Home Blog Page 733

સંસદના બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર પર 16 કલાકની ચર્ચા થશે

સંસદના ચોમાસા સત્રમાં, સોમવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર 16 કલાકની ચર્ચા શરૂ થશે. આ ચર્ચાનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બપોરે ૧૨ વાગ્યે કરશે. આ પછી, મંગળવારથી રાજ્યસભામાં ઓપરેશન સિંદૂરના મુદ્દા પર 16 કલાકની ચર્ચા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ચર્ચામાં જોડાય તેવી શક્યતા છે.

સરકારે સંસદમાં આ મહત્વપૂર્ણ મુદ્દા પર સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અગાઉ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ ચર્ચા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને ત્રણેય સેનાના વડાઓ સાથે ઘણી બેઠકો યોજી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, ભાજપના સાંસદો અનુરાગ ઠાકુર અને નિશિકાંત દુબે પણ ચર્ચામાં ભાગ લેશે. સરકાર આ ચર્ચાને સંપૂર્ણ આક્રમકતા સાથે યોજવાની તૈયારી કરી રહી છે. ખાસ વાત એ છે કે આ ચર્ચા કારગિલ વિજય દિવસ (26 જુલાઈ) પછી થઈ રહી છે, અને સરકાર તેને ‘વિજય દિવસ’ તરીકે રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરને “વિજય ઉત્સવ” તરીકે વર્ણવ્યું 

ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન ભારતીય સેના દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં હાથ ધરવામાં આવેલ લશ્કરી ઓપરેશન હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનને “વિજય ઉત્સવ” તરીકે વર્ણવ્યું હતું અને કહ્યું હતું કે તે ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાનો પુરાવો છે. સરકારી અહેવાલો અનુસાર, ઓપરેશન સિંદૂર માત્ર 22 મિનિટમાં પૂર્ણ થયું હતું અને તેમાં તમામ આતંકવાદીઓને સફળતાપૂર્વક ખતમ કરવામાં આવ્યા હતા. તેને 100% સફળ ઓપરેશન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે.

વિપક્ષ સરકાર પાસેથી જવાબો માંગી રહ્યું છે

ઓપરેશન સિંદૂરના મુદ્દા પર વિપક્ષ પણ સરકાર પાસેથી જવાબો માંગી રહ્યું છે. અગાઉ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સરકારની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બિઝનેસ એડવાઇઝરી કમિટીએ આ ચર્ચા માટે સમય નક્કી કર્યો હતો. સરકારે સ્પષ્ટતા કરી છે કે તે ઓપરેશન સિંદૂર પર વિગતવાર ચર્ચા કરવા તૈયાર છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે સરકાર દેશ સમક્ષ તમામ સત્ય મૂકવા તૈયાર છે.

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામ, મલેશિયાનો દાવો

એશિયા ખંડ પર છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. જે હવે શાંત થવાની શક્યતા છે. મલેશિયાના વિદેશ પ્રધાન મોહમ્મદ હસને દાવો કર્યો છે કે થાઈલેન્ડ અને કંબોડિયાએ તેમના સરહદી સંઘર્ષને ઉકેલવા માટે મલેશિયાને મધ્યસ્થી તરીકે સ્વીકાર્યું છે. જોકે, આ દરમિયાન બંને દેશોએ ફરીથી એકબીજા પર તોપોથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

સમાચાર એજન્સી બર્નામાના જણાવ્યા અનુસાર, મલેશિયાના વિદેશ પ્રધાન હસને બર્નામાને જણાવ્યું છે કે કંબોડિયાના વડા પ્રધાન હુન માનેત અને થાઈલેન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈ સોમવારે મલેશિયા પહોંચશે અને વાતચીત કરશે.

વિદેશ પ્રધાન હસને કહ્યું, ‘બંને દેશોએ મલેશિયામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મને મધ્યસ્થીની ભૂમિકા ભજવવા કહ્યું છે. મેં થાઈલેન્ડ અને કંબોડિયાના વિદેશ પ્રધાનો સાથે વાત કરી છે અને તેમણે શાંતિ વિશે પણ વાત કરી છે અને કહ્યું છે કે આ મામલે અન્ય કોઈ દેશ સામેલ ન થવો જોઈએ.’

તમને જણાવી દઈએ કે શુક્રવારે, લાઓસના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ, જે ASEAN ફોરમના અધ્યક્ષ છે, તેમણે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. શનિવારે, વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ થાઇલેન્ડ અને કંબોડિયાના વડા પ્રધાનો સાથે વાત કરી અને તેમને યુદ્ધવિરામનો આગ્રહ કર્યો.

આ શિવ મંદિરો વિશે તમે જાણો છો?

શ્રાવણ માસ એટલે ભોળાનાથની ભક્તિનો માસ. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શ્રદ્ધા અને ભાવથી ભગવાન શિવની ઉપાસના કરવાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક ઉદ્ધાર થાય છે. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ છે, જે વિશ્વના સર્જન, સંચાલન વિધાનના પ્રતિકરૂપ છે.

શિવજીના બાર જ્યોતિર્લિંગો જેટલાં પવિત્ર છે, એટલા જ અન્ય શિવ મંદિરોએ પણ ભક્તોની અઢળક શ્રદ્ધા જીતી છે. માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં શિવજીના ભવ્ય અને પવિત્ર મંદિરો ભક્તિ, કલાત્મક શિલ્પશૈલી અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

ચાલો, આજે આપણે જાણીએ વિશ્વમાં આવેલા એવા દસ શિવ મંદિર વિશે, જે આસ્થાના સ્તંભ તરીકે ઓળખાય છે.

શ્રી કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી, ભારત

શ્રી કાશી વિશ્વનાથ મંદિર, જે વારાણસી, ઉત્તર પ્રદેશ, ભારતમાં આવેલું છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક અને હિંદુ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. આ મંદિરનો ઈતિહાસ 15મી-16મી શતાબ્દી સુધીનો છે. જોકે એનું વર્તમાન સ્વરૂપ 1780માં મરાઠા રાજા અહિલ્યાબાઈ હોલકર દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ગંગા નદીના કિનારે આવેલી આ કાશી મોક્ષનું પ્રતીક માનવામાં આવે છે. એની  શિલ્પકળા તથા આસપાસના ઘાટો એનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વધારે છે. શ્રાવણ માસ અને મહા શિવરાત્રિ દરમિયાન અહીં લાખો ભક્તો દર્શન કરવા આવે છે. જ્યાં દરરોજ ગંગા ઘાટ પર શિવજીની પૂજા અને ગંગા આરતીનું આયોજન થાય છે, જે એને વિશ્વભરના શિવભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર બનાવે છે.

પશુપતિનાથ મંદિર,  કાઠમંડુ, નેપાળ

પશુપતિનાથ મંદિર નેપાળનું સૌથી પવિત્ર હિંદુ ધાર્મિક સ્થળ છે. એનો ઈતિહાસ 5મી શતાબ્દી સુધી પહોંચે છે, જોકે વર્તમાન સ્વરૂપનું નિર્માણ 17મી શતાબ્દીમાં મલ્લ શાસકોએ કર્યું હતું. અહીં ભગવાન શિવ પશુપતિ રૂપે પૂજાય છે. એટલે કે ‘પશુઓના દેવ’. બાગમતી નદીના કિનારે આવેલું આ મંદિર નેપાળના રાજા અને સમાજનું ધાર્મિક કેન્દ્ર રહ્યું છે. આ મંદિર યૂનેસ્કો વિશ્વ વારસો સ્થળ તરીકે પણ યાદગાર છે. અહીં મહા શિવરાત્રિ ઉત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાય છે, જેમાં નેપાળ ઉપરાંત ભારત, તિબ્બત અને બાંગ્લાદેશથી પણ હજારો ભક્તો ઉમટે છે. શ્રાવણ માસમાં પણ ભાવિકો દેશ-વિદેશથી આ મંદિરે દર્શનાર્થે આવે છે. અલબત્ત અહીં માત્ર હિંદુઓને જ ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી છે.

મુનેશ્વરમ મંદિર, કોલંબો, શ્રીલંકા

મુનેશ્વરમ મંદિર શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આવેલું એક મહત્વપૂર્ણ શિવ મંદિર છે. મુનેશ્વરમ દેવ તામિલ હિંદુ સંસ્કૃતિમાં શિવજીના એક સ્વરૂપરૂપે ઓળખાય છે. આ મંદિરનો ઈતિહાસ 18મી-19મી શતાબ્દીના શરુઆતના સમયથી શરૂ થાય છે, જ્યારે દક્ષિણ ભારતના તામિલ લોકો અહીં વસવા આવ્યા હતા. મંદિર દ્રવિડ શૈલીમાં નિર્મિત છે, જેમાં ભવ્ય ગોપુરમ (શિખર), મંડપ અને રંગીન મૂર્તિઓ જોવા મળે છે. મહા શિવરાત્રિ, થાઈ પુસમ , નવરાત્રી અહીં ઉજવાતા મુખ્ય ઉત્સવો છે. શ્રાવણ મહિનામાં અહીં શિવજીની ખાસ પૂજા અર્ચના થાય છે.

હિન્દુ ટેમ્પલ ઓફ અમેરિકા (શિવ મંદિર), ન્યુ યોર્ક, યુએસએ

હિન્દુ ટેમ્પલ ઓફ અમેરિકા એ ફ્લોરલ પાર્ક શિવ મંદિર ન્યુ યોર્ક શહેરના ક્વિન્સ વિસ્તારમાં સ્થિત છે. એની સ્થાપના 1977માં ભારતીય મૂળના અમેરિકન તામિલ સમુદાય દ્વારા થઈ હતી. અહીં મુખ્ય મૂર્તિ ભગવાન શિવની છે. સાથે સાથે ભગવાન વિષ્ણુ માતા પાર્વતી, ગણેશ, મુરુગન અને અન્નપર્ણા દેવીના વિઘ્નહર્તા પૂજાર્થ મૂર્તિઓ છે. મંદિર દ્રવિડ શૈલીમાં રચાયું છે. દર વર્ષે મહા શિવરાત્રિ, રામ નવમી, નવરાત્રી, ગણેશોત્સવ શ્રાવણ માસ જેવા ઉત્સવો ઉજવાય છે. અહીં ભારતીય ભાષાઓ શિખવવાના, યોગા વર્ગો અને વેદ પાઠશાળાઓ પણ ચલાવવામાં આવે છે.

શ્રી શિવ વિષ્ણુ મંદિર, મેલબોર્ન, ઑસ્ટ્રેલિયા

આ મંદિર ઑસ્ટ્રેલિયામાં સૌથી મોટું હિંદુ ધાર્મિક કેન્દ્ર છે. એની સ્થાપના 1980ના દાયકામાં સ્થાનિક ભારતીય સમુદાય દ્વારા કરવામાં આવી હતી. અહીં મુખ્ય દેવી-દેવતાઓ તરીકે ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા થાય છે. મંદિર દ્રવિડ આર્કિટેક્ચર અનુસાર બાંધવામાં આવ્યું છે. એમાં ભવ્ય ગોપુરમ, આંતરિક મંડપ અને વિશાળ ઉપવન વિસ્તાર છે. શ્રાવણ માસ, મહા શિવરાત્રિ, બ્રહ્મોત્સવ, દિવાળી, નવરાત્રી અને થાઈ પુસમ જેવા ઉત્સવો અહિયાં ધામધૂમથી ઉજવાય છે.

બાટુ કેવ્ઝ, કુઆલાલમ્પુર, મલેશિયા

બાટુ કેવ્ઝ મંદિરો મલેશિયાના કુઆલાલંપુર નજીક સ્થિત લાઈમ સ્ટોન ગુફાઓના સમૂહમાં આવેલા છે. જો કે મુખ્ય મંદિર ભગવાન મુરુગનનું છે, ત્યાં શિવજીનું પણ સુંદર મંદિર આવેલું છે. બાટુ કેવ્ઝના મંદિરો 19મી સદીના અંતમાં ભારતીય શ્રમિકો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. અહીં શિવરાત્રિ, થાઈ પૂસમ અને મંકલ વિલાકુ (દિપોત્સવ) વિશેષ ઉજવાય છે. ગુફામાં જતાં ખૂબ ઊંચી સિડીઓ ચઢવી પડે છે. જે યાત્રાળુઓ માટે આધ્યાત્મિક પથ પરની પરિક્ષા સમાન છે.

શ્રી મુરૂગન મંદિર, લંડન, યુનાઇટેડ કિંગડમ

સ્ટોનસ બ્રિજ, લંડન ખાતે આવેલું આ મંદિર યુકેમાં સ્થિત સૌથી મોટું દક્ષિણ ભારતીય શૈલીનું મંદિર છે. એની સ્થાપના 1981માં શિવભક્ત સમુદાય દ્વારા કરવામાં આવી હતી. મંદિરનું ગોપુરમ અને મુખ્ય ગર્ભગૃહ દ્રવિડ શૈલીના ઉદાહરણરૂપ છે. અહીં શિવજી, મુરુગન, પાર્વતી, ગણેશ અને અન્ય દેવતાઓની પૂજા થાય છે. મહા શિવરાત્રિ, કાર્તિક દીપમ, નવરાત્રી, થાઈ પૂસમ અને શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જોવા મળે છે.

ટ્રિનિદાદ શિવ મંદિર,  ટ્રિનિદાદ એન્ડ ટોબેગો

કેરિબિયન દરિયાકાંઠે આવેલા દેશ ટ્રિનિદાદ એન્ડ ટોબેગોની મધ્યમાં આવેલા ટ્રિનિદાદ દ્વીપ પર આવેલું છે આ પ્રખ્યાત શિવ મંદિર. આ મંદિરની સ્થાપના 1950ના દાયકામાં ત્યાં વસેલા ભારતીય મૂળના હિંદુ સમુદાય દ્વારા કરવામાં આવી હતી, જેમણે પોતાની સંસ્કૃતિ અને ધર્મને જીવંત રાખવા આ યત્ન કર્યો. મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત છે અને અહીં દર વર્ષે મહાશિવરાત્રી, હોળી, નવરાત્રી અને ગંગા દશેરા જેવા મહત્વપૂર્ણ તહેવારો ભક્તિભાવે ઉજવવામાં આવે છે. આ મંદિર માત્ર આરાધનાનું સ્થાન નથી, પણ ટ્રિનિદાદમાં ભારતીય પરંપરા, ભાષા અને ભક્તિને જીવંત રાખતું એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કેન્દ્ર પણ બની ચૂક્યું છે.

શ્રી અરુળમિગુ રાજરાજેશ્વરી શિવ મંદિર, રિયુનિયન, ફ્રાન્સ

રીયુનિયન આઇલેન્ડ,  ફ્રાન્સના ઉપગહન દ્વીપમાં આવેલું તામિલ સમુદાયનું આ મંદિર છે. એનું નિર્માણ 20મી સદીના મધ્ય ભાગમાં થયું હતું. અહીં શિવ, પાર્વતી, દુર્ગા, અને મુરુગન જેવા દેવતાઓની પૂજા થાય છે. અહીં દર વર્ષે થાઈ પૂસમ, શિવરાત્રિ અને તાઇપૂસમ કાવડ યાત્રા ઉજવાય છે.

શિવ શંકર મંદિર, ડરબન, દક્ષિણ આફ્રિકા

ડરબનમાં આવેલી ભારતીય સમુદાયની મુખ્ય ધાર્મિક સંસ્થા છે શિવ શંકર મંદિર. એની સ્થાપના 1870-80ના દાયકામાં થઈ હતી, જ્યારે ભારતીય શ્રમિકો બ્રિટિશ કૌલિનિયલ કાળ દરમિયાન અહીં વસ્યા હતા. મંદિર સાધારણ દેખાવ ધરાવે છે, પણ ધાર્મિક રીતિવિધિઓ અને ઉત્સવો વિશાળ રીતે ઉજવાય છે. મહા શિવરાત્રિ અને દિવાળીની ભવ્ય ઉજવણી માટે આ મંદિર જાણીતું છે.

હેતલ રાવ

મલ્ટીટાસ્કિંગ એક્સપર્ટ- કૃષ્ણ

મલ્ટીટાસ્કિંગ એટલે અનેક કાર્યો એક સાથે કરવા તે. કેટલાક કોર્પોરેટ નિષ્ણાતો મલ્ટીટાસ્કિંગને મેનેજમેન્ટ મંત્ર માને છે. અને સાચે જ આ મેનેજમેન્ટ મંત્ર આત્મસાત કરનારા, અસાધારણ ક્ષમતાઓ અને શ્રેષ્ઠ સમય વ્યવસ્થાપન ધરાવતા મેનેજરો જ આ ટેકનીકનો ઉપયોગ કરી સફળતા મેળવી શકે છે.

કોઈપણ કંપની હોય કે ઓર્ગેનાઈઝેશન, ટોચ પર બેઠેલા વ્યક્તિએ એકસાથે ઘણી બધી જગ્યાએ પોતાની નજર રાખવી પડે છે. જેમકે, સ્ટાફ મેનેજમેન્ટ, નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે માર્કેટ એનાલિસીસ, કોસ્ટિંગ,અકાઉન્ટિંગ વગેરે… જોકે, મોટા ઓર્ગેનાઈઝેશનમાં દરેક વિભાગ માટે અલગ-અલગ હેડ હોય છે પરંતુ છેલ્લે તો એ ડિપાર્ટમેન્ટલ હેડ પર પણ ટોચના વ્યક્તિનું જ નિયંત્રણ હોય છે ને…એટલે ટોચનો વ્યક્તિ એક સાથે ઘણી બધી જવાબદારી સાચવી શકે એવો હોવો જોઈએ.

આજકાલ ક્રિકેટની સિઝન ચાલે છે,એમાં પણ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં જે વત્તે-ઓછે અંશે માહિર હોય એને ઓલરાઉન્ડર કહેવાય છે. દરેક ટીમમાં વખત આવે બોલિંગ કરે, વખત આવે ઝડપથી રન ઝૂડી કાઢે અને ફીલ્ડીંગ પણ ચુસ્ત હોય એને ઓલરાઉન્ડર કહેવાય છે. કોર્પોરેટ ક્ષેત્રમાં પણ જરૂર પડે ગમે તે જવાબદારી નિભાવી શકે તેવા ઓલરાઉન્ડર ની જરૂર પડે છે.

અહીં, મલ્ટીટાસ્કિંગ-ઓલરાઉન્ડરની વાત આવે ત્યાં વાંસળી અને સુદર્શન ચક્ર (જે બંનેની પ્રકૃતિ તદ્દન વિરોધાભાસી છે) ધારણ કરતા શ્રીકૃષ્ણનું ચિત્ર નજર સમક્ષ ઉભું થાય છે. પ્રાચીન કથાઓ મુજબ તેમણે તેમના મનુષ્ય અવતારમાં કેટલાય કામ એકસાથે હસતા મોઢે કર્યા છે. એ પછી રાક્ષસ-અસુરોનો નાશ કરવાનો હોય કે પછી મથુરામાં ન્યાયી રાજ્યનું પુન:નિર્માણ કરવાનું હોય, દ્વારકા નગરી વસાવવાની હોય, પ્રેમ-ધર્મનો પ્રચાર કરવાનો હોય, મધ્યસ્થી બનવાનું હોય, યુદ્ધનું આયોજન કરવાનું હોય કે પછી માર્ગદર્શન આપવાનું.

આ બધા જ કાર્યો એમને કુશળતાપૂર્વક પોતાની બુદ્ધિશક્તિથી એકસાથે કર્યા છે, અને બધામાં જ તેઓ ખરા ઉતાર્યા પણ છે. તેથી જ તો આપણે બધા આજે પણ એમને શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ તરીકે ઓળખીએ છીએ. ખરું ને?

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

૨૭ જુલાઈ ૨૦૨૫

પંચાંગ 27/07/2025

એશિયા કપ શેડ્યૂલ : 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મેચ

એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થયું છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી યુએઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે, જે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓના ભાગ રૂપે નક્કી કરવામાં આવ્યું છે. તે વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે.

ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

4 ટીમોને અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત-પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ-એમાં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનની ટીમો છે. ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે.

આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. ભારતનો પહેલો મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે થશે. ભારતનો બીજો મુકાબલો 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે છે. આજે રવિવાર છે. ભારતનો ત્રીજો મુકાબલો 19 સપ્ટેમ્બરે ઓમાન સામે છે.

8 ટીમો ભાગ લઈ રહી છે

એશિયા કપના આગામી સંસ્કરણમાં આઠ ટીમો ભાગ લેશે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટમાં આઠ ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, યુએઈ અને હોંગકોંગને ગ્રુપ A માં મૂકવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઓમાનને ગ્રુપ B માં સ્થાન મળ્યું છે.

રાજકીય તણાવને કારણે ભારત-બાંગ્લાદેશ શ્રેણી મુલતવી રાખવામાં આવી
BCCI એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી તણાવને ટાંકીને ઢાકામાં ACC બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લીધો હતો. આ તણાવને કારણે, ઓગસ્ટ 2025 માં પ્રસ્તાવિત ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય શ્રેણી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

હૉલીવુડ અભિનેતા માઈકલ વોર્ડ પર જાતીય શોષણનો આરોપ

બ્રિટિશ ટેલિવિઝન સીરિઝ ‘ટોપ બોય’ થી વિશ્વભરમાં ઓળખ મેળવનાર અભિનેતા માઈકલ વોર્ડ પર આ દિવસોમાં ગંભીર આરોપો લાગી રહ્યા છે. લંડન મેટ્રોપોલિટન પોલીસે તેમની સામે જાતીય શોષણના આરોપમાં કેસ નોંધ્યો છે. આ આરોપો 27 વર્ષીય વોર્ડ પર એક મહિલા દ્વારા લગાવવામાં આવ્યા છે, જેનો કેસ જાન્યુઆરી 2023 માં પ્રકાશમાં આવ્યો હતો.

‘ધ હોલીવુડ રિપોર્ટર’ અનુસાર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે વોર્ડ પર બે વાર બળાત્કાર અને ત્રણ વાર જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ બધા આરોપો એક જ મહિલા સાથે સંબંધિત છે, જેની સુરક્ષા અને માનસિક સંભાળ માટે પોલીસે એક નિષ્ણાત ટીમ તૈનાત કરી છે.

આ કેસની તપાસ લંડન પોલીસના સ્પેશિયલ સેક્સ્યુઅલ ક્રાઈમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ સ્કોટ વેરના મતે આવા કેસોની તપાસ અત્યંત સંવેદનશીલ હોય છે અને તે રિપોર્ટ કરનારી મહિલા પર ઊંડી અસર કરી શકે છે.

CPS એ કેસ ચલાવવાની મંજૂરી આપી

ઇંગ્લેન્ડમાં ફોજદારી કેસ ચલાવવાની દેખરેખ રાખતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) એ કેસની સમીક્ષા કર્યા પછી કેસ ચલાવવાની મંજૂરી આપી છે. ડેપ્યુટી ચીફ ક્રાઉન પ્રોસિક્યુટર કેથરિન બક્કાસે કહ્યું કે પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એવી પણ અપીલ કરી કે મામલો હવે કાનૂની પ્રક્રિયામાં હોવાથી સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવાઓ કે ટિપ્પણીઓ ટ્રાયલને અસર કરી શકે છે.

માઈકલ વોર્ડે હોલીવુડમાં પણ પોતાની છાપ છોડી છે

માઈકલ વોર્ડનું નામ ફક્ત ‘ટોપ બોય’ પૂરતું મર્યાદિત નથી. તેમણે એરી એસ્ટરની ફિલ્મ ‘એડિંગ્ટન’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. વોર્ડને 2020 માં BAFTA નો ‘રાઇઝિંગ સ્ટાર’ એવોર્ડ પણ મળ્યો છે અને ‘એમ્પાયર ઓફ લાઈટ’ જેવી ફિલ્મોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે જોઆક્વિન ફોનિક્સ, એમ્મા સ્ટોન અને પેડ્રો પાસ્કલ જેવા ઘણા મોટા હોલીવુડ સ્ટાર્સ સાથે રેડ કાર્પેટ પર પણ હાજરી આપી છે. પરંતુ હવે આ ગંભીર આરોપો બાદ તેમની છબી ખરડાઈ ગઈ છે.

આ સમગ્ર કેસમાં આગામી કાનૂની કાર્યવાહી હવે 28 ઓગસ્ટના રોજ લંડનની થેમ્સ મેજિસ્ટ્રેટ કોર્ટમાં થવાની છે, જ્યાં માઈકલ વોર્ડને રજૂ કરવામાં આવશે. ત્યાં સુધી તે ન્યાયિક પ્રક્રિયાને આધીન રહેશે.

મનોદિવ્યાંગના ‘ઉત્થાન’ માટેનો ઉપક્રમ

અમદાવાદ: સમાજમાં કંઇક જુદા દેખાતા બાળકો પર તારે જમી પર..સીતારે જમી પે.. જેવી અનેક ફિલ્મો બની ગઇ. લોકો ભાવુક પણ થયા. પરંતુ આપણી આસપાસ સામાન્ય બાળકો વચ્ચે એવા મનોદિવ્યાંગ બાળકો છે, જેને શિક્ષણ સાથે જીવનલક્ષી તાલીમ અને રોજગારની પણ જરૂર છે. એમને મન પૈસા ગૌણ છે પણ રચનાત્મક પ્રવૃત્તિની તાલીમની જરૂર છે. અમદાવાદ શહેરના પાલડીમાં આવેલા ‘ગુજરાત સ્ત્રી પ્રગતિ મંડળ’ સંચાલિત ‘ઉત્થાન’ સંસ્થા માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા 14 વર્ષથી ઉપરના લોકોને તાલીમ આપી પગભર બનાવવાનું કામ કરે છે.‘ઉત્થાન’ના કેન્દ્રમાં તાલીમ પામેલા 75 જેટલાં માનસિક દિવ્યાંગતા ધરાવતા લોકોએ તૈયાર કરેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પટેલ વાડી, પાલડી ગામમાં રાખવામાં આવ્યું. ઉત્થાન તાલીમ કેન્દ્ર સાથે 48 વર્ષથી જોડાયેલા ભાવનાબહેન પંડ્યા ચિત્રલેખા.કોમને કહે છે, 1978ના ગાળામાં મનોદિવ્યાંગ લોકો માટે જ્યારે એકદમ ઓછી સંસ્થાઓ હતી, ત્યારે અમે શિક્ષણનું અને તાલીમનું કામ શરૂ કર્યું. પહેલાં અમે મનાસિક રીતે દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાનું કામ કર્યું જુદા-જુદા વિષયો ભણાવવાનો પ્રયાસ પણ કર્યો.. પછી એક વિચાર આવ્યો કે આમને ખરેખર જીવનલક્ષી અને રોજગારલક્ષી તાલીમની જરૂર છે. સમય જતાં જે એમને પ્રવૃત્તિની સાથે પૈસા પણ અપાવે. એ પછી અમારા ત્યાં આવતા મનોદિવ્યાંગ બાળકોને અમે હસ્તકલાની વસ્તુઓ પેપર બેગ, ગિફ્ટ પેપર બેગ, ગ્રીટિંગ કાર્ડ, ઓફિસ સ્ટેશનરી ફાઇલ, પેઇન્ટિંગ્સ, ક્રાફ્ટ વર્ક, તોરણ, કંકાવટી, દિવડાં અને રાખડીઓ જેવી અનેક ચીજ-વસ્તુઓ બનાવતા શીખવાડવાનું શરૂ કર્યું. ભાવના બહેન કહે છે, મનોદિવ્યાંગ છોકરા અને છોકરીઓને નૃત્ય, નાટક જેવાં કલ્ચરલ કાર્યક્રમોમાં ભાગ લેવાની તાલીમ આપીએ છીએ. આ સાથે રમત-ગમતમાં નિપુણ બનાવી સ્પેશિયલ ઓલમ્પિક ગેમ્સમાં મોકલવાનો પ્રયાસ કરીએ છીએ. મનોદિવ્યાંગ બાળકોની વાતો નિરાળી હોય છે. એમને મન પૈસાનું મહત્વ નથી હોતું પરંતુ લોકોનો પ્રેમ અને એની સાથે એમને બનાવેલી ચીજ વસ્તુઓનું મહત્વ હોય છે. આ વર્ષે રક્ષાબંધન પહેલા ‘ઉત્થાન’ તાલીમ કેન્દ્રના માનસિક દિવ્યાંગ લોકોએ તૈયાર કરેલી વિવિધ ચીજ-વસ્તુઓનું પ્રદર્શન વેચાણ પાલડી ગામની પટેલ વાડીમાં રાખવામાં આવ્યું.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

સરકારી અધિકારીઓને ત્યાં દરોડામાં બેહિસાબ સંપત્તિ મળી

નવી દિલ્હીઃ ભ્રષ્ટાચારવિરોધી એક મોટા ઓપરેશન હેઠળ વિજિલન્સના અધિકારીઓએ ઓડિશાના ડેપ્યુટી ફોરેસ્ટ રેન્જર રામચંદ્ર નેપક સાથે સંકળાયેલી સંભવિત જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.  આ દરોડામાં દરમિયાન કરોડો રૂપિયાની અઘોષિત સંપત્તિ સામે આવી. તપાસ ટીમને એક ગુપ્ત રૂમમાં છુપાવવામાં આવેલા 500 અને 200 રૂપિયાના નોટોમાંથી 1.44 કરોડ રૂપિયાની રોકડ, ચાર સોનાના બિસ્કિટ, દરેક 10 ગ્રામ વજનવાળા 16 સોનાના સિક્કા, આશરે 1.5 કિલોગ્રામ સોનાના દાગીના અને ચાર કિલોગ્રામથી વધુ ચાંદી મળી છે.

અધિકારીને ત્યાં દરોડા એકસાથે છ સ્થળોએ મારવામાં આવ્યા હતા, જેમાં જયપુરમાં નેપકનું નિવાસસ્થાન, એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં બે ફ્લેટ, તેમના સસરાનું ઘર, ભુવનેશ્વરમાં તેમનો ભાઈ રહે છે ત્યાંનું ઘર અને તેમની ઓફિસનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓએ તેમને નામે અનેક મિલકત ઓળખી છે, જેમાં ભુવનેશ્વરમાં એક ફ્લેટ, જયપુરમાં ત્રણ ફ્લેટ, એક મકાન અને બે પ્લોટનો સમાવેશ થાય છે.નેપક આ વર્ષના અંતે નિવૃત્ત થવાના છે. એવું કહેવાય છે કે તેમણે તેમના ઘરમાં મોટી માત્રામાં રોકડ અને કીમતી વસ્તુઓ છુપાવવા માટે ગુપ્ત ખૂણાઓ અને ડબ્બાઓનો ઉપયોગ કર્યો હતો. વધી રહેલા પુરાવાઓ છતાં તેમણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

આ વચ્ચે, રાજસ્થાનમાં એક અલગ કાર્યવાહી દરમિયાન ACB અધિકારીઓએ સિરોહી જિલ્લામાં કાર્યરત ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટર સુજાણારામ ચૌધરીના નામે લગભગ 2.5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ શોધી કાઢી છે. જાલોર, માઉન્ટ આબુ, જોધપુર અને ભીનમાલમાં તેમના સંકળાયેલા સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવી.

તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની સંપત્તિ તેમની જાણીતી આવકની સરખામણીએ 200 ટકા વધુ છે અને તેમાં અનેક રહેઠાણ અને વેપારી મિલ્કતોનો સમાવેશ થાય છે તેમ જ તેમના અને તેમના પરિવારના બેંક એકાઉન્ટ્સ સાથે સંકળાયેલા મોટી નાણાંકીય લેવડદેવડ પણ સામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે બંને કેસમાં દસ્તાવેજો, બેંક રેકોર્ડ અને મિલ્કત માલિકી અંગેની ઊંડી તપાસ ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.