Home Blog Page 668

સ્વતંત્રતા દિવસે દિવ્યાંગ વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી

અમદાવાદ: અંદાજે 115 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ઈસરો (ISRO)ના સહયોગથી ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. જેમાં ઉત્થાન તાલીમ કેન્દ્ર, કવિતા ફાઉન્ડેશન તેમજ ધ લાઇટશીપ ઇનિશ્યટિવનો પણ સહયોગ હતો. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સ્પેસ ફેસ્ટિવલ– 2025ની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો.દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પોતાનું પ્રતિભાશાળી યોગદાન આપીને વિવિધ પ્રકારના મોડલ તૈયાર કર્યા હતા તથા ક્વિઝ સ્પર્ધામાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમના દ્વારા દર્શાવાયેલ જિજ્ઞાસા અને સર્જનાત્મકતાએ સૌનું મન જીતી લીધું.આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, એક્વેટિક ગેલેરી તેમજ રોબોટિક્સ  જેવી અનેક ગેલેરીઓની મુલાકાત લીધી હતી અને વિજ્ઞાનના ચમત્કારોને નજીકથી નિહાળ્યા હતા.કાર્યક્રમના અંતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઈનામ આપીને ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું. સાયન્સ સિટીના અધિકારીઓએ જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ દ્વારા દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે, સર્જનાત્મકતા વિકસે છે અને સર્વસમાવેશી શિક્ષણને પ્રોત્સાહન મળે છે.

શું મહિલાને સ્વાભિમાનની રક્ષા માટે અવાજ ઉઠાવવાનો હક નથી?

સૌમ્યા એક ઉચ્ચ શિક્ષિત અને આત્મનિર્ભર બેંક મેનેજર યુવતી. 25 લોકોના સ્ટાફની લીડર. ધ્રુવજ સાથે ધૂમધામથી એના લગ્ન થયા. પણ સાસરે પગ મૂકતાં જ સાસુ રેણુકાબહેને કટાક્ષ કરતા કહ્યું “સૌમ્યા નસીબદાર છે, બાકી અમારા ધ્રુવજ જેવો દીકરો એને ક્યાંથી મળે?” સૌમ્યા ચૂપ રહી, પણ હૃદયમાં ઊંડો ઘા થયો.

દિવસો વીતતા ગયા. રેણુકાબહેનના મહેણાં વધતા ગયા. વહુ તો કામચોર છે! બસ કમાતા આવડે અને ઉડાડતા. આવા શબ્દો રોજ સૌમ્યાના સ્વાભિમાનને ચીરતા. ધ્રુવજ પ્રેમથી એની સાથે હતો, પણ માતા-પિતા સામે બોલવાની હિંમત ન હતી. સૌમ્યા નોકરી, ઘરકામ, સામાજિક ફરજો નિભાવતી, છતાં રેણુકાબહેનની નજરમાં “અયોગ્ય” જ રહી.

લગ્નને બે વર્ષ વીત્યા, પણ હેરાનગતી ઓછી ન થઈ. અંતે એક દિવસ કંટાળીને સૌમ્યાએ ધ્રુવજને કહી જ દીધું કે, મારાથી હવે સહન નહી થાય. ક્યાં સુધી હું આ રીતે મારા સમ્માનનો ભોગ આપ્યા કરીશ? ધ્રુવજ સ્તબ્ધ થયો, પણ જવાબ ન આપી શક્યો.

સૌમ્યાએ પોતાના માતા-પિતાને વાત કરી. એમની લાડકી દીકરીની આવી દશા જોઈ એમનું હૃદય દ્રવી ગયું. સૌમ્યાની લડાઈ માત્ર અપમાન સામે નહીં, પણ પોતાના અસ્તિત્વ માટે હતી. એનો સવાલ સ્પષ્ટ હતો કે “શું મારા સ્વાભિમાન કોઈ મૂલ્ય નથી? સ્ત્રીને સ્વાભિમાન માટે સવાલ કરવાનો હક ખરો?

દરેક મહિલાને પોતાના જીવન પર અધિકાર હોવો જોઈએ

મહિલાના સ્વાભિમાનનો સવાલ ઘણીવાર પરિવારમાં પુત્રવધૂ કે દીકરી તરીકે મળવા જોઈતા સન્માનના અભાવે ઉભો થાય છે, જે ક્યારેક છૂટાછેડા જેવા ગંભીર પગલાં સુધી પહોંચે છે. સમાજમાં મહિલાનો અવાજ ઉઠાવવો હજી પણ સ્વીકારાતો નથી અને એને સ્વવછંદી ગણીને અવગણવામાં આવે છે. શું મહિલાને પોતાના સ્વાભિમાનની રક્ષા માટે અવાજ ઉઠાવવાનો હક નથી? શું એનું સ્વાભિમાન કોઈ મૂલ્ય નથી ધરાવતું?

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કલાસૂર્ય ફાઉન્ડેશનના સ્થાપક સંગીતા પટેલ કહે છે કે, “આજના જમાનામાં પણ સ્ત્રીઓને પોતાના જીવનના નિર્ણયો માટે પરમિશન લેવી પડે છે, જે યોગ્ય નથી. દીકરી હોય કે વહુ, દરેક મહિલાને પોતાના જીવન પર અધિકાર હોવો જોઈએ. પરિવાર પાસે એ માર્ગદર્શન માગી શકે છે, પરંતુ નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોવું જરૂરી છે. સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે જેવી પાતળી રેખા છે, એવી જ રીતે સ્વાભિમાન અને અભિમાન વચ્ચે પણ છે. ઘણીવાર અભિમાનના કારણે મહિલાઓ પોતાના પરિવારને નુકસાન પહોંચાડે છે, જેના કારણે સાચા સ્વાભિમાન માટે લડતી મહિલાઓને પણ સ્વછંદી ગણવામાં આવે છે. હું માનું છું કે કોઈ પણ વ્યક્તિને પોતાનો નિર્ણય લેવાનો પુરેપુરો હક છે.”

મહિલાની સ્વાભિમાન માટેની લડત આજે પણ ચાલી રહી છે

સમાજમાં સ્ત્રી આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. શિક્ષણ, નોકરી, વ્યવસાય કે રાજકારણ  બધે જ સ્ત્રીઓએ પોતાની કાબેલિયત સાબિત કરી છે. છતાંય ઘરઆંગણે એના સ્વાભિમાનનો સવાલ ઘણીવાર અવગણાય છે. પુત્રવધૂ કે દીકરી તરીકે એના યોગદાનને પૂરતું માન મળતું નથી. ઘરનાં નિર્ણયો સમયે એના વિચારો સાંભળવામાં આવતા નથી. પરિણામે, એના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું મારા અસ્તિત્વનું મૂલ્ય નથી?

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા લેખિકા પ્રજ્ઞા મહેતા કહે છે કે, સ્ત્રી એટલે જગતની જનની, જગદંબા, સ્ત્રી એટલે બુદ્ધિનો સ્ત્રોત સરસ ઉપનામથી સંબોધાય  સ્ત્રી પરંતુ ખરેખર સ્ત્રી સુરક્ષિત છે? સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે શું ખરેખર આ સત્ય છે?  બિલકુલ નહીં. આજે સમાજમાં પુરુષ કરતાં પણ સ્ત્રી ઉંચા હોદા પર હોય છે. એને પણ માનસિક અને શારીરિક ટોર્ચર સમાજ અને ઘર તરફથી થાય છે. વિશ્વના કોઈપણ ખૂણા તરફ દૃષ્ટિ કરીએ દરેક તરફ સ્ત્રીની દશા કચડાયેલી જ હોય છે. સતાપર બેઠેલી સ્ત્રીના દરેક નિર્ણયનું સંચાલન એના પતિ અથવા પુત્ર કરતા હોય છે શા માટે? મહિલા પોતાના સ્વાભિમાન માટે લડત લડતી આવી છે અને આજે પણ લડી રહી છે.

કેટલીક મહિલાઓ પરિવાર માટે પોતાનું સ્વાભિમાન કચડી નાખે છે

પુરુષ પોતાના સ્વાભિમાન માટે સવાલ કરે તો એને “આત્મસન્માની” કહેવામાં આવે છે. પણ જો સ્ત્રી એ જ કરે તો એને “હઠીલી”  ગણવામાં આવે છે. આ દ્વિધા વિચારો આજે પણ સમાજમાં ઘેરી વેરાયેલી છે. એ જ કારણ છે કે સ્ત્રીનો અવાજ ઉઠાવવો સમાજ માટે “અપરાધ” સમાન લાગે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર ખુશ્બુ પરમાર કહે છે, જીવનમાં ઘણી બાબતોમાં સમજૂતી થઈ શકે, પરંતુ આત્મસન્માનમાં ક્યારેય સમજૂતી થઈ શકે નહીં. સામાન્ય મહિલા પણ અપમાન સહન કરતી નથી જો વાત એના સ્વાભિમાનની હોય. જીવનભર અનેક બાબતોને અવગણતી સ્ત્રી પણ આ મુદ્દે ચૂપ રહી શકતી નથી. અલબત્ત, કેટલીક મહિલાઓ પરિવાર માટે પોતાનું સ્વાભિમાન કચડી નાખે છે. સ્ત્રી જ્યારે પોતાના માટે કંઈ બોલે ત્યારે એને સમાજ ચૂપ કરાવી દે છે, કારણ કે આપણા સમાજનો સૌથી મોટો રોગ ‘ક્યાં કહેગેં લોગ’ છે.

હેતલ રાવ

શ્રાવણઃ સતત 46 વર્ષથી મહાભારતનું વાંચન

અમદાવાદ: મહાભારતનો પાંચમો વેદ અને વેદ વિદ્યાના વધારા તરીકે રચાયેલો સંસ્કૃત ભાષાના બે ઇતિહાસ ગ્રંથોમાંનો એક ગણાય. મહાભારતમાં જીવન સ્પર્શી તમામ બાબતોનો મહાસંગમ તથા લોક કથાઓનો ભંડાર હોવાથી એ મહત્વો ગ્રંથ ગણાય છે.સામાન્ય દિવસોમાં મોટાભાગે ગીતા, રામાયણ, ભાગવતનું પઠન વધારે થતું હોય છે. સામાન્ય દિવસોમાં કેટલાંક લોકો માન્યતાઓના કારણે મહાભારતનું પઠન કરતાં નથી. પરંતુ પરંપરાઓથી જોડાયેલા લોકો મહાકાવ્ય મહાભારતને માણે છે. અમદાવાદમાં સરસપુરમાં છેલ્લા 46 વર્ષથી સોસાયટીના સ્થાનિક લોકો ભેગા મળી મહાભારતનું આખાય શ્રાવણ માસ દરમિયાન પઠન કરે છે.સરસપુર પંડિતનગરના નટવરભાઇ ચિત્રલેખા.કોમને કહે છે અમારા ત્યાં સૌ ભેગા મળી તમામ ધાર્મિક ઉત્સવો, તહેવારોની ઉજવણી કરીએ છીએ. પરંતુ શ્રાવણ માસ શરૂ થાય એટલે નારણપુરાની ચાલીમાં સૌ ભેગા મળી સતત 46 વર્ષથી મહાભારતનું વાંચન કરીએ છીએ. અહીં સૌ રાત્રે આઠ વાગ્યે ભેગા થાય, બે વાગ્યા સુધી મહાભારત પઠન, ભક્તિ સંગીત ચાલે. વર્ષોથી કિર્તન સાથે વાંચન એક પરંપરા થઇ ગઇ છે.મહાભારતના પઠન વિશે શાસ્ત્રી મનોજભાઇ કહે છે એક માન્યતા પ્રમાણે મહાભારતનું પઠન ઘણાં લોકો કરતાં નથી. આ એક ઉત્કૃષ્ટ ગ્રંથ છે, એનું પઠન ગમે ત્યારે થઇ શકે.

એશિયા કપ 2025: ઐયરથી લઈને રાહુલ સુધી અનેક દિગ્ગજો બહાર

મંગળવારે એશિયા કપ 2025 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે BCCI મુખ્યાલયમાં એક બેઠક યોજાઈ હતી. વરસાદને કારણે બેઠકમાં વિલંબ થયો હતો. બેઠક પછી, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા હતા. આ દરમિયાન, ભારતીય ટીમના 15 ખેલાડીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

 

ગિલ ઉપ-કેપ્ટન બન્યો

શુભમન ગિલને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ખરાબ IPL બાદ રિંકુ સિંહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડ પ્રવાસ પર 3 ટેસ્ટ રમનાર જસપ્રીત બુમરાહ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે તે એશિયા કપ માટે ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તેમને 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત સાથે, ઘણા ખેલાડીઓના દિલ પણ તૂટી ગયા છે. કેટલાક અનુભવી ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમાં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત, ઝડપી બોલર મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે.

અજિત અગરકરે કહ્યું, શ્રેયસ ઐયર ટીમમાંથી બહાર છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તે તેની ભૂલ નથી, પણ આપણી પણ નથી. તેને તેની તકની રાહ જોવી પડશે. યશસ્વી જયસ્વાલને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે. પંતની ઈજા અંગે કોઈ અપડેટ નથી. આવી સ્થિતિમાં, એવી શક્યતા છે કે તે સ્વસ્થ ન થયો હોય. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં હંગામો મચાવનાર મોહમ્મદ સિરાજ પણ આ ટીમમાંથી ગાયબ છે. સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું નામ પણ ટીમમાં નથી.

 

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સંજુ, હરકૂન સિંહ, આર.કે.

રિઝર્વ ખેલાડી : પ્રસિદ્ધિ ક્રિષ્ના, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ.

એશિયા કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમનું એલાન

નવી દિલ્હીઃ એશિયા કપ 2025 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ છે. નવ સપ્ટેમ્બરથી શરૂ થનારી આ મલ્ટિનેશનલ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની આગેવાની શુભમન ગિલ કરતા જોવા મળશે. માર્ચ 2025 બાદ પહેલી વાર ભારત લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં રમશે. તે પહેલાં ફેબ્રુઆરી-માર્ચમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે પોતાને નામે કરી હતી. ટીમ ઇન્ડિયા એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2023માં તેમણે ખિતાબ જીત્યો હતો. તે વર્ષે આ ટુર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં રમાયો હતો.

 શુભમન ગિલ બન્યો ઉપકપ્તાનટીમની જાહેરાત પહેલાં શુભમન ગિલને ભારતની T20 ટીમમાં પાછો આવ્યો છે અને તેને આ ટુર્નામેન્ટ માટે ઉપકપ્તાન બનાવાયો છે. યશસ્વી જયસવાલ ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. શ્રેયસ અય્યરનું નામ પણ સ્ક્વોડમાં નથી. આ સ્ક્વોડમાં બે વિકેટકીપર સંજુ સેમસન અને જિતેશ શર્માને સ્થાન મળ્યું છે.

રોહિત અને વિરાટ નહીં રમે એશિયા કપ

2026માં T20 વર્લ્ડ કપ થવાનો છે, એટલે આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં જોવા નહીં મળે. બંને ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેમના વિના ટીમ ઇન્ડિયા એશિયા કપમાં કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો

એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયા પોતાનો પ્રારંભિક મુકાબલો 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે, પરંતુ ફેન્સને સૌથી વધુ આતુરતા છે 14 સપ્ટેમ્બરના ભારત-પાકિસ્તાન મુકાબલાની, જે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ફેન્સને ત્રણ વખત ભારત-પાકિસ્તાન મુકાબલો જોવા મળી શકે છે.

એશિયા કપ 2025 માટેની ટીમ

સૂર્યકુમાર યાદવ (કપ્તાન), શુભમન ગિલ (ઉપકપ્તાન),  અભિષેક શર્મા,  તિલક વર્મા,  હાર્દિક પંડ્યા,

શિવમ દુબે,  અક્ષર પટેલ,  જિતેશ શર્મા (વિકેટકીપર),  જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ,  વરુણ ચક્રવર્તી,

કુલદીપ યાદવ,  સંજુ સેમસન (વિકેટકીપર),  હર્ષિત રાણા,  રિંકુ સિંહ.

કેન્દ્રીય કેબિનેટે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી

મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, ઓનલાઈન સટ્ટાબાજીને સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે. આ બિલ બુધવારે લોકસભામાં રજૂ કરી શકાય છે. ઓનલાઈન ગેમિંગ બિલ દ્વારા ઓનલાઈન ગેમિંગનું નિયમન કરવામાં આવશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ પગલું ગેમિંગ ઉદ્યોગમાં પારદર્શિતા અને નિયંત્રણ વધારશે, જેમાં તમામ લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

નવા બિલમાં કેટલીક ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈઓ પણ શામેલ છે. એટલે કે, વ્યસન, નાણાકીય નુકસાન અથવા સામાજિક અસરને પ્રોત્સાહન આપતી રમતો પર પ્રતિબંધ મૂકી શકાય છે. ઉપરાંત, જે રમતોનું નિયમન કરવામાં આવશે તે ચેસ, ક્વિઝ અને ઈ-સ્પોર્ટ્સ જેવી કૌશલ્ય આધારિત રમતો છે, કંપનીઓ માટે તે કહેવું ફરજિયાત રહેશે કે તેમની રમત કૌશલ્ય આધારિત છે કે તક આધારિત છે. દરેક પ્લેટફોર્મ પર KYC અને ડેટા સુરક્ષા નિયમો લાગુ થશે. સગીરો માટે સમય મર્યાદા, ખર્ચ મર્યાદા અને માતાપિતાનું નિયંત્રણ ફરજિયાત રહેશે. ગેમિંગ ઉદ્યોગ પર અસર થશે.

 

આ બિલનો ઉદ્દેશ ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રમાં નિયમો અને નિયમનો નક્કી કરવાનો અને ગ્રાહકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. હાલમાં, ગેમિંગ કંપનીઓ પર સ્પષ્ટ નિયમનનો અભાવ છે, જેના કારણે ગ્રાહકો ઘણીવાર શોષણ અને છેતરપિંડીનો ભોગ બને છે. નવા કાયદા પછી, ભારતના ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ, જેમાં કરોડો વપરાશકર્તાઓ સક્રિય છે, તેને સીધી અસર થશે. ખાસ કરીને જે કંપનીઓ વર્ચ્યુઅલ મની, રિયલ કેશ ગેમ્સ અથવા કોઈપણ નિયમન વિના સટ્ટાબાજી સંબંધિત રમતો ચલાવી રહી છે, તેમણે તેમની નીતિ બદલવી પડશે.

કઈ રમતો પર પ્રતિબંધ મૂકી શકાય છે?

બિલમાં એવી રમતો પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે જે જુગાર અથવા સટ્ટાને પ્રોત્સાહન આપે છે. વર્ચ્યુઅલ મની અથવા રિયલ કેશ સટ્ટાબાજી પર આધારિત છે. ખેલાડીઓનું વ્યસન વધારવું અને નાણાકીય નુકસાન પહોંચાડવું. હિંસક અથવા વાંધાજનક સામગ્રીને પ્રોત્સાહન આપવું. આની સીધી અસર તે કંપનીઓ પર પડશે જે કોઈપણ નિયમન વિના આવી રમતો ચલાવી રહી છે.

નોંધનીય છે કે ભારતના ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગનું કદ 3 અબજ ડોલરથી વધુ છે. આવી સ્થિતિમાં, નવા કાયદાથી વાસ્તવિક કંપનીઓને ફાયદો થશે. ઉપરાંત, વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે, કારણ કે ઉદ્યોગ હવે કાનૂની માળખામાં કામ કરશે.

લેહમાં રણવીર સિંહની ‘ધુરંધર’ના સેટ પર 100 થી વધુ ક્રૂ મેમ્બર્સ એકસાથે બીમાર પડ્યા

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર’નું શૂટિંગ આ દિવસોમાં લેહમાં ચાલી રહ્યું છે, પરંતુ હવે સુપરસ્ટારની આ ફિલ્મનું શૂટિંગ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ‘ધુરંધર’માં રણવીરની સાથે સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા કલાકારો પણ જોવા મળશે. પરંતુ, રવિવાર, 17 ઓગસ્ટની સાંજે શૂટિંગ દરમિયાન સેટ પર અચાનક હંગામો મચી ગયો, જ્યારે ફિલ્મના 100 થી વધુ ક્રૂ મેમ્બર્સ એક સાથે બીમાર પડી ગયા.

રિપબ્લિક વર્લ્ડના એક અહેવાલ મુજબ, અચાનક સેટ પરના ઘણા ક્રૂ સભ્યોએ પેટમાં તીવ્ર દુખાવો, ઉલટી અને માથાનો દુખાવો થવાની ફરિયાદ શરૂ કરી, ત્યારબાદ તે બધાને તાત્કાલિક લેહની સજલ નરબૂ મેમોરિયલ (SNM) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ મામલો ફૂડ પોઇઝનિંગનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી નિર્માતાઓ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ખરેખર, આ દિવસોમાં લેહના પત્થર સાહિબમાં ‘ધૂરંધર’નું શૂટિંગ ચાલી રહ્યું છે, જ્યાં 600 થી વધુ લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને અચાનક 100 થી વધુ લોકોની તબિયત એક પછી એક બગડવા લાગી. આ કટોકટીની પરિસ્થિતિને કારણે, શૂટિંગ બંધ કરવું પડ્યું અને બધાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નિર્માતાઓએ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. ડોક્ટરોએ પુષ્ટિ આપી છે કે આ ફૂડ પોઇઝનિંગનો કેસ છે.

તમને જણાવી દઈએ કે, 6 જુલાઈના રોજ નિર્માતાઓ દ્વારા ‘ધુરંધર’નું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં રણવીર સિંહ ખૂબ જ શક્તિશાળી અવતારમાં જોવા મળ્યો હતો. આ સાથે, નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખની પણ જાહેરાત કરી. રણવીર સિંહ અભિનીત ‘ધુરંધર’ 5 ડિસેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રણવીર સિંહના જન્મદિવસ પર નિર્માતાઓએ ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, રણવીરની ફિલ્મ બોક્સ ઓફિસ પર શાહિદ કપૂરની ફિલ્મ સાથે સ્પર્ધામાં ઉતરવાની છે. ‘ધુરંધર’ ની સાથે, વિશાલ ભારદ્વાજની શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ પણ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને પ્રભાસની ‘ધ રાજા સાબ’ 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે, જોકે એવી ચર્ચા છે કે ‘ધ રાજા સાબ’ ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી શકે છે.

અમેરિકાના કેલિફોર્નિયા ખાતે G.S.F.C દ્વારા ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

અમેરિકા: ‘ગુજરાતી સિનિયર ફ્રેન્ડ સર્કલ’ (GSFC) ઑફ લોસ એન્જલસ દ્વારા ભારતના ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી બૃહદ લોસ એન્જલસ વિસ્તારના ડિઝનીલેન્ડ ફેઇમ એનાહેમ શહેરમાં કરવામાં આવી. અહીં આવેલા પ્રસિદ્ધ ‘ગાયત્રી ચેતના સેન્ટર’ ખાતે ૧૫મી ઑગસ્ટના રોજ સવારે ૧૦ વાગે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગાયત્રી ચેતના સેન્ટર, એનાહેમના અગ્રણીઓ એવા કૌશિકભાઈ પટેલ, રાજુભાઇ પટેલ, મહેશભાઈ ભટ્ટ તથા ભાનુભાઈ પંડ્યાએ સામૂહિક રીતે ધ્વજવંદન કર્યું હતું. ત્યાર બાદ સૌએ સામૂહિક રાષ્ટ્રગાન ગાયું હતું અને વંદે માતરમ્, જયહિંદના નારા ગૂંજી ઊઠ્યા હતા. સેન્ટરના સભાગૃહમાં નિકીબેન ભટ્ટએ પોતાના સુંદર સ્વરમાં રાષ્ટ્રગીતો ગાયા હતા. તેમજ ગોવિંદભાઈ પટેલ ( કવિ જેસરવાકર )એ પ્રસંગને અનુરૂપ પોતાની રચના રજૂ કરી હતી.

આ જ દિવસે ગાયત્રી મંદિરના વ્યવસ્થાપક તથા G.S.F.C ના કારોબારી સભ્ય ભાનુભાઈ પંડ્યાનો જન્મદિવસ હતો. આથી G.S.F.C.ના સૌ સભ્યો તરફથી તેમને કાન્તિભાઈ મિસ્ત્રી દ્વારા રચિત સુંદર બર્થડે કાર્ડ અર્પણ કર્યું હતું. કેક કાપીને ભાનુભાઈ પંડ્યાને અર્પણ કરવામાં આવી હતી. જગદીશભાઈ પટેલ, રાજુભાઇ પટેલ, મહેશભાઈ ભટ્ટ તથા કૌશિકભાઈ પટેલ દ્વારા પ્રસંગોતપાત પ્રવચનો કરવામાં આવ્યાં હતાં. અંતમાં દુષ્યંતભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની તૈયારીમાં G.S.F.C.ના  અગ્રણી ચંદ્રીકાબેન, તારાબેન, ભારતીબેન, ગીતાબેન જે, ગીતાબેન ડી, રાજેશ્રીબેન અને મંદીરના સૌ બહેનો એ રસોઈ બનાવવામાં મહત્તમ સાથ આપ્યો હતો જેનો સ્વાદ માણી હાજર સૌ ગરમાગરમ ભોજનને ન્યાય આપી વિસર્જિત થયા હતા.

(માહિતી: ગુણવંતભાઈ પટેલ, કેલિફોર્નિયા)

(તસ્વીરો: કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

ગુજરાતમાં આજથી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે ગુજરાતમાં આજથી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 23 ઓગસ્ટ સુધી રાજ્યના 25 થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના ગીર, તાલાલા, અમરેલી, ખાંભા ગીર, જૂનાગઢ, વંથલી, સાવરકુંડલા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને પાટણના સિદ્ધપુર, અરવલ્લીના મેઘરાજ અને અન્ય વિસ્તારોમાં વરસાદ પ્રવેશ્યો છે. કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. વરસાદને કારણે મગફળી અને કપાસ સહિતના પાકોને જીવનનો આધાર મળ્યો છે. વરસાદને કારણે નદીઓમાં નવા પાણી પ્રવેશ્યા છે. વરસાદે વિરામ લીધા બાદ તોફાની પવન ફૂંકાયો હતો, જ્યારે વરસાદ બાદ વાતાવરણ ઠંડકભર્યું બન્યું હતું.

હવામાન વિભાગ મુજબ, આજે સોમવારે 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

સામાન તોળ્યા પછી જ રેલવે સ્ટેશનમાં મળશે પ્રવેશ

નવી દિલ્હીઃ ભારતીય રેલવે હવે એરલાઇન કંપનીઓની જેમ માલસામાનના નિયમો લાગુ કરશે. રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ પગલું ભરશે. પ્રસ્તાવિત નિયમો અનુસાર મુસાફરોને મુખ્ય રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક મશીનોથી પોતાનો માલસામાન તોળવો પડશે. હવે મુસાફરો નક્કી મર્યાદાથી વધારે સામાન લઈને ટ્રેનમાં મુસાફરી કરી શકશે નહીં. જો કોઈ મુસાફર મર્યાદાથી વધારે માલસામાન સાથે મુસાફરી કરે છે તો તેને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. રેલવેના આ નિયમથી ઓછા સામાન સાથે મુસાફરી કરતા મુસાફરોને સુવિધા થશે, જ્યારે વારંવાર વધારે સામાન લઈને મુસાફરી કરતા લોકોને મુશ્કેલી પડશે.

અલગ-અલગ ક્લાસ માટે અલગ મર્યાદા

ભારતીય રેલવેના નિયમો અનુસાર ટ્રેનોના અલગ-અલગ વર્ગ માટે માલસામાનની ક્ષમતા અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. ફર્સ્ટ ક્લાસ એસીમાં એક સીટ સાથે મહત્તમ 70 કિલો, સેકન્ડ ક્લાસ એસીમાં મહત્તમ 50 કિલો અને થર્ડ ક્લાસ તથા સ્લીપર ક્લાસમાં મહત્તમ 40 કિલો સામાન લઈને જ મુસાફરી કરી શકાય છે. આ સિવાય જનરલ ક્લાસના મુસાફરોને 35 કિલો સુધી માલસામાન લઈ જવાની જ મંજૂરી છે. નિયમો મુજબ ટ્રેનમાં વધારે જગ્યા લેતા મોટા સાઇઝના બેગ પર પણ દંડ લગાવી શકાય છે, ભલે તેમનું વજન કેટલું પણ હોય.

આ સ્ટેશનો પરથી શરૂ થશે નવો નિયમ

ઉત્તર મધ્ય રેલવે હેઠળ આવતા પ્રયાગરાજ વિભાગના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (DCM) હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ ખાસ કરીને લાંબા અંતરની રૂટ પર મુસાફરોને વધુ કાર્યક્ષમ અને આરામદાયક મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરવાનો છે. શરૂઆતમાં તેની અમલ ઉત્તર મધ્ય રેલવેનાં મુખ્ય સ્ટેશનો જેવાં કે – પ્રયાગરાજ જંક્શન, પ્રયાગરાજ છિવકી, સુબેદારગંજ, કાનપુર સેન્ટ્રલ, મિર્જાપુર, ટુંડલા, અલીગઢ જંક્શન, ગોવિંદપુરી અને ઇટાવાથી થશે. શુક્લાએ જણાવ્યું કે આ સ્ટેશનો પર મુસાફરોના માલસામાનનું વજન કરવામાં આવશે અને નક્કી મર્યાદાની અંદર હશે ત્યારે જ તેમને સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે.