Home Blog Page 746

બિહાર વિધાનસભામાં હંગામોઃ વિધાનસભ્યોની માર્શલ સાથે ધક્કામુક્કી

પટનાઃ બિહાર વિધાનસભામાં મંગળવારે SIR અને ગુનાહિત મામલાઓ સહિત અનેક મુદ્દાઓ પર બીજા દિવસે ભારે હંગામો થયો હતો. વિપક્ષી RJD ધારાસભ્યો હોબાળો કરતાં વેલમાં પહોંચી ગયા હતા. આ હોબાળા દરમિયાન RJD ધારાસભ્ય સતીશ દાસને ધારાસભ્યોએ ત્રણ વખત ઊંચે ઉઠાવી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માર્શલે એ થવા દીધું નહીં.

સતીશ દાસે કહ્યું કે ધારાસભ્યો મને ઉઠાવીને CMની ખોળામાં ફેંકવા માગતા હતા. CMને ખબર પણ નહોતી કે અમે કાળાં કપડાં પહેરીને કેમ આવ્યા છીએ. CMને આ વાતની જાણ થાય, એ માટે જ મને ફેંકવા માગતા હતા.

માર્શલ સાથે ધારાસભ્યોની ધક્કા-મુક્કી
પ્રાપ્ત માહિતી પ્રમાણે વેલમાં પહોંચ્યા પછી વિપક્ષી ધારાસભ્યોએ રિપોર્ટર ટેબલ પાસે મૂકેલી ખુરશી ઉપાડી હતી, જેને માર્શલોએ પાછી લઈ લીધી. રિપોર્ટર ટેબલને માર્શલોએ ઘેરી લીધી હતી. આ દરમિયાન માર્શલ અને ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી પણ જોવા મળી. હોબાળો કરતા ધારાસભ્યો SIR પાછું લોનાં સૂત્રો લગાવી રહ્યા હતા.

તેજસ્વી યાદવે સરકાર પર કર્યો આક્રમક પ્રહાર
વિપક્ષના નેતા તેજસ્વી યાદવે SIR મુદ્દે કહ્યું હતું કે અમે ચૂપ બેસવાના નથી. તમે માત્ર અધિકાર જ નથી છીનવી રહ્યા, પણ મતદારોનું અસ્તિત્વ પણ મિટાવી રહ્યા છો. અમે અધ્યક્ષને મળ્યા હતા અને માગ કરી હતી કે આ મુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ શું કારણ છે કે ચર્ચા થવા નથી દેવામાં આવતી?

યાદવે જણાવ્યું હતું કે અમે આજે કાર્ય સ્થગન પ્રસ્તાવ પણ લાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી આ મુદ્દે ચર્ચા થઈ શકે. બિહાર લોકશાહીની જનની છે અને અહીંથી લોકશાહીનો અંત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. RJD નેતાએ કહ્યું હતું કે લોકોમાં ભારે ગેરસમજ છે. આખી પ્રોસેસમાં ઘણી અવ્યવસ્થા છે.

Make this “Friendship Day” special with Chitralekha.com!

આટલી મહેનત કેમ કરો છો પણ થાકતા નથી? શરદ પવારે CM ફડણવીસના વખાણ કેમ કર્યા…

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે NCP ના વડા શરદ પવારે સીએમ દેવેન્દ્ર ફડણવીસની ભારોભાર પ્રશંસા કરી છે. શરદ પવારે કહ્યું કે દેવેન્દ્ર આટલી મહેનત કરે છે પણ થાકતા નથી?

 

એનસીપીના વડા શરદ પવારે આજે એક કૉફી ટેબલ બુકના લોન્ચિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સીએમ ફડણવીસનો ઉલ્લેખ કર્યો હતો. હકીકતે આજે દેવેન્દ્ર ફડણવીસનો જન્મદિવસ છે.ત્યારે તેમના વિશે વાત કરતા શરદ પવારે કહ્યું તે દેવેન્દ્ર આટલી મહેનત કરે છે પણ થાકતા નથી? દેવેન્દ્રના કામની ગતિ બહુ ઝડપી છે. તેમની મહેનત જોઈને મારા મનમાં સવાલ ઉભો થાય છે કે આખરે તે થાકતા કેમ નથી? ફડણવીસના જન્મદિવસના અવસર પર એક કૉફી ટેબલ બુકના લોન્ચિંગ દરમિયાન શરદ પવારે આ વાત કહી હતી.

શરદ પવારે મહારાષ્ટ્ર નાયક નામે આ કૉફી ટેબલ બુકમાં એક આર્ટિકલ લખ્યો છે. આ ટેબલ બુકમાં શરદ પવારે આ બધું લખ્યું અને ફડણવીસના વખાણ કર્યા.

કમિટમેન્ટ ફોબિયાઃ એ વળી કઇ બલા છે?

આજે ફરી સાચીએ મેરેજ મીટિંગ કેન્સલ કરી. આ પહેલીવાર નથી. સાચી વારંવાર કોઈને કોઈ બહાને મીટિંગ રદ કરે છે. 30 વર્ષની સાચી, એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે કામ કરે છે. માતા સુધાબેન અને પિતા રાજેશભાઈની એકમાત્ર લાડકી દીકરી સાચી આર્થિક રીતે સ્વતંત્ર અને બંગલા, ગાડી, નોકર-ચાકર સાથે વૈભવશાળી જીવન જીવે છે.

એની ઉંમર વધતી જાય છે એટલે માતા-પિતાને સાચીના લગ્નની ચિંતા સતાવે છે. કરોડોની સંપત્તિ હોવા છતાં તેઓ ઈચ્છે છે કે સાચીને જીવનસાથી મળે. દીકરી માટે ઉત્તમ યુવકોના પ્રસ્તાવો આવે છે. એને ઘણા યુવકો પસંદ પણ પડે છે. પરંતુ અંતે એ કોઈ ને કોઈ કારણ આગળ ધરી લગ્ન માટે ના પાડી દે છે.

સાચીની આ આદતથી માતા-પિતા કંટાળી ગયા હતા. સાચીને સમજાવવા છતાં એ કંઈ બોલતી નહોતી એટલે આખરે સુધાબેને ડોક્ટરની સલાહ લેવાનું નક્કી કર્યું.

કાઉન્સેલિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો. સાચી કમિટમેન્ટ ફોબિયાથી પીડાતી હતી. એને લગ્ન કરવાની ઈચ્છા હતી. યુવકો પણ પસંદ હતા, પરંતુ એને ડર હતો કે લગ્નજીવનમાં એ લાઈફ પાર્ટનરને સંબંધ વિશે કમિટમેન્ટ આપી શકશે? સપ્તપદીના ફેરામાં એ કેવી રીતે જીવનભર સાથ નીભાવવાનું વચન આપશે? આવી અનેક મથામણ એના મનમાં ચાલી રહી હતી. જેના કારણે એ ગમતા પાત્રને પણ ના કહી રહી હતી.

જાણીને થોડી નવાઈ જરૂર લાગે પણ એ હકીકત છે કે આજની યુવતીઓ અને મહિલાઓ કમિટમેન્ટ ફોબિયાથી પીડાય છે. એ પછી લગ્નજીવનની વાત હોય કે ઓફીસમાં કામ કરવાની જવાબદારી હોય, કોલેજનો પ્રોજેક્ટ હોય કે પછી શાળાનું હોમ વર્ક હોય, કમિટમેન્ટ ફોબિયાની અસર જોવા મળે છે.

જરૂર છે માત્ર સ્વને ઓળખવાની

કમિટમેન્ટ ફોબિયા શબ્દને આપણે શુધ્ધ ગુજરાતી ભાષામાં પ્રતિબદ્ધતાનો ડર કહી શકીએ. આ એક એવી અજીબોગરીબ બિમારી છે કે જે આજની પેઢી માટે ખાસ કરીને યુવતીઓ માટે લગ્ન અથવા અન્ય કોઈપણ પ્રકારના સ્થાયી સંબંધો બાંધવામાં અડખીલીરૂપ સાબિત થઈ રહી છે. પરિણામ સ્વરૂપે આજની યુવતીઓ લગ્ન કે જે આપણી સામાજિક વ્યવસ્થાનો પાયો છે એમાં જોડાવવાને બદલે લીવ-ઇન રીલેશનશીપ જેવી પાશ્રાત્ય વિચારધારાને અનુસરવાનું પસંદ કરવા લાગી છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ન્યૂમરોલોજિસ્ટ નેહા ઠક્કર કહે છે કે, “આની પાછળના કારણોમાં ભૂતકાળનો કોઈ નકારાત્મક અનુભવ, વિશ્વાસધાત, સ્વતંત્રતા ગુમાવવાનો ડર કે આત્મ વિશ્વાસની ઉણપ હોઇ શકે છે. આ પરિસ્થિતિ લગ્ન, મિત્રતા, પ્રેમ કે નોકરી જેવા તમામ ક્ષેત્રોમાં નિર્મિત થતી જોવા મળે છે.  આ વિષચક્રમાંથી છૂટવા માટે જરૂર છે માત્ર સ્વને ઓળખવાની સ્વ સાથે વાર્તાલાપ કરવાની. જે નિર્ણયક્ષમતા વધારવામાં અને સ્વસ્થ વિચારસરણી વિકસીત કરવામાં ખૂબ સહાયક સિધ્ધ થશે.”

આત્મવિશ્વાસ જાળવવો અગત્યનું છે

કમિટમેન્ટ ફોબિયા એ એક મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ લગ્ન કે લાંબા ગાળાના સંબંધો જેવી જવાબદારીઓથી ડરે છે, જેના કારણે તે બાંધછોડ ટાળવા બહાના શોધે છે. આ ભય સ્વતંત્રતા ગુમાવવાની ચિંતા, માતા-પિતાની ભાવનાત્મક નજીકી ગુમાવવાનો ડર, ભવિષ્યની અનિશ્ચિતતા કે ભૂતકાળના ખરાબ અનુભવોમાંથી ઉદ્ભવે છે, જેના લક્ષણોમાં નિર્ણય લેવામાં મુશ્કેલી અને ચિંતા અનુભવાય છે. આ ફોબિયા વ્યક્તિના અંગત જીવન અને ભાવનાત્મક સ્વાસ્થ્યને અસર કરી શકે છે, પરંતુ કાઉન્સેલિંગ, સેલ્ફ-રિફ્લેક્શન, પરિવારના સપોર્ટ અને ધીમે-ધીમે એક્સપોઝર દ્વારા તેનો સામનો કરી શકાય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મેરેજ બ્યુરોના ઓનર જક્ષા શાહ કહે છે, “હું મેરેજ બ્યુરો ચલાવુ છું. સાથે અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલી છું. માટે હું માનું છું કે દરેક પરિસ્થિતિને શાંત ચિત્તે સમજવી જરૂરી છે. સૌથી પહેલાં, પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરો. પછી, ત્રણ સ્પષ્ટ સ્ટેપ પર કામ કરો. પહેલા તો સમસ્યાને ઓળખો, બીજુ એના ઉકેલ માટે વૈકલ્પિક રસ્તાઓ શોધો, અને ત્રીજુ નિર્ણય લઈને એનો અમલ કરો. આ ઉપરાંત, પોતાના નિર્ણયો પ્રત્યે અડગ રહેવું અને આત્મવિશ્વાસ જાળવવો અગત્યનું છે. પોતાની જાતને ક્યારેય ઓછી ન આંકો. સૌ પ્રથમ તો પોતાની જાત સાથે જ કમિટમેન્ટ કરતા શીખવુ જરૂરી છે.  દરરોજ પોતાને કહો, I can do everything, I achieve everything, I am the best, I am a powerful woman!”

ડરને નાથવાથી જીત શક્ય બને છે

કમિટમેન્ટ ફોબિયા એ માત્ર ડર નથી, પરંતુ અંદરની અનિશ્ચિતતા અને ભૂતકાળના અનુભવોનું પરિણામ છે. અનેક યુવતીઓ લગ્નના નિર્ણયોમાં ખચકાટ અનુભવે છે, કારણ કે એમને લાગતું હોય છે કે એમની સ્વતંત્રતા અને કારકિર્દી જોખમમાં મૂકાઈ શકે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અર્ચના બારોટ કહે છે રે, વર્તમાન સમયમાં કોઈને વચનમાં બંધાવવુ ગમતુ નથી. પરિવારથી લઈને દરેક ક્ષેણે હું કરીશ જ, એમ કહેતા ખચકાટ અનુભવે છે. જો કે એ યોગ્ય નથી. પોતાની જવાબદારી સ્વ લેવી એ જરૂરી છે. કોઈ પણ પ્રકારના ભયના ઓથાળા નીચે જીવવા કરતા કાઉન્સેલરની મદદથી પોતાના ડરનું મૂળ શોધવુ ઉત્તમ છે.  ધીમે-ધીમે એનો સામનો કરવો જોઈએ. પોતાની જાત પર વિશ્વાસ રાખવાથી આ સમસ્યામાંથી જરૂર બહાર નીકળી શકાય છે. કારણ કે દરેક યુવતીને ક્યારેકને ક્યારેક પ્રકિબદ્ધ થતા ડર તો લાગે જ છે. પરંતુ ડરને નાથવાથી જીત શક્ય બને છે.”

હેતલ રાવ

જગદીપ ધનખરના રાજીનામા બાદ હરિવંશ નારાયણ સિંહ રાષ્ટ્રપતિ મુર્મૂને મળ્યા

સોમવારે ચોમાસુ સત્રના પહેલા દિવસે ઉપપ્રમુખ જગદીપ ધનખરનું પદ પરથી રાજીનામું ચર્ચાનો મોટો વિષય બન્યો. આ પછી, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. ધનખરના રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ બનવાની રેસમાં હરિવંશ નારાયણનું નામ સૌથી આગળ હતું.

 

સોમવારે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના અચાનક રાજીનામાથી દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે તેમના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. સ્વાસ્થ્ય કારણો અને તબીબી સલાહનો હવાલો આપીને તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાજીનામું સુપરત કર્યું, જે સ્વીકારવામાં આવ્યું હતું. હવે તેમના સ્થાને નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને NDA ગઠબંધન ટૂંક સમયમાં પોતાનો ઉમેદવાર જાહેર કરી શકે છે.

વિધાનસભામાં ઓનલાઇન રમી રમતા કેદ થયા મહારાષ્ટ્રના મંત્રી

નાસિક: મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેએ મંગળવારે દાવો કર્યો હતો કે તેમણે ક્યારેય તેમના મોબાઇલ ફોન પર ઓનલાઈન રમી રમી નથી જેમ કે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે. પદ છોડવાની માગને તેમણે ફગાવતાં કહ્યું હતું કે એક નાનો મુદ્દો ઉતાવળમાં વધારીને રજૂ કરવામાં આવ્યો છે. NCPના નેતાએ ધમકી આપી હતી કે જેમણે એક વિવાદાસ્પદ વિડિયો શેર કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે.

મામલો શો છે?
NCP (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે રવિવારે તેમના X હેન્ડલ પર એક વિડિયો ક્લિપ પોસ્ટ કર્યો હતો જેમાં કોકાટે વિધાન પરિષદના ચોમાસુ સત્રમાં તેમના મોબાઈલ પર ઓનલાઇન રમી રમતા નજરે પડે છે. આ વિડિયોના વાઇરલ થતાં જ રાજકીય તોફાન મચી ગયું. NCP (SP)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે સોમવારે બે વિડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોકાટે તાજેતરના વિધાન પરિષદના ચોમાસુ સત્ર દરમિયાન તેમના ફોન પર જંગલી રમી નામક ગેમ રમતા નજરે પડે છે. NCP મહારાષ્ટ્ર યુનિટના અધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ અને ડેપ્યુટી CM અજિત પવારે આ વિડિયોને ગંભીરતાથી લીધો છે અને મંત્રી સાથે વાત કરશે.

વિડિયો સાચો સાબિત થશે તો હું રાજીનામું આપીશ
NCPના નેતાએ કહ્યું હતું કે તેઓ CM દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી CM અજિત પવાર અને વિધાનસભાના અધ્યક્ષને આ મામલે વિસ્તૃત તપાસ કરવા માટે પત્ર લખશે. કોકાટેએ કહ્યું હતું  કે જો વિડિયો સાચો સાબિત થાય તો હું રાજીનામું આપી દઈશ. CM કે ડેપ્યુટી CM વિધાનમંડળના શિયાળુ સત્રમાં આ અંગે નિવેદન આપી શકે છે અને હું તેમના મળ્યા વગર જ રાજ્યપાલને રાજીનામું સોંપી દઈશ.

દિલ્હીમાં EV પોલિસી 2026 સુધી લંબાવવામાં આવી, કેબિનેટે મંજૂરી આપી

દિલ્હી સરકારે મંગળવારે હાલની EV નીતિ માર્ચ 2026 સુધી લંબાવી. પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ અંતિમ જીવનકાળના વાહનોના નવીનતા પડકાર અંગે DPCC અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. પરિવહન મંત્રી પંકજ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે નવી નીતિનો મુસદ્દો હવે જનતા સાથે ચર્ચા માટે મોકલવામાં આવશે, જેમાં સમય લાગશે, તેથી હાલ માટે જૂની નીતિને લંબાવવામાં આવી છે. સિંહે કહ્યું કે મંગળવારે કેબિનેટ બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી અને નીતિને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલની EV નીતિ સૌપ્રથમ 2020 માં આમ આદમી પાર્ટી સરકાર દરમિયાન લાગુ કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2023 માં સમાપ્ત થઈ હતી. ત્યારથી તેને ઘણી વખત લંબાવવામાં આવી છે.

પરિવહન મંત્રીએ કહ્યું કે, હાલની EV નીતિ 31 માર્ચ, 2026 સુધી અથવા નવી નીતિ અમલમાં આવે ત્યાં સુધી લંબાવવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે આ સમય દરમિયાન સરકાર તમામ જરૂરી પક્ષો, સામાન્ય લોકો, ઉદ્યોગ નિષ્ણાતો, ખાનગી સંગઠનો અને પર્યાવરણીય જૂથો સાથે સંપૂર્ણ રીતે સલાહ લેશે. સિંહે વધુમાં જણાવ્યું હતું કે આ સમય દરમિયાન નીતિના મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમ કે EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું, સબસિડી અને છૂટની સમીક્ષા કરવી જેથી વધુ લોકો EV અપનાવે, ઇ-વેસ્ટ અને બેટરીના નિકાલ માટે સલામત સિસ્ટમ બનાવવી અને ઇલેક્ટ્રિક ગતિશીલતા વધારવામાં જાહેર અને ખાનગી ક્ષેત્રની ભૂમિકા નક્કી કરવી.

દિલ્હી EV નીતિ શું છે

આ EV નીતિનો ઉદ્દેશ્ય દિલ્હીમાં શક્ય તેટલા ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાનો છે. ખાસ કરીને જાહેર પરિવહન અને વાણિજ્યિક વાહનોને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવાનો છે. જૂના અને વધુ ધુમાડો છોડતા વાહનોને ધીમે ધીમે દૂર કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય વાયુ પ્રદૂષણ ઘટાડવાનો અને પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઘટાડવાનો છે. હાલમાં, આ નીતિ હેઠળ, આગામી વર્ષથી પેટ્રોલ ટુ-વ્હીલરની સંખ્યાને નિયંત્રિત કરવાનો પણ લક્ષ્ય છે. CNG ઓટોને ઇલેક્ટ્રિક ઓટો દ્વારા બદલવામાં આવશે. સરકાર ઇ-સાયકલ, ઇ-રિક્ષા, ઇ-કાર્ટ, ટુ-વ્હીલર અને નાના કોમર્શિયલ વાહનો માટે સબસિડી અને ડિસ્કાઉન્ટ આપશે. આ ઉપરાંત, વધુ ચાર્જિંગ સ્ટેશન અને બેટરી રિપ્લેસમેન્ટ સાઇટ્સ બનાવવામાં આવશે જેથી ઇલેક્ટ્રિક વાહનો સરળતાથી ચાર્જ થઈ શકે.

‘સૈયારા’ના ટાઇટલ ટ્રેકથી ચર્ચામાં આવનાર ગાયક કોણ છે? જાણો કાશ્મીરથી મુંબઈની કહાની

મોહિત સૂરીની ‘સૈયારા’ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મનો ક્રેઝ એ વાત પરથી અંદાજી શકાય છે કે આ ફિલ્મે રિલીઝ થયાના ત્રણ દિવસમાં 83 કરોડથી વધુ કમાણી કરી છે અને 100 કરોડ ક્લબની ખૂબ નજીક છે. ચંકી પાંડેના ભત્રીજા અને અનન્યા પાંડેના પિતરાઈ ભાઈ અહાન પાંડેએ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે અને પોતાના ડેબ્યૂથી દર્શકોમાં લોકપ્રિય બન્યા છે. ફિલ્મમાં તેની સાથે દેખાતી અનિતા પદ્દાના અભિનયથી પણ બધા પ્રભાવિત થયા છે. પરંતુ, શું તમે જાણો છો કે આ ફિલ્મથી બે વધુ નવા કલાકારોએ પોતાનું ડેબ્યૂ કર્યું છે, એ કલાકારો છે ફહીમ અબ્દુલ્લા અને અર્સલાન નિઝામી. જેમણે ‘સૈયારા’ ફિલ્મના ટાઇટલ ટ્રેકથી ધૂમ મચાવી હતી.

સૈયારાના ટાઇટલ ટ્રેક સાથે 2 કલાકારોનું ડેબ્યૂ

વાસ્તવમાં, કાશ્મીરના બે કલાકારોએ સૈયારાના ટાઇટલ ટ્રેક સાથે ડેબ્યૂ કર્યું છે અને આ કલાકારો બીજું કોઈ નહીં પણ ફહીમ અબ્દુલ્લા અને અર્સલાન નિઝામી છે. ફહીમ અબ્દુલ્લા અને અર્સલાન નિઝામીએ આ ગીતથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. અગાઉ, ફહીમ અબ્દુલ્લાએ તેમના ગીત ‘ઇશ્ક’ થી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તેમનું આ ગીત લગભગ 1 વર્ષ પહેલા યુટ્યુબ પર રિલીઝ થયું હતું, જેને 252 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને હવે ફહીમ અબ્દુલ્લા સૈયરાના ટાઇટલ ટ્રેક સાથે ચાહકોમાં છવાઈ રહ્યા છે.

અર્સલાન નિઝામી સિવિલ એન્જિનિયર તરીકેની નોકરી છોડીને કાશ્મીરથી મુંબઈ પહોંચ્યા

સૈયારા વિશે વાત કરીએ તો, ફિલ્મનું ટાઇટલ ટ્રેક આજકાલ યુટ્યુબ અને અન્ય ઓનલાઈન મ્યુઝિક પ્લેટફોર્મ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તાજેતરમાં ફહીમ અબ્દુલ્લા અને અર્સલાન નિઝામીએ હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં સૈયારાના ટાઇટલ ટ્રેક પાછળની વાર્તા જણાવી. આ દરમિયાન અર્સલાન નિઝામીએ ખુલાસો કર્યો કે તે કાશ્મીરમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા, પરંતુ તેને બાળપણથી જ ગીતો લખવાનો અને સંગીત બનાવવાનો શોખ હતો. આ શોખ માટે તે સિવિલ એન્જિનિયરની નોકરી છોડીને કાશ્મીરથી મુંબઈ આવ્યા. તે ફક્ત 14 દિવસના ખર્ચ માટે પૈસા લઈને મુંબઈ આવ્યા હતા. પરંતુ, તે નસીબદાર હતો કે 13મા દિવસે તે તનિષ્ક બાગચીને મળ્યો અને આ રીતે સૈયારા સાથે જોડાવવો મોકો મળ્યો.

તમને જણાવી દઈએ કે, સૈયારાના ટાઇટલ ટ્રેકને ફહીમ અબ્દુલ્લાએ અવાજ આપ્યો છે અને સંગીત અર્સલાન નિઝામી અને તનિષ્ક બાગચીનું છે. આ ગીત માટે ફહીમ અબ્દુલ્લાનો અવાજ પસંદ કરવાનો શ્રેય પણ તનિષ્ક બાગચીને જાય છે, જેમણે મોહિત સૂરીને તેના વિશે જણાવ્યું હતું. સૈયારાની જેમ, તેનું ટાઇટલ ટ્રેક પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ટાઇટલ ટ્રેક લગભગ 1 મહિના પહેલા નિર્માતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 76 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

દેશમાં 1 જાન્યુઆરી, 2026 થી 8મું પગાર પંચ લાગુ થશે

આઠમા પગાર પંચ અંગે સરકાર તરફથી એક મોટી અપડેટ આવી છે. તેના અમલીકરણ સાથે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં મોટો ફેરફાર થશે. સરકારે તેને લાગુ કરવા તરફ પગલાં લીધાં છે અને નાણા મંત્રાલયે CPC ની રચના માટે પ્રારંભિક ચર્ચા શરૂ કરી દીધી છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં એક લેખિત જવાબમાં, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આ સંબંધિત માહિતી શેર કરી છે.

નાણા રાજ્ય મંત્રીએ ચિત્ર સ્પષ્ટ કર્યું

અહેવાલ મુજબ, નાણા મંત્રાલયે આઠમા પગાર પંચ અંગે મુખ્ય વિભાગો, મંત્રાલયો અને રાજ્ય સરકારો સાથે પરામર્શ શરૂ કર્યો છે. આમાં સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ મંત્રાલય અને વિવિધ રાજ્ય સરકારોનો સમાવેશ થાય છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ચિત્ર સ્પષ્ટ કરતા કહ્યું છે કે દરેક પાસેથી ઇનપુટ માંગવામાં આવ્યા છે અને આયોગની ઔપચારિક સૂચના જારી થયા પછી, તેના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવશે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે હજુ સુધી કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી.

આઠમા પગાર પંચનો અમલ ક્યારે થશે?

અત્યાર સુધી 8મા પગાર પંચની સત્તાવાર ભલામણો તૈયાર કરવામાં આવી નથી, પરંતુ તેમનો અમલ અગાઉના કમિશન દ્વારા નક્કી કરાયેલ પેટર્ન અનુસાર થવાની અપેક્ષા છે. નોંધનીય છે કે 7મા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014 માં કરવામાં આવી હતી, પરંતુ તેની ભલામણો 1 જાન્યુઆરી, 2016 થી લાગુ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમયરેખાને પુનરાવર્તિત કરીને, 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026 ની શરૂઆતથી લાગુ કરી શકાય છે.

નવા પગાર પંચના અમલીકરણના પ્રશ્ન પર, પંકજ ચૌધરીએ વધુમાં કહ્યું કે 8મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા ભલામણો કરવામાં આવે અને સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તે પછી જ તેનો અમલ કરવામાં આવશે.

50 લાખ કર્મચારીઓ, 65 લાખ પેન્શનરોને લાભ થશે

8મા પગાર પંચના અમલીકરણથી, દેશભરના લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોને લાભ થશે. જોકે, જ્યાં સુધી નવું પગાર પંચ તેની ભલામણો રજૂ ન કરે અને સરકાર દ્વારા તેને મંજૂરી ન મળે ત્યાં સુધી કર્મચારીઓના પગાર કે પેન્શન માળખામાં કોઈ ફેરફાર થશે નહીં. જોકે, દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થામાં વધારા (DA વધારો)નો લાભ મળતો રહેશે.

ઓપરેશન સિંદૂર, SIR પર લોકસભામાં વિપક્ષનો હંગામો

નવી દિલ્હીઃ લોકસભામાં બિહારમાં મતદાર યાદીની વિશિષ્ટ ગહન રિવિઝન (SIR) સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષી પક્ષોના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો, મોન્સુન સત્રના બીજા દિવસે જેમ જ લોકસભાની કાર્યવાહી શરૂ થઈ તેમ જ વિપક્ષના સભ્યો હોબાળો કરવા લાગ્યા અને કાર્યવાહી થોડીક મિનિટમાં જ સ્થગિત કરવામાં આવી હતી. પરિણામે પ્રશ્નકાળ અને શૂન્યકાળ ચાલી શક્યા નહીં.

SIR મુદ્દે સંસદમાં હોબાળો

લોકસભામાં વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો અને કેટલાક સભ્યો અધ્યક્ષની બેઠક નજીક આવીને હોબાળો કર્યો હતો. કેટલાક સભ્યો તેમના હાથે પ્લેકાર્ડ લહેરાવતા હતાં, જેમાં મતદાર યાદીની વિશિષ્ટ ગહન રિવિઝન (SIR)ના વિરોધમાં સૂત્રો લખેલાં હતાં. અધ્યક્ષ જગદંબિકા પાલે વિપક્ષના સભ્યોને તેમના સ્થાન પર જઇને શાંતિથી બેઠક ચાલવા દેવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે ગઈ કાલે તમે ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માગ કરી હતી. BACએ આ મુદ્દે 16 કલાકની ચર્ચાની મંજૂરી આપી છે. જો તમે SIR પર ચર્ચા માગો છો તો એ મુદ્દો પણ BACમાં લો. ત્યાં નિર્ણય થશે.

સંસદીય કાર્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ જણાવ્યું હતું કે અધ્યક્ષ જે વિષય પર નિયમ મુજબ ચર્ચાની મંજૂરી આપશે, એ મુદ્દા પર સરકાર ચર્ચા કરવા તૈયાર છે. અધ્યક્ષે વિપક્ષના સભ્યોને કહ્યું કે શૂન્યકાળ ચાલવા દો. મારે સભા ચલાવવી છું, પરંતુ તમારો સહયોગ માગું છું.

ઓમ બિરલાની અપીલ નિષ્ફળ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ વિપક્ષના સભ્યોને તેમની બેઠકે જઇને શાંતિ રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું હતું કે શું તમે દેશના ખેડૂતો અને તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા માગતા નથી? જો તમારે માત્ર હોબાળો જ કરવો છે અને પ્લેકાર્ડ લઈને આવવું છે તો એ સંસદની પરંપરા મુજબ નથી. કૃપા કરીને તમારી જગ્યાએ બેસી જાઓ, આ સભા ચાલવા દો.