Home Blog Page 826

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને UAEના ડોક્ટરે 6 કરોડની સહાય આપી

અમદાવાદ: એર ઇન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટના પછી આજે BJ મેડિકલ કોલેજમાં વર્ગો ફરી શરૂ થયા. પરંતુ હજુ પણ વાતાવરણ શોકમય છે. આ ઉદાસીન પૃષ્ઠભૂમિમાં, આ ભયાનક દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો અને ઘાયલોને પહેલીવાર નાણાકીય સહાય પહોંચી ત્યારે ભાવનાત્મક ક્ષણ જોવા મળી.

કુલ ₹6 કરોડની રાહત UAEના હેલ્થકેર ઉદ્યોગસાહસિક અને પરોપકારી ડૉ. શમશીર વાયાલીલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી, જેમણે દુર્ઘટનાના થોડા દિવસ પછી જ સહાયની જાહેરાત કરી હતી. અબુ ધાબીથી VPS હેલ્થકેરના પ્રતિનિધીઓ સહાયની રકમ સાથે અમદાવાદ પહોંચ્યા અને તે B. J. મેડિકલ કોલેજના ડીન ડૉ. મીનાક્ષી પરીખના કાર્યાલયમાં એક ખાનગી સમારોહમાં અસરગ્રસ્ત પરિવારોને સોંપવામાં આવી. આ દરમિયાન, હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ એસ. જોશી અને જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના સભ્યો પણ હાજર હતા.

આ સહાય રકમનો પ્રથમ ભાગ આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ચાર તબીબી વિદ્યાર્થીઓના પરિવારોને આપવામાં આવ્યો હતો. દરેક પરિવારને ₹ 1 કરોડનો ચેક સોંપવામાં આવ્યો હતો. જેમાં ગ્વાલિયર (મધ્ય પ્રદેશ)ના MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થી આર્યન રાજપૂત, શ્રીગંગાનગર (રાજસ્થાન)ના માનવ ભાદુ, બાડમેર (રાજસ્થાન)ના જયપ્રકાશ ચૌધરી અને ભાવનગર (ગુજરાત)ના રાકેશ ગોબરભાઈ દિયોરાના પરિવારોનો સમાવેશ થાય છે. આ ચાર વિદ્યાર્થીઓ સપનાઓથી ભરેલી તેમની તબીબી કારકિર્દીની શરૂઆત જ કરી રહ્યા હતા અને તેમના જીવનનો અંત ખૂબ જ કમનસીબ રીતે થયો.

રાકેશ દિયોરાના મોટા ભાઈ વિપુલભાઈ ગોબરભાઈ દિયોરાએ જણાવ્યું હતું કે, “તે અમારા આખા પરિવારની આશા હતા. અમારા પરિવારમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર તેઓ પહેલા વ્યક્તિ હતા. અમે ખેડૂત પૃષ્ઠભૂમિમાંથી આવીએ છીએ. તેઓ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને બાળ હૃદય સર્જન બનવા માંગતા હતા. આ દુર્ઘટના અમારા માટે આઘાતજનક હતી. અમારા ઘરે ચાર બહેનો છે અને પિતાનું સ્વાસ્થ્ય પણ સારું નથી. તેઓ બધાની આશા હતા. આ મદદ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

આ વિદ્યાર્થીઓ ઉપરાંત, છ અન્ય મૃતકોના પરિવારોને પણ સહાય આપવામાં આવી હતી. આમાં ન્યૂરોસર્જરી નિવાસી ડૉ. પ્રદીપ સોલંકી (જેમણે પોતાની પત્ની અને સાળા ગુમાવ્યા હતા); સર્જિકલ ઓન્કોલોજી નિવાસી ડૉ. નીલકંઠ સુથાર (જેમણે પોતાના પરિવારના ત્રણ સભ્યો ગુમાવ્યા હતા); અને બી.પી.ટી. વિદ્યાર્થી ડૉ. યોગેશ હદત (જેમણે પોતાના ભાઈ ગુમાવ્યા હતા)નો સમાવેશ થાય છે. તે બધાને પ્રતિ મૃત સભ્ય ₹25 લાખની સહાય આપવામાં આવી હતી.

ઘાયલોને પણ સહાય મળી હતી

જુનિયર ડોક્ટર્સ એસોસિએશને ડીન સાથે પરામર્શ કરીને, 14 ગંભીર રીતે ઘાયલ લોકોની ઓળખ કરીને તેમને રાહત ભંડોળમાં સમાવવામાં આવ્યા હતા. આ બધા એવા હતા જેમને દાઝી જવા, ફ્રેક્ચર અથવા આંતરિક ઇજાઓ જેવી ગંભીર ઇજાઓ માટે પાંચ દિવસ કે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. દરેકને ₹3.5 લાખની સહાય આપવામાં આવી હતી.

ડૉ. શમશીરે એક વ્યક્તિગત પત્રમાં લખ્યું,

“તમારા પ્રિયજનોના સપના અમારા બધા દ્વારા વહેંચાયેલા છે જેઓ તબીબી સેવાને આપણું જીવન માને છે. કૃપા કરીને જાણો કે તમે એકલા નથી. સમગ્ર તબીબી સમુદાય તમારી સાથે ઉભો છે.”

રાહત ભંડોળના વિતરણ પછી, મૃતકોની યાદમાં એક ખાસ પ્રાર્થના સભા યોજાઈ હતી. ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ શાંતિથી ભેગા થયા. ઘણા લોકો માટે, દુર્ઘટના પછી કોલેજમાં પાછા ફરવાનો આ પહેલો સમય હતો.

“અમે હજુ પણ આ ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનને સહન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આવા સમયે, એકતાના આ નાના સંકેતો આપણને યાદ અપાવે છે કે તબીબી સમુદાય દુઃખના સમયમાં પણ સાથે ઊભો રહે છે,” કોલેજના ડીન ડૉ. મીનાક્ષી પરીખે કહ્યું.

Nutshell In 99

આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં કેનેડા ભારતની સાથેઃ PM કાર્ની

ટોરેન્ટોઃ કેનેડામાં રાજકીય નેતૃત્વમાં ફેરફાર બાદ હવે વિદેશ અને સુરક્ષા નીતિમાં પણ મહત્વના ફેરફાર જોવા મળ્યા છે. હવે કેનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્નીએ આતંકવાદ સામે મોટું નિવેદન આપતાં કડક વલણ અપનાવવાની વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે કેનેડાની નવી સરકાર આતંક સામેની વૈશ્વિક લડતમાં ભારત જેવા સાથીદારો સાથે ઊભી રહેશે.

PM માર્ક કાર્ની શું બોલ્યા?
માર્ક કાર્નીએ 1985માં થયેલા એર ઈન્ડિયા ‘કનિષ્ક’ વિમાન બોમ્બ વિસ્ફોટને દેશના ઇતિહાસનો સૌથી ભયાનક આતંકી હુમલો ગણાવ્યો અને આ દુઃખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 40 વર્ષ પહેલાં થયેલા આ હુમલામાં 268 કેનેડિયન નાગરિકો સહિત 329 નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જેને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. PM કાર્નીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડામાં ‘કનિષ્ક’ વિમાન બોમ્બ વિસ્ફોટની 40મી વરસી પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

મોન્ટ્રિયલથી લંડન મારફતે 23 જૂન 1985એ દિલ્હી જતી એર ઈન્ડિયા ફ્લાઇટ 182 ‘કનિષ્ક’માં આયર્લેન્ડના તટ પાસે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ લંડનના હિથ્રો એરપોર્ટ પર પહોંચતાં 45 મિનિટ પહેલાં થયો હતો. વિસ્ફોટને કારણે વિમાનમાં સવાર તમામ 329 લોકોનાં મોત થયા હતા, જેમાંથી મોટા ભાગના ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો હતા.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ભયાનક હુમલાની યાદ તાજી કરી હતી. તેમણે લખ્યું હતું કે એર ઈન્ડિયા 182 બોમ્બ વિસ્ફોટ આતંકવાદની સૌથી વિકૃત ઘટનાઓમાંની એક છે અને જેથી આતંકવાદ સામે કોઈ પણ રીતે નરમાઈ રાખવી નહીં જોઈએ.

હાલમાં કેનેડાના નવા PM માર્ક કાર્નીએ આતંકવાદ સામે જે રીતે નિવેદન આપ્યું છે તેને હકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે શું કેનેડા હવે ખાલિસ્તાની પ્રવૃત્તિઓ સામે પગલાં લેવાનું આરંભ કરશે?

કોણ છે રાજકોટના પૂર્વ ક્રિકેટર દિલિપ દોશી? જેમણે દુનિયાને કહ્યું અલવિદા

લીડ્સના હેડિંગ્લી ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર આવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં નિધન થયું છે. દિલીપ દોશીએ સ્પિનર ​​તરીકે 33 ટેસ્ટ અને 15 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દોશીના નિધનની જાણકારી એક નજીકના પારિવારિક મિત્રએ આપી હતી.

Dilip Doshi.

તેમણે જણાવ્યું હતું કે દોશીનું સોમવારે (23 જૂન) લંડનમાં અવસાન થયું હતું. તેઓ 77 વર્ષના હતા અને તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. છેલ્લા 2 દિવસમાં ક્રિકેટરના નિધનના આ બીજા સમાચાર છે. દિલીપ દોશીના નિધનના એક દિવસ પહેલા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોરેન્સનું 61 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે ઇંગ્લેન્ડ માટે 5 ટેસ્ટ મેચ રમી હતી.

કોણ છે દિલીપ દોશી?

દિલીપ દોશીનો જન્મ 22 ડિસેમ્બર, 1947માં સૌરાષ્ટ્રના રાજકોટમાં થયો હતો. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડેથી ઉભરી આવેલા દોશીએ 1979-83 દરમિયાન 32 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે ભારત માટે 33 ટેસ્ટ મેચમાં 114 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેમણે 6 વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત, તેમણે 15 વનડેમાં 22 વિકેટ લીધી હતી. 1968-69 સીઝનમાં ઘરેલુ ડેબ્યૂ કરનારા દોશીએ 1986માં નિવૃત્તિ સુધી 238 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી અને 43 પાંચ વિકેટ સહિત 898 વિકેટ લીધી હતી. તેમણે ઘરેલુ ક્રિકેટમાં બંગાળ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતી વખતે 6 વખત 10 વિકેટ પણ લીધી હતી.

આ આંકડો તેમની અસાધારણ સાતત્ય અને વિકેટ લેવાની ક્ષમતા દર્શાવે છે. સ્થાનિક ક્રિકેટમાં તેમણે મુખ્યત્વે બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેઓ રણજી ટ્રોફીમાં ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી હતા. તેઓ સૌરાષ્ટ્ર માટે પણ રમ્યા હતા. તેમનો ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં પણ પ્રભાવ હતો, જ્યાં તેઓ નોટિંગહામશાયર અને વોરવિકશાયર માટે રમ્યા હતા. નોટિંગહામશાયર સાથે ચાર સીઝનમાં તેમણે 44 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 157 વિકેટ લીધી હતી.

બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ નિરંજન શાહે દિલીપ દોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શાહે કહ્યું કે આ તેમના માટે ખૂબ જ પીડાદાયક અને વ્યક્તિગત નુકસાન છે. દિલીપ માત્ર મહાન ક્રિકેટરોમાંના એક જ નહોતા પરંતુ શ્રેષ્ઠ માણસોમાંના એક પણ હતા. તેમનું સારું હૃદય પ્રામાણિકતા અને રમત પ્રત્યેનું અમૂલ્ય સમર્પણ તેમને ખરેખર ખાસ બનાવે છે.

મહાન સચિન તેંડુલકર સહિત અનેક દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 22 ડિસેમ્બર, 1947ના રોજ સૌરાષ્ટ્રના રાજકોટમાં જન્મેલા દોશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડેથી પ્રવેશ કર્યો હતો પરંતુ તેમણે પોતાની ચોકસાઈ, ધીરજ અને બોલને હવામાં ખસેડવાની ક્ષમતાથી પોતાની છાપ છોડી દીધી હતી.

દિલીપ દોશીએ 1983માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 4 વર્ષ સુધી મર્યાદિત કરી. જોકે, તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું અને 1986માં સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી. દિલીપ દોશી એક ક્લાસિકલ ડાબોડી સ્પિનર ​​તરીકે જાણીતા હતા જે બોલને હવામાં ફેંકવાની અને બેટ્સમેનોને છેતરવાની કળામાં માહિર હતા. ભારતીય ક્રિકેટના પ્રખ્યાત સ્પિન ચોકડી (બેદી, ચંદ્રશેખર, પ્રસન્ના, વેંકટરાઘવન) પછી રમવાની તક મળી હોવા છતાં, તેમણે પોતાની અલગ ઓળખ બનાવી. તેઓ એવા થોડા બોલરોમાંના એક છે જેમણે 30 વર્ષની ઉંમર પછી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હોવા છતાં 100થી વધુ ટેસ્ટ વિકેટ લીધી હતી. તેમનું તાજેતરમાં 23 જૂન, 2025ના રોજ લંડનમાં 77 વર્ષની ઉંમરે અવસાન થયું, જેનાથી ક્રિકેટ જગત શોકમાં છે. દિલીપ દોશીએ એક ખેલાડી અને વ્યક્તિ તરીકે રમતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને તેમનો વારસો ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા જીવંત રહેશે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યનાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ‘ઓરેન્જ’ ચેતવણી જારી કરી છે. વિભાગે જણાવ્યું હતું કે 24થી 28 જૂન દરમિયાન ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે 24થી 27 જૂન દરમિયાન એક કે બે વાર ભારે વરસાદ પડી શકે છે અને કેટલીક જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે. તેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે. 24 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 16 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબ સાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ થયો છે. સુરત જિલ્લામાં ગઈ કાલે ભારે વરસાદ થતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ગઈ કાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ સુરત અને મધ્ય સુરતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતાં લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. સુરત જિલ્લાના દરેક તાલુકામાં એક ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે.

ઓડિશામાં બે દલિતો સાથે બર્બરતાની હદો પાર

ભુવનેશ્વરઃ ઓડિશાના ગંજામ જિલ્લામાં પશુઓની દાણચોરીની શંકાએ બે દલિતોના વાળ કાપી નાખવામાં આવ્યા, તેમની સાથે મારપીટ કરવામાં આવી અને તેમને ઘૂંટણિયે ચાલવા તેમ જ પશુઓનો ચારો ખાવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

 આ ઘટના રવિવારે ધારાકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખારીગુમ્મા ગામના જાહદા વિસ્તારમાં બની હતી. આ ઘટના અંગેનો કહેવાતા વિડિયો વાયરલ થવાથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં વ્યાપક આક્રોશ જોવા મળ્યો છે. જોકે ‘PTI-’ એ વિડિયોની પ્રામાણિકતાની પુષ્ટિ કરી શકી નથી.

પોલીસના જણાવ્યાનુસાર પીડિત બુલા નાયક (54) અને બબુલા નાયક (42)- જેઓ સંગીપુર ગામના રહેવાસી છે, હરિઅર ગામેથી તેમના ગામ બે ગાય અને એક વાછરડા સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે ખારીગુમ્મા વિસ્તારમાં કેટલાક ગૌરક્ષકોના જૂથે તેમને પકડી લીધા અને પશુઓની દાણચોરી કરવાનો આરોપ મૂક્યો.

પોલીસે જણાવ્યું હતું કે આ જૂથે બંને પાસેથી રૂ. 30,000 માગ્યા હતા. જ્યારે પીડિતોએ ઈનકાર કર્યો, ત્યારે તેમની સાથે મારપીટ અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને એક સેલૂનમાં લઈ જવામાં આવ્યા અને તેમનું અડધું માથું મૂંડી નાખવામાં આવ્યું હતું. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે એ પછી તેમને એક કિમીથી વધુ અંતર સુધી ઘૂંટણિયે ચાલવા, પશુઓનો ચારા ખાવા અને નાળાનું પાણી પીવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

ગંજામના પોલીસ અધિક્ષક સુવેન્દુકુમાર પાત્રાએ જણાવ્યું કે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને ઓછામાં ઓછા છ જણને પકડવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયરના દાવાને ઈરાને ફગાવ્યો

તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયું છે કે નહીં, તે અંગે અનિશ્ચિતતા છવાયેલી છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરીને કહ્યું હતું કે તેની શરૂઆત ઈરાન જ કરશે. બીજી તરફ ઈરાને યુદ્ધવિરામ સંબંધિત સમાચારને ખોટા ઠેરવ્યા છે અને કહ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયલ હુમલો બંધ કરતું નથી ત્યાં સુધી કોઈ પણ સમજૂતી શક્ય નથી. ઈઝરાયલે તેમ છતાં હુમલાઓ ચાલુ રાખ્યા છે.

ઈરાનના વિદેશ મંત્રી સાઈદ અબ્બાસ અરાઘચીએ X પર પોસ્ટ કરતાં કહ્યું કે હાલના સંઘર્ષની શરૂઆત ઈઝરાયલ દ્વારા કરવામાં આવી હતી, ના કે તેના વિરોધમાં. તેમણે આ પર ભાર મૂક્યો હતો કે ઈરાનને યુદ્ધ ચાલુ રાખવાનો કોઈ ઇરાદો નથી જો ઈઝરાયલ “તેનું ગેરકાયદે આક્રમણ” બંધ કરે.

તેમણે લખ્યું હતું કે જેમ ઈરાને વારંવાર સ્પષ્ટ કર્યું છે, યુદ્ધ ઈરાનએ શરૂ કર્યું નથી, પણ ઈઝરાયલે કર્યું છે. હજુ સુધી કોઈ સીઝફાયર કે સૈન્ય અભિયાનની સમાપ્તિ પર કોઈ સમજૂતી નથી. જો ઈઝરાયલ તેની કાર્યવાહી સમયનુસાર સવારે 4 વાગ્યા પહેલાં બંધ કરે તો ઈરાનનો જવાબી હુમલો આગળ ન વધારવાનો છે. સૈન્ય અભિયાન પૂરું કરવાનો અંતિમ નિર્ણય બાદમાં લેવામાં આવશે.

તેમણે સશસ્ત્ર દળોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ઈઝરાયલના આક્રમણનો બદલો લેવા માટે અમારાં શક્તિશાળી સશસ્ત્ર દળોએ સવારના ચાર વાગ્યા સુધી સૈન્ય કાર્યવાહી કરી. તમામ ઈરાનીઓ સાથે હું અમારા બહાદુર દળોનો આભાર માનું છું જેમણે અંતિમ ક્ષણ સુધી દુશ્મનનો સામનો કર્યો.

જોકે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત પછી પણ ઈઝરાયલ સેના દ્વારા મંગળવારે ઈરાનમાં વિવિધ સ્થળોએ હુમલાઓ કરવામાં આવ્યા હતા, એવું ઈરાનના સમાચાર ચેનલ પ્રેસ ટીવીએ જણાવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી સીઝફાયરની જાહેરાત

આ તમામ ઘટનાઓ ડોનાલ્ડ ટ્રમ્પની તે પોસ્ટ પછી બની છે જેમાં તેમણે કહ્યું હતું કે ઈરાન અને ઈઝરાયલ બંને “સંપૂર્ણ અને વ્યાપક યુદ્ધવિરામ” પર સંમત થયા છે, જે 6 કલાકમાં લાગુ પડશે.

ટ્રમ્પે ટ્રુથ સોશલ પર લખ્યું:
“બધાને અભિનંદન! ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંપૂર્ણ યુદ્ધવિરામ પર સહમતી થઈ ગઈ છે (હવેથી લગભગ છ કલાક બાદ, જ્યારે બંને પક્ષો તેમના અંતિમ મિશન પૂરા કરશે!), પહેલા 12 કલાક માટે અને ત્યાર બાદ યુદ્ધ સમાપ્ત ગણાશે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૪ જૂન ૨૦૨૫

કિશોરકુમાર મસ્તી-મજાક કરીને પણ ગંભીર ગીત ગાતા હતા

ફિલ્મોના ગીતોમાં વાંસળી વગાડનાર રોનુ મજુમદારે ગાયક કિશોરકુમાર સાથે કામ કર્યું હોવાથી એમના ઘણા રસપ્રદ કિસ્સાઓ એક મુલાકાતમાં યાદ કર્યા હતા. એમ કહેવાય છે કે કિશોરકુમાર પોતાની ફી લેવા બાબતે બહુ ચોક્કસ હતા. ફી વગર કામ કરતાં ન હતા. રોનુએ એક બંગાળી ગીતના રેકોર્ડિંગનો કિસ્સો યાદ કરતાં કહ્યું છે કે અભિનેતા ઉત્તમકુમાર મૃત્યુ પામ્યા પછી એમની યાદમાં એક ફિલ્મમાં ‘સબ ચિતા મેં જાકર જલ જાયેગા’ અર્થવાળું ગીત સાંભળીને પોતે તો રડી જ પડ્યા હતા પણ કિશોરકુમારની આંખોમાં પણ આંસુ જોયા હતા. તે સ્ટુડિયોની બહાર આવી ચશ્મા ઉતારી આંસુ લૂંછતા હતા.

જ્યારે એમને ગાયનની ફીનું કવર ધરવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે પૈસાની વાત ના કરીશ. આવું ગીત ગવડાવે છે અને પૈસાની વાત કરે છે. એ ફી લીધા વગર જ જતાં રહ્યા હતા. રોનુએ કહ્યું કે એ સમય પર બધા ગાયકો ગીતનું રેકોર્ડિંગ કર્યા પછી પોતાનો આવાજ સાંભળી જોતાં હતા. કિશોરકુમારને એટલો વિશ્વાસ રહેતો હતો કે એ ગીત ગાઈને સાંભળતા ન હતા. ગીત પૂરું થયા પછી વાળ ઓળતા અને નીકળી જતાં હતા. પૈસા પહેલાં જ લઈ લેતા હતા. જો પૈસા ના મળે તો ગળું ખરાબ છે એમ કહી નીકળી જતાં હતા.

 

ફિલ્મ ‘દોસ્તાના’ (1980) ના ‘સલામત રહે દોસ્તાના હમારા’ નું મહેબૂબ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ હતું ત્યારે મોહમ્મદ રફી સમય પર આવી ગયા હતા પણ કિશોરકુમાર મોડા આવ્યા. અને આવીને રફી સાહેબના શરીર પર ગલીપચી કરવા લાગ્યા હતા. ત્યારે હસતાં હસતાં રફી સાહેબે કહ્યું કે તું મજાક રહેવા દે ગીત બહુ ગંભીર છે. કિશોરકુમાર મજાકમાં બોલ્યા કે હું તો ગીતો ગાતો જ નથી. થોડીવાર પછી રફી સાહેબનું ટૂંકું શર્ટ ખેંચીને એમ કહ્યું કે એને લાંબુ કરો! મજાક મસ્તી સાથે રેકોર્ડિંગમાં પહોંચ્યા ત્યારે રોનુને થયું કે રફી સાહેબે ત્રણ વખત ગીતનું રિહર્સલ કરી લીધું છે. એ વધારે જોરદાર ગાશે. કેમકે કિશોરદાએ એકપણ વખત રિહર્સલ કર્યું નથી અને ગીત પ્રત્યે ગંભીર નથી.

ગીતની શરૂઆત રફી સાહેબે કરી. પણ જ્યારે કિશોરકુમાર ગાવા લાગ્યા ત્યારે રોનુના રૂંવાડા ઊભા થઈ ગયા. એમનો અવાજ પહાડી હતો. સ્પીકર એમના અવાજથી જાણે ભરાઈ ગયા. રોનુને થયું કે કોઈ ચમત્કાર થઈ ગયો. આખા ગીતમાં એમણે રફી સાહેબ કરતાં વધારે પ્રવાવશાળી અવાજ આપ્યો અને એક જ ટેકમાં ગીત ગાઈ લીધું.

ફિલ્મ ‘સાગર’ (1985) નું ‘સાગર જૈસી આંખોવાલી’ ગીત કિશોરકુમારે એક જ ટેકમાં ગાઈ લીધું હતું પરંતુ ‘સાગર કિનારે’ માટે એ રિહર્સલ કરી રહ્યા હતા. લતા મંગેશકરની તબિયત સારી ન હોવાથી પોતાનો ભાગ ગાઈને નીકળી ગયા હતા. કિશોરકુમાર એકલા જ રિહર્સલ કરતાં હતા. રોનુએ આ ગીતનું રિહર્સલ છુપાઈને સાંભળ્યું હતું. આ ગીત માટે તે મોટી સ્કેચપેનથી લખી રહ્યા હતા અને જ્યાં કંપન આવવાનું હોય ત્યાં પક્ષી જેવો આકાર દોરતા હતા. રોનુએ ગીતના સંગીતમાં એ જ જગ્યાએ કંપન લીધું હતું. કિશોરકુમાર જે રીતનું કંપન આપી શકતા હતા એ કોઈના વશનું કામ ન હતું.