Home Blog Page 759

લોકપ્રિય ફિલ્મ નિર્માતા અને અભિનેતા વેલુ પ્રભાવકનું નિધન

રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘કધલ કઢાઈ’ માટે પ્રખ્યાત તમિલ ફિલ્મ નિર્માતા, સિનેમેટોગ્રાફર અને અભિનેતા વેલુ પ્રભાકરનનું શુક્રવાર, 18 જુલાઈના રોજ સવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. તેમણે 68 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું.

ફિલ્મ નિર્માતાના સંબંધીઓએ પુષ્ટિ આપી છે કે તેમનું લાંબી બીમારીને કારણે અવસાન થયું. ફિલ્મ નિર્માતાની હાલત છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ગંભીર હતી અને તેના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેલુ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં ‘નાલયા મણિથન’, ‘સિવાન’ અને ‘પુથિયા આચી’ જેવી મહાન ફિલ્મો માટે પ્રખ્યાત હતા.

વેલુ પ્રભાકરનનો પાર્થિવ દેહ શનિવાર સાંજથી રવિવાર 20 જુલાઈ, બપોર સુધી ચેન્નાઈના વાલસરવક્કમ ખાતે જાહેર શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે. આ સમાચાર આવ્યા ત્યારથી ફિલ્મ ઉદ્યોગમાં વેલુ પ્રભાકરનના નિધન પર શોક છવાઈ ગયો છે. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે પોરુર સ્મશાનગૃહમાં તેમના નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં કરવામાં આવશે. ફિલ્મ નિર્માતાએ અગાઉ અભિનેત્રી-દિગ્દર્શક જયાદેવી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં તેઓ અલગ થઈ ગયા હતાં. અલગ થયાનાં ઘણા વર્ષો પછી તેમણે 60 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા. 2017માં તેમણે અભિનેત્રી શર્લી દાસ સાથે લગ્ન કર્યા, જેમણે તેમની 2009ની ફિલ્મ ‘કધલ કઢાઈ’ માં અભિનય કર્યો હતો.

વેલુએ સિનેમેટોગ્રાફર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. 1989માં, તેમણે ફિલ્મ ‘નાલય મણિથન’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. એક વર્ષ પછી, તેમણે તેની સિક્વલ ‘અધિસાયા મણિથન’નું દિગ્દર્શન કર્યું.’અસુરન’ અને ‘રાજલી’ જેવી સતત બે ફ્લોપ ફિલ્મો પછી, વેલુએ 90ના દાયકાના અંતમાં અને 2000ના દાયકાની શરૂઆતમાં એક્શન ફિલ્મોનું દિગ્દર્શન કરવાનું શરૂ કર્યું. 2004માં તેમણે ‘કધલ અરંગમ’ નામની ફિલ્મ પર કામ શરૂ કર્યું જેમાં નવોદિત પ્રીતિ રંગાયણી અને શર્લી દાસ મુખ્ય ભૂમિકામાં હતા. 2017માં તેમણે તેમનું છેલ્લું દિગ્દર્શન સાહસ ‘ઓરુ ઇયક્કુનારિન કધલ ડાયરી’નું દિગ્દર્શન કર્યું. 2019થી વેલુ પ્રભાકરન અભિનયમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેઓ ‘ગેંગ્સ ઓફ મદ્રાસ’, ‘કેડેવર’,’પિઝા ૩: ધ મમી’, ‘રેડ’, ‘વેપન’ અને ‘અપ્પુ VI STD’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ ‘ગજાનન’ હતી જે 2025 માં રિલીઝ થઈ હતી.

TRFને આંતકવાદી સંગઠને જાહેર કરવા બદલ આભારઃ જયશંકર

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની કૂટનીતિક પકડ એક વાર ફરીથી મજબૂત બની છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા દ્વારા “ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ” (TRF)ને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને વિશિષ્ટ રીતે નામિત વૈશ્વિક આતંકવાદી (SDGT) જાહેર કરવાના નિર્ણયને ખુલ્લેઆમ આવકાર્યો હતો. આ પગલું માત્ર ભારત-અમેરિકા વચ્ચે વધતા આતંકવાદવિરોધી સહકારને દર્શાવતું નથી, પરંતુ ભારતની સુરક્ષા ચિંતાઓને વૈશ્વિક સ્તરે ગંભીરતાથી લેવાય છે તેની પણ એક મિસાલ છે.

જયશંકરે X પર લખ્યું હતું કે ભારત-અમેરિકા આતંકવાદવિરોધી ભાગીદારીની એક મજબૂત પુષ્ટિ. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા TRFને આતંકવાદી જાહેર કરવા બદલ અમેરિકી સેનેટર માર્કો રુબિયો અને વિદેશ વિભાગની પ્રશંસા કરું છું. આ સંગઠને 22 એપ્રિલે થયેલા ઘાતક પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી.

TRFએ પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી
TRFને વ્યાપક રીતે પાકિસ્તાનમાં સ્થિત લશ્કર-એ-તૈયબાની  સહયોગી સંગઠન માનવામાં આવે છે. એ જ લશ્કર છે જેને 2008ના મુંબઈ હુમલાઓ માટે જવાબદાર ગણવામાં આવે છે. TRFએ તાજેતરમાં 22 એપ્રિલ, 2025એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 26 નિર્દોષ નાગરિકોનાં મોત થયાં હતાં, જેમાં ઘણા પ્રવાસીઓ પણ સમાવિષ્ટ હતા. અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર આ હુમલો 2008 બાદ ભારતના સૌથી ભયાનક નાગરિક હત્યાકાંડોમાંનો એક છે.

અમેરિકી સેનેટર માર્કો રુબિયોએ પણ આ કાર્યવાહી ભારત-અમેરિકા સહકાર માટે નિર્ણાયક વળાંક ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ અમેરિકા દ્વારા આતંકવાદ સામેની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે TRFને લશ્કરનું “મુખોટું અને પ્રતિનિધિત્વ કરતી સંસ્થા” ગણાવી.

આ ઘટનાક્રમ અંગે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આ નિર્ણય ભારત-અમેરિકા વચ્ચે ઘેરા વ્યૂહાત્મક સંબંધો અને સંયુક્ત સુરક્ષા હિતોની પુષ્ટિ કરે છે.

બૉલિવૂડમાં રાજ કર્યા બાદ આ રીતે પ્રિયંકાએ પકડી હતી હોલીવુડની વાટ

બૉલિવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની અભિનય કુશળતા બતાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે 43 વર્ષની થઈ ગઈ છે. તેના જન્મદિવસ (Priyanka Chopra Birthday)ના આ ખાસ પ્રસંગે વિશ્વભરના સ્ટાર્સે પ્રિયંકાને તેના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ચાહકોએ પણ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી છે. પ્રિયંકા ચોપરા બોલિવૂડની તે થોડી અભિનેત્રીઓમાંની એક છે જેમણે પહેલા પોતાની મહેનતથી હિન્દી ફિલ્મોમાં ખ્યાતિ મેળવી અને પછી વિદેશમાં પોતાની અભિનય કુશળતાને ઓળખ અપાવી. આજે પ્રિયંકા એક વૈશ્વિક સ્ટાર તરીકે જોવામાં આવે છે.

 

મિસ વર્લ્ડનો ખિતાબ જીતતાની સાથે જ તે સ્ટાર બની ગઈ હતી. પ્રિયંકાએ વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને અહીંથી તેની બોલિવૂડ સફર પણ શરૂ થઈ. તેણે ઘણી સફળ ફિલ્મો કરી. વર્ષ 2004 માં તેણે અક્ષય કુમાર સાથે તેની ફિલ્મ ઐતરાઝમાં નકારાત્મક પાત્ર ભજવ્યું, જેના માટે તેણીની ખૂબ પ્રશંસા થઈ. પ્રિયંકાને 2008 માં આવેલી ફિલ્મ ફેશન માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. તેણીએ પાંચ ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તેણીએ લોસ એન્જલસથી એક એજન્ટ રાખ્યો હતો જેણે પ્રિયંકાને તૈયાર કરી હતી?

આ રીતે પ્રિયંકાએ હોલીવુડમાં પ્રવેશ કર્યો

વર્ષ 2012 માં, તેણીને તેનું પહેલું આંતરરાષ્ટ્રીય સંગીત આલ્બમ ‘ઇન માય સિટી’ મળ્યું. તમને જણાવી દઈએ કે આ આલ્બમ પ્રિયંકા ચોપરાનું પહેલું ગાયન ડેબ્યૂ પણ હતું. આ પછી, તે વર્ષ 2013 માં રેપર પિટબુલ સાથે સિંગલ ‘એક્સોટિક’ માં જોવા મળી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે પ્રિયંકા ચોપરાએ ડિઝનીની એનિમેટેડ ફિલ્મ ‘પ્લેન્સ’ માં ઈશાની નામના પાત્રને પણ પોતાનો અવાજ આપ્યો હતો. આ પછી વર્ષ 2015 માં, પ્રિયંકાએ અમેરિકન ટીવી શો ‘ક્વોન્ટિકો’ માં FBI એજન્ટ એલેક્સ પેરિશની ભૂમિકા ભજવી અને હોલીવુડમાં પ્રવેશ કર્યો. આ સિરીઝ સાથે પ્રિયંકા અમેરિકન ડ્રામા શ્રેણીમાં મુખ્ય ભૂમિકા ભજવનારી પ્રથમ દક્ષિણ એશિયન મહિલા પણ બની. તે 2016 માં પીપલ્સ ચોઇસ એવોર્ડ જીતનાર પ્રથમ દક્ષિણ એશિયન અભિનેત્રી પણ બની. તે જ વર્ષે પ્રિયંકાને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવી.

ક્વોન્ટિકો પછી, પ્રિયંકાને હોલીવુડની અન્ય ફિલ્મો પણ ઓફર થઈ હતી. તેણીએ ‘બેવોચ’માં ડ્વેન જોહ્ન્સન (ધ રોક) અને ઝેક એફ્રોન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. આ ફિલ્મમાં, તે ખલનાયકની ભૂમિકામાં જોવા મળી હતી. પ્રિયંકાએ ‘ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’ (2019) ફિલ્મમાં ઇસાબેલની ભૂમિકા ભજવી હતી. તે એક સહાયક ભૂમિકા હતી. આગળ, પ્રિયંકાએ ‘ધ મેટ્રિક્સ રિસરેક્શન્સ’માં સતીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 22 ડિસેમ્બર 2021 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પ્રિયંકા ‘અ કિડ લાઇક જેક’માં પણ એક નાની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં બ્રિટિશ-અમેરિકન અભિનેતા આસિફ માંડવીએ પ્રિયંકાના પતિની ભૂમિકા ભજવી હતી.

ન્યુરોચિપ : ટેક્નોલોજીથી લાગણીઓનું સંચાલન

આવનારા સમયમાં, કહ્યગરા કંથ અને આજ્ઞાકારી દીકરા- વહુ માટે, ભાગ્ય પર આધાર નહીં રાખવો પડે. કેમકે બાળાઓને એમના મનપસંદ વર માટે, ગૌરીવ્રતનો ઓપ્શન એલન મસ્કે આપી દીધો છે. અશક્ય અને રમૂજ લાગતી આ વાતનો ફાયદો તમારી આવનારી પેઢીને મળવા જઈ રહ્યો છે. તેઓ ભવિષ્યમા એવા રોબોટિક માનવોનું સર્જન કરી શકશે જેની ગતિવિધિ, તેમના કમ્પ્યુટર પ્રોગ્રામિંગથી સંચાલિત હોય.

જૉ એલનભાઈની વાત પર વિશ્વાસ કરીયે તો આ સદીની સૌથી મહત્વપૂર્ણ શોધ 12 વર્ષ બાદ, પરિક્ષણના આરે છે. એટલે કે જૉ તેનું મનુષ્યમાં સફળ પરિક્ષણ થયું તો માનવ જીવનમાં અજીબો ગરીબ વિચત્રતા સર્જાઈ શકે છે. વાત છે એક નાનકડી ચિપની જે મનુષ્યના મગજમાં ફિટ બેસવા જઈ રહી છે, જેનું હેન્ડલિંગ કોઈ કમ્પ્યુટર દ્વારા થશે. એટલે કે માનવીનું રોબોટીકરણ. પણ આ વાત લાંબા ગાળાના ભવિષ્યની છે. હાલ માત્ર તેમને મેડિકલ ક્ષેત્રે જ ઉપયોગમાં લેવાની છે.

સોશિયલ મીડિયા, અવકાશ અને શેર બજારમાં ખળભળાટ મચાવ્યા બાદ મસ્ક અને એની ટીમ મેડિકલ ક્ષેત્રમાં ન્યુરાલિંક દ્વારા પ્રવેશી રહ્યા છે. ન્યુરાલિંક એ ન્યુરોચિપ બનાવતી કંપની છે. જે થોડા સમયથી વધુ ચર્ચામાં રહી છે.

ન્યુરોચિપની સૌ પ્રથમ શોધ આજથી 12 વર્ષ પહેલા થઇ હતી. મૂળ પાકિસ્તાની એવા કેનેડિયન વૈજ્ઞાનિક નાવિદ સૈયદે સૌપ્રથમ આવી સિલિકોનની ચિપ પર મગજના કોષોને કલ્ટીવેટ કરવામાં સફળતા મળેલી. ત્યાર બાદ તેમને આવી ન્યુરોચિપની શોધ કરેલી. તેમને એવુ સાબિત કર્યું હતુ કે સિલિકોન ચિપ પર કનેક્ટ થતાં મગજના કોષોનું નેટવર્ક કેળવી શકાય છે, જે મગજના કોષોની પ્રવૃત્તિ પર નજર રાખે છે.

આવી ચિપ વાપરવી સરળ છે જેનાથી ભવિષ્યમાં મગજના કોષો ચોક્કસ પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં સરળતા રહે છે ઉપરાંત તેની કાર્યશીલતા કમ્પ્યુટર દ્વારા ટ્રેક કરી શકાય છે. જેથી પાર્કિંશન, અલ્ઝાઇમર જેવા ન્યુરોડીજનરેટીવ રોગોની સારવારમાં આ ચિપ આશીર્વાદ રૂપ સાબિત થશે. એટલુ જ નહિ, જૉ મનુષ્યમાં તેના પરિક્ષણો સફળ રહેશે તો અંધાપો અને અપંગતામાં પણ આ ચીપ અસરકારક સાબિત થશે.

આ ટેક્નિકની સફળતા એ છે કે મગજના સૂક્ષ્મ થી સૂક્ષ્મ ફેરફારોને ચિપ્ દ્વારા ટ્રેક કરી શકાશે એટલે ન્યુરો સાયકોલોજિકલ ડિસઓર્ડર્સમાં સૌથી વધુ ફાયદો થશે.

ન્યુરાલિંક

એલન મસ્કની કંપની ‘ન્યુરાલિંક’એ મનુષ્યમાં આવી ચીપ લગાવવા માટે તૈયાર છે એટલે કે એ દિવસો દૂર નથી જ્યાં જીવતા જાગતા માણસોનો કંટ્રોલ કોઈ કમ્પ્યુટરના નાના માઉસ દ્વારા થતો હોય. મસ્કે એવા અહેવાલ આપ્યા છે કે પ્રાણીઓ પર તેના પરિક્ષણો થઇ ચુક્યા છે. મસ્કે ચીંપાઝીને વિડીયો ગેમ રમાડતા કરી દીધા છે.

ભવિષ્યમાં કંપનીને એવી પણ આશા છે કે વ્યક્તિ સંભવિત પણે માઉસ, કી બોર્ડ અથવા કમ્પ્યુટરના કામો જેવા કે ટેક્સસ્ડ મૅસેજ, ઇમેઇલને તેના વિચારો સાથે નિયંત્રિત કરી શકશે. ઉપરાંત માણસના વિચારો તેમજ લાગણીને કમ્પ્યુટર પર એનાલિસિસ કરી શકાશે. કેમકે ચિપ દ્વારા ઇમેજિંનેશન પાવરને કમ્પ્યુટર દ્વારા કન્સ્ટ્રક કરી શકશે. એટલે કે કોઈ માણસના મગજની ગતિવિધિ કમ્પ્યુટર દ્વારા જાણી શકાશે. ભવિષ્યમાં, મગજથી પાવરફુલ અને શરીરે આળસુ લોકોના આઈડિયા પર મહેનતું લોકો કામ કરે તો કઈ નવાઈ નહિ.

આ સંભાવના દર્શાવે છે કે આવનારા વર્ષોમાં માનવીનું રોબોટીકરણ થવું શક્ય બનવા જઈ રહ્યું છે. જે વિવિધ ગુપ્તચર એજન્સીઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, આર્મી માટે નોંધનીય ફેરફારો તરફ ભવ્ય પ્રયાણ હશે. એટલું જ નહિ આ ચિપને હેક કરી શકાતી નથી એટલે એમનું સંપૂર્ણ નિયંત્રણ કોઈ ત્રીજા વ્યક્તિના હાથમા જવું શક્ય નથી, જૉ ગુનાખોરી માટે આ ચિપનો ઉપયોગ ભવિષ્યમાં સંભવ બનશે તો માનવ વિનાશ માટે આ ચિપ ખતરનાક પુરવાર થશે.

અગાઉ પણ ક્લોનિંગ જેવી ઘણી શોધો અને તેના પરિક્ષણ માટે હજુ પણ પરવાનગી અપાઈ નથી. કેમકે તેનો દુરઉપયોગ માનવ જાત માટે ખતરા સમાન બની શકે તેમ છે. છતાં પણ બાયો ટેક્નોલોજી અને જિનેટિક એન્જિનિયરિંગ ઘણા ખરા રોગો માટે મહત્વ પૂર્ણ સાબિત થયેલ છે.

આવનારા થોડા મહિનામાં ન્યુરાલિંકને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજુરી મળી શકે છે. અને ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ શકે છે. હાલ ન્યુરાલિંક સામે સૌથી મોટુ રિસ્ક, ન્યુરોચિપને મગજમાં ફિટ કરવાનું છે કારણકે ઇલેક્ટ્રોડસના ફીટીંગ દરમ્યાન મગજને થતું નુકસાન અને બ્લીડીંગ વૈજ્ઞાનિકો સામે સૌથી મોટો પડકાર બની રહેશે. જૉ આ ચિપનું પરિક્ષણ સફળ રહેશે તો સૌપ્રથમ શારીરિક અને માનસિક ખોડ ખાંપણ ધરાવતા લોકો માટે આ શોધ આશીર્વાદ રૂપ સાબિત થશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

દિલ્હીમાં એકસાથે 20થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકી

નવી દિલ્હીઃ દિલ્હીમાં 20થી વધુ શાળાઓને ઈમેલ મારફતે બોમ્બ વિસ્ફોટની ધમકી મળી છે એમ અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલી રિચમન્ડ ગ્લોબલ સ્કૂલને બોમ્બ વિસ્ફોટની ધમકી આપી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

દિલ્લી અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને દિલ્હી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. આગળની તપાસ ચાલી રહી છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં રાષ્ટ્રીય રાજધાનીના લગભગ 10 શાળાઓ અને એક કોલેજને ઈમેલ મારફતે બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી. જેને પગલે પોલીસ કાર્યવાહી કરતાં શાળાઓ અને કોલેજોને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી.

આ ઈમેલમાં લખ્યું હતું કે નમસ્તે, હું તમને જણાવવા માટે લખી રહ્યો છું કે મેં સ્કૂલના વર્ગખંડોમાં TNT (ટ્રાઇનાઈટ્રોટોલ્યુઈન) જેવાં અનેક વિસ્ફોટક ઉપકરણો મૂક્યા છે. આ વિસ્ફોટકોને કાળા પ્લાસ્ટિકના થેલામાં છુપાવીને ખૂબ જ હોશિયારીથી મૂકવામાં આવ્યા છે. હું તમને બધાને ખતમ કરી નાખીશ. એક પણ જીવતો બચશે નહીં. જ્યારે હું સમાચાર જોઈશ ત્યારે હું ખૂબ હસીને મજા લઈશ, કારણ કે ત્યારે હું જોઉં છું કે માતા-પિતા સ્કૂલ આવે છે અને તેમને તેમનાં બાળકોનાં ઠંડાં અને ખંડિત શરીરો જોવા મળે છે.

તમે બધા દુઃખ સહન કરવાના લાયક છો. મને મારી જિંદગીથી નફરત છે. આ સમાચાર પછી હું આત્મહત્યા કરીશ, મારું ગળું અને નસો કાપીશ. કદી પણ મને સાચી મદદ મળી નથી. ન તો કોઈ મનોવિજ્ઞાની કે મનોચિકિત્સક, કોઈએ કદી મારી ચિંતા કરી નથી અને નહીં કરશે. તમે માત્ર લાચાર અને અજ્ઞાન લોકોને દવાઓ આપો છો. મનોચિકિત્સકો કદી કહેશે નહીં કે આ દવાઓ તમારાં અંગો બગાડી નાખે છે કે એ શરમજનક વજન વધારો કરે છે. તમે લોકોના મગજ બગાડી નાખો છો એ માનવા માટે કે દવાઓ મદદરૂપ છે – પરંતુ એ મદદરૂપ નથી. હું જીવતો પુરાવો છું કે એ ફાયદાકારક નથી.

અધિકારીઓ અનુસાર જેમને ધમકી મળી છે તે શાળાઓમાં દ્વારકાની સેન્ટ થોમસ સ્કૂલ, વસંત કુંજની વસંત વેલી સ્કૂલ, હૌઝ ખાસની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, પશ્ચિમ વિહારની રિચમન્ડ ગ્લોબલ સ્કૂલ અને લોધી એસ્ટેટની સરદાર પટેલ વિદ્યાલયનો સમાવેશ થાય છે.

મોર્નિંગ વૉક

દુનિયામાં ફરતી વખતે નાની કેબિન સાઈઝની બેગ સાથે ફરવામાં મારું જીવન વીતી ગયું. `જેટલો ઓછો સામાન તેટલો વધુ આરામ’ એ તત્વ અંગીકાર કર્યું અને પ્રવાસ એ જ મારું જીવન હોવાથી તે સુખમાં વીત્યું.

`વૉક પર આવવું છે?’ `નહીં રે, મને હમણાં લખવું છે, અગિયાર વાગ્યાની ડેડલાઈન છે.’ `ઓકે હું જાઉં છું, આજે શેની પર લખી રહ્યા છો?’ `મોર્નિંગ વૉક’ મેં કહ્યું અને ખુરશીમાંથી ઊભી થઈ. `સુધીર ઊભો રહે, મોર્નિંગ વૉક પર લખવાનું અને મોર્નિંગ વૉકની દાંડી મારવાની? યે નહીં હો સકતા, બોલે તેમ ચાલે’ મારી અંદર એકદમ સંત ભાવના જાગૃત થઈ. ખુરશીમાં બેસીને મોર્નિંગ વૉક પર બોલવાનું આ વિરોધાભાસ મને ગમતો ન હતો. મોકળાશ મનથી અને ઉત્સાહથી ઊભી થઈ અને મોર્નિંગ વૉક કરી આવી. એકવાર વૉક થઈ ગયા પછી શરીરમાં સો હાથીનું બળ આવે છે, મનમાં ઉત્સાહના ફૂવારા ફૂટવા લાગે છે, નવા-નવા વિચાર મનમાં આવવા લાગે છે, દિવસ એકદમ મસ્ત વીતે છે.

સાંજે `લવ યુ  જિંદગી’ એમ ખુશીથી કહેવાનું મન થાય છે. હવે આટલા બધા મોર્નિંગ વૉકના ફાયદા છે, પણ તે મોર્નિંગ વૉકને નિત્યક્રમમાં અપનાવતાં જીવનની ચાળીશી આવી ગઈ. મોર્નિંગ વૉક માટે ચોક્કસ સારો સમય કયો તેની પર ચર્ચાસત્ર થયા. મોર્નિંગ વૉક માટે કયા શૂઝ સારા? વચ્ચે જ જોગિંગ અથવા રનિંગ કરવાનું મન થાય તો? એવા કમ્બાઈન્ડ બેનિફિટ્સવાળા શૂઝ હોય છે? તો પછી શૂઝનો કલર કયો લેવાનો? બે-ત્રણ રંગના બે-ત્રણ બ્રાન્ડેડ કંપનીના શૂઝ લેવા જોઈએ? જે શૂઝનું તે જ કપડાંનું. કોટન કે સિંથેટિક? લૂઝ કે ફિટ, એન્કલ લેંગ્થ કે શોર્ટસ? કલરફૂલ કે બ્લેક એન્ડ વ્હાઈટ? બાપ રે બાપ! કબાટનો એક મોટો ભાગ આ મોર્નિંગ વૉકનાં કપડાંથી જ ભરાઈ ગયો. આ બધું અહીં અટક્યું નહીં. નવા જમાનામા નવી-નવી ટેક એસેસરીઝ આવી અને મોર્નિંગ વૉકના સમયે ચાલતી વખતે આપણે સ્માર્ટ અને એકદમ ન્યૂ એજ પર્સન દેખાવા નહીં જોઈએ?

આ વિચારથી ગ્રસ્ત પછી રિસ્ટ વોટર બોટલ, બેલ્ટ બેગ ફેની પેક, હેડ બેન્ડ્સ, હેટ, આર્મ બેન્ડ્સ, ઈયર મફ્સ, હેડફોન્સ અથવા એર પોડ્સના સપોર્ટથી કબાટમાં વધુ જગ્યા રોકાઈ. આ બધું પહેરીને પહેલા દિવસે હું જ્યારે વૉક પર જવા તૈયાર થઈ ત્યારે મને એસ્ટ્રોનોટ હોવા જેવું લાગ્યું. પગ, કમર, કાંડા, હાથ, ગળું, માથું આ બધાનો કબજો કોઈકને કોઈક વસ્તુએ લીધો હતો. એટલે કે, મોર્નિંગ વૉક પર જતા સમયે હલકું લાગવું જોઈએ, તેને બદલે હું એકાદ ભારે વસ્તુ હોય તેમ લાગવા માંડ્યું. આને કારણે પરિણામ પણ તે જ આવ્યું. મોર્નિંગ વૉક બંધ થયો. પહેલાં જ બધી વસ્તુઓ શોધવામાં અને લાવવામાં દમ નીકળી ગયો હતો અને તે પહેર્યા પછી તો જડત્વ આવી ગયું હોય તેવું લાગ્યું. તેમાં મારો વધુ એક પ્રોબ્લેમ. વૉક કરતાં-કરતાં મોબાઈલ પર પોડકાસ્ટ સાંભળવા માટે એરપોડ્સ નહીં જોઈએ? જો કે મારા કાનમાં ગમે-તેમ કરીને એરપોડ્સ ફિટ થયા નહીં. મેં અને સુનિલાએ યુ.એસ.એ.માં અનેક સ્ટોર્સ ખૂંદી કાઢ્યા પણ મારા કાનમાં જનારા એરપોડ્સ કાંઈ મળ્યા નહીં. તે એપલના સેલ્સમેનને પૂછ્યું, `આઈ શૂડ સૂ યુ ફોર નોટ મેકિંગ ધ ડિઝાઈન સૂટેબલ ફોર ઓલ.’ તે પણ તેટલો જ હાજર જવાબી હતો. તેણે કહ્યું, `ધીઝ આર ફોર નોર્મલ પીપલ.’ સુનિલાએ કહ્યું, `ઈના તારા કાન નાના છે. તું હલકા કાનની.’ કશું પણ સાંભળવું પડે છે.

જો અર્થ અલગ હોય તો પણ અહીં મેં તે બદલી નાખ્યો. હલકા કાનની હોવાથી, એક કાનથી સાંભળવાનું, બીજા કાનથી કાઢી નાખવાનું. જો કે એપલે નહીં કર્યું તેથી શું થયું, સુધીર એકવાર જર્મનીમાં ગયો હતો, ત્યાંથી તે `શોક્સ’ના હેડફોન્સ લાવ્યો અને મારો પ્રશ્ન ઉકેલાઈ ગયો. મારા કાન પર ઈલાજ મળી ગયો. હવે તો `બોસ’ કંપનીએ પણ કાનમાં બંધ બેસે તેવાં એરફોન્સ રજૂ કર્યા છે. તે ક્યારે લેવા તેની હું તક શોધી રહી છું. એ બાબતનો બહુ સંતોષ થયો કે અમારા જેવા આ સો કોલ્ડ સબનોર્મલ-એબ્નોર્મલ કાન પર કોઈક કામ કરતું હતું. અમારી દખલ લેતું હતું અને ત્યાં જ જાણે દુનિયા જીત્યાનો આનંદ મળ્યો. નવા-નવા નવ દિવસ એટલે આ એસેસરીઝવાળી બધી બાબતો પહેરીને મોર્નિંગ વૉક કરવાનો ઉત્સાહ નવ દિવસ પણ ટક્યો નહીં અને આ બધી બાબતનું ઘેલું છોડીને હું રાબેતા મુજબ મારા સાદા સિંપલ અવતારમાં મોબાઈલ અને શોક્સના હેડફોન્સની સહાયથી વૉક કરવા લાગી. આ પછી મોર્નિંગ વૉક પર ક્યારેય દાંડી મારવાનું મન થયું નહીં.

દુનિયામાં ફરતી વખતે નાની કેબિન સાઈઝની બેગ સાથે ફરવામાં મારું જીવન વીતી ગયું. `જેટલો ઓછો સામાન તેટલો વધુ આરામ’ આ તત્વ અંગીકાર કર્યું. પ્રવાસ એ જ મારું જીવન હોવાથી તે સુખમાં વીત્યું. આ નાની બેગમાં પણ મોર્નિંગ વૉકનો ટ્રેક સૂટ અને સ્વિમિંગ કોશ્ચ્યુમ રાખતી હોય છે. શૂઝ પગમાં જ રહેતા જેથી ફક્ત એક નોર્મલ ફૂટવેરને જગ્યા આપવી પડતી. પર્યટકોને હું આ મિનિમાલીઝમની સલાહ આપતી નથી, કારણ કે તેમને જરૂરી સજવાનું ધજવાનું રુઆબ છાંટવાનું, ભરપૂર ફોટોઝ પાડવાના, તે ફેસબુક ઈન્સ્ટા પર મૂકવાના અને તે બધાંનો મન મૂકીને આનંદ લેવાનો. જો કે તે છતાં બહુ ભારે બેગ લેવી નહીં, મિડિયમ સાઈઝની ફોર વ્હીલ સૂટકેસ જ હોવી જોઈએ. પ્રવાસમાં બોજ લઈને થાકવાનું નહીં. હવે તમે ટુર પર હોય ત્યારે મોર્નિંગ વૉક કરવા માગતા હોય તો સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે તે અશક્ય છે. તે માટે પછી તમને કસ્ટમાઈઝડ હોલીડેની જ મદદ લેવી પડશે. ગ્રુપ ટુરમાં અમારે તેમને એટલું બધું બતાવવાનું હોય છે કે આ ટુર પ્રકારમાં મોર્નિંગ વૉકનો સમય જ હોતો નથી. અર્થાત, અમુક ઉત્સાહી લોકોને વહેલા ઊઠવાની આદત હોય છે તેઓ મોર્નિંગ વૉક માટે ટુરમાં પણ સમય વિતાવે છે.

એકમાત્ર ધ્યાન રાખવાનું એ કે મોર્નિંગ વૉક પર જતી વખતે સુરક્ષિત સ્થળે જ વૉક કરવાનું. નિર્જન સ્થળે જવાનું નહીં. ટુર મેનેજરને કહીને જવાનું. આ જ રીતે વૉક કરતી વખતે ફૂટપાથ, ઝેબ્રા ક્રોસિંગ, સિગ્નલ્સનો જ આધાર લેવાનો, વચ્ચે-વચ્ચે ક્યાંય પણ ક્રોસિંગ અથવા હાઈવે પર મોર્નિંગ વૉક કરવાનું નહીં. એટલે કે, મારાથી આ મૂરખાઈ અથવા અતિશાણપણ થઈ ગયું છે. કશું થયું નહીં પણ સરિયામ જે કાંઈ ઘટના બને છે તે જોઈને રૂવાડાં ઊભાં થઈ જાય છે. યુ.એસ.એ.માં યુરોપમાં ક્યાંય પણ હું જતી ત્યારે મોર્નિંગ વૉકનું ભૂત માથામાં એટલું રહેતું કે સવારે છ-સાડા છ વાગ્યે બહાર નીકળીને કમ સે કમ દોઢ કલાક વૉક કરવાનું. તે સમયે દુનિયા એટલી અસુરક્ષિત નહોતી, જેથી ચાલી ગયું એમ કહી શકાય. એટલે કે, આખી દુનિયા અસુરક્ષિત નથી. અમસ્તા જ ગભરાવવાનું નહીં. સાવધાની રાખવાની, સાવચેત રહેવાનું એટલું જ. દુનિયામાં અનેક સ્થળે મોર્નિંગ વૉક કર્યો. જો કે મોર્નિંગ વૉક માટે મનગમતી જગ્યા એટલે સ્વિત્ઝર્લેન્ડનું કોઈ પણ ગામ, આપણા ભારતનું મનાલી, ખાસ કરીને હિડિંબા ટેમ્પલની પાછળનું પાઈન ફરનું જંગલ, લંડનનો કેન્સિંગ્ટન પાર્ક, સ્કોટલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં કોઈ પણ ગામ, ઓસ્ટ્રેલિયાનો સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસનો વિસ્તાર… આ સ્થળે ગયા પછી મોર્નિંગ વૉક કર્યો નહીં એવું બને જ નહીં.

થોડા દિવસ પૂર્વે ગોરેગાવની શકુમાઈ ચુરી અમારી હિતચિંતક અને સાસુજીની માસિયાઈ બહેન મળવા આવી હતી. ઉંમર 90 વર્ષ, પણ મેં તેને ચાળીસ વર્ષ પૂર્વે જોઈ તેવી જ તે દેખાતી હતી. કડક અવાજ, બોલવામાં તે જ ઉત્સાહ, ટટ્ટાર ઊભા રહેવાનું, પીઠ બિલકુલ વાંકી નહીં. `શકુમાઈને પૂછ્યું, `શું ખાય છે તું અને ચોક્કસ શું કરે છે કે ૯૦માં પણ મને તું એકદમ ચાળીસ વર્ષ પૂર્વે હતી તેવી જ દેખાય છે? ‘મને લાગ્યું શાકભાજી, ફળો ડાયેટ એવું અમારી જેમ મોટું ટાઈમટેબલ તે કહેશે, કારણ કે મને તે જાપાન અથવા દુનિયાના અન્ય ઠેકાણાના `બ્લુ ઝોન્સ’માંથી આવી હોય તેવું લાગ્યું. એટલે કે જીન્સ આ એક ભાગ હતો, બીજું શું તે સાંભળવા અમે ઉત્સુક હતા. આમ તો ડાયેટ જેવું કશું નહોતું, તે બધાં પ્રકારની શાકભાજી ખાતી નહોતી. પણ એક બાબત તેણે કહી તે એટલે વૉક. તે બહુ ચાલે છે. મોર્નિંગ વૉક-ઈવનિંગ વૉક-ઈન બિટવિન વૉક આ શક્ય ત્યારે તે કરતી જ રહે છે. તે સ્થળે બેઠેલા અમે બધાની સામે મોર્નિંગ વૉકનું મહત્વ શકુમાઈએ દાખલા સહિત ઊભું કરી દીધું.

મોર્નિંગ વૉક શરીર માટે, મન માટે, સારા વિચારો માટે, સમાજ માટે અને દેશ માટે મહત્વનું ઘટક છે એવું મને લાગે છે. શરીર તંદુરસ્ત તો મન હકારાત્મક અને તેથી સમાજ અને દેશ શક્તિવાન. વધુ એક કનેકશન મોર્નિંગ વૉકનું મને મળ્યું તે એ કે જે ગામમાં, જે શહેરમાં, જે રાજ્યમાં અને જે દેશમાં આપણા જેવી સામાન્ય જનતા મોર્નિંગ વૉક કરી શકે તે ગામ, શહેર, રાજ્ય અને દેશ સુરક્ષિત.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા

નવી દિલ્હીઃ EDએ છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલના નિવાસસ્થાન પર તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સામે ચાલી રહેલી કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગની તપાસ હેઠળ ફરીથી દરોડા પાડ્યા હતા. આ કેસમાં નવા પુરાવા મળ્યા પછી EDએ મની લોન્ડરિંગ (PMLA) હેઠળ દુર્ગ જિલ્લામાં ભિલાઈ શહેરમાં આવેલા તેમના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. આ ઘર ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર બંનેનું સંયુક્ત નિવાસ છે.

આ તપાસની કાર્યવાહી ચૈતન્ય બઘેલ સામે કરવામાં આવી છે, જેમના પર દારૂ કૌભાંડના કેસમાં તપાસ ચાલી રહી છે. તેમના ઘરે બહાર ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત જોવા મળ્યો હતો અને કેટલાક કોંગ્રેસ સમર્થકો પણ એકત્રિત થયા હતા.

ભૂપેશ બઘેલે X  પર પોસ્ટ કરી હતી કે ED વિધાનસભાના મોનસૂન સત્રના અંતિમ દિવસે તેમના ઘરે આવી છે, જ્યારે રાયગઢ જિલ્લાના તમનારમાં અદાણી જૂથની કોલ ખાણ પ્રોજેક્ટ માટે વૃક્ષોના કાપ અંગે પ્રશ્ન ઉઠાવાનો હતો. ભૂપેશ બઘેલે આ મહિનાની શરૂઆતમાં તમનારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક ગ્રામજનોને ટેકો આપ્યો હતો, જેઓ ખાણ પ્રોજેક્ટ માટે વૃક્ષ કાપ સામે વિરોધ કરી રહ્યા છે.

EDએ અગાઉ દાવો કર્યો હતો કે ચૈતન્ય બઘેલ કથિત દારૂ કૌભાંડમાં મળેલા રૂપિયા મેળવનારોમાંથી એક છે. આ કૌભાંડથી રાજ્ય ખજાનાને ભારે નુકસાન થયું છે અને દારૂ સિન્ડિકેટના લાભાર્થીઓએ અંદાજે રૂ. 2100 કરોડની કમાણી કરી હતી.

EDના જણાવ્યા અનુસાર છત્તીસગઢમાં આ કથિત દારૂ કૌભાંડ 2019થી 2022 વચ્ચે થયું હતું, જ્યારે રાજ્યમાં ભૂપેશ બઘેલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ED દ્વારા અંદાજે રૂ. 205 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

Chitralekha Gujarati – 28 July, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પ્રભુનિષ્ઠ વ્યક્તિ માટે પરમાત્મા જ એકમાત્ર આકર્ષણ

સંસારમાં કેટલીક વ્યક્તિઓ વસ્તુનિષ્ઠ હોય છે, કેટલાક લોકો વ્યક્તિનિષ્ઠ હોય છે, તો કેટલાક લોકો મૂલ્યોમાં નિષ્ઠા રાખે છે. પરંતુ પ્રભુનિષ્ઠ વ્યક્તિ માટે સંસારમાં પરમાત્માથી વધીને કોઈ બીજું આકર્ષણમૂર્ત હોતું નથી. પ્રભુમાં નિષ્ઠા રાખવા કરતાં અન્ય વ્યકિતઓમાં નિષ્ઠા રાખવી સહેલી છે. પ્રભુનિષ્ઠ વ્યક્તિને પરમાત્મા એક ચુંબકની જેમ ખેંચે છે. તેમના આ ગુણને લીધે તેમનું એક નામ કૃષ્ણ (નિરાકાર ભગવાનને કૃષ્ણ પણ કહેવાય, કારણકે તેઓ પવિત્ર આત્માઓને ખેંચે છે.) પણ છે. તેઓ આપણને ઇન્દ્રિયોના આકર્ષણથી ઉપરામ અતીન્દ્રિય સુખમાં રમણ કરાવે છે. આવી અશરીરી અવસ્થામાં આત્મા તથા પરમાત્માના મિલનથી આધ્યાત્મિક શક્તિ પ્રવાહીત થાય છે. તાર ઊપર ચઢેલ આવરણની જેમ શરીરનો પણ કોઈ અર્થ નથી.

દેહ એક આવરણનું કામ કરે છે. પરંતુ ઈશ્વરીય શક્તિઓનો આત્મામાં પ્રવાહ થાય તેના માટે શરીરનો કોઈ હસ્તક્ષેપ નથી. કર્મેન્દ્રિયો પોતાનું કામ કરે છે અને ચૈતન્ય આત્મા પોતાનું ચિંતન. જેવી રીતે થર્મોસના બે આવરણની વચ્ચે રહેલ હવા બહારના વાતાવરણની અસર અંદર નથી થવા દેતી, એવી જ રીતે આત્માની ચારે બાજુ ઈશ્વરીય શક્તિઓનો ઘેરાવ કર્મેન્દ્રિયોના વિવિધ પ્રભાવને આત્મા સુધી પહોંચવા દેતો નથી. બે યુગો સુધી ઇન્દ્રિયોના આકર્ષણથી ટેવાયેલ આત્મા માટે સૌથી મોટી દવા પરમાનંદ જ છે. જે પુરુષોત્તમ સંગમયુગની સૌથી મોટી પ્રાપ્તિ છે.

સંસારની રચનામાં ત્રણ શક્તિઓ પરમાત્મા, આત્મા અને પ્રકૃતિની જ મૂળ ભૂમિકા છે. પરમાત્મા પિતા સત-ચિત્ત- આનંદ સ્વરૂપ છે. આત્મા સત ( અવિનાશી) તથા ચિત્ત છે. અને પ્રકૃતિને ફક્ત સત (અવિનાશી) માનવામાં આવે છે. પ્રકૃતિ પોતાના પાંચ તત્વો સહિત આત્માને જીવનનો આધાર આપે છે. આ પાંચમાંથી કોઈ પણ એક તત્વનો અભાવ મનુષ્ય જીવન માટે મુશ્કેલી ઉભી કરે છે. થોડા વર્ષો પહેલા ગુજરાત, રાજસ્થાન તથા ભારતના અમુક પ્રદેશોમાં પણ ભયંકર ભૂખમરાની અસર જોવા મળી હતી. રાજસ્થાન તો અનાજ, પાણી ઘાસચારાની અછતના કારણે ખૂબ વ્યાકુળ થયું. બે-ત્રણ વર્ષો સુધી વાદળો દ્વારા અંગુઠો બતાવવાનું પરિણામ એ આવ્યું કે, જમીન ઉપરના પાણીના સ્ત્રોત સુકાઈ ગયા. તથા જમીનમાં પાણીનું લેવલ ખૂબ જ નીચે જતું રહ્યું. પાણીની તંગીના કારણે પશુ, પક્ષી તથા માણસોના મૃત્યુ થવા લાગ્યા. દૂર દૂર સુધી રાજસ્થાનની ધરતી પર ફેલાયેલ અરવલ્લી પર્વતો ઉપર સુકાયેલ વૃક્ષોની વચ્ચે એક પણ લીલા પાંદડાના દર્શન દુર્લભ થઈ ગયા. સુમસામ સડકો તથા ઉજ્જડ ખેતરો, સ્મશાનમાં શાંતિ લપેટાયેલ નજર આવવા માંડી. આ તમામ ચહલ-પહલ, ઉમંગ- ઉત્સાહ પાણીના પ્રશ્નમાં ગુચવાઈ ગયા.

ભૌતિક જીવન માટે જે પ્રકારે પાણી તથા અન્ય પ્રાકૃતિક તત્વોની જરૂરિયાત છે તેવી જ રીતે માનવીના આધ્યાત્મિક અસ્તિત્વને બનાવી રાખવા માટે સત્ય તથા સત્યની અનુભૂતિ અને ધારણા પણ અતિમહત્વ પૂર્ણ છે. પરમપિતા પરમાત્મા શિવ દ્વારા ઉચ્ચારાયેલ સત્ય જ્ઞાનના આધારે આપણે જાણીએ છીએ કે, ચક્રના ચાર યુગોમાં પહેલા બે યુગ સતયુગ અને ત્રેતાયુગમાં દરેક મનુષ્ય દૈવી ગુણની ધારણાઓથી સંપન્ન હોય છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)