરણ, તેમ જ સ્થિરતા અને અભિનવ બાબતો પર ભાર મૂકવામાં આવશે. સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમની અંદર SME માટે તકોનું નિર્માણ કરતી વખતે સ્થાનિક રોજગાર, કૌશલ વિકાસ અને આર્થિક વિકાસ સાથે 1500થી વધુ નોકરીઓનું સર્જન કરવાની અપેક્ષા છે.

આ પ્રસંગે અદાણી પોર્ટસ અને સેઝના પૂર્ણકાલિન ડિરેકટર અને CEO અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે APSEZનાં બંદરો કેન્દ્રિત સાહસમાંથી સંપૂર્ણ સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ વ્યવસાયમાંથી કલ્મસ્સેરી લોજિસ્ટિક્સ પાર્કમાં રૂપાંતરનું નોંધપાત્ર લક્ષ્ય દર્શાવે છે. આ દિશામાં અમારા સૌથી મોટા પ્રયત્નોમાંના એક તરીકે આ પાર્ક દક્ષિણ ભારતમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં અમારી હાજરીને મજબૂત બનાવવા સાથે સ્થાનિક ઉત્પાદન અને પ્રાદેશિક વિકાસને ટેકો આપવામાં મુખ્ય ભૂમિકા અદા કરશે. તેમણે કહ્યું હતું કે ટકાઉપણું, કનેક્ટિવિટી અને રાષ્ટ્રીય પ્રગતિને આગળ વધારવા માટે તેને અનુરૂપ વિશ્વ-કક્ષાના માળખાના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ

કેરળના કાયદા, ઉદ્યોગો અને કાથી મંત્રી  પી. રાજીવે જણાવ્યું હતું કે વેપાર તરફ દોરી જતા અને સમુદાયોને સશક્ત બનાવતા તેમ જ બજારોને જોડતો કલ્મસ્સેરી લોજિસ્ટિક્સ પાર્ક સ્માર્ટ, ટકાઉ માળખાગત સુવિધાઓ માટે કંપનીની દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે. જે લોજિસ્ટિક્સ હબ કરતાં તે સમાવિષ્ટ વૃદ્ધિ અને પ્રાદેશિક પરિવર્તન માટે વધુ ઉત્પ્રેરક છે. કોચીમાં કંપનીના આ સૌપ્રથમ લોજિસ્ટિક્સ પાર્ક તરીકે તે ગેટ એન્ટ્રીથી લઇ શૂન્ય-ટચ ઓપરેશન સુધીની અનુભૂતિ માટે સંકલિત ગ્રાહકની સગવડ વધારવા પારદર્શિ કામકાજ અને રિયલ-ટાઇમ પ્રદર્શનની ખાતરી સાથે સપ્લાય ચેઇનમાં ઉન્નત પ્રદાન કરશે.

રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત સહિત દેશભરમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં ફરી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે. આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.


આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, હાલમાં મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલમાં 2 સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે. 40 થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


દરિયામાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાને કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

અમેરિકનોને ઉલ્લુ બનાવીને ખજાનો ભરતા ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી દરરોજ નવા-નવા નિયમો બનાવી રહ્યા છે. ક્યારે ટેરિફ લગાવીને અમેરિકાનાં હિતની વાત કરે છે તો ક્યારે મેક ઇન અમેરિકાનું સૂત્ર બુલંદ કરીને અમેરિકા ફર્સ્ટ નું સૂત્ર પોકારે છે. તેમનો દાવો છે કે આ બધું  દેશવાસીઓનાં હિત માટે અને દેશનો ખજાનો ભરવા માટે કરવામાં આવે છે, પરંતુ હવે તેમના રોકાણના આંકડા જોઈને કોઈનું પણ માથું ફરી જાય એમ છે.

ટ્રમ્પ એક બિઝનેસમેન છે એટલે તેમના નિર્ણયોથી વેપારને ફાયદો થવો સામાન્ય વાત છે. અહીં સુધી બધું ઠીક છે, પરંતુ છેલ્લા છ મહિનામાં તેમણે જે મૂડીરોકાણ કર્યું છે તે ઘણા પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે. અમેરિકન મિડિયાએ દાવો કર્યો છે કે 21 જાન્યુઆરીએ પદ સંભાળ્યા પછીથી લઈને ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 100 મિલિયન ડોલર (લગભગ 860 કરોડ રૂપિયા)થી વધુનું મૂડીરોકાણ બોન્ડમાં કર્યું છે. આ બોન્ડ્સ કંપનીઓ, રાજ્ય સરકારો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાયેલાં છે. આ દરમ્યાન તેમને નામે 600થી વધુ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે.

અમેરિકન અધિકારીઓ અનુસાર  ટ્રમ્પે સિટી ગ્રુપ, મોર્ગન સ્ટેનલી, વેલ્સ ફાર્ગો, મેટા, ક્વૉલકોમ સહિત ઘણી અન્ય કંપનીઓમાં મૂડીરોકાણ કર્યું છે. તેમણે કંપનીઓ સિવાય રાજ્યો, કાઉન્ટીઓ, જિલ્લાઓ અને ગેસ ડિસ્ટ્રિક્ટ દ્વારા જારી કરાયેલાં બોન્ડ્સમાં પણ મોટા પાયે નાણાં લગાવ્યાં છે.

વ્હાઈટ હાઉસના અધિકારીઓનું કહેવું છે કે ટ્રમ્પ પોતાના તમામ મૂડીરોકાણનો ખુલાસો કરતા રહે છે, પરંતુ તેમાં તેમનો કે તેમના પરિવારનો કોઈ રોલ નથી. ટ્રમ્પે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે તેમનો બિઝનેસ એક ટ્રસ્ટ સંભાળે છે, જેની દેખરેખ તેમનાં બાળકો કરે છે.

ટ્રમ્પે આ સિવાય પણ ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે, જેથી 2024માં લગભગ 500 કરોડની કમાણી થઈ. આ કમાણી ક્રિપ્ટો, ગોલ્ફ પ્રોપર્ટી, લાઈસેન્સિંગ અને અન્ય વેન્ચર્સમાંથી થઈ છે. ટ્રમ્પ પાસે લગભગ 1.6 અબજ ડોલર (લગભગ 14,000 કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. તેમાં રાષ્ટ્રપતિ બન્યા પછીથી જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

મુંબઈ છોડતાં જ દારુ બંધ અને ડિપ્રેશન પણ ગાયબ: અનુરાગ કશ્યપ

બૉલિવુડના દિગ્દર્શક અનુરાગ કશ્યપ ઘણીવાર પોતાના તીખા નિવેદનો અને સ્પષ્ટ વાતો માટે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ અનુરાગ કશ્યપે બૉલિવુડમાં ફેલાયેલી નકારાત્મકતાનો પર્દાફાશ કર્યો છે. અનુરાગે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારથી તેણે મુંબઈ છોડ્યુ છે, ત્યારથી તેના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે.

અનુરાગ કશ્યપે જણાવ્યું કે મુંબઈ શહેર છોડ્યા પછી તેમના જીવનમાં સારા બદલાવો જોવા મલ્યા છે. જેમાંથી પહેલું એ છે કે તેણે દારૂ પીવાનું છોડી દીધું છે અને તેના જીવનમાંથી ડિપ્રેશન પણ દૂર થઈ ગયું છે. સુધીર શ્રીનિવાસનની યુટ્યુબ ચેનલ પર અનુરાગ કશ્યપે કહ્યું કે મુંબઈના લોકોને લાગે છે કે તેમને એક રક્ષકની જરૂર છે કારણ કે તેઓ ‘RGV ના માર્ગ’ પર જઈ રહ્યા છે.

માર્ચમાં, અનુરાગ કશ્યપે ધ હિન્દુ સાથેની વાતચીતમાં પુષ્ટિ આપી હતી કે તે દક્ષિણ તરફ જઈ રહ્યો છે. હિન્દી ફિલ્મ નિર્માતાઓ તેમની સર્જનાત્મક ઉર્જાને વાપર્યા વિના બોક્સ ઓફિસના આંકડાઓનો પીછો કરી રહ્યા હોવાથી મુંબઈ પ્રેમ ગુમાવી રહ્યું છે તેવું તેમને લાગ્યું. અનુરાગ કશ્યપે કહ્યું,”હું ડિપ્રેશનમાં ગયો હતો. હવે હું તેમાંથી બહાર આવી ગયો છું. હવે હું મારા કામનો આનંદ માણી રહ્યો છું. મેં એક કામ કર્યું, મેં હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરી દીધું. મેં નવા ફિલ્મ નિર્માતાઓની ઘણી ફિલ્મો જોવાનું શરૂ કર્યું, મેં ઘણી મલયાલમ ફિલ્મો પણ જોઈ.”

મુંબઈ સાથેના પોતાના અનુભવો શેર કરતા અનુરાગ કશ્યપે કહ્યું,’હિન્દી ફિલ્મ નિર્માતાઓ મને ટાળી રહ્યા છે, કારણ કે તેઓ માને છે કે હું નવો છું, કારણ કે તેઓ માને છે કે મારી પાસે કોઈ ફિલ્ટર નથી અને હું બોલું છું. તેઓ વિચારે છે કે જો તેઓ મારી સાથે જોડાશે, તો તેમને કોઈ સ્ટુડિયો સાથે કામ કરવાની તક મળશે નહીં અથવા કોઈ બીજું નારાજ થશે. અને હું એવી જગ્યાએ આવ્યો છું જ્યાંથી હું પ્રેરિત છું, અને લોકો મને ખૂબ પ્રેમ કરે છે.’

અનુરાગ કશ્યપે યાદ કર્યું,’હું એવી જગ્યાએ કેમ છું જ્યાં મને કહેવામાં આવી રહ્યું છે કે લોકો તમારા દારૂબંધી વિશે વાત કરી રહ્યા છે, લોકો તમારા હતાશા વિશે વાત કરી રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે તમે તમારો રસ્તો ખોવાઈ રહ્યા છો. તેઓ મારા તારણહાર બનવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મને કહી રહ્યા છે કે મારે મારી જાતને બચાવવા માટે શું કરવું જોઈએ.’ દક્ષિણ તરફ ગયા પછી, અનુરાગ કશ્યપે મનની શાંતિ મેળવી છે. તેમણે કહ્યું, ‘મને લોકો સાથે સંઘર્ષ કરવાની જરૂર નથી. મેં મારી જાતે કસરત કરવાનું શરૂ કર્યું. મારી જાતે લખવાનું શરૂ કર્યું.’ તેમની ખૂબ જ પ્રિય નેટફ્લિક્સ સીરિઝ મેક્સિમમ સિટી અચાનક બંધ થઈ ગયા પછી તેમણે માનસિક સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા વિશે પણ ખુલીને વાત કરી.

અનુરાગ કશ્યપ ‘ડાકોઈટ’ ફિલ્મમાં જોવા મળશે, જેમાં તે એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે. હિન્દી અને તેલુગુ ભાષામાં બનેલી આ દ્વિભાષી ફિલ્મમાં આદિવી શેષ અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રાઇફલ ક્લબમાં તેમની ભૂમિકા માટે તેમને ઘણી પ્રશંસા પણ મળી છે.

અનિલ અંબાણીનાં સ્થાનો પર CBIના દરોડા

નવી દિલ્હી: રિલાયન્સ (ADAG) ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીનાં અલગ-અલગ સ્થાનો પર CBIની ટીમે દરોડા પાડ્યા છે. CBIની આ કાર્યવાહી બેંક ફ્રોડ કેસને લઈને છે. SBIમાંથી 2000 કરોડ રૂપિયાના ફ્રોડનો કેસ નોંધાયો છે. 13 જૂન, 2025એ SBIએ આ અકાઉન્ટને ફ્રોડ તરીકે જાહેર કર્યું હતું. ત્યાર બાદ SBIએ 24 જૂને તેની જાણકારી RBIને આપી હતી. હજી થોડા દિવસ પહેલાં જ EDની ટીમે પણ અનિલ અંબાણી સાથે જોડાયેલાં સ્થાનો પર દરોડા પાડ્યા હતા. CBIની ટીમ અનિલ અંબાણીનાં સ્થાનો પર સવારે સાત વાગ્યે પહોંચી  હતી. આ દરોડા મારવાની કાર્યવાહી છ અલગ-અલગ સ્થળોએ ચાલી રહી છે.

CBI પહેલાં EDએ પણ અનિલ અંબાણીની પૂછપરછ કરી હતી. બેંક ફ્રોડ મામલામાં EDએ થોડા દિવસ પહેલાં જ અનિલ અંબાણીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. એ દરમિયાન EDએ નવી દિલ્હીમાં તેની ઓફિસમાં 17,000 કરોડ રૂપિયાના બેંક લોન કૌભાંડને લઈને કલાકો સુધી અનિલ અંબાણીની પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં ED તરફથી અનિલ અંબાણીને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા, જેમાં શું લોન શેલ કંપનીઓને મોકલવામાં આવી હતી? શું પૈસા રાજકીય પક્ષોને આપ્યા હતા? અને શું તમે કોઈ અધિકારીને લાંચ આપી હતી?  જેવા સવાલો સામેલ હતા.

અનિલ અંબાણીને એક અઠવાડિયા પછી ફરી હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.EDએ અનિલ અંબાણી સાથે જોડાયેલાં અલગ-અલગ સ્થાનો પર દરોડા માર્યા હતા. આ દરોડા દિલ્હી અને મુંબઈમાં કરવામાં આવ્યા હતા. EDએ આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસની તપાસને લઈને કરી હતી. EDની પ્રાથમિક તપાસમાં બેંકો, શેરહોલ્ડરો, રોકાણકારો અને અન્ય જાહેર સંસ્થાઓને છેતરપિંડી કરીને જનતા ના પૈસાની હેરાફેરી કરવાની એક સુનિયોજિત અને વિચારેલી યોજનાનો ખુલાસો થયો હતો. ED દ્વારા 50 કંપનીઓની તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 25 લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

વર્ષ 2017 અને 2019ની વચ્ચે, યસ બેંકે રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓને આશરે 3000 કરોડ રૂપિયાનો લોન આપી હતી. EDનો દાવો હતો કે તેણે એક ગેરકાયદે ટ્રાન્ઝેક્શન વ્યવસ્થા પકડી છે, જેમાં યસ બેંકના પ્રમોટરોએ લોન મંજૂર થાય એ પહેલાં જ પોતાની ખાનગી કંપનીઓમાંથી પેમેન્ટ લીધું હતું.

સંપત્તિનો આનંદ માણો, ઘમંડ નહીં

મારા એક ક્લાયન્ટ અનેક વાર મને કહી ચૂક્યા છે, “હું મારી બીએમડબ્લ્યુ કાર વધારે ચલાવતો નથી. વધારે ચલાવીએ તો લોકોની આંખે ચઢી જઈએ.”

આમ કહીને તેઓ પરોક્ષ રીતે એમ કહેવા માગે છે કે લોકો એમની ઈર્ષ્યા કરે છે. હું એના વિશે કોઈ ટિપ્પણી કરતો નથી. વાસ્તવમાં એમના આ વિચાર પાછળ એમનો બીએમડબ્લ્યુ કારના માલિક હોવાનો ગર્વ છતો થાય છે. બીએમડબ્લ્યુ કારની માલિકીને લોકો મોભાનો વિષય ગણે છે. પોતે અહમ્ કરે છે એવું કહેવાને બદલે લોકો બીજાઓ પર દોષારોપણ કરે છે. શું આપણો મોભો કે દરજ્જો એક કાર પર નિર્ભર છે? શું આપણા અંતઃકરણ, આપણા ચારિત્ર્ય, આપણા ઉછેર, વગેરેનો કોઈ અર્થ નથી?

જે ઘડીએ આપણો માનમરતબો કે મોભો બાહ્ય વસ્તુ પર નિર્ભર બની જાય છે એ જ ઘડીથી દુઃખ શરૂ થઈ જાય છે. આ દુનિયામાં હંમેશાં એવું કોઈક મળી આવશે, જેની પાસે, આપણી દૃષ્ટિએ, આપણા કરતાં વધારે સંપત્તિ હોય. અહીં ‘આપણે’ શબ્દ અગત્યનો છે. સામેવાળી વ્યક્તિ પાસે આપણા કરતાં વધારે ધન છે કે નહીં એ ચકાસવાનો કોઈ ખાતરીલાયક રસ્તો નથી.

આપણે મારા એ ક્લાયન્ટની વાત પર પાછા આવીએ. એમની પાસે બીએમડબ્લ્યુ કાર હોવા છતાં તેઓ એનો જોઈએ ત્યારે આનંદ લઈ શકતા ન હતા, કારણ કે બીજાઓ શું વિચારશે એનો જ ખયાલ એમના મનમાં રહેતો. મનુષ્ય જ્યારે તુલના કરવા લાગે ત્યારે વિષાદ જન્મ્યા વગર રહેતો નથી.

હું અહીં જરાય એમ કહેવા માગતો નથી કે લોકોએ બીએમડબ્લ્યુ અથવા બીજી કોઈ કાર ખરીદવી નહીં. પોતે કઈ કાર વાપરવી એ દરેક વ્યક્તિની પોતાની મુનસફી કે ઈચ્છા પર નિર્ભર છે. મારું તો એટલું જ કહેવું છે કે કારને તમારા દરજ્જાની નિર્ણાયક બનાવવી નહીં કે એની માલિકીને પોતાના ગર્વ કે ઘમંડનો વિષય બનાવવી નહીં. જો તેની સાથે અહમ્ સંકળાઈ જાય તો દુઃખી થઈ જવાય.

જો સામેવાળી વ્યક્તિ પાસે આપણા કરતાં નાની બીએમડબ્લ્યુ હોય તો આપણને સારું લાગે અને કદાચ એની પાસે મોટી કાર નીકળી આવે તો આપણે દુઃખી થઈ જઈએ. ત્યાર પછીની સ્થિતિ એવી આવે કે આપણે લક્ઝરી કારની માલિકીની ભાવનાના ગુલામ બની જઈએ. એક વખત બીએમડબ્લ્યુ કારનો ઉપયોગ કરી લીધા બાદ લોકોની નજરમાં તેના કરતાં ઊતરતી ગણાતી કાર વાપરતી વખતે દુઃખ જ થાય, બીજું કંઈ નહીં. આમ થવાનું કારણ, અગાઉ કહ્યું એમ, આપણો અહમ્ છે. આ અહમ્ ફક્ત કાર સાથે સંકળાયેલો હોય છે એવું નથી. મોબાઇલ, વસ્ત્રો, એક્સેસરીઝ, ફરવાનાં સ્થળ, વગેરે બધી જ બાબતો સાથે સંકળાયેલો હોઈ શકે છે. આવી બાહ્ય વસ્તુઓને કારણે મળતો આનંદ ક્ષણભંગુર હોય છે. તેની અવળી અસર હંમેશાં દુઃખભરી હોય છે.

 

યોગિક સંપત્તિ આપણને સંપત્તિનો નિર્ભેળ આનંદ માણવાનું શીખવે છે. એ ત્યારે જ શક્ય બને છે, જ્યારે આપણી લાગણીઓ તેની સાથે સંકળાયેલી ન હોય. આને જ ખરું સુખ કહેવાય. જે વસ્તુ બીજી કોઈ વસ્તુ કે બાબત પર નિર્ભર હોય એ હંમેશાં કામચલાઉ, ક્ષણિક, ટૂંકા ગાળાની હોય છે અને આપણને બંધનમાં બાંધી દેનારી હોય છે. સમય જતાં આપણે એ બંધનના ગુલામ બની જઈએ છીએ.

અહીં એક ઉદાહરણ જોવા જેવું છે. જો આપણે અમુક જ બ્રાન્ડનાં વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખતા હોઈએ અને કોઈક દિવસ બ્રાન્ડેડ કપડાં પહેરીએ નહીં તો બીજા લોકો ભલે એના તરફ ધ્યાન નહીં આપે, પણ આપણને પોતાને થશે કે આપણામાં કંઈક ખૂટે છે. ઊણપની આ ભાવના દુઃખને જન્મ આપશે. પૈસા ખર્ચ્યા પછી પણ મનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે એવું જીવન કેવું કહેવાય?

છેલ્લે, એટલું જ કહેવાનું કે સંપત્તિનો આનંદ માણો, પરંતુ તેની સાથે પોતાનો મોભો અને ઘમંડ સાંકળો નહીં, અન્યથા તમે દુઃખી થઈ જશો. યોગિક સંપત્તિ એને જ કહેવાય, જે પ્રસન્નતા બક્ષે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

ભારત-પાકિસ્તાન મેચ અંગે સંજય રાઉતે પીએમ મોદીને પત્ર લખ્યો

શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ મેચ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને અમાનવીય પગલું ગણાવ્યું છે. તેમણે આ સંદર્ભમાં પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે જ્યારે તમે કહો છો કે લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી, તો પછી એશિયા કપમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની તૈયારી કેમ કરવામાં આવી રહી છે? હવે, શું લોહી અને ક્રિકેટ એકસાથે વહેશે? સંજય રાઉતે આ પગલાની નિંદા કરી છે.

સોશિયલ મીડિયા પર પત્ર શેર કર્યો

સંજય રાઉતે સોશિયલ મીડિયા પર પોતાનો પત્ર શેર કર્યો અને લખ્યું,માનનીય પ્રધાનમંત્રી, પહેલગામ હુમલામાં માર્યા ગયેલા ભારતીયોનું લોહી હજુ સુકાયું નથી, અને તેમના પરિવારોના આંસુ હજુ બંધ થયા નથી. છતાં, પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી અમાનવીય છે!

સંજય રાઉતે પોતાના પત્રમાં લખ્યું, એવા સમાચાર છે કે કેન્દ્રીય રમતગમત મંત્રાલયે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચોને લીલી ઝંડી આપી દીધી છે. તે દેશના લોકો માટે ખૂબ જ દુઃખદ છે. તે સ્પષ્ટ છે કે વડા પ્રધાન અને ગૃહ મંત્રાલયની સંમતિ વિના આ શક્ય ન હોત.

હું તમારી સમક્ષ દેશભક્ત નાગરિકોની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છું:-

તમે કહો છો કે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જો સંઘર્ષ હજુ પણ ચાલુ છે, તો આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ કેવી રીતે રમી શકીએ?

પહેલગામ હુમલો એક પાકિસ્તાની આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે 26 મહિલાઓના સિંદૂર લૂછી નાખ્યા હતા. શું તમે તે માતાઓ અને બહેનોની લાગણીઓ પર વિચાર કર્યો છે?

શું રાષ્ટ્રપતિ ટ્રમ્પે ધમકી આપી છે કે જો આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ નહીં રમીએ તો વેપાર બંધ કરી દેશે?

તમે જાહેર કર્યું હતું કે “લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી.” હવે, શું લોહી અને ક્રિકેટ એકસાથે વહી શકે?

પાકિસ્તાન સામેની મેચો પર મોટા પાયે સટ્ટાબાજી અને ઓનલાઈન જુગાર ચાલી રહ્યો છે, જેમાં ઘણા ભાજપના સભ્યો સંડોવાયેલા હોવાનું કહેવાય છે. ગુજરાતના એક અગ્રણી વ્યક્તિ જય શાહ હાલમાં ક્રિકેટ બાબતો સંભાળી રહ્યા છે. શું ભાજપને આમાં કોઈ ખાસ નાણાકીય લાભ મળી રહ્યો છે?

પોતાના પત્રમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યા પછી, સંજય રાઉતે આગળ લખ્યું,માનનીય પ્રધાનમંત્રી, પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું એ ફક્ત આપણા સૈનિકોની બહાદુરીનું અપમાન નથી, પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જી સહિત કાશ્મીર માટે પોતાનો જીવ આપનારા દરેક શહીદનું પણ અપમાન છે. આ મેચો દુબઈમાં યોજાઈ રહી છે. જો આ મેચો મહારાષ્ટ્રમાં હોત, તો બાળાસાહેબ ઠાકરેની શિવસેનાએ તેમાં ખલેલ પહોંચાડી હોત. હિન્દુત્વ અને દેશભક્તિને બદલે પાકિસ્તાન સાથે ક્રિકેટને પ્રાથમિકતા આપીને, તમે દેશવાસીઓની લાગણીઓને તુચ્છ બનાવી રહ્યા છો. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) તમારા નિર્ણયની નિંદા કરે છે.

આમિરે ‘દિલ હૈ કિ માનતા નહીં’માં ટીકુ સાથેનું દ્રશ્ય બદલાવ્યું!

ટીકુ તલસાણિયાએ હાસ્ય કલાકાર તરીકે આમિર ખાન સાથે ઘણી ફિલ્મો કરી છે. એમાં ‘દિલ હૈ કિ માનતા નહીં’ (1991) ના એક દ્રશ્યમાં ફેરફાર કરાવ્યો હતો એ કિસ્સો સૌથી વધુ યાદગાર રહ્યો છે. નિર્દેશક મહેશ ભટ્ટે એક દિવસ ટીકુને બોલાવીને કહ્યું કે આ ફિલ્મ કરવાની છે અને ટીકુએ તરત જ હા પાડી દીધી હતી. એમાં એક સરસ દ્રશ્ય આમિર ખાન સાથેનું હતું.

એ કિસ્સો યાદ કરતાં ટીકુએ એક મુલાકાતમાં કહ્યું છે કે આમિર સાથે પહેલી ફિલ્મ હતી અને તે પરકેશનિસ્ટ હોવાથી કામ કરવામાં છુપો ડર પણ રહ્યો હતો. એ દ્રશ્યમાં ટીકુ બાથરૂમમાંથી બહાર આવે છે અને બબડે છે કે બધા લોકો મારા પૈસા ખાઈ જાય છે. ત્યારે ટેબલ પર રૂપિયાનું બંડલ પડેલું જુએ છે અને પૂછે છે કે આ કોણ આપી ગયું છે? કોઈ કહે છે કે રઘુ જેટલી (આમિર ખાન) આવ્યો હતો અને આપી ગયો છે. તે જઈ રહ્યો હોય છે એટલે ટીકુ એની પાછળ ભાગીને જાય છે અને પૂછે છે કે શું થયું?

આમિર માફી માંગીને કહે છે કે જે કહાની આપને બતાવી રહ્યો હતો એ બની શકી નથી. ત્યારે ટીકુ એને બંડલમાંથી રૂપિયા કાઢીને આપે છે અને કહે છે કે પછી જોયું જશે. અને રઘુ પૈસા લઈ જતો રહે છે. જ્યારે ફિલ્મનું સંપૂર્ણ શુટિંગ પૂરું થઈ ગયું અને રજૂઆત નજીક હતી ત્યારે મહેશ ભટ્ટનો ફોન આવ્યો કે તું ફિલ્મસિટી સ્ટુડિયોમાં આવી જા. ટીકુએ નવાઈથી પૂછ્યું કે શું થયું? ત્યારે એમણે કહ્યું કે આ આમિર! એણે તારી સાથેના દ્રશ્યમાં સમસ્યા ઊભી કરી છે. ટીકુને થયું કે ફિલ્મમાં એક સારું દ્રશ્ય છે એ પણ જતું રહેવાનુ છે. તે સ્ટુડિયો પહોંચ્યા ત્યારે આમિર હાજર હતો. તેણે આદરથી ટીકુને ખુરશી આપીને બેસવા કહ્યું.

આમિરે પછી કહ્યું કે મેં 25 વખત ફિલ્મને જોઈ છે અને એમાં મને એક જ બાબત ખાટકી રહી છે કે હું તમારી પાસે રૂપિયા લઈ લઉં છું. એ રૂપિયા મારે લેવા ના જોઈએ. જો હું તમારી પાસેથી રૂપિયા લઇશ તો અગાઉની પૂજા ભટ્ટના પિતા સાથેની જે વાર્તા છે તે ખોટી પડશે. ટીકુએ પૂછ્યું કે હવે શું કરવું છે? ત્યારે આમિરે કહ્યું કે તમે મને એ જ રીતે રૂપિયા આપો. હું એને તમારા હાથમાં પાછા મૂકીને જતો રહીશ. અને આમિરે એ દ્રશ્ય ફરીથી કરાવ્યું. આ બાબતથી ટીકુ આમિર ખાનથી બહુ પ્રભાવિત થયા હતા. કેમકે એ ફિલ્મની દરેક બાબત માટે વિચાર કરતાં હતા.

ચમોલીના થરાલીમાં વાદળ ફાટવાથી વિનાશ વેરાયોઃ એકનું મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શુક્રવારની અડધી રાત્રે વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. ચમોલી જિલ્લાના થરાલી વિસ્તાર સહિત આસપાસનાં ગામોમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે ઘરો અને બજારોમાં કાટમાળ ભરાયો છે, જેને કારણે હાહાકાર મચી ગયો છે. નગર પંચાયત થરાલીના કોટડીપમાં દુકાનો અને મકાનોને ભારે નુકસાન થયું છે અને કારો કાટમાળમાં દટાઈ છે. તાલુકા મુખ્યાલયના અધિકારીના મકાનની અંદર સુધી કાટમાળ ઘૂસી ગયો હતો. અનેક બાઈક અને અન્ય વાહનો પણ કાટમાળની ચપેટમાં આવી ગયા છે. આઘટનાથી જ લોકો દહેશતમાં છે અને ભારે વરસાદ વચ્ચે ઘરોમાંથી ભાગીને સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા છે.

અહીંના સાગવાડા ગામમાં એક યુવતી કાટમાળમાં દટાઈ જવાથી તેનું મોત થયું છે, જેને કારણે વિસ્તારમાં હાહાકાર મચી ગયો. પોલીસ અને પ્રશાસનની ટીમો રાહત અને બચાવ કાર્યોમાં લાગી ગઈ છે. ચેપડા બજારમાં કેટલીક દુકાનોને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત એક વ્યક્તિ ગુમ થયાની ખબર છે, જેને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.

4.થરાળી-ગ્વાલદમ માર્ગ પરના મિંગ્ગદેરા નજીક કાટમાળ અને ભારે વરસાદને કારણે આ માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થયો છે. થરાળી-સાગવાડા માર્ગ વરસાદને કારણે બંધ  થયો છે, ગૌચરથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગઈ છે.

જિલ્લા પ્રશાસને થરાલી તાલુકાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને શનિવારે બંધ રાખવાનો આદેશ આપ્યો છે.  જિલ્લા અધિકારી ડો. સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે પોલીસ અને પ્રશાસનની ટીમો સ્થળ પર રાહત અને બચાવ કાર્યોમાં લાગી ગઈ છે.