Home Blog Page 758

અમદાવાદમાં યુવા લેખિકાના પ્રથમ કાવ્યસંગ્રહનું વિમોચન

સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થી લેખિકા દ્વિષા શાહે તેની પ્રથમ કાવ્યપુસ્તક “ઈકોઝ ઓફ અ રેસ્ટલેસ માઇન્ડ”નું ભવ્ય વિમોચન તાજેતરમાં અમદાવાદ સ્થિત iHub Gujarat ખાતે કર્યું.

આ અનોખું કાવ્યસંગ્રહ ત્રણ અલગ-અલગ વિચારપ્રેરક વિભાગોમાં વિભાજિત છે, જે યુવામનની લાગણીઓ, જીવનના ઊંડાણ અને આત્મઅન્વેષણ જેવા વિષયોને સ્પર્શે છે. દરેક કાવ્ય એક એવી અંદરયાત્રા છે, જે વાચકને પોતાના વિચારો અને અનુભૂતિઓ સાથે જોડવા માટે મજબૂર કરે છે. પુસ્તકને વધુ જીવંત અને દૃશ્યરૂપ બનાવવાનો શ્રેય મન્યા પટેલને જાય છે. જે દ્વિષાની નજીકની સ્નેહમિત્ર છે અને જેમણે ચિત્રો દ્વારા લખાણને એક સુંદર દૃશ્યભાષા આપી છે. લખાણ અને ચિત્રો વચ્ચેનો સંવાદો વાચકના હૃદય સુધી પહોંચે છે અને અનુભૂતિને વધુ ઘેરી બનાવે છે.

દ્વિષાએ કહ્યું, “મારા માટે લખવાની એ જગ્યા છે જ્યાં હું સંપૂર્ણ રીતે હું બની શકું છું. આ પુસ્તક મારું વિશ્વ જોવા એક નાનકડું બારીખું છે. જે કોઈ પણ તેને વાંચે, તેમને એમાંથી શાંતિ, શક્તિ કે કદાચ એક હાસ્ય મળવાનું હું ઇચ્છું છું.”

આ પ્રસંગે શિક્ષકો, સાહિત્ય રસિકો, વિદ્યાર્થીઓ અને નજીકના પરિવારમિત્રો હાજર રહ્યા. વિમોચનનો અંત એક હળવા અને ખુશમિજાજ હાઈ-ટી ગેટ-ટુગેધર સાથે થયો, જ્યાં મહેમાનો દ્વિષાની સર્જનાત્મક યાત્રાથી પ્રભાવિત થયા અને તેમના વિચારો વ્યક્ત કર્યા.

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવને ‘સુપ્રીમ’ આંચકો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિહારના ભૂતપૂર્વ CM અને RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના વિરોધમાં ચાલતાં ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડના કેસમાં નીચલી અદાલતમાં ચાલી રહેલી સુનાવણી પર સ્ટે લગાવવાનો ઈનકાર કર્યોં છે. આ મામલે ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ અને ન્યાયમૂર્તિ એન. કોટિશ્વર સિંહની બેંચે લાલુ યાદવની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં લાલુ યાદવે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેસ પર સ્ટે લગાવવાની યાચિકા ફગાવવાનો નિર્ણય પડકાર્યો હતો.

આ વર્ષે મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટએ લાલુ યાદવની તે અરજી ફગાવી દીધી હતી, જેમાં તેમણે નીચલી અદાલતની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગ કરી હતી. આ કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે.

ન્યાયમૂર્તિ સુંદરેશે કહ્યું હતું  કે અમે આ કેસ પર સ્ટે નહીં લગાવીએ. અમે અરજીને ફગાવી દઈશું. પહેલાં મુખ્ય કેસમાં નિર્ણય આવવા દો. બેંચે એમ પણ કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવને કેસની કાર્યવાહીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાની જરૂર નથી. બેંચે હાઈકોર્ટને કહ્યું કે લાલુ યાદવની અરજી પર વહેલી તકે સુનાવણી કરે.

લાલૂ યાદવની તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને CBIની તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ પેશ થયા હતા. લેન્ડ ફોર જોબ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. આરોપ છે કે તે સમય દરમિયાન ઘણી જગ્યાઓએ જમીનને બદલે નોકરીઓ આપી દેવામાં આવી હતી.

લાલુ યાદવ પર શું આરોપ છે?
CBIએ આરોપ મૂક્યો છે કે 2004થી 2009 દરમિયાન રેલવેમાં ગ્રુપ-ડીની નોકરીઓના બદલામાં લાલુ યાદવે તેમના પરિવારજનોને નામે જમીનના સ્વરૂપમાં આર્થિક લાભ મેળવ્યો હતો. CBIના જણાવ્યા પ્રમાણે આ જમીનો લાલુ યાદવની પત્ની અને ભૂતપૂર્વ CM રાબડી દેવી તથા તેમની બે પુત્રીઓ મિસા ભારતી અને હેમા યાદવને નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

એજન્સીએ આ કેસમાં 30 સરકારી અધિકારીઓ સહિત કુલ 78 લોકોને આરોપી બનાવ્યા છે. CBIએ મે 2022માં લાલુ, તેમના પુત્રો, પુત્રીઓ અને રાબડી દેવી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લાલુ યાદવ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.

IFFM 2025: મેલબોર્ન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન આ ભારતીય ફિલ્મ સાથે થશે

અભિનેત્રી તિલોત્તમા શોમની બંગાળી ફિલ્મ ‘બક્ષો બોન્ડી’ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) ના 2025 ના સંસ્કરણની શરૂઆતની ફિલ્મ હશે. આ ફિલ્મ શોમ અને જીમ સર્ભ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. આ ફિલ્મનું ઓસ્ટ્રેલિયન પ્રીમિયર 14 ઓગસ્ટના રોજ થશે.

આ ફિલ્મમાં તિલોત્તમા શોમે અભિનય કર્યો છે. ફિલ્મના દિગ્દર્શક સૌમ્યાનંદ સાહી છે. ફિલ્મની વાર્તા કોલકાતાના એક ઉપનગર પર આધારિત છે. ફિલ્મની વાર્તા એક કામ કરતી મહિલાની આસપાસ ફરે છે. અંગ્રેજીમાં ‘શેડોબોક્સ’ નામની આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર 75મા બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં યોજાયુ હતું.

આ ફિલ્મ તિલોત્તમા શોમના હૃદયની નજીક છે

અભિનેત્રી તિલોત્તમા શોમે કહ્યું,’બક્ષો બોન્ડી’ મારા હૃદયની ખૂબ નજીક છે. માયાનું પાત્ર ભજવવું એ મૌનને સાંભળવાનો, નાના કાર્યોમાં શક્તિ શોધવાનો અને એવી દુનિયામાં શાંત સ્થિતિસ્થાપકતા કેવી રીતે સ્ત્રીઓના જીવનને આકાર આપે છે તે સમજવાનો પાઠ હતો જે ઘણીવાર તેમને અવગણે છે.

ફેસ્ટિવલના ડિરેક્ટર મીટુ ભૌમિક લેંગે ફિલ્મની પ્રશંસા કરતા તેને ‘કોમળ, પ્રામાણિક અને દૃષ્ટિની રીતે અદભુત’ રચના ગણાવી. તેમણે કહ્યું,’અમને ‘બક્ષો બોન્ડી’ સાથે IFFM 2025 ની શરૂઆત કરવાનો ગર્વ છે. આ એક એવી ફિલ્મ છે જે ભારતીય સ્વતંત્ર સિનેમાની શક્તિનું ઉદાહરણ આપે છે. આ ફિલ્મ એવા વિષયોને સ્પર્શે છે જે ઊંડાણપૂર્વક વ્યક્તિગત છે પરંતુ સાર્વત્રિક રીતે સુસંગત છે. માયા તરીકે તિલોત્તમા શોમનું પ્રદર્શન અસાધારણથી ઓછું નથી…’

વિક્ટોરિયન સરકારના સમર્થન સાથે મેલબોર્નનો ભારતીય ફિલ્મ મહોત્સવ 14 થી 24 ઓગસ્ટ સુધી ચાલશે. પુરસ્કારોની જાહેરાત 15 ઓગસ્ટના રોજ કરવામાં આવશે.

રિલાયન્સ રિટેલે મશહૂર બ્રાન્ડ કેલ્વિનેટર હસ્તગત કરી

 મુંબઈઃ રિલાયન્સ રિટેલે આજે કેલ્વિનેટરના સીમાચિહ્નરૂપ હસ્તાંરણની જાહેરાત કરી છે. આ એક વ્યૂહાત્મક પગલું છે, જે ભારતના ઝડપથી વિકસી રહેલા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલના પ્રભુત્વને નોંધપાત્ર રીતે સુદૃઢ બનાવશે. આ હસ્તાંતરણ ભારતમાં ગ્રાહકોને અપ્રતિમ મૂલ્ય અને પસંદગી પૂરી પાડીને ભારતમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ ક્ષેત્રના ભવિષ્યને નવો આકાર આપવાની રિલાયન્સ રિટેલની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

કેલ્વિનેટર એક સદી કરતાં પણ વધુ સમયથી વિશ્વાસ અને નવીનતાનો પર્યાય બની રહેલી બ્રાન્ડ છે. તેણે વૈશ્વિક સ્તરે ગૃહવપરાશ માટે ઇલેક્ટ્રિક રેફ્રિજરેશનની શરૂઆત કરી હતી. ભારતમાં તેણે 1970 અને 80ના દાયકામાં તેની યાદગાર ટેગલાઇન “ધ કુલેસ્ટવન” સાથે એક અગ્રણી સ્થાન હાંસલ કર્યું હતું. તે આજે પણ પોતાની અદ્યતન ટેકનોલોજી, ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા, લાંબા સમય સુધી ટકનારી ગુણવત્તા અને અસાધારણ મૂલ્ય પૂરું પાડવા માટે જાણીતી છે. આ હસ્તાંતરણ અપેક્ષાપૂર્ણ જીવનશૈલીનો વ્યાપ વિસ્તારવાની રિલાયન્સ રિટેલની પરિકલ્પના સાથે વ્યૂહાત્મક રીતે સુસંગત છે. કેલ્વિનેટરના નવીનતાના સમૃદ્ધ વારસાને રિલાયન્સ રિટેલના વ્યાપક અને અપ્રતિમ રિટેલ નેટવર્ક સાથે એકીકૃત કરીને, કંપની ભારતમાં ઝડપથી વિસ્તરી રહેલા પ્રીમિયમ હોમ એપ્લાયન્સિસના બજારમાં નોંધપાત્ર ગ્રાહક મૂલ્યને વિસ્તૃત બનાવવા અને વૃદ્ધિને વેગ આપવા સુસજ્જ થઈ છે. આ તાલમેલ સુનિશ્ચિત કરશે કે ઉચ્ચ-ગુણવત્તાશીલ તેમ જ વૈશ્વિક-માપદંડ ધરાવતી પ્રોડક્ટ્સ દરેક ભારતીય ઘર સુધી પહોંચી તેમની રોજિંદી જીવનશૈલીને ઉન્નત બનાવશે.

ટેક્નોલોજીને સુલભ, સાર્થક અને ભવિષ્ય માટે તૈયાર બનાવીને દરેક ભારતીયની વૈવિધ્ય પૂર્ણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી એ જ અમારું હંમેશનું લક્ષ્ય રહ્યું છે, એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના (RRVL) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશાએમ. અંબાણીએ જણાવ્યું હતું. કેલ્વિનેટરનું હસ્તાંતરણ એ એક મહત્વની ક્ષણ છે, તે ભારતીય ગ્રાહકો સમક્ષ વિશ્વસનીય વૈશ્વિક નવીનતાઓની અમારી પ્રસ્તુતિઓને નોંધપાત્ર રીતે વ્યાપક બનાવવા અમને બળ પૂરું પાડશે. તેને અમારા અજોડ કદ, વ્યાપક સેવા ક્ષમતાઓ અને બજાર-અગ્રણી વિતરણ નેટવર્કનું સબળ સમર્થન છે.

કેલ્વિનેટર હવે રિલાયન્સ રિટેલની સબળ ઇકો સિસ્ટમમાં મજબૂત રીતે એકીકૃત થયું છે. આ કારણથી રિલાયન્સ રિટેલ વ્યૂહાત્મક રીતે આ કેટેગરીની વૃદ્ધિને વેગવાન બનાવવા, ગ્રાહકોને ગાઢ રીતે જોડવા, અને ભારતના ગતિશીલ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં અમાપ લાંબા-ગાળાની તકોને ઉજાગર કરવા સક્ષમ બન્યું છે.

મહારાષ્ટ્ર વિધાન ભવનમાં હિંસા, વિપક્ષી પાર્ટીઓએ ગુંડાગીરીનો આરોપ લગાવ્યો

ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર અને એનસીપી (એસસીપી) નેતા જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે સતત હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ સતત આ મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યું છે. તે જ સમયે હવે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે પણ આ મામલાની નોંધ લીધી છે. તેમણે વિધાન ભવનમાં પ્રવેશ અંગે મોટો નિર્ણય લીધો છે.

સ્પીકરે શું નિર્ણય લીધો?

મહારાષ્ટ્ર વિધાનભવનમાં થયેલા હુમલાની ઘટના બાદ વિધાનસભાના અધ્યક્ષે મોટો નિર્ણય લીધો છે. વિધાનસભાના સત્ર માટે જારી કરાયેલો વન ડે પાસ રદ કરવામાં આવ્યો છે. આ સાથે વિધાનસભાના અધ્યક્ષે પાસ વગરના કાર્યકરોને ધારાસભ્યો સાથે વિધાનસભા ભવનમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત વિધાનસભા સુરક્ષા વિભાગે પ્રારંભિક તપાસ અહેવાલ સ્પીકરને સુપરત કર્યો છે. સ્પીકર આજે ગૃહને તપાસ અહેવાલની જાણ કરશે.

પોલીસ કાર્યવાહી શરૂ

બીજી તરફ, વિધાનસભા ભવનમાં હુમલો કરનારા આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પોલીસે ભાજપના ધારાસભ્ય પડલકરના સમર્થકો સામે કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે. આજે પડલકરના સમર્થકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે કહ્યું,”ગઈકાલે રાત્રે અમારા કાર્યકર સામે કેસ નોંધવામાં આવ્યો છે. જે પણ કાર્યવાહી કરવામાં આવશે, અમે તેનો કાનૂની જવાબ આપીશું. વિધાનસભાના અધ્યક્ષે જે પણ નિર્ણય લીધો છે, અમે તેનું સન્માન કરીએ છીએ.

વિપક્ષની માંગ શું છે?

NCPના ધારાસભ્ય રોહિત પવાર ‘ગુંડારાજ’ના બેનર સાથે વિધાનભવન પહોંચ્યા છે. MVAએ ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. વિપક્ષ આજે વિધાનસભામાં પડલકરને એક વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવશે.

વિપક્ષી નેતાએ શું કહ્યું?

કોંગ્રેસના ધારાસભ્ય વિજય વાડડેટીવારે કહ્યું,”મહારાષ્ટ્રમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. ધારાસભ્યના ઈશારે વિધાનભવનમાં મારપીટ થઈ રહી છે.કપડાં ફાડવામાં આવી રહ્યા છે. જીતેન્દ્ર આવ્હાડને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેઓ સત્તાના ઘમંડી બની ગયા છે. તેમને લાગે છે કે કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં. પડલકરને એક વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ.” આ દરમિયાન NCP (SCP) ના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું,”ગોપીચંદ પડલકર મહારાષ્ટ્રના નવા ‘આકા’ છે. મહારાષ્ટ્રમાં ગુંડારાજને મંજૂરી આપવામાં આવશે નહીં. આ નવા આકાને મુખ્યમંત્રીનો ટેકો છે.”

ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ

રાયપુર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ કરી છે. નવા પુરાવા મળ્યા બાદ ED એ મની લોન્ડરિંગ (PMLA) હેઠળ ભિલાઈમાં આવેલા તેમના ઘરની તલાશી લીધી, જ્યાં તેઓ પોતાના પિતા સાથે રહે છે.

 ચૈતન્ય બઘેલની ધરપકડ દારૂ કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરવામાં આવી છે. EDએ ભૂપેશ બઘેલનાં નિકટવર્તી સ્થળોએ ફરીથી દરોડા પાડ્યા. આ દરોડા ચૈતન્ય બઘેલ વિરુદ્ધ દારૂ કૌભાંડની તપાસના ભાગરૂપે પાડવામાં આવ્યા હતા.

ભિલાઈ સ્થિત તેમની ઘરના બહાર પત્રકારો સાથે વાત કરતાં ભૂપેશ બઘેલે આરોપ મૂક્યો હતો કે એક બાજુ બિહારમાં ચૂંટણી પંચની મદદથી મતદારોનાં નામોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. લોકશાહીની હત્યા થઈ રહી છે. અને બીજી બાજુ વિરોધ પક્ષના નેતાઓ પર દબાણ બનાવવા માટે ED, IT, CBI અને DRI જેવી એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. પણ હવે દેશની જનતા જાગ્રત થઈ ગઈ છે અને બધું સારી રીતે સમજી રહી છે.

તેમના પુત્ર ચૈતન્યના જન્મદિવસે દરોડા પાડવાના સમયે સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું હતું  કે મારા જન્મદિવસે મારી સલાહકાર ટીમ અને બે OSDનાં ઘરો પર ED મોકલવામાં આવી હતી. અને હવે મારા પુત્ર ચૈતન્યના જન્મદિવસે મારા ઘરમાં EDની ટીમ દરોડા પાડી રહી છે. આ ભેટઓ માટે ધન્યવાદ. અમને આખું જીવન આ યાદ રહેશે.

લોકપ્રિય ફિલ્મ નિર્માતા અને અભિનેતા વેલુ પ્રભાવકનું નિધન

રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘કધલ કઢાઈ’ માટે પ્રખ્યાત તમિલ ફિલ્મ નિર્માતા, સિનેમેટોગ્રાફર અને અભિનેતા વેલુ પ્રભાકરનનું શુક્રવાર, 18 જુલાઈના રોજ સવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. તેમણે 68 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું.

ફિલ્મ નિર્માતાના સંબંધીઓએ પુષ્ટિ આપી છે કે તેમનું લાંબી બીમારીને કારણે અવસાન થયું. ફિલ્મ નિર્માતાની હાલત છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ગંભીર હતી અને તેના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેલુ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં ‘નાલયા મણિથન’, ‘સિવાન’ અને ‘પુથિયા આચી’ જેવી મહાન ફિલ્મો માટે પ્રખ્યાત હતા.

વેલુ પ્રભાકરનનો પાર્થિવ દેહ શનિવાર સાંજથી રવિવાર 20 જુલાઈ, બપોર સુધી ચેન્નાઈના વાલસરવક્કમ ખાતે જાહેર શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે. આ સમાચાર આવ્યા ત્યારથી ફિલ્મ ઉદ્યોગમાં વેલુ પ્રભાકરનના નિધન પર શોક છવાઈ ગયો છે. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે પોરુર સ્મશાનગૃહમાં તેમના નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં કરવામાં આવશે. ફિલ્મ નિર્માતાએ અગાઉ અભિનેત્રી-દિગ્દર્શક જયાદેવી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં તેઓ અલગ થઈ ગયા હતાં. અલગ થયાનાં ઘણા વર્ષો પછી તેમણે 60 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા. 2017માં તેમણે અભિનેત્રી શર્લી દાસ સાથે લગ્ન કર્યા, જેમણે તેમની 2009ની ફિલ્મ ‘કધલ કઢાઈ’ માં અભિનય કર્યો હતો.

વેલુએ સિનેમેટોગ્રાફર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. 1989માં, તેમણે ફિલ્મ ‘નાલય મણિથન’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. એક વર્ષ પછી, તેમણે તેની સિક્વલ ‘અધિસાયા મણિથન’નું દિગ્દર્શન કર્યું.’અસુરન’ અને ‘રાજલી’ જેવી સતત બે ફ્લોપ ફિલ્મો પછી, વેલુએ 90ના દાયકાના અંતમાં અને 2000ના દાયકાની શરૂઆતમાં એક્શન ફિલ્મોનું દિગ્દર્શન કરવાનું શરૂ કર્યું. 2004માં તેમણે ‘કધલ અરંગમ’ નામની ફિલ્મ પર કામ શરૂ કર્યું જેમાં નવોદિત પ્રીતિ રંગાયણી અને શર્લી દાસ મુખ્ય ભૂમિકામાં હતા. 2017માં તેમણે તેમનું છેલ્લું દિગ્દર્શન સાહસ ‘ઓરુ ઇયક્કુનારિન કધલ ડાયરી’નું દિગ્દર્શન કર્યું. 2019થી વેલુ પ્રભાકરન અભિનયમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેઓ ‘ગેંગ્સ ઓફ મદ્રાસ’, ‘કેડેવર’,’પિઝા ૩: ધ મમી’, ‘રેડ’, ‘વેપન’ અને ‘અપ્પુ VI STD’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ ‘ગજાનન’ હતી જે 2025 માં રિલીઝ થઈ હતી.

TRFને આંતકવાદી સંગઠને જાહેર કરવા બદલ આભારઃ જયશંકર

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની કૂટનીતિક પકડ એક વાર ફરીથી મજબૂત બની છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા દ્વારા “ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ” (TRF)ને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને વિશિષ્ટ રીતે નામિત વૈશ્વિક આતંકવાદી (SDGT) જાહેર કરવાના નિર્ણયને ખુલ્લેઆમ આવકાર્યો હતો. આ પગલું માત્ર ભારત-અમેરિકા વચ્ચે વધતા આતંકવાદવિરોધી સહકારને દર્શાવતું નથી, પરંતુ ભારતની સુરક્ષા ચિંતાઓને વૈશ્વિક સ્તરે ગંભીરતાથી લેવાય છે તેની પણ એક મિસાલ છે.

જયશંકરે X પર લખ્યું હતું કે ભારત-અમેરિકા આતંકવાદવિરોધી ભાગીદારીની એક મજબૂત પુષ્ટિ. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા TRFને આતંકવાદી જાહેર કરવા બદલ અમેરિકી સેનેટર માર્કો રુબિયો અને વિદેશ વિભાગની પ્રશંસા કરું છું. આ સંગઠને 22 એપ્રિલે થયેલા ઘાતક પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી.

TRFએ પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી
TRFને વ્યાપક રીતે પાકિસ્તાનમાં સ્થિત લશ્કર-એ-તૈયબાની  સહયોગી સંગઠન માનવામાં આવે છે. એ જ લશ્કર છે જેને 2008ના મુંબઈ હુમલાઓ માટે જવાબદાર ગણવામાં આવે છે. TRFએ તાજેતરમાં 22 એપ્રિલ, 2025એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 26 નિર્દોષ નાગરિકોનાં મોત થયાં હતાં, જેમાં ઘણા પ્રવાસીઓ પણ સમાવિષ્ટ હતા. અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર આ હુમલો 2008 બાદ ભારતના સૌથી ભયાનક નાગરિક હત્યાકાંડોમાંનો એક છે.

અમેરિકી સેનેટર માર્કો રુબિયોએ પણ આ કાર્યવાહી ભારત-અમેરિકા સહકાર માટે નિર્ણાયક વળાંક ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ અમેરિકા દ્વારા આતંકવાદ સામેની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે TRFને લશ્કરનું “મુખોટું અને પ્રતિનિધિત્વ કરતી સંસ્થા” ગણાવી.

આ ઘટનાક્રમ અંગે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આ નિર્ણય ભારત-અમેરિકા વચ્ચે ઘેરા વ્યૂહાત્મક સંબંધો અને સંયુક્ત સુરક્ષા હિતોની પુષ્ટિ કરે છે.

બૉલિવૂડમાં રાજ કર્યા બાદ આ રીતે પ્રિયંકાએ પકડી હતી હોલીવુડની વાટ

બૉલિવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની અભિનય કુશળતા બતાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે 43 વર્ષની થઈ ગઈ છે. તેના જન્મદિવસ (Priyanka Chopra Birthday)ના આ ખાસ પ્રસંગે વિશ્વભરના સ્ટાર્સે પ્રિયંકાને તેના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ચાહકોએ પણ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી છે. પ્રિયંકા ચોપરા બોલિવૂડની તે થોડી અભિનેત્રીઓમાંની એક છે જેમણે પહેલા પોતાની મહેનતથી હિન્દી ફિલ્મોમાં ખ્યાતિ મેળવી અને પછી વિદેશમાં પોતાની અભિનય કુશળતાને ઓળખ અપાવી. આજે પ્રિયંકા એક વૈશ્વિક સ્ટાર તરીકે જોવામાં આવે છે.

 

મિસ વર્લ્ડનો ખિતાબ જીતતાની સાથે જ તે સ્ટાર બની ગઈ હતી. પ્રિયંકાએ વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને અહીંથી તેની બોલિવૂડ સફર પણ શરૂ થઈ. તેણે ઘણી સફળ ફિલ્મો કરી. વર્ષ 2004 માં તેણે અક્ષય કુમાર સાથે તેની ફિલ્મ ઐતરાઝમાં નકારાત્મક પાત્ર ભજવ્યું, જેના માટે તેણીની ખૂબ પ્રશંસા થઈ. પ્રિયંકાને 2008 માં આવેલી ફિલ્મ ફેશન માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. તેણીએ પાંચ ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તેણીએ લોસ એન્જલસથી એક એજન્ટ રાખ્યો હતો જેણે પ્રિયંકાને તૈયાર કરી હતી?

આ રીતે પ્રિયંકાએ હોલીવુડમાં પ્રવેશ કર્યો

વર્ષ 2012 માં, તેણીને તેનું પહેલું આંતરરાષ્ટ્રીય સંગીત આલ્બમ ‘ઇન માય સિટી’ મળ્યું. તમને જણાવી દઈએ કે આ આલ્બમ પ્રિયંકા ચોપરાનું પહેલું ગાયન ડેબ્યૂ પણ હતું. આ પછી, તે વર્ષ 2013 માં રેપર પિટબુલ સાથે સિંગલ ‘એક્સોટિક’ માં જોવા મળી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે પ્રિયંકા ચોપરાએ ડિઝનીની એનિમેટેડ ફિલ્મ ‘પ્લેન્સ’ માં ઈશાની નામના પાત્રને પણ પોતાનો અવાજ આપ્યો હતો. આ પછી વર્ષ 2015 માં, પ્રિયંકાએ અમેરિકન ટીવી શો ‘ક્વોન્ટિકો’ માં FBI એજન્ટ એલેક્સ પેરિશની ભૂમિકા ભજવી અને હોલીવુડમાં પ્રવેશ કર્યો. આ સિરીઝ સાથે પ્રિયંકા અમેરિકન ડ્રામા શ્રેણીમાં મુખ્ય ભૂમિકા ભજવનારી પ્રથમ દક્ષિણ એશિયન મહિલા પણ બની. તે 2016 માં પીપલ્સ ચોઇસ એવોર્ડ જીતનાર પ્રથમ દક્ષિણ એશિયન અભિનેત્રી પણ બની. તે જ વર્ષે પ્રિયંકાને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવી.

ક્વોન્ટિકો પછી, પ્રિયંકાને હોલીવુડની અન્ય ફિલ્મો પણ ઓફર થઈ હતી. તેણીએ ‘બેવોચ’માં ડ્વેન જોહ્ન્સન (ધ રોક) અને ઝેક એફ્રોન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. આ ફિલ્મમાં, તે ખલનાયકની ભૂમિકામાં જોવા મળી હતી. પ્રિયંકાએ ‘ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’ (2019) ફિલ્મમાં ઇસાબેલની ભૂમિકા ભજવી હતી. તે એક સહાયક ભૂમિકા હતી. આગળ, પ્રિયંકાએ ‘ધ મેટ્રિક્સ રિસરેક્શન્સ’માં સતીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 22 ડિસેમ્બર 2021 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પ્રિયંકા ‘અ કિડ લાઇક જેક’માં પણ એક નાની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં બ્રિટિશ-અમેરિકન અભિનેતા આસિફ માંડવીએ પ્રિયંકાના પતિની ભૂમિકા ભજવી હતી.

ન્યુરોચિપ : ટેક્નોલોજીથી લાગણીઓનું સંચાલન

આવનારા સમયમાં, કહ્યગરા કંથ અને આજ્ઞાકારી દીકરા- વહુ માટે, ભાગ્ય પર આધાર નહીં રાખવો પડે. કેમકે બાળાઓને એમના મનપસંદ વર માટે, ગૌરીવ્રતનો ઓપ્શન એલન મસ્કે આપી દીધો છે. અશક્ય અને રમૂજ લાગતી આ વાતનો ફાયદો તમારી આવનારી પેઢીને મળવા જઈ રહ્યો છે. તેઓ ભવિષ્યમા એવા રોબોટિક માનવોનું સર્જન કરી શકશે જેની ગતિવિધિ, તેમના કમ્પ્યુટર પ્રોગ્રામિંગથી સંચાલિત હોય.

જૉ એલનભાઈની વાત પર વિશ્વાસ કરીયે તો આ સદીની સૌથી મહત્વપૂર્ણ શોધ 12 વર્ષ બાદ, પરિક્ષણના આરે છે. એટલે કે જૉ તેનું મનુષ્યમાં સફળ પરિક્ષણ થયું તો માનવ જીવનમાં અજીબો ગરીબ વિચત્રતા સર્જાઈ શકે છે. વાત છે એક નાનકડી ચિપની જે મનુષ્યના મગજમાં ફિટ બેસવા જઈ રહી છે, જેનું હેન્ડલિંગ કોઈ કમ્પ્યુટર દ્વારા થશે. એટલે કે માનવીનું રોબોટીકરણ. પણ આ વાત લાંબા ગાળાના ભવિષ્યની છે. હાલ માત્ર તેમને મેડિકલ ક્ષેત્રે જ ઉપયોગમાં લેવાની છે.

સોશિયલ મીડિયા, અવકાશ અને શેર બજારમાં ખળભળાટ મચાવ્યા બાદ મસ્ક અને એની ટીમ મેડિકલ ક્ષેત્રમાં ન્યુરાલિંક દ્વારા પ્રવેશી રહ્યા છે. ન્યુરાલિંક એ ન્યુરોચિપ બનાવતી કંપની છે. જે થોડા સમયથી વધુ ચર્ચામાં રહી છે.

ન્યુરોચિપની સૌ પ્રથમ શોધ આજથી 12 વર્ષ પહેલા થઇ હતી. મૂળ પાકિસ્તાની એવા કેનેડિયન વૈજ્ઞાનિક નાવિદ સૈયદે સૌપ્રથમ આવી સિલિકોનની ચિપ પર મગજના કોષોને કલ્ટીવેટ કરવામાં સફળતા મળેલી. ત્યાર બાદ તેમને આવી ન્યુરોચિપની શોધ કરેલી. તેમને એવુ સાબિત કર્યું હતુ કે સિલિકોન ચિપ પર કનેક્ટ થતાં મગજના કોષોનું નેટવર્ક કેળવી શકાય છે, જે મગજના કોષોની પ્રવૃત્તિ પર નજર રાખે છે.

આવી ચિપ વાપરવી સરળ છે જેનાથી ભવિષ્યમાં મગજના કોષો ચોક્કસ પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં સરળતા રહે છે ઉપરાંત તેની કાર્યશીલતા કમ્પ્યુટર દ્વારા ટ્રેક કરી શકાય છે. જેથી પાર્કિંશન, અલ્ઝાઇમર જેવા ન્યુરોડીજનરેટીવ રોગોની સારવારમાં આ ચિપ આશીર્વાદ રૂપ સાબિત થશે. એટલુ જ નહિ, જૉ મનુષ્યમાં તેના પરિક્ષણો સફળ રહેશે તો અંધાપો અને અપંગતામાં પણ આ ચીપ અસરકારક સાબિત થશે.

આ ટેક્નિકની સફળતા એ છે કે મગજના સૂક્ષ્મ થી સૂક્ષ્મ ફેરફારોને ચિપ્ દ્વારા ટ્રેક કરી શકાશે એટલે ન્યુરો સાયકોલોજિકલ ડિસઓર્ડર્સમાં સૌથી વધુ ફાયદો થશે.

ન્યુરાલિંક

એલન મસ્કની કંપની ‘ન્યુરાલિંક’એ મનુષ્યમાં આવી ચીપ લગાવવા માટે તૈયાર છે એટલે કે એ દિવસો દૂર નથી જ્યાં જીવતા જાગતા માણસોનો કંટ્રોલ કોઈ કમ્પ્યુટરના નાના માઉસ દ્વારા થતો હોય. મસ્કે એવા અહેવાલ આપ્યા છે કે પ્રાણીઓ પર તેના પરિક્ષણો થઇ ચુક્યા છે. મસ્કે ચીંપાઝીને વિડીયો ગેમ રમાડતા કરી દીધા છે.

ભવિષ્યમાં કંપનીને એવી પણ આશા છે કે વ્યક્તિ સંભવિત પણે માઉસ, કી બોર્ડ અથવા કમ્પ્યુટરના કામો જેવા કે ટેક્સસ્ડ મૅસેજ, ઇમેઇલને તેના વિચારો સાથે નિયંત્રિત કરી શકશે. ઉપરાંત માણસના વિચારો તેમજ લાગણીને કમ્પ્યુટર પર એનાલિસિસ કરી શકાશે. કેમકે ચિપ દ્વારા ઇમેજિંનેશન પાવરને કમ્પ્યુટર દ્વારા કન્સ્ટ્રક કરી શકશે. એટલે કે કોઈ માણસના મગજની ગતિવિધિ કમ્પ્યુટર દ્વારા જાણી શકાશે. ભવિષ્યમાં, મગજથી પાવરફુલ અને શરીરે આળસુ લોકોના આઈડિયા પર મહેનતું લોકો કામ કરે તો કઈ નવાઈ નહિ.

આ સંભાવના દર્શાવે છે કે આવનારા વર્ષોમાં માનવીનું રોબોટીકરણ થવું શક્ય બનવા જઈ રહ્યું છે. જે વિવિધ ગુપ્તચર એજન્સીઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, આર્મી માટે નોંધનીય ફેરફારો તરફ ભવ્ય પ્રયાણ હશે. એટલું જ નહિ આ ચિપને હેક કરી શકાતી નથી એટલે એમનું સંપૂર્ણ નિયંત્રણ કોઈ ત્રીજા વ્યક્તિના હાથમા જવું શક્ય નથી, જૉ ગુનાખોરી માટે આ ચિપનો ઉપયોગ ભવિષ્યમાં સંભવ બનશે તો માનવ વિનાશ માટે આ ચિપ ખતરનાક પુરવાર થશે.

અગાઉ પણ ક્લોનિંગ જેવી ઘણી શોધો અને તેના પરિક્ષણ માટે હજુ પણ પરવાનગી અપાઈ નથી. કેમકે તેનો દુરઉપયોગ માનવ જાત માટે ખતરા સમાન બની શકે તેમ છે. છતાં પણ બાયો ટેક્નોલોજી અને જિનેટિક એન્જિનિયરિંગ ઘણા ખરા રોગો માટે મહત્વ પૂર્ણ સાબિત થયેલ છે.

આવનારા થોડા મહિનામાં ન્યુરાલિંકને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજુરી મળી શકે છે. અને ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ શકે છે. હાલ ન્યુરાલિંક સામે સૌથી મોટુ રિસ્ક, ન્યુરોચિપને મગજમાં ફિટ કરવાનું છે કારણકે ઇલેક્ટ્રોડસના ફીટીંગ દરમ્યાન મગજને થતું નુકસાન અને બ્લીડીંગ વૈજ્ઞાનિકો સામે સૌથી મોટો પડકાર બની રહેશે. જૉ આ ચિપનું પરિક્ષણ સફળ રહેશે તો સૌપ્રથમ શારીરિક અને માનસિક ખોડ ખાંપણ ધરાવતા લોકો માટે આ શોધ આશીર્વાદ રૂપ સાબિત થશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)