Home Blog Page 915

મથુરામાંથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ

મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં શુક્રવારે મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા હતા. આ પકડાયેલા લોકોમાં અનેક નાનાં બાળકો પણ સામેલ છે. કુલ 90 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, જેમણે ભારતમાં ગેરકાયદે રહેતા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આ કાર્યવાહી મથુરાના નૌઝીલ થાણા વિસ્તારમાં કરવામાં આવી હતી. પોલીસને જાણકારી મળી હતી કે ખાજપુર ગામની નજીક આવેલા ઈંટ ભઠ્ઠી વિસ્તારમાં કેટલાક લોકો કામ કરી રહ્યા છે અને તે વિદેશી નાગરિકો હોવાની શક્યતા છે.

પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી અને તપાસ કરી તો જાણવા મળ્યું કે આ બધા લોકો બાંગ્લાદેશથી આવ્યા છે અને તેમની પાસે ભારતમાં વસવાટ કરવા માટેના માન્ય દસ્તાવેજો નથી. ત્યાર બાદ પોલીસે તરત કાર્યવાહી કરીને તેમને પકડ્યા આ પકડાયેલા લોકોમાં 35 પુરુષો, 27 મહિલાઓ અને 28 બાળકોનો સમાવેશ થાય છે. તેઓ બધા ખાજપુર ગામની ઈંટ ભઠ્ઠીઓ પર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી મળેલા દસ્તાવેજોની પણ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે કે તેઓ ક્યારે અને કેવી રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. સ્થાનિક વહીવટ તંત્ર એ પણ શોધી રહ્યું છે કે તેમને અહીં કામ પર કોણ લાવ્યું અને તેઓ માટે આવવાનો માર્ગ શો હતો. જો તેમની સામે ગેરકાયદે પ્રવેશ અને ગેરકાયદે કામ કરવાનો આરોપ સાબિત થશે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

મહેશ ભટ્ટની ‘નામ’ થી સલીમ ખાનનું નામ થયું

સંજય દત્ત અને કુમાર ગૌરવની ફિલ્મ ‘નામ’ (૧૯૮૬) ની વાર્તા જ નહીં નામ પણ પહેલાં અલગ હતું. આ ફિલ્મની યોજનામાં સલીમ ખાનના પ્રવેશ પછી ઘણું બધું બદલાયું હતું. કુમાર ગૌરવે પિતા રાજેન્દ્રકુમાર વિશેના પુસ્તકમાં જણાવ્યું છે કે ૧૯૮૧ ના વર્ષમાં નિર્દેશક મહેશ ભટ્ટ બે ભાઇઓની એક વાર્તા લઈને આવ્યા હતા અને એનું નામ ‘હમેશા’ હતું. નિર્માતા મુકેશ ભટ્ટ હતા.

આ ફિલ્મની બે ભાઇઓની ભૂમિકા માટે કુમાર સાથે સંજય દત્તને લેવામાં આવ્યો હતો. દરમ્યાનમાં સંજય રીહેબ સેન્ટર જતો રહ્યો હોવાથી ફિલ્મ કાગળ પર અટકી ગઈ હતી. એ પછી કુમારે મુકેશના નિર્માણ અને મહેશના નિર્દેશનમાં ફિલ્મ ‘આજ’ (૧૯૮૭) શરૂ કરવામાં આવી હતી. એ થોડી બનીને અટકી ગઈ હતી અને ‘નામ’ પછી રજૂ થઈ હતી. સંજય સ્વસ્થ થઈને પાછો ફર્યો ત્યારે ફિલ્મોની શોધમાં હતો અને કુમારે મહેશ ભટ્ટને ફિલ્મ ‘હમેશા’ પર કામ કરવાની વાત યાદ કરાવી.

મહેશ પાસે કોઈ નિર્માતા ન હોવાથી કુમારે પિતા રાજેન્દ્રકુમારને વાત કરી. એમણે મહેશ પાસેથી વાર્તાનો વિચાર જાણી નિર્માણ માટે હા પાડી પણ સારા પુત્રની ભૂમિકામાં સંજયને બદલે કમલ હસનને લેવા કહ્યું. અને ખરાબ પુત્રની ભૂમિકા કુમારને કરવા કહ્યું. દરમ્યાનમાં ૧૯૮૪ માં કુમારના લગ્ન સંજય દત્તની બહેન નમ્રતા સાથે થઈ ગયા. કુમારે પિતાને આગ્રહ કર્યો અને સંજયને ફરી ફિલ્મમાં લેવા મજબૂર કર્યા. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવા માટે મહેશ ભટ્ટે સલીમ ખાનનો વિચાર કર્યો. ત્યારે તે જાવેદ અખ્તરથી અલગ થઈ ગયા હતા. પણ કોઈ સારી વાર્તા પર જ કામ કરવા માગતા હતા. જ્યારે મહેશ ભટ્ટે વાર્તાનો મુખ્ય પ્લોટ સંભળાવ્યો ત્યારે સલીમે કહી દીધું કે આ વાર્તા પર ફિલ્મ બનાવી શકાય નહીં.

‘નામ’ ની મૂળ વાર્તા એવી હતી કે એક સ્ત્રી પોતાની સૌતનના પુત્રને ઉછેરે છે. એને સગા પુત્રથી વધુ ચાહતી હોય છે. અંતમાં સૌતનનો પુત્ર એને મારી નાખે છે. સલીમનું કહેવું હતું કે આ વિચારને દર્શકો સ્વીકારી શકશે નહીં. જો પુત્ર મા માટે કુરબાની આપી દે તો બરાબર કહેવાય પણ પુત્ર પાલક માની હત્યા કરે એ વાત પચાવી શકાય એમ નથી. રાજેન્દ્રકુમારને મહેશની વાત યોગ્ય લાગી અને વાર્તાના પ્લોટમાં ફેરફાર માટે રાજી થઈ ગયા. એ પછી મહેશ ભટ્ટે બીજો ફેરફાર સૂચવ્યો કે કુમારને બદલે સંજય સગી માના નાલાયક પુત્રની ભૂમિકામાં વધુ યોગ્ય રહે એમ છે અને કુમાર સારા પુત્રની ભૂમિકામાં જામશે. કુમારની હીરોઈન તરીકે પૂનમ આવી હતી. પાછળથી ફિલ્મમાં એની ભૂમિકા ટૂંકી થઈ ગઈ હોવાથી ‘મહેમાન કલાકાર’ તરીકે નામ લખવા કહ્યું હતું. એની વાત માનવામાં આવી ન હતી.

ફિલ્મના તમામ કલાકારો નક્કી થયા પછી અનુપમ ખેરે સલીમ પાસે પોતાની સંપૂર્ણ ભૂમિકા જાણવા આગ્રહ કર્યો હતો. અનુપમે પોતાના દ્રશ્યો જાણીને ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. અનુપમે ફિલ્મ અચાનક છોડી દેતા મુશ્કેલી ઊભી થઈ હતી ત્યારે સલીમ એમની વહારે આવ્યા હતા અને પરેશ રાવલનું નામ સૂચવ્યું હતું. સલીમે પરેશનું ‘અર્જુન’ માં કામ જોયું હતું અને થિયેટરના અનુભવ વિશે માહિતી મેળવી એ પછી ‘રાણા’ ની ભૂમિકા અપાવી હતી. કુમાર ગૌરવે નવી વાર્તા સાથે નવું નામ ‘નામ’ સૂચવ્યું ત્યારે રાજેન્દ્રકુમારને પસંદ આવ્યું ન હતું. પણ સલીમ અને મહેશને ગમ્યું હોવાથી એમણે એ જ રખાવ્યું હતું. કેમકે એક સ્ત્રી પોતાની સૌતનના પુત્રને ઉછેરે છે અને એક નામ- ઓળખ આપે છે.

‘નામ’ નો સ્ક્રિનપ્લે સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી એની શરૂઆત રાજેન્દ્રકુમારને પસંદ આવી ન હતી. પણ સલીમ પોતાના લેખનમાં ફેરફાર કરવા તૈયાર ન હોવાથી એમણે ઝૂકવું પડ્યું હતું. જાવેદથી અલગ થયા પછી સલીમ ખાનની એકલાની આ પહેલી ફિલ્મ હતી.

જુવાર વેજીટેબલ્સ પરોઠા

જુવારનું ધાન્ય પચવામાં હલકું તેમજ ગરમીના દિવસોમાં પણ તે ઠંડક આપનારું હોય છે. તેમાં વેજીટેબલ્સ ઉમેરીને પૌષ્ટિક વેજ જુવાર પરોઠા બની શકે છે.

સામગ્રીઃ

  • જુવારનો લોટ 1½ કપ
  • સફેદ તલ 1 ટે.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 કપ
  • ગાજર 1
  • સિમલા મરચું 1
  • કાંદો 1
  • કોબી ઝીણી ખમણેલી 2 ટે.સ્પૂન
  • મરચાં 2
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • કળી પત્તાના પાન 6-7
  • 2 ચપટી હીંગ
  • લસણની કળી 2-3
  • તેલ અથવા ઘી પરોઠા શેકવા માટે

રીતઃ સિમલા મરચું, કાંદો તેમજ ગાજરને ઝીણાં ચોરસ ટુકડામાં સમારી લો. ખાંડણિયામાં આદુ, મરચાં, કળીપત્તાના પાન તેમજ લસણને અધકચરા વાટી લો.

જુવારના લોટમાં ઝીણાં સમારેલાં શાક, કોથમીર તેમજ વાટેલાં આદુ-લસણ અને હીંગ મેળવીને 1 ચમચી તેલ ઉમેરીને થોડું પાણી મેળવીને લોટ બાંધો. જરૂર લાગે તો બીજું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો. હવે તેને જરા તેલનું મોણ આપી દો અને લૂવા કરીને લોટનું અટામણ દઈને રોટલો વણી લો.

ગેસ ઉપર તવો ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને આ જુવારનું પરોઠું હળવેથી તવામાં મૂકી દો. અડધી મિનિટ બાદ તેને તવેથા વડે ઉથલાવી દો અને ગેસની મધ્યમ આંચે પરોઠું બંને બાજુએથી વારાફરતી 1-1 ચમચી તેલ રેડીને શેકી લો. ઘી પણ વાપરી શકો છો.

આ પરોઠાં દહીં અથવા રાયતા સાથે સારાં લાગશે.

૧૭ મે ૨૦૨૫

મનના સ્વામી બનો, ગુલામ નહીં

“ગૌરવ, હું રજાઓમાં તારી સાથે બહારગામ આવવા માગું છું, પણ મને ચિંતા છે કે જો માંદો પડીશ તો શું થશે,” મારા એક મુરબ્બી કાકાએ મને કહ્યું. મેં કહ્યું, “બહુ સારું રહેશે.” એમણે ચહેરા પર મોટા આશ્ચર્યચિહ્ન સાથે મારી સામે જોયું. મેં કહ્યું, “તમારું મન ઘણી શક્તિ ધરાવે છે. તમે બહારગામ જવા છતાં માંદા નહીં પડો એવો વિચાર જ તમને શક્તિ આપશે અને તમે ખરેખર બીમાર નહીં પડો. અત્યારે તો તમે ઘરની બહાર નીકળ્યા વગર જ તબિયત બગડવાની વાત કરી રહ્યા છો.”

મારાં મમ્મી ઘણી વાર કહેતાં કે વિચારોમાં ક્યારેય દરિદ્રતા રાખવી નહીં.

આ કામ આપણે ચોક્કસ કરી શકીશું અથવા તો આ કામ આપણાથી નહીં થાય એવા વિચારો આપણને દરેકને ક્યારેક આવ્યા હોય છે. મનની શક્તિ અપાર હોય છે એ વાત આપણે સ્વીકારવી રહી. આપણું મન વાળીએ એ રીતે વળી શકે છે. જો આપણે મનને અમુક રીતે વિચારવા માટે કેળવીએ તો મન એ જ દિશામાં કામ કરવા લાગે છે. પછી તમે તેને પરાણે વિરુદ્ધ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરશો તોપણ એ એમ નહીં કરે. વિરુદ્ધ દિશામાં જવા માટે જો તમારું મન તમને સહકાર ન આપે તો સમજવું કે તમે ઉત્તમ કેળવણી આપી છે. આમ થવાનું કારણ એ છે કે આપણે મનને એટલું સરસ રીતે કેળવી લીધું હોય છે કે પછી એ અમુક જ રીતે વર્તે છે. મનને આવી રીતે કેળવવા માટે અમુક કલાકો, દિવસો, અઠવાડિયા કે મહિનાઓ નહીં, વર્ષો લાગી જતાં હોય છે. મનને એક રીતે વિચારવાની ટેવ પાડી લીધા પછી તમે તેને વિરુદ્ધ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરશો તો તેના માટે કદાચ ઓછો સમય લાગશે, પરંતુ મહેનત તો કરવી જ પડશે.

તમે ઘણા લોકો જોયા હશે જેમનાં મન બહુ જ મજબૂત હોય છે. એમના મનની કેળવણી અને એમની બુદ્ધિમતા બધા કરતાં અલગ હોય છે. તેનું કારણ એ છે કે એમણે મનને એ રીતે કેળવ્યું છે.

મનને તાલીમ આપવા માટે નાના પાયે શરૂઆત કરવી. તમે ક્રમે ક્રમે એ કામ ચોક્કસ કરી શકશો. એમાં સમય લાગશે, પણ હકીકત એ જ છે કે જીવનમાં કોઈ પણ પરિવર્તન રાતોરાત આવી જતું નથી.

આપણે શરૂઆતમાં જે વાત કરી તેના પર પાછો આવું છું. બહારગામ જઈને માંદા પડવાની વાત કરનારા વડીલને મેં કહ્યું, “તમે બીમાર નહીં જ પડો એવો વિચાર કરો. તમારે ફક્ત વિચાર જ કરવાનો છે. એ વિચાર કર્યા પછી પણ જો તમે બહારગામ જવા તૈયાર નહીં થાઓ તો કોઈ વાંધો નહીં; હું તમારા નિર્ણયનો સ્વીકાર કરીશ. આવવું-નહીં આવવું એ તમારી મરજી છે. આવો તો એવી રીતે આવો કે તમને નિર્ણય લીધા પછી પ્રસન્નતા રહે, પરાણે પુણ્ય કર્યા જેવું ન થાય.”

યોગિક સંપત્તિ પણ આવી જ વાત છે. ખર્ચ કરવો કે નહીં કરવો એ નિર્ણયનું નહીં, પણ સ્વેચ્છાએ, પ્રસન્ન થઈને નિર્ણય લેવાનું મહત્ત્વ છે. નિર્ણય પસંદગીથી લેવાવો જોઈએ, મજબૂરીથી નહીં.

કોઈ નિર્ણય કેવી રીતે લેવાયો છે એ ફક્ત તમે જ જાણતા હો છો. બીજો કોઈ તેના વિશે અનુમાન કરી શકે નહીં. આપણું મન એટલું શક્તિશાળી છે કે ઘણી વાર આપણે એને વશ થઈને પણ એમ માનવા લાગીએ છીએ કે આપણે એને કાબૂમાં રાખેલું છે. આ મનની લીલાઓ અનેરી છે. એને નીરખ્યા કરો, સારો ટાઈમ પાસ છે. એની મર્કટ વૃત્તિ પણ નિહાળો.

હવે પછી જ્યારે પણ નાણાકીય નિર્ણયની વાત આવે ત્યારે મેં કહ્યું એ પ્રયોગ કરજો. યોગિક સંપત્તિ એટલે પસંદગીની સ્વતંત્રતા. ભૌતિક સંપત્તિ ગુલામી છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એ આપણને બધાને મનના સ્વામી બનાવે, ગુલામ નહીં.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

પંચાંગ 17/05/2025

બડગામમાં આતંકવાદ સામે મોટી કાર્યવાહી, ત્રણ LeT સહયોગીઓની ધરપકડ, કાશ્મીરમાં છ આતંકવાદી ઠાર

16 મે, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના બડગામમાં પોલીસે લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદી સહયોગીઓ મુઝામિલ અહમદ, ઇશફાક પંડિત (અગલાર પટ્ટન), અને મુનીર અહમદ (મીરીપોરા બીરવાહ)ની ધરપકડ કરી, જે સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. સૂત્રોની જાણકારી પ્રમાણે, આ ત્રણેય શખ્સો આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડતા હતા અને LeT ના સક્રિય સભ્યો સાથે સંપર્કમાં હતા.

ભારતીય સેનાએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં ત્રાલ અને શોપિયાંમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ ઠાર મરાયા. એક ઓપરેશન ગ્રામીણ વિસ્તારમાં, જ્યારે બીજું પહાડી વિસ્તારમાં હાથ ધરાયું. સેનાએ સ્થાનિક લોકોના સહયોગ અને સુરક્ષા દળો વચ્ચેના ઉત્તમ સંકલનને આ સફળતાનું શ્રેય આપ્યું. આ ઓપરેશનો કાશ્મીર ખીણમાં આતંકવાદનો સફાયો કરવાના સતત પ્રયાસોનો ભાગ છે.

અગાઉ ઓપરેશન સિંદૂર હેઠળ સેનાએ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી અડ્ડાઓ પર હુમલા કરી, 100થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના માળખાને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું. ઓપરેશન બાદ પાકિસ્તાનના હુમલાઓથી પણ સેનાએ દેશના સૈન્ય ઠેકાણાઓને સુરક્ષિત રાખ્યા.

સુરક્ષા દળો કાશ્મીરમાં છૂપાયેલા આતંકવાદીઓ અને તેમના સહયોગીઓને નિશાન બનાવી રહ્યા છે. સેના અને પોલીસનું સંયુક્ત અભિયાન આતંકવાદના મૂળ નેસ્તનાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં સ્થાનિક સમુદાયનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે.

ઓપરેશન સિંદૂર કાર્યવાહી ફક્ત ટ્રેલર હતી, જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું: રક્ષા મંત્રી

16 મે, 2025ના રોજ ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, “આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગઈ છે અને અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખાડી નાખીશું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર રાખ્યું છે. જો વર્તન સુધરે તો તે ઠીક છે. પરંતુ જો કોઈ ખલેલ થશે તો સૌથી કડક સજા આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. તેમણે કહ્યું, “અમારી કાર્યવાહી ફક્ત એક ટ્રેલર હતી, જો જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું. ‘આતંકવાદ પર હુમલો કરવો અને તેને ખતમ કરવો’ એ નવા ભારતનો નવો સામાન્ય નિયમ છે.”

રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને ભારત દ્વારા નાશ પામેલા તેના આતંકવાદી માળખાને ફરીથી બનાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ને ઇસ્લામાબાદને આપવામાં આવેલી $1 બિલિયનની સહાય પર પુનર્વિચાર કરવા અને ભવિષ્યમાં કોઈ સહાય ન આપવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, “પાકિસ્તાન તેના નાગરિકો પાસેથી એકત્રિત કરાયેલા કરનો ઉપયોગ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના વડા મસૂદ અઝહરને લગભગ 14 કરોડ રૂપિયા આપવા માટે કરશે, ભલે તે યુએન દ્વારા ઘોષિત કરેલો આતંકવાદી હોય. પાકિસ્તાન સરકારે મુરીદકે અને બહાવલપુર સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી માળખાને ફરી સક્રિય કરવા માટે નાણાકીય સહાયની પણ જાહેરાત કરી છે. ચોક્કસ, IMFની એક અબજ ડોલરની સહાયનો મોટો ભાગ આતંકવાદી માળખાને ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. શું આને આંતરરાષ્ટ્રીય સંગઠન IMF દ્વારા પરોક્ષ ભંડોળ ગણવામાં આવશે? પાકિસ્તાનને આપવામાં આવતી કોઈપણ નાણાકીય સહાય આતંકવાદ ભંડોળ કરતાં ઓછી નથી. ભારત દ્વારા IMF ને આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ પાકિસ્તાન અથવા અન્ય કોઈપણ દેશમાં આતંકવાદી માળખા બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થવો જોઈએ નહીં.”

સંરક્ષણ મંત્રીએ ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેના (IAF) દ્વારા ભજવવામાં આવેલી અસરકારક ભૂમિકાની પ્રશંસા કરી, જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. માત્ર 23 મિનિટમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કરવા બદલ વાયુસેનાના બહાદુરોની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “જ્યારે દુશ્મનના પ્રદેશમાં મિસાઇલો છોડવામાં આવી, ત્યારે દુનિયાએ ભારતની વીરતા અને બહાદુરીનો પડઘો સાંભળ્યો.” તેમણે કહ્યું કે આતંકવાદ સામેની આ કાર્યવાહી ભારતીય વાયુસેના દ્વારા ચલાવવામાં આવી હતી અને આ કાર્યવાહી દરમિયાન તેણે માત્ર દુશ્મનોને હરાવ્યા જ નથી, પરંતુ તેમનો નાશ પણ કર્યો છે.

રાજનાથ સિંહે ભાર મૂક્યો હતો કે, ભારતના લડાકુ વિમાનો સરહદ પાર કર્યા વિના પાકિસ્તાનના દરેક ખૂણા પર હુમલો કરવા સક્ષમ છે. તેમણે કહ્યું, “દુનિયાએ જોયું છે કે ભારતીય વાયુસેનાએ આતંકવાદી છાવણીઓ અને પછી પાકિસ્તાનના એરબેઝનો નાશ કેવી રીતે કર્યો. ભારતીય વાયુસેનાએ સાબિત કર્યું કે ભારતની યુદ્ધ નીતિ અને ટેકનોલોજી બદલાઈ ગઈ છે. તેમણે એક નવા ભારતનો સંદેશ આપ્યો કે આપણે ફક્ત વિદેશથી આયાત કરાયેલા શસ્ત્રો અને પ્લેટફોર્મ પર નિર્ભર નથી, પરંતુ ભારતમાં ઉત્પાદિત ઉપકરણો આપણી લશ્કરી શક્તિનો ભાગ બની ગયા છે.

ભારતમાં ઉત્પાદિત શસ્ત્રો પણ અભેદ્ય છે.” સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાને પોતે ‘બ્રહ્મોસ’ મિસાઇલની શક્તિનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે આ મેડ ઇન ઇન્ડિયા મિસાઇલે રાત્રિના અંધારામાં પાકિસ્તાનને દિવસનો પ્રકાશ બતાવ્યો, અને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીની પણ પ્રશંસા કરી જેમાં આકાશ અને DRDO દ્વારા બનાવેલ અન્ય રડાર સિસ્ટમોએ જબરદસ્ત ભૂમિકા ભજવી છે.

ગઈકાલે શ્રીનગરના બદામીબાગ કેન્ટ ખાતે બહાદુર ભારતીય સેનાના જવાનો અને આજે ભૂજમાં વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકો સાથેની વાતચીતમાં, રક્ષા મંત્રીએ કહ્યું કે તેમને ફરી એકવાર વિશ્વાસ છે કે ભારતની સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે કહ્યું, “મેં બંને મોરચા પર સૈનિકોમાં ઉત્સાહ અને દેશભક્તિનું  ઉચ્ચતમ સ્તર જોયુ  છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા દળોએ જે કર્યું તેના પર સમગ્ર રાષ્ટ્ર ગર્વથી ભરેલું છે.”

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભુજે 1965, 1971 અને હાલમાં પાકિસ્તાન પર ભારતની જીત જોઈ છે. તેમણે ભૂજને દેશભક્તિની ભૂમિ તરીકે વર્ણવ્યું હતું, જ્યાં સૈનિકો રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે અટલ સંકલ્પ સાથે ઉભા રહે છે. તેમણે માતૃભૂમિ પ્રત્યેની સેવા બદલ વાયુસેનાના યોદ્ધાઓ અને સશસ્ત્ર દળો અને બીએસએફના અન્ય બહાદુર સૈનિકોનો આભાર માન્યો હતો.

સશસ્ત્ર દળોને નવીનતમ શસ્ત્રો/પ્લેટફોર્મ અને આધુનિક માળખાગત સુવિધાઓથી સતત સજ્જ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા શ્રી રાજનાથ સિંહે કહ્યું કે, એક મજબૂત રાષ્ટ્ર તેની સેનાનું સન્માન કરે છે અને તેને સંસાધનો, ટેકનોલોજી અને તમામ પ્રકારની સહાય પૂરી પાડે છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે, પહેલા ભારત આયાત પર ખૂબ નિર્ભર હતું. પરંતુ આજે તે સ્વદેશી રીતે આર્ટિલરી સિસ્ટમ્સ, રડાર સિસ્ટમ્સ, મિસાઇલ શિલ્ડ્સ, ડ્રોન અને કાઉન્ટર ડ્રોન જેવા ઉપકરણોનું ઉત્પાદન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, “આપણે આયાતકારથી નિકાસકાર તરફ આગળ વધી રહ્યા છીએ અને આ તો માત્ર શરૂઆત છે.”

રાજનાથ સિંહે કહ્યું કે ભારતના લોકો, સરકાર, સશસ્ત્ર દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ સામેની આ લડાઈમાં એકતા અને સમજણ દર્શાવી છે, જેમાં દરેક નાગરિક એક સૈનિકની જેમ ભાગ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર અને લોકો દરેક પગલા પર તેમની સેના સાથે ખભે ખભો મિલાવીને ઉભા છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે “આપણે સાથે મળીને આ ક્ષેત્રમાંથી આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું અને કોઈ પણ દેશની સાર્વભૌમત્વ પર ખરાબ નજર નાખવાની હિંમત કરશે નહીં”.

સંરક્ષણ મંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત પહેલગામમાં માર્યા ગયેલા નિર્દોષ લોકો અને ઓપરેશન સિંદૂર દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે ઘાયલ સૈનિકોના ઝડપી સ્વસ્થ થવાની કામના પણ કરી હતી. આ પ્રસંગે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ અને ભારતીય વાયુસેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વ્યાજખોરો પર સરકારની લાલ આંખ, દેશમાં પ્રથમ વખત મિલકત થઈ જપ્ત

ગુજરાત સરકારે વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. સુરતના ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ સમારંભ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગાંધીધામ પોલીસે વ્યાજખોરો સામે અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે. દેશના ઈતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરો સામે ગુનો નોંધાયો, ગુજસીટોક (GUJCTOC) હેઠળ કાર્યવાહી થશે, અને વ્યાજથી બનાવેલી મિલકતો જપ્ત કરવામાં આવી છે. આ મિલકતોની હરાજી કરી, તેની રકમ નાગરિકોના હિતમાં વાપરવાની યોજના બનાવવામાં આવી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે કચ્છના અંજારમાં અંજાર પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) કાયદા હેઠળ વ્યાજખોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ રિયાબેન, આરતીબેન અને તેજસ ઈશ્વરગર ગૌસ્વામી સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓની 63.46 લાખ રૂપિયાની મિલકત, જેમાં ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડીનો સમાવેશ થાય છે, જપ્ત કરાવામાં આવ્યા. આ કાર્યવાહી દેશમાં પ્રથમ પ્રકારની ગણાય છે. આ મામલે સંઘવીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર રીલ્સ કે વટ બતાવવા ગન લાઈસન્સનો દુરુપયોગ કરનારાઓના લાઈસન્સ રદ કરવાની રાજ્યવ્યાપી કાર્યવાહી શરૂ થઈ છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે પણ ગુના નોંધી કડક પગલાં લેવાશે.

…અને ૩૫ વર્ષી યુવાને નવા હિંદુસ્તાનની તાકાત દેખાડી

ભારત-પાકિસ્તાન યુદ્ધના ઓળા ધીરે ધીરે આછા થઈ રહ્યા છે, પણ ઈન્ટરનેટ પર યુદ્ધ હજુ ચાલુ જ છે. દેશઆખાને એકજૂટ બનાવનાર ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન અને યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈન્ટરનેટ પર જાતજાતની કમેન્ટ, જોક્સ, મીમ્સ, ફિલ્મના સીન્સ વાયરલ થતા રહે છે. જાણે યુદ્ધ મજાકનો વિષય હોય.

હશે. જે ફિલ્મોના સીન્સ વાયરલ થયા એમાંની એક એટલે ‘ઉરિઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક. ખાસ તો એમાં પરેશ રાવલના સંવાદ વાયરલ થયા.

૨૦૧૬માં જૈશ-એ-મોહમ્મદ દ્વારા જમ્મુ-કશ્મીરના ઉરી વિસ્તારમાં થયેલા અટેકમાં આપણા ૧૯ જવાન શહીદ થયા. તે પછી એક મિટિંગમાં (ફિલ્મમાં) વડા પ્રધાન (રજિત કપૂર) નેશનલ સિક્યોરિટી એડવાઈઝર ગોવિંદ ભારદ્વાજને (પરેશ રાવલને) પૂછે છે કે હવે આપણે શું કરવું જોઈએ? ત્યારે એ જવાબ આપે છેઃ

“પીઓકેમાં ઘૂસીને ટેરરિસ્ટ લૉન્ચપૅડ, એમના અડ્ડા, ત્યાં સંતાયેલા ફિદાઈન… બધાને ખતમ કરી નાખીએ.”

આગળ એ ઉમેરે છેઃ “આજ સુધી આપણે કોઈ દેશ પર પહેલાં હુમલો નથી કર્યો. પાકિસ્તાન આપણી આ ભલમનસાઈનો ફાયદો ઉઠાવતું આવ્યું છે. ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯… બલકે આપણી સહનશીલતાને નબળાઈ સમજી લેવામાં આવે છે. આ જ સમય છે એમનાં દિલમાં ડર બેસાડવાનો. એને ખાતરી થઈ જવી જોઈએ કે હિંદુસ્તાન હવે ચૂપ નહીં બેસી રહેઃ યે નયા હિંદુસ્તાન હૈ… યે હિંદુસ્તાન ઘરમેં ઘૂસેગા ભી ઔર મારેગા ભી.”

૨૦૧૯ના પ્રજાસત્તાક દિવસે રિલીઝ થયેલી ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના લેખક-દિગ્દર્શક આદિત્ય ધર સાથેની મારી મુલાકાતના અંશ પુનઃ રજૂ કરું છું, જે અત્યારે પ્રાસંગિક લેખાશેઃ

કશ્મીરી પંડિત આદિત્ય ધર મૂળ શ્રીનગરનો, પણ ઉછેર-અભ્યાસ બધું દિલ્હીમાં. એને આર્મીમાં જવું હતું, પણ ડિસ્લેક્સિયાએ એનાં અરમાનમાં પંક્ચર પાડી દીધું. એ નપાસ થયો. એ કહેઃ “આજે પણ મને સવા, પા અને પોણોમાં લોચા પડે છે. બેંગલોરમાં હોટેલ મેનેજમેન્ટ ભણ્યો, પણ ઝુકાવ પહેલેથી ફિલ્મલેખન તરફ એટલે મુંબઈ આવ્યો, દિગ્દર્શક પ્રિયદર્શનની ‘આક્રોશ’ માટે ડાયલોગ્સ લખ્યા. તે પછીનો સમય ખરાબ હતો. ૨૦૦૯થી ૨૦૧૬ સુધીમાં મારી અનેક ફિલ્મો બનતાં બનતાં રહી ગઈ. આબિદ સુરતીની ગુજરાતી નવલકથા ‘સૂફી’ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી થયેલું એ પણ અટકી ગઈ. કરણ જોહર માટે ‘રાત બાકી’ બનાવવાનો હતો. બધું નક્કી હતું. કૅટરિના કૈફ અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથે દસેક દિવસમાં શૂટિંગ શરૂ કરવાનું હતું, પણ ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકાર સાથે કામ કરવા પર પ્રતિબંધ આવી ગયો. દસ દિવસમાં બીજો કલાકાર ક્યાંથી શોધવો? એ પ્રકરણ પણ ક્લોઝ. સતત નિષ્ફળતાથી કંટાળીને પાછા દિલ્હી જવાનું નક્કી કર્યું ત્યાં ટીવી પર સર્જિકલ સ્ટ્રાઈકના સમાચાર જોયા ને એના પરથી ફિલ્મ બનાવવાનો વિચાર જન્મ્યો…”

ફિલ્મના અતિપ્રચલિત સંવાદ, ‘હાઉ’ઝ ધ જોશ?’ વિશે એ કહેઃ “મારા એક અંકલ આર્મીમાં હતા. બાળપણમાં અમે કશ્મીર જતા ત્યારે અંકલ અમને લાઈનમાં ઊભાં રાખી જોરથી બરાડેઃ ‘હાઉ’ઝ ધ જોશ?’ અમારે બોલવાનું ‘હાઈ, સર.’ જેનો અવાજ સૌથી મોટો એને એ ચોકલેટ આપતા. ‘ઉરી…’ના લેખન વખતે બાળપણની આ સ્મૃતિ એમાં આવરી લીધી. ફિલ્મની રિલીઝ બાદ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં આ સંવાદ બોલ્યા ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો.”

વિકી કૌશલ, યામી ગૌતમ, પરેશ રાવલ, સ્વરૂપ રાવલ, માનસી પારેખ ગોહિલ, જેવા કલાકારોને મુખ્ય ભૂમિકા ચમકાવતી ‘ઉરી…’નું મોટા ભાગનું શૂટિંગ યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં આવેલા દેશ સર્બિયામાં થયું. કેમ કે આર્મીમાં વપરાતાં લાઈટવાળાં હેલ્મેટ, નાઈટવિઝન ગોગલ્સ, કમરપટ્ટા, ઑટોમેટિક ગન્સ, હેલિકૉપ્ટર અહીં મળવાં મુશ્કેલ. ત્યાંથી ઈમ્પોર્ટ કરવામાં કડાકૂટ હતી એટલે ત્યાં જ શૂટિંગ કર્યું.

રસપ્રદ વાત એ કે ઉરી… બાદ આદિત્યે ફિલ્મ ડિરેક્ટ કરી નથી. એણે ‘આર્ટિકલ 370’ તથા થોડા સમય પહેલાં ઓટીટી પર આવેલી ‘ધૂમધામ’નાં લેખન-નિર્માણ સંભાળ્યાં. બન્નેમાં નાયિકા ધર્મપત્ની યામી ગૌતમ. ડિરેક્ટર તરીકે એની બીજી ફિલ્મ ‘ધુરંધર’ આ વર્ષે રિલીઝ થશે. રણવીરસિંહ-સંજય દત્ત-આર. માધવન-અર્જુન રામપાલ-આહના કુમરા જેવા કલાકારોને ચમકાવતી ‘ધુરંધર’ દેશવિદેશના ગુપ્તચરોની કામગીરી વિશેની, સત્ય ઘટનાથી પ્રેરિત છે.