Home Blog Page 678

નકલી મતદારોના ‘બૂસ્ટર ડોઝ’થી જીત્યા હતા PM મોદીઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં નકલી મતદારોના બુસ્ટર ડોઝથી જીત્યા હતા. ભાજપે છ લોકસભા વિસ્તારોની મતદાર યાદીઓના આંકડા રજૂ કરીને સાબિત કરી દીધું કે તેની અને ચૂંટણી પંચની સાઠગાંઠ છે, એમ કોંગ્રેસ કહે છે. કોંગ્રેસ પાર્ટીના મિડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાએ એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે રાહુલ ગાંધી વોટ ચોરીનો ખુલાસો કરે છે તે પછી થોડા જ સમય બાદ ચૂંટણી પંચે નોટિસ આપીને સોગંદનામું માગ્યું, પરંતુ ભાજપના નેતા અનુરાગ ઠાકુરના પ્રેસ કોન્ફરન્સને 24 કલાક વીતી ગયા હોવા છતાં તેમને નોટિસ કેમ ન આપી?

શું હવે 2024ની લોકસભા ચૂંટણી રદ ન થવી જોઈએ?

પવન ખેડાએ વધુમાં કહ્યું હતું કે નકલી મતદાર યાદીની વાત સાબિત થઈ ગયા પછી શું હવે 2024ની લોકસભા ચૂંટણી રદ ન થવી જોઈએ? ભાજપે બુધવારે રાયબરેલી, વાયનાડ, ડાયમન્ડ હાર્બર અને કન્નૌજ લોકસભા સીટ પર મતદાર નોંધણીમાં ગેરરીતિઓના આક્ષેપ લગાવ્યા હતા અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, અભિષેક બેનર્જી અને અખિલેશ યાદવને લોકસભાની સભ્યપદેથી રાજીનામું આપવા માગ કરી હતી.

ખેડાએ કહ્યું હતું કે સાત ઓગસ્ટે સૌએ જોયું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરીનું સત્ય બહાર લાવ્યા. આ ખુલાસાથી ભાજપના લોકો છ દિવસ સુધી આઘાતમાં રહ્યા, પછી અનુરાગ ઠાકુરને પ્રેસ કરવા મોકલ્યા, પરંતુ તેમના આ પગલાથી ચૂંટણી પંચની ભૂમિકા વધુ ગંભીર બની ગઈ છે. તેમણે કહ્યું હતું કે ભાજપે પોતાના છ લોકસભા વિસ્તારોના આંકડા આપ્યા અને આ ક્ષેત્રોમાં નકલી મતદારો છે અને મતદાર યાદીમાં ગડબડ છે, તે સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.

પવન ખેડાએ સવાલ કર્યો હતો કે તેમને આ આંકડા એટલા ઝડપથી કેવી રીતે મળી ગયા અને જ્યારે ચૂંટણી પંચ પાસે ઇલેક્ટ્રોનિક મતદાર યાદી છે, ત્યારે તે યાદી કોંગ્રેસને કેમ આપવામાં આવતી નથી? પવન ખેડાએ દાવો કર્યો, “આથી સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ પાસે ઇલેક્ટ્રોનિક મતદાર યાદી છે, પરંતુ તે જનતા અને વિપક્ષને આપવી નથી ઇચ્છતું.

ઓપરેશન સિંદૂરના સૈનિકો માટે મોટું સન્માન, વીર ચક્રથી સન્માનિત કરાશે

ભારત સરકાર ઓપરેશન સિંદૂરનો ભાગ રહેલા બહાદુર સૈનિકોને મોટું સન્માન આપવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, સરકાર ભારતીય વાયુસેનાના 9 અધિકારીઓને વીર ચક્ર એનાયત કરશે. આ બહાદુર સૈનિકોએ મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યું હતું. તમને જણાવી દઈએ કે વીર ચક્ર એ ભારતમાં ત્રીજો સૌથી મોટો લશ્કરી પુરસ્કાર છે. તે જમીન, પાણી કે આકાશમાં દુશ્મન સામે અસાધારણ પ્રતિભા દર્શાવવા બદલ આપવામાં આવે છે.

અગાઉ, ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ડઝનબંધ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ દરમિયાન, ભારતીય વાયુસેનાના આ અધિકારીઓએ આતંકવાદીઓના ગઢ ગણાતા મુરીદકે અને બહાવલપુર જેવા આતંકવાદી મુખ્યાલયોનો પણ નાશ કર્યો હતો. હવે સરકારે નવ લોકોને વીર ચક્ર એનાયત કર્યા છે જેમાં ફાઇટર પાઇલટ્સનો પણ સમાવેશ થાય છે જેઓ આ ઓપરેશનનો ભાગ હતા – ભારતીય વાયુસેનાએ આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા છ પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યા છે.

ગૂગલ ક્રોમ ખરીદવા માટે 34.5 અબજ ડોલરની ઓફર

નવી દિલ્હીઃ હાલના દિવસોમાં પરપ્લેક્સિટી અને ગૂગલ ક્રોમ ભારે ચર્ચા છે અને તેનું મુખ્ય કારણ છે  પરપ્લેક્સિટી AI દ્વારા ગૂગલના ક્રોમ બ્રાઉઝરને ખરીદવા માટે 34.5 અબજ ડોલર (લગભગ ₹3.02 લાખ કરોડ)નો  આપેલો પ્રસ્તાવ છે. જ્યારથી પરપ્લેક્સિટી (Perplexity) AIના CEO અરવિંદ શ્રીનિવાસે ગૂગલ ક્રોમ ખરીદવામાં રસ દર્શાવ્યો છે, ત્યારથી તેઓ ટેક જગતમાં ચર્ચામાં છે. પરપ્લેક્સિટી AIની આ ઓફર ચોંકાવનારી છે, કારણ કે કંપનીની પોતાની વેલ્યુએશન માત્ર 14 અબજ ડોલર છે અને ક્રોમ તો ગૂગલની સૌથી મહત્વની પ્રોડક્ટ્સમાંની એક છે. માત્ર ત્રણ વર્ષ જૂની AI કંપની દ્વારા આ પ્રકારની ખરીદીની ઓફરે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

 

પરપ્લેક્સિટી AIનું વેલ્યુએશન ગૂગલ કરતાં ઓછું

અહેવાલ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ પરપ્લેક્સિટીએ ગૂગલના લોકપ્રિય બ્રાઉઝર ગૂગલ ક્રોમ ખરીદવા માટે 34.5 અબ ડોલર (લગભગ રૂ. 3 લાખ કરોડ)ની ઓફર આપી છે. રસપ્રદ વાત એ છે કે કંપનીની પોતાની વેલ્યુએશન આશરે 18 અબજ ડોલર આંકી છે, એટલે કે કંપનીએ પોતાની કિંમત કરતાં બમણાથી વધુ ઓફર કરી છે. જ્યારે પરપ્લેક્સિટીને પૂછવામાં આવ્યું કે તમારું વેલ્યુએશન તો ઓછું છે, ત્યારે કંપનીએ જણાવ્યું કે મોટા રોકાણકારો આ ડીલ પૂર્ણ કરવામાં મદદ કરશે.

હવે સવાલ એ છે કે ગૂગલને શું મજબૂરી છે કે ક્રોમ વેચવું પડે? અહેવાલ પ્રમાણે અમેરિકામાં ગૂગલ સામે ચાલી રહેલી એન્ટી-ટ્રસ્ટ કાર્યવાહીને કારણે ગૂગલ પોતાનું વેબ બ્રાઉઝર Chromeને વેચવા માટે મજબૂર થાય એવી શક્યતા છે.

નાગને દેવતા માનીને પાંચમે કરવામાં આવે છે વિશિષ્ટ પૂજન

અમદાવાદ: ચોમાસું શરૂ થતાં જ તહેવારો ઉત્સવો ઉજવાય અને મેળા ભરાય. એમાંય હિંદુ ધર્મ દરેક જીવમાં કુદરતની અનુભુતિ કરે છે. जीवो जीवस्य जीवनम्… દરેક જીવ બીજા જીવ પર આધારિત છે. એ બાબતમાં સનાતન ધર્મ અને સાયન્સ એકદમ નજીક છે. નાગ પાંચમે જીવની પૂજા થાય. શ્રાવણ વદ પાંચમને દિવસે મોટાભાગના પરિવારોના ઘરમાં નાગ પાંચમીની પૂજા થાય. કેટલાક પ્રાંત અને સમાજમાં મોટી ઉજવણીઓ થાય‌.ધર્મ, પ્રાંત, સંપ્રદાય, પરંપરાથી વસેલા ભારત દેશમાં અનેક જીવો પૂજાય છે. એમાંય હિંદુ ધર્મમાં કેટલાક જીવોને ભગવાનની સમકક્ષ દરજ્જો આપી પૂજવામાં આવે છે. એમનાં મંદિરો પણ બનાવવામાં આવે છે. લાખો જીવોનું કલ્યાણ થાય, સન્માન થાય અને પૂજા થાય એવી દરેક માટે પ્રાર્થના પણ હિંદુ ધર્મમાં કરવામાં આવે છે. પૃથ્વી પરના જીવ નાગનું પૂજન નાગપાંચમીના દિવસે કરવામાં આવે છે. પુરાણોમાં, દંત કથાઓમાં અને વિવિધ પ્રાંતોમાં નાગના મહત્વનો ઉલ્લેખ સદીઓથી કરવામાં આવ્યો છે. નાગને દેવતા રૂપે રજૂ કરી એના મંદિરો બનાવી પૂજા અર્ચના પણ કરતો ભારતમાં એક મોટો વર્ગ છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ દેશના મોટા ભાગના ખેડૂત સાપ અને નાગને સકારાત્મક દ્રષ્ટિએ જૂએ છે. સંસ્કૃતિ અને આસ્થાને કારણે ઘણાં પ્રાંતના લોકો નાગનું પૂજન કરે છે.આ વર્ષે શ્રાવણ માસના બુધવારે નાગ પંચમી હોવાથી નાગ દેવતા સ્થાપિત હોય એ મંદિરોમાં શ્રધ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. શહેરના શાહીબાગ વિસ્તારમાં સાબરમતી નદીના તટ પર આવેલા નાગ દેવતાના મંદિરના પ્રાંગણમાં તેમજ શહેર ગામના નાના મોટા મંદિરોમાં નાગ પાંચમીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.સાણંદ પાસે કાણેટી ગામમાં નાગ દેવતાનું અલાયદું મંદિર છે. વિરમગામ પાસે વિરોચનનગરમાં પણ ખેતિયા નાગરાજનું મંદિર છે. આ સાથે નાગરાજાની સ્થાપના થઈ હોય અને એની પૂજા કરી ઉત્સવ થતાં હોય એવા ઘણાં મંદિરોનું નિર્માણ થયું છે. શ્રાવણની નાગ પંચમીના દિવસે ગુજરાતમાં કેટલાક શ્રધ્ધાળુઓ નાગ દેવતા સમક્ષ દુધની સાથે નાળિયેર તેમજ બાજરીના લોટની કુલેરને પ્રસાદ રૂપે ધરાવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

રેણુકાસ્વામી મર્ડર કેસ મામલે પોલીસે પવિત્રાની તેના ઘરેથી ધરપકડ કરી

ગુરુવારે સુપ્રીમ કોર્ટે રેણુકાસ્વામી હત્યા કેસમાં અભિનેતા દર્શનના જામીન રદ કરી દીધા છે. આ જ હત્યા કેસમાં અન્ય એક આરોપી અભિનેત્રી પવિત્રા ગૌડાના જામીન પણ રદ કરવામાં આવ્યા છે. આ પછી પોલીસે અભિનેત્રીની તેના ઘરેથી ધરપકડ કરી છે.

પીટીઆઈ અનુસાર, રેણુકાસ્વામી હત્યા કેસના તમામ આરોપીઓના જામીન રદ થયાના સમાચાર મળતા જ એક ટીમ પવિત્રા ગૌડાના ઘરે પહોંચી હતી. અભિનેત્રીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. કન્નડ અભિનેતા દર્શનની હજુ સુધી પોલીસે ધરપકડ કરી નથી, પરંતુ ગુરુવારે તે કર્ણાટક-તમિલનાડુ સરહદ પર પુંજાનુર ચેકપોસ્ટ પર તેની કારમાં જોવા મળ્યો હતો.

રેણુકાસ્વામી હત્યા કેસનો સમગ્ર મામલો શું છે

દક્ષિણ અભિનેતા દર્શન પર તેના એક ચાહક રેણુકાસ્વામીની હત્યાનો આરોપ છે. આ હત્યામાં બીજી આરોપી પવિત્રા ગૌડા છે. કેટલાક અન્ય લોકો પણ આરોપી છે. વાસ્તવમાં, રેણુકાસ્વામી નામનો એક ચાહક પવિત્રાને અશ્લીલ સંદેશા મોકલતો હતો. દર્શન આ વાતથી ગુસ્સે હતો. પવિત્રા દર્શનની ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં દર્શન પર આરોપ છે કે તેણે કેટલાક લોકો સાથે મળીને રેણુકાસ્વામીનું અપહરણ કર્યું, પછી તેને ત્રાસ આપ્યો અને પછી તેની હત્યા કરી. આ મામલો હવે કોર્ટમાં છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું, 15થી વધુનાં મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મચ્છૈલ માતા યાત્રાના માર્ગે પડ્ડેર સબ-ડિવિઝનના ચિશોતી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. વાદળ ફાટતાં ચિશોતી ગામમાં અચાનક પૂર આવી ગયું હતું. અનેક લોકો વહી ગયા હોવાની પણ માહિતી મળી છે. વાદળ ફાટવાથી 15 કરતાં વધુ લોકોનાં મોત થયાં છે. ડીસી કિશ્તવાડે 12-15 લોકોના મોતની પુષ્ટિ કરી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધે એવી શક્યતા છે.

. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ચિશોતી વિસ્તારમાં વાદળ ફાટ્યું છે, જેને કારણે મોટા પાયે નુકસાન થવાની આશંકા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રશાસન તાત્કાલિક કાર્યવાહી માટે લાગી ગયું છે, બચાવ દળોને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાને આ મામલે કિશ્તવાડના ડીસી પંકજકુમાર શર્મા સાથે વાત કરી છે. તેમણે સ્થાનિક વિધાનસભ્ય અને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલકુમાર શર્મા સાથે પણ વાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષના નેતા અને પડ્ડેર-નાગસેનીના વિધાનસભ્ય સુનીલકુમાર શર્માએ જણાવ્યું હતું કે અમારિ પાસે હજી સુધી કોઈ સંખ્યા અથવા ડેટા નથી, પરંતુ ત્યાં ભારે નુકસાન થવાની શક્યતા છે. યાત્રા ચાલુ હોવાને કારણે આ વિસ્તાર ભીડભાડવાળો છે. હું ઉપરાજ્યપાલ સાથે વાત કરીશ અને બચાવ કાર્યો માટે NDRF ટીમની માગ કરીશ.

હવામાન વિભાગની ચેતવણી

બીજી તરફ શ્રીનગર હવામાન કેન્દ્રએ જણાવ્યું છે કે આગામી 4-6 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અને જોરદાર પવન સાથે હળવા તીવ્ર ઝાપટાં પડવાની શક્યતા છે.

કુપવાડા, બારામૂલા, બંદીપોરા, શ્રીનગર, ગાન્ડરબલના કેટલાક વિસ્તારોમાં, બડગામ, પુન્ચ, રાજૌરી, રિયાસી, ઉધમપુર, ડોડા, કિશ્તવાડના પહાડી વિસ્તારોમાં અને કાજીગુન્ડ-બનિહાલ-રામબન માર્ગ પર થોડા સમય માટે ભારે વરસાદ થવાની શક્યતા છે.

મુંબઈ: આઈએનટી દ્વારા મુશાયરાનું આયોજન, કલાપી અને શયદા એવૉર્ડની જાહેરાત

મુંબઈમાં ભારતીય વિદ્યાભવન ચોપાટી ખાતે આઈએનટી દ્વારા મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ કલાપી અને શયદા એવોર્ડની જાહેરાત પણ કરવામાં આવી છે.

કવિ યોગેશ જોષી અને હર્ષવી પટેલ

છેલ્લા ૭૬ વર્ષથી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ૬૬ વર્ષથી પારંપરિક મુશાયરા પ્રવૃત્તિને જીવંત રાખવામાં ઈન્ડિયન નેશનલ થિયેટરનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. ગઝલ-સાહિત્યને પ્રોત્સાહન આપવા પ્રત્યેક વરસે શાયરને એવૉર્ડ આપી બિરદાવવાની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી.

આઈએનટી આદિત્ય બિરલા સેન્ટર ફૉર પરફૉર્મિંગ આર્ટ્સ દ્વારા વર્ષ ૨૦૨૫ માટે કાવ્યપ્રતિભા અને કાવ્યપ્રદાનને ધ્યાનમાં લઈને અપાતો કલાપી એવૉર્ડ કવિ યોગેશ જોષી તથા યુવા શાયરો માટેનો શયદા એવૉર્ડ હર્ષવી પટેલને જાહેર કરવામાં આવે છે. જ્યુરી તરીકે હર્ષ બ્રહ્મભટ્ટ, ઉદયન ઠક્કર અને હિતેન આનંદપરાએ ફરજ બજાવી છે.

પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન ૧૪ ઑગસ્ટે સાંજે ૭.3૦ કલાકે ભારતીય વિદ્યાભવન ચોપાટી ખાતે થયેલ છે. આ પ્રસંગે આયોજિત મુશાયરામાં બંને વિજેતા કવિઓની સાથે જવાહર બક્ષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ભરત વિંઝુડા, કુણાલ શાહ અને સંચાલક મુકેશ જોષી ભાગ લેશે.

 

રેણુકાસ્વામી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે અભિનેતા દર્શનના જામીન રદ કર્યા

રેણુકાસ્વામી હત્યા કેસમાં કન્નડ અભિનેતા દર્શનને મળેલા જામીન સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. આ પછી પોલીસ હવે અભિનેતાની ધરપકડ કરશે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારની જામીન રદ કરવાની અરજી પર સુનાવણી કરતી વખતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

કર્ણાટક હાઈકોર્ટ દ્વારા દર્શનને જામીન આપવામાં આવ્યા હતા. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના આદેશને રદ કરતા કહ્યું કે તેમાં ઘણી ખામીઓ છે. બેન્ચે કહ્યું,”અમે તમામ બાબતો પર વિચાર કર્યો,જામીન આપવા અને રદ કરવા પર પણ. તે સ્પષ્ટ છે કે હાઈકોર્ટના આદેશમાં ગંભીર ખામીઓ છે, તે યાંત્રિક પ્રક્રિયાને પ્રતિબિંબિત કરે છે અને વધુમાં, હાઈકોર્ટે પ્રી-ટ્રાયલમાં જ તેની તપાસ કરી હતી.” બેન્ચે વધુમાં કહ્યું કે નીચલી કોર્ટ એકમાત્ર યોગ્ય ફોરમ છે. મજબૂત આરોપો અને ફોરેન્સિક પુરાવાઓ સાથે જામીન રદ કરવાની પુષ્ટિ થાય છે. તેથી, અરજદારના જામીન રદ કરવામાં આવે છે.

કર્ણાટક સરકારે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. આ નિર્ણય કર્ણાટક સરકાર દ્વારા 13 ડિસેમ્બર, 2024 ના રોજ દર્શન અને સહ-આરોપીઓને જામીન આપવાના હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર આવ્યો હતો.

આ આખો મામલો છે

અભિનેતા દર્શન, અભિનેત્રી પવિત્રા ગૌડા અને અન્ય ઘણા લોકો પર 33 વર્ષીય રેણુકાસ્વામી નામના ચાહકનું અપહરણ અને ત્રાસ આપવાનો આરોપ છે, જેણે કથિત રીતે પવિત્રાને અશ્લીલ સંદેશા મોકલ્યા હતા. પોલીસે આરોપ લગાવ્યો હતો કે પીડિતાને જૂન 2024 માં બેંગલુરુના એક શેડમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવી હતી, ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. 24 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની અરજી પર દર્શન, પવિત્રા ગૌડા અને અન્ય લોકોને નોટિસ ફટકારી હતી.

PDAનો અર્થ પરિવાર ડેવલપમેન્ટ ઓથોરિટીઃ CM યોગી

લખનૌઃ યુપી વિધાનસભામાં 24 કલાકનું નોન સ્ટોપ સત્ર ચાલી રહ્યું છે. CM યોગી આદિત્યનાથે સભામાં ચર્ચાનો જવાબ આપ્યો હતો. CM યોગી વિકસિત યુપી-2047 ના વિઝન ડોક્યુમેન્ટ પર બોલી રહ્યા છે, ત્યાર બાદ સભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવશે. તે પહેલાં ચર્ચા દરમિયાન યોગી સરકારના પ્રધાન સંજય નિશાદની વિરોધીઓ પર કરેલી ટિપ્પણીને કારણે ભારે હોબાળો મચ્યો હતો.

અખિલેશ પર CM યોગીનો મોટો હુમલો

CM યોગીએ SPપ્રમુખ અખિલેશ યાદવ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું હતું કે PDAનો અર્થ પરિવાર ડેવલપમેન્ટ ઓથોરિટી છે.

વર્ષ 2017 સુધી યોજનાઓનો લાભ નહોતો, યુવાનોને રોજગાર નહોતો, ખેડૂતોને રાહત નહોતી અને રોકાણકારોને વિશ્વાસ નહોતો. ગુનાહિત પ્રવૃત્તિઓનું બોલબાલા હતી. સ્થળાંતરની પીડા, ગરીબી અને સારવારને અભાવે મરતાં બાળકો, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદનો કલ્ચર યુપીમાં હાવી હતો. જોકે 2017 પછી ડબલ એન્જિનની સરકારે કાનૂનનું રાજ સ્થાપ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

તમારો (સમાજવાદી પાર્ટી) પરિવાર વિકાસ પ્રાધીકરણ પણ તેનું ઉદાહરણ છે, તમે માત્ર પોતામાં જ સીમિત રહેવાનું જાણો છો. સ્વામી વિવેકાનંદે પોતાની વાર્તાઓમાં આ વિષયમાં કહ્યું હતું. સમાજવાદી પાર્ટીની હાલત કૂવામાંના દેડકા જેવી છે. દુનિયા આગળ વધી રહી છે, પરંતુ તમે માત્ર તમારા પરિવાર સુધી જ સીમિત રહેવાનું જાણો છો. અને તમે ઉત્તર પ્રદેશ સાથે પણ એવું જ કરવા માગો છો, એમ તેમણે કહ્યું હતું.

યુપી દેશની ઊર્જાનું કેન્દ્રબિંદુ

CM યોગીએ સભામાં ચર્ચાનો જવાબ આપતાં કહ્યું હતું કે યુપી દેશની ઊર્જાનું કેન્દ્રબિંદુ છે. યુપી દેશનું ગ્રોથ એન્જિન છે, યુપીના વિકાસથી દેશની પ્રગતિ થઈ છે.

શિલ્પા શેટ્ટી 60 કરોડની છેતરપિંડીના કેસમાં ફસાઈ, અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. આ વખતે તેમના પર એક ઉદ્યોગપતિ પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, એક ઉદ્યોગપતિએ શિલ્પા અને રાજની કંપનીમાં રોકાણ તરીકે લગભગ 60.48 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ આરોપ છે કે આ રકમનો ઉપયોગ વ્યવસાયમાં રોકાણ કરવાને બદલે વ્યક્તિગત ખર્ચ માટે કરવામાં આવ્યો હતો. આ કેસ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે સંબંધિત છે, જે એક ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ છે.

 

મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ઉદ્યોગપતિ દીપક કોઠારીએ જણાવ્યું હતું કે તેમણે 2015 થી 2023 દરમિયાન કંપનીના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આ રકમ આપી હતી. દીપક કોઠારી કહે છે કે તેઓ 2015માં એક એજન્ટ રાજેશ આર્ય દ્વારા શિલ્પા અને રાજના સંપર્કમાં આવ્યા હતા. તે સમયે શિલ્પા શેટ્ટી આ કંપનીની ડિરેક્ટર હતી અને તેમની પાસે 87 ટકાથી વધુ શેર હતા. દીપક કોઠારીએ દાવો કર્યો હતો કે રાજેશ આર્યએ તેમને કંપની માટે 12 ટકા વાર્ષિક વ્યાજ પર 75 કરોડ રૂપિયાની લોન ઓફર કરી હતી.

કોઠારીએ આ દાવો કર્યો

ઊંચા વ્યાજ દરને કારણે, તેમણે આ રકમ રોકાણ તરીકે આપવાનું સૂચન કર્યું. એક મીટિંગ પછી, સોદાને લીલી ઝંડી મળી ગઈ અને કોઠારીને વચન આપવામાં આવ્યું કે તેમને તેમના પૈસા સમયસર પાછા મળશે. કોઠારીએ એપ્રિલ 2015 માં લગભગ 31.95 કરોડ રૂપિયાનો પહેલો હપ્તો ટ્રાન્સફર કર્યો. આ પછી જાન્યુઆરી 2015 થી માર્ચ 2016 ની વચ્ચે તેમણે બીજા 28.54 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ રીતે કુલ 60.48 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું અને 3.19 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી તરીકે પણ ચૂકવવામાં આવ્યા.

ઘ ણી વાર પૂછવા છતાં પૈસા મળ્યા નહીં

દીપક કોઠારીનો દાવો છે કે શિલ્પા શેટ્ટીએ એપ્રિલ 2016 માં વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી. પરંતુ સપ્ટેમ્બર 2016 માં, તેણીએ કંપનીના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું. આ પછી તરત જ, કંપની સામે 1.28 કરોડ રૂપિયાનો નાદારીનો કેસ પણ પ્રકાશમાં આવ્યો, જેના વિશે કોઠારીને કોઈ જાણકારી નહોતી. વારંવાર વિનંતી કરવા છતાં પૈસા પરત ન થયા ત્યારે દીપક કોઠારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. હવે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) આ કેસની તપાસ કરી રહી છે.