Home Blog Page 778

ઓડિશામાં 40,000થી વધુ મહિલાઓ ગાયબ થઈ છેઃ રાહુલ ગાંધી

ભુવનેશ્વરઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી  ભુવનેશ્વરના બારામુંડા મેદાનમાં આયોજિત વિશાળ રેલી ‘બંધારણ બચાવો સમાવેશ’ને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મોટો દાવો કર્યો હતો કે ઓડિશામાં 40,000થી વધુ મહિલાઓ ગાયબ થઈ ગઈ છે અને આજે સુધી ખબર નથી પડી કે આ મહિલાઓ ક્યાં ગઈ. તેમણે આરોપ લગાવ્યો કે ઓડિશામાં દરરોજ મહિલાઓ પર અત્યાચાર થાય છે, પણ રાજ્ય સરકારને તેનાથી કોઈ ફરક પડતો નથી.

ગાંધીએ કહ્યું હતું કે ઓડિશા સરકારનું એકમાત્ર કામ એ છે કે ગરીબોની પાસેનું ઓડિશાનું ધન ચોરી લેવું. પહેલાં BJD સરકારે એવું કર્યું અને હવે BJP સરકાર એ જ કરી રહી છે. એક તરફ છે ઓડિશાની ગરીબ જનતા – દલિત, આદિવાસી, પછાત વર્ગ, ખેડૂત અને મજૂર – અને બીજી તરફ છે 5-6 અબજપતિઓ અને BJP સરકાર. આ લડાઈ ચાલુ છે. માત્ર કોંગ્રેસના કાર્યકરો અને ઓડિશાની જનતા મળીને આ લડાઈ જીતી શકે છે, બીજું કોઈ નહિ.

કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સતત બંધારણ પર હુમલો કરી રહ્યો છે. જેમ મહારાષ્ટ્રમાં ચૂંટણી ચોરી કરવામાં આવી, એ જ રીતે હવે બિહારની ચૂંટણી પણ ચોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી ચોરી માટે ચૂંટણી પંચે નવું ષડયંત્ર શરૂ કર્યું છે. ચૂંટણી પંચ હવે પોતાનું કામ નહિ પરંતુ ભાજપનું કામ કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે એક કરોડ નવા મતદારો આવી ગયા, પણ આજે સુધી કોઈને ખબર નથી કે આ મતદારો કોણ છે અને ક્યાંથી આવ્યા. અમે ચૂંટણી પંચને વારંવાર કહ્યું કે અમને મતદાર યાદી આપો, વિડિયો આપો, પણ આજે સુધી કંઇ મળ્યું નથી. હવે એ લોકો બિહારની ચૂંટણી પણ ચોરવા માંગે છે, પણ અમે એ થવા નહીં દઈએ.

વિદેશમાં પોતાના કાફે પર ફાયરિંગ બાદ સામે આવી કપિલ શર્માની પ્રતિક્રિયા

કોમેડી સ્ટાર કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ વખતે તેમની ચર્ચા તેમની પ્રખ્યાત રોમેન્ટિક કેમેસ્ટ્રીને કારણે નહીં, પરંતુ તેમના નવા કેપ્સ કાફેમાં થયેલી ગોળીબારની ઘટનાને કારણે થઈ રહી છે.

કેનેડાના સરે વિસ્તારમાં સાત દિવસ પહેલા જ ખુલેલા તેમના કાફેને ખાલિસ્તાની આતંકવાદીઓએ નિશાન બનાવ્યું છે. આ કાફે ખુલ્યા પછીથી જ તેની ઘણી પ્રશંસા થઈ રહી હતી. કપિલના કાફેના ઈન્ટિરિયરથી લઈ ફૂડ સહિત તમામ બાબતો ઘણી આકર્ષિત હતી. આ ખુશી વચ્ચે અચાનક થયેલી ગોળીબારની ઘટનાએ ઓપનિંગની ઉજવણીને બગાડી દીધી છે. કપિલ-ગિનીના ચાહકો પણ આ ઘટનાથી ચિંતિત છે. આ દરમિયાન કપિલ અને ગિન્નીની ટીમે તેમના વતી પહેલું નિવેદન જારી કર્યું છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બંને આઘાતમાં છે.

કેપ્સ કાફેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે,’હૃદયથી સંદેશ,અમે સ્વાદિષ્ટ કોફી અને મૈત્રીપૂર્ણ વાતચીત દ્વારા હૂંફ, જોડાણ અને આનંદ લાવવાની આશા સાથે કેપ્સ કાફે ખોલ્યું. હિંસાથી તે સ્વપ્નને બરબાદ કરવું હૃદયદ્રાવક છે. અમે આ આઘાતમાંથી બહાર આવી રહ્યા છીએ, પરંતુ અમે હાર માનીશું નહીં. તમારા સમર્થન બદલ આભાર. DM દ્વારા શેર કરાયેલા તમારા દયાળુ શબ્દો, પ્રાર્થનાઓ અને યાદોનો અર્થ તમારા વિચારો કરતાં વધુ છે. આ કાફે અમારામાં તમારા વિશ્વાસને કારણે છે અને અમે તેને સાથે મળીને બનાવી રહ્યા છીએ. ચાલો હિંસા સામે મજબૂત રીતે ઉભા રહીએ અને ખાતરી કરીએ કે કેપ્સ કાફે હૂંફ અને સમુદાયનું સ્થળ રહે. કેપ્સ કાફે તરફથી બધાનો આભાર અને ટૂંક સમયમાં સારા આકાશ નીચે મળીશું. આશા અને કૃતજ્ઞતા સાથે #supportkapscafecanada’.’

આ સાથે બીજી એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે, જેમાં વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓનો આભાર માનવામાં આવ્યો છે.પોસ્ટમાં લખ્યું છે કે,’આ મુશ્કેલ સમયમાં દરેકની સલામતી સુનિશ્ચિત કરવાના ઝડપી પ્રતિભાવ અને પ્રયાસો માટે અમે પોલીસનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરીએ છીએ.’

તમને જણાવી દઈએ કે, મોડી સાંજે કપિલ શર્માના નવા કાફેની બહાર એક અજાણ્યા હુમલાખોરે ગોળીબાર કર્યો હતો, જેમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. આ ઘટના સરે કેનેડામાં કેપ્સ કાફેના સોફ્ટ લોન્ચ પછી બની હતી. તે દરમિયાન ઘણા સ્થાનિક લોકો અને સ્ટાફ કાફેમાં હાજર હતા. કેનેડિયન પોલીસે તાત્કાલિક આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ‘એનઆઈએના મોસ્ટ વોન્ટેડ’ આતંકવાદી હરજીત સિંહ લાડીએ આ હુમલાની જવાબદારી લીધી છે. હરજીતનો દાવો છે કે તે કપિલ શર્માની કેટલીક ટિપ્પણીઓથી ગુસ્સે હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું. પોલીસ હુમલાખોરની શોધ કરી રહી છે અને હાલમાં કોઈના ઘાયલ થવાની પુષ્ટિ થઈ નથી.

લીગલી. એથિકલી. મોરલી….

મેં કહ્યું, `અરે ત્યાં કયાં જાય છે?’, તેણે જવાબ આપ્યો,`લેફ્ટમાં કાર ઊભી રાખીશ તો સિગ્નલ તોડનારા હોર્ન વગાડ્યા કરશે. તેમને જગ્યા કરી આપી.’ યે લો કર લો બાત…

અગિયાર વર્ષ પૂર્વેનો આ પ્રસંગ છે. વીણા વર્લ્ડ હજુ શરૂ જ થયું હતું. અમે બધાં મળીને મહેનત કરી રહ્યાં હતાં. ઓર્ગેનાઈઝેશન આકાર લઈ રહ્યુ હતું. અમે એટલા નસીબદાર હતા કે અમને બધાંનો સહાનુભૂતિપૂર્વક ટેકો મળી રહ્યો હતો અને કામ કરવા વધુ બળ મળતું હતું. અમારી ફ્રેન્ડ નીલુ સિંહ એક દિવસ મળવા આવી. બધાં ગપ્પાં પૂરાં થઈ ગયા પછી બોલી,`અરે તમે પૂરાં ડૂબી ગયાં છો આ બધું નિર્માણ કરવામાં, થોડો વિશ્રામ લો. ચાલો મારી સાથે આ વીકએન્ડમાં ચેમ્બુરના ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસના ઓડિટોરિયમમાં સારો કાર્યક્રમ છે, ગમશે તમને પણ. થોડું અલગ કાંઈક કરશો.’ અને અમે પહોંચ્યાં તે ઠેકાણે. તે સમયે યુટ્યુબ પોડકાસ્ટ, વિડિયોકાસ્ટ કે પોડકાસ્ટનો સળવળાટ નહોતો. આથી મોટી-મોટી હસ્તીઓના વિચારો સાંભળવા અમે દૂર-દૂર જતાં હતાં. હું તો દિલ્હી-લંડન સુધી પહોંચી ગઈ હતી. સો, નીલુએ કહ્યા પ્રમાણે કાર્યક્રમ ઉત્કૃષ્ટજ હતો. તે સાંજ અમારે માટે યાદગાર બની રહી હતી.

સમયાંતરે અર્થાત જ આપણને તે કાર્યક્રમની અથવા તેમાંના વિચારોની યાદ આવે છે, પરંતુ આ કાર્યક્રમમાં ટાટા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશોર ચૌકરનું ભાષણ અને તેમણે શ્રોતાઓ સાથે સાધેલો સંવાદ યાદ રહી ગયો હતો. તેમાંથી બે મુદ્દા ભેજામાં છેક અંદર સુધી પહોંચ્યા. તે અમે અમલમાં લાવ્યાં અને હવે તો તે વીણા વર્લ્ડ વેલ્યુઝ અને પ્રિન્સિપલ્સનું ઘટક થઈ ગયાં છે અને અમારી ઈયરલી ડાયરીનું અવિભાજ્ય અંગ બની ગયાં છે. તેમણે કહેલી પહેલી વાત હતી, `આજે આપણે સસ્ટેનેબિલિટી, ગ્લોબલ વોર્મિંગ, પાણી, રિસોર્સીસ જેવા ઘણા બધા મુદ્દાઓ પર બહુ ચર્ચા કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી હું સવારે બ્રશ કરતી વખતે પાણીનો નળ અમસ્તા જ વહેતો નહીં રાખું, તે જરૂર નહીં હોય ત્યારે બંધ નહીં કરું, પાણી બચાવવાની આદત હું પોતે, મારા સંતાનો અને મારો પરિવાર અમલમાં નહીં લાવે ત્યાં સુધી આ ચર્ચાનો કોઈ અર્થ નથી.’  આંખોમાં અંજન આંજ્યું હોય તેવું લાગ્યું. આપણાથી પાણીનો વેડફાટ થતો નથી ને તે બાબતમાં હું આત્મપરીક્ષણ કરવા લાગી અને ફરક પડ્યો. એટલો કે સર્વ વોશ બસીન્સમાં અગાઉ જે પાણી મોટા ફોર્સ સાથે આવતું, ઘણું બધું આવતું, તે નીચેથી ઓછું કરી નાખ્યું. અને પછી આદત જ પડી ગઈ. અમસ્તા જ વેડફાતું પાણી, વસ્તુ, બાબતો, સમય પર મનન-ચિંતન કરવાની અને તેનાથી એકંદરે જીવનશૈલીમાં ફરક પડ્યો. બીજી વાત એવી હતી કે જાણે જેકપોટ જ લાગ્યો હતો તે દિવસે. તેમણે એક પ્રસંગ કહી સંભળાવ્યો. એક વખત કોઈક એક કેસ સંબંધમાં તેઓ શ્રી રતન ટાટાનો અભિપ્રાય પૂછવા માટે ગયા. તેમણે કેસ સમજી લીધો અને તેની પર શું પગલાં લેવાનું નક્કી કર્યું તે પણ કહ્યું અને શ્રી ટાટાની લીલી ઝંડી મેળવવા માટે તેઓ તેમની પાસે જતા હતા. ટાટાએ તેમને પૂછ્યું, `આર યુ લીગલી રાઈટ?’ યેસ સર! ટાટાનો બીજો પ્રશ્ન હતો, `આર યુ એથિકલી રાઈટ?’ યેસ સર! ટાટાએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, `આર યુ મોરલી રાઈટ?’ શ્રી ચૌકરે કહ્યું, અહીં હું થોડો મૂંઝવણમાં મુકાઈ ગયો. આમ છતાં મેં યેસ સર! કહ્યુંઅને ટાટાએ મને કહ્યું, `ધેન ગો અહેડ!’ શ્રી ચૌકર નીચે આવ્યા અને તેમણે ડિક્શનરીમાં `એથિક્સ’ અને `મોરલ્સ’ વચ્ચે ચોક્કસ શું ફરક છે તે જાણી લીધું. થેન્કયુ ચૌકર સર! એકદમ મનથી, આ પ્રસંગ શેર કર્યો તે માટે. જીવનમાં કેટલો મોટો પ્રસંગ અથવા અનેક પ્રસંગો ચપટી વગાડતાં ઉકેલાઈ ગયા આ ભાષણ થકી.

લીગલી અથવા લીગલ એટલે શું તે આમ તો બધા જાણે છે. દેશે, રાજ્યે, સમાજે, બનાવેલા જે નિયમ અથવા કાયદા – કાનૂન હોય છે તેના અખત્યારમાં રહીને કામ કરવું, નિયમો નહીં તોડવા, નિયમોને નેવે મૂકીને જુગાડ કરીને કશું પણ નહીં કરવું, એટલે કે, `લીગલી રાઈટ.’ એથિક્સ અને મોરલ્સની બાબતમાં ખરેખર આપણે અનેક લોકો મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. તે જાણવા માટે મેં એક વખત અમારી લીડરશીપ મીટમાં સાઈઠ-સિત્તેર મેનેજર્સ અને ઈનચાર્જીસને આ પ્રશ્ન પૂછ્યો અને મોટે ભાગે મૂંઝવણ જોવા મળી. તે પછી અમે બધાએ મળીને તે દિવસે જ આ બાબતનો ચોક્કસ ફરક જાણી લીધો. સરળ ભાષામાં કહું તો એથિક્સ એટલે આપણા ઓર્ગેનાઈઝેશને આપણા માટે બનાવેલી નિયમાવલિ અથવા કોડ ઓફ કંડક્ટ અથવા પ્રિન્સિપલ્સ. જ્યાં સુધી આપણે તે ઓર્ગેનાઈઝેશનમાં હોઈએ ત્યાં સુધી તે નિયમો પાળવાના અથવા એથિક્સ ફોલો કરવાનું બંધનકારક હોય છે. જ્યારે આપણે આ બધાં બંધનોનું પાલન કરીને કામ કરીએ ત્યારે આપણે કહી શકીએ `એથિકલી રાઈટ.’ ત્રીજો ભાગ હવે મોરલ્સનો છે. હું, એટલે કે એક વ્યક્તિએ પોતાને માટે બનાવેલો નિયમ, બંધન, શિસ્ત, લક્ષ્મણરેખા એટલે મારા મોરલ્સ. મારા મોરલ્સ મેં નક્કી કરવાના હોય છે. તે કોઈએ આપણી પર લાદેલા નથી હોતા. તેની નિયમાવલિ નથી હોતી અને તેથી જ બહુ મહત્ત્વના હોય છે. અહીં પોતાની જ કસોટી થાય છે. આપણે જ નિયમો બનાવવાના. આપણે જ આપણા નિયમોનું સતત ફોલો-અપ કરવાનું. ક્યાંય આપણા તરફથી આ નિયમોનું ઉલ્લંઘન થાય તો આપણે આપણને આપણી જ કોર્ટમાં ઊભા કરીને તેનું પ્રાયશ્ચિત્ત કરવાનું અને પોતાને `મોરલી રાઈટ’ બનાવવાનું. સો દેશે-રાજ્યે-બંધારણે જે નિયમ બનાવ્યા છે તે લીગલ, ઓર્ગેનાઈઝેશને બનાવેલા નિયમ એટલે એથિક્સ અને પોતે પોતાના માટે બનાવેલા નિયમ એટલે મોરલ્સ. આ અમે અમારા માટે આસાન કરી નાખ્યું અને પછી ટાટાના તે ત્રણ પ્રશ્નમાંની વ્યાપ્તિ ધ્યાનમાં આવી.

લીગલી બાબત કરવી અથવા એથિકલી કશુંક કરવું આસાન હોય છે, કારણ કે સામે એક કોઈકે નિયમ બનાવેલા હોય છે, જેની બહાર જઈએ તો ત્યાં સજા હોય છે. આથી તે નિયમમાં રહીને કામ કરવાનું આસાન હોય છે, પરંતુ `મોરલ્સ’નો મામલો આમ જોવા જઈએ તો મુશ્કેલ છે, કારણ કે આપણને જોનારા આપણે જ હોઈએ છીએ. તે જ લીડરશિપમીટમાં મેં પ્રશ્ન કર્યો, `સિગ્નલ રેડ દેખાય એટલે તમારામાંથી કેટલા જણ વાહન રોકે છે અને સિગ્નલ ગ્રીનની વાટ જુએ છે?’ બધાએ હાથ ઉપર કર્યા. હું છક થઈ ગઈ. એટલે કે આ સિચ્યુએશન હોય તો વીણા વર્લ્ડને ભાગ્યવાન જ કહેવી જોઈએ. આટલી આદર્શ ટીમ. વાહ! વાહ! જો કે તે છતાં ડાઉટ હતો જ. નોટ પોસિબલ. મેં કહ્યું, `મારો બિલકુલ વિશ્વાસ બેસતો નથી. બધા સિગ્નલ રેડ થયા પછી ઊભા રહે છે?’ તુરંત બે-ત્રણ જણનો અવાજ આવ્યો, `અરે, સીસીટીવીમાં કેદ થાય છે ને!’ મારી ટ્યુબલાઈટ સળગવામાં થોડું મોડું થયું હતું. અરે હા,એટલે કે, લીગલી તે અગાઉ પણ અલાઉડ નહોતું, ઓરેન્જ થતાં જ વાહનની સ્પીડ વધારવાની અને સામે પોલીસ નથી ને તેની ખાતરી કરીને પછી ભલે રેડ સિગ્નલ થાય તો પણ સિગ્નલ તોડનારા લોકો હવે થોભતા હતા, કારણ કે સીસીટીવી ફોટો લેતો હતો અને પછી તેનો દંડ ભરવો પડતો હતો. સો મોરલી જે કામ થતું નહોતું તે લીગલી થવા લાગ્યું હતું. સામ-દામ-દંડ-ભેદમાંનો દંડ અહીં કામ આવ્યો હતો. આ બાબતમાં પ્રકાશ અય્યરના પુસ્તકમાં એક સરસ નાનો લેખ છે. તેમનું કહેવું છે,`સ્ટોપ એટ ધેટ રેડ સિગ્નલ.’ કોઈ જોતું નથી તેથી, પોલીસ નથી તેથી, રસ્તો ખુલ્લો છે તેથી, રાત્રે કોઈ રસ્તા પર નથી તેથી, આપણે ઉતાવળમાં છીએ તેથી… કારણ કોઈ પણ હોય, પણ સિગ્નલ રેડ દેખાતાં જ ઊભા રહો. આ આદતનું તમે પાલન કરો. તમારા સંતાનોને પણ તે આદતનું પાલન કરાવો. શાળામાં તેની પર ભાર આપો. બાળકોના અપબ્રિંગિંગમાં આ મહત્ત્વનો મુદ્દો બનાવો. કારણ કે આજે કોઈ જોતું નથી, તેથી એકાદ ડ્રોઅરમાં મારા નહીં હોય તે પૈસા લેવામાં મને કોઈ સંકોચ નહીં થશે અને પછી આદત પડી જશે અજાણતા. આ જ કારણ છે આજે મોટા-મોટા સ્કેમ્સનો ભોગ આપણે સામાન્ય નાગરિકો બનીએ છીએ અને આપણો દેશ પણ. અમારી પાસે ડ્રાઈવર્સના ઈન્ડકશનમાં આ કહેવામાં આવે છે, `કશું પણ થાય, સિગ્નલ તોડવાનો નહીં.’ એક વાર તો નવાઈનું જોયું. અમારી ઓફિસ પાસે આવતી વખતે બિલ્ડિંગ પાસે એક સિગ્નલ છે ત્યાં લેફ્ટ લેવાનો હોય છે. સિગ્નલ રેડ હતું. પ્રથમેશ થોભ્યો પણ રાઈટ સાઈડમાં થોભ્યો. મેં કહ્યું, `અરે ત્યાં ક્યાં જાય છે?’ તેણે કહ્યું, `લેફ્ટમાં કાર થોભાવીશ તો સિગ્નલ તોડનારા હોર્ન વગાડતા રહેશે, તેમને જગ્યા કરી આપી. ‘યે લો કર લો બાત. નિયમ તોડનારા પ્રત્યે કેટલી ઉદારતા. ઓફિસમાં બહુ કામ કર્યા પછી અને થાક્યા પછી ઘરે જતી વખતે કારમાં કશુંક હલકું-ફૂલકું કોમેડી સાંભળીએ એવું વિચાર્યું ત્યાં સામે યુટ્યુબ પર હાસ્ય કવિ સંમેલન સામે આવ્યું. સુરેન્દ્ર શર્મા સામે આવ્યા. ક્યારેય સાંભળ્યા નહોતા પણ સાંભળ્યા પછી એક પછી એક ત્રણ વિડિયોઝ મેં જોયા અને ધ્યાનમાં આવ્યું કે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. તેમના એક વિડિયોમાં તેમણે એક કિસ્સો કહી સંભળાવ્યો છે. એક વાર એક ઓફિસર તેમની પાસે આવી અને કહ્યું, `શર્માજી કુછ તો રાસ્તા બતાઈએ, કિતની અશાંતિ હૈ દુનિયા મેં, સર ફટા જા રહા હૈ.’ શર્માજીએ તેને શાંતિથી જવાબ આપ્યો, `બસ તૂ શાંત રેહ!’ ઓફિસરે વાત ચાલુ જ રાખી, `ભ્રષ્ટાચાર ચારો તરફ ફૈલા હૈ, પુરી દલદલબન ગયી હૈ.’ શર્માજીએ ફરી તેટલી જ શાંતિથી તેને કહ્યું, `બસ તૂ મત કર!’ મોરલ વેલ્યુઝનું જતન કરવું એટલે શું તે આ બે વર્ષ પૂર્વે આવેલી`12th ફેઈલ’ ફિલ્મે સુંદર રીતે બતાવી દીધું. બાળકોએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

CIDએ HCAના અધ્યક્ષની ભ્રષ્ટાચાર મામલે કરી ધરપકડ

હૈદરાબાદઃ તેલંગાણામાં CID એ હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA)ના અધ્યક્ષ એ. જગન મોહન રાવ પર કરોડો રૂપિયાની હેરાફેરીના આરોપમાં ધરપકડ કરી છે. તેલંગાણા CIDએ દાવો કર્યો છે કે ક્રિકેટ બોલ, એર કન્ડિશનર, સ્પોર્ટ્સનાં વસ્ત્રો અને પ્લમ્બિંગ સામગ્રી એ એવા ખર્ચના મુદ્દા હતા જેના આધાર પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ના અધ્યક્ષ એ. જગનમોહન રાવે કથિત રીતે એસોસિયેશનના ખજાનચી સી.જે. શ્રીનિવાસ રાવ અને CEO સુનીલ કાંતે સાથે મળીને નાણાકીય દુરુપયોગ કર્યો છે.

તેલંગાણા ગુનાહિત તપાસ વિભાગના જણાવ્યા અનુસાર કુલ મળીને લગભગ રૂ. 2.32 કરોડની હેરાફેરી થઇ છે. પોલીસે કરેલી FIR મુજબ આ હેરાફેરીના છ અલગ-અલગ મામલાઓ છે, જેમાં કેટરિંગ સેવા ફાળવવી અને વિદ્યુત સામગ્રી ખરીદીનો સમાવેશ થાય છે.

આ કેસ 9 જૂન 2025એ HCAના મહાસચિવ ડી. ગુરુવા રેડ્ડીએ નોંધાવેલી ફરિયાદ પર આધારિત છે. આ FIR અનુસાર જગનમોહન રાવે ટોચની કમિટીના અન્ય સભ્યો સાથે મળીને રૂ. 1.03 કરોડની હેરાફેરી કરી હતી અને આ રકમ BCCIના 2024-25ના ઘરેલુ સીઝન માટે બોલ ખરીદીમાં વપરાતી હોવાનું દાવો કર્યો હતો.

56.84 લાખના કપડાં ખરીદાયા?

FIRમાં એવો પણ આક્ષેપ છે કે કેટરિંગનું કામ રૂ. 31.07 લાખમાં ખાનગી વેંડરને ફાળવવામાં આવ્યું અને રમતગમતનાં કપડાં ખરીદીને નામે રૂ. 56.84 લાખની હેરાફેરી કરવામાં આવી હતી. .

આ કલમો હેઠળ કેસ દાખલ થયો છે

જગનમોહન રાવ, શ્રીનિવાસ રાવ અને સુનીલ કાંતેની 9 જુલાઇએ IPCની કલમ 465 (જાલસાજી), 468 (ઠગાઇ માટે દસ્તાવેજ બનાવવો), 471 (નકલી દસ્તાવેજનો ઉપયોગ), 403 (ગેરકાયદે સંપત્તિ હસ્તગત કરવી), 409 (જનસેવા દ્વારા વિશ્વાસઘાત), 420 (ઠગાઈ), અને 34 (સામૂહિક ઈરાદા) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

KBC 17:’જહાં અકલ હૈ, વહાં અકડ હૈ’, નવા અંદાજ સાથે આવી રહ્યા છે BIG B

ભારતનો સૌથી મોટો જ્ઞાન-આધારિત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 17′ (KBC 17) નવી સીઝન સાથે પરત આવી રહ્યો છે. આ વખતે પણ આ શો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. આ નવી સીઝનની શરૂઆત કરતાં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન એક નવું અને મનોરંજક અભિયાન શરૂ કર્યું છે ,’જહાં અકલ હૈ, વહાં અકડ હૈ’. શોની રિલીઝ તારીખ અને તેનો પ્રોમો પણ સામે આવી ગયો છે.

‘કૌન બનેગા કરોડપતિ’નો પ્રોમો શરૂ થતાં જ એક એવો માણસ દેખાય છે જે પોતાના જ્ઞાનથી ત્યાં બેઠેલા બધાને આશ્ચર્યચકિત કરી દે છે અને નબળા હોવા છતાં પોતાની બુદ્ધિથી બધાનું દિલ જીતી લે છે. તેમાં અમિતાભ બચ્ચનની પહેલી ઝલક જોવા મળે છે. પ્રોમોની સાથે KBCની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ શો 11 ઓગસ્ટથી સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની ચેનલ પર શરૂ થઈ રહ્યો છે.

અગાઉ, અમિતાભ બચ્ચને શોના શૂટિંગની એક ઝલક આપી હતી. સલમાન ખાન હોસ્ટ બનશે તેવી અફવાઓ વચ્ચે બિગ બીએ તેમના બ્લોગ પર સેટ પરથી તસવીરો શેર કરીને પુષ્ટિ કરી હતી કે તેમણે શોની 17મી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

બુધવારે, અમિતાભ બચ્ચને KBC ખુરશી પર બેઠેલા પોતાના પડદા પાછળના (BTS) ફોટા પોસ્ટ કર્યા. તેઓ કમ્પ્યુટર સામે બેઠા છે અને વાતોમાં વ્યસ્ત છે. અભિનેતાએ લખ્યું,”કામ શરૂ થઈ ગયું છે… અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે…લોકો પાસે પાછા જવા માટે…જીવન અને આજીવિકાને વધુ સારી બનાવવાની તેમની ઇચ્છામાં તેમની સાથે રહેવા માટે…એક તક જે જીવન બદલી નાખે છે… એક કલાકમાં… મારો પ્રેમ અને આદર.”

‘કૌન બનેગા કરોડપતિ’ ની 16મી સીઝન આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ હતી. એપ્રિલમાં નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે સીઝન 17 માટે નોંધણી 14 એપ્રિલથી શરૂ થશે ત્યારબાદ ઓડિશન અને સ્પર્ધકોની પસંદગી થશે. નવી સીઝનનું 11 ઓગસ્ટના રોજ પ્રીમિયર થશે.

 

ફડણવીસ સરકાર વામપંથી સંગઠનો પર નિયંત્રણ લાવવા માગે છે?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં તાજેતરમાં એક એવું બિલ પાસ થયું છે, જે રાજ્ય સરકાર અનુસાર વામપંથી ઉગ્ર સંગઠનોની કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લાવવા માટે લાવવામાં આવ્યું છે. વિપક્ષે આ બિલને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ બિલનું નામ મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી બિલ છે. CM ફડણવીસે જણાવ્યું છે કે આ બિલનો ઉપયોગ રાજકીય કાર્યકરો અથવા વિરોધ પ્રદર્શન કરનારા લોકો વિરુદ્ધ કરવામાં નહીં આવે, પરંતુ વિપક્ષ આ બિલના દુરુપયોગની આશંકા જતાં અવાજ ઉઠાવી રહ્યો છે.

વિપક્ષનો વિરોધ

NCP (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવાર, શિવસેના (UBT)ના ભાસ્કર જાધવ અને વરુણ સરદેસાઈ, તેમજ કોંગ્રેસના વિશ્વજિત કદમે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં રચાયેલી સમિતિનાં તમામ સૂચનો બિલમાં સામેલ નથી કરાયાં. તેમણે બિલમાં વપરાયેલા શબ્દો જેમ કે ‘વામપંથી ઉગ્રવાદ’ (Left Wing Extremism) અને ‘ગેરકાયદે પ્રવૃત્તિઓ’ (Unlawful Activities)ની વ્યાખ્યાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ જણાવ્યું કે વિપક્ષ તરફથી આ બિલને લઈ 12,000 સૂચનો અને અરજીઓ આપવામાં આવી હતી, પરંતુ તેમાં માત્ર ત્રણને જ સ્વીકારવામાં આવી. રોહિત પવારનું કહેવું છે કે વામપંથી ઉગ્ર વિચારધારાની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી અને જ્યારે પહેલેથી જ આ માટેના કાયદા હાજર છે, તો નવા કાયદાની જરૂર શી?

CM ફડણવીસનો જવાબ

વિપક્ષના પ્રશ્નોના ઉત્તરમાં CM ફડણવીસે જણાવ્યું હતું કે આ બિલ એવાં સંગઠનો વિરુદ્ધ છે જે લોકોને ભારતીય બંધારણ ઉખેડી ફેંકવા માટે ભડકાવે છે. આ દેશની આંતરિક સુરક્ષા માટે છે. આ બિલ ભાકપા કે માકપા જેવી વામપંથી રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ નથી. આપણા વિચારો અલગ હોઈ શકે, પરંતુ અમે તેમનું સન્માન કરીએ છીએ. આ એવાં સંગઠનો વિરુદ્ધ છે જેમનો ઉદ્દેશ દેશની સંસ્થાઓને નષ્ટ કરવો છે. આવાં તત્વોને કાયદાની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

વિશ્વ વસ્તી દિવસ: ભારતમાં વસ્તી ઝડપથી વધી રહી છે, યુએનના આંકડા ચોંકાવી દેશે

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસ (World Population Day) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઉજવવાનો હેતુ વિશ્વમાં વસ્તી સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે. એવો અંદાજ છે કે 2025માં વિશ્વની વસ્તી 806.19 કરોડને વટાવી ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્રએ 1989માં આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી, પરંતુ 11 જુલાઈ 1990 ના રોજ સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત તે ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ વસ્તી દિવસ ઉજવવાનો હેતુ ફક્ત લોકોને વિશ્વની વસ્તીના આંકડાઓથી પરિચિત કરાવવાનો નથી, પરંતુ વધતી વસ્તીને કારણે લોકોને પડતી સમસ્યાઓ જાણવાનો અને તેના ઉકેલો શોધવાનો પણ છે. વિશ્વભરમાં હજુ પણ ઘણા દેશો છે જે ઘટતી વસ્તીથી પરેશાન છે અને વસ્તી વૃદ્ધિ ઇચ્છે છે. આ તે દેશોની સરકાર માટે પણ એક મોટો પડકાર છે. આપણે જાણીએ કે ભારતની વસ્તી શું છે અને આ દિવસનો ઇતિહાસ શું છે.

દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 11 જુલાઈ 1990 ના રોજ શરૂ થઈ હતી. વિશ્વ વસ્તી દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. 1989 માં સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. આ દિવસ ઉજવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે આ દિવસે એટલે કે 11 જુલાઈ 1987 ના રોજ વિશ્વની વસ્તીનો આંકડો 5 અબજને પાર કરી ગયો. આ દિવસ ઉજવવાનો સૂચન સૌપ્રથમ ડૉ. કે.સી. ઝકરિયાએ આપ્યું હતું.

આ વખતે વિશ્વ વસ્તી દિવસ 2025 ની થીમ યુવાનોને ન્યાયી અને આશાસ્પદ દુનિયામાં તેમની પસંદગીના પરિવારનું નિર્માણ કરવા માટે સશક્ત બનાવવાનો છે.

યુએન અનુસાર, 2025 માં ભારતની વસ્તી 1,463.9 મિલિયન થવાની સંભાવના છે. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ બની ગયો છે. અહેવાલો અનુસાર આગામી 40 વર્ષમાં આ વસ્તી 1.7 અબજ સુધી પહોંચી શકે છે.

હાલમાં, વિશ્વની વસ્તી લગભગ 8.2 અબજ છે. ભારત કદાચ સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ટોચ પર છે. ત્યારબાદ ક્રમશઃ ચીન, અમેરિકા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇજીરીયા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, રશિયા અને ઇથોપિયાનો ક્રમ આવે છે.

ભારતની વસ્તી (અંદાજિત) – 1.46 અબજ
ચીનની વસ્તી – 1.42 અબજ
સંયુક્ત રાષ્ટ્રની વસ્તી – 347 મિલિયન
ઇન્ડોનેશિયાની વસ્તી – 286 મિલિયન
પાકિસ્તાનની વસ્તી – 255 મિલિયન
નાઇજીરીયાની વસ્તી – 238 મિલિયન
બ્રાઝિલની વસ્તી – 213 મિલિયન
બાંગ્લાદેશની વસ્તી – 176 મિલિયન
રશિયાની વસ્તી – 144 મિલિયન
ઇથોપિયાની વસ્તી – 135 મિલિયન

નડ્ડાની જગ્યાએ ખટ્ટર ભાજપાધ્યક્ષ બને એવી શક્યતા

નવી દિલ્હીઃ ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની નજીક પહોંચી ગઈ છે. પાર્ટીના વિશ્વસનીય સૂત્રોના હવાલાથી બહાર આવેલા મિડિયા રિપોર્ટ્સ મુજબ પક્ષ ન તો કોઈ મહિલાને અને ન તો કોઈ પછાત વર્ગ (OBC)ના નેતાને અધ્યક્ષ બનાવવાની યોજના ધરાવે છે. તેને બદલે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરના નામ પર મુહર લાગી ગઈ છે અને હવે ફક્ત સત્તાવાર જાહેરાત બાકી છે.

હરિયાણાના ભૂતપૂર્વ CM ખટ્ટર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના સાથીઓમાં ગણાય છે. આ ઉપરાંત તેમની પૃષ્ઠભૂમિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી જોડાયેલી છે, જે સામાન્ય રીતે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવે છે. RSS ને BJPની થિંકટેન્ક તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં મનોહરલાલ ખટ્ટર મોદી કેબિનેટમાં કેન્દ્રીય આવાસ, શહેરી કલ્યાણ અને ઊર્જા મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

ભાજપના એક વડા અનુસાર  એ લગભગ 90 ટકા નક્કી છે કે ખટ્ટર જ પાર્ટીના આગામી અધ્યક્ષ બનવાના છે.

નડ્ડાનો કાર્યકાળ 2023માં જ પૂરો થયો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે JP નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી, 2023માં જ પૂરો થઈ ગયો હતો. ત્યાર બાદ તેમનો કાર્યકાળ લોકસભા ચૂંટણી 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી બાદ મોદી 3.0 સરકારમાં નડ્ડાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. ત્યાર બાદથી નડ્ડા કાર્યકાળ પૂરો થઈ ગયા પછી પણ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા રહ્યા, પણ હજુ સુધી પાર્ટીએ પોતાનો નવો અધ્યક્ષ જાહેર કર્યો નથી.

હવે ભાજપનાં સૂત્રો દાવો કરી રહ્યા છે કે મનોહરલાલ ખટ્ટરનું નામ આખરે ફાઈનલ થઈ ગયું છે અને આ જાહેરાત ત્યારે થશે જયારે PM મોદી વિદેશ યાત્રાથી પાછા ફરશે. ત્યાર બાદ પાર્ટી રાષ્ટ્રીય ચૂંટણી તારીખ જાહેર કરશે.

મોદીની ટીમમાં ખાસ સ્થાન ધરાવતા ખટ્ટર

મનોહરલાલ ખટ્ટર PM મોદીના સંઘ કાર્યકાળના દિવસોથી વિશ્વસનીય સાથી તરીકે ઓળખાય છે. મોદી પહેલી વખત PM બન્યા ત્યારથી જ ખટ્ટર તેમની ટીમનો ભાગ રહ્યા છે. હરિયાણામાં 2015માં ભાજપની જીત બાદ સ્થાનિક નેતાઓને કોરાણે મૂકી તેમને CM બનાવવામાં આવ્યા હતા.

71 વર્ષીય ખટ્ટર પાસે સંગઠન અને વહીવટી કામગીરીમાં અનેક દાયકાનો અનુભવ છે. હાલ તેઓ લોકસભામાં હરિયાણાની કરનાલ બેઠકમાંથી સાંસદ છે.

ટ્રમ્પ-મસ્કની લડાઈ ને કિંગસાઈઝ પોપકોર્ન એન્ટરટેન્મેન્ટ!

હાઈલ્લા… એક દિવસ આવું મહાભારત પણ છેડાશે એનો ખાસ અંદાજ નહોતો. દુનિયાના સૌથી ધનવાન માણસ અને દુનિયાના સૌથી શક્તિશાળી (અને સૌથી માથાભારે) માણસ વચ્ચેનું મહાભારત. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક. એક સમયના જિગરી દોસ્ત આજના જાની દુશ્મન. ત્યાં સુધી કે મસ્ક હવે પોતાનો રાજકીય પક્ષ સ્થાપવા નીકળ્યા છે. એ કહે છે કે “ટ્રમ્પના વિરોધીઓને હું પૈસેટકે મદદ કરીશ. બસ, એ ટ્રમ્પનો વિરોધી હોવો જોઈએ”.

ઓલરાઈટ, આપણી આ કોલમ કાંઈ ‘વૈશ્વિક રાજકારણના આટાપાટા’ની નથી. આ તો ટ્રમ્પ-મસ્કની દુશ્મની સુભાષ ઘાઈની ફિલ્મ ‘સૌદાગર’ યાદ અપાવે છે તેની વાત છે. બે અમેરિકન આખલાની લડાઈને તમે ધ્યાનપૂર્વક નિહાળો તો બધું ‘સૌદાગર’ની જેમ સેમ-ટુ-સેમ ચાલી રહ્યું છે. નોવેલિસ્ટ બ્લોગર અર્ણબ રે આમ કહે છે.

1991માં આવેલી ‘સૌદાગર’માં વીરુસિંહ (દિલીપ કુમાર) અને રાજેશ્વરસિંહ (રાજકુમાર)ની વાર્તા છે. બન્ને જિગરી દોસ્ત. મનાલીના રમણીય પહાડોની તળેટીમાં વસેલા ગામના બેઉ જાણે રાજ્જા. લીલાછમ્મ મેદાન, નદીકિનારે બન્ને જાણે ગરબા કરતા હોય એમ ગાયન ગાતા: “બે રાજૂ, ચલ બીરુ… તિનક તિનક તિન તારા… ઈમલી કા બુટા બેરી કા પેડ… ઈમલી ખટ્ટી મીઠે બેર… ઈસ જંગલ મેં હમ દો શેર, ચલ ઘર જલદી હો ગઈ દેર”…

પ્રેસિડેન્શિયલ ઈલેક્શનનાં પરિણામ આવ્યા બાદ ટ્રમ્પ-મસ્ક વ્હાઈટ હાઉસની હરિયાળી લૉન પર આ જ ગીત ગાતાઃ “ઈસ અમરીકા મેં હમ દો શેર”…

એલન મસ્ક એક સમયે ટ્રમ્પને દિલફાડ પ્રેમ કરતા. કહેતા કે “મને ટ્રમ્પ પર એટલો સ્નેહ છે, જેટલો એક સ્ટ્રેટ પુરુષને બીજા પુરુષ પર હોય.” આ તરફ ટ્રમ્પે પણ મસ્કને કાયદા બહારની શક્તિઓ આપી દીધી હતી.

‘સૌદાગર’ જોઈએ તો, બે દોસ્તની વચ્ચે આવ્યા ચાલાક ખેલાડીઓ. રાજેશ્વરસિંહનો સાળો, ખંધો લોભિયો ચુનિયા (અમરીશ પુરી), ચુનિયાનો સાથીદાર બલીરામ (ગુલશન ગ્રોવર). ટ્રમ્પ-મસ્કના કિસ્સામાં આપણે આ ભૂમિકામાં વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સ અને ટ્રમ્પના એડવાઈઝર સ્ટિવ બેનનને કલ્પી શકીએ. ચુનિયા-બલીરામ મળીને રાજેશ્વર-વીરુની મહાન મૈત્રીની પથારી કરે છે. રાજકુમારની સાથે દિલીપ તાહિલ છે, દિલીપકુમારના કૅમ્પમાં મુકેશ ખન્ના છે.

વીરુએ (એલન મસ્કે) ટ્રમ્પ પર ઈલ્ઝામ લગાવ્યો કે સેક્સ મામલામાં ફસાયેલા જેફ્રી એપ્સ્ટીનની ફાઈલો ટ્રમ્પે દબાવી દીધી, કારણ કે ટ્રમ્પ પોતે એમાં ફસાયેલા છે. કોઈ પણ જાતના પુરાવા વગર આવો આરોપ લગાડનાર મસ્ક પર ભડકતાં ટ્રમ્પે કહ્યું “હવે જો તને કેવો બનાવું છું, તારા બધા સરકારી કોન્ટ્રાક્ટની વાટ લગાડું છું, જોતો જા”. આમ કાદવઉછાળ પ્રવૃત્તિ ચાલુ થઈ.

વાત વણસી ગઈ. યાદ કરો રાજેશ્વરસિંહનો ડાયલૉગ. બ્લેક ઓવરકોટ, લાલ મફલર-ધારી રાજકુમાર કહે છેઃ “હમ તુમ્હે મારેંગે, ઔર જરૂર મારેંગે… લેકિન વો બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા”. (શું યાર, બંધૂક તમારી હોય તો ગોળી પણ તમારી જ હોયને… કોઈની માગીને થોડી લાવવાની હોય?!).

હવે, ટ્રમ્પ-મસ્કની લડાઈમાં આ ડાયલોગ ટ્રમ્પના મોંમાં મૂકીએ તોઃ “હમ તુમ્હે મારેંગે ઔર જરૂર મારેંગે… લેકિન વો કાનૂન ભી હમારા હોગા, પોલિસી ભી હમારી હોગી, ઔર વકત ભી હમારા હોગા.”

હવે સવાલ એ કે ‘હમારા’ કોણ હશે?

મસ્કના એક્સ (પહેલાંનું ટવિટર) અને ટ્રમ્પના ટ્રુથ સોશિયલ પર જઈને જોઈએ તો ખબર પડે કે બે પુરાના યાર એકબીજાને કેવા અપશબ્દો બોલે છે, ઢંઢેરો પીટે છે:

 “જબ મસ્ક દોસ્તી નિભાતા હૈ, તો સ્ટારલિન્ક ફ્રી કર દેતા હૈ. ઔર જબ દુશ્મની કરતા હૈ, તો બ્લુ ટિકમાર્ક તક છીન લેતા હૈ.”

‘સૌદાગર’માં સંવાદ છેઃ “ઠાકૂર રાજેશ્વરસિંહ ઈતિહાસ બતાતા નહીં… ઈતિહાસ લિખતા હૈ”!

તો અમેરિકન સૌદાગરનો ડાયલોગ છેઃ “ઠાકૂર ટ્રમ્પ ઈતિહાસ બતાતા નહીં.. એક્ઝિક્યુટિવ ઑર્ડર લિખતા હૈ”!

હવે આગળ શું થશે? શું ચુનિયા એની બાબરીને ઝટકો આપીને કહેશેઃ “બલીરામ… ટેલિફોન કટ કર… ટેસ્લા કો શોર્ટ કર.”

બાકી એટલું નક્કી કે આ દુશ્મની અવનવા રંગ દેખાડશે. ‘સૌદાગર’નો ડાયલોગ કહે છે એમ:

 “સબસે બડા દુશ્મન વોહી હોતા હૈ જો કભી દોસ્ત થા.”

આપણે તો કિંગ સાઈઝ પોપકોર્નની પૂડી લઈને બેસી ગયા છેઃ ‘સૌદાગર’ની હોલિવૂડ રિમેકની ક્લાઈમેક્સ જોવા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેનેડા પર ૩૫ ટકા ટેરિફ લગાવ્યો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતાં ઉત્પાદનો પર 35 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ 1 ઓગસ્ટ, 2025થી લાગુ પડશે અને અમેરિકામાં આયાત થતાં કેનેડિયન ઉત્પાદનો પર લાગુ પડશે. ટ્રમ્પે કહ્યું હતું કે આ નિર્ણય કેનેડા તરફથી મળતી જવાબી કામગીરી અને ચાલતાં વેપાર વિઘ્નો પ્રત્યેના પ્રતિસાદ રૂપે લેવામાં આવ્યો છે. ટ્રમ્પે એ પણ જણાવ્યું હતું કે તેઓ બાકીના વેપાર સહયોગીઓ પર પણ 15 ટકા કે 20 ટકાનો એકતરફી ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છે.

ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરેલા એક સત્તાવાર પત્રમાં ટ્રમ્પે ટેરિફમાં થયેલા મોટા વધારા પાછળનાં કારણો રજૂ કર્યાં અને કેનેડા પર મુખ્યત્વે ફેન્ટેનિલ નામની ઘાતક દવા અને અન્ય અનિચ્છનીય વેપાર નીતિઓ મુદ્દે સહકાર ન આપવાનો આરોપ મૂક્યો હતો.

અત્યાર સુધીમાં ટ્રમ્પે 22 દેશોને પત્ર મોકલીને નવા ટેરિફ દરોની રૂપરેખા આપી છે, જેમાં બ્રાઝિલ પરથી આયાત થતી વસ્તુઓ પર 50 ટકા ટેરિફ સામેલ છે. તેમણે તાંબાની આયાત પર પણ 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે 1 ઓગસ્ટથી લાગુ પડશે.

ફેન્ટેનિલ અને વેપાર ખાધ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ફેન્ટેનિલના પ્રવેશને અટકાવવામાં કેનેડાની નિષ્ફળતા પણ નવા ટેરિફ માટે જવાબદાર છે. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે જેમ કે તમને યાદ હશે, યુનાઈટેડ સ્ટેટ્સે અમારા દેશમાં ફેન્ટેનિલ સંકટથી લડવા માટે કેનેડા પર ટેરિફ લગાવ્યો હતો, જે આંશિક રીતે કેનેડાની દવાઓને રોકવામાં નિષ્ફળ ગયા હોવાને કારણે થયું હતું.

તેમણે ટ્રાન્સશિપમેન્ટ (અન્ય દેશ મારફતે માલ મોકલવો) દ્વારા ટેરિફ ટાળવાના પ્રયત્નો વિરુદ્ધ પણ ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે આ ઉચ્ચ ટેરિફથી બચવા માટે ટ્રાન્સશિપ થયેલા માલ પર પણ આ ઉચ્ચ દર લાગુ પડશે.