સાદગી: કંજૂસાઈ નહીં, સંતોષ અને ખુમારીનું શિખર

ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને એક વખત લંડન જવાનું હતું. ત્યાં અન્ય દેશોના વડાપ્રધાનો અને રાજદ્વારી પ્રતિનિધિઓ એકત્ર થવાના હતા. શાસ્ત્રીજી પાસે બે કોટ હતા. તેમાંથી એકમાં કાણાં પડી ગયેલાં. મિત્ર વેંકટરમણે તેમને નવો કોટ સીવડાવવાની સલાહ આપી, પરંતુ શાસ્ત્રીજીએ ‘ના’ પાડી. છતાં મિત્ર દરજીને લઈને આવ્યા. શાસ્ત્રીજીએ કહ્યું, “એક કામ કરો. આ જૂના કોટને ઊંધો કરીને સીવી દો. જો સારો નહીં લાગે તો નવો કરાવીશું.”

તૈયાર થયેલો કોટ સારો લાગતા શાસ્ત્રીજી બોલ્યા, “આપણને જ ખબર નથી પડતી કે આ રિપેર કરાવેલો છે, તો બીજાને કેવી રીતે ખબર પડશે? માટે આ જ ચાલશે.” એ જ કોટ પહેરીને તેઓ લંડન ગયા.

મહાપુરુષોના આવા વર્તનને લોકો ઘણીવાર કંજૂસાઈ ગણે છે, પરંતુ આપણા શાસ્ત્રો તેને દોષ નહીં, સાદાઈનો ગુણ કહે છે. માણસની મહાનતા તેના વસ્ત્રોથી નહીં, પરંતુ તેના વિચારો અને ચરિત્રથી માપવામાં આવે છે. સાદગી કોઈ મજબૂરી નથી, પરંતુ આંતરિક સમૃદ્ધિનું પ્રતિક છે. જે વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર હોય, તેને બહારના દેખાડાની જરૂર પડતી નથી.

આજે વેચાણમાં આવેલી વસ્તુ કાલે જૂની થઈ જાય એટલી હદે ચીજવસ્તુઓ બજારમાં અને ઈન્ટરનેટ પર ઠલવાઈ રહી છે. વસ્તુઓનો આ ભરાવો માનવીના મનને ચકરાવે ચડાવી દે છે. પરિણામે, પોતાની પાસે જે છે તે પણ જૂનું લાગવા માંડે છે. માર્કેટમાં નવો ફોન આવતાં જ પોતાની પાસે રહેલો ફોન નકામો લાગવા માંડે છે. નવા બૂટ-ચંપલ આવતાં વ્યક્તિને પોતાના જૂતાં જુગજૂના લાગે છે.

પરંતુ દરેકની ખરીદશક્તિ મર્યાદિત હોય છે. તેથી દરેક નવી વસ્તુ ઘરમાં લાવવી શક્ય બનતી નથી. પરિણામે, વસ્તુઓ હોવા છતાં માણસને અધૂરાપણાનો અહેસાસ થાય છે. કેટલાક કુટુંબોમાં તો આ બાબતે કંકાસ પણ વધે છે, કારણ કે ઘરના સભ્યોની નવી વસ્તુઓની માગણી પૂરી કરવાની ક્ષમતા ઘરના મોભી પાસે ન હોય. આથી શરૂ થયેલી ચડભડ ક્યારેક મારામારી સુધી પહોંચે છે અને ક્યારેક આત્મહત્યા સુધી પણ દોરી જાય છે. ઘણીવાર સંતાનો પોતાની ઈચ્છા પૂર્ણ ન થતાં ચોરીના માર્ગે પણ વળી જાય છે.

વર્ષો પહેલાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આંખોના બદલાયેલા નંબર મુજબ નવા ચશ્માં કરાવવા ન્યુયોર્કમાં એક જર્મન તબીબ પાસે ગયા હતા. નિષ્ણાત તબીબે જરૂરી તપાસ કરીને નવા નંબર મુજબનાં ચશ્માં નવી ફ્રેમમાં બનાવી આપવાની તૈયારી બતાવી. ત્યારે સ્વામીજીએ કહ્યું, “જૂની ફ્રેમમાં જ નવા કાચ ફિટ કરી આપો.”

સાથે આવેલા હરિભક્ત ચંદ્રકાંતભાઈએ વિનંતી કરી, “સ્વામીજી, ફ્રેમ જૂની થઈ ગઈ છે. બદલી નાખો ને!”

સ્વામીજીએ હળવેથી જવાબ આપ્યો, “મારે જોવાનું ફ્રેમમાંથી છે કે કાચમાંથી?”

આ ધારદાર દલીલ સામે કોઈ કંઈ બોલી શક્યું નહીં. અંતે જૂની ફ્રેમમાં જ નવા કાચ જડાયા, પરંતુ સ્વામીશ્રીની સાદગી સૌના હૃદયમાં જડાઈ ગઈ.

બે હાથમાં પાંચ-પાંચ કિલોના વજન ઊંચકીને પગથિયાં ચઢનાર કરતાં ખાલી હાથે ચઢનાર વધુ ઝડપથી ઉપર પહોંચી શકે. તેવી જ રીતે બિનજરૂરી વસ્તુઓનો ભાર આપણી પ્રગતિમાં અવરોધરૂપ બને છે. એટલું જ નહીં, બિનજરૂરી ચીજો આપણને તેમની ગુલામીમાં પણ બાંધી દે છે. તે વિના આપણે કામ ન કરી શકીએ એવા પંગુ બની જઈએ છીએ.

અમેરિકન વિચારક એમર્સને કહ્યું છે, “To be simple is to be great.” અર્થાત્, “મહાનતા સાદા બનવામાં છે.”

સાદગીનું આ સૌંદર્ય સરદાર પટેલના જીવનમાં પણ જોવા મળતું હતું. તેમના ચશ્માંનું ખોખું વીસ વર્ષ જૂનું હતું. તેમની ઘડિયાળ ત્રીસ વર્ષ જૂની હતી. તેઓ ગોબાવાળો લોટો વાપરતા હતા. તેઓ અવસાન પામ્યા ત્યારે તેમના બેંક ખાતામાં બસો-અઢીસો રૂપિયા જ હતા. માત્ર ચાર જોડી કપડાંથી તેઓ જીવન ચલાવતા હતા.

એટલે જ આવા મહાપુરુષોની છબીઓ માત્ર દીવાલો પર નહીં, લોકોના હૃદયોમાં પણ વસે છે. જે વ્યક્તિ આવી સાદગી અપનાવે છે, તે પોતાના જીવનમાં શાંતિ અને આદર બંને પ્રાપ્ત કરી શકે છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)