Home Blog Page 75

સોલા ભાગવત વિદ્યાપીઠમાં પુરુષોત્તમ માસમાં વિવિધ મનોરથોનું આયોજન

અમદાવાદઃ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શ્રીકલ્પતરુ પ્રસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિક માસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે “અધિકસ્ય અધિકં ફલમ્” શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો 17-05-26થી 15-06-26 સુધી અધિક જેઠ સુદ-એકમથી અધિક જેઠ વદ-30 અમાસ સુધી વિવિધ મનોરથ-ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. સોલા ભાગવત વિદ્યાપીઠમાં સંસ્થામાં અભ્યાસ કરતા ઋષિકુમાર માટે સુંદર રહેવાની વ્યવસ્થા સગવડ સ્વરૂપે આગામી સમયમાં ભવ્ય નૂતન છાત્રાલય ભવનનું નિર્માણકાર્ય હાથ ધરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી પૂ. ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આવતી કાલે  10 મેએ રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી) આદ્યસંસ્થાપક ભાગવત વિદ્યાપીઠ, શ્રી વલ્લ્ભનિધિ ટ્રસ્ટ, શ્રીકૃષ્ણનિધિ ટ્રસ્ટની 24મી અતિપાવન પુણ્યતિથિ નિમિત્તે ઋષિકુમાર દ્વારા પૂજન-અર્ચન ભાવવંદના કાર્યક્રમ તેમ જ વિખ્યાત વિક્રમ લાબડિયા ગ્રુપના સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ મોટી સંખ્યામાં સૌ વૈષ્ણવો-શ્રદ્ધાળુઓ લે તેવી અમારી નમ્ર અપીલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે અધિક માસને હું મારું નામ આપું છું એટલે અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી 17-05-26થી 15-06-26 સુધી અધિક જેઠ સુદ-એકમથી અધિક જેઠ વદ-30 અમાસ સુધી વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંવત્સરોવરથયાત્રા, ગોચારણલીલા, વસંતપંચમી, શ્રીનાથજીનું પ્રાગટ્ય, રાધાષ્ટમી-ગોપષ્ટમી, રામનવમી, નાવ મનોરથ, દાનલીલા મનોરથ, પવિત્રા એકાદશ. વામન જયંતી, મોરકુટી મનોરથ, નૃસિંહ જયંતી, શરદોત્સવ રાસ, છાક મનોરથ, ગોકુલ-મથુરા, આકાશ ઝુલા, જન્માષ્ટમી મહોત્સવ-નંદ મહોત્સવ, ગુંસાઈજીનો ઉત્સવ, સાવન-ભાદા, મહાપ્રભુજીનો ઉત્સવ, શીશ મહેલ, ગોવર્ધન પૂજા-અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શનનો લાભ લેવા વહાલા ભગવદીય વૈષ્ણવ ભક્તોને અમારુ ભાવભર્યું નિમંત્રણ છે. પૂ. શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠમાં અત્યાર સુધીમાં કુલ 5000થી પણ વધુ બ્રાહ્મણનાં બાળકો (ઋષિકુમારો) સંસ્કૃત તેમ જ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરી તૈયાર થયા છે. જેના પરિણામ સ્વરૂપે મહાનગરોની કોન્વેન્ટ-સી.બી.એસ.સી સ્કૂલોમાં અહીંના વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. અહીંથી વિદ્યાભ્યાસ કરેલા ઋષિકુમારો ઘણાં ઉત્તમ કથાવાચક, કર્મકાંડી, જયોતિષી, તરીકે સમાજમાં પોતાની સેવા આપી રહ્યા છે. વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં અહીંના ઋષિકુમાર ઉચ્ચ પદ ધરાવે છે. વિદેશમાં પચાસથી વધુ ઋષિકુમાર હિન્દુ મંદિરમાં પૂજારી (પ્રિસ્ટ) તરીકે સેવા આપી રહ્યા છે.

થલપતિ વિજય પર નકલી સમર્થન પત્રના ઉપયોગનો આરોપ

ચેન્નઈઃ તામિલનાડુના રાજકારણમાં સરકાર રચનાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. અન્ના મક્કલ મુનેત્ર કઝગમ (AMMK) એ થલપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) પર નકલી સમર્થન પત્રનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે AMMKએ ચેન્નાઈના ગિન્ડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસના જણાવ્યાનુસાર AMMKના મહાસચિવ T. T. V. દિનાકરણ દ્વારા અરજી આપવામાં આવી છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ FIR નોંધાઈ નથી. પોલીસ હાલમાં ફરિયાદની પ્રાથમિક તપાસ કરી રહી છે.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે દિનાકરણ મોડી રાત્રે ગિન્ડી રેન્જના સહાયક પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે TVKએ રાજ્યપાલને નકલી સમર્થન પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે મન્નારગુડીના AMMK ધારાસભ્ય એસ. કામરાજે TVK સરકારને સમર્થન આપ્યું છે. દિનાકરણનો દાવો છે કે આ દસ્તાવેજ સંપૂર્ણપણે નકલી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે TVK એ સરકાર બનાવવા માટે ખોટા રસ્તાઓ અપનાવ્યા અને દલબદલવિરોધી કાયદાથી બચવાનો પ્રયાસ કર્યો. તેમનું કહેવું છે કે ધારાસભ્ય એસ. કામરાજ પોતે પણ આ દસ્તાવેજ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બીજી તરફ, TVKએ આ તમામ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. પાર્ટીએ સ્પષ્ટતા કરતાં એક વિડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં ધારાસભ્ય કામરાજ પોતાની મરજીથી સમર્થન પત્ર પર હસ્તાક્ષર કરતા જોવા મળે છે એવો TVK નો દાવો છે. પાર્ટીનું કહેવું છે કે વિરોધ પક્ષો રાજકીય કારણોસર ખોટા આરોપો લગાવી રહ્યા છે.

એ દરમિયાન તામિલનાડુના રાજકારણમાં TVK ને સમર્થન મળવાનું ચાલુ છે. પ્રાપ્ત માહિતી મુજબ VCK ટૂંક સમયમાં TVK ને સત્તાવાર સમર્થનની જાહેરાત કરી શકે છે. VCK પ્રમુખે પહેલેથી જ સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી ડાબેરી પક્ષોના નિર્ણય મુજબ આગળ વધશે. ડાબેરી પક્ષો પહેલેથી જ TVKને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. TVK નેતાઓનો દાવો છે કે થલપતિ વિજય ટૂંક સમયમાં તામિલનાડુના મુખ્ય મંત્રી બની શકે છે.

જગતગુરુ મામા સરકાર દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન

અમદાવાદ: શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો છે.

અખંડ સનાતન જનજાગૃતિ યાત્રા પરમ પૂજ્ય “શ્રી શ્રી 1008 પરિવ્રાજકાચાર્ય, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ટ, જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરિ મહારાજ, અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર” ના દિવ્ય સંકલ્પથી એક આધ્યાત્મિક મહાયજ્ઞ છે.

આ યાત્રા પ્રથમ દિવસે સવારે ૩૩ મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા લીધા બાદ બાવળાથી શરૂ થશે. જે, બિંદુ સરોવર ખાતે પહોંચશે અને ત્યાં દૂધ, ફૂલો અને દીવાઓનો ઉપયોગ કરીને પૂજા કરવામાં આવશે. ત્યાર બાદ, પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, યાત્રીઓ અંબાજી તરફ આગળ વધશે. શ્રી જગતજનની મા અંબાનાં દર્શન બાદ યાત્રા પુષ્કરના શ્રી પંચ દશનામ જૂના અખાડા આશ્રમમાં, રાત્રિભોજન કરી રાત્રે આરામ કરી બીજા દિવસે આ યાત્રા પુષ્કરરાજ શ્રી બ્રહ્માજી મંદિર જયપુર તરફ પ્રસ્થાન કરશે. ત્યાર બાદ જયપુરમાં શ્રી બાંકે બિહારી ઠાકોરજીના “સંકલ્પ દર્શન” કર્યા બાદ તેઓ દિલ્હી રવાના થશે. ત્યાર બાદ દિલ્હી આરામ કરીને ત્રીજા દિવસે દિલ્હીમાં નવા સંસદ ભવનની મુલાકાત કરી અને કેટલાક પવિત્ર અને સદાચારી સંસદસભ્યોને આશીર્વાદ આપ્યા પછી, આ યાત્રા હરિદ્વાર જવા રવાના થશે.

ચોથા અને પાંચમા દિવસે હરિદ્વાર બાદ યાત્રા ઋષિકેશ પવિત્ર સંકલ્પ સાથે સ્નાન કરશે. સાતમા દિવસે આ યાત્રા શ્રી જાગેશ્વર ધામ ઉત્તરાખંડ પહોંચશે. આઠમા દિવસે ઉત્તરાખંડમાં આવેલા શ્રી કાલી માતા મંદિરનાં દર્શન કરવામાં આવશે. નવમા દિવસે આ યાત્રા શ્રી આદિ કૈલાશ સંકલ્પ દર્શને પહોંચશે. જ્યાં  શ્રી ગણેશ પર્વત અને શ્રી પાર્વતી સરોવરનાં દર્શન કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી ઓમ પર્વતનાં દર્શન કરી ત્યાંથી પૂજા-પાઠ કરી પવિત્ર જળ લઇશું, એ પછી અયોધ્યા પહોંચી 11મા દિવસે ભગવાન શ્રીરામનાં દર્શન કરવામાં આવશે અને છેલ્લે 12મા દિવસે  શ્રી કાશી વિશ્વનાથ મંદિરના સંકલ્પ દર્શન કરવામાં આવશે. આ સમગ્ર યાત્રા માત્ર પ્રદર્શન નહીં, પરંતુ આંતરિક આત્મજાગૃતિનો પવિત્ર માર્ગ છે.

મુંબઈ: ઈસ્કોન મંદિરમાં ‘કૃષ્ણા માયા’કાર્યક્રમમાં કથકની વિશેષ પ્રસ્તુતિ થશે

મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિર ખાતે ભક્તિ અને નૃત્યનો અનોખો સંગમ જોવા મળશે. આવતી કાલે એટલે કે 10 મેના રોજ મંદિરના પરિસરમાં ‘કૃષ્ણા માયા’નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

​કૃષ્ણભક્તો અને ભારતીય પરંપરાગત નૃત્યકલાના શોખીનો માટે એક અવિસ્મરણીય અવસર છે. આ રવિવારે એટલે કે 10 મે ના રોજ, જુહુ સ્થિત ઇસ્કોન મંદિરમાં બપોરે “કૃષ્ણા માયા” નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

​આ કાર્યક્રમમાં કથક નૃત્ય દ્વારા શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ પ્રસ્તુત કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે આ કાર્યક્રમમાં ઈચ્છુક દરેક કૃષ્ણભક્ત અને કલાપ્રેમી સામલ થઈ શકે છે.કથક નૃત્યમાં સુવર્ણ પદક વિજેતા નયના મલ્લાપુલકર તેમના સાથી કલાકારો સાથે ખાસ પ્રસ્તુતિ રજૂ કરશે.

બંગાળમાં PM મોદી જેમને પગે લાગ્યા એ 98 વર્ષીય માખનલાલ કોણ છે?

પશ્ચિમ બંગાળમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ કાર્યકર્તાને પગે લાગ્યા હતાં. 1952માં શ્યામા પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીર ચળવળમાં ભાગ લેનારા અને બંગાળમાં ભાજપને મજબૂત બનાવનારા 98 ​​વર્ષીય પીઢ કાર્યકર્તા માખનલાલ કોણ છે?

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો પાયો નાખનારા સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક, 98 વર્ષીય માખનલાલ સરકાર ફરી એકવાર ચર્ચામાં છે. પશ્ચિમ બંગાળમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ માંગ્યા, જે તેના વરિષ્ઠ નેતાઓ અને સ્થાપક સભ્યો પ્રત્યે પક્ષના આદરનું પ્રતીક છે. માખનલાલ સરકારની રાજકીય સફર પક્ષના શરૂઆતના સંઘર્ષો અને વિસ્તરણની વાર્તા કહે છે.

રાષ્ટ્રવાદી ચળવળ અને કાશ્મીર મુલાકાત

માખનલાલ સરકાર સ્વતંત્રતા પછીના ભારતમાં રાષ્ટ્રવાદી ચળવળના શરૂઆતના અને સૌથી અગ્રણી પાયાના નેતાઓમાંના એક હતા. રાષ્ટ્રવાદ પ્રત્યેનું તેમનું સમર્પણ દાયકાઓ જૂનું છે.

1952માં, જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં ભારતીય ત્રિરંગો ફરકાવવા માટે ઐતિહાસિક ચળવળનું નેતૃત્વ કર્યું, ત્યારે આ અભિયાનમાં માખણલાલ તેમની સાથે હતા.

આ ચળવળ દરમિયાન કાશ્મીરમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ભાજપના સંગઠનાત્મક વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા

1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સત્તાવાર રીતે રચના થઈ, ત્યારે તેમણે પશ્ચિમ બંગાળમાં સંગઠન બનાવવાની જવાબદારી સંભાળી.

તેમને પશ્ચિમ દિનાજપુર, જલપાઇગુડી અને દાર્જિલિંગ જિલ્લાઓ માટે સંગઠનાત્મક સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

તેમનું નેતૃત્વ અને સંગઠનાત્મક કૌશલ્ય એટલું પ્રભાવશાળી હતું કે માત્ર એક વર્ષમાં તેમણે પક્ષમાં લગભગ 10 હજાર નવા સભ્યો ઉમેર્યા.

અપવાદરૂપ સંગઠનાત્મક રેકોર્ડ: સતત સાત વર્ષ સુધી જિલ્લા પ્રમુખ

માખનલાલ સરકારની રાજકીય કારકિર્દી પક્ષ પ્રત્યેની તેમની વફાદારી અને કાર્યક્ષમતાનો પુરાવો છે.

1981થી, તેમણે સતત સાત વર્ષ સુધી જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી.

તે સમયે આ એક અસાધારણ અને દુર્લભ સિદ્ધિ હતી, કારણ કે ભાજપના નેતાઓ સામાન્ય રીતે સમાન સંગઠનાત્મક પદ પર બે વર્ષથી વધુ સમય સુધી રહેતા ન હતા.

માખનલાલ સરકારની 98 વર્ષની ઉંમર સુધીની સફર પશ્ચિમ બંગાળ જેવા પડકારજનક રાજ્યમાં ભાજપના પ્રારંભિક વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. મંચ પર વડા પ્રધાનનું શૌર્ય એ વાતની પુષ્ટિ કરે છે કે દાયકાઓ સુધી સંગઠનનું પોષણ કરનારા આ દિગ્ગજોને હજુ પણ પક્ષના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા યાદ કરવામાં આવે છે.

ડિજિટલ એરેસ્ટઃનિવૃત્ત શિક્ષકે રૂ. 82 લાખ ગુમાવ્યા

હૈદરાબાદઃ તેલંગાણાના મહબૂબાબાદમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક “ડિજિટલ અરેસ્ટ” નામની સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા અને ઠગોએ તેમની પાસેથી 82 લાખ રૂપિયા ઠગી લીધા છે. ઠગોએ પોતાને ટેલિકોમ અધિકારી, પોલીસ અને CBI અધિકારી તરીકે ઓળખાવી દંપતીને ખોટા કેસ અને ધરપકડની ધમકી આપી હતી.

છેતરપિંડીની શરૂઆત 11 એપ્રિલે થઈ, જ્યારે શિક્ષકની પત્નીને એરટેલ અધિકારી હોવાનું કહીને એક ફોન આવ્યો હતો. ફોન કરનારાએ ચેતવણી આપી કે નિવૃત્ત શિક્ષકનો મોબાઇલ નંબર બ્લોક કરી દેવામાં આવશે, કારણ કે તેમના આધાર કાર્ડ સાથે કથિત રીતે હેરાનગતિના 17 કેસ જોડાયેલા છે.ત્યાર બાદ પોલીસ યુનિફોર્મમાં રહેલા એક ઠગે પોતાને બેંગલુરુના સબ-ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવ્યો હતો અને વોટ્સએપ વિડિયો કોલ દ્વારા દંપતી સાથે વાત કરી હતી. તેણે ખોટો દાવો કર્યો હતો કે શિક્ષકના આધાર કાર્ડની માહિતીનો ઉપયોગ કરીને મુંબઈની કેનેરા બેંકમાં એક ખાતું ખોલવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલા 75 લાખ રૂપિયા જમા છે. ઠગોએ દંપતીને એક નકલી ધરપકડ વોરંટ પણ બતાવ્યું અને તેમને કથિત “ડિજિટલ અરેસ્ટ” હેઠળ રાખ્યા હોવાનું કહ્યું હતું. એ સાથે જ ચેતવણી આપી હતી કે આ મામલો કોઈને પણ ન કહેવામાં આવે. અન્ય એક આરોપીએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી દંપતીને સતત ધમકાવ્યા હતા.

નિવૃત્ત શિક્ષક અને તેમની પત્નીએ પોતાની જીવનભરની બચત, ફિક્સ્ડ ડિપોઝિટ અને લોનની રકમ પણ ઠગો દ્વારા આપેલાં ખાતાંઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. પીડિતોએ 15 એપ્રિલે 49 લાખ રૂપિયા, 18 એપ્રિલે 22.22 લાખ રૂપિયા અને 22 એપ્રિલે 11.22 લાખ રૂપિયા RTGS મારફતે ઠગોનાં ખાતાંમાં મોકલ્યા હતા.

સાયબર ગુનેગારો દંપતીને આશ્વાસન આપતા રહ્યા હતા કે બીજી મે સુધી “કાનૂની ચકાસણી” બાદ રકમ પરત આપી દેવામાં આવશે. પરંતુ ત્રીજી મેથી આરોપીઓએ પોતાના ફોન બંધ કરી દીધા અને કોઈ જવાબ આપ્યો નહીં. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં દંપતીએ પોલીસનો સંપર્ક કર્યો અને મહબૂબાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઉપાધિક્ષક તિરુપતિ રાવે જણાવ્યું હતું કે પીડિતોની ફરિયાદને આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને સાયબર ગુનેગારોને શોધી કાઢીને તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા પ્રયાસો ચાલુ છે.

પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાના ઘરે EDના દરોડા

નવી દિલ્હીઃ EDએ શુક્રવારે સવારે પંજાબ સરકારના કેબિનેટ મંત્રી અને આપના નેતા સંજીવ અરોડાના ઘર અને તેમની સાથે જોડાયેલાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ચંડીગઢના સેક્ટર-2 સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને EDની ટીમો પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 20 ગાડીઓમાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા માટે CIA અને સ્પેશિયલ ફોર્સના લગભગ ત્રણ ડઝન જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા હતા. સવારે સર્ચ ઓપરેશન શરૂ થયું હતું.

 આ મામલાઓમાં કાર્યવાહી

EDની આ કાર્યવાહી કથિત મની લોન્ડરિંગ, FEMA ઉલ્લંઘન, જમીન સંબંધિત મામલાઓ અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડની તપાસ અંતર્ગત કરવામાં આવી રહી છે. એજન્સીએ લુધિયાણા, જલંધર, ચંડીગઢ અને ગુરુગ્રામ સહિત અનેક શહેરોમાં પણ દરોડા પાડ્યા હતા. તપાસના દાયરામાં અરોડાનો પરિવાર અને તેમની કંપની સાથે જોડાયેલા કેટલીક ઓફિસો પણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ દરોડા વખતે અરોડા દેશમાં હાજર નહોતા. તેઓ સત્તાવાર પ્રવાસે નેધરલેન્ડ્સના એમસ્ટરડમ ગયા છે. ત્યાં તેઓ ‘ઇન્વેસ્ટ પંજાબ’ કાર્યક્રમ હેઠળ પંજાબમાં રોકાણ લાવવા માટે ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.

 બે-ત્રણ દિવસ તમાશો ચાલશે – સંજય સિંહ

આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આપ સાંસદ સંજયએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિરોધ પક્ષના નેતાઓને બદનામ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનેએ પણ આ કાર્યવાહીને રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2024માં પણ EDએ સંજીવ અરોડા સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા। તે સમયે ઔદ્યોગિક જમીન ફાળવણીમાં થયેલી કથિત ગડબડોની તપાસ ચાલી રહી હતી. હવે ED વિદેશી ફંડ ટ્રાન્ઝેક્શન અને અન્ય આર્થિક મામલાઓની તપાસ કરી રહી છે. બીજી તરફ અરોડાએ કહ્યું છે કે જો તેમના વિરુદ્ધ કોઈ પણ ગેરકાયદે કામ સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે.

યોગિક વેલ્થ એટલે અપેક્ષા વગરનું જીવન, અન્યથા એ ભૌતિકવાદ છે

થોડાં વર્ષ પહેલાં હું કૈવલ્યધામના પીઢ યોગાચાર્ય શ્રી ઓ. પી. તિવારીજી સાથે વાત કરી રહ્યો હતો. હાલ તેઓ 86 વર્ષના છે. એમના ચહેરા પરની શાંતિ અને આભા અહોભાવ જગાડનારી છે. એમને જોઈએ ત્યારે અંજાઈ જવાય છે. તેઓ પોતાના એક અનુભવની વાત કરી રહ્યા હતા.

એમણે એક દિવસ લોનાવલાથી મુંબઈ આવવાનું હતું. એમના એક મિત્ર પુણેથી મુંબઈ આવવાના હતા. મુંબઈમાં કેટલાક યોગાચાર્યોની મીટિંગ માટે તેઓ આવી રહ્યા હતા. શ્રી તિવારીજી જે ટ્રેનમાં આવવાના હતા એ મોડી પડી અને એમણે પુણેમાં રહેતા મિત્રને સૂચના આપતાં કહ્યું કે તેઓ સીધા મુંબઈમાં જ મળશે.

તિવારીજીએ મને કહ્યું, “મને ખબર હતી કે મહત્ત્વપૂર્ણ મીટિંગ માટે હું મોડો પડીશ, પણ મેં બધું ભગવાન પર છોડી દીધું.” આખરે થયું એવું કે પુણેથી આવી રહેલા એમના મિત્રની ટ્રેનને અકસ્માત નડ્યો અને તિવારીજી એ મિત્રની પહેલાં જ મુંબઈ પહોંચી ગયા. મિત્રની ટ્રેન મોડી પડી એને લીધે બહારગામથી મુંબઈ આવી રહેલી બીજી ટ્રેનોના સમયપત્રક પર પણ અસર પડી અને આખરે મીટિંગ પાછળ ઠેલવી પડી. તિવારીજીએ સ્થિતિનો સ્વીકાર કરીને મનને શાંત રાખ્યું. એમને ભગવાન પર ભરોસો હતો અને એમણે બધું ભગવાનને સોંપતાં કહ્યું હતું કે એમના માટે જે સારું હોય એ કરે.

આપણામાંથી પણ ઘણા લોકો ભગવાન પર છોડી દીધાનું બોલે છે, પરંતુ વાસ્તવમાં એવી દૃઢ આસ્થા રાખતા નથી. જો ખરી આસ્થા-શ્રદ્ધા હોય તો ક્યારેય ચિંતા કે વિષાદ કે એવી બીજી કોઈ લાગણી મનમાં આવે નહીં.

ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતાં કહ્યું છે, બધાં કર્મો મારું – ભગવાનનું નામ લઈને કરીશ તો તારું મન હંમેશાં શાંત રહેશે. તું કર્તા નહીં, પણ કર્મનું માધ્યમ બનીશ અને તેને લીધે તું લાગણીઓના બંધનમાં જકડાઈશ નહીં.

આપણે પણ ભગવાન પર બધું છોડી દઈએ, કર્મનું ફક્ત માધ્યમ બની જઈએ અને અડગ શ્રદ્ધા રાખીને વર્તમાનમાં જીવીએ તો પ્રસન્નતાનો અનુભવ કરી શકીએ છીએ.

ભગવદ્ ગીતામાં એમ પણ કહેવાયું છે કે આપણી પાસે જે ભૌતિક ચીજવસ્તુઓ છે એ બધી ભગવાનની દેન છે. આથી આપણે ભગવાનનું નામ લઈને જ એનો ઉપયોગ કરવો જોઈએ. ભગવાન પાસે ક્યારેય કંઈ માગવું નહીં. આપણને જેની જરૂર હશે એ આપી દેશે.

માનવીના મનનો ખેલ દર્શાવતું એક ઉદાહરણ મને યાદ આવે છે. મારા એક મિત્રનાં પત્નીએ મને કહ્યું, “ગૌરવભાઈ, મને મોટો ફ્લેટ અપાવવાનું કામ મેં ભગવાન પર છોડ્યું છે.” એમના આ નિવેદન પરથી કહી શકાય કે એમણે પોતાની અપેક્ષા છોડી નથી.

ભગવાન પર છોડી દેવાનો અર્થ એ છે કે કોઈ અપેક્ષા રાખવી નહીં. અપેક્ષાઓ જ દુઃખ, અજંપો, વિષાદને જન્મ આપે છે. જો તેઓ એમ કહે કે, “હે ભગવાન, તને યોગ્ય લાગે તો મને મોટો ફ્લેટ અપાવજે”, તો એમાં પણ મોટા ફ્લેટની ઈચ્છા ડોકિયું કરે છે.

ખરી રીતે તો કોઈ પણ અપેક્ષા વગરની સ્થિતિ હોવી જોઈએ. જો ભગવાનની ઈચ્છા હશે તો એ આપણી જરૂરિયાત મુજબનું ઘર અપાવી જ દેશે. ઘર મળે કે ન મળે એ નિર્ણય પણ ભગવાન પર છોડી દેવાનો હોય છે.

યોગિક વેલ્થ પણ બધું ભગવાનને સોંપી દેવાનું શીખવે છે. જ્યારે જ્યારે જેની જરૂર હશે એ વસ્તુ ત્યારે ત્યારે આપવાનું કામ ભગવાનનું છે, કંઈ પણ માગવાનું કામ આપણું નથી. ઈશ્વરને સમર્પણ કર્યા બાદ જે કંઈ ભૌતિક સુખ-સાધન મળે છે એનો આનંદ માણવો. ભૌતિક સુખ માણવું નહીં એવું કહેવાનું યોગિક વેલ્થનું તાત્પર્ય નથી. ભગવાને જે આપ્યું છે એનો ભગવાનના નામે જ આનંદ લેવો એ શીખવવાનું કામ યોગિક વેલ્થ કરે છે.

અહીં પણ એક છટકું હોય છે. આપણે ઘણી વાર ભગવાનના નામે બધું કરીએ છીએ, પણ આખરે તો એમાં આપણી મનની કોઈ ઈચ્છા ડોકાયા કરતી હોય છે. આત્મચિંતન કરનાર માણસને જ આ વાતની ખબર પડે છે. જો મનમાં કોઈ ક્લેષ એટલે કે વિરોધાભાસ નહીં હોય તો એ યોગિક વેલ્થ કહેવાશે, અન્યથા એ ભૌતિકવાદ છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

મહારાણા પ્રતાપની જન્મજયંતિ પર પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તેમણે પોતાનું આખું જીવન પોતાની માતૃભૂમિને સમર્પિત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાંજલિ આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના મહાન યોદ્ધા અને શૌર્ય અને પરાક્રમના અમર પ્રતીક મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું,”દેશના મહાન યોદ્ધા અને શૌર્ય અને બહાદુરીના અમર પ્રતીક મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું આખું જીવન માતૃભૂમિના સન્માન, ગરિમા અને ગૌરવની રક્ષા માટે સમર્પિત કર્યું. તેમની અદમ્ય હિંમત અને અતૂટ આત્મસન્માનની વાર્તાઓ આવનારા યુગો સુધી દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરતી રહેશે.”

સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નથી 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પણ લખ્યું,”અદમ્ય હિંમત, આત્મસન્માન અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણના શાશ્વત પ્રતીક મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર મારી નમ્ર શ્રદ્ધાંજલિ.” તેમણે કહ્યું, “ભારતીય ઇતિહાસમાં સ્વતંત્રતા, આત્મસન્માન અને બલિદાનના સર્વોચ્ચ પ્રેરણાસ્ત્રોત મહારાણા પ્રતાપે પોતાના જીવનની દરેક ક્ષણ પોતાની માતૃભૂમિ, ધર્મ અને સંસ્કૃતિના ગૌરવનું રક્ષણ અને જાળવણી કરવા માટે સમર્પિત કરી. પ્રતિકૂળતા, મુશ્કેલીઓ અને સંઘર્ષનો સામનો કરવા છતાં તેમણે ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહીં.”

કેન્દ્રીય ગૃહમંત્રી શાહે વધુમાં જણાવ્યું કે મહારાણા પ્રતાપની અપ્રતિમ બહાદુરી દેશભક્તિની ભાવનાને પ્રજ્વલિત કરે છે. તેમણે કહ્યું, “મહારાણા પ્રતાપની અપ્રતિમ બહાદુરી અને માતૃભૂમિ પ્રત્યેની તેમની અતૂટ વફાદારી આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિની ભાવનાને પ્રજ્વલિત કરે છે.”

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું,”ભારત માતાના અમર પુત્ર, સ્વતંત્રતાનો શાશ્વત અવાજ, બલિદાન અને નિઃસ્વાર્થતાના તેજસ્વી ધ્વજ, ‘હિંદુઓનો સૂર્ય’ અને શૌર્યના પ્રતીક મહારાણા પ્રતાપની જન્મજયંતિ પર હું મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.” તેમણે ઉમેર્યું, “માતૃભૂમિના સન્માન અને ગૌરવનું રક્ષણ કરવામાં તમારી અદમ્ય હિંમત અને સંપૂર્ણ આત્મ-બલિદાન ભારતીય લોકોને યુગો યુગો સુધી અન્યાય સામે અડગ રહેવા અને રાષ્ટ્ર પ્રત્યે અતૂટ વફાદારી જાળવી રાખવા માટે પ્રેરણા આપતું રહેશે.”

ધર્મેન્દ્રએ ‘યાદોં કી બારાત’ માં વીગ પહેરવી પડી!

1973માં રિલીઝ થયેલી ‘યાદોં કી બારાત’ હિન્દી સિનેમાની એવી ફિલ્મોમાંની એક છે જેણે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ એટલે કે મેળામાં ખોવાઈ ગયેલા ભાઈઓના મિલનની ફોર્મ્યુલાને એક નવી ઊંચાઈ આપી હતી. ફિલ્મ સાથે જોડાયેલી વાતો અને તેના સર્જનની પ્રક્રિયા આજે પણ એટલી જ મજેદાર અને પ્રેરણાદાયક છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મની મૂળ વાર્તા ઇટાલિયન વેસ્ટર્ન ફિલ્મ ‘ડેથ રાઈડ્સ એ હોર્સ’ પરથી પ્રેરિત હતી. નાસિર હુસૈને જ્યારે આ વાર્તા પર કામ શરૂ કર્યું ત્યારે સલીમ-જાવેદે આ જ મૂળપ્લોટ પર ‘ઝંઝીર’ લખી હતી. બંને ફિલ્મોમાં વિલન અજીત હતા અને બંનેમાં હીરો પોતાના માતા-પિતાના કાતિલને શોધે છે. ફેર માત્ર એટલો હતો કે ‘ઝંઝીર’માં એક બાળક હતું જ્યારે ‘યાદોં કી બારાત’ માં ત્રણ ભાઈઓની વાત હતી.

ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને પણ ઘણા કિસ્સા છે. શરૂઆતમાં નાસિર હુસૈન ધર્મેન્દ્રના નાના ભાઈના રોલ માટે અમિતાભ બચ્ચનને લેવા માંગતા હતા. પરંતુ ત્યારે વિતરકોએ અમિતાભને નિષ્ફળ અભિનેતા ગણાવીને લેવાની ના પાડી દીધી હતી. બાદમાં જ્યારે ‘ઝંઝીર’ હિટ થઈ ત્યારે એ જ વિતરકો અમિતાભને લેવા માટે દબાણ કરવા લાગ્યા હતા. ત્યાં સુધીમાં વિજય અરોરા શૂટિંગ શરૂ કરી ચૂક્યા હતા. ફિલ્મમાં આમિર ખાન બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા. જેમણે તારિક ખાનના બાળપણનો રોલ ભજવ્યો હતો.

ફિલ્મમાં ધર્મેન્દ્રએ પહેલીવાર મોટાભાઈનો ગંભીર રોલ કર્યો હતો. અગાઉ તેમણે ‘વક્ત’ માં આવો જ રોલ ઠુકરાવ્યો હતો. કારણ કે તેમને ડર હતો કે ઈમેજ બદલાઈ જશે. ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં શંકરનું પાત્ર ભજવ્યું હતું. જે સતત પોતાના માતા-પિતાના મોતનો બદલો લેવા તડપે છે. તેમના દેખાવ વિશેની એક બહુ ચર્ચિત વાત એ છે કે ધર્મેન્દ્રના પોતાના વાળ ખૂબ જ સુંદર હોવા છતાં તેમને આખી ફિલ્મમાં વિગ પહેરાવવામાં આવી હતી. આ પાછળનું મુખ્ય કારણ એ હતું કે દિગ્દર્શક નાસિર હુસૈન તેમના પાત્રને અત્યંત ગંભીર, રફ અને બદલાની આગમાં જલતા માણસ તરીકે દેખાડવા માંગતા હતા. આ લૂક વિજય અરોરા અને તારિક ખાનના ચોકલેટી લૂકથી સાવ અલગ હતો. જેણે વાર્તામાં એક તીવ્રતા ઊભી કરી હતી. ફિલ્મના વિલનનું નામ ‘શાકાલ’ રાખવામાં આવ્યું હતું. જે પબ્લિસિટી ઇન્ચાર્જ જી.પી. શાકાલના નામ પરથી લેવામાં આવ્યું હતું. આ જ નામ પાછળથી ‘શાન’ ફિલ્મમાં પણ અમર થઈ ગયું હતું.

સંગીતની વાત કરીએ તો આર.ડી. બર્મનનું સંગીત ફિલ્મનો આત્મા છે. ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ ગીતના શૂટિંગ વખતે ઝીનત અમાનનો લૂક ખૂબ ચર્ચામાં રહ્યો હતો. નાસિર હુસૈન ઈચ્છતા હતા કે ઝીનત સલવાર-કમીઝ પહેરે પરંતુ ઝીનતે પોતાનો મોર્ડન લૂક રાખવાની જીદ કરી અને તે જ લૂક ઇતિહાસ બની ગયો. આ ગીતની ધૂન એક અંગ્રેજી ગીત ‘ઇફ ઇટ્સ ટ્યુઝડે ધીસ મસ્ટ બી બેલ્જિયમ’ પરથી પ્રેરિત હતી. ‘લેકર હમ દીવાના દિલ’ એ નીતુ સિંહને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. ફિલ્મનું ટાઈટલ ગીત લતા મંગેશકર સાથે પદ્મિની કોલ્હાપુરે અને શિવાંગી કોલ્હાપુરેએ પણ ગાયું હતું. વર્ષ ૧૯૭૩માં ‘બોબી’ પછી ‘યાદોં કી બારાત’ બીજી સૌથી મોટી હિટ સાબિત થઈ હતી. ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં ચીન અને રોમાનિયામાં પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. રોમાનિયામાં આજે પણ આ ફિલ્મના ગીતો ગુંજે છે. બાદમાં આ ફિલ્મની તેલુગુ, તમિલ અને મલયાલમમાં રિમેક બની હતી.