Home Blog Page 907

રાજ્યનો પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ 23 મેથી થશે શરૂ

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું તા.23 મેના રોજ સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ એડ્વેન્ચર ફેસ્ટ’માં જમીન,પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ એક્ટિવિટીઝ,રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ વિશે વિગતો આપતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જેવા કે પાણીમાં પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે. તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઈમિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ફેસ્ટમાં ધરોઇ આવતા પ્રવાસીઓને એક યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર ઉપરાંત મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અતિઆધુનિક AC ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ,ડિલક્સ ટેન્ટ સહિતના કુલ 21 ટેન્ટ અને અંદાજિત 100થી વધુ બેડની AC ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઈનિંગ હૉલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ એડવેન્ચર ફેસ્ટમાં તાત્કાલીક આરોગ્ય સુવિધાઓ,સર્ટિફાઇડ રાઈડ, આગ સામે સુરક્ષાના પગલાં વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.રજવાડી સ્યૂટ, પ્રીમિયમ ટેન્ટ અને ડિલક્સ એસી સ્વિસ કોટેજના પેકેજમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન, બપોરે ચા-નાસ્તો અને રાત્રિ ભોજન આપવામાં આવશે.

ટેન્ટ સિટી ખાતે રહેવા માટે ભાવપત્રક (જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે)

  કેટેગરી રાત્રિ/૨-દિવસ

(રૂપિયા)

એકસ્ટ્રા વ્યક્તિ

(રૂપિયા)

રાત્રિ/દિવસ

(રૂપિયા)

એકસ્ટ્રા વ્યક્તિ

(રૂપિયા)

રજવાડી સ્યૂટ (બે વ્યક્તિ) ૭,૦૦૦ ૧,૦૦૦ ૧૩,૦૦૦ ૨,૦૦૦
પ્રીમિયમ ટેન્ટ (બે વ્યક્તિ) ૫,૫૦૦ ૧,૦૦૦ ૯,૦૦૦ ૧,૮૦૦
ડિલક્સ એસી સ્વિસ કોટેજ (બે વ્યક્તિ) ૪,૦૦૦ ૧,૦૦૦ ૬,૦૦૦ ૧,૨૦૦
પ્રીમિયમ ડોરમેટરી ૭૦૦ ૧,૩૦૦
એસી હેંગર ડોરમેટરી ૩૫૦ ૬૦૦

અમેરિકા, ચીન નહીં ભારત બનશે વિશ્વનું ગ્રોથ એન્જિનઃ JP મોર્ગન

નવી દિલ્હીઃ ભારતની આર્થિક વૃદ્ધિની ગાડી પાટા પર છે. જેપી મોર્ગને ટ્રેડવૉરના વાદળોમાં ભારતનું અર્થતંત્ર સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. આવનારા સમયમાં ભારત એક સેફ હેવન એટેલે કે સુરક્ષિત  સ્થાન બનીને ઊભરી આવશે અને અર્થતંત્રમાં તેજી જોવા મળશે, એમ ફાઈનાન્સિયલ સર્વિસ કંપની જેપી મોર્ગનનો અહેવાલ કહે છે.

આગામી સમયમાં ભારત એક સુરક્ષિત અર્થતંત્ર તરીકે ઊભરી આવશે તેમ જ ઝડપી ગતિએ આગળ વધશે. સર્વેમાં સામેલ દેશોમાંથી ભારતનો જીડીપી સૌથી વધુ રહેવાનો અંદાજ છે. ઉભરતાં બજારો અંગે પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા છે. માર્કેટ ઈક્વિટીનું રેટિંગ પણ ન્યૂટ્રલથી વધારી ઓવરરેટ કર્યું છે. જે ઉભરતા બજારમાં વિકાસની અનેક સંભાવનાઓ દર્શાવે છે, એમ અહેવાલ કહે છે.

જેપી મોર્ગને ભારત મુદ્દે કહ્યું છે કે  વિશ્વમાં ટ્રેડવોરનો બીજો તબક્કો શરૂ થઈ શકે છે. આ સ્થિતિમાં પણ ભારત સુરક્ષિત છે. ટેરિફ વોરમાં મોટા દેશ એક-બીજા પર ટેરિફ વધારી શકે છે. આ સ્થિતિમાં રોકાણકાર સુરક્ષિત સ્થળની શોધ કરશે. જેમાં ભારત મજબૂત ફંડામેન્ટલ્સ અને સ્થિર નીતિઓના કારણે રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બની શકે છે.

ભારતની ઈકોનોમિક સાયકલ પોઝિટિવ હોવાનું જણાવ્યું છે. ભારતની ઈકોનોમિક સાયકલ પોઝિટિવ રહેવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમાં વ્યાજના દરોમાં ઘટાડો, ગ્રામીણ ક્ષેત્રોમાં માગમાં વધારો અને ટેક્સમાં ઘટાડો જેવાં પરિબળો સામેલ છે, એમ અહેવાલ કહે છે.

ગ્રામીણ માગ વધશે

વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતાં લોકોની ખરીદશક્તિ વધશે. જેનો સીધો લાભ અર્થતંત્રને મળશે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ માગ વધવાથી ભારતનું અર્થતંત્ર વેગવાન બનશે. ટેક્સમાં ઘટાડાની માગ કરીએ તો લોકો અને કંપનીઓ પાસે ખર્ચ તથા રોકાણ કરવાની ક્ષમતા વધશે. જેનાથી દેશના અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.

‘હેરા ફેરી 3’ વિવાદ પર ડિરેક્ટર પ્રિયદર્શન કહ્યું આવું

પરેશ રાવલના ફિલ્મ ‘હેરા ફેરી 3’ છોડવાના સમાચારથી ચાહકો અને ફિલ્મ ઉદ્યોગ ચોંકી ગયા છે. ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શને હવે આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે પરેશે આ નિર્ણય લેતા પહેલા તેમને કોઈ માહિતી આપી ન હતી. તે પોતે પણ આ પરિસ્થિતિથી આશ્ચર્યચકિત અને નિરાશ છે.

અમર ઉજાલા સાથેની એક ખાસ વાતચીતમાં પ્રિયદર્શને કહ્યું,’ફિલ્મ શરૂ કરતા પહેલા, મેં ત્રણેય – અક્ષય, સુનીલ અને પરેશ – ને સ્પષ્ટપણે પૂછ્યું હતું કે શું તમે લોકો તૈયાર છો? બધાએ કહ્યું – હા. પછી અમે એક દિવસ માટે શૂટિંગ પણ કર્યું. બધું સરળતાથી ચાલ્યું. પણ અચાનક પરેશજીને હટાવવાના સમાચાર આવ્યા… કંઈ પણ કહ્યા વિના, કોઈ કારણ આપ્યા વિના. આજ સુધી તેણે મારી સાથે આ વિશે વાત કરી નથી.’

ડિરેક્ટરે આગળ કહ્યું,’કોઈ કોલ નહીં, કોઈ મેસેજ નહીં. તાજેતરમાં જ અમે ‘ભૂત બાંગ્લા’નું શૂટિંગ પૂર્ણ કર્યું. આ ફિલ્મમાં પણ અક્ષય અને પરેશ બંને સાથે હતા. ત્યાં પણ બધું સામાન્ય હતું. બંને વચ્ચે એકદમ સૌહાર્દપૂર્ણ અને વ્યાવસાયિક સંબંધ હતો. કોઈ તણાવ દેખાતો ન હતો.’

જ્યારે પ્રિયદર્શનને પૂછવામાં આવ્યું કે શું અક્ષય કુમારે ખરેખર પરેશ રાવલ સામે 25 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે, ત્યારે તેમણે કહ્યું,’અક્ષય કુમાર આ ફિલ્મના અધિકારો અને નિર્માણ સંભાળી રહ્યા હતા. આવી સ્થિતિમાં, જો કોઈને નુકસાન થયું હોય તો તે ફક્ત અક્ષયનું છે.’

જો પરેશ જીને કોઈ સમસ્યા હતી તો તેમણે ઓછામાં ઓછી તેના વિશે વાત કરવી જોઈતી હતી. સારું, હું ફક્ત દિગ્દર્શક છું. મને ખબર નથી કે તેની અને અક્ષય વચ્ચે શું થયું? તેણે મને કંઈ કહ્યું નહીં કે મારી સાથે વાત પણ કરી નથી. હું સાવ અજાણ્યો છું આ સમગ્ર મામલાથી.

ચોકીદાર બાવાની દરગાહ પોલીસની સંપત્તિ

અમદાવાદ: શહેરના ચંડોળા તળાવના ચારે તરફના વિસ્તારમાં અત્યારે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજા તબક્કામાં શાહઆલમથી નારોલ તરફ જતો રસ્તો જ્યાં પહેલા બસમાં મુસાફરી કરો તો આખું ચંડોળા તળાવ શિંગોડા સહિત અનેક વનસ્પતિઓ, પક્ષીઓથી ભરેલું દેખાતું ધીરે-ધીરે ગેરકાયદેસર બાંધકામ થયા. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો હાલ ખાલી કરાવી રહી છે. આ અત્યંત સાંકડા બની ગયેલા માર્ગ પર આવેલી એક દરગાહ પર લખ્યું છે ‘ ગુજરાત રાજ્ય પોલીસની સંપત્તિ..આ એક સુરક્ષા યંત્ર છે. આની સાથે ચેડા કરવા એ ફોજદારી ગુન્હો બને છે. ચોકીદાર બાવાની દરગાહ..’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણો દૂર કરવાની કામગીરીમાં આ ચોકીદાર બાવાની દરગાહ એકદમ સુરક્ષિત છે. એની પર આ લખાણની સાથે એક જૂના જમાનાનો ગુજરાત રાજ્ય પોલીસનો એક સિક્કો પણ લગાડવામાં આવ્યો છે. જે ઐતિહાસિક અમદાવાદ શહેરની પોળોમાં જ્યારે હેરિટેજ વોક પર જાઓ તો અનેક ઇમારતો પર જોવા મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટો માઈલસ્ટોન: મુંબઈથી અમદાવાદ સુધીના 300 કિમી વાયડક્ટ્સ પૂરાં!

નવી દિલ્હી: મુંબઈ-અમદાવાદ વચ્ચે ભારતના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હ હાંસલ કરવામાં આવ્યો છે. 300 કિમી વાયડક્ટનું સફળતાપૂર્વક નિર્માણ પૂર્ણ થયું છે. આ સિદ્ધિને સુરત, ગુજરાત નજીક 40 મીટર લાંબા પૂર્ણ-સ્પાન બોક્સ ગર્ડરના લોન્ચિંગ દ્વારા મુદ્રિત કરવામાં આવી.

300 કિમીના સુપરસ્ટ્રકચરમાંથી 257.4 કિમીનો નિર્માણ ફૂલ સ્પાન લોન્ચિંગ પદ્ધતિ (F.S.L.M.) દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 14 નદીના પુલોનો સમાવેશ થાય છે. 37.8 કિમીનો ભાગ સ્પાન બાય સ્પાન (S.B.S.) પદ્ધતિથી, 0.9 કિમી સ્ટીલ પુલો (7 પુલોમાં 60 મી. થી 130 મી. લાંબા 10 સ્પાન), 1.2 કિમી P.S.C. પુલો (5 પુલોમાં 40 મી.થી 80 મી. લાંબા 20 સ્પાન) અને 2.7 કિમીનો ભાગ સ્ટેશન બિલ્ડિંગમાં સમાવેશ થાય છે.F.S.L.M. પદ્ધતિ દ્વારા 257.4 કિમી અને S.B.S. પદ્ધતિ દ્વારા 37.8 કિમીના વાયડક્ટના નિર્માણ માટે અનુક્રમે 6,455 અને 925 જેટલા 40 મીટર સ્પાન ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટે સ્થાનિક રીતે ડિઝાઇન અને ઉત્પાદન કરેલા સાધનો જેવાં કે સ્ટ્રાડલ કેરીયર્સ, લોન્ચિંગ ગેન્ટ્રીઓ, પુલ ગેન્ટ્રીઓ અને ગર્ડર ટ્રાન્સપોર્ટર્સના ઉપયોગને ટેકો આપ્યો છે. આ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રકચર માટેની એક પહેલ છે, જે જાપાની સરકારના સહયોગ સાથે ઉચ્ચ-ગતિ રેલ તકનીકીમાં ભારતની વધતી ક્ષમતાઓને પ્રદર્શિત કરે છે.ફૂલ સ્પાન લોન્ચિંગ પદ્ધતિને અપનાવવાથી બાંધકામમાં નોંધપાત્ર ઝડપ આવી છે, કારણ કે ફુલ-સ્પાન ગર્ડર એરેક્શન પરંપરાગત સેગમેન્ટલ પદ્ધતિઓની તુલનામાં દસ ગણી ઝડપી છે. દરેક ફૂલ સ્પાન બોક્સ ગર્ડરનું વજન 970 મેટ્રિક ટન છે. સેગમેન્ટલ ગર્ડર્સને ફક્ત તે સ્થાનોએ પસંદગીથી ઉપયોગ કરવામાં આવે છે જ્યાં ફૂલ-સ્પાન સ્થાપન શક્ય નથી.નિર્માણ કાર્યને સરળ બનાવવા માટે કોરિડોર પર 27 કાસ્ટિંગ યાર્ડ સ્થાપવામાં આવ્યા છે. આ સ્ટીલ બ્રિજ દેશભરમાં ફેલાયેલી સાત વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાં ત્રણ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં એક-એક વર્કશોપ છે, જે ખરેખર આપણા દેશની એકતાની ભાવનાનું ઉદાહરણ આપે છે.સંચાલન દરમિયાન અવાજને ઘટાડવા માટે વાયડક્ટ્સની આસપાસ 3 લાખથી વધુ ધ્વનિ અવરોધક સ્થાપિત કરવામાં આવ્યા છે. વાયડક્ટ્સ ઉપરાંત, પ્રોજેક્ટમાં 383 કિમી થાંભલાનું કામ, 401 કિમી ફાઉન્ડેશનનું કામ અને 326 કિમી ગર્ડર કાસ્ટિંગ પણ પૂર્ણ થયું છે.વિષય આધારિત બુલેટ ટ્રેન સ્ટેશનો ઝડપી વિકસિત થઈ રહ્યા છે. આ સ્ટેશનોને રેલ અને માર્ગ વાહનવ્યવહાર સાથે એકીકૃત કરવામાં આવશે, જેથી મુસાફરોને નિરંતર મુસાફરીનો અનુભવ મળી શકે. સ્ટેશનોને આધુનિક મુસાફર સુવિધાઓથી સજ્જ વ્યવસ્થા કરવામાં આવશે. વાયડક્ટ્સ પર પાટાનું કામ પણ શરૂ થઈ ગયું છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 157 કિલોમીટરનો આરસી પાટાની પથારીનું બાંધકામ પૂર્ણ થયું છે.મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આધુનિક માળખાગત સુવિધાઓ સાથે રોલિંગ સ્ટોક ડેપો તૈયાર થઈ રહ્યા છે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટના મજબૂત આયોજન, અત્યાધુનિક એન્જિનિયરિંગ અને “મેક ઇન ઇન્ડિયા” નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

સતત ત્રીજા દિવસે નફારૂપી વેચવાલીઃ સેન્સેક્સ 872 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ  ઘરેલુ શેરબજારોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો હતો. નબળા વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારોની વેચવાલીથી સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી સેન્સેક્સ 900 પોઇન્ટ અને નિફ્ટી 24,700ની નીચે બંધ આવ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સતત છ દિવસની તેજી પછી બજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. રોકાણકારોના રૂ. 5.35 લાખ કરોડ સ્વાહા થયા હતા.

આ ઉપરાંત એશિયાઇ દેશોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ એક જ દિવસમાં કોરોનાના 250થી વધુ કેસો નોંધાવવાના કારણે શેરબજારમાં ભયનો માહોલ છવાયો છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં અચાનક મોટા કડાકા બોલી ગયા હતા. સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 82000ની સપાટી તોડી હતી. તમામ સેક્ટરલ ઇન્ડેક્સ ઉંધા માથે પટકાયા હતા. રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે. સેન્સેક્સ 873 પોઇન્ટ તૂટીને 81186.44ના સ્તરે બંધ યો હતો, જ્યારે નિફ્ટી 262 પોઇન્ટ તૂટીને 24,683ના મથાળે બંધ થયો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તનાવ હળવો થયા બાદ ટેરિફ વોર પણ શાંત પડી જવાના કારણે મુંબઇ શેરબજારે ફરી તેજીનો ટ્રેક હાંસલ કરી લીધો હતો. પરંતુ વિશ્વમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. એશિયાઇ દેશોમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન સતત વધારો નોંધાઇ રહ્યો છે. ભારતમાં પણ એક જ દિવસમાં કોરોનાના 250થી વધુ કેસો નોંધાયા હતા. જેને કારણે શેરબજાર પર વિપરિત અસર થવા પામી છે.

BSE પર કુલ 4104 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1448 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2522 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 134 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 82 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 29 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 243 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 192 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

નેન્સી ત્યાગીના લૂકને લઈ નેહા ભસીને લગાવ્યા ગંભીર આરોપ

પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ફેશન ડિઝાઇનર તરીકે પોતાનું નામ બનાવનાર નેન્સી ત્યાગી હવે એક નવા વિવાદમાં ફસાઈ રહી હોય તેવું લાગે છે. ગાયિકા નેહા ભસીને નેન્સી પર તેના આઉટફિટની નકલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, જેના પછી ફેશન અને સોશિયલ મીડિયાની દુનિયામાં ચર્ચા વધુ તીવ્ર બની છે.

નેહા ભસીને પ્રશ્નો ઉઠાવ્યા

ગાયિકા નેહા ભસીને 18 મેના રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નેન્સી ત્યાગીનો રેડ કાર્પેટ લુક તેણીએ પહેરેલા ડ્રેસ સાથે ખૂબ જ મેળ ખાય છે. પહેલી પોસ્ટમાં, તેણીએ લખ્યું કે આ લુક પરિચિત લાગે છે અને પછી બીજી સ્ટોરીમાં, તેણીએ તે જ પોશાકમાં પોતાનો ફોટો શેર કર્યો અને ‘એ જ સરખું’ લખ્યું, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે નેન્સીએ તેની સ્ટાઇલની નકલ કરી છે.

નેન્સી ત્યાગીએ તેના ઇન્સ્ટાગ્રામ પર દાવો કર્યો હતો કે તેણે પોતાનો કાન ડ્રેસ જાતે ડિઝાઇન કર્યો હતો અને તે તેની માતાને શ્રદ્ધાંજલિ હતી. પરંતુ હવે આ દાવા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. બાંદ્રાના એક બુટિકે દાવો કર્યો હતો કે તેમણે આ ડ્રેસ નેન્સીને 25,000 રૂપિયામાં વેચ્યો હતો. બુટિક માલિકે કહ્યું કે નેન્સીએ કેપ ઉમેરીને ડ્રેસને એક અલગ દેખાવ આપવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ મૂળ ડ્રેસ તેની ડિઝાઇનનો હતો અને નેન્સીએ તે ખરીદ્યો હતો અને તેને જાતે સીવ્યો નહોતો.

નેન્સી ત્યાગી તેની ફેશન સ્ટાઇલ અને જાતે કપડાં સીવવાની કળા માટે જાણીતી છે. તેમના ઘણા ટ્રાન્સફોર્મેશન વીડિયો લાખો લોકોએ જોયા અને પ્રશંસા કરી છે. આવી સ્થિતિમાં, આ વિવાદ તેમના બ્રાન્ડ અને તેમના ફોલોઅર્સ વચ્ચેની તેમની છબીને મોટો ફટકો આપી શકે છે. જોકે, આ સમગ્ર મામલે નેન્સી દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

આ સમગ્ર વિવાદ પ્રકાશમાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે કેટલાક લોકો નેન્સીને તેની સ્ટાઇલ અને ડ્રેસને રિસ્ટાઇલ કરવા બદલ સર્જનાત્મક ગણાવી રહ્યા છે, ત્યારે ઘણા યુઝર્સ તેના પર જુઠ્ઠાણા ફેલાવવા અને બીજાઓની મહેનત ચોરી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. કેટલાક કહે છે કે ડ્રેસ ખરીદ્યો હોવા છતાં, નેન્સીએ તેને નવી શૈલીમાં રજૂ કર્યો, જ્યારે કેટલાક કહે છે કે આમ કરીને તેણે તેના ચાહકોને છેતર્યા છે.

સંસદે બનાવેલા વકફ કાયદામાં ‘સુપ્રીમ’ હસ્તક્ષેપ નહીં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ વક્ફ બોર્ડની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમના જણાવ્યા મુજબ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને બંધારણીય માન્યતા હોય છે. આવા સમયે જ્યાં સુધી કોઈ મજબૂત મુદ્દો સામે ન આવે, ત્યાં સુધી કોર્ટ હસ્તક્ષેપ કરી શકતી નથી.

કોર્ટમાં દલીલો દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે વક્ફ એ અલ્લાને અપાયેલું દાન છે. એક વાર કોઈ સંપત્તિ વક્ફ તરીકે આપવામાં આવે, તો તે હંમેશાં માટે વક્ફની બની જાય છે અને તેને બીજાને ટ્રાન્સફર કરી શકાતી નથી.

વક્ફ સુધારા અધિનિયમ 2025ને પડકાર આપતી યાચિકાઓનું પ્રતિનિધિત્વ કરતાં કપિલ સિબ્બલે કહ્યું ત્રણ જટિલ મુદ્દાઓ છે, જેમાં વક્ફ બોય યુઝરમાં એવી સંપત્તિઓ આવે છે જે વક્ફ બોર્ડને દાનરૂપે મળી નથી, પરંતુ લાંબા સમયથી વક્ફ માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. બીજું મુદ્દો એ છે કે વક્ફ બોર્ડમાં મુસ્લિમ ન હોઈ તેવા સભ્યોને સામેલ કરવાની વાત છે. ત્રીજો પ્રશ્ન વક્ફ કાયદામાં રહેલી એ જોગવાઈનો છે કે જેમાં વક્ફ સંપત્તિઓની તપાસ કરવાની જવાબદારી કલેક્ટરને આપવામાં આવી છે, એટલે કે જો કલેક્ટરને શંકા થાય કે આ સંપત્તિ વક્ફની નથી, તો તેને વક્ફની જમીન માનવામાં નહીં આવે.

છેલ્લા સુનાવણીએ સુપ્રીમ કોર્ટે વક્ફ અધિનિયમ 1955 પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો, તેમ છતાં કોર્ટે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને કેન્દ્ર સરકારને 19 મે સુધી લેખિત નોંધ રજૂ કરવાની સૂચના આપી હતી.

Cannes 2025: શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ રેડ કાર્પેટ પર

‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025’ ના રેડ કાર્પેટ સિતારાઓથી સજ્જ છે. આ દરમિયાન હિન્દી સિનેમાની સુપ્રસિદ્ધ અભિનેત્રી શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ સત્યજીત રેની ફિલ્મ ‘અરણ્યેર દિન રાત્રી’ ની સ્ક્રીનીંગમાં હાજરી આપી હતી. ફિલ્મના પ્રીમિયરમાં તે બંને રેડ કાર્પેટ પર ચાલ્યા અને તેની શોભા વધારી હતી.

અભિનેત્રી શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કર્યુ હતું. ‘અરણ્યેર દિન રાત્રી’ ના ખાસ પ્રીમિયર માટે બંનેએ સુંદર પોશાક પહેર્યો હતો. તેઓએ રેડ કાર્પેટ પર પોઝ પણ આપ્યો હતો. શર્મિલા ટાગોરે સાડી પહેરી હતી જ્યારે સિમી ગ્રેવાલનું આઉટફિટ પણ સુંદર હતું. ફિલ્મને તેના પ્રીમિયર દરમિયાન સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું હતું. લોકોએ ઉભા થઈને તાળીઓ પાડી હતી.

આ દરમિયાન શર્મિલા ટાગોરની પુત્રી સબા પટૌડી પણ હાજર હતી. રસપ્રદ વાત એ છે કે, કાન્સમાં સિમી ગ્રેવાલનું આ પહેલું પ્રદર્શન હતું.

ફિલ્મ નિર્માતા સત્યજીત રેની ફિલ્મ ‘અરણ્યેર દિન રાત્રી’ અમેરિકન ફિલ્મ નિર્માતા વેસ એન્ડરસનના નેતૃત્વ હેઠળ છ વર્ષના સમયગાળામાં ફરીથી બનાવવામાં આવી હતી. તેને પુનઃસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ વર્ષ 2019માં શરૂ થયો હતો. તે ત્યારે શરૂ થયું જ્યારે, માર્ટિન સ્કોર્સીસના ધ ફિલ્મ ફાઉન્ડેશનના બોર્ડમાં તેમના પદ દ્વારા એન્ડરસને ફિલ્મને સાચવવા અંગે ચર્ચાઓ શરૂ કરી. સત્યજીત રેના કામ પ્રત્યે દિગ્દર્શકના જુસ્સાને કારણે ગોલ્ડન ગ્લોબ ફાઉન્ડેશનના ભંડોળ સાથે ધ ફિલ્મ ફાઉન્ડેશનના વર્લ્ડ સિનેમા પ્રોજેક્ટ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, જાનુસ ફિલ્મ્સ અને ધ ક્રાઇટેરિયન કલેક્શન વચ્ચે સહયોગી પ્રયાસ થયો.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 13 મે થી શરૂ થયો છે. છેલ્લા છ દિવસમાં ઘણા ભારતીય સ્ટાર્સે રેડ કાર્પેટ પર વોક કર્યું છે અને શોભા વધારી છે. આ વર્ષ ઘણા લોકો માટે ખાસ હતું કારણ કે તેઓએ કાન્સ ફેસ્ટિવલમાં પ્રવેશ કર્યો હતો. આ મહોત્સવ 24 મે ના રોજ પૂર્ણ થશે.

પાકિસ્તાની જાસૂસ જ્યોતિની ચીન યાત્રાનો વિડિયો થયો વાઇરલ

નવી દિલ્હીઃ જ્યોતિ મલ્હોત્રાએ ભારતની છબિ દૂષિત કરવામાં કોઈ કસર છોડી નથી. પાકિસ્તાનની ISI માટે ભારતની જાસૂસીના આરોપમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પોલીસે ધરપકડ કરી છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા એક ટ્રાવેલ બ્લોગર છે, જે ઘણી વાર દેશ-વિદેશમાં મુસાફરી કરતી જોવા મળે છે. તેનો પાકિસ્તાન અને ચીનના પ્રવાસના જૂના વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

જ્યોતિ મલ્હોત્રા ચીનનો આ વિડિયો તેણે વર્ષ 2024માં અપલોડ કર્યો હતો. હવે તેની ધરપકડ બાદ આ વિડિયો ફરી વાયરલ થયો છે. જે જોઈને લોકો ચીનમાં જ્યોતિના વર્તનની કડક ટીકા કરી રહ્યા છે. લોકો ચીનમાં જ્યોતિના વર્તનને અશિષ્ટ અને અયોગ્ય ગણાવી રહ્યા છે.

આ વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે જ્યોતિ મલ્હોત્રા ચીનમાં ઘણી જગ્યાઓએ પ્રવાસ કરે છે અને આ દરમિયાન પોતાના વિડિયો કન્ટેન્ટ માટે તે ત્યાંના લોકોને ખૂબ અયોગ્ય રીતે વર્તે છે. આ વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે લોકો તેના આ વર્તનથી ખુશ નથી અને તેનાથી રોષે ભરાયેલા છે. વિદેશમાં ભારતની છબી ખરાબ કરવામાં જ્યોતિ કોઈ કસર છોડતી નથી.

જ્યોતિ ચીનની એક બુલેટ ટ્રેનમાં જાય છે અને ત્યાં એક વ્યક્તિને તેની વિન્ડો સીટ બદલવા માટે મજબૂર કરે છે. ત્યાર બાદ તે એક અજાણી મહિલાના સ્કૂટર પર જઈને પોતે બેસી જાય છે અને તેને લિફ્ટ આપવા માટે દબાણ કરે છે. તેને કારણે પરેશાન થઈ મહિલાએ ટ્રાફિક પોલીસ સમક્ષ પોતાની ગાડી અટકાવીને ફરિયાદ કરવાની કોશિશ કરી. જ્યારે જ્યોતિએ પોલીસને જોયા ત્યારે તે મહિલાના સ્કૂટર પરથી ઊતરીને ત્યાંથી ભાગી ગઈ. આ બધા પછી તે ભાડું ચૂકવ્યા વિના બસમાં ચડી જાય છે અને બસ ડ્રાઈવર સાથે પણ ઉશ્કેરણીજનક વર્તન કરે છે. અંતે તે પોતાના વિડિયોમાં આ પણ ફરિયાદ કરે છે કે આ દેશમાં કોઈ પણ અંગ્રેજી નથી બોલતું. સોશિયલ મિડિયામાં જ્યોતિના આ વાયરલ વિડિયોને જોઈને લોકો તેને મૂર્ખ અને અશિષ્ટ કહી રહ્યાં છે અને તેની ઉપર ભારતની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.