Home Blog Page 82

ઇરાન યુદ્ધ ખતમ થવાના અહેવાલે સેન્સેક્સમાં 941 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની દિશામાં લગભગ સહમતી બનવાના સમાચારની સીધી અસર ક્રૂડ ઓઈલ પર જોવા મળી હતી. જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે છ ટકા જેટલો ઘટાડો થયો હતો. ક્રૂડના ભાવ ઘટતાં જ ભારતીય બજારોમાં ફરી લેવાલી જોવા મળી હતી. ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે સસ્તું ક્રૂડ મોટી રાહત માનવામાં આવે છે, કારણ કે તે મોંઘવારી ઘટાડે છે, કંપનીઓના ખર્ચમાં કાપ લાવે છે અને અર્થતંત્રને સહારો આપે છે. રોકાણકારોની સંપત્તિમાં છ લાખ કરોડનો વધારો થયો હતો.

BSE  સેન્સેક્સ 941 પોઇન્ટ વધીને 77,959 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 298 પોઇન્ટ ઊછળી 24,331ના પાર પહોંચી ગયો હતો. આજે સૌથી વધુ તેજી બેન્કિંગ શેરોમાં જોવા મળી હતી. બેંક નિફ્ટી 1434 અંકના જંગી ઉછાળા સાથે 55,981 પર બંધ થયો. ભારતી એરટેલ, ફાઇનાન્શિયલ શેરો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બજારને ઉપર ખેંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાએ પણ બજારમાં નવું જોમ ભર્યું હતું. બ્રેન્ટ ક્રૂડ 102 ડોલર પ્રતિ બેરલથી નીચે સરકી ગયો હતો. મિડકેપ શેરોમાં તો જાણે ઉત્સવ જેવો માહોલ રહ્યો. કોફોર્જે સારા ત્રિમાસિક પરિણામોને આધારે 10 ટકાનો ઉછાળો નોંધાવ્યો. વોકહાર્ટમાં સતત બીજા દિવસે જોરદાર ખરીદી જોવા મળી અને શેર 13 ટકા ચઢ્યો. ફર્સ્ટસોર્સ 12 ટકા અને અરવિંદ ફેશન 10 ટકા વધ્યા હતા.

બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાથી બજારમાં તેજી આવી છે. ચીનની કૂટનીતિનો પણ લાભ થયો છે. મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાની આશાથી ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જોકે અનિશ્ચિતતા હજુ પણ યથાવત્ છે. બીજી તરફ, અમેરિકામાં AI કંપનીઓના વધતા નફાની સકારાત્મક અસર બજારો પર પડી છે. ભારતમાં ચૂંટણી પરિણામો અને ECLGS 5.0ને મંજૂરી મળવાથી સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.

BSE પર કુલ 4437 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 3825 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 505 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 99 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 70 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 198 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 15 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 23 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

મોટા પાયે મૂડીરોકાણ આકર્ષવા માટે ઓડિશા CM ગુજરાતની મુલાકાતે

અમદાવાદઃ ઓડિશાના CM મોહન ચરણ માંઝી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં મોટા મૂડીરોકાણને આકર્ષિક કરવાનો અને ઓદ્યૌગિક વિકાસને વેગ આપવાનો છો. તેઓ આ દરમ્યાન વિવિધ ઉદ્યોગપતિઓ અને વેપારી સંગઠનો સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે.

ગુજરાતે ભારતના પશ્ચિમ ભાગને ગતિ આપી છે. હવે ઓડિશા ભારતના પૂર્વ ભાગને શક્તિ આપવા તૈયાર છે—અમે વ્યાપકતા, ઝડપ અને આગામી વિકાસના મંચ સુધી વ્યૂહાત્મક પહોંચ પ્રદાન કરીએ છીએ. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધતા ઉદ્યોગો માટે ઓડિશા માત્ર તક નહીં, પરંતુ લાંબા ગાળાનો સ્પર્ધાત્મક લાભ છે. આ મજબૂત અને આગાહીભર્યા સંદેશ સાથે ઓડિશાના CM મોહન ચરણ માંઝીએ અમદાવાદમાં યોજાયેલા ઓડિશા ઇન્વેસ્ટર્સ મીટ રોડશો દરમિયાન સંબોધન કરતાં જણાવ્યું હતું..

મુખ્ય મંત્રીના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે ઉદ્યોગપતિઓ, વેપારી સંસ્થાઓ અને સંસ્થાગત હિતધારકોની મોટી હાજરી જોવા મળી હતી, જે ઓડિશાની વિકસતી ઔદ્યોગિક વ્યવસ્થામાં વધતા વિશ્વાસને દર્શાવે છે. 500થી વધુ ઉપસ્થિતોને સંબોધતાં મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતના આગામી આર્થિક વિકાસનો તબક્કો પૂર્વીય ભારતના ઉદય સાથે વધુ મજબૂત અને સંતુલિત બનશે, જેમાં ઓડિશા કેન્દ્રસ્થાને રહેશે. “અમે સ્પષ્ટ સંદેશ સાથે આવ્યા છીએ—ઓડિશા દેશના ઔદ્યોગિક વિકાસના આગામી અધ્યાય માટે તૈયાર છે. અમે ઉદ્યોગોને આમંત્રિત કરીએ છીએ કે તેઓ અમારી સાથે સંશોધન, મૂડીરોકાણ અને વિકાસ કરે, એમ તેમણે કહ્યું હતું.

તેમની સાથે પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ મંત્રી સંપદ ચંદ્ર સ્વૈન, મુખ્ય સચિવ અનુ ગર્ગ, ACS ઇન્ડસ્ટ્રીઝ, હોમ અને I&PR) હેમંત શર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. આ રોડશોમાં કેન્દ્રિત ચર્ચાઓ અને બે સેક્ટરલ રાઉન્ડટેબલ—ખાસ કરીને ટેક્સટાઇલ રાઉન્ડટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગ નેતાઓ સાથે સીધી વાતચીત થઈ. મુખ્ય મંત્રીએ 26 એક-ટુ-વન મીટિંગ્સનું અધ્યક્ષસ્થાન પણ કર્યું, જે રોકાણકારોને કેન્દ્રમાં રાખી કામગીરી કરવાની રાજ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણની ચર્ચાઓ થઈ, જે ઓડિશાની વધતી ક્ષમતાઓને ઉજાગર કરે છે.

ટેક્સટાઇલ ક્ષેત્રમાં ખાસ કરીને મુખ્યમંત્રીએ ઓડિશા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને પર પ્રકાશ પણ ફેંક્યો હતો. પુરીમાં ભગવાન જગન્નાથની પવિત્ર ભૂમિથી લઈને ગુજરાતના દ્વારકા સુધી અમારાં રાજ્યો વચ્ચે સદીઓથી સાંસ્કૃતિક જોડાણ છે. ગુજરાત લાંબા સમયથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં આગેવાન રહ્યું છે, અને ઓડિશા પણ હવે મજબૂત નીતિઓ, કુશળ માનવબળ અને સહાયક પરિસ્થિતિ સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

જો આ મુલાકાત સફળ રહી તો ઓડિશામાં મોટા પાયે ઉદ્યોગોની સ્થાપના થવાની શક્યતા છે, જેથી રોજગાર અને આર્થિક વિકાસને નવી દિશા મળશે.

USમાં 20 અબજ ડોલરથી વધુ મૂડીરોકાણની તૈયારીમાં ભારતીય કંપનીઓ

નવી દિલ્હી: ભારતે અમેરિકાને અચંબિત કરી દીધું છે. ભારતીય ઉદ્યોગોએ ત્યાં એટલા મોટા પાયે મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે કે અમેરિકનોની આંખો પહોળી થઈ ગઈ છે. મેરિલેન્ડમાં યોજાયેલી 2026 સિલેક્ટ USA (SelectUSA) ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભારતીય અગ્રણી કંપનીઓ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં કુલ $ 20.5 અબજ રેકોર્ડના મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી છે. આ મૂડીરોકાણો અમેરિકી બજારની મજબૂતી અને વિદેશી રોકાણકારો માટે તેની આકર્ષકતાને દર્શાવે છે.

આ પ્રતિબદ્ધતાઓમાં ફાર્માસ્યુટિકલ્સ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊભરતી ટેક્નોલોજી જેવાં મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ મૂડીરોકાણોથી બંને દેશોમાં હજારો નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે, એ સાથે જ અમેરિકામાં ઉત્પાદન અને સંયુક્ત નવીનતા ક્ષમતામાં વધારો થશે.

અમારું લક્ષ્ય 2030 સુધીમાં અમેરિકા-ભારત દ્વિપક્ષી વેપારને $ 500 અબજ સુધી વધારવાનું છે. ન્યાયસંગત, સંતુલિત અને પરસ્પર લાભદાયી વેપાર દ્વારા અમે વિશ્વ સ્તરીય મૂડીરોકાણોને આકર્ષી રહ્યા છીએ અને બંને દેશો માટે સમૃદ્ધિ સર્જી રહ્યા છીએ,” એમ એમ્બેસેડર સર્જિયો ગોરે નવી દિલ્હીમાં SelectUSA કિક-ઓફ સમારોહમાં જણાવ્યું હતું.

આ મૂડીરોકાણોમાંનો મોટો હિસ્સો ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર તરફથી છે, જેમાં $ 19.1 અબજથી વધુનું મૂડીરોકાણ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ, સંશોધન અને વિકાસ (R&D) અને નવી સુવિધાઓ માટે કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટીલ, કનેક્ટિવિટી અને એનર્જી સપ્લાય ચેઇનમાં થતા મૂડીરોકાણો અમેરિકાની ઔદ્યોગિક ક્ષમતા મજબૂત બનાવશે અને વધુ સ્થિર તથા સુરક્ષિત સપ્લાય ચેઇન બનાવવા મદદરૂપ થશે.

આ ઉપરાંત 12 ભારતીય કંપનીઓએ વિવિધ રાજ્યોમાં ગ્રીનફીલ્ડ અને વિસ્તરણ પ્રોજેક્ટ્સ માટે $ 1.1 અબજથી વધુનું રોકાણ જાહેર કર્યું છે, જે મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં રોજગારી વધારશે. આ જાહેરાતો SelectUSA સમિટમાં ભારત તરફથી અત્યાર સુધી થયેલી કુલ જાહેરાતોથી વધુ છે અને આ વર્ષે કોઈ પણ દેશ દ્વારા કરાયેલું સૌથી મોટું યોગદાન દર્શાવે છે.

આ જાહેરાતો દર્શાવે છે કે SelectUSA વૈશ્વિક રોકાણકારોને અમેરિકામાં ઉપલબ્ધ તકો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આંતરરાષ્ટ્રીય રોકાણ દેશભરના સમુદાયોમાં આર્થિક વિકાસ, નવીનતા અને વર્કફોર્સ વિકાસને આગળ ધપાવે છે.

SelectUSA વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ સમિટ અમેરિકામાં બિઝનેસ રોકાણને પ્રોત્સાહન આપતી સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે, જ્યાં રોકાણકારો, કંપનીઓ, આર્થિક વિકાસ સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો જોડાઈને નવા સોદા કરે છે, સંબંધો મજબૂત બનાવે છે અને વિકાસની તકોનો લાભ લે છે.

બંગાળમાં લોકશાહીનું સંકટ: શું રાજ્યમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગશે?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોમાં ભાજપની જીત છતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઈનકાર કર્યો છે. ‘દીદી’ એ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કરીને સત્તા છોડવાની ના પાડતા રાજ્યમાં ગંભીર બંધારણીય કટોકટી સર્જાઈ છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે બંધારણની કલમ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન શું છે, ક્યારે લાગુ કરી શકાય અને મમતા બેનર્જી રાજીનામું ન આપે તો રાજ્યપાલ પાસે કયા અધિકારો છે.

પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 2026 ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપી હોવા છતાં, વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાર સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ છે અને જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ છોડશે નહીં. આ હઠાગ્રહને કારણે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે તેવી આશંકા છે. આવી સ્થિતિમાં હવે ચર્ચા એ શરૂ થઈ છે કે શું કેન્દ્ર સરકાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદશે? ભારતીય બંધારણ મુજબ જ્યારે કોઈ રાજ્ય સરકાર બંધારણીય જોગવાઈઓ મુજબ કામ કરવામાં નિષ્ફળ જાય ત્યારે જ આ છેલ્લો વિકલ્પ અપનાવવામાં આવે છે.

રાષ્ટ્રપતિ શાસનનો ઉલ્લેખ ભારતીય બંધારણની કલમ 356 માં કરવામાં આવ્યો છે. આ કલમ મુજબ, જો રાષ્ટ્રપતિને ખાતરી થાય કે રાજ્યમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે જેમાં રાજ્ય સરકાર બંધારણ મુજબ ચાલી શકે તેમ નથી, તો તેઓ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે. આ માટે હંમેશા રાજ્યપાલના અહેવાલની રાહ જોવી જરૂરી નથી. જો રાજ્યમાં તોફાનો ફાટી નીકળે અથવા ચૂંટાયેલી સરકાર બહુમતી ગુમાવ્યા પછી પણ પદ છોડવા તૈયાર ન હોય, તો કેન્દ્ર સરકાર આ કલમનો ઉપયોગ કરીને રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લઈ શકે છે. એકવાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી, 2 મહિનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા તેને મંજૂરી મળવી અનિવાર્ય છે.

ઘણીવાર પ્રશ્ન થાય છે કે રાષ્ટ્રપતિ શાસન કઈ પરિસ્થિતિઓમાં લાગુ થઈ શકે? મુખ્યત્વે જ્યારે રાજ્યપાલ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ પક્ષ બહુમતી સાબિત ન કરી શકે અથવા જો ગઠબંધન સરકાર બહુમતી ગુમાવી દે ત્યારે આ શાસન લાગુ થાય છે. બંગાળના કિસ્સામાં જો મમતા બેનર્જી સ્વેચ્છાએ રાજીનામું ન આપે, તો રાજ્યપાલ આર. એન. રવિ પાસે બંધારણીય શક્તિઓ છે. કલમ 164 સ્પષ્ટ કરે છે કે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ રાજ્યપાલની મરજી સુધી જ પદ પર રહી શકે છે. જો જનાદેશ વિરોધમાં હોય તો રાજ્યપાલ વર્તમાન સરકારને બરખાસ્ત કરવાનો અને નવી બહુમતી ધરાવતી પાર્ટીને સરકાર બનાવવા આમંત્રણ આપવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે.

વધુમાં, જો રાજ્યપાલ સીધી બરખાસ્તગી ન કરવા માંગતા હોય, તો તેઓ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે છે. આ સત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે છે. ચૂંટણીના આંકડા મુજબ ભાજપ પાસે બહુમતી કરતા વધુ બેઠકો છે, તેથી તૃણમૂલ કોંગ્રેસ માટે બહુમતી સાબિત કરવી અશક્ય છે. અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થતાની સાથે જ મુખ્યમંત્રીએ બંધારણીય રીતે પદ છોડવું પડે છે. જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે, તો મુખ્યમંત્રી અને મંત્રીમંડળની તમામ સત્તાઓ છીનવાઈ જાય છે અને રાજ્યનો વહીવટ મુખ્ય સચિવ અથવા સલાહકારો દ્વારા રાજ્યપાલના નિર્દેશન હેઠળ ચાલે છે. જોકે, હાઈકોર્ટની સત્તાઓ પર રાષ્ટ્રપતિ શાસનની કોઈ અસર થતી નથી.

નવી સરકારની રચના અંગેની પ્રક્રિયા પણ સ્પષ્ટ છે. એકવાર જૂની સરકાર બરખાસ્ત થઈ જાય પછી, રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકે છે અને શપથ લેવડાવી શકે છે. તેથી, મમતા બેનર્જી ભલે અત્યારે રાજીનામું આપવાનો ઈનકાર કરી રહ્યા હોય, પરંતુ બંધારણીય માળખું તેમને બહુમતી વગર સત્તામાં રહેવાની મંજૂરી આપી શકે નહીં. આગામી થોડા દિવસો પશ્ચિમ બંગાળના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે, કારણ કે તે નક્કી કરશે કે રાજ્ય લોકશાહી ઢબે નવી સરકાર મેળવશે કે પછી કેન્દ્રના સીધા શાસન હેઠળ આવશે.

સોનિયા, રાહુલે પીઠમાં માર્યું ખંજરઃ DMKનો કોંગ્રેસ પર પ્રહાર

ચેન્નઈઃ તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જોસેફ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) ને સમર્થન આપવા માટે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ કોંગ્રેસને ‘પીઠમાં છરો મારનાર’ ગણાવી છે. DMK ના પ્રવક્તા શ્રવણન અન્નાદુરઈએ કહ્યું હતું કે તેમની પાર્ટી તામિલનાડુમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ દ્વારા વિજયની TVK ને આપવામાં આવેલા સમર્થનનું સમર્થન કરતી નથી.

વાસ્તવમાં, મોડીરાત્રે થયેલી કોંગ્રેસની સંસદીય કાર્ય સમિતિની બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટી રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે વિજયની પાર્ટીને સમર્થન આપશે. આ બેઠક પછી કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે પાર્ટી માટે સ્પષ્ટ છે કે તામિલનાડુમાં મળેલો જનાદેશ એક ધાર્મિક નિરપેક્ષ સરકારના પક્ષમાં છે, જે બંધારણની ભાવના અને શબ્દ બંનેનું પાલન કરે. પાર્ટી કોઈ પણ સ્થિતિમાં ભાજપ અને તેના સાથીઓને તામિલનાડુમાં સરકાર ચલાવવા નહીં દે.

રાહુલ ગાંધી અને વિજયની તસવીર શેર કરતાં અન્નાદુરઈએ આગળ કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈએ મોટી ભૂલ કરી છે. તેમણે એ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાસે માત્ર પાંચ બેઠકો છે અને પાર્ટીએ પોતાને હાસ્યાસ્પદ બનાવી દીધી છે. અન્નાદુરઈએ પ્રશ્ન કર્યો હતો કે તે બહુમત સુધી પહોંચી શકશે નહીં. હવે 43 બેઠકો ધરાવતી AIADMK TVKને સમર્થન આપવા તૈયાર છે તો TVK કોનું સમર્થન લેશે?

કોંગ્રેસે તામિલનાડુ વિધાનસભા ચૂંટણી DMK સાથે ગઠબંધનમાં લડી હતી. DMKના પ્રવક્તા ટી.કે.એસ. ઇલંગોવને પણ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે પાર્ટીની અંદરના કેટલાક લોકો શરૂઆતથી જ વિજયને સમર્થન આપવા માગતા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દરેક રાજ્યમાં આવું જ કરી રહી છે અને અંતે દરેક જગ્યાએ હારી રહી છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં તેમનો સફાયો થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પણ તેમની કોઈ સંભાવના નથી. તેઓ જે કરી રહ્યા છે તેનાથી તેમની પાર્ટી ખતમ થઈ શકે છે.

Nutshell in 99

સ્ટાલિનનો પરાજય: રજનીકાંતે દુઃખમાં સાથ આપ્યો

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 ના આઘાતજનક પરિણામો બાદ રાજ્યમાં નવો રાજકીય અધ્યાય શરૂ થયો છે. દાયકાઓથી સત્તા પર રહેલી DMK ની કારમી હાર બાદ એમ. કે. સ્ટાલિનને મળવા સુપરસ્ટાર રજનીકાંત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે. બીજી તરફ, 108 બેઠકો જીતનાર વિજયની પાર્ટી TVK હવે કોંગ્રેસના સમર્થન સાથે ગઠબંધન સરકાર બનાવવાની તૈયારીમાં છે, જેમના શપથ ગ્રહણ 7 May ના રોજ યોજાઈ શકે છે.

તમિલનાડુના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી જે ઉથલપાથલ જોવા મળી રહી છે, તેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેતામાંથી નેતા બનેલા થલપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) એ પોતાના પ્રથમ જ ચૂંટણી જંગમાં પરંપરાગત પક્ષોના મૂળિયા હલાવી દીધા છે. આ જીતનો સૌથી મોટો ફટકો સત્તાધારી પક્ષ DMK અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને પડ્યો છે. 2021 માં 133 બેઠકો સાથે સત્તા પર આવનાર DMK આ વખતે માત્ર 59 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ હાર એટલી આકરી હતી કે ખુદ એમ. કે. સ્ટાલિન પોતાની પરંપરાગત બેઠક કોલાથુર પરથી TVK ના ઉમેદવાર વી. એસ. બાબુ સામે હારી ગયા છે. આ પરાજયને કારણે હવે સ્ટાલિને મુખ્યમંત્રી પદ છોડવાની સાથે વિપક્ષના નેતા પદની તક પણ ગુમાવી દીધી છે.

સ્ટાલિનની આ કપરી સ્થિતિમાં તેમના જુના મિત્ર અને સુપરસ્ટાર રજનીકાંત તેમની વહારે આવ્યા છે. સોશિયલ મીડિયા પર રજનીકાંતની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ સ્ટાલિનના ઘરે તેમની સામે બેસીને વાતચીત કરતા જોવા મળે છે. આ મુલાકાતને માત્ર ઔપચારિકતા નહીં, પરંતુ એક મજબૂત રાજકીય સમર્થન તરીકે જોવામાં આવી રહી છે. રજનીકાંતનો સ્ટાલિન અને DMK પ્રત્યેનો પ્રેમ નવો નથી. 1995 ના વર્ષથી રજનીકાંત અનેક પ્રસંગોએ DMK ને ટેકો આપી ચુક્યા છે. 1998 ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે DMK ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો. જોકે રજનીકાંતે પોતે 2021 માં સ્વાસ્થ્યના કારણોસર રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય પડતો મૂક્યો હતો, પરંતુ તેમની આ મુલાકાત દર્શાવે છે કે તેઓ હજુ પણ રાજ્યની રાજનીતિમાં સક્રિય રસ ધરાવે છે.

બીજી તરફ, વિજયના નેતૃત્વમાં TVK કેમ્પમાં વિજયનો ઉત્સવ અને સરકાર બનાવવાની કવાયત જોરશોરથી ચાલી રહી છે. TVK એ 108 બેઠકો જીતીને બહુમતીના આંકડાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજય હવે કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવા માટે અંતિમ તબક્કાની ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસે પહેલેથી જ વિજયને શરતી ટેકો જાહેર કરી દીધો છે, જેનાથી વિજયનો સત્તાનો માર્ગ મોકળો થયો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, બધું આયોજન મુજબ ચાલશે તો 7 May ના રોજ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે 9 કેબિનેટ મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે રજનીકાંતની સ્ટાલિન સાથેની આ મુલાકાત વિજય માટે એક આડકતરો સંદેશ પણ હોઈ શકે છે. રજનીકાંત ભલે સક્રિય રાજકારણમાં નથી, પરંતુ તેમનો પ્રભાવ હજુ પણ લાખો ચાહકો પર છે. વિજય જે રીતે ‘નવી પેઢીના પરિવર્તન’ તરીકે ઉભરી આવ્યા છે, તેની સામે રજનીકાંતનું સ્ટાલિન સાથે ઉભા રહેવું એ જૂની અને નવી પેઢીના રાજકીય સંઘર્ષ જેવું લાગે છે. હવે જોવાનું એ રહેશે કે વિજયની સરકાર કયા પ્રકારના સુધારા લાવે છે અને શું સ્ટાલિન આગામી વર્ષોમાં ફરીથી પોતાની પાર્ટીને બેઠી કરી શકે છે કે નહીં. તમિલનાડુની જનતા માટે આ ખરેખર એક ઐતિહાસિક પળ છે જ્યાં એક સિનેમાનો સુપરસ્ટાર વાસ્તવિક જીવનનો હીરો બનીને શાસન સંભાળવા જઈ રહ્યો છે.

વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ ભારતના પ્રવાસે, PM મોદીએ કર્યુ સ્વાગત

ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામે આજે હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. અગાઉ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના ઐતિહાસિક હૈદરાબાદ હાઉસ ખાતે વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામને મળ્યા હતા. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જે ભારતની તેમની પ્રથમ રાજ્ય મુલાકાતની શરૂઆત હતી.

વિયેતનામના રાષ્ટ્રપતિનું સ્વાગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંને દેશો વચ્ચે વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી દર્શાવે છે. સ્વાગત સમારોહમાં પરંપરાગત પોશાક પહેરેલા બાળકોએ ભારત અને વિયેતનામના રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા હતા.

વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સૌપ્રથમ બોધગયાની મુલાકાતે ગયા હતા

રાષ્ટ્રપતિ તો લામ મંગળવારે ભારત પહોંચ્યા હતા અને સૌપ્રથમ બોધગયાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ દિલ્હી ગયા હતા, જ્યાં એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ તો લામ બંને દેશો વચ્ચેના સંબંધો, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમની સાથે અલગથી પણ મુલાકાત કરશે. ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે મુલાકાત કરશે.

NSA અજિત ડોવલ સાથે મુલાકાત

મીટિંગો પહેલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ રાષ્ટ્રપતિ તો લામ સાથે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારી અંગે ચર્ચા કરી હતી.

કેબિનેટ નિર્ણયઃ વંદે માતરમને રાષ્ટ્રીય ગીત જેટલો જ દરજ્જો, અપમાન કરવા પર જેલ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં ‘વંદે માતરમ’ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ‘વંદે માતરમ’ને રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ જેટલો જ દરજ્જો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. એ સાથે જ ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ’માં સુધારાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટના આ નિર્ણય મુજબ  બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય  દ્વારા રચાયેલું ‘વંદે માતરમ’ પર હવે એ જ નિયમો અને પ્રતિબંધો લાગુ પડશે, જે હાલમાં રાષ્ટ્રીય ગીત પર લાગુ છે, એટલે કે તેના અપમાન અથવા ગીતમાં વિઘ્ન પાડવાના કિસ્સામાં સજા થશે. હાલમાં રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને રાષ્ટ્રીય ગાનના અપમાન માટે જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ છે અને હવે તેમાં ‘વંદે માતરમ’ને પણ સામેલ કરવામાં આવશે.

અધિનિયમમાં ફેરફાર—રાષ્ટ્રીય ગાન જેવા નિયમો લાગુ થશે

આ સુધારા હેઠળ અધિનિયમની કલમ-3માં ફેરફાર કરવામાં આવશે. હાલના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ જાણબૂજીને રાષ્ટ્રીય ગાનના ગાયનમાં અવરોધ ઊભો કરે અથવા આવી સભામાં અશાંતિ ફેલાવશે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. ફરી ગુનો કરવાથી ઓછામાં ઓછા એક વર્ષની સજાની જોગવાઈ છે. આ નિર્ણય એવા સમયમાં લેવામાં આવ્યો છે, જ્યારે દેશ ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ ઊજવી રહ્યો છે. આ પહેલાં 2005માં કાયદામાં ફેરફાર કરીને રાષ્ટ્રીય ધ્વજના અપમાનજનક ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સંસદમાં ઊઠી માગ—સરકારે પહેલેથી સંકેત આપ્યા હતા

ગયા વર્ષના ડિસેમ્બરમાં સંસદમાં ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ચર્ચા પણ થઈ હતી. આ દરમિયાન તેને રાષ્ટ્રીય ગાન જેટલો દરજ્જો આપવા માગ ઊઠી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ ગીતને તુષ્ટિકરણના રાજકારણને કારણે અવગણવામાં આવ્યું અને તેને સાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો. આ વર્ષે જાન્યુઆરીમાં ગૃહ મંત્રાલયે ‘વંદે માતરમ’ના ગાયન અને આચરણ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. તેમાં મુખ્ય સરકારી કાર્યક્રમોમાં તેના તમામ છ અંતરા ગાવા સૂચના આપવામાં આવી હતી.

IPL 2026: બેંગલુરુમાં નહીં યોજાય ફાઈનલ મેચ, તો ક્યાં રમાશે?

BCCI એ IPL 2026 પ્લેઓફ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે ફાઇનલ બેંગ્લોરને બદલે અમદાવાદમાં રમાશે. ક્વોલિફાયર 1 ધર્મશાળામાં યોજાશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 ન્યૂ ચંદીગઢમાં યોજાશે. સ્થળ બદલવાથી એક નવો વિવાદ પણ ઉભો થયો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2026 ના પ્લેઓફ માટે સત્તાવાર શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટ હવે તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગઈ છે, જેમાં ટીમો પ્લેઓફ સ્થાનો માટે સ્પર્ધા વધુને વધુ તીવ્ર બની રહી છે. જોકે, શેડ્યૂલ કરતાં વધુ, ફાઇનલને બેંગલુરુથી અમદાવાદ ખસેડવાનો નિર્ણય મહત્વપૂર્ણ ચર્ચા જગાવી રહ્યો છે. ફાઇનલ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ફાઇનલ બેંગલુરુથી છીનવી લેવામાં આવી

IPL 2026 ની ફાઇનલ મૂળ બેંગલુરુમાં યોજાવાની હતી. આનું કારણ એ છે કે નિયમો મુજબ આગામી ફાઇનલ સામાન્ય રીતે ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે, પરંતુ BCCI એ અચાનક સ્થળ બદલીને અમદાવાદને ફાઇનલ સોંપી દીધી. “બેંગલુરુને શરૂઆતમાં ફાઇનલનું આયોજન સોંપવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક એસોસિએશન અને વહીવટીતંત્રની કેટલીક આવશ્યકતાઓને કારણે, જે BCCI ની સ્થાપિત માર્ગદર્શિકા અને પ્રોટોકોલના અવકાશની બહાર હતી, સ્થળ બદલવામાં આવ્યું હતું,” બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ નિવેદન હવે વિવાદનું કારણ બની ગયું છે, કારણ કે ચાહકો જાણવા માંગે છે કે કઈ પરિસ્થિતિઓને કારણે બેંગલુરુ પાસેથી હોસ્ટિંગ રાઇટ્સ પાછા ખેંચવા પડ્યા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ એવું પણ સૂચવે છે કે ટિકિટ વિવાદને કારણે બેંગલુરુના હોસ્ટિંગ રાઇટ્સ છીનવી લેવામાં આવ્યા હતા. જોકે, હાલમાં સૌથી મોટું રહસ્ય એ છે કે શું બેંગલુરુનો ફાઇનલ છીનવી લેવાનો નિર્ણય ફક્ત વહીવટી બાબત હતી, કે તેની પાછળ કોઈ ઊંડી વાર્તા છે?

ત્રણ શહેરોમાં પ્લેઓફ યોજાશે

આ વર્ષે, IPL પ્લેઓફ ત્રણ અલગ અલગ શહેરોમાં રમાશે. BCCI એ આને એક ખાસ પરિસ્થિતિ તરીકે ટાંક્યું છે. બોર્ડે જણાવ્યું હતું કે, “ઓપરેશનલ અને લોજિસ્ટિકલ કારણોસર, આ સિઝનમાં IPL 2026 પ્લેઓફ ત્રણ સ્થળોએ યોજાશે.”

સંપૂર્ણ પ્લેઓફ શેડ્યૂલ

ક્વોલિફાયર 1

26 મે: હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા
પોઇન્ટ ટેબલમાં ટોચની બે ટીમો આ મેચમાં એકબીજા સામે ટકરાશે. વિજેતા સીધા ફાઇનલમાં જશે.

એલિમિનેટર

27 મે: નવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, નવું ચંદીગઢ (મુલ્લાનપુર)
ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો વચ્ચે મેચ. હારનાર ટીમ બહાર થઈ જશે.

ક્વોલિફાયર 2

29 મે: નવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, નવું ચંદીગઢ (મુલ્લાનપુર)
ક્વોલિફાયર 1 માં હારનાર ટીમ એલિમિનેટર ના વિજેતા સામે ટકરાશે. વિજેતા ફાઇનલમાં પહોંચશે, અને હારનાર ટીમ બહાર થઈ જશે.

ફાઇનલ

31 મે: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
સીઝનનો ટાઇટલ મેચ ક્વોલિફાયર 1 ના વિજેતા અને ક્વોલિફાયર 2 ના વિજેતા વચ્ચે રમાશે.

ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે

ફાઇનલ હવે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાનું લગભગ નક્કી છે. આ મેદાન અગાઉ IPL ની મોટી મેચો અને ફાઇનલનું આયોજન કરી ચૂક્યું છે. શેડ્યૂલ જાહેર થતાં, પ્લેઓફનો જંગ વધુ રોમાંચક બની ગયો છે. હવે, ટીમો ફક્ત ટોચના ચારમાં સ્થાન મેળવવા માટે જ નહીં, પરંતુ ટોચના બેમાં સ્થાન મેળવવા માટે પણ ક્વોલિફાયર 1 માટે સીધા ક્વોલિફાય થવાનો પ્રયાસ કરશે.