બૉલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ઘાયલ થયાના સમાચાર છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ ‘કિંગ’ના સેટ પર એક એક્શન સીન દરમિયાન ઘાયલ થયા છે. આ કારણે તે શૂટિંગમાંથી બ્રેક લઈ રહ્યા છે. ડૉક્ટરોએ તેમને એક મહિના આરામ કરવાની પણ સલાહ આપી છે. જોકે, શાહરૂખ ખાનની ટીમે હજુ સુધી આવી કોઈ ઘટના અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
બૉલિવૂડ હંગામાના અહેવાલ મુજબ શાહરૂખ ખાનને મુંબઈના એક ફિલ્મ સ્ટુડિયોમાં એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે આ ઈજા થઈ હતી. શાહરૂખ ‘કિંગ’માં તેની પુત્રી સુહાના ખાન સાથે જોવા મળશે. એવું કહેવાય છે કે શૂટિંગ દરમિયાન સુપરસ્ટારને કથિત રીતે સ્નાયુમાં ઈજા થઈ હતી.
જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઈજા બહુ ‘ગંભીર’ નથી, પરંતુ સ્નાયુઓમાં ખેંચાણને કારણે ડૉકટરોએ શાહરૂખને એક મહિના માટે આરામ કરવાની સલાહ આપી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ઈજાને કારણે શાહરૂખ તેની ટીમ સાથે જરૂરી સારવાર માટે અમેરિકા ગયો છે. આ કારણે’કિંગ’નું શૂટિંગ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. જુલાઈ અને ઓગસ્ટ વચ્ચેનું શૂટિંગ શેડ્યૂલ મુલતવી રાખવામાં આવ્યું છે. હવે આગામી શેડ્યૂલ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં શરૂ થશે.
આ વર્ષની શરૂઆતમાં શાહરૂખ ખાન જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કોલર નીચે કાળી ટેપ પહેરેલા જોવા મળ્યા હતા.એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે એક્શન થ્રિલર ‘કિંગ’ના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હશે.
‘જવાન’ અને ‘પઠાણ’ ની બ્લોકબસ્ટર સફળતા પછી ‘કિંગ’ હવે શાહરૂખ ખાનની સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક છે. તેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે, જેમણે ‘પઠાણ’ અને ‘વોર’ ફિલ્મો બનાવી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના પણ તેના પિતા સાથે જોવા મળશે.સુહાનાએ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. આવી સ્થિતિમાં ‘કિંગ’ થિયેટરમાં તેની પહેલી ફિલ્મ હશે. તાજેતરમાં એવી ચર્ચા થઈ છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, જયદીપ અહલાવત, અનિલ કપૂર, અરશદ વારસી અને જેકી શ્રોફ પણ છે.
નવી દિલ્હીઃ એશિયા કપ 2025ના આયોજન પર હવે અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયાં છે કારણ કે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) અને અન્ય કેટલાક સભ્ય બોર્ડોએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની આગામી બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ બેઠક 24 જુલાઈએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાવાની છે, પરંતુ BCCI ઢાકામાં યોજાનારી આ બેઠકમાં ભાગ લેવાની ઇચ્છતી નથી.
BCCIનો ઢાકા મુલાકાતનો ઈનકાર
BCCIએ ACC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીને આ વાતની ઔપચારિક જાણ કરી દીધી છે કે જો બેઠક ઢાકામાં થશે તો તેઓ તેમાં ભાગ નહીં લેશે. BCCIનો આ નિર્ણય ભારતમાં અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
ભારત સિવાય શ્રીલંકા, ઓમાન અને અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડોએ પણ બેઠકના સ્થળને લઈને સમાન વિરોધ વ્યક્ત કર્યો છે અને ભારતને સમર્થન આપ્યું છે. જોકે ACCના અધ્યક્ષ મોહસિન નકવી ઢાકામાં બેઠક યોજવાની દલીલ પર અડગ રહ્યા છે. BCCIએ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તેઓ ઢાકામાં યોજાનારી બેઠકમાં ભાગ નહીં લે. સાથે જ, તેમણે વ્યક્તિગત રીતે પણ બેઠકનું સ્થાન બદલવા વિનંતી કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી.
ACCના બંધારણ મુજબ ઢાકામાં યોજાનારી બેઠકમાં મુખ્ય સભ્યોની ગેરહાજરીમાં લેવામાં આવતા કોઈ પણ નિર્ણયો અમાન્ય ગણાશે. આથી એશિયા કપની મેજબાની અંગે વિવાદ ઊભો થવાની શક્યતા વધી છે. સૂત્રો કહે છે કે ઢાકામાં બેઠક યોજવાની નકવીના આગ્રહને ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. હાલમાં બેઠક યોજાવા થોડા જ દિવસ બાકી છે અને ACC તરફથી સ્થળ બદલવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે આ વર્ષે એશિયા કપ સપ્ટેમ્બર મહિનામાં યોજાવાનો છે.
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 51.16 ટકા વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- ગાંધીનગરના આંકડા મુજબ કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 58.46 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા, પૂર્વ મધ્યમાં 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં 49.36 ટકા, અને ઉત્તર ગુજરાતમાં 48.02 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 54.90 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,83,404 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,32,380 એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.55 ટકા જેટલું છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 36 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 41 ડેમને હાઈ એલર્ટ, 21 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 60 ડેમ 70 ટકાથી 100 ટકા, 37 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 43 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 18 જુલાઈ 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 50.27 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 58.74 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ 18.50 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 18.56 લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4,278 નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 689 નાગરીકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં આ દિવસોમાં હિન્દી ભાષાને લઈને હોબાળો ચાલી રહ્યો છે. મરાઠી ન બોલવા બદલ મારપીટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ હિન્દી ફરજિયાત કરવામાં આવે તો શાળાઓ બંધ કરવાની ધમકી આપી છે. રાજ ઠાકરેએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે પર પણ નિશાન સાધ્યું છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ આ અંગે નિવેદન બહાર પાડ્યું છે. નિતેશ રાણેએ કહ્યું,’જો ઉદ્ધવ બીએમસી ચૂંટણી જીતે છે, તો અબ્દુલ કે શેખ મુંબઈના મેયર બનશે, તો શું મુંબઈના હિન્દુઓ સુરક્ષિત રહેશે?’
નિતેશ રાણેએ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા
નિતેશ રાણેએ કહ્યું,’જો તમે શાળાઓ બંધ કરવા માંગતા હો, તો મદરેસા બંધ કરવાનો પ્રયાસ કરો. ત્યાં આતંકવાદ શીખવવામાં આવે છે, તલવારો મળી આવી છે. ત્યાં કોણ મરાઠી ભણે છે. જો તમારે કાન નીચે મારવું હોય તો મીરા રોડ (મુસ્લિમ બહુમતી) નયા નગરમાં જાઓ. સભા ત્યાં થવી જોઈતી હતી, મરાઠી ફરજિયાત કેમ નથી. ત્યાં શરિયા કાયદાનું પાલન થાય છે. જો ઉદ્ધવ જીતે છે, તો અબ્દુલ કે શેખ મુંબઈના મેયર બનશે, શું મુંબઈના હિન્દુઓ સુરક્ષિત રહેશે? જેહાદીઓ દેશને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગે છે.’ નિશિકાંત દુબે અંગે આપેલા નિવેદન પર નિતેશ રાણેએ રાજ ઠાકરે પર પણ નિશાન સાધ્યું છે.
નિશિકાંત દુબેને ધમકી આપવા અંગે નિતેશ રાણેએ શું કહ્યું?
નિતેશ રાણેએ કહ્યું,’નિશિકાંત દુબેના નિવેદનને કોઈ સમર્થન આપતું નથી. મંત્રી આશિષ શેલાર પહેલાથી જ ગૃહમાં આ વાત કહી ચૂક્યા છે. સરકાર જોશે કે જનપ્રતિનિધિને ધમકી આપવાના કિસ્સામાં શું કાર્યવાહી કરવી. હિન્દુઓએ એક થવું પડશે નહીંતર તેઓ દેશને ઇસ્લામિક રાષ્ટ્રમાં ફેરવી દેશે. જો લોકોમાં ઉદ્ધવ ઠાકરે જેવી વિચારસરણી હોય, તો તેમના સાંસદો જીત્યા પછી ઇસ્લામિક ઝંડા ફરકાવે છે. મરાઠી લોકોને પણ એ પસંદ નથી કે હિન્દુઓની હત્યા થઈ રહી છે. શું ઉદ્ધવ ઠાકરે ‘બટેંગે તો કટેંગે’ના બ્રાન્ડ એમ્બેસેડર છે? જો કોઈ ઘટના બને અને કોઈ હિન્દુઓ પર હાથ ઉપાડે તો કાર્યવાહી કરવામાં આવશે. કોઈ કોઈને ધમકી આપી શકે નહીં, સરકાર નિર્ણય લેશે.
નવી દિલ્હીઃ આ વર્ષની શરૂઆતમાં થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં યમુનાની સફાઈ એક મોટું મુદ્દો બન્યો હતો. ભાજપે કહ્યું હતું કે કેજરીવાલના 10 વર્ષના શાસન દરમિયાન યમુના સાફ થઈ નથી અને હવે તે યમુનાને સાફ કરવા માટે મોટે પાયે પગલાં ભરશે, પણ યમુના અંગે આવેલા દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC)ના તાજો રિપોર્ટ ખૂબ જ ખરાબ ચિત્ર દર્શાવે છે.
આ રિપોર્ટ જણાવે છે કે જૂનની સરખામણીએ જુલાઈમાં નદીમાં પ્રદૂષણનું સ્તર ઘણું વધી ગયું છે. તાજો રિપોર્ટ 17 જુલાઈએ આવ્યો છે અને નદીમાંથી નમૂનાઓ પહેલી જુલાઈએ લેવામાં આવ્યા હતા. યમુના નદી પલ્લા વિસ્તારમાંથી દિલ્હીમાં પ્રવેશે છે અને લગભગ 22 કિલોમીટર સુધી વહે છે.નદીમાં ફિસલ કોલિફોર્મ બેક્ટેરિયાનું સ્તર ખૂબ જ વધારે છે. ITO ખાતે તેનો સ્તર 92,00,000 MPN/100 ml હતો, જે નિર્ધારિત મર્યાદાથી 4000 ગણો વધુ છે. આથી જાણવા મળે છે કે યમુનામાં સતત સિવરેજનો પ્રવાહ વધી રહ્યો છે.
આ ઉપરાંત, પલ્લામાં BOD (Biochemical Oxygen Demand) 8 mg/l મળી હતી, જ્યારે CPCB અનુસાર સુરક્ષિત મર્યાદા માત્ર 3 mg/l છે. BOD પાણીની ગુણવત્તાનો એક મહત્વપૂર્ણ માપદંડ છે. ITO નજીક BODનો સ્તર 70 mg/l સુધી પહોંચ્યો છે, જે ખુબ જ ખરાબ સ્થિતિ દર્શાવે છે. અસગરપુર વિસ્તારમાં BOD 24 mg/l રહ્યો, જે થોડી યોગ્ય સ્થિતિ બતાવે છે, પરંતુ હજુ પણ સુરક્ષિત મર્યાદાથી ઘણો વધુ છે.આ બધાથી સ્પષ્ટ થાય છે કે યમુનામાં હજી પણ વિશાળ પ્રમાણમાં ગંદું પાણી પ્રવાહિત થઈ રહ્યું છે. દિલ્હીમાં 22 નાળાઓ સીધા યમુનામાં જાય છે.
બૉલિવૂડ અભિનેત્રી સંગીતા બિજલાનીના પુણે સ્થિત ફાર્મ હાઉસમાં તોડફોડ કરી ચોરોએ તેમના ઘરમાંથી ઘણી કિંમતી વસ્તુઓની ચોરી કરી છે. અભિનેત્રી ઘણા દિવસોથી ફાર્મ હાઉસની મુલાકાત લીધી ન હતી અને જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે તે તેના ઘરની હાલત જોઈને દંગ રહી ગઈ.
સંગીતાએ લોનાવાલા ગ્રામીણ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ પોલીસે હવે આ મામલાની તપાસ શરૂ કરી છે. સંગીતાનું ફાર્મ હાઉસ લોનાવાલા નજીક પવન માવલ વિસ્તારમાં છે જ્યાં ગઈકાલે રાત્રે કોઈએ ચોરી કરી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે સંગીતા કે તેના નોકરો ઘટનાસ્થળે હાજર નહોતા.
સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસમાં ચોરી
પુણે ગ્રામીણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અભિનેત્રી સંગીતા બિજલાનીએ જણાવ્યું હતું કે,’ફાર્મહાઉસનો મુખ્ય દરવાજો અને બારીની ગ્રીલ તૂટેલી હતી. એક ટીવી સેટ ગાયબ હતો, બેડ અને રેફ્રિજરેટર સહિત ઘણી કિંમતી ઘરવખરીનો સામાન ગાયબ હતો. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ તૂટેલા હતા.’ સંગીતાએ પુણે ગ્રામીણ એસપી સંદીપ સિંહ ગિલને જણાવ્યું હતું કે,’મારા પિતાની તબિયત ખરાબ હોવાને કારણે હું ફાર્મ હાઉસ જઈ શકી ન હતી… પરંતુ આજે જ્યારે હું મારા બે ઘરના હાઉસહેલ્પ સાથે ફાર્મ હાઉસ ગઈ ત્યારે મેં જોયું કે મુખ્ય દરવાજો તૂટેલો હતો. જ્યારે અમે અંદર ગયા ત્યારે મારી કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી.’
હિન્દી સિનેમાની ફિટ અને સુંદર અભિનેત્રી સંગીતા બિજલાનીએ માત્ર 16 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યું હતું. 1980માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ સંગીતાએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને પ્રખ્યાત થઈ, ત્યારબાદ તે ‘ત્રિદેવ’, ‘વિષ્ણુ દેવા’ અને ‘યુગંધર’ જેવી ફિલ્મોમાં જોવા મળી. 80 અને 90 ના દાયકામાં બોલિવૂડમાં સક્રિય સંગીતાએ પોતાની કારકિર્દીમાં ‘હથિયાર’, ‘યોદ્ધા’, ‘ઇજ્જત’ અને ‘યુગંધર’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું.
વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસિદ્ધ અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ), તેના માલિક રુપર્ટ મર્ડોક, ડાઉ જોન્સ, ન્યુઝ કોર્પ અને બે પત્રકારો વિરુદ્ધ 10 અબજ ડોલરનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે તેમણે જાણબૂજીને ખોટી માહિતી પ્રસિદ્ધ કરી, જેને કારણે તેમને નાણાકીય તેમ જ પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આ કેસ ફ્લોરિડા રાજ્યના દક્ષિણ જિલ્લાની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.
ટ્રમ્પે આ બાબતે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે હું રુપર્ટ મર્ડોક અને તેમના ‘કચરાના ઢગલા’ સમાન અખબાર WSJની વિરુદ્ધ દાખલ કરેલા મારા કેસમાં સાક્ષી આપવાની રાહ જોઈ રહ્યો છું. આ એક રસપ્રદ અનુભવ હશે.
— Fan Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) July 19, 2025
શું છે મામલો? વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2003માં ત્યારે રિયલ એસ્ટેટના મોટા વેપારી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે યૌન શોષણના આરોપી જૈફ્રી એપસ્ટિનને તેના જન્મદિવસે પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં એક મહિલાનું નિર્વસ્ત્ર ચિત્ર, ટ્રમ્પનું નામ અને કેટલીક ગુપ્ત બાબતોના સંકેત આપવામાં આવ્યા હતા.
ટ્રમ્પે WSJના આ અહેવાલને ખોટો ગણાવ્યો હતો અને રુપર્ટ મર્ડોકને ચેતવણી આપી હતી કે તેઓ WSJ તથા તેના સંબંધિત લોકો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેશે. WSJની મુખ્ય કંપની ડાઉ જોન્સ, ન્યૂઝ કોર્પની એક શાખા છે.
જૈફ્રી એપસ્ટિન કોણ હતો? જૈફ્રી એપસ્ટિન એક ફાઇનાન્સર હતો અને તેના પર અનેક યૌન શોષણના આરોપો લાગેલા હતા. 2019માં તેણે ન્યુ યોર્કની જેલમાં આત્મહત્યા કરી હતી. ટ્રમ્પના સમર્થકોનું જૂથ Make America Great Again (MAGA) માને છે કે ટ્રમ્પ સરકાર આ મામલાને છુપાવી રહી છે અને એટર્ની જનરલ પામ બોન્ડી સહિત કેટલીક વ્યક્તિઓને લક્ષ્ય બનાવવામાં આવી છે.
પોતાના અનોખા તેલંગાણા ઉચ્ચારણ અને ઉત્તમ કોમિક ટાઇમિંગ માટે પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટ, જેનું સાચું નામ વેંકટ રાજ હતું, તેમનું 18 જુલાઈ, 2025ના રોજ અવસાન થયું. આ અભિનેતા ઘણા મહિનાઓથી કિડનીની સારવાર લઈ રહ્યા હતા. તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું હતું અને તાજેતરમાં જ તેમના શરીર નબળા પડવાને કારણે તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.
અભિનેતા વેંકટને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી, જેના માટે તેમને પવન કલ્યાણ અને વિશ્વક સેન તરફથી નાણાકીય મદદ મળી. જોકે, યોગ્ય દાતા મળી શક્યા નહીં અને કિડની ફેલ્યોરને કારણે તેમનું અવસાન થયું. તેઓ ‘ગબ્બર સિંહ’ અને ‘ડીજે ટિલ્લુ’માં તેમના અભિનય માટે જાણીતા હતા. ફિશ વેંકટ ફિલ્મ ઉદ્યોગમાં પણ તેમના કોમેડી પાત્રો માટે પ્રખ્યાત હતા.
આર્થિક સંકટને કારણે અભિનેતાનું અવસાન
હૈદરાબાદની એક હોસ્પિટલમાં કિડની ફેલ થવાને કારણે ફિશ વેંકટનું અવસાન થયું. ડૉક્ટરોએ તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. પરંતુ, આર્થિક સંકટને કારણે અભિનેતાનો પરિવાર તેમની તબીબી સારવારનો ખર્ચ ઉઠાવી શક્યો નહીં. વેંકટની સ્થિતિ સતત બગડતી ગઈ અને અંતે તે જીવન સામેની લડાઈ હારી ગયો. ગુલ્ટેના અહેવાલ મુજબ વેંકટ ગંભીર કિડની અને લીવરની સમસ્યાઓથી પીડાતા હતા અને છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેમનું સ્વાસ્થ્ય ઝડપથી બગડતું ગયું. મામલો ગંભીર બનતા પરિવાર યોગ્ય તબીબી સંભાળ માટે નાણાકીય મદદ શોધી રહ્યો હતો. તેમની પુત્રી શ્રાવંતીએ અપીલ કરી અને કહ્યું કે તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 50 લાખ રૂપિયાની નાણાકીય મદદ શોધી રહ્યા છે જે તેમના જીવન માટે જરૂરી છે.
બે દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેઓ તેમની કૉમેડી અને સહાયક ભૂમિકાઓ માટે જાણીતા હતા અને ઘણીવાર તેલંગાણા ભાષાની ફિલ્મોમાં દેખાયા હતા. 1971 માં આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં જન્મેલા ફિશ વેંકટે 2000 માં આવેલી ફિલ્મ ‘સમ્મક્કા સારક્કા’ થી અભિનયની શરૂઆત કરી હતી. તેમણે મોટાભાગે પડદા પર નકારાત્મક ભૂમિકાઓ ભજવી હતી અને બાદમાં કેટલીક ફિલ્મોમાં હાસ્ય કલાકાર બન્યા અને દર્શકોને ખૂબ હસાવ્યા. તેમણે ‘ગબ્બર સિંહ’, ‘અધૂર’, ‘ડીજે ટિલ્લુ’ જેવી મહાન ફિલ્મોથી લોકોમાં પોતાની ઓળખ બનાવી.
“ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય અને માનવીઓને પ્રેમ કરવાનો હોય” સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના એક પ્રવચનમાં આ વાક્ય આવ્યું હતું. એમાં વધુમાં કહેવાયું હતું, “જો ચીજવસ્તુઓને પ્રેમ કરાવા લાગે અને માનવીઓનો ઉપયોગ થવા લાગે તો ઘણી મોટી આફત સર્જાઈ શકે છે.”
ઉપરોક્ત વિધાન પરથી વિચારવા જેવું છે કે આપણે શું કરી રહ્યા છીએ.
અહીં એક ઉદાહરણ ટાંકવા જેવું છે. મારા મિત્રનાં પત્નીએ એક દિવસ વાતવાતમાં કહ્યું હતું, “ગૌરવભાઈ, મારો ભાઈ બેલ્જિયમથી ઘણી વખત ચોકલેટ મોકલાવે છે. મને એ ઘણી જ ભાવે છે. હું ઘરમાં બધાથી સંતાડીને રાખું છું અને દરરોજ એક ચોકલેટ ખાઉં છું. એમાંથી એકેય ટુકડો હું કોઈને આપતી નથી.”
આ ઉદાહરણમાં ચોખ્ખું દેખાય છે કે સામેવાળી વ્યક્તિને ચોકલેટ ઘણી પ્રિય છે અને તેઓ કોઈ માનવીનો નહીં, પણ ચોકલેટનો ઉપયોગ કરે છે.
હવે બીજું એક ઉદાહરણ. બૅન્કના મૅનેજર મીનાબેન સાથે બનેલી આ ઘટના છે. તેઓ મુંબઈમાં રહે છે. એમણે થોડાં વર્ષો પહેલાં બનેલા આ બનાવ વિશે મને વાત કરી હતી. પરેશ નામની વ્યક્તિનું એમના માટે માગું આવ્યું હતું. પરેશનો પરિવાર એ વખતે દુબઈમાં હતો. પરેશ અને એની બહેન પ્રિયંકા ભારત આવવાનાં હતાં. એમના કોઈ સંબંધી પુણેમાં રહેતા હતા. થયું એવું કે મીનાબેનને પરેશ અને પ્રિયંકા વચ્ચેનો ઈમેલ મળી ગયો હતો, કારણ કે પ્રિયંકાએ નવો ઈમેલ બનાવવાને બદલે એ ત્રણે વચ્ચે અગાઉ થયેલા આદાનપ્રદાનના ઈમેલમાં જ જવાબ મોકલ્યો હતો. એ ત્રણે વચ્ચે અગાઉ પરેશ અને પ્રિયંકાના ભારત પ્રવાસ બાબતે વાતો થઈ હતી.
પરેશની સાથે સાથે ભૂલથી મીનાને પહોંચી ગયેલા ઈમેલમાં પ્રિયંકાએ લખ્યું હતું, “આપણે રાત્રે ઍરપોર્ટથી ઊતરીને સીધાં મીનાના ઘરે જઈશું. ત્યાં રાત રોકાઈને બીજા દિવસે સવારે પુણે ચાલ્યાં જઈશું. ચોમાસાના દિવસોમાં રાતના સમયે કારમાં પુણે જવું હિતાવહ નથી. પુણે પહોંચ્યા બાદ બે-ત્રણ દિવસ રહીને નમ્રપણે મીનાને જવાબ આપી દઈશું કે આ સંબંધમાં આગળ વધવાની ઈચ્છા નથી.”
ઉક્ત ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે અહીં માનવીનો ઉપયોગ થયો છે. લોકો આવી નાની-નાની બાબતોમાં બીજાઓનો ઉપયોગ કરતા હોય છે. આપણે ઘણી વાર જોયું-સાંભળ્યું છે કે જો કોઈ વ્યક્તિ આપણી સાથે કોઈને પાર્સલ મોકલવા ઈચ્છતી હોય તો એ વખતે ઘણું મીઠું-મીઠું બોલે અને કામ પતી ગયા બાદ રસ્તામાં મળે તોય સામું પણ ન જુએ.
આવા તો અનેક કિસ્સાઓ છે, જેમાં લોકો એકબીજાનો ઉપયોગ કરી લેતા હોય છે. આપણે પોતે કેટલી વાર એવું કર્યું છે એ તો આપણે જ જાણીએ. ખરું પૂછો તો, આવું વર્તન કરનાર વ્યક્તિના પોતાના મનમાં અસલામતીની ભાવના જન્મે છે. પોતે બીજાઓ સાથે જેવું વર્તન કર્યું હોય એવું પોતાની સાથે પણ બનતું દેખાય અને સામેવાળા માણસના વ્યવહાર પ્રત્યે શંકા જન્મે. આમ, પોતે જે કર્યું હોય એ પોતાની સામે આવીને ઊભું રહે છે. આવું વલણ બદલવામાં ન આવે તો ક્યારેય જીવનને માણી શકાય નહીં.
આપણે પોતાની સંપત્તિ બાબતે સલામતી અનુભવીએ એને જ યોગિક સંપત્તિ કહેવાય. જો આપણામાં સલામતી હોય તો દરેક વાતમાં સુખનો અનુભવ થાય અને જો સલામતી ન હોય તો પૈસાથી અસંતોષ રહે અને જીવનમાં આનંદ ન બચે. આપણે પૈસા પાછળ દોટ મૂકીએ ત્યારે પૈસા આપણાથી દૂર દૂર જતાં રહે છે અને પછી એ પકડદાવ અવિરત ચાલ્યા કરે છે.
અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક ગણાતા બેન્જામિન ફ્રેન્કલિને એક વખત કહ્યું હતું, “પૈસાથી માણસ ક્યારેય સુખી થતો નથી અને થશે પણ નહીં. સુખ આપનારું કોઈ તત્ત્વ પૈસામાં નથી. માણસની પાસે પૈસો જેટલો વધારે એટલો એને અસંતોષ વધારે.” માણસમાં પૈસાના અભાવની વૃત્તિને લીધે અસલામતી જન્મે છે, જે જીવનના દરેક પાસામાં ડોકાયા કરે છે.
ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે હું અને મારા સહયોગી નવા ક્લાયન્ટ્સ સાથે મીટિંગ કરીએ ત્યારે એ મીટિંગને “મારો પૈસા સાથેનો સબંધ” એવું નામ આપીએ છીએ. અમે ક્લાયન્ટ્સને પોતાના જન્મથી લઈને મીટિંગ થવા સુધીની બધી જ વાતો કરવાનું કહીએ છીએ. એની પાછળનું કારણ એમના અંગત જીવનમાં ડોકિયું કરવાનું નહીં, પરંતુ પૈસા પ્રત્યેની એમની ભાવના જાણવાનું હોય છે. એકાદ-બે કલાકની એ વાતચીત દરમિયાન અમને એવી ઘણી બધી જાણકારી મળી જતી હોય છે, જેની મદદથી અમે ક્લાયન્ટ્સને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. એનાથી એમનું સંપત્તિસર્જન વધુ સુગમ બનાવી શકાય છે. તેઓ ફક્ત સંપત્તિ સર્જે નહીં, પણ તેનો આનંદ માણે એવી એની પાછળની ભાવના હોય છે.
સલામતીની ભાવના સાથે જીવન જીવો. ચીજવસ્તુઓનો ઉપયોગ કરો, માનવીઓનો નહીં. બાકીનું બધું આપોઆપ સચવાઈ જશે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
મુંબઈઃ મુંબઈમાં હિન્દીભાષી લોકોની પિટાઈને મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. ભાજપ સાંસદના પટકી પટકીને મારીશું’ જેવા નિવેદન પર રાજ ઠાકરે કહ્યું છે કે તું મુંબઈમાં આવ દુબે, અમે તને દરિયામાં દરિયામાં ડુબાડી-ડુબાડીને મારીશું.
રાજ ઠાકરે CM દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી આપી છે કે જો રાજ્યમાં ધોરણ એક પાંચ સુધી હિન્દી ભાષાને ફરજિયાત બનાવવામાં આવશે તો અમે શાળાઓ બંધ કરાવવા માટે પાછા નહીં પડીએ. જ્યારે દુબેએ કહ્યું હતુ કે મેં રાજ ઠાકરેને હિન્દી શીખવી દીધી છે.
તેઓ મરાઠી ભાષા અને મહારાષ્ટ્રના લોકોના અપમાનને કદી સહન નહીં કરે. મને મરાઠી અને મહારાષ્ટ્રના લોકોના પ્રશ્નમાં કોઈ સમજૂતી કરવી નથી. જેઓ મહારાષ્ટ્રમાં રહે છે, તેમણે શક્ય તેટલી વહેલી તકે મરાઠી શીખવી જોઈએ. જ્યાં જાઓ ત્યાં મરાઠી બોલો, એમ રાજ ઠાકરેએ કહ્યું હતું. તેમણે મીરા- ભાયંદર જિલ્લામાં એક રેલીમાં તેમણે મહારાષ્ટ્રના લોકોને જાગ્રત રહેવા અને હિન્દી થોપવાની સરકારની કોઈ પણ યોજનાને નિષ્ફળ બનાવવાની અપીલ કરી. થોડા સમય પહેલાં મનસેના કાર્યકરો એ એક દુકાનદાર સાથે મારપીટ કરી હતી કેમ કે તેણે મરાઠી બોલવાનો ઇનકાર કર્યો હતો.
ભાજપના નેતૃત્વમાં આવેલી સરકારએ શાળાઓમાં હિન્દી ફરજિયાત કરવાની દિશામાં બે આદેશો આપ્યા હતા, પરંતુ ભારે વિરોધ બાદ તે આદેશ પાછા ખેંચવા પડ્યા.