Home Blog Page 723

ચોમાસામાં જંગલ અને આસપાસમાં મેક્રો ફોટોગ્રાફીની મજા

ચોમાસાની ઋતુમાં થોડા વરસાદ સાથે જ જંગલ જાણે સોળે કળાએ ખીલી ઊઠે છે. આ સમયમાં વનસ્પતિ અને વૃક્ષોની સાથે અનેક નાના-મોટા જીવજંતુઓ પણ ખુબજ સક્રિય બની જાય છે. કેટલાંક જીવજંતુઓ માટે ચોમાસુ વંશ વૃદ્ધિની ઋતુ હોય છે, જેના કારણે તેઓ મોટી સંખ્યામાં જોવા મળે છે.

વંશ વૃદ્ધિ કરતા આ કીટકો-જીવજંતુઓ વિવિધ પક્ષીઓ માટે પણ સરળતાથી આહાર ઉપલબ્ધ કરાવે છે. આવા કીટકો પર નિર્ભર પક્ષીઓ પણ આ સમયમાં માળા બનાવી તેમની વંશ વૃદ્ધિ કરે છે.

આ રીતે ચોમાસુ માત્ર વનસ્પતિ માટે જ નહીં, પણ જીવજંતુઓ, કીટકો, સરિસૃપો અને પક્ષીઓ માટે પણ ભોજનની વિશાળ ઉપલબ્ધતાના કારણે વંશવૃદ્ધિ માટે અનુકૂળ ઋતુ બની રહે છે.

ચોમાસામાં કીટક અને જીવજંતુઓના બાહુલ્યને કારણે મેક્રો ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ ઉત્તમ તકો મળી રહે છે.

ગુજરાતમાં ગીરના જંગલોમાં વૃક્ષો પર નિર્ભર જીવજંતુઓ અને વેળાવદરના બ્લેકબક નેશનલ પાર્કમાં ઘાસ પર નિર્ભર કીટકોની મેક્રો ફોટોગ્રાફી એક અલગ અનુભવની સાથે અનોખી મજા આપે છે.

 

કબીરવાણી: શાશ્વત સુખશાંતિ પામવા શું કરવું?

 

વિષય ત્યાગ વૈરાગ હૈ, સમતા કહીયે જ્ઞાન,

સુખદાયી સબ જીવ સોં, યહી ભક્તિ પરમાણ.

 

પાંચ ઇન્દ્રિયોમાં અલગ અલગ પ્રકારની આસકિત છે. સ્વાદ, ગંધ, સ્પર્શ, શ્રવણ અદૃશ્ય દ્વારા આસક્તિ પાંગરે છે. વૈરાગ્ય અને જ્ઞાનની વ્યાખ્યા કરતા કબીરજી કહે છે કે, વિષયોનો ત્યાગ કરીએ તો જ વૈરાગ્ય થાય. “નિરાહારી દેહીના વિષયો ટળે છતાં, રસ રહી જતો તેમાં, જે ટળે દેખતા પરં.” આ ગીતા- વાક્ય સાર્થક છે.

વૈરાગ્ય સ્મશાનમાં થતી ગ્લાનિમાંથી ક્ષણિકરૂપે થયો હોય અને સમજણથી દૃઢપણે અનાસકત થયેલ વ્યક્તિમાં ફેર છે. તે જ રીતે જ્ઞાન એ શબ્દો કે પોથીઓમાં નથી. જ્ઞાન તો મનની સમતા છે. જે સંસારમાં સાર નથી જોતાં તે સાક્ષીભાવે કર્તવ્ય બજાવી તેનું ફળ કૃષ્ણાર્પણ કરી બંધનમુક્ત રહે છે.

આવી વ્યક્તિ દરેક માટે સુખદાયી હોય તો તે ભક્તિનું સાચું પ્રમાણ જાણવું. ‘વિષય તજો – પ્રભુને ભજો’ એ સૂત્ર અપનાવે છે તે સાચો ભક્ત છે. પહેલા સાચું સમજો પછી ભાવથી ભજો તો જ મુક્તિ છે. વૈશ્વિકીકરણમાં સ્પર્ધાનું, સંપત્તિનું અને સત્તાનું મહત્ત્વ છે પણ હવે એવો સમય આવ્યો છે કે, એકબીજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થઈએ તો શાશ્વત સુખશાંતિ પામીશું.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

પંચાંગ 31/07/2025

માઉન્ટ એવરેસ્ટ ચડવો હોય તો? જાણો આખી પ્રક્રિયા અહીં

દુનિયાભરથી હજારો લોકો માઉન્ટ એવરેસ્ટ ચડવાનું સપનું સેવતા હોય છે. પરંતુ તેને હકિકતમાં કેટલાક લોકો જ પૂર્ણ કરી શકે છે. કારણ, માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટે જેટલી માનસિક અને શારિરિક શક્તિ મજબુત હોવી જોઈએ તેટલી જ નાણકિય શક્તિની પણ જરૂર પડે છે. શું તમને ખબર છે કે એવરેસ્ટ ચડવા માટે શું શું કરવું પડે? 1 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ ( National Mountain Climbing Day) ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ પર જાણીએ માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટેની સમગ્ર પ્રક્રિયા વિશે.

માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે, જેની ઊંચાઈ 8848.6 મીટર છે. આ પર્વત હિમાલયનો એક ભાગ છે. વૈજ્ઞાનિકો માને છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે 2 સેમી વધી રહી છે. આ પર્વત સૌપ્રથમ એડમ હિલેરી અને તેનઝિંગ નોર્ગે દ્વારા ચડવામાં આવ્યો હતો. ત્યારથી લગભગ 9,000 લોકો આ પર્વત પર ચઢી ચૂક્યા છે. જો તમે પણ માઉન્ટ એવરેસ્ટ ચડવા માંગતા હોય તો પહેલા આ સમગ્ર પ્રકિયા વિશે જાણી લો.

પર્વતારોહણ પહેલાં આ તૈયારીઓ કરો

સૌ પ્રથમ, દૃઢ નિશ્ચય કરો. શરીરને પર્વતારોહણ માટે તૈયાર કરો. સહનશક્તિ અને સુગમતા વધારવા માટે કસરત કરો અને સાથે સાથે આહાર પણ એટલું જ ધ્યાન આપો. માનસિક સ્થિતિને મજબૂત બનાવવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરવો જોઈએ. યોગ્ય માહિતી મેળવવી પણ અનિવાર્ય છે. તેમજ ચઢાઈ માટે યોગ્ય વાતાવરણની રાહ જોવી પડે છે. ધીરજ અને ધૈર્ય રાખવું પણ જરૂરી છે.

યોગ્ય સમય

સમાન્ય રીતે લોકો મે મહિનામાં પર્વત પર ચડવાનું નક્કી કરતા હોય છે. સામાન્ય રીતે 15 મે પછી. ચોમાસા પહેલા જવું વધુ હિતાવહ હોય છે. વરસાદના સમયમાં પર્વતારોહકો એવરેસ્ટ પ્રદેશમાં જવાનું ટાળે છે. કારણ કે આ સમયે તે સ્થળ લપસણું અને ખતરનાક બની જાય છે. જ્યાં સુધી હવામાન યોગ્ય ન હોય, ત્યાં સુધી એવરેસ્ટ પર ચડવું શક્ય નથી.

પરવાનગી મેળવવી

માઉન્ટ એવરેસ્ટ નેપાળ અને તિબેટ સરહદ વચ્ચે આવેલું છે. પર્વત ચડવા માટે નેપાલ સરકાની પરવાનગી મેળવવી પડે છે. પહેલાની સરખામણીમાં હવે મંજૂરી મેળવવા થોડી અઘરી છે. નેપાળ સરકારે આ જ વર્ષે એક નવો કાનૂન બનાવ્યો છે. નવા કાનૂન પ્રમાણે એ જ લોકોને પર્વત ચડવાની પરવાનગી મળે જેમણે ઓછામાં ઓછા 7000 મીટરનો કોઈ પર્વત સફળતાપૂર્વક ચઢ્યો હોય. પર્વતારોહકે 7000 મીટરથી ઉપર ચઢાણનું પ્રમાણપત્ર આપવું અનિવાર્ય છે. આ સાથે જ પર્વતારોહકે ચઢાણના એક મહિનાની અંદર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત તબીબી સંસ્થા દ્વારા જારી કરાયેલ તબીબી ફિટનેસ પ્રમાણપત્ર પણ પ્રદાન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતાં લોકોને પરવાનગી મળી શકતી નથી. આ ઉપરાંત પર્વત પર મૃતદેહોને દૂર કરવા માટે વીમા યોજનાની જોગવાઈ પણ છે.

જરૂરી વસ્તુઓ

એવરેસ્ટ પર ચડવા માટે ઓક્સિજન સિલિન્ડર, તંબુ, પર્વતારોહણના બૂટ, દોરડા અને ગરમ કપડાં જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો જરૂરી છે. આ તમામ વસ્તુઓ ખર્ચાળ હોય છે. ફક્ત ઓક્સિજન સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર 500 થી 1,000 ડોલર હોય છે અને એક ચઢાણ માટે 5-6 સિલિન્ડરની જરૂર પડી શકે છે.

એવરેસ્ટની યાત્રા ક્યાંથી શરૂ થાય?

અહીં પહોંચવા માટે ઘણા રસ્તાઓ છે, પરંતુ મોટાભાગના પર્વતારોહકો બે રસ્તા પસંદ કરે છે. નેપાળમાં આવેલો દક્ષિણ માર્ગ અને તિબેટનો ઉત્તર માર્ગ. મોટાભાગની ટ્રેકિંગ કંપનીઓ નેપાળમાં સ્થિત છે. કારણ કે તિબેટમાં ચઢાણ ખૂબ મોંઘું છે. દક્ષિણ માર્ગ પર ચઢાણ કરતા લોકો નેપાળની રાજધાની કાઠમંડુથી થઈ લુકલા ગામ પહોંચે છે અને ત્યાંથી પ્રવાસીઓ બેઝ કેમ્પ માટેની યાત્રા માટે ચાલવાનું શરૂ કરે છે.

કેટલો સમય લાગે છે?

માઉન્ટ એવરેસ્ટ પર ચડવામાં લગભગ બે મહિના લાગે છે. શેરપા ગાઇડ પણ પર્વતારોહકો સાથે હોય છે. આ લોકો લગભગ બે અઠવાડિયા પગપાળા એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી જાય છે, જે લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. બેઝ કેમ્પ સુધી ટ્રેકિંગ કરવામાં લગભગ 7-12 દિવસ લાગે છે. એવરેસ્ટ પર ચડવું એક લાંબી પ્રક્રિયા છે અને વાતાવરણને અનુકૂલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે પર્વતારોહકો બેઝ કેમ્પ અને તેની ઉપરના કેમ્પમાં 2-3 અઠવાડિયા વિતાવે છે. આખરી ચઢાણમાં લગભગ 8 થી 18 કલાક લાગી શકે છે. શિખરથી બેઝ કેમ્પ સુધી પાછા ફરવામાં 2-3 દિવસ લાગી શકે છે. તેમજ પર્વતારોહકની શક્તિ પર નિર્ભર કરે છે.

કેટલો ખર્ચ?

માત્ર જુસ્સાથી કંઈ નીવડતું નથી. પર્વત ચડવા માટે આર્થિક રીતે મજબુત હોવું પણ જરૂરી છે. માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવા પર્વતારોહકે 25 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. મોંઘવારી પ્રમાણે આ આંકડો વધી શકે છે. નેપાળ અથવા તિબેટ સરકાર તરફથી ચઢાણ પરમિટ, બોટલબંધ ઓક્સિજન અને ઊંચાઈવાળા ગિયર માટે 9,04,568 રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે. આમાં તંબુ, સ્લીપિંગ બેગ અને બૂટનો સમાવેશ થાય છે.

પૈસા ઉપરાંત માઉન્ટ એવરેસ્ટ ચઢવામાં ઘણા જોખમો છે. હવામાનની અનિશ્ચિતતા, હિમપ્રપાત, ઓક્સિજનનો અભાવ અને ઊંચાઈ સંબંધિત બીમારીઓ (જેમ કે તીવ્ર પર્વતીય બીમારી) જીવલેણ બની શકે છે. દર વર્ષે સેંકડો લોકો આ શિખર પર ચઢવાનો પ્રયાસ કરે છે પરંતુ ફક્ત 50-60 ટકા લોકો જ સફળ થાય છે. 1922થી આ ચઢાણમાં 300 થી વધુ પર્વતારોહકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમેરિકા ભારત પર 25% ટેરિફ લાદશે, ટ્રમ્પની મોટી જાહેરાત

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સોદો થયો છે, પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લાદ્યો છે. ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે આ 1 ઓગસ્ટથી ભારત પર લાગુ થશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. હવે ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે માહિતી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ભારત અમારો મિત્ર છે, પરંતુ અમે છેલ્લા ઘણા વર્ષોમાં ભારત સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. જે અમેરિકાને વેપાર વધારવાથી રોકે છે.

જો ટ્રમ્પનું માનવું હોય તો, ભારત સતત રશિયા પાસેથી લશ્કરી સાધનો ખરીદી રહ્યું છે, જે યોગ્ય નથી. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રશિયા યુક્રેન પર હુમલો કરવાનું બંધ કરે, પરંતુ ભારત સતત રશિયા સાથે વેપાર વધારી રહ્યું છે, જે યોગ્ય પગલું નથી. તેથી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, અને આ 1 ઓગસ્ટથી અમલમાં આવશે.

નોંધનીય છે કે આ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, ભારતની અમેરિકામાં નિકાસ 22.8 ટકા વધીને $25.51 બિલિયન થઈ છે, જ્યારે આયાત 11.68 ટકા વધીને $12.86 બિલિયન થઈ છે.

“AI ડ્રીવન એજ્યુકેશન: એજ્યુકેટ, એમ્પાવર, એલિવેટ એન્ડ એમ્પ્લોય” વિષય પર કોન્કલેવ

અમદાવાદ: ગણપત યુનિવર્સિટીએ એક દિવસના નેશનલ એજ્યુકેશન કોન્કલેવનું આયોજન કર્યું હતું. આ કોન્કલેવની થીમ, “AI ડ્રીવન એજ્યુકેશન: એજ્યુકેટ, એમ્પાવર,એલિવેટ એન એમ્પ્લોય.” આ કોન્કલેવનું આયોજન AMA ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી 300 જેટલાં જિજ્ઞાસુ અભ્યાસીઓએ ઉપસ્થિત રહ્યા હતા.ગણપત યુનિવર્સિટીના ગ્રુપ ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્મા, ગુજરાત Ph.D. CCIના ડૉ. નાસીર જમાલ, ‘પેજ’ના ડિરેક્ટર અને હેડ અમીતાવ સાહા, સાસ ઇન્ડિયાના હેડ શુભમ ચેટરજી, Ph.D. CCIના ચેરમેન હિમાંશુ શાહ, ‘AEM’ના એડિશનલ ડાયરેક્ટર જીતેન્દ્ર ડી પંચાલ, ‘GSPMA’ના પ્રેસિડેન્ટ અનિશ પટેલ અને A.M.A.ના પ્રેસિડેન્ટ ડૉ. (CA) સાવન ગોડિયાવાલા સહિત અનેક નિષ્ણાત મહાનુભાવોએ AI આધારિત ભાવિ શિક્ષણના વિવિધ પાસાઓ વિશે ચર્ચા-વિચારણા કરી હતી.

પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ” ટેકનોલોજીનો કોઈ વિકલ્પ નથી, પરંતુ એ આપણું ભવિષ્ય છે! AI દ્વારા વૈશ્વિક શિક્ષણમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે! ટીચિંગ અને લર્નિંગની પ્રક્રિયામાં ક્રાંતિકારી પરિવર્તનો આવી રહ્યા છે. સાથે જ એમ્પ્લોયમેન્ટ અને ઇનોવેશન માટે પણ નવી-નવી તકો ઊભી થઈ રહી છે!કાર્યક્રમમાં નેશનલ એજ્યુકેશન-2025ના આ સમગ્ર આયોજનમાં બે હાઈ ઈમ્પેક્ટ પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એક પેનલ ડિસ્કશનનો વિષય ” રિઇમેજિનિંગ લર્નિંગ ધ ફ્યુચર ઓફ એન્જિનિયરિંગ” હતો. જેમાં GTUના વાઇસ ચાન્સેલર ડૉ.  રાજુલ ગજ્જર,  “પેજ”ના ડાયરેક્ટર અને હેડ અમિતાવ સાહા,  ફિનટેકના OSD અને પૂર્વ વીપી-ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ્સ – ગિફ્ટ સિટી પિયુષ ગાંધી, સાસ ઇન્ડિયાના હેડ શુભમ ચેટરજી, ‘BKDPG’ના પબ્લિક પોલિસી એન્ડ ગવર્નન્સના એચ.ઓ.ડી. નીલમ પંચાલ જેવાં મહાનુભાવોનો સમાવેશ થતો હતો.

“મેરી ટાઈમ સમિટ-2025” નામનું બીજું પેનલ ડિસ્કશન- “From campus to career: AI is a catalyst for employability and workforce readiness” ઉપર યોજાયું હતું. આ બીજા પેનલ ડિસ્કશનમાં નિરમા યુનિવર્સિટીના ડાયરેક્ટ જનરલ ડૉ. અનુપ સિંઘ,  પી.ડબલ્યુ.સી.ના ડાયરેક્ટર ઓફ ટેકનોલોજી અંકુર દોશી,  ‘GSPMA’ના પ્રેસિડેન્ટ અનિશ પટેલ, ઇકો સિસ્ટમ IBM કલાયન્ટ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ મેનેજર શેફાલી ગૌર, E-4 H.R.ના એસોસિએટ CEO અને ફાઉન્ડર મિતિ રાંદેરી, ‘એઈએમએ’ના એડિશનલ ડાયરેક્ટર જીતેન્દ્ર ડી. પંચાલનો સમાવેશ થતો હતો.

દેશની પ્રતિષ્ઠિત સંસ્થા પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગમાં યોજાઈ ગયેલા આ કોન્કલેવમાં વૈશ્વિક કક્ષાના આગેવાનો અને નીતિ ઘડનારાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પૃથ્વીનું MRI સ્કેનર છે NISAR: કુદરતી આફતોની પહેલેથી મળશે ચેતવણી

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી દ્વારા 30 જુલાઈ, 2025એ એક ઐતિહાસિક મિશન શરૂ થયું છે. NISAR  (નાસા-ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર) સેટેલાઈટ- જેને પૃથ્વીનું MRI સ્કેનર કહેવામાં આવી રહ્યું છે, આજે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ થશે.

આ સેટેલાઈટ ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોની પહેલેથી ચેતવણી આપશે. તેને ભારતની ઇસરો (ISRO) અને અમેરિકાની નાસા (NASA) એ મળીને તૈયાર કર્યું છે. આ વિશ્વનું પહેલું એવું સેટેલાઈટ છે, જે બે રડાર ફ્રીક્વન્સી (L-બેન્ડ અને S-બેન્ડ)નો ઉપયોગ કરીને પૃથ્વીની સપાટીને સ્કેન કરશે.

NISAR મિશન શું છે?

NISAR એ એક લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઈટ છે, જેને નાસા અને ઇસરોએ મળીને તૈયાર કર્યું છે. તેનું સંપૂર્ણ નામ છે NASA-ISRO Synthetic Aperture Radar. આ પૃથ્વીની સપાટી, હિમખંડો અને જંગલોની સ્કેન કરવા માટે બનાવાયું છે. તેને “પૃથ્વીનું MRI સ્કેનર” એ કારણે કહેવામાં આવે છે, કારણ કે તે પૃથ્વીની સપાટી પર થતા બહુ જ બારીક  ફોટા લઈ શકે છે, જેવી રીતે ડોક્ટર કોઈના શરીરનું MRI કરીને નાની વિગતો જુએ છે.

આ સેટેલાઈટ દર 12 દિવસે પૃથ્વીને સંપૂર્ણ રીતે સ્કેન કરશે અને કુદરતી આફતો જેવી કે ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલનની આગાહી કરવામાં મદદરૂપ બનશે. આ મિશનની કુલ કિંમત ₹13,000 કરોડ (અંદાજે 1.5 બિલિયન ડૉલર) છે, જેમાં ઇસરોનો હિસ્સો રૂ. 788 કરોડ છે. આ સેટેલાઈટનો ડેટા વૈજ્ઞાનિકો, સરકારો અને સામાન્ય લોકો માટે મફતમાં ઉપલબ્ધ થશે.

 

ભારત-પાકિસ્તાન વચ્ચે નહીં રમાય WCLની સેમી ફાઈનલ

નવી દિલ્હીઃ ઇન્ડિયા ચેમ્પિયન્સના ખેલાડીઓએ બર્મિંગહમમાં યોજાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ 2025ની સેમી ફાઇનલમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઇનકાર કર્યો છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્શન વધી ગયું છે. પાકિસ્તાનને લઈને ભારતમાં ભારે રોષ છે.

આ કારણે ગ્રુપ સ્ટેજમાં ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેનો મુકાબલો ભારે વિરોધ વચ્ચે રદ થયો હતો. શિખર ધવન અને હરભજન સિંહ સહિત ઇન્ડિયા ચેમ્પિયન્સના અન્ય ખેલાડીઓએ મેચનો બહિષ્કાર કર્યો હતો. પરિણામે આ મેચ નહીં થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા. આ એક પોઈન્ટને કારણે ભારત ચેમ્પિયન્સને સેમી ફાઈનલમાં પહોંચવામાં મદદ મળી.

આ મેચ ગુરુવારે થવાની હતી. ભારતીય ટીમે કહ્યું છે કે તેઓ પાકિસ્તાન સામે કોઈ પણ પ્રકારની મેચ રમવા નથી માગતા. ભારત ચેમ્પિયન્સે મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સને માત્ર 13.2 ઓવરમાં હરાવીને સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ પાકિસ્તાન સામેની મેચ અંગે તેમણે પહેલેથી જ વાંધો ઉઠાવ્યો હતો. આ અગાઉ પણ ગ્રુપ સ્ટેજની ભારત-પાકિસ્તાન મેચ રદ કરવામાં આવી હતી, કારણ કે ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સરોએ વિરોધ કર્યો હતો.

EaseMyTrip નામની કંપની જે ટુર્નામેન્ટની સ્પોન્સર છે. કંપનીના સહ-સ્થાપક નિશાંત પિટ્ટીએ કહ્યું કે ભારતના લોકોની લાગણીઓનો સન્માન કરતાં અમે આ મેચથી દૂર રહ્યા છીએ. આતંકવાદ અને ક્રિકેટ સાથે નહીં ચાલી શકે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવને પણ કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન સામે રમશે નહીં. શિખર ધવન અને હરભજન સિંહ આ બહિષ્કારની શરૂઆત કરનારા મુખ્ય ખેલાડીઓ હતા. શિખર ધવને તો સોશિયલ મિડિયા પર પોતાનો એક જૂનો ઈમેઈલ પણ શેર કર્યો હતો, જેમાં તેમણે WCLના આયોજકોને પહેલેથી જ જણાવેલું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખી તેઓ પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં રમે.

T20I રેન્કિંગ : અભિષેક શર્મા વિશ્વનો નંબર 1 બેટ્સમેન બન્યો

ટીમ ઈન્ડિયાનો ઓપનર અભિષેક શર્મા વિશ્વનો નંબર 1 T20 બેટ્સમેન બન્યો છે. નવીનતમ ICC રેન્કિંગમાં, અભિષેક શર્માએ ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધો. ટ્રેવિસ હેડ લાંબા સમયથી નંબર 1 રેન્કિંગ પર હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં તેનું પ્રદર્શન ખૂબ સારું નહોતું, જેના કારણે તેને નુકસાન સહન કરવું પડ્યું, પરિણામે, હવે અભિષેક શર્મા નંબર 1 સ્થાન પર કબજો કરી લીધો છે. અભિષેક શર્માના રેટિંગ પોઈન્ટ 829 છે અને ટ્રેવિસ હેડ 814 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગયા છે.

અભિષેક શર્મા નંબર 1 T20 બેટ્સમેન બન્યો છે, જ્યારે ભારતના તિલક વર્મા ત્રીજા નંબર પર છે. સૂર્યકુમાર યાદવ છઠ્ઠા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના જોશ ઈંગ્લીસે 6 બેટ્સમેનોને હરાવીને ટોપ 10માં પ્રવેશ કર્યો છે. તે જ સમયે, ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ ટોપ 10 માંથી બહાર થઈ ગયો છે. તે 11મા ક્રમે આવી ગયો છે.

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અભિષેક શર્માનું પ્રદર્શન

અભિષેક શર્માએ અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અભિષેક શર્માએ 16 ઇનિંગ્સમાં 33.43 ની સરેરાશથી 535 રન બનાવ્યા છે. મોટી વાત એ છે કે તેનો સ્ટ્રાઇક રેટ 200 ની આસપાસ છે. અભિષેક શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 193.84 ના સ્ટ્રાઇક રેટથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના બેટમાંથી 2 સદી અને 2 અડધી સદી નીકળી છે. તેણે 41 છગ્ગા અને 46 ચોગ્ગા ફટકાર્યા છે.

અભિષેક શર્માએ ગયા વર્ષે 6 જુલાઈએ ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કર્યું હતું. તે પહેલી મેચમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો પરંતુ આગામી મેચમાં આ બેટ્સમેને સદી ફટકારીને અજાયબી કરી હતી. અભિષેકે તે મેચમાં 8 છગ્ગા ફટકાર્યા હતા. આ સદી પછી, તે સતત 7 મેચમાં નિષ્ફળ ગયો અને પછી તેણે દક્ષિણ આફ્રિકા સામે અડધી સદી ફટકારી. આ પછી, તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં સદી ફટકારી. વાનખેડે ખાતે રમાયેલી તે મેચમાં, અભિષેકે 54 બોલમાં 135 રન બનાવ્યા જેમાં 13 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ વિસ્ફોટક બેટિંગના આધારે, અભિષેકે આજે T20 રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે.

રાહુલ ગાંધીના ટ્રમ્પને લઈને મોદી સરકાર પર ચાબખા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અચાનક થયેલા યુદ્ધવિરામ પર સતત હુમલો કરી રહ્યા છે. ગઈકાલે, તેમણે લોકસભામાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન પીએમ મોદી સ્પષ્ટપણે કહી શક્યા નથી કે મધ્યસ્થી અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ખોટો છે. આજે, ફરી એકવાર પીએમ પર હુમલો કરતા લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે પીએમ મોદી ટ્રમ્પનું નામ લઈ શકતા નથી કારણ કે તેમને ડર છે કે અમેરિકન રાષ્ટ્રપતિ સત્ય કહેશે.

બુધવારે સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે પીએમ મોદીએ મધ્યસ્થી અંગેના દાવા કરવાના મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ લીધું નથી કારણ કે તેઓ જાણે છે કે જો તેઓ આમ કરશે તો ટ્રમ્પ આખી સત્ય જાહેર કરશે. બધા જાણે છે કે શું થયું છે.

ટ્રમ્પ સત્ય કહેશે: રાહુલ ગાંધી

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલે કહ્યું, પીએમ મોદીએ એવું કહ્યું ન હતું કે ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે. બધા જાણે છે કે શું થયું છે. તેઓ બોલી પણ શકતા નથી, જ્યારે આ વાસ્તવિકતા છે. જો પીએમ બોલશે, તો તેઓ (ટ્રમ્પ) ખુલ્લેઆમ બોલશે અને આખું સત્ય કહેશે. તેથી જ (મોદી) કંઈ બોલી રહ્યા નથી. અમેરિકા સાથેના વેપાર કરાર અંગે રાહુલ ગાંધીએ કહ્યું, અત્યારે તેઓ (ટ્રમ્પ) અમારી સાથે વેપાર કરાર ઇચ્છે છે. ત્યાં (ટ્રમ્પ) દબાણ કરશે. તમે જોશો કે કેવા પ્રકારનો વેપાર કરાર થાય છે.

આ મુદ્દે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવ્યો કે વડા પ્રધાન અને વિદેશ પ્રધાન બંનેએ ટાળી શકાય તેવી રીતે વાત કરી છે. તેમણે સીધું કહેવું જોઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા સતત કરવામાં આવી રહેલા આરોપો વચ્ચે, વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે આ હવે ભારતની નવી નીતિનો આધાર બની ગયો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે કોઈ ત્રીજા પક્ષ તરફથી મધ્યસ્થી કરવામાં આવી ન હતી. તેમણે એમ પણ કહ્યું, “આ પ્રશ્ન જ ઉભો થતો નથી.”