આંતરિક શાંતિનો રાજમાર્ગ: અહંથી આદર તરફ…

જીવનના સંઘર્ષ અને સફળતાની દૌડમાં આપણે ઘણી વાર એક અજાણ્યા શત્રુને સાથે લઈને ચાલતા હોઈએ છીએ, જેનું નામ છે અહં. આ અહં એટલે આઈ એમ સમથિંગની ભાવના. કોઈને પોતાની બુદ્ધિનો ગર્વ હોય છે, તો કોઈને પોતાની સંપત્તિનો; કોઈને રૂપનું અભિમાન હોય છે, તો કોઈને આવડતનું. પરંતુ, શું અહંકાર ખરેખર આપણને મહાન બનાવે છે?

અહંકારનું મનોવિજ્ઞાન કહે છે, જ્યારે આપણે એવું માની લઈએ કે હું સર્વોપરી છું, ત્યારે મન બીજાના ગુણો જોવાનું બંધ કરી દે છે. અહંકાર એક એવી દીવાલ છે, જે આપણને શીખવાની અને આગળ વધવાની પ્રક્રિયાથી રોકે છે. આપણી આસપાસ રહેલી દર ત્રીજી વ્યક્તિ કોઈ ને કોઈ રીતે આપણા કરતાં વિશેષ હોય જ છે. આ સત્યનો સ્વીકાર કરવો એ જ અહંકારને ઓગાળવાની શરૂઆત છે.

સરખામણી અને વાસ્તવિકતા પણ સમજવી જરૂરી છે. આપણે ઘણી વાર આપણી જાતને બીજા સાથે સરખાવીને કાં તો શ્રેષ્ઠતાનો અનુભવ કરીએ છીએ અથવા લઘુતાગ્રંથિનો, પરંતુ કુદરતે દરેક વ્યક્તિને અલગ-અલગ ખૂબીઓ આપી છે. કદાચ તમારી પાસે પુસ્તકિયું જ્ઞાન વધુ હોય, અથવા થિયોરોટિકલ નોલેજ હોય, પણ સામેની વ્યક્તિ પાસે વ્યવહારુ જ્ઞાન (પ્રેક્ટિકલ નોલેજ) વધારે હોઈ શકે.

તમારી પાસે લખલૂટ સંપત્તિ હોઈ શકે, પણ સામેની વ્યક્તિ અથવા બીજા કોઈની પાસે માનસિક શાંતિ અને સંતોષની પૂંજી હોઈ શકે. રૂપ અને આવડતમાં પણ ઘણો ફરક છે. બાહ્ય સુંદરતા સમય જતાં કરમાઈ જાય છે, પરંતુ નમ્રતા અને સેવાનો ભાવ કાયમ ટકી રહે છે.

અહંભાવ અથવા અહંકાર ઓછો કરવાના અથવા સતત સરખામણી ન કરવાના ફાયદા ઘણા છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે જગતમાં આપણાથી પણ વધુ પ્રતિભાશાળી લોકો છે, ત્યારે આપણો અહં આપોઆપ ઓછો થવા લાગે છે. આ સ્થિતિમાં:

  1. કંઈ નવું શીખવાની વૃત્તિ જાગેઃ યાદ રહે, નમ્ર વ્યક્તિ જ નવું શીખી શકે છે.
  2. સંબંધોમાં મધુરતા આવે: અહંકાર ઓગળે ત્યારે સામેની વ્યક્તિ પ્રત્યે આદર વધે છે, જેનાથી વિવાદો ઓછા થાય છે.
  3. આંતરિક શાંતિ: જેને કંઈ પુરવાર કરવાની જરૂર નથી હોતી, તે હંમેશા શાંત રહે છે.

હુંમાંથી અમે અને અમેમાંથી સૌ તરફની ગતિ એ જ સાચી આધ્યાત્મિક અને માનસિક પ્રગતિ છે. બીજાના ગુણોની પ્રશંસા કરવી અને પોતાની મર્યાદાનો સ્વીકાર કરવો એ નબળાઈ નથી, પણ સૌથી મોટી તાકાત છે. જે દિવસે આપણે અન્યમાં રહેલી વિશેષતાઓને માન આપતા શીખીશું, તે દિવસે આપણા હૃદયમાં પ્રેમ અને વિશ્વમાં શાંતિનો ઉદય થશે.

આપણા વડીલો એક સરસ કહેવતની ભેટ આપી ગયા છેઃ નમે તે સૌને ગમે… અને ફળદ્રુપ વૃક્ષ હંમેશાં નમેલું હોય છે. અહંકાર છોડો અને આદર કેળવો, જીવન સ્વર્ગ સમાન બની જશે. કેમ કે આપણી આસપાસ જે લોકો બેઠા છે એમાંની દર ત્રીજી વ્યક્તિ કોઈ ને કોઈ રીતે આપણા કરતાં અમુક ક્ષેત્રમાં વિશેષ છે જ. કાં તો રૂપમાં, કાં તો ધનમાં, કાં તો આવડતમાં, કાં તો હોશિયારીમાં, કાં તો બુદ્ધિમત્તામાં.

બસ, આટલું સ્વીકારી લેશો તો પણ અહંભાવ ઓછો થશે અને દરેક પ્રત્યે આદર અને પ્રેમ વધશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)