મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા, શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વધુને વધુ વિસ્તારીને સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૩થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના ૨૩માં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગરના કડાણા તાલુકાની દિવડા પીએમ સ્કૂલથી કરાવતા મુખ્યમંત્રીએ આ નેમ દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળા અને ધોરણ ૯માં બાળકોનું નામાંકન કરાવ્યું હતું અને શૈક્ષણિક કીટ ભેટ આપી તેમને શાળામાં આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ પ્રવેશ મેળવનારા બાળકો સાથે વડીલ વાત્સલ્ય ભાવે સહજ સંવાદ કરીને તેમના ઘર-પરિવારની વિગતો પણ મેળવી હતી.

એમણે આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શરૂ કરાવેલા લોકહિતના બધા કાર્યક્રમો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળે છે. ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ડ્રોપ આઉટ રેઈટ ૩૫ ટકા જેટલો હતો તે ઘટાડીને ૦.૮૫ ટકા એટલે કે ૧ ટકાથી પણ નીચે લઈ જવામાં સફળતા મળી છે.

વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે શાળામાં પ્રવેશ લેનાર બાળકો અભ્યાસ છોડી ન દે તેની પૂરતી કાળજી લીધી છે. પરિવારની આર્થિક તકલીફને કારણે અભ્યાસમાં અગવડ ન થાય તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી સરકાર આવા બાળકોની પડખે ઊભી રહે છે.

તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવે તેની દરકાર પણ સરકારે લીધી છે. એટલું જ નહીં, શિક્ષકો પણ જો કોઈ બાળક એકાદ દિવસ ગેરહાજર રહે તો તેના ઘરે જઈને ગેરહાજરીના કારણો જાણે છે. સરકારની વ્યવસ્થાઓમાં જન જનની ભાગીદારી હોય તો સૌને લાભ મળે અને સાથે જ ૧૦૦ ટકા પરિણામ આવે તેવા અભિગમથી તેમણે વાલીઓને પણ SMCમાં સક્રિય થવાનો અનુરોધ કર્યો હતો.

‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ના મંત્રને ચરિતાર્થ કરીને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા તેમણે સૌને હાંકલ કરી હતી.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શુભારંભ પ્રસંગે કે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રઇ મોદીએ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. પહેલાના સમયમાં ધો ૧ થી ૮ સુધીના ૩૫% ડ્રોપ આઉટ રેશિયો હતો તે આજે ઘટીને નહિવત થઇ ગયો છે.

દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે સ્વાગત ઉદબોધનમાં આદિજાતિ વિસ્તારમાં થયેલા શિક્ષણ ક્ષેત્રના અપ્રતિમ વિકાસની માહિતી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેકટર અર્પિત સાગરે આભારવિધિ કરી હતી. વિદ્યારંભના આ ઉત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સીએમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, અગ્રણી દશરથભાઈ બારીયા, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, શાળાના બાળકો, વાલીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


અદાણી ગ્રુપ માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્યસંભાળથી વિશેષ આગળ વધી રહી છે. જેમાં અદાણી જૂથ પ્રાયોજક નહીં પરંતુ સેવક તરીકે ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવનમાં સીધી અને સક્રિય ભાગીદારી કરી રહ્યું છે. ચેરમેન ગૌતમ અદાણીના “સેવા એ જ પૂજા “ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં શ્રદ્ધાળુઓ અને ફ્રન્ટલાઈન અધિકારીઓની સેવા માટે તત્પર છે.



અવંતિકા સિંહના હસ્તે હાંસોલ પ્રાથમિક શાળાની બાલવાટિકામાં ૫૭ બાળકોને, જ્યારે ધોરણ -૧માં ૬૬ બાળકોને શાળા-પ્રવેશ અપાયો હતો. આમ, કુલ ૧૨૩ જેટલાં ભૂલકાંઓએ શિક્ષણ જગતમાં પગરવ માંડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ખાનગી શાળા છોડીને ૯ વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ લીધો છે.
આ પ્રસંગે અવંતિકા સિંહે જણાવ્યું હતું કે દર વર્ષે ઊજવાતો શાળા પ્રવેશોત્સવ બાળકો, શિક્ષકો અને વાલીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે, સાથે-સાથે આમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો તથા અધિકારીઓને પણ નવી ઊર્જા પૂરી પાડતો હોય છે. શાળામાં ભણતા બાળકોને જોઈને અવર્ણનીય આનંદ મળતો હોય છે. આ નિમિત્તે વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતને સન્માનિત કરવામાં આવે છે, જેથી બાળકોને પ્રોત્સાહન મળતું હોય છે, તથા તેમનાં માતા-પિતાને ગર્વની લાગણી અનુભવાતી હોય છે.
પોતાની ફરજ ઉપરાંત અંગત યોગદાન આપનારા શિક્ષકોની નિષ્ઠાની અવંતિકા સિંહે પ્રશંસા કરી હતી. તેમજ પ્રવેશોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા વાલીઓનો પણ આભાર માન્યો હતો તથા શાળા પ્રવેશોત્સવનો સુંદર કાર્યક્રમ યોજવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી. તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. બાળકો દેશનું ભવિષ્ય છે, તેમના વિકાસ માટે વાલીઓ સંપૂર્ણ સહયોગ આપે એવો અનુરોધ શ્રીમતી અવંતિકા સિંહ દ્વારા એસએમસીની બેઠકમાં કરાયો હતો.
શાળા પ્રવેશોત્સવના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જુદા-જુદા વિષયો પર વક્તવ્ય રજૂ કરાયાં હતાં અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.






