Home Blog Page 891

જિન સુમિરન સે અતિ સુખ પાવે, સો સુમિરન ક્યોં છોડ દિયા…

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના લીધે હાલ ચર્ચામાં છે તે અમેરિકાની અવ્વલ દરજ્જાની વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ડૉ. હર્બટ બેન્સન નામના પ્રોફેસરે પોતાના શોધપત્રના તારણરૂપે જણાવેલું કે, ‘જો કોઈ વ્યક્તિ સવાર-સાંજ 20-20 મિનિટ મંત્રનું રટણ કરે તો તેના શરીરમાં અંતઃસ્રાવોનું ઉત્પાદન નિયમિત રહે છે. તેની નાડીના ધબકાર અને રુધિરનું દબાણ પ્રમાણસર રહે છે. સામાન્ય વ્યક્તિને 8 કલાકની ગાઢ નિંદ્રા પછી અનુભવાતી સ્ફુર્તિ અને તાજગી માત્ર 40 મિનિટના મંત્ર રટણથી પ્રાપ્ત થાય છે.’

અત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના આ પ્રોફેસરને યાદ કરવાનું કારણ? થોડી જ વારમાં એ જણાય આવશે.

પશ્ચિમી જગતમાં એવું મનાય છે કે કોઈ પણ કંપનીને કે દેશને સારી રીતે ચલાવવા વહીવટી તંત્ર સક્ષમ હોવું જોઈએ. જેમ કે, ઈઝરાયલ દેશમાં વાર્ષિક પાંચથી છ ઈંચ જ વરસાદ જ પડે છે તેમ છતાં એ સારી રીતે ખેતી કરી શકે છે, કારણ કે તેમની પાસે સારું ઍડમિનિસ્ટ્રેશન છે. એકમ ભલેને ઘર જેવો નાનો હોય કે વિશ્વ જેટલો વિશાળ, પણ તેને વ્યવસ્થિત ચલાવવા તંત્ર સુવ્યવસ્થિત હોવું જોઈએ.

હવે, ધારો કે કોઈ પ્રશ્ન પૂછે કે તંત્રને વેગવંતું કરવું હોય તો શું કરવું? જવાબ છેઃ તંત્ર સાથે યંત્ર જોડવા પડે. એક સમયે સંદેશાની આપ-લે કરવા કબૂતરોને રાખવામાં આવતાં હતાં. ત્યાર બાદ પત્રવ્યવહાર શરૂ થયો, પરંતુ આ તંત્રમાં ફોન, ફૅક્સ, ઈન્ટરનેટ અને ઈમેલ જેવાં યંત્ર અથવા ટેક્નોલોજી ભળ્યાં તો સંદેશવ્યવહારનું તંત્ર આજે ઝડપી બન્યું છે.

આજે જ્યારે માણસ માત્રના પ્રયત્નો સુખ અને શાંતિ મેળવવાના છે ત્યારે તંત્ર અને યંત્ર દ્વારા તે સુવિધાઓ અને મનોરંજન તો પામ્યો છે, પરંતુ તેની મૂળભૂત જરૂરિયાત સુખ અને શાંતિ ઘણો છેટો રહી ગયેલો જોવા મળે છે.

અંગ્રેજ ઈતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટોયમ્નીએ કહ્યું છે કે ઍટ ધિઝ સુપ્રીમલી ડેન્જરસ મોમેન્ટ ઈન ધ હ્યુમન હિસ્ટરી, ધ ઓન્લી વે ઑફ સાલ્વેશન ફૉર મેનકાઈન્ડ ઈઝ ધ ઈન્ડિયન વે અર્થાત્ અત્યારના અંધાધૂંધીથી ભરેલા સમયમાં મોક્ષ મેળવવાનો એકમાત્ર ઉપાય છેઃ ભારતીય શાસ્ત્રો દ્વારા ઋષિમુનિઓએ બતાવેલો સુખનો રાજમાર્ગ.

હા, માર્ગદર્શક તરીકે આપણા ઋષિ-સાધુ-સંતો સુયોગ્ય છે, કારણ કે તેઓ તંત્ર અને યંત્રની સાથે મંત્રના જ્ઞાતા હતા. આજથી દસ હજાર વર્ષ પહેલા વિશ્વની પ્રથમ લોકશાહીનું તંત્ર ભારતમાં હતું. વળી છ બળદથી ખેતી કરવાનું યંત્ર પણ એ સમયે ભારતમાં હતું. આમ છતાં ઋષિમુનિઓએ આપણા શાસ્ત્રોમાં તંત્ર અને યંત્ર કરતાં પહેલાં ભગવાનના મંત્રને મૂક્યો. તેઓ જાણતા હતા કે સુખ અને શાંતિ મેળવવાનો શાશ્વત ઉપાય ભગવાનના મંત્રમાં રહેલો છે.

ભગવાનનો મંત્ર એ માત્ર કક્કો-બારખડીથી બનેલો શબ્દ નથી, પણ મંત્રની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે, ‘મંત્રયતે અનેન ઈતિ મન્ત્રઃ ભાવાર્થઃ ‘જે ભગવાનમાં જોડી આપે તે મંત્ર.’

પ્રશ્ન એ છે કે મંત્રજાપ તો આપણે પણ કરીએ છીએ તો પછી ભગવાનમાં જોડાણ કેમ નથી થતું? તો જવાબ છે કે, યોગ્ય પદ્ધતિની ઊણપ. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ઘણી વાર કહેતા કે, ‘ભગવાનના નામનો મંત્રજાપ મહિમાથી, વિશ્વાસ લાવીને અને પ્રીતિપૂર્વક કરવો.’

મંત્રશક્તિનો અનોખો અનુભવ જર્મનીના કૉન્સલ જનરલ લાઉલ રેનરને પણ થયો હતો. 2001ના કચ્છ ધરતીકંપની બચાવકામગીરીમાં 37 એક્સપર્ટ્સ અને 7 સ્નિફર ડૉગ્સની ટુકડી સાથે જોડાયા હતા. કોઈ જગ્યાએ કાટમાળ તળેથી અવાજ સંભળાય તો તેઓ ત્યાં ધ્વનિવર્ધક યંત્ર મૂકી તપાસ કરે, શ્વાન ગંધ લઈ એમને મદદરૂપ થાય. જો કોઈ વ્યક્તિ ત્યાં દટાયેલી હોય અને જીવંત હોય તો તેને તત્કાળ બચાવી શકાય. આવી એક વ્યક્તિને કાટમાળ હેઠળથી બહાર લાવ્યા તો તેમના આશ્ચર્ય વચ્ચે એ સંપૂર્ણ સ્વસ્થ હતી. રેનરે પોતાનો સ્વાનુભવ કહેતાં જણાવ્યું કે 50 કલાકથી વધુ અહંકાર, અનિશ્ચિતતા, અસહાયતા અને અસલામતી વચ્ચે કોઈ વ્યક્તિ સ્વસ્થતાથી રહી શકે તેવું તેમણે પ્રથમ વખત નોંધાયું છે. બહાર આવેલી વ્યક્તિને જ્યારે તેની સ્વસ્થતા અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે જણાવ્યું કે 70-70 કલાકથી એ સ્વામિનારાયણ મહામંત્રનું અખંડ રટણ કરી રહેલી, જેના કારણે તેના મન ઉપર તત્કાલીન પરિસ્થિતિની કોઈ અસર થઈ નહોતી.

આપણે પણ આપણા ઉપાસ્ય દેવના મંત્રજાપના અનેક લાભોને પોતાના કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

પંચાંગ 29/05/2025

પ્રાર્થનાની તીવ્રતા

ભગવદ ગીતામાં એક વાર્તા છે. એક વાર કૃષ્ણને ભોજન પીરસવામાં આવ્યું ત્યારે તેઓ અચાનક ઊભા થઈ ગયા અને કહ્યું, “મારે તરત જ જવું પડશે.” ગોપીઓએ વિનંતી કરી, “ના, ના, કૃપા કરીને પહેલાં ભોજન લો. તમારા કરતાં વધારે મહત્વનું કંઈ નથી. બીજી બધી વસ્તુઓ રાહ જોઈ શકે છે.” પરંતુ કૃષ્ણએ દ્રઢતાથી કહ્યું, “મારો એક ભક્ત મુશ્કેલીમાં છે અને ખરા દિલથી મને બોલાવી રહ્યો છે. મારે જવું જ પડશે.”

તેઓ ઝડપથી બહાર નીકળ્યા, પરંતુ લગભગ તરત પાછા ફર્યા. ગોપીઓએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, “શું થયું?” કૃષ્ણે ઉત્તર આપ્યો, “હું જ તેનો એકમાત્ર આશરો છું એવું માનીને શરૂઆતમાં તેણે મને પોકાર્યો હતો. પરંતુ થોડીવાર પછી તેને લાગવા માંડ્યું કે કદાચ બીજી કોઈ વસ્તુ પણ તેની મદદ કરી શકે છે. હવે તે બીજી વસ્તુઓ પરત નિર્ભર થયો છે, એટલે હું રાહ જોઈ શકું છું. તેણે મને સમય આપ્યો છે. હવે હું પહેલાં ભોજન લઈ લઉં, પછી જઈશ.”

આ વાર્તા શ્રદ્ધા અને પ્રાર્થનાની તીવ્રતાની તાકાત દર્શાવે છે. જેટલી વધુ તીવ્રતા હોય, તેટલો ઝડપી પ્રતિસાદ મળે છે. જ્યારે તીવ્રતા ઘટે છે ત્યારે પણ સહાય તો મળે છે—પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે.

જ્યારે તમે કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે ગહનતાથી જોડાયેલા હોવ છો ત્યારે પ્રેમ જન્મે છે. અને પ્રેમમાંથી તલપ ઊપજે છે. આ તલપ વધુ તીવ્ર થવી જોઈએ. જ્યારે તે એટલી તીવ્રતાએ પહોંચે છે કે હવે એ પ્રેમ સિવાય બીજું કંઈ પણ તમને સંતોષી નહીં શકે, ત્યારે તે બધું હચમચાવી નાંખે છે—તાણ, ભાવનાઓ, નકારાત્મકતા. આ બધાને પાર કરવા તમારે અત્યંત ધીરજ અને ઊંડી પ્રાર્થનાની જરૂર પડે છે.

આ પ્રાર્થના સામાન્ય નથી; તે તમારા અંતરના ઊંડાણેથી જન્મે છે. બેચેની, તલપ, નિરાશા અને હતાશા—આ બધું નાભિથી લઈને ગળા સુધીના વિસ્તારમાં મંડરાય છે. તેમને પાર કરવા માટે તમારે વધુ ઊંડા ઉતરવું પડે છે, બીજા ચક્રમાં જવું પડે છે. જ્યારે તમને સંપૂર્ણપણે નબળું અને અસહાય લાગે છે ત્યારે સમર્પણ ઊપજે છે.તમે કહો છો, “હું બધું ત્યજી દઉં,”. એ સમયે પ્રાર્થના સાચે જ તીવ્ર બને છે. એ હૃદયમાંથી ઉપજતી સામાન્ય પ્રાર્થના નથી હોતી.આવી ક્ષણોમાં એ પૂરતી નથી હોતી.

કૃતજ્ઞતા હૃદયમાંથી પ્રાર્થના જન્માવે છે. પરંતુ જ્યારે તમે દુઃખી હોવ છો ત્યારે તમે તમારા અસ્તિત્વમાંથી પ્રાર્થો છો—તમારા ઊંડાણેથી. આ ઊંડાણ પ્રથમ અને દ્વિતીય ચક્ર વચ્ચે આવેલું છે. અને ત્યાંથી ઉદ્ભવેલી પ્રાર્થના તીવ્ર બને છે. એનું કારણ એ છે કે દૈવી શક્તિ નબળાઓની પડખે ઊભી જ હોય છે. તેથી જ તેને “દીનબંધુ” કહેવામાં આવે છે— એટલે કે અસહાય અને નમ્રજનોના મિત્ર.

જ્યારે તમે એ અસહાયતાની અવસ્થામાંથી પ્રાર્થના કરો છો કે “હું આ મુશ્કેલી એકલો પાર નહીં પડી શકું. મને સહાય જોઈએ છે”, ત્યારે તમે તરત જ પરિવર્તન થતું જોઈ શકો છે.

દિવ્યતા માટેની તલપ બીજા વિકલ્પોને લીધે મંદ ના થવી જોઈએ—એ વ્યક્તિ હોય, પદ કે possession. દુન્યવી ઇચ્છાઓ કેટલી તીવ્ર હોઈ શકે છે તરફ ધ્યાન આપો.દિવ્યતા માટેની તરસ એના કરતાં લાખોગણી વધુ હોવી જોઈએ. એની સાથે દુઃખ પણ વધારે થાય છે— પણ પરમાનંદ પણ એટલોજ વધારે હોય છે. દુન્યવી ઈચ્છાઓથી મળતો સંતોષ નાનકડો અને ટૂંકાગાળાનો હોય છે.જ્યારે દિવ્ય પ્રેમ તમને સંપૂર્ણપણે તૃપ્ત કરે છે. તે તમને પૂર્ણ બનાવે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

શું કોરોના વાયરસ ફરી તબાહી મચાવશે? બાબા વેંગાની ભયાનક આગાહી

ભારતમાં કોરોના વાયરસ (COVID-19) ના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, દાયકાઓ પહેલા કરવામાં આવેલી એક આગાહી લોકોના હૃદયમાં ભય પેદા કરી રહી છે. આ આગાહી બીજા કોઈએ નહીં પણ જાપાનના પ્રખ્યાત મંગા કલાકાર ર્યો તાત્સુકી દ્વારા કરવામાં આવી હતી, જે ‘બાબા વેંગા’ તરીકે જાણીતા છે. ર્યોએ આગાહી કરી હતી કે 2030 માં ફરી એક જીવલેણ વાયરસ તબાહી મચાવશે. જાપાની બાબા વેંગા ર્યો તાત્સુકીની અગાઉની કેટલીક આગાહીઓ સાચી પડી છે, જેમ કે 2020 માં કોરોના વાયરસ જેવા રોગચાળાનું આગમન, વાયરસ અંગે દાયકાઓ પહેલા તેમણે કરેલી બીજી આગાહી વિશે લોકોમાં ભયનું વાતાવરણ છે.

10 વર્ષ પછી વાયરસ ફરીથી તબાહી મચાવશે!

જાપાનના આ ‘બાબા વેંગા’ એ 1999 માં ‘ધ ફ્યુચર એઝ આઈ સી ઈટ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેના દુઃસ્વપ્નોમાંથી ઉદ્ભવેલી કેટલીક ચિંતાજનક આગાહીઓ હતી. પોતાના પુસ્તકમાં, મહિલાએ એક મહામારીનો ઉલ્લેખ કર્યો છે અને ઉલ્લેખ કર્યો છે કે 2020 માં એક અજાણ્યો વાયરસ આવશે, જે એપ્રિલમાં વિનાશ મચાવ્યા પછી ધીમો પડી જશે, અને પછી 10 વર્ષ પછી ફરીથી દેખાશે.’બાબા વેંગા’ ની નવી વાયરલ આગાહી કહે છે કે આ વાયરસ વધુ વિનાશ સાથે પાછો આવશે. રિયોના પુસ્તક અનુસાર, વાયરસ પહેલા કરતા વધુ ઉગ્ર રીતે બહાર આવશે અને વધુ લોકોને મારી નાખશે. આ સાથે તે ફરી એકવાર વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થાનો નાશ કરશે.

coronavirus.

ICMR એ શું કહ્યું?

દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલ કહે છે કે હાલમાં કોવિડના વધતા કેસોની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું, દક્ષિણ ભારતમાંથી લેવામાં આવેલા નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે COVID-19 ના નવા પ્રકારો ગંભીર નથી, અને આ ઓમિક્રોન સબ વેરિઅન્ટ છે.

પંચાંગ 28/05/2025

ઘઉંના લોટનો ઉપમા

પૌષ્ટિક અને ત્વરિત બનતો ઘઉંના લોટનો ઉપમા એ વિદર્ભની વાનગી છે. બનાવી જુઓ!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 2 વાટકી
  • તેલ 1 વાટકી
  • કળી પત્તાના પાન 8-10
  • આમલીનો પલ્પ અથવા દહીં 3 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • રાઈ ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • શીંગદાણા 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સાકર 1 ટી.સ્પૂન

રીતઃ એક વાસણમાં 3 કપ પાણી મધ્યમ આંચે ગરમ કરી રાખો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં શીંગદાણા તળીને એક ડીશમાં કાઢી લેવા. એ જ તેલમાં રાઈનો વઘાર કરી, રાઈ તતડે એટલે જીરૂ વઘારીને લીમડો તેમજ સમારેલાં લીલા મરચાં ઉમેરવા. હવે ગેસ ધીમો કરીને હીંગ, લાલ મરચાં પાઉડર, હળદર મેળવીને તરત જ ઘઉંનો લોટ ઉમેરીને તવેથા વડે મેળવીને 2 મિનિટ સુધી શેકી લો.

હવે તેમાં સાકર તથા મીઠું સ્વાદ મુજબ મેળવીને આમલીનો પલ્પ અથવા દહીં નાખીને તવેથા વડે સરખું મિક્સ કરીને અડધી કોથમીર મેળવી દો.  2 મિનિટ ધીમા તાપે શેકી લીધા બાદ તેમાં ગરમ પાણી 1 કપ મેળવો અને કઢાઈ ઢાંકીને 2-3 મિનિટ થવા દો. ફરીથી તેમાં 1-2 કપ પાણી મેળવીને ઢાંકીને 2-3 મિનિટ બાદ તેમાં તળેલા શીંગદાણા તેમજ બાકી રહેલી કોથમીર મેળવીને ગેસ બંધ કરીને દો. 1-2 મિનટ બાદ આ ઉપમા દહીં તેમજ કેરીના અથાણાં સાથે પીરસો.

૨૮ મે ૨૦૨૫

IPL 2025 : લખનૌ સામે બેંગ્લોરની રોયલ જીત, ટોપ-2 માં પહોંચ્યું

IPL 2025 ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન મેળવ્યું. આ મેચમાં ટોસ જીત્યા બાદ, RCB એ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ટિમ ડેવિડ અને જોશ હેઝલવુડ રમી રહ્યા ન હતા. લખનૌની ટીમ પહેલા બેટિંગ કરવા આવી. પંતની અણનમ 118 રનની ઇનિંગ્સના આધારે લખનૌએ આરસીબીને 228 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં RCB એ જીતેશ શર્માની અણનમ 85 રનની ઇનિંગ્સના આધારે 19મી ઓવરમાં કુલ સ્કોરનો પીછો કર્યો.

228 રનના લક્ષ્યાંકના જવાબમાં RCB ની શરૂઆત શાનદાર રહી. ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ આક્રમક રીતે ઇનિંગ્સની શરૂઆત કરી. પરંતુ RCB ને છઠ્ઠી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો જ્યારે સોલ્ટ 30 રન બનાવીને આઉટ થયો. પરંતુ કોહલી એક છેડે અડગ રહ્યો. કોહલીએ 27 બોલમાં ફિફ્ટી ફટકારી. પરંતુ 8મી ઓવરમાં, RCB ને બે ઝટકાનો સામનો કરવો પડ્યો જ્યારે રજત પાટીદાર અને લિવિંગસ્ટોન એક જ ઓવરમાં આઉટ થયા. પરંતુ 12મી ઓવરમાં, વિરાટ કોહલી 54 રન બનાવીને આઉટ થઈ ગયો. કોહલીએ 30 બોલમાં 54 રન બનાવ્યા. પરંતુ આ પછી મયંક અને જીતેશ શર્મા વચ્ચે શાનદાર ભાગીદારી થઈ. બંનેએ વિસ્ફોટક રીતે બેટિંગ કરી. એક સમયે, RCB ને 30 બોલમાં ફક્ત 51 રનની જરૂર હતી. જીતેશ શર્માએ 22 બોલમાં તોફાની ફિફ્ટી ફટકારી. આ પછી, જીતેશે શાનદાર બેટિંગ કરી. જીતેશે માત્ર 33 બોલમાં 85 રનની અણનમ ઇનિંગ રમી. તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. તે જ સમયે, મયંક અગ્રવાલે 23 બોલમાં 41 રનની અણનમ ઇનિંગ રમી. આ કારણે RCB આ મેચ જીતી ગયું.

પહેલા બેટિંગ કરવા આવેલા લખનૌની શરૂઆત સારી રહી ન હતી. મેથ્યુ બ્રિટ્ઝકેની વિકેટ ત્રીજી ઓવરમાં જ પડી ગઈ. તેના બેટમાંથી ફક્ત 14 રન જ આવ્યા. પરંતુ આ પછી કેપ્ટન ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો અને તે આ મેચમાં એક અલગ જ લયમાં જોવા મળ્યો. આખી સીઝન દરમિયાન પંતના બેટમાંથી એક પણ રન નીકળ્યો નહીં. પરંતુ આ મેચમાં પંત એક અલગ જ લયમાં જોવા મળ્યો. તેણે દરેક બોલર સામે રન બનાવ્યા. લખનૌનો સ્કોર 7 ઓવરમાં 68-1 હતો. ૧૦મી ઓવરમાં, ઋષભ પંતે 29 બોલમાં ફિફ્ટી ફટકારી અને લખનૌનો સ્કોર 100 થી વધુ લઈ ગયો. આ સમયગાળા દરમિયાન લખનૌએ 3 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 14મી ઓવરમાં, મિશેલ માર્શે 31 બોલમાં ફિફ્ટી ફટકારી. આ સિઝનમાં આ તેની છઠ્ઠી ફિફ્ટી હતી. પરંતુ લખનૌને બીજો ઝટકો લાગ્યો જ્યારે મિશેલ માર્શ 16મી ઓવરમાં 177ના સ્કોર પર 67 રન બનાવીને આઉટ થઈ ગયો. ભુવનેશ્વર કુમારે તેની વિકેટ લીધી. ઋષભ પંતે 18મી ઓવરમાં 54 બોલમાં સદી ફટકારી. તેની ઇનિંગના આધારે લખનૌનો સ્કોર 200 ને પાર કરી ગયો. પંતે 100 રનની ઇનિંગમાં 6 છગ્ગા ફટકાર્યા. પંતે 61 બોલમાં 118 રનની ઇનિંગ રમી હતી જેમાં 8 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. આના આધારે લખનૌએ RCB સામે 228 રનનો લક્ષ્યાંક રાખ્યો છે.

 

ગુજરાતી રંગમંચના દિગ્ગજ નિર્માતા અને કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન

ગુજરાતી રંગમંચના જાણીતા નિર્માતા અને કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન થયું છે. રંગભૂમિના દિગ્ગજ અને અનુભવી કલાકારના નિધનથી નાટક ક્ષેત્રે મોટી ખોટ પડી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને નાટક જગતના કલાકારો કૌસ્તુભ ત્રિવેદીના નિધન પર શૉક વ્યક્ત કરી રહ્યાં છે.

જે લોકો નાટક ક્ષેત્રે સક્રિય છે તેઓ કૌસ્તુભ ત્રિવેદીથી પરિચિત જ હશે. એક અભિનેતા તરીકે શરૂ કરેલી કારકિર્દી બાદ તેમણે નાટક ક્ષેત્રે લાંબી મજાલ કાપી. તેમણે અનેક ફેમસ નાટકોમાં કામ કર્યુ હતું. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં કેવટની ભૂમિકા પણ ભજવી હતી. કૌસ્તુભ ત્રિવેદીના નિધનના સમાચાર સાંભળી અભિનય જગતના કલાકારો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

કૌસ્તુભ ત્રિવેદીએ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે તે નાટકના નિર્માણ તરફ વળ્યા હતાં. કૌસ્તુભ ત્રિવેદીએ પપ્પા અમારા પ્રાઈમ મિનિસ્ટર, પપ્પા મારા પ્રેમ ચોપરા જેવા નાટકો આપ્યા છે. આ સિવાય તો તાજેતરના નાટકોની વાત કરીએ તો તેમાં ડિયર ફાધર, ગર્વથી કહો અમે ગુજરાતી છીએ અને આર યા પાર જેવા નાટકો સામેલ છે. ગુજરાતી નાટક ક્ષેત્રે તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.

ઓપરેશન સિંદૂરથી માતાઓ અને બહેનોને ગર્વ થયોઃ ગૃહમંત્રી અમિત શાહ

મુંબઇમાં માધવબાગ ખાતે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરનો ૧૫૦મો જયંતિ મહોત્સવ ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો. આ ઐતિહાસિક સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી અને મલબાર હિલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મંગલપ્રભાત લોઢા, મંદિર ટ્રસ્ટના ભરતભાઇ શાહ, કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના મહેશભાઇ શાહ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.

કેન્દ્રિય ગુહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૧૧ વર્ષના કાર્યકાળને સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવશે. મજબૂત ઇચ્છાશક્તિના બળથી ઘણા વર્ષોથી અટવાયેલા ઐતિહાસિક નિર્ણયો તેમના કાર્યકાળ દરમિયાન લેવામાં આવ્યા છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ હવે એક બદલાયેલું ભારત છે, જે આપણી માતાઓ અને બહેનોના ઘરમાં ઘૂસીને તેમના કપાળ પર સિંદૂર લગાવનારાઓને ઠાર મારી નાખે છે. આજે આખું વિશ્વ ‘સિંદૂર’ શબ્દનો અર્થ અને તેનું મહત્વ સમજે છે. ઓપરેશન સિંદૂર દ્વારા આપણી માતાઓ અને બહેનોને ગર્વ અને સુરક્ષાનું આભાસ થયો છે.

પ્રધાનમંત્રીના કાર્યકાળમાં ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે એમ કહેતાં અમિતભાઇએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે માધવબાગ પરિવારને ૧૫૦ વર્ષની સેવા માટે અભિનંદન પાઠવતાં તેમણે સુચન કર્યું કે સંસ્થાના ૨૦૦ વર્ષે ગીતા, ઉપનિષદ અને વેદનું શિક્ષણ, માતૃભાષા માટે તાલીમ કેન્દ્ર અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એમના સંબોધનમાં કહ્યું હતું કે, “માધવબાગ શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના ૧૫૦ વર્ષ પૂર્ણ થવું પ્રસન્નતાજનક છે. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહ સાથે હાજર રહેવાની તક મળી એ આનંદની વાત છે. અહીં ભગવાનની માત્ર મૂર્તિ નહિ, ભૌતિક હાજરી અનુભવાય છે તેથી સેવા કાર્ય સતત ચાલે છે. માધવબાગ ગાય સેવા અને સમાજસેવા જેવા રાહત કાર્યમાં હંમેશા આગળ રહ્યું છે. સમાજસેવામાં યોગદાન આપનારોને નમન કરું છું અને માધવબાગ પરિવારને શુભેચ્છા પાઠવુ છું”

આ મહોત્સવની શરૂઆત ખાસ પૂજાથી થઈ હતી. ત્યારબાદ સંગીત નાટક એકેડેમીના પ્રમુખ સંધ્યા પુરેચા અને સરફોજી રાજે ભોંસલે સંસ્થા દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની ૧૫૦મી જન્મજયંતિનો ઉત્સવ માત્ર ધાર્મિક ઉજવણી જ નહોતો, પરંતુ શ્રદ્ધા, સમાજ સેવા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક પણ હતો. કાર્યક્રમનું આયોજન શ્રી લક્ષ્મી નારાયણ મંદિર અને માધવબાગ ચેરિટીના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.