વલસાડ જિલ્લામાં 5-7 મે, 2025 દરમિયાન થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતી અને બાગાયતી પાકો, ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થયું છે. વલસાડ જિલ્લો ગુજરાતના મુખ્ય કેરી ઉત્પાદક વિસ્તારોમાંનો એક છે, જ્યાં 38,000 હેક્ટર જમીનમાં આંબાવાડીઓ આવેલી છે. આ વર્ષે મે મહિનામાં હાર્વેસ્ટિંગની શરૂઆતમાં જ ભારે પવન અને વરસાદે 7,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે.

વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશ પર બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનના આકલન માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં 16 ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાંથી 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે 20 ગામોના ખેડૂતોને નુકસાન થયું છે, ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાઓમાં સૌથી વધુ અસર જોવા મળી. સૂત્રોની જાણકારી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં લગભગ 30-35 ટકા કેરીનો પાક નાશ પામ્યો છે, જેમાં વલસાડમાં 40-50 ટકા સુધીનું નુકસાન નોંધાયું છે. ખેડૂતોએ સારા ઉત્પાદનની અપેક્ષામાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ હવે ખરી પડેલી કેરીઓનું બજારમૂલ્ય ઘટીને રૂ. 350-400 પ્રતિ ટન જેટલું થઈ ગયું છે, જે સામાન્ય રીતે રૂ. 1,600 પ્રતિ ટન હોય છે.
સર્વે પૂર્ણ થયા બાદ, નુકસાનનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. ત્યારે બીજી બાજુ, ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ઉનાળુ પાકો, ખાસ કરીને કેરી, શાકભાજી, અને અન્ય બાગાયતી પાકોને નુકસાન પહોંચાડ્યું છે. તાલાલા અને ઉના તાલુકાઓમાં, જ્યાં કેસર કેરીનું ઉત્પાદન મોટા પાયે થાય છે, ત્યાં ખેડૂતોને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે. વરસાદ અને પવનને કારણે પાકેલા ફળો ખરી પડ્યા, અને ખેતરોમાં પાણી ભરાવાને કારણે શાકભાજી અને અન્ય પાકો બગડ્યા. આ નુકસાનથી ખેડૂતોની આવકમાં 50 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ખેડૂતોએ ઉનાળુ પાકો માટે ખાતર, બિયારણ, અને સિંચાઈમાં મોટું રોકાણ કર્યું હતું, પરંતુ હવે બગડેલા પાકોને બજારમાં ઓછી કિંમતે વેચવાની ફરજ પડી રહી છે. ગીર સોમનાથમાં પણ ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા નુકસાનનું આકલન કરવા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓ અને ગ્રામ સેવકોની ટીમો ગામોમાં જઈને ખેડૂતોના નુકસાનની નોંધ લઈ રહી છે. સર્વેનો અહેવાલ તૈયાર થયા બાદ, રાજ્ય સરકાર દ્વારા વળતર અને વીમા યોજના હેઠળ નાણાકીય સહાય આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.




ડો. સંધ્યા પુરેચાએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં જ્યારે દેશ અને દુનિયામાં સંયુક્ત કુટુંબની ભાવના વિલુપ્ત થતી જાય છે, ત્યારે શ્રી દિલ્હી ગુજરાતી સમાજ સંસ્થા વડીલોને પોતાના સ્વજનો તરીકે સાચવી રહી છે તે અત્યંત ઉમદા અને પ્રશંસનીય કાર્ય છે.” આ પ્રસંગે ડો. પુરેચાએ સન્માનિત વડીલોની પરિચય પુસ્તિકા ‘દર્શિકા’નું વિમોચન કર્યું હતું.
શ્રી સમાજના પ્રમુખ સચિન શાહે જણાવ્યું, “વડીલ પરિવાર સંસ્થા આજના સમારંભ સાથે અત્યાર સુધીંમાં દિલ્હીના 245 વડીલોને સન્માનિત કર્યા છે. શ્રી દિલ્હી ગુજરાતી સમાજની સ્થાપના 1897માં થયેલી અને આરંભથી જ અહીં આબાલવૃદ્ધ સૌના માટે સાહિત્યિક-સાંસ્કૃતિક અને સુખાકારી આનંદપ્રમોદની અનેક પ્રવૃત્તિઓની પરંપરા રહી છે.”
વડીલ પરિવારના અધ્યક્ષ હર્ષદ મહેતાએ જણાવ્યું, “વડીલ પરિવારની કાળજી અને તેઓના સુખ-દુઃખમાં સાથે રહેવાના સતત પ્રયત્નો સાથે વડીલો માટે અને તેઓની સાથે રહીને વર્ષભર અનેક પ્રવૃત્તિઓ યોજાય છે. જેમાં દેશ-વિદેશની મુસાફરી, પિકનિક, આરોગ્ય-તબીબી શિબિરો અને રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ સામેલ છે.”
આ સમારોહમાં જે વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું તેમાં અગ્રણી સમાજસેવી મહાનુભાવો વિનોદ પટેલ, રમેશ મહેતા, મહેન્દ્ર ભટ્ટ તથા લેખક નંદલાલ ગઢીયા સહિત અન્ય વડીલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 94 વર્ષ સુધીના વડીલોએ પણ ઉત્સાહભેર સંગીતના તાલે નૃત્ય કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમારોહ વડીલો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતું એક યાદગાર સંભારણું બની રહ્યું.
આ પ્રસંગે શ્રી દિલ્હી ગુજરાતી સમાજના ટ્રસ્ટીઓ અરવિંદભાઈ પોપટ, પ્રફુલ દોશી, રાજેશ દવે, નિલેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ પ્રેરણા દામાણી અને કુણાલ પટેલ, કોષાધ્યક્ષ જયેશ કોબાવાળા, વડીલ પરિવારના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પટેલ, સન્માન સમારોહના સંયોજક વિરાટ શાહ અને સભ્યોમાં ગિરીશ બગડઈ, બકુલ વ્યાસ, તુષાર ઉપાધ્યાય, રોહિત વોરા, શાળા અધ્યક્ષ રાજકુમાર રાવલ અને શ્રી સમાજના પૂર્વ પ્રમુખ જગદીપ રાણા હાજર રહ્યા હતા.


અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસના ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્તર અલ્પેશ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “ભગવાન બુદ્ધ પર આધારિત ખાસ ક્યુરેટેડ થીમ સાથે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ફિલાટેલિક પ્રદર્શનનું આયોજન કરાવામાં આવ્યું છે. જેમાં જગદીશભાઈ પટેલ અને વિજયભાઈની ટિકિટોનું કલેક્શન મૂકવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ફિલાટેલિસ્ટ્સ અને સ્ટેમ્પ ઉત્સાહીઓને એકસાથે લાવવાનો પ્રયાસ છે. જે સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપે છે, સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. બૌદ્ધ ધર્મના સમૃદ્ધ વારસા વિશે માહિતગાર કરે છે.
બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સંઘમિત્ર બુદ્ધ વિહાર ઓઢવના મહાનુભાવો એ હાજરી આપી હતી. અમદાવાદની જનરલ પોસ્ટ ઓફિસ સ્ટેમ્પ ટિકિટોના પ્રદર્શન, સંગ્રહ દ્વારા સમાજ, સંસ્કૃતિને ફિલાટેલિસ્ટની સાથે લોકો જાણે એ માટે સતત કાર્યક્રમોનું આયોજન કરે છે. બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોને જી.પી.ઓ ખાતે એક અનોખા પ્રદર્શન દ્વારા બૌદ્ધ ધર્મ સંસ્કૃતિ જોવા મળી હતી.

