મૌન દ્વારા શાંતિ અને આનંદનો ઉદય

જ્યારે બુદ્ધને આત્મજ્ઞાન થયું, ત્યારે મે મહિનાની પૂર્ણિમાનો દિવસ હતો. એવું કહેવાય છે કે તેઓ એક અઠવાડિયા સુધી મૌન રહ્યા. સ્વર્ગમાં દેવદૂતો ચિંતામાં પડી ગયા કારણ કે આવી ઘટના સહસ્ત્રાબ્દીમાં ભાગ્યે જ બનતી હોય છે. તેમણે બુદ્ધને મૌન છોડી કંઈક બોલવા માટે આગ્રહ કર્યો. બુદ્ધે ઉત્તર આપ્યો, “જે જાણે છે તેઓ મારા બોલ્યા વગર પણ જાણી લેશે, અને જે અજ્ઞાની છે તે હું બોલીશ તો પણ નહિ સમજે.” જ્યાં શબ્દો ખૂટી પડે છે, ત્યાંથી સત્યની શરૂઆત થાય છે.

દેવદૂતોએ તેમને વિનંતી કરી કે જેઓ આત્મજ્ઞાનની નજીક છે પરંતુ સંપૂર્ણ જ્ઞાની નથી તેમના માટે કંઈક કહો. બુદ્ધના શબ્દોનો ઉદ્દેશ્ય મૌન સુધી પહોંચવાનો હતો. મૌન એ જીવનનો સ્ત્રોત છે અને રોગોનો ઉપચાર છે. ક્રોધિત વ્યક્તિ અંતે મૌન થઈ જાય છે, દુઃખી વ્યક્તિ મૌન શોધે છે, અને જ્ઞાની વ્યક્તિ સ્વયં મૌન ધારણ કરે છે.

મનમાં થવા વાળા ઘોંઘાટને ઓળખો – શું તે પૈસા, પ્રતિષ્ઠા, ઓળખ, સંબંધો ને લઈને છે? ઘોંઘાટ ઉપરના સ્તર પર હોય છે, જ્યારે ઊંડાણમાં એનો આધાર મૌન છે. બુદ્ધે સંતોષી જીવન જીવ્યું, પરંતુ સત્યની શોધમાં પોતાના મહેલ, પત્ની અને પુત્રનો ત્યાગ કર્યો. તેમણે વર્ષો સુધી તપસ્યા કરી અને અંતે ચાર સત્યો ઉજાગર કર્યા.

તેમણે શિષ્યોને ભિક્ષા માંગવા મોકલ્યા જેથી “હું કંઈક છું” એ અભિમાન દૂર થઈ શકે અને “હું કંઈ નથી” ની અનુભૂતિ થઈ શકે. પહેલું સત્ય એ છે કે દુનિયામાં દુઃખ છે. બીજું સત્ય એ છે કે દુઃખનું કોઈ કારણ છે. ત્રીજું સત્ય એ છે કે દુઃખને દૂર કરી શકાય છે. ચોથું સત્ય એ છે કે એ દુઃખમાંથી મુક્તિનો માર્ગ પણ છે.

તમારા વાસ્તવિક રૂપને ઓળખો, તમારો વાસ્તવિક સ્વભાવ શું છે? તે શાંતિ, કરુણા, પ્રેમ, મિત્રતા અને આનંદ છે, અને આ બધું મૌનમાંથી જન્મે છે. મૌન દુ:ખ અને આત્મગ્લાનીને દૂર કરે છે અને આનંદ, કરુણા અને પ્રેમને જન્મ આપે છે. આ રીતે, દરેક વ્યક્તિ આનંદીત રહી શકે છે અને દુઃખના ભવસાગરને પાર કરી શકે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)