સ્ટ્રેસથી સ્મિત: મુરલીધરના લાઇફ લેસન

તમે ક્યારેય વિચાર કર્યો છે? આજના અઢળક સુખ-સુવિધા, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આલીશાન લાઇફસ્ટાઇલના યુગમાં માણસ સતત ટેન્શનમાં કેમ છે? જરાક નકારાત્મકતા, નોકરીનું સ્ટ્રેસ કે સંબંધમાં નાનોસરખો ખટરાગ થાય એટલે માણસ ધીરજ ગુમાવી દે છે અને “મારા જ નસીબમાં દુઃખ કેમ?” એવી ફરિયાદ કરવા માંડે છે.

થોડોક માનસિક થાક લાગે એટલે તે ‘મી-ટાઇમ’ શોધવા અથવા રિલેક્સ થવા કોફી શોપ કે હિલ સ્ટેશન તરફ દોડે છે. નાનીસરખી નિષ્ફળતા પણ તેને ડિપ્રેશન તરફ ધકેલી દે છે. પરંતુ શું દુઃખોથી ભાગવું એ જ એકમાત્ર રસ્તો છે?

દુનિયામાં એવા પણ મહામાનવો થયા છે, જેમણે મુશ્કેલીઓની વચ્ચે ઊભા રહીને જીવનનો ઉત્સવ ઊજવ્યો છે. મૃત્યુની ટ્રેનની રાહ જોતી જિંદગીના પ્લેટફોર્મ પર બેઠેલી હતાશ વ્યક્તિના મુખ પર ફરીથી હાસ્ય લાવી શકે એવું ભગવાન શ્રીકૃષ્ણનું જીવન આપણી સામે છે. તેમની મૂર્તિનાં દર્શન કરતાં જ સમજાય છે કે માનવજીવનના દરેક પાસાને તેમનું જીવન સ્પર્શે છે. જીવનસંગ્રામમાં વિજયી બનવા ઇચ્છતા દરેક મનુષ્ય માટે ભગવાન શ્રીકૃષ્ણ એક આદર્શ છે.

યોગેશ્વર, દામોદર, રણછોડ, મુરારી વગેરે અનેક નામોથી વિખ્યાત ભગવાન શ્રીકૃષ્ણનું એક વિશિષ્ટ નામ છે મુરલીધર. ત્રિભંગી મુદ્રામાં ઊભા રહી બંને હાથથી વાંસળી વગાડતા મુરલીધર શ્રીકૃષ્ણનું દર્શન અત્યંત મધુર છે.

આજે માણસ પોતાના દુઃખોનો રાઈમાંથી પર્વત બનાવીને રોદણાં રડે છે, ત્યારે અનેક દુઃખોની વચ્ચે પણ આનંદની વાંસળી વગાડતા શ્રીકૃષ્ણનું જીવન ઘણું શીખવે છે. પરંતુ શું તમે મુરલીધરની મોરલીની મધુરતા પાછળ છુપાયેલી તેમની કડવી જીવનયાત્રા જાણો છો?

કાળકોટડીમાં જન્મ. જન્મતાની સાથે જ માતા-પિતાથી વિયોગ. મામા કંસ અને માસી પૂતનાના ઘાતક કાવતરાઓનો સામનો. બાળપણમાં શકટાસુર, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર અને પ્રલંબાસુર જેવા અસુરોનો સંહાર. ઋષિઓના યજ્ઞોમાં થતા વિઘ્નો દૂર કરવાની જવાબદારી. રાધા અને ગોપીઓ જેવા પ્રિયજનોનો કાયમી વિરહ.

કંસનો વધ કર્યા પછી પણ જીવનમાં શાંતિ મળી નહીં. મથુરાના રાજ્ય દરમિયાન જરાસંધે સત્તર વખત આક્રમણ કર્યું. ગુજરાતમાં આવીને ભગવાન શ્રીકૃષ્ણે દ્વારિકા નગરી વસાવી. ભક્તોના કલ્યાણ માટે ૧૬,૧૦૮ રાણીઓ સાથે લગ્ન કર્યા. દરેક રાણીને દસ પુત્રો અને એક પુત્રી. આટલા વિશાળ પરિવારની જવાબદારીઓ કેટલી વિશાળ હશે, તેની માત્ર કલ્પના જ કરી શકાય.

પોતાનો કોઈ અંગત સ્વાર્થ ન હોવા છતાં કૌરવ-પાંડવના વિવાદમાં મધ્યસ્થી કરવી પડી. દુર્યોધનને સમજાવવા ગયા, પરંતુ તે માન્યો નહીં. મહાભારતના યુદ્ધમાં પણ મુખ્ય યોદ્ધા નહીં, પરંતુ અર્જુનના સારથિ તરીકે રહ્યા. વગર વાંકે ગાંધારીનો શાપ પણ સહન કર્યો.

યુદ્ધ પછી પ્રભાસક્ષેત્રમાં પોતાના જ યદુવંશીઓ વચ્ચે થયેલા વિનાશનો કરુણ પ્રસંગ જોયો. પુત્રો, પૌત્રો અને સ્વજનો એકબીજાના હાથે મૃત્યુ પામ્યા. અંતે પારધીના ઝેરીલા બાણથી લીલાસમાપ્તિ કરી. જન્મથી અંતિમ ક્ષણ સુધી જીવનમાં અસંખ્ય દુઃખો અને પડકારો આવ્યા, છતાં ભગવાન શ્રીકૃષ્ણના ચહેરા પરથી હાસ્ય ક્યારેય ઓસર્યું નહીં. ભગવદ્ ગીતામાં તેમના માટે ‘પ્રહસન્નિવ’ (હસતા-હસતા) શબ્દનો ઉપયોગ થયો છે.

રથમાં બેઠેલો હતાશ અર્જુન સમગ્ર માનવજાતિનો પ્રતિનિધિ છે. ભગવાન શ્રીકૃષ્ણે તેને ફરી ઊભો કરીને સાબિત કર્યું કે ગમે તેવી નિરાશામાંથી પણ બહાર આવી શકાય છે. તેમણે જીવનભર આનંદ અને પ્રેમની મોરલી વગાડી અને બીજાને પણ આનંદમાં રાખ્યા.

અનેક દુઃખો વચ્ચે પણ હસતાં રહેવું એ મહાન પુરુષોની જીવન જીવવાની રીત છે. સમાજ અને રાષ્ટ્રના હિત માટે અનેક કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને પણ સ્થિતપ્રજ્ઞ રહેલા પ્રમુખસ્વામી મહારાજે પણ એક વખત કહ્યું હતું: “અમારે બધા પ્રસંગો આનંદના જ છે. કાયમ આનંદ, આનંદ અને આનંદ છે.”

નિઃસંદેહ, જીવન સુખ અને દુઃખનું સંગમ છે. પરંતુ દરેક પરિસ્થિતિમાં હસતું મુખ રાખવાની આ પ્રેરણા જીવનમાં ઉતારીએ, તો સાચા અર્થમાં સુખી રહી શકીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)