Home Blog Page 865

‘લવસ્ટોરી’ના કુમાર ગૌરવની અભિનેતા બનવાની સ્ટોરી 

કુમાર ગૌરવે નિર્દેશનને બદલે અભિનયમાં જવાનું નક્કી કરતાં ‘લવસ્ટોરી’ (1981) મેળવી હતી. ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ (1978) માં રાજ કપૂરના જે પાંચ સહાયકો હતા એમના નામ ટાઈટલ્સમાં આવે છે. એમાં રવીન્દ્ર પીપટ વગેરે સાથે મનોજકુમારનું નામ છે. એ મનોજકુમાર એટલે કુમાર ગૌરવ છે. જેને ઘરમાં ‘બંટી’ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. કુમારને નિર્દેશન શીખતી વખતે અભિનય કરવાનો શોખ જાગ્યો હતો અને એ સંવાદો બોલવાનું શીખી રહ્યા હતો.

એક દિવસ અભિનેતા પિતા રાજેન્દ્રકુમારે એને પૂછ્યું કે કોલેજમાં ભણવાનું અને નિર્દેશન શીખવાનું કેવું ચાલે છે? ત્યારે એણે મનની વાત કહી દીધી કે મારે તમારી જેમ અભિનેતા બનવું છે. રાજેન્દ્રકુમારને એની વાતથી આનંદ થયો અને કહ્યું કે જો તું સ્ક્રિન ટેસ્ટમાં પાસ થઈશ તો જ તારા માટે ફિલ્મ બનાવીશ. ત્યારે રાજેન્દ્રકુમાર રાજ કપૂરના સહાયક રહેલા રાહુલ રવૈલની પહેલી ફિલ્મ ‘ગુનેગાર’ માં કામ કરી રહ્યા હતા. એટલે એમની પાસે કુમારનો સ્ક્રિન ટેસ્ટ કરાવ્યો. એમાં કુમારે એક જાણીતી અભિનેત્રી સાથે રોમેન્ટિક દ્રશ્યનું શુટિંગ કર્યું. દસ દિવસ પછી જ્યારે પિતા રાજેન્દ્રકુમાર અને માતા શુક્લા તુલીની હાજરીમાં રાહુલે એ શુટિંગ બતાવ્યું ત્યારે એમને પસંદ આવ્યું.

કુમાર ગૌરવ ડરને કારણે હાજર ના રહ્યો પણ રાજેન્દ્રકુમારે ઘરે જઈને એને કહ્યું કે તું અભિનેતા બનશે. એ માટે રોશન તનેજાને ત્યાં છ મહિનાનો અભિનયનો કોર્સ કરવા મોકલ્યો. રાજેન્દ્રકુમાર અને પત્ની શુકલાએ કુમાર માટેની પહેલી ફિલ્મનું નિર્દેશન ‘ભારતકુમાર’ તરીકે ઓળખાયેલા મનોજકુમારને સોંપવાનું નક્કી કર્યું ત્યારે ‘ક્રાંતિ’ પર કામ કરતાં મનોજકુમારે કહ્યું કે મારી પોતાની નિર્માણ સંસ્થા છે અને હું બીજાની ફિલ્મને ન્યાય આપી શકું એમ નથી. છેલ્લે રાહુલને જ નિર્દેશનની બાગડોર સોંપવાનું નક્કી થયું. કેમકે બંને બાળપણથી એકબીજાને ઓળખાતા હતા અને મિત્રતા હતી. ફિલ્મ માટે વાર્તાની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ એમાં માતા શુક્લા સ્ક્રિપ્ટ સાંભળતા હતા. એમણે ઘણી વાર્તાઓ નકારી કાઢી. દરમ્યાનમાં રાજેન્દ્રકુમારે મિર્ઝા બ્રધર્સની એક વાર્તા પસંદ કરી લીધી ત્યારે શુકલાએ એ સાંભળવાનો આગ્રહ રાખ્યો.

વાર્તામાં શમ્મી કપૂર હીરોઇનના અને રાજેન્દ્રકુમાર હીરોના પિતા હતા. વાર્તાનો મોટાભાગનો સમય બંને પિતાના લડાઈ ઝઘડામાં જ જતો હતો. તેથી શુકલાએ સવાલ કર્યો કે આ ફિલ્મ તમે આપણાં પુત્ર માટે બનાવી રહ્યો છો કે પોતાના માટે? અને એ નારાજ થઈને શિરડી જતાં રહ્યા હતા. થોડા દિવસ પછી પાછા ફર્યા ત્યારે ફરી મિર્ઝા બ્રધર્સને બોલાવ્યા અને શુકલાને કહ્યું કે નવી વાર્તા છે એ સાંભળી લો. લેખકોએ વાર્તાની શરૂઆત કરી ત્યારે તરત જ લીલી ઝંડી આપીને કહ્યું કે યુવાઓની પ્રેમકહાની છે અને એ પુત્ર માટે બરાબર છે.

વાર્તા અને સ્ટારકાસ્ટ નક્કી થઈ ગયા પછી જ્યારે ‘લવસ્ટોરી’ નું મુર્હુત કરવામાં આવ્યું ત્યારે વિતરકોએ રાજેન્દ્રકુમારને કહ્યું કે તમે આ ફિલ્મનુ નિર્દેશન સંભાળશો તો અમે વધારે કિંમત આપીશું. રાજેન્દ્રકુમારે કારણ આપતા કહ્યું કે રાહુલ મારા પુત્ર જેવો અને યુવાન છે. મારા કરતાં એની સાથે કુમાર ગૌરવ વધુ અનુકૂળતા અનુભવશે. રાજેન્દ્રકુમાર ત્યારે પોતાના પુત્રની ફિલ્મ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હોવાથી મનમોહન દેસાઈની ફિલ્મ ‘દેશપ્રેમી’ ની ઓફર પણ ઠુકરાવી દીધી હતી. ફિલ્મના સંગીત પર આર. ડી. બર્મન દ્વારા બહુ મહેનત કરવામાં આવી હતી. ‘તેરી યાદ આ રહી હૈ’ સહિતના બધા જ ગીતો સુમધુર હોવાથી એ સમય પર સંગીત સૌથી વધુ વેચાયું હતું. એનો લાભ કુમાર ગૌરવને મળ્યો હતો. કુમાર અને વિજયતા પંડિતનો અભિનય સામાન્ય હતો. પરંતુ કુમાર રાતોરાત સ્ટાર બની ગયો હતો.

આ સ્ટાર ખેલાડીની માત્ર 29 વર્ષની વયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

વેસ્ટ ઈન્ડિઝ: સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને 9મી જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે 29 વર્ષની ઉંમરે આ નિર્ણય લીધો. નિકોલસ પૂરન વેસ્ટ ઈન્ડિઝ માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિ અંગે માહિતી આપતા લખ્યું કે, ‘મારા માટે આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ મે ખૂબ વિચાર કર્યા પછી નિર્ણય લીધો છે.’

 

View this post on Instagram

 

A post shared by Nicholas Pooran (@nicholaspooran)

નિકોલસ પૂરણ એક આક્રમક ખેલાડી 

નિકોલસ પૂરનની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2019માં અફઘાનિસ્તાન સામે બોલ ટેમ્પરિંગના આરોપમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. જો કે, તે ટૂંક સમયમાં પાછો ફર્યો અને કિરોન પોલાર્ડની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ, વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું. વર્ષ 2022માં તેને કાયમ માટે વ્હાઇટ-બોલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશીપ છોડી દીધી.

પૂરનની કારકિર્દી 

નિકોલસ પૂરને 106 ટી20 મેચોમાં  2,275 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ ખૂબ જ સારો હતો, જેના કારણે તે હંમેશા વિરોધી ટીમ માટે ખતરો રહ્યો. તેણે 61 વન-ડે પણ રમી હતી, જેમાં તેણે ત્રણ સદી ફટકારી હતી. તેણે 2019ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પૂરનની નિવૃત્તિ પછી ઘણાં ક્રિકેટ દિગ્ગજોએ તેને શુભેચ્છા પાઠવી છે. બધાએ તેની શાનદાર કારકિર્દીની પ્રશંસા કરી છે.

દેશમાં કોરોનાના 6,491 એક્ટિવ કેસ, નવો વેરિઅન્ટ XFG સામે આવ્યો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,491 થઈ છે. આ સાથે જ ઈન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ કંસોર્ટિયમના એક્સ.એફ.જી.(XFG) વેરિયન્ટ વિશે જાણકારી મળી છે. દેશભરમાંથી આ નવા વેરિયેન્ટના 163 કેસ સામે આવ્યા છે.રાજ્યવાર આંકડા અનુસાર, કેરળ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. દક્ષિણના આ રાજ્યમાં 1,957 સક્રિય કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ રાજ્યમાં 7 નવા કેસનો ઉમેરો થયો છે. આ સિવાય મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં સક્રિય કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોચી છે.  રિપોર્ટ અનુસાર, દેશભરમાંથી નવા XFG વેરિયન્ટના 163 કેસ મળી આવ્યા છે. જેમાંથી, મહારાષ્ટ્રમાં 89, તમિલનાડુમાં 16, કેરળમાં 15, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. XFG વેરિયન્ટ કોરોના વાયરસના ઓમિક્રોન ઉપ-વેરિયન્ટમાંથી ઉદભવેલો છે. પ્રતિષ્ઠિત જર્નલ ધ લેન્સેટ અનુસાર, આ વેરિયન્ટ પહેલા કેનેડામાં મળી આવ્યો હતો. XFGના કુલ ચાર પ્રમુખ મ્યૂટેશન મળી આવ્યા છે. જે તેને વધુ સંક્રામક અને રોગ પ્રતિકારક શક્તિની સિસ્ટમથી બચવામાં સક્ષમ બનાવે છે. આ સાથે જ તે વેક્સિન બાદ મળેલી ઈમ્યુનિટીને પણ થાપ આપી શકે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઈ મોત થયું નથી. પરંતુ, 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધીમાં 65 દર્દીના મોત થયા છે.

MS ધોની ICC હૉલ ઓફ ફેમમાં સામેલ: આ સન્માન શું છે? કોનો-કોનો સમાવેશ કરાયો?

દુબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્વ પ્રસિદ્ધ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીને ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ સન્માનિત કર્યા છે. ધોનીને ICC હોલ ઓફ ફેમ 2025માં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ આ સન્માન મેળવનારા 11મા ભારતીય ક્રિકેટર છે. ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, 2007માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેમણે 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેમણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final 2025) ના માત્ર 2 દિવસ પહેલા લંડનમાં એક સમારોહ યોજાયો હતો, જેમાં MS Dhoni સહિત 7 દિગ્ગજ ક્રિકેટરોને હોલ ઓફ ફેમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ICCએ નિવેદન જાહેર કર્યું

ICC એ આ અંગે જણાવ્યું હતું કે, ‘દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા, મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.’

હોલ ઓફ ફેમ 2025માં કોને-કોને સામેલ કરાયા?

ICC એ હોલ ઓફ ફેમ 2025 માં પાંચ પુરુષ અને બે મહિલાઓ સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારાહ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે.

સન્માન બદલ ધોનીએ શું કહ્યું?

ધોનીએ આ અંગે કહ્યું કે, ‘ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એ એક મોટા સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ હોવું એ એક અદ્ભુત અનુભવ છે. આ એવી વસ્તુ છે જે હું હંમેશા યાદ રાખીશ.’

હોલ ઓફ ફેમ સન્માન શું છે?

ICC હૉલ ઓફ ફેમ એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા સ્થાપિત એક પ્રતિષ્ઠિત સન્માન છે, જે ક્રિકેટના ઇતિહાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા ખેલાડીઓને આપવામાં આવે છે. આ સન્માન એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અસાધારણ પ્રદર્શન કર્યું હોય અને રમત પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હોય.

ICC હોલ ઓફ ફેમમાં સામેલ ભારતીય ક્રિકેટરોની યાદી

સુનીલ ગાવસ્કર, બિશેન સિંહ બેદી, કપિલ દેવ, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વીનુ માંકડ, ડાયના એડુલજી, વીરેન્દ્ર સેહવાગ, નીતુ ડેવિડ, એમ. એસ. ધોની

લોસ એન્જલસમાં સૈનિકો મોકલવા બદલ ટ્રમ્પ સામે કેસ

અમેરિકા: લોસ એન્જલસમાં ઈમિગ્રેશનના કાયદાઓ વિરુદ્ધ હિંસક દેખાવો થઈ રહ્યા છે. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બે હજાર નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના આદેશ આપ્યા હતા. જો કે આ પગલા બદલ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ સામે જ કેસ કરી દેવાયો છે. રાજ્યના ગવર્નરનું કહેવું છે કે કાયદો વ્યવસ્થા સંભાળવામાં તેઓ સક્ષમ છે અને ટ્રમ્પે તેમાં દખલ આપવાની જરૂર નથી.

કેમ કરાયો કેસ? 

કેલિફોર્નિયાના અધિકારીઓ નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યના અધિકારીઓ કહી રહ્યા છે કે નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો નિર્ણય ગેરકાયદેસર છે અને તેના કારણે જ પરિસ્થિતિ વધુ તનાવપૂર્ણ બની રહી છે. કેલિફોર્નિયાના એટોર્ની જનરલ રોબ બોનટાએ સોમવારે કેસની જાણકારી આપતા કહ્યું, કે ‘ડોનાલ્ડ ટ્રમ્પે તમામ હદો પાર કરી દીધી છે. તેમણે ગવર્નર ગેવિન ન્યૂસમની સંમતિ વિના જ સૈનિક તૈનાત કરવાના આદેશ આપ્યા. રાષ્ટ્ર પ્રમુખ જાણી જોઈને દેશમાં અરાજકતા અને સંકટ પેદા કરી રહ્યા છે જેથી પોતાના રાજકીય હિત મેળવી શકે.’

કેસમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં કોઈ વિશેષ પરિસ્થિતિમાં જ રાષ્ટ્ર પ્રમુખને સૈનિક મોકલવાનો અધિકાર છે. એવો કોઈ વિદેશી હુમલો કે અમેરિકન સરકાર સામે બળવો હાલ નથી થઈ રહ્યો. જેથી ટ્રમ્પે સૈનિકો મોકલવાનો આદેશ આપી કાયદાનો દુરુપયોગ કર્યો છે.

ગવર્નરે કહ્યું- ટ્રમ્પ આગમાં ઘી નાંખી રહ્યા છે 

કેલિફોર્નિયાના ગવર્નર ન્યૂસમે ટ્રમ્પ સરકારને પત્ર લખી સૈનિકો હટાવવાની માગ કરી છે. તેમણે કહ્યું છે કે, લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની કોઈ જરૂર નથી. સૈનિકો મોકલવા એ રાજ્યની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. એવું લાગે છે કે પરિસ્થિતિ વધુ ખરાબ કરવા માટે જાણી જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.’

બીજી તરફ વિરોધ છતાં ટ્રમ્પ પાછળ હટવા તૈયાર નથી. પેન્ટાગને તો ત્યાં સુધી કહ્યું છે કે જરૂર પડી તો હજુ સૈનિકો મોકલીશું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૦ જૂન ૨૦૨૫

પંચાંગ 10/06/2025

Axiom-4 મિશન લોન્ચ મુલતવી રાખવામાં આવ્યું

Axiom-4 મિશનનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર લોન્ચિંગ ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ મિશન મુલતવી રાખવામાં આવ્યું છે. હવે આ મિશનનું લોન્ચિંગ 11 જૂને થશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપવામાં આવી હતી. X પોસ્ટમાં ISROએ તેના વડા ડૉ. વી. નારાયણનને ટાંકીને કહ્યું હતું કે હવામાનની સ્થિતિને કારણે ભારતીય ગગનયાત્રીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવા માટેના એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ 10 જૂનને બદલે 11 જૂને મુલતવી રાખવામાં આવ્યું છે. આગામી લોન્ચિંગ સમય 11 જૂન સાંજે 5.30 વાગ્યે છે.

કેન્દ્રીય મંત્રીએ પણ માહિતી આપી

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પણ X પોસ્ટમાં આ સંદર્ભમાં માહિતી આપી છે. તેમણે લખ્યું કે પ્રતિકૂળ હવામાનને કારણે, ભારતીય ગગનયાનને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લઈ જનારા એક્સિઓમ-4 મિશનના પ્રક્ષેપણને 10 જૂનથી સંભવતઃ 11 જૂન, 2025 સુધી ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું છે. જો કોઈ અપડેટ્સ હોય, તો તે મુજબ શેર કરવામાં આવશે.

ટ્રમ્પ-મસ્ક અને ઘણા આરબ નેતાઓને મારી નાખવાની ધમકી

યમનમાં અલ-કાયદા સાથે સંકળાયેલા AQAP (અલ-કાયદા ઇન ધ અરેબિયન પેનિનસુલા) ના નવા નેતા સાદ બિન આતિફ અલ-અવલાકીએ પહેલીવાર ધમકીભર્યો વીડિયો બહાર પાડ્યો છે. આમાં તેમણે ખુલ્લેઆમ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક એલોન મસ્ક તેમજ અન્ય ઘણા અમેરિકન નેતાઓને ધમકી આપી છે. આ વીડિયો ઝડપથી ઓનલાઈન ફેલાઈ રહ્યો છે અને AQAP સમર્થકો દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો લગભગ 30 મિનિટ લાંબો છે અને તેમાં ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધના બહાને અમેરિકા અને આરબ દેશોના નેતાઓ પર હુમલો કરવાની સીધી વાત છે. અલ-અવલાકીએ કહ્યું છે કે ગાઝામાં જે બન્યું છે અને થઈ રહ્યું છે તે પછી, હવે કોઈ લાલ રેખા બાકી નથી. બદલો લેવાનું વાજબી છે. આ વીડિયોમાં ટ્રમ્પ, એલોન મસ્ક, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, વિદેશ પ્રધાન માર્કો રુબિયો અને સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથના ચિત્રો બતાવવામાં આવ્યા હતા. ઉપરાંત, મસ્કની ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના લોગો પણ વીડિયોમાં સામેલ કરવામાં આવ્યા હતા.

સાદ બિન આતિફ અલ-અવલાકી કોણ છે?

આ એ જ વ્યક્તિ છે જેના પર અમેરિકાએ પહેલાથી જ $6 મિલિયનનું ઇનામ જાહેર કર્યું છે. તેણે ભૂતપૂર્વ AQAP ચીફ ખાલિદ અલ-બતારફીનું સ્થાન લીધું હતું, જે 2024 માં માર્યા ગયા હતા. અમેરિકા કહે છે કે અલ-અવલાકીએ અગાઉ પણ ખુલ્લેઆમ અમેરિકા અને તેના સાથીઓ પર હુમલા કરવાની અપીલ કરી છે.

શું AQAP ફરીથી તાકાત ભેગી કરી રહ્યું છે?

AQAP એક સમયે અલ-કાયદાની સૌથી ખતરનાક શાખા માનવામાં આવતી હતી. તાજેતરના વર્ષોમાં, ડ્રોન હુમલાઓ અને આંતરિક સંઘર્ષોને કારણે તેની તાકાતમાં ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં આ જૂથ પાસે હજુ પણ 3,000 થી 4,000 લડવૈયાઓ અને સમર્થકો હોવાનું માનવામાં આવે છે. આ લોકો બેંક લૂંટ, હથિયારોની દાણચોરી, ખંડણી અને નકલી નોટો દ્વારા પૈસા કમાય છે.

શું AQAP ગાઝા યુદ્ધથી લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે?

ગાઝા યુદ્ધે ઘણા ઉગ્રવાદી સંગઠનોને ફરીથી ચર્ચામાં લાવ્યા છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરો પહેલાથી જ ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કરી રહ્યા છે અને હવે AQAP પણ પોતાને ‘મુસ્લિમોનો રક્ષક’ ગણાવીને પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હુથીઓને પહેલા AQAPના દુશ્મન માનવામાં આવતા હતા, પરંતુ હવે બંને વચ્ચેનો સીધો સંઘર્ષ ઓછો થઈ ગયો છે. યમન બાબતોના નિષ્ણાતના મતે, જેમ હુથીઓ ઇઝરાયલ સામેની લડાઈમાં પોતાને મુસ્લિમોનો નેતા બનાવી રહ્યા છે, તેવી જ રીતે અલ-અવલાકી પોતાને તેમના હરીફ તરીકે દર્શાવવા માંગે છે. આ વિડિઓ વિશ્વને યાદ અપાવવા માટે પૂરતો છે કે ‘યમન હજુ પણ મહત્વનું છે’.