નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશમાં ભારે રોષ છે. દરેક વ્યક્તિ આતંકવાદીઓ અને તેના આકાઓ પર કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે. પહલગામ હુમલામાં પણ પાકિસ્તાનનો જ હાથ હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાની શાસકો ભલે આમ નથી માની રહ્યા, પરંતુ હવે નાપાક કાવતરાનો મોટો પુરાવો મળી ગયો છે. પહલગામ હુમલામાં સામેલ આતંકવાદી હાશિમ મૂસા પાકિસ્તાનનો પેરા કમાન્ડો નીકળ્યો છે. પહલગામ હુમલામાં પાકિસ્તાની સેના અને ISIના સંડોવણીના પુરાવા મળ્યા છે.
હાશિમ મૂસા પાકિસ્તાની વિશિષ્ટ દળો (SSG)નો ભૂતપૂર્વ પેરા કમાન્ડો છે. આતંકવાદી મૂસા લશ્કર એ તોઈબા સાથે પણ સંકળાયેલો છે. પાકિસ્તાની સેના દ્વારા મૂસાને SSGમાંથી લશ્કર માટે મોકલવામાં આવ્યો હતો. મૂસા પહલગામ પહેલાં બે અન્ય આતંકવાદી હુમલાઓમાં પણ સામેલ રહ્યો છે. તે ગાંદરબલ હુમલામાં પણ સામેલ રહ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાની સેનાનો ભૂતપૂર્વ પેરા કમાન્ડો હાશિમ મૂસા સેટેલાઇટ ફોન દ્વારા સૂચનાઓ લઈ રહ્યો હતો.
આ ખુલાસાથી પાકિસ્તાની સેનાના ચીફ અસીમ મુનિરનું પણ ભાંડો ફૂટ્યો છે. પાકિસ્તાનના દરેક જૂઠનો પર્દાફાશ થઈ ગયો છે. પહેલાં પાકિસ્તાની સેના પછી લશ્કરમાં જોડાઈને, મૂસાને જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષ નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલા કરવા માટે મોકલવામાં આવ્યો હતો. પહલગામમાં જે રીતે બેરહેમીથી નરસંહાર થયો હતો, તે જોઈને કોઈનો પણ આત્મા કંપી ઊઠે એવી સ્થિતિ છે. છતાં પાકિસ્તાનના નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે અને દુનિયા આગળ પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાશિમ મૂસાનો પર્દાફાશ થવાથી પાકિસ્તાનની નાપાક હરકતોનો પુરાવો મળી ગયો છે.
જયપુરના મેદાન પર ક્રિકેટ પ્રેમીઓએ જે જોયું, એ પરીકથાને પણ લજાવતું હતું. માત્ર 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, બિહારની ભૂમિ પરથી આવેલા યુવાન બેટ્સમેન, તેણે IPLની ત્રીજી મેચમાં એવો વિસ્ફોટક પરફોર્મન્સ આપ્યો કે રેકોર્ડબુક હલાઈ ગઈ. ડેબ્યૂ મેચથી જ પોતાનું બળ રજૂ કરનાર વૈભવે હવે 35 બોલમાં સદી ફટકારીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. વિશ્વભરના નામચીન ક્રિકેટરોની સરખામણીમાં વૈભવની આ સિદ્ધિ એ અભૂતપૂર્વ છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવી મહાન હસ્તીઓ પણ એવી ઝડપે સદી ફટકારી નથી શક્યા.
આઇપીએલના ઇતિહાસમાં યૂસુફ પઠાણનો 37 બોલમાં બનેલો સદીનો રેકોર્ડ હવે પછડાયો છે. વૈભવ હવે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. તેની આ ઇનિંગ દરમિયાન તેણે 11 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. જેનાથી તેમના ટોટલ રન સંખ્યા 101 સુધી પહોંચી હતી. T20 ક્રિકેટના ઈતિહાસમાં આ સદી સૌથી ઝડપી હોવાનો દાવો પણ મજબૂત થયો છે. રાજસ્થાન ટીમને આ ઈનિંગના દમ પર એકતરફી જીત મળી અને વૈભવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
જોકે આ બધામાં સૌથી મોટી સિદ્ધિ એ છે કે વૈભવ IPLમાં સદી ફટકારનાર અને પ્લેયર ઓફ ધ મેચ બનનાર સૌથી નાનો ખેલાડી છે. આ રેકોર્ડ લાંબા સમય સુધી અકબંધ રહે તેવી શક્યતા છે. આ ઉંમરે આવી પરિપક્વતા અને દમદાર સ્ટ્રાઈકિંગ જોવા મળવું દુર્લભ છે. ક્રિકેટ જગતમાં હવે એક નવું નામ ઊભું થયું છે વૈભવ સૂર્યવંશી.
પહલગામ હુમલા બાદ દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વિરોધનો માહોલ દેખાય રહ્યો છે. તો બીજી તરફ 26ના જીવ લેનારાને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કેન્દ્રની સરકાર કરી રહી છે. આ હુમલાથી જમ્મુ અને કાશ્મીરની સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે ડઝનથી વધુ રિસોર્ટ તેમજ અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ખીણ અને પહાડો પર આવેલા 48 જેટલા રિસોર્ટ બંધ કરવામાં આવ્યા છે. બડગામમાં દુધપત્રી અને અનંતનાગમાં વેરિનાગ જેવા વિવિધ પર્યટન સ્થળો પણ પ્રવાસ માટે બંધ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણયથી સ્થાનિક રોજગારી પર મોટી અસર થવાની સંભાવના છે. રિસોર્ટ બંધ કરાતાં ઘણા લોકોની આજીવિકા પર જોખમ ઉભુ થાય છે. આ વિસ્તારનો આજીવિકાનો મોટો ભાગા ટુરિઝમ દ્વારા મેળવે છે. જ્યારે આ હુમલા પગલે પહલગામમાં આગામી સમયમાં થયેલા બુકિંગ પણ કેસલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આ હુમલાને વખોડી કાઢતાં લગભગ બે દાયકા બાદ કાશ્મીરીઓ રસ્તા પર ઉતર્યા હોવાનું મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું. તેમણે ગઈકાલે વિધાનસભામાં ખાસ નિવેદન આપ્યું હતું કે, કઠુઆથી માંડી કુપવાડા સુધી તમામ સ્થાનિકોએ આ આતંકવાદીઓ વિરૂદ્ધ દેખાવો કર્યા છે. તેઓ નિર્દોષ લોકોના નરસંહાર વિરૂદ્ધ એકઠા થયા છે. હુમલાખોરોને આકરી સજા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ આતંકવાદીઓને શોધી શોધીને મારવાનું પ્રણ લીધું છે. ભારત સરકાર અને ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી આકરી કામગીરી હાથ ધરી છે. પહલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકોને નિશાન બનાવી કરવામાં આવેલા હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યા નહિંવત્ત થઈ છે. તેમજ ઉમર અબ્દુલ્લાહ સરકાર દ્વારા રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવતાં મુલાકાતીઓ પોતાનો પ્રવાસ રદ કરી રહ્યા છે. જેના લીધે સ્થાનિકોની રોજગારી છીનવાઈ છે. તેમની કમાણીનો એકમાત્ર સ્રોત છીનવાઈ જતાં જીવનધોરણ પર ગંભીર અસર થઈ શકે છે.
જિલ્લાઓ અને પ્રવાસન સ્થળોની યાદી
બાંદીપોરા- ગુરેઝ વેલી- બિન-સ્થાનિકો માટે બંધ
બડગામ- યુસમાર્ગ
બડગામ- તૌસીમૈદાન
બડગામ- દૂધપાથરી
કુલગામ- અહરબલ
કુલગામ- કૌસરનાગ
કુપવાડા- બંગસ
કુપવાડા- કરીવાન ડાયવર્ટ
કુપવાડા- ચંડીગામ
હંદવાડા- બંગુસ વેલી
સોપોર- વુલર/વોટલેબ
સોપોર- રામપોરા અને રાજપોરા
સોપોર- ચેહર
સોપોર- મુંડીઝ- હમામ- માર્કટ વોટરફોલ
સોપોર- ખાંપુ, બોસ્ની, વિઝિટોપ
અનંતનાગ- સૂર્ય મંદિર ખીરીબલ
અનંતનાગ- વેરીનાગ ગાર્ડન
અનંતનાગ- સિન્થન ટોપ
અનંતનાગ- માર્ગન્ટોપ
અનંતનાગ-આકાદ પાર્ક
બારામુલ્લા- હબ્બા ખાતૂન પોઈન્ટ કવાર
બારામુલ્લા- બાબરેશી તંગમાર્ગ
બારામુલ્લા-રિંગાવલી તંગમાર્ગ
બારામુલ્લા- ગોગલદરા તંગમાર્ગ
બારામુલ્લા- બદરકોટ તંગમાર્ગ
બારામુલ્લા-શ્રુંજ વોટરફોલ
બારામુલ્લા- કમાન્ડ પોસ્ટ ઉરી
બારામુલ્લા- નમ્બલાન વોટરફોલ
બારામુલ્લા- ઈકો પાર્ક ખાદનિયાર
પુલવામા- સંગરવાની
શ્રીનગર- જામિયા મસ્જિદ
શ્રીનગર- બદામવારી
શ્રીનગર- રાજૌરી કદલ હોટેલ કનાઝ
શ્રીનગર- આલી કદલ જેજે ફૂડ રેસ્ટોરન્ટ
શ્રીનગર- આઇવરી હોટેલ ગાંડતાલ (થીડ)
શ્રીનગર- પદશપાલ રિસોર્ટ્સ અને રેસ્ટોરન્ટ્સ (ફકીર ગુજરી)
અમદાવાદઃ હવામાન નિષ્ણાતો દ્વારા ભર ઉનાળે વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યનાં 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. રાજકોટમાં તો ગરમીએ 133 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. બીજી બાજુ, રાજ્યના ચાર જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને અથ્રેયા શેટ્ટી દ્વારા મે મહિનાના પહેલા અઠવાડિયામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન અનુસાર રાજ્યમાં માવઠાની સંભાવના છે. શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના છે. બીજી અને ત્રીજી મેએ ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે. ત્રીજી મે બાદ આખા રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે તો ક્યાંક રાજ્યમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયાં ઝાપટાં પડી શકે છે. ઊંચા તાપમાનને કારણે અમુક વિસ્તારોમાં લોકલ સિસ્ટમ બનશે. ગુજરાતમાં કોઈક કોઈક વિસ્તારમાં અતિ ગરમીને કારણે આ વિસ્તારોમાં લો પ્રેશર બને અને અચાનક બપોર પછી વાદળ બંધાય અને ઝાપટાં પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી-વંટોળ સાથે રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે. ગુજરાતમાં પણ 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 25 મેથી ચોથી જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે. જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે તો રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે.
દર વર્ષે 29 એપ્રિલે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ (World Dance Day) ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ વૈશ્વિક સ્તરે નૃત્ય કલાને માન્યતા આપવાનો અને લોકોને નૃત્ય વિશે જાગૃત કરવાનો છે. આ દિવસ બધી નૃત્ય શૈલીઓ અને કલાકારોનું સન્માન કરવાની તક પૂરી પાડે છે. નૃત્ય એક એવી ભાષા છે જે શબ્દો વિના પણ લાગણીઓ વ્યક્ત કરી શકે છે, આ દિવસને લગતા કેટલાક પ્રશ્નોના જવાબો અહીં છે.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
દર વર્ષે 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં નૃત્યની વિવિધતા અને મહત્વને માન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ નૃત્ય કલાકારો અને નૃત્ય પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે. 2025માં પણ આ દિવસ 29 એપ્રિલના રોજ પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ઉજવવાનો હેતુ શું છે?
આ દિવસની ઉજવણીનો હેતુ નૃત્ય કલાને પ્રોત્સાહન આપવાનો છે. તે લોકોને નૃત્ય દ્વારા અભિવ્યક્તિ, સંસ્કૃતિ અને આનંદનો અનુભવ કરવાની મંજૂરી આપે છે. આ દિવસે વિવિધ નૃત્ય પ્રદર્શન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં નૃત્યને એક સાર્વત્રિક ભાષા તરીકે માન્યતા આપે છે.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી?
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની શરૂઆત આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ (CID) દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા યુનેસ્કો હેઠળ કામ કરે છે અને નૃત્યને પ્રોત્સાહન આપે છે. CID એ 1982 માં પહેલીવાર આ દિવસની જાહેરાત કરી હતી. ત્યારથી આ દિવસ વૈશ્વિક સ્તરે ઉજવવાનું શરૂ થયું.
આ દિવસ કયા મહાન નૃત્ય કલાકારની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે?
મહાન કોરિયોગ્રાફર જીન-જ્યોર્જ નોવેરના જન્મદિન પર આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ઉજવવામાં આવે છે. તેઓ 18 સદીના અગ્રણી બેલે કલાકાર અને નૃત્ય સુધારક હતા. તેમણે નૃત્યને અભિનય અને વાર્તા કહેવાનું માધ્યમ બનાવ્યું. આ દિવસ તેમના યોગદાનના માનમાં પસંદ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે, જે મહિનાના અંત સુધી વધુ તીવ્ર બન્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી ગયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટે 46.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર તરીકે રેકોર્ડ નોંધાવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમ પવનોના કારણે રાજ્યના ગ્રામ્ય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તાપમાન 32થી 45.6 ડિગ્રીની વચ્ચે રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજુ વધશે. છેલ્લા કેટલાક દિવસોમાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ ફૂંકાતા ગરમ પવનોને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. અન્ય શહેરોમાં પણ ગરમીનું જોર વધ્યું છે, જેમાં કંડલા એરપોર્ટ પર 45.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.8 ડિગ્રી, અમદાવાદમાં 44 ડિગ્રી અને ગાંધીનગરમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ ગરમીની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે.
રાજકોટ શહેર ગરમીની ભઠ્ઠી બન્યું છે, જ્યાં તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચ્યું છે. અન્ય શહેરો જેવા કે અમરેલીમાં 44.1 ડિગ્રી, ભાવનગરમાં 42.2 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી અને ભુજમાં 42.2 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું છે. આ ગરમીના કારણે લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે.
અમદાવાદઃ અમદાવાદમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે ઘૂસણખોરો પર સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચંડોળા તળાવ પર બનેલા આશરે 3000 ગેરકાયદે બાંધકામોને દૂર કરવા સહિત એક આલીશાન ફાર્મ હાઉસ પર ધ્વસ્ત કર્યું છે. આ સાથે એક લાખથી વધુ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવશે. આ ફાર્મ હાઉસમાં ઘૂસણખોરોને સંરક્ષણ પણ આપવામાં આવતું હતું. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. અડધી રાત્રે જ આ માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2000 પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
VIDEO | Gujarat: Visuals of preparations for the demolition drive of Chandola Lake in Ahmedabad.
તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવા માટે 60 JCB અને 60 ડમ્પરોનો ખડકલો કરવામાં આવ્યો છે. શહેર પોલીસ , સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમ જ AMCના અધિકારીઓની હાજર રહ્યા છે. ન માત્ર ઘૂસણખોરો પર પરંતુ ઘૂસણખોરીમાં મદદ કરનારાઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં અને વસવાટ કરાવવામાં મદદ કરનાર મહેબૂબ પઠાણના 2000 વારના ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.
પોલીસના જવાનો સિવાય 700 જેટલા SRP જવાન તહેનાત કરવામાં આવ્યા છે. 10 SRP કંપની તહેનાત કરવામાં આવ્યા છે.
નિર્દેશક રવિ ચોપરા માટે ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ (૧૯૮૦) ને બનાવવાની પ્રક્રિયા બહુ લાંબી રહી હતી. ફિલ્મ બનાવવામાં ઘણાં વર્ષ લાગ્યા હતા. મોટી સ્ટારકાસ્ટ સાથે એટલું બધું શૂટિંગ થયું હતું કે ઘણું બધું કાપવામાં આવ્યું હતું. ફિલ્મ એ સમય પર સફળ રહી ન હતી. નિર્માતા સી.વી.કે. શાસ્ત્રી જ્યારે ‘ધ ગ્રેટ ગેમ્બલર’ ના શુટિંગ માટે રોમ ગયા ત્યારે રવિ ચોપરા સાથે હતા. ત્યાં હોલિવૂડની ‘ધ ટોવરીંગ ઇન્ફર્નો’ જોઈ.
ઇટાલિયન ભાષામાં ડબ એ ફિલ્મના સંવાદ સમજાયા નહીં પણ એની વાર્તા, એક્શન અને સ્પેશ્યલ ઇફેક્ટસ પસંદ આવ્યા હતા. એ પછી લંડનમાં આજ ફિલ્મ અંગ્રેજીમાં જોઈ ત્યારે ઘણું બધું વધારે સમજાયું અને એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. એ પછી ‘ધ બુલેટ ટ્રેન’ જોઈ અને ‘ધ બર્નિંગ ટ્રેન’ કેવી રીતે બનાવવી એનું આયોજન કર્યું. રવિ ‘ધ ટોવરીંગ ઇન્ફર્નો’ ના સ્પેશ્યલ ઇફેકટસના સર્જક પોલને મળ્યા અને કામ કરવા રાજી કર્યા. રવિએ ૧૯૭૬ માં ફિલ્મની જાહેરાત કરી.
‘જમીર’ (૧૯૭૫) માં સાથે કામ કર્યું હોવાથી અમિતાભને અને ‘ધ ગ્રેટ ગેમ્બલર’ ની નીતુ અને ઝીનતને પસંદ કર્યા. એક મહત્વની ભૂમિકા માટે જીતેન્દ્રને સાઇન કરવામાં આવ્યા. ફિલ્મ પર કામ આગળ વધતું ગયું એમ કલાકારો બદલાતા ગયા. ઝીનતના સ્થાને પરવીન બોબી આવી હતી. શુટિંગ વખતે એ માનસિક રીતે બીમાર થતાં મોટાભાગના દ્રશ્યોમાં દેખાઈ ન હતી. એના દ્રશ્યોનું ડબિંગ પણ બીજા પાસે કરાવવામાં આવ્યું હતું. અમિતાભ પાસે કામ વધી જતાં ના પાડી દીધી હતી એટલે એ ભૂમિકા જીતેન્દ્રને સોંપવામાં આવી અને એની ભૂમિકામાં ધર્મેન્દ્ર આવ્યા. ધર્મેન્દ્ર ફિલ્મમાં થાકેલા હોય એવા વધુ દેખાયા હોવાનો અભિપ્રાય હતો.
ધર્મેન્દ્રની પાછળ હેમામાલિની આવ્યા એટલે ઝીનત અમાનનું પત્તું કપાયું. રવિ ચોપરાને સળગતી ટ્રેનનું શુટિંગ હોવાથી ફિલ્મ બનાવવામાં ઘણાં વર્ષ લાગ્યા હતા. એટલા સમયમાં પિતા બી.આર. ચોપરાએ કર્મ, પતિ-પત્ની ઔર વો અને ‘ઇન્સાફ કા તરાજુ’ જેવી ત્રણ ફિલ્મો બનાવી હતી. ફિલ્મ વધારે પડતી લાંબી બની હોવાથી ઘણાં દ્રશ્યો અને ગીતો કાઢવા પડ્યા હતા. એમાં આશા ભોંસલેનું ‘કિસીકે વાદે પે ક્યું’ હતું. ફિલ્મનું આર. ડી. બર્મને આપેલું સંગીત યાદગાર રહ્યું છે. તેમણે વાર્તા સાંભળીને ગીતો અને બેકગ્રાઉન્ડ સંગીત તૈયાર કર્યું હતું.
ટ્રેન પર આધારિત ફિલ્મ હોવાથી એમણે રેલવે પ્લેટફોર્મ પર થોડા દિવસ રહીને ટ્રેનના આવવા-જવાના અવાજોનું રેકોર્ડિંગ કર્યું હતું. એક ગીત ‘પહલી નજર મેં’ માં એકપણ સોલો અવાજ ન હતો. મોહમ્મદ રફી અને કિશોરકુમારનો અવાજ સાથે જ હતો. એ જ રીતે આશા ભોંસલે અને ઉષા મંગેશકરે સાથે જ ગાયું હતું. ફિલ્મ માટે જેટલો સમય આપવામાં આવ્યો અને ખર્ચ કરવામાં આવ્યો એટલી જોરદાર બની નહીં. બહુ પાછળથી ‘ધ બર્નિંગ ટ્રેન’ એક યાદગાર ફિલ્મ બની શકી હતી.