દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. દિલ્હી બુલિયન બજારમાં, 21 એપ્રિલ 2025 ના રોજ સાંજે 6.28 વાગ્યા સુધીમાં, 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 250 રૂપિયાના આંકડાને વટાવી ગયો. સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં 1,650 રૂપિયાનો વધારો થયો હતો કારણ કે ડોલર નબળા પડવાથી માંગ વધી હતી અને યુએસ-ચીન વેપાર યુદ્ધની અનિશ્ચિતતા હતી, પરંતુ સાંજ સુધીમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને વટાવી ગયો હતો.
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પહેલા 10 ગ્રામ રૂપિયા 99,800 પર પહોંચી ગયો હતો. શુક્રવારે, તેની કિંમત 20 રૂપિયા ઘટીને 98,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. પરંતુ, આજે સાંજે સોનાનો ભાવ અચાનક વધી ગયો અને તે 1 લાખ રૂપિયાને પાર કરી ગયો.
સોનાના ભાવમાં સતત વધારો
આજે સ્થાનિક બજારમાં 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,600 રૂપિયા વધીને 99,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચ્યો હતો. ગયા ટ્રેડિંગ સત્રમાં, તે 97,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થોડો ઘટાડો સાથે બંધ થયો હતો. પરંતુ સાંજે 6:28 વાગ્યે, 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો.
ગયા વર્ષે 31 ડિસેમ્બરથી સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 20,850 રૂપિયા અથવા 26.41 ટકાનો વધારો થયો છે. ચાંદીના ભાવ પણ 500 રૂપિયા વધીને 98,500 રૂપિયા પ્રતિ કિલો થયા. પાછલા સત્રમાં ચાંદી 98,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર બંધ થઈ હતી.
એક મહિનામાં આટલો વધારો
તે જ સમયે, જો આપણે MCX પર છેલ્લા 3 અઠવાડિયાની વાત કરીએ તો, સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ગયા મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ 90,717 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો, જે વધીને 96,875 રૂપિયાના આજીવન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. આનો અર્થ એ થયો કે સોનાના ભાવમાં 6,158 રૂપિયાનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન સોનાએ રોકાણકારોને લગભગ 7 ટકા કમાણી કરવામાં મદદ કરી છે.
અમદાવાદઃ વિશ્વમાં 21 એપ્રિલ, 2025એ અર્થ ડે-2025ની ઉજવણી કરવામાં આવી ત્યારે HDFC બેંકે આ નિમિત્તે તેની પ્રમુખ CSR પહેલ ‘પરિવર્તન’ હેઠળ એક નોંધપાત્ર સીમાચિહ્નને જાહેર કરીને સ્થાયી પ્રગતિ સાધવા માટેની તેની કટિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવી છે. બેંક વર્ષ 2025 સુધીમાં ભારતનાં 1000 ગામોમાં સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સમાધાનોને સુલભ બનાવી સૌર ઊર્જાથી સંચાલિત થતાં નવીન પ્રકારના આંતરમાળખા, જાગૃતિ અને સ્થાનિક સહભાગીદારીઓ મારફતે ગ્રામ્ય અને અર્ધ-શહેરી સમુદાયોનું સશક્તીકરણ કરશે.
કુદરતી સંસાધનોના મેનેજમેન્ટના સ્તંભ હેઠળ HDFC બેંક પરિવર્તને 22 રાજ્યોમાં 61,655 સોલર સ્ટ્રીટલાઇટને ઇન્સ્ટોલ કરી છે. સ્ટ્રીટલાઇટ ઉપરાંત, પરિવર્તન કાર્યક્રમ હેઠળ સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં સોલર પેનલો ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે, જેથી કરીને અવિરત વીજ પુરવઠો મળી રહે તેની ખાતરી કરી શકાય. તેણે બીજી ઘણી શ્રેણીબદ્ધ સોલર પહેલ પણ લોન્ચ કરી છે, જે રસ્તા પર સલામતીથી માંડીને પીવાના પાણી, ખેતી, ફૂડ પ્રોસેસિંગ અને આજીવિકાને વધારવા સુધી ગ્રામ્ય જીવનને ઉન્નત બનાવી રહી છે.
HDFC બેંકે સોલર શિક્ષા વિકસાવી છે, જે ભારતના અર્ધ-શહેરી વિસ્તારોમાં સૌર ઊર્જાને અપનાવવાના સંબંધમાં રહેલી ખોટી માન્યતાઓને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવેલી જાગૃતિ પહેલ છે.
અત્યાર સુધીમાં ગોવા, કર્ણાટક, હરિયાણા, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, તેલંગણા અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં 90થી વધારે જાગૃતિ વર્કશોપ યોજીને 450થી વધારે સમુદાયોમાં 3000થી વધુ લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ શાળાઓ, જાહેર હોસ્પિટલો, અનાથાશ્રમો, કૃષિ ગ્રુપો અને વૃદ્ધાશ્રમો સુધી પહોંચ્યો છે, જે એવી જગ્યાઓ છે જ્યાં સોલર જીવનની ગુણવત્તાને સીધી સુધારી શકે તેમ છે. તેમાં સોલર પમ્પ, પેનલો, કૂકર, સ્ટવ, સ્ટ્રીટલાઇટ અને વોટર હીટર સહિતનાં સોલર સમાધાનોની વ્યાપક રેન્જને અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.
પોતાની પહેલ અંગે વાત કરતાં HDFC બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ ભરૂચાએ જણાવ્યું હતું કે HDFC બેંકમાં અમારું માનવું છે કે સ્થાયી ભવિષ્ય સમાવેશી વિકાસમાં રહેલું છે. પરિવર્તન હેઠળની અમારી સૌર ઊર્જાની વિવિધ પહેલની રચના તકો સર્જવાની સાથે શેરીઓ અને ઘરોને પ્રકાશિત કરીને વાસ્તવિક, નોંધપાત્ર પરિવર્તન લાવવા માટે થઈ છે.
HDFC બેંકના કોર્પોરેટ સોશિયલ રિન્સિબિલિટીનાં હેડ નુસરત પઠાણે જણાવ્યું હતું કે અમે એ વાત સ્વીકારીએ છીએ કે સૌર ઊર્જાનું લોકશાહીકરણ એ ટેકનોલોજીને કામે લગાડવા કરતાં પણ વધારે જરૂરી છે. અમારી કટિબદ્ધતા આંતરમાળખાનાં વિકાસ પૂરતી મર્યાદિત નથી અને તે લાંબા ગાળા સુધી સમુદાયના નેતૃત્વમાં ઊર્જા સ્વતંત્રતાને શક્ય બનાવે તેવા જ્ઞાન પર આધારિત ફ્રેમવર્કની રચના કરવા પર કેન્દ્રિત છે.
સૌર ઊર્જાના કેટલાક નવીન પ્રોજેક્ટ્સમાં કાર્યક્ષમ રીતે સિંચાઈ કરવા માટેના પોર્ટેબલ સોલર પમ્પ, સૌર ઊર્જાથી ચાલતી વોટર સપ્લાય સિસ્ટમ, સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપનારા સૌર ઊર્જાથી સંચાલિત થતાં ફૂડ પ્રોસેસિંગ એકમો તથા પ્રવાસનમાંથી થતી આવકને વધારવા માટે હોમસ્ટેમાં સોલર હીટરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ સમગ્ર દેશમાં વિવિધ ઉપયોગોમાં સૌર ઊર્જાની બહુમુખી અને ક્રાંતિકારી ક્ષમતાને દર્શાવે છે.
અમદાવાદઃ બ્રહ્માકુમારીની ભગીની સંસ્થા રાજયોગ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફોઉન્ડેશનની મેડીકલ પ્રભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા, રાષ્ટ્રવ્યાપી નશામુક્ત ભારત અભિયાનના ભાગ રૂપે બ્રહ્માકુમારી મહાદેવનગર દ્વારા આયોજિત વ્યસનમુક્તિ રથને કલેકટરના શુભ હસ્તે લીલકી ઝંડી આપી અભિયાનનો શુભારંભ થયો. બ્રહ્માકુમારીના ભાઈ-બહેનો અમદાવાદ અને આસપાસના ગામોમાં જઈ લોકોને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
બ્રહ્માકુમારી, મહાદેવનગર સબઝોનના ડાયરેકટર બીકે ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે,” ભારતને સંપૂર્ણપણે નશા કે વ્યસનથી મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ” બે વર્ષમાં, નશામુક્ત ભારત અભિયાન હેઠળ દેશભરમાં કુંભ મેળા સહિત 28 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને 17381 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા, લગભગ ૩ કરોડ 26 લાખ લોકોને ડ્રગ્સના વ્યસનના દુષ્પ્રભાવો અને તેનાથી થતા સામાજિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક નુકસાનથી વાકેફ કરવામાં આવ્યા છે. લગભગ 2 કરોડ 86 લાખ લોકોને હંમેશા ડ્રગ્સ મુક્ત રહેવા અને વ્યસનથી દૂર રહેવા માટે સ્થળ પર જ પ્રતિજ્ઞા અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
આ ઝુંબેશ 28 રાજ્યોના 345 જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહી છે
દેશના 28 રાજ્યોના 396 જિલ્લાઓમાં સભાઓ, સંમેલન, શેરી નાટકો, પરિસંવાદો, પ્રદર્શનો અને રેલીઓ દ્વારા લોકોને વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. દેશના 11947 શહેરો અને નગરોને આવરી લેવા ઉપરાંત, 5428 ગામડાઓમાં સામાન્ય લોકો, ગ્રામજનો અને ખેડૂતોને રાજયોગ ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાન આપીને વ્યસનથી દૂર રહેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. દેશભરમાં મેડિકલ વિંગ સાથે સંકળાયેલા 2 લાખો બ્રહ્માકુમાર ભાઈઓ અને બહેનો દેશભરની 6744 શાળાઓ અને કોલેજોના 1757322 વિદ્યાર્થીઓ સુધી સંદેશ પહોંચાડવા પહોંચ્યા. જ્યાં તેમને વ્યસનથી દૂર રહેવાનું અને તેમના પરિવારના સભ્યોને પણ વ્યસનથી દૂર રાખવાનું કહેવામાં આવ્યું.
આ ઝુંબેશ ત્રણ વર્ષ સુધી દેશભરમાં ચલાવવામાં આવશે.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને બ્રહ્માકુમારી સંસ્થાની તબીબી શાખા વચ્ચે ત્રણ વર્ષ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત, દેશભરમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવીને દસ કરોડ લોકોને ડ્રગ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ, સેમિનાર, પ્રેરક કાર્યશાળાઓ, રેલીઓ, પ્રદર્શનો અને શેરી નાટકો દ્વારા જાગૃતિ લાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, મેડિકલ વિંગ છેલ્લા 35 વર્ષથી ડ્રગ વિરોધી ઝુંબેશ ચલાવી રહી છે.
કાઉન્સેલિંગ પણ કરી રહ્યા છીએ
બ્રહ્મા કુમાર ભાઈઓ અને બહેનો દ્વારા ડ્રગ્સના વ્યસનની ચંગુલમાં ફસાયેલા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને રાજયોગ ધ્યાનની પદ્ધતિ શીખવીને તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે પણ પ્રેરણા આપવામાં આવી રહી છે. વ્યસન વ્યક્તિને વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આર્થિક રીતે કેવી રીતે નબળું પાડે છે અને સામાજિક પ્રતિષ્ઠાને કેવી રીતે બગાડે છે તે બતાવીને લોકોને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
વડોદરા : શહેરમાં બાઇકર્સ ગેંગ અને અન્ય વાહનચાલકો દ્વારા મોટરસાઇકલોમાં લગાવેલા મોડીફાઇડ સાઇલેન્સરથી ફેલાતા ઘોંઘાટ સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. આજે પશ્ચિમ વિભાગની ટ્રાફિક શાખાએ સયાજીગંજ ટ્રાફિક પોલીસ ઓફિસ ખાતે 108 ઇન્દોરી અને પંજાબી મોડીફાઇડ સાઇલેન્સર પર કોર્ટની મંજૂરી બાદ બુલડોઝર ફેરવી નાશ કર્યો. આ પહેલાં ફેબ્રુઆરી 2025માં 73 અને તાજેતરમાં 75થી વધુ સાઇલેન્સર નાશ કરાયા હતા.
શહેરના આઉટર રિંગરોડ, જૂના પાદરા રોડ, કારેલીબાગ, દાંડિયા બજાર, અકોટા બ્રિજ અને નવા વિકસિત ભાઈની ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ખાસ કરીને સાંજ અને રાત્રે બાઇકર્સ ગેંગ દ્વારા રેસર બાઇકો અને મોડીફાઇડ સાઇલેન્સરવાળી મોટરસાઇકલો ચલાવવામાં આવે છે. આનાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે અને અકસ્માતનો ભય રહે છે. આવા સાઇલેન્સર લગાવેલી બાઇકો ફટાકડા જેવો તીવ્ર અવાજ ઉત્પન્ન કરે છે, જે વૃદ્ધો, બાળકો અને દર્દીઓ માટે હેરાનગતિનું કારણ બને છે.
વડોદરા ટ્રાફિક પોલીસે આવી બાઇકો જપ્ત કરી, તેમાંથી મોડીફાઇડ સાઇલેન્સર કાઢી લીધા. કોર્ટની પરવાનગી મેળવી, દારૂની બોટલોની જેમ આ સાઇલેન્સર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ટ્રાફિક ACPએ જણાવ્યું કે, આવી કાર્યવાહી નિયમિત ચાલુ રહેશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં 60 રોયલ એનફિલ્ડ બાઇકો જપ્ત કરાઈ હતી, અને તાજેતરની કાર્યવાહીમાં 170થી વધુ બાઇક ચાલકો સામે પગલાં લેવાયા. આ કાર્યવાહી ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને શહેરમાં શાંતિ જાળવવા માટેનો પોલીસનો પ્રયાસ છે. નાગરિકોને પણ આવા ગેરકાયદે મોડિફિકેશન સામે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ સંજીવ ખન્નાના નિવેદન પછી વિપક્ષના નેતાઓએ નિશિકાંત દુબેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. એ સાથે તેમની વિરુદ્ધ અવમાનના કાર્યવાહી શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અનસ તનવીરે ટોચની કોર્ટની વિરુદ્ધ ટિપ્પણી કરવા માટે નિશિકાંત દુબેની વિરુદ્ધ અવમાનના કાર્યવાહી શરૂ કરવાની એટર્ની જનરલ આર. વેન્કટરમણથી સહમતી માગી છે.
હવે નિશિકાંત દુબેની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. સુપ્રીમ કોર્ટમાં દુબે સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીની અરજી દાખલ કરવા મંજૂરી આપવામાં આવી છે. આજે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીની માગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એ દરમિયાન વકીલે કહ્યું હતું કે આ કોર્ટ વિશે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપવામાં આવ્યાં છે. નિશિકાંત દુબેએ આપેલાં નિવેદનો જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
અરજદારની અરજી સાંભળીને જસ્ટિસ બીઆર ગવઈએ પૂછ્યું કે તમને શું જોઈએ છે? આના પર વકીલે કહ્યું, હું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ દાખલ કરવા માગું છું. જસ્ટિસ ગવઈએ સ્પષ્ટ જવાબ આપ્યો અને કહ્યું, તો પછી તમે કેસ દાખલ કરોને, તમારે અમારી પરવાનગીની જરૂર નથી. તમારે એટર્ની જનરલ પાસેથી મંજૂરી લેવી પડશે.
દુબેનું વિવાદાસ્પદ નિવેદન
વકફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકતાં નિશિકાંત દુબે નારાજ થયા હતા. તેમણે શનિવારે સુપ્રીમ કોર્ટ અંગે ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટે કાયદો બનાવવો હોય તો સંસદ અને રાજ્ય વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ. તેમણે ભારતના મુખ્ય ન્યાયધીશ સંજીવ ખન્નાને દેશમાં ગૃહયુદ્ધો માટે જવાબદાર ગણાવ્યા હતા. તેમના નિવેદન બાદ હોબાળો મચી ગયો હતો.
થોડા સમય પહેલા એક ગુજરાતી ફિલ્મ આવી હતી કાશી રાઘવ. ફિલ્મના મુખ્ય પાત્રો કાશી રાઘવની ભારોભાર પ્રશંસા કરવામાં આવી. કાશીની ભૂમિકામાં દીક્ષા જોશીનું પર્ફોમન્સ દર્શકોને સ્પર્શી ગયું તો રાઘવના પાત્રમાં જયેશ મોરેની પણ સરાહના થઈ. જોકે, આપણે આ ફિલ્મ વિશે નહીં પણ ફિલ્મમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે જેમની મહત્વની ભૂમિકા રહી છે એવા અવની સોનીના સફર વિશે વાત કરવાની છે.
ઘણી વાર પડદા પર જોયેલા પાત્રોની આબેહુબ છબી મનમાં છપાઈ જાય છે. કલાકારો માટે પણ જે-તે પાત્રો તેઓની ઓળખ બની જાય છે. પાના પર લખેલા પાત્રને સ્ક્રિન પર લાવવા માટે એક્ટર્સની પસંદગી કરવાનું કામ કંઈ સહેલુ નથી. ફક્ત બોલીવુડમાં જ નહીં પણ ગુજરાતી ફિલ્મોમાં પણ કાસ્ટિંગ પ્રક્રિયા ઘણી વ્યાપક છે, જેમાં ઘણા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. આ કામ કરનારને કાસ્ટિંગ ડિરેક્ટર કહેવાય છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડિરેટક્ટર તરીકે સક્રિય અવની સોનીએ ચિત્રલેખા સાથે ખાસ વાતચીત કરી. જેમાં ગુજરાતી ફિલ્મ્સ, કાસ્ટિંગની પ્રક્રિયા અને એક્ટર્સની પસંદગી પાછળના પરિબળોનો ખાસ ઉલ્લેખ કર્યો.
કેવી રીતે પકડી મનોરંજન જગતની રાહ?
સુરેનદ્રનગરમાં જન્મેલા અવની સોનીએ વર્ષ 2011માં ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે કરિયરની શરૂઆત કરી. તેમના પિતા પત્રકાર હોવાથી તેઓ ઈચ્છતા હતાં કે અવની પત્રકાર બને પરંતુ તેણીએ મનોરંજન જગતમાં પોતાની એક અલગ રાહ પસંદ કરી, જેમાં પરિવારે સંપૂર્ણ સહકાર આપ્યો. શરૂઆતમાં અવની સોની, અમદાવાદમાં પ્રોગ્રામ કે ઈવેન્ટ માટે મુંબઈથી આર્ટિસ્ટ બોલાવવા હોય તો તે મેનેજ કરતા હતાં. બાલાજી ટેલિફિલ્મ્સ, ધર્મા પ્રોડક્શન અને યશરાજ બેનરની ફિલ્મોની અમદાવાદમાં પ્રમોશન ઈવેન્ટ પણ કરતાં અને સાથે સાથે મુંબઈના પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ પણ કરતાં. અવની સોનીએ ચિત્રલેખા સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘2016માં મને પહેલી ગુજરાતી ફિલ્મ તંબુરો મળી, જેમાં મેં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યુ. કાસ્ટિંગની પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજવા અને મારા કામને ન્યાય આપવા માટે મેં ઘણું બઘું રિસર્સ અને જાણકારી મેળવી.’
કાસ્ટિંગની પ્રક્રિયામાં સૌથી વધુ પડકારજનક શું છે?
તબુંરો બાદ અવની સોનીએ ‘છૂટી જશે છક્કા’, ‘લવની લવ સ્ટોરીઝ’,’બચુભાઈ’ અને થોડા સમય પહેલા આવી ‘કાશી રાઘવ’ સહિત અનેક પ્રોજેક્ટ કર્યા. કાશી રાઘવનો અનુભવ શેર કરતાં અવની સોની જણાવે છે કે,’કાશી રાઘવ એક ખૂબ જ અલગ ફિલ્મ હતી. દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામીએ મને વાર્તા સંભળાવી,ફિલ્મમાં ગુજરાતી અને બંગાળી ભાષાઓનું મિશ્રણ હોવાથી મને ખબર હતી કે કાસ્ટિંગ થોડું પડકારજનક રહેશે. પરંતુ તે ખૂબ જ રસપ્રદ રહ્યું. અમે એવા પાત્રો શોધી રહ્યા હતા જે બંગાળી બોલી શકે. કાશીની ભૂમિકા માટે અન્ય વિકલ્પો હતા, પરંતુ જ્યારે પણ આપણે કોઈ ફિલ્મ બનાવીએ છીએ ત્યારે દિગ્દર્શક અને લેખક પાસે એક દ્રષ્ટિકોણ હોય છે. તેઓ પાત્રની કલ્પના કરે છે અને મનમાં સ્પષ્ટ દ્રષ્ટિ હોય છે. તેના આધારે લાગ્યું કે દીક્ષા કાશીના પાત્રમાં એકદમ ફિટ બેસે છે. એવી જ રીતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને અન્ય એક્ટર્સની પસંદગી કરી. આ ફિલ્મ માટે કાસ્ટિંગ ખરેખર યાદગાર અનુભવ બની ગયો. ‘
કેવી રીતે થાય છે એક્ટર્સની પસંદગી?
કાસ્ટિંગની પ્રક્રિયા વિશે જણાવતાં અવની સોની કહે છે કે, ‘કાસ્ટિંગની વાત કરીએ તો હું ખુબ જ ચીવટપૂવર્ક કાસ્ટિંગ કરું છું. સામાન્ય રીતે બધાં એવું માનતાં હોય કે આપણું કામ છે કાસ્ટિંગ કરવાનુ સ્ટોરી ગમે તેવી હોય. પરંતુ મારો આવો દૃષ્ટિકોણ નથી. હું ફિલ્મની આખી સ્ટોરી સાંભળું છું અને જો મને વાર્તા ગમે તો જ પ્રોજેક્ટ હાથમાં લઉં છું. ફિલ્મની રાઈટિંગથી લઈ ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી હું પ્રોજેક્ટ સાથે જોડાયેલી રહું છું.’ કાસ્ટિંગની પ્રક્રિયામાં આવતાં પડકાર વિશે જણાવતાં તેમણે કહ્યું કે, ‘સૌથી પહેલા તો સ્ક્રિપ્ટ વાંચવી ખૂબ જ જરૂરી છે. દરેક પાત્રોને સમજવા માટે સ્ક્રિપ્ટ વાંચવી અનિવાર્ય છે. વાર્તામાં પાત્રો કેવા કેવા પ્રકારના છે અને આ પાત્રોમાં કોણ-કોણ ફિટ બેસી શકે છે તે સમજવું અને તેનું હોમવર્ક કરવું એ પડકારજનક બાબત છે. ઘણી વાર એવું બને કે તમે જે એક્ટર્સની કલ્પના કરતા હોય એ ઓડિશન વખતે ખરાં ન પણ ઉતરી શકે. ઓડિશન અને સ્ક્રીનટેસ્ટની પ્રક્રિયા પણ ખુબ સાચવીને કરું છું. આ સાથે જ નિર્દેશક સાથેની તાલમેલ પણ મહત્વની છે. દિગ્દર્શકના વિઝનને સમજવું પણ એટલું જ આવશ્યક છે. જે તમને પાત્ર માટે યોગ્ય એક્ટર્સની પસંદગી કરવામાં મદદ કરે છે.’
ગુજરાતમાં ટેલેન્ટનો ભંડાર છે એવું કહેતાં અવની જણાવે છે કે તે દરેક પ્રોજેક્ટમાં નવા ચહેરા અને ઉભરતાં કલાકારોને કામની તક આપે છે. એકટર્સની પંસદ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખો છો? આ સવાલના જવાબમાં અવની સોનીએ કહ્યું,”ઘણી વાર એક્ટર્સની પસંદગી તેમનું ભૂતકાળનું કામ અને અનુભવના આધારે થતી હોય છે. સૌથી પહેલા તો ઓડિશન લેવું અગત્યની બાબત છે. ઓડિશન માટે આર્ટિસ્ટને વાર્તાનો એક નાનકડો ભાગ જ આપીએ છીએ. પણ એક્ટર્સને સ્ક્રિપ્ટ આપતી વખતે સારાંશ પણ સમજાવું છું. જેથી તે યોગ્ય રીતે પાત્રને સમજી શકે અને તેમા ઢળી શકે. જ્યારે હું ટીમ સાથે ઓડિશન જોવા બેસું ત્યારે સૌથી પહેલું ધ્યાન એ બાબત પર જાય છે કે એક્ટર્સ આપેલા પાત્રને કેટલી સહજતાથી પકડી શકે છે. આંખોની સાથે સાથે બોડી લેંગ્વેજ પણ મહત્વની છે. પાત્રને કેટલું સમજ્યા છે. પસંદગી કરતી વખતે આ મુખ્ય બાબતોનું ખાસ ધ્યાન રાખીએ છીએ. ઘણી વાર કોઈમાં ક્ષમતા લાગે તો બીજી વાર પણ ઓડિશન લઈએ અને જોઈએ કે તે પાત્રને કેટલું સરળતાથી પકડી શકે છે.’
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માંગતા ઉભરતાં નવા ચહેરાઓ માટે અવની સોનીએ જણાવ્યું કે સૌથી પહેલા અભ્યાસ પૂરો કરો. સ્ટડીના ભોગે કોઈ શોખ પુરા ન કરો. બીજુ એ કે પોતાના પર કામ કરો અને ધીરજ રાખો. આ એટલી મોટી ઈન્ડસ્ટ્રી છે કે નિષ્ફળતા પણ ડગલે પગલે મળશે, તેથી ધીરજ રાખો અને રોજ કંઈકને કંઈક નવું શીખતા રહો. શક્ય હોય તો અભિનય માટે કોઈ પણ રીતે તાલીમ મેળવો. તમે થિયેટર પણ કરી શકો છો. થિયેટર મા જેવું છે, જે તમારું ઘડતર કરશે.
અમદાવાદ : ચાંગોદરમાં 14 એપ્રિલ, 2025ના રોજ દેરાણી-જેઠાણી જતનબહેન સોલંકી અને સોનબહેન સોલંકીની પથ્થરો મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ચાંગોદર પોલીસે ગુનો નોંધી, ચાર ટીમો અને 150થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આરોપી ભોલે કોલ (ઉં. 47)ને મધ્યપ્રદેશના સતના જિલ્લામાંથી ઝડપી પાડ્યો. આરોપીએ 15 મિનિટમાં બંને વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.
ઘટના સાણંદ તાલુકાના ચાંચરાવાડી વાસણા ગામના ગોચરમાં બની, જ્યાં માટોડા ગામની રહેવાસી બંને મહિલાઓના મૃતદેહ મળ્યા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી. આરોપી ભોલે કોલ, જે ચાંગોદરની એક કંપનીમાં ત્રણ મહિનાથી કામ કરતો હતો, ઘટના બાદ વતન ભાગી ગયો હતો. LCBએ મધ્યપ્રદેશના પ્રતાપપુર ગામમાંથી તેને ઝડપી લીધો.
પોલીસના જણાવ્યા મુજબ, ભોલે પીડિતાઓને ઓળખતો હતો. ઘટનાના દિવસે તેણે એક વૃદ્ધા પાસે શરીરસુખની માગણી કરી, પરંતુ ના પાડતાં ગુસ્સામાં પથ્થર મારી હત્યા કરી. બીજી વૃદ્ધાએ ભાગવાનો પ્રયાસ કરતાં તેનો પીછો કરી તેની પણ હત્યા કરી. આરોપીએ આ બધું 15 મિનિટમાં અંજામ આપ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી, આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદઃ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદના જમાલપુરમાં આવેલી કાચની મસ્જિદ નજીકના ચોબદારના ડહેલામાં રહેતા મોહંમદ રફીક અંસારીએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમનું મકાન કાચની મસ્જિદના ટ્રસ્ટની માલિકીનું છે અને તેનો કબજો વક્ફ બોર્ડ પાસે છે, જે મકાન 80 વર્ષ પહેલાં પચ્ચીસ પૈસાના ભાડેથી મોહંમદ રફિકના પિતાને મળ્યું હતું. જમાલપુરમાં કાચની મસ્જિદ ટ્રસ્ટની સાથે શાહ બડા કાસમ ટ્રસ્ટ પણ આવેલું છે. આ બંને ટ્રસ્ટ મસ્જિદ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડમાં નોંધાયેલા છે. આ બંને ટ્રસ્ટની કુલ 27 જેટલી મિલકતોનું ભાડું બને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ઉઘરાવવામાં આવે છે. નિયમ મુજબ આ આવકના સાત ટકા વક્ફ બોર્ડમાં જમા કરાવવા પડે છે.
આ ટ્રસ્ટમાં વર્ષ 1980થી અબ્દુલ હબીબ શેખ, અમીરૂદ્દીન અબ્દુલહબીબ, મુસ્તુફા શેખ, ઇમાનખાન રસુલખાન, સરવરખાન પઠાણ, ખલીલ અહેમદ અને અબ્દુલ કરીમ શેખ ટ્રસ્ટી તરીકે હતા. આ ટ્રસ્ટની મિલકતોમાં 100 મકાન અને 25 દુકાનોનો સમાવેશ થાય છે, પરંતુ, જૂના ટ્રસ્ટીઓના મોત થયા પછી કેટલાક લોકોએ ટ્રસ્ટી હોવાના ખોટા સોંગધનામાં કરીને વહીવટમાં ગેરરીતિ શરૂ કરી હતી.
હાલ કાંચની મસ્જિદની બાજુમાં જમીન આવેલી છે. આ જમીન ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને સોપવામાં આવી હતી. જ્યાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઉર્દૂ શાળા નંબર 9 અને 10 બનાવવામાં આવી હતી. પરંતુ ભૂકંપ વખતે ટ્રસ્ટીઓએ ખોટા લાભ લઇને વાત ફેલાવી હતી કે આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી જાનહાનિ થઈ શકે તેમ છે. જેથી આ સ્કૂલના અન્ય સ્થળે ટ્રાન્સફર કરાવી દીધી હતી. ત્યાર બાદ સ્કૂલની બિલ્ડિંગ તોડીને ટ્સ્ટીઓએ 10 દુકાનો બનાવી હતી.
જેમાં એક દુકાનમાં સલીમ ખાન પઠાણ નામની વ્યક્તિએ એક દુકાનમાં સોદાગર કન્ટ્રક્શનનની ઓફિસ ખોલીને અન્ય નવ દુકાનો ભાડે આપી દીધી હતી. જે ભાડાની રકમ મ્યુનિલિપલ કોર્પોરેશનમાં કે ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવી નહોતી. એટલું જ નહીં, કાચની મસ્જિદ પાછળ સલીમ ખાનની નજીકમાં રહેતા મંહમદયાસર શેખ, મેહમુદખાન પઠાણ, ફૈઝ મોંહંદમ ચૌબદાર અને સાહિલ યાકુબ શેખના નામ વક્ફ બોર્ડના ટ્રસ્ટી તરીકે દાખલ થયા ન હોવા છતાંય તેમણે 25થી 30 દુકાનો અને 200 જેટલાં મકાનોનાં ભાડાં વસૂલ્યાં હતાં આ ઉપરાંત છ માળના બે ગેરકાયદે એપાર્ટમેન્ટ પણ તૈયાર કરીને નાણાં પડાવ્યા હતા. આમ, સલીમ ખાન અન્ય ચાર માથાભારે શખસોએ વક્ફ બોર્ડની મિલકતો પર ગેરકાયદે કબ્જો કરીને મોટા પાયે છેતરપિંડી કરી હતી.
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ ભારતમાં સૌથી મોટા અને સૌથી વધુ ચર્ચિત કૌભાંડોમાંનું એક છે. આ કામ ઉદ્યોગપતિ નીરવ મોદીએ કર્યું હતું. નીરવ મોદીએ એવી યુક્તિ રમી હતી જેના પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. હિન્દી સિનેમાના આ ટોચના અભિનેતા ભાગેડુ નીરવ મોદીની ભૂમિકામાં જોવા મળશે. 13,000 કરોડ રૂપિયાના આ કૌભાંડના એક પછી એક સ્તર હવે સિનેમાની દુનિયામાં ખુલ્લા પડવા માટે તૈયાર છે.
એક અહેવાલ મુજબ, હવે ‘ગુલક’ વેબ સિરીઝ ફેમ ડિરેક્ટર પલાશ વાસવાણી નીરવ મોદીના કાળા કાર્યોને સિનેમા દ્વારા દર્શકો સમક્ષ લાવવા જઈ રહ્યા છે. નિર્માતા વિક્રમ મલ્હોત્રા તેમને ટેકો આપશે. નીરવની બાયોપિક એબન્ડેન્ટિયા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવશે જે પવન સી. લાલના પુસ્તક ‘ફ્લોયડ: ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ઇન્ડિયાઝ ડાયમંડ મોગલ નીરવ મોદી’ પર આધારિત હશે. જોકે, ચાહકોના મનમાં એક મોટો પ્રશ્ન એ છે કે નીરવનું પાત્ર કયો અભિનેતા ભજવશે?
ભાગેડુની ભૂમિકા કોણ ભજવશે?
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કયો અભિનેતા ભજવશે તે હજુ સુધી જાહેર થયું નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાગેડુ નીરવનું પાત્ર બોલિવૂડના એક એ-લિસ્ટર અભિનેતા દ્વારા ભજવવામાં આવશે. નિર્માતાઓ એક એ-લિસ્ટર અભિનેતા સાથે વાતચીત કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, નિર્માતાઓ ટૂંક સમયમાં ફિલ્મ માટે એક લોકપ્રિય અભિનેતાને સાઇન કરશે. એ જોવાનું રસપ્રદ રહેશે કે કયો અભિનેતા તે વ્યક્તિની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે જેના પર ભારતે છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સહિતના અનેક આરોપો લગાવ્યા છે.
આજે, દરેક ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર બાળકો અને કિશોરોના વપરાશકર્તાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઘણી વખત બાળકો ઇન્સ્ટાગ્રામ પર તેમની વાસ્તવિક ઉંમર છુપાવીને પુખ્ત બનવાનો પ્રયાસ કરે છે. જેથી તેઓ ફક્ત પુખ્ત વયના લોકો માટે જ હોય તેવી કેટલીક સામગ્રી અથવા સુવિધાઓને ઍક્સેસ કરી શકે. હવે ઇન્સ્ટાગ્રામે આ સમસ્યાના ઉકેલ માટે AI ની મદદ લેવાનું શરૂ કર્યું છે.
AI ઉંમર કેવી રીતે નક્કી કરશે?
ઇન્સ્ટાગ્રામ હવે AI ટેકનોલોજીની મદદથી તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે શું કોઈ કિશોર (13-17 વર્ષનો) 18 વર્ષથી વધુ ઉંમરનો હોવાનો ડોળ કરી રહ્યો છે. આ પ્રક્રિયામાં ચહેરાના ફોટાને જોઈને ઉંમરનો અંદાજ લગાવવામાં આવે છે. એપ પર વપરાશકર્તાના વર્તન અને પ્રવૃત્તિના આધારે ઉંમરનો અંદાજ પણ લગાવવામાં આવશે. જો ઇન્સ્ટાગ્રામને કોઈ શંકા હોય તો તે યુઝર પાસેથી ફેસ સ્કેન અથવા Age Certificate માંગી શકે છે. સત્ય બહાર આવ્યા પછી આવા એકાઉન્ટને ટિનએજ એકાઉન્ટમાં ફેરવવામાં આવશે. મેટા અનુસાર, આ ટેકનોલોજી સંપૂર્ણ ગોપનીયતાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ આ ડેટા કોઈની સાથે શેર કરશે નહીં અને સ્કેન થોડીવારમાં કાઢી નાખવામાં આવશે.
ટિનએજ એકાઉન્ટ શું છે?
ટિનએજ એકાઉન્ટમાં મૂળભૂત રીતે ખાનગી હોય છે. આનો અર્થ એ થયો કે તેમની પ્રોફાઇલ અને પોસ્ટ દરેકને દેખાતી નથી. આ ઉપરાંત, ખાનગી સંદેશાઓ (DM) પર પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. કિશોરવયના વપરાશકર્તાઓ ફક્ત એવા લોકો પાસેથી જ મેસજે પ્રાપ્ત કરી શકે છે જેમને તેઓ પહેલાથી જ ફોલો કરે છે અથવા જેમની સાથે પહેલાથી જ જોડાયેલા છે.
ઇન્સ્ટાગ્રામ પર સંવેદનશીલ સામગ્રી, જેમ કે લડાઈના વીડિયો અથવા કોસ્મેટિક સર્જરીને પ્રોત્સાહન આપતી પોસ્ટ, પણ ઓછી બતાવવામાં આવશે. મેટા અનુસાર, જો કોઈ કિશોર ઇન્સ્ટાગ્રામ પર 60 મિનિટથી વધુ સમય વિતાવે છે, તો તેને એક સૂચના પ્રાપ્ત થશે. આ સાથે સ્લીપ મોડ પણ ચાલુ થશે, જે રાત્રે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચાલશે. આ સમય દરમિયાન, બધી નોટિફિકેશન્સ બંધ કરવામાં આવશે.