મંદિર: ઊર્જા કેન્દ્ર અને પ્રાણપ્રતિષ્ઠાનું વિજ્ઞાન

સદગુરુ: ભારતીય સંસ્કૃતિમાં મંદિરો પુજા કે પ્રાર્થના કરવા માટેનાં સ્થળ નહોતા. તેઓ ઊર્જા કેન્દ્રો હતા જેનો તમારે ઉપયોગ કરવો રહ્યો. મંદિરો, જેને અગમ શાસ્ત્ર કહેવાય છે – પાંચ મૂળભૂત સિધ્ધાંતો કે જે અનુસાર તમે એક ચોક્કસ ઊર્જાનું પરિમાણ ઉત્પન્ન કરી શકો – તે અનુસાર બનાવવામાં આવતા હતા. આ પ્રાણપતિષ્ઠાનું વિજ્ઞાન છે. જો તમે માટીને અન્નમાં પરિવર્તિત કરો છો, તો તેને ખેતી કહેવાય છે. જો તમે અન્નને માંસ અને હાડકાંમાં પરિવર્તિત કરો છો, તો તેને પાચન કહેવાય છે. જો તમે આ માંસ અને હાડકાં ફરીવાર માટીમાં પરિવર્તિત કરો છો, તો તે અંતિમસંસ્કાર કહેવાય છે. તે જ રીતે જો તમે એક પથ્થર કે એક ખાલી જગ્યાને પણ દિવ્ય પ્રક્રિયામાં પરિવર્તિત કરો છો, જો તમે તેને સૌથી ઊંચા સ્તરની તીવ્રતાથી કંપિત કરાવો છો, તો તે પ્રાણપ્રતિષ્ઠા કહેવાય છે. એક પ્રાણપ્રતિષ્ઠિત જગ્યા ખૂબ જ કીમતી હોય છે કારણ કે તે એક માણસ માટે પરમ સંભવનામાં ખીલી ઊઠવાનું એક ઉછેર સ્થાન બની રહે છે.

પરંપરાગત રીતે જ્યારે તમે એક મંદિરે જતાં હતા, ત્યારે કોઈ પણ વ્યક્તિએ તમને ભગવાનને તમારા ધંધાર્થે કે કુટુંબ માટે પ્રાર્થના કે આજીજી કરવા ન કહેતા. જ્યારે તમે એક મંદિરે જાવ ત્યારે ત્યાં થોડા સમય માટે તમારે બેસવાનું હોય છે. આજકાલ, ઘણાં ખરા લોકો ત્યાં ઘડીક બેસીને જતાં રહે છે. તે વાત જ નથી. વાત એ છે કે તે લોકોને ઊર્જિત કરવા માટેની એક જાહેર જગ્યા છે.

વિશ્વની પ્રકૃતિ એવી છે કે પ્રત્યેક વ્યવહારમાં એક સંઘર્ષ હોય છે – જે મારો નફો છે, તે તમારી ખોટ છે, જે તમારો નફો છે, તે મારી ખોટ છે. જો આ પરિસ્થિતિને કૃપાદ્રષ્ટિથી ન જોવામાં આવે, તો પ્રત્યેક વ્યવહાર – ભલે તે પરિવારમાં હોય કે બહાર બજારમાં – તે સંઘર્ષપૂર્ણ બની રહેશે. તો બહારની દુનિયામાં જતાં પહેલા સવારમાં સૌ પ્રથમ તમે એક ચોક્કસ ઊર્જાને ગ્રહણ કરો છો. એ જ સમયે, સૂચના પણ તે જ હતી કે જો તમે આધ્યાત્મિક માર્ગ પર હોવ, તો તમારે મંદિર જવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે તમારી જોડે એક સ્વ-ઊર્જિત સિસ્ટમ છે. તમારે લોકોને ઊર્જિત કરતી જાહેર જગ્યા પર જવાની જરૂર નથી.

આ તેના જેવું છે કે એક સમય હતો જ્યારે એક જાહેર પાણીનો નળ રહેતો. દરેક વ્યક્તિ ત્યાં જઈને ઊભી રહેતી. પણ એકવાર તમારો પોતાનો નળ તમને ઘરે મળી જાય પછી તમારે હવે જાહેર સુધી જવાની જરૂર નથી. તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમે આંતરિક દ્રષ્ટિકોણ કેળવો કારણ કે એકવાર તમે આંતરિક દ્રષ્ટિકોણ કેળવો છો, તો તમારે કોઈ બાહ્ય મદદની જરૂર રહેતી નથી. તે ઠીક છે કે એક સહાયક અને ઉછેરકારક વાતાવરણ બનાવવામાં આવે, જેથી દરેક વ્યક્તિ તે ઊર્જાને મેળવી શકે. પરંતુ વ્યક્તિગત રીતે એક માણસ માટે બાહ્ય પરિસ્થિતી ગમે તે હોય, એકવાર તમે આંતરિક દ્રષ્ટિકોણ કેળવો છો, તો તેને બાહ્ય સહાયની જરૂર પડતી નથી. જો તમે એકવાર આંતરિક દ્રષ્ટિકોણ કેળવ્યો, તો તમારે જઈને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. પરંતુ જો તમે આંતરિક દ્રષ્ટિકોણ કેળવ્યો નથી, તો કોઈ વ્યક્તિએ બનાવેલા સ્થાન પર તમે અનુભવ મેળવી શકો છો.

આ સ્થાનોને સામાન્ય રીતે તીર્થો કહેવાય છે. તીર્થ એટલે એક પ્રાણપ્રતિષ્ઠિત અથવા ઊર્જિત જગ્યા, જળ ક્ષેત્ર કે બીજી કોઈ વસ્તુ. જે લોકો આને બનાવે છે, તેમને તીર્થંકરો કહેવાય છે. આ ભૂમિ પર શક્તિશાળી તીર્થો બનાવવામાં આવેલા છે, જેનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે – આંતરિક દ્રષ્ટિકોણ કેળવવો, કારણ કે છેવટે એ વસ્તુ જેને તમે જીવનનો સ્ત્રોત કહો છો – ભલે તમે એને સર્જનહાર કહો અથવા કોઈ અન્ય નામ આપો – તે તમારી અંદર જ છે. જ્યારે જીવનનો સ્ત્રોત તમારી અંદર હોય, ત્યારે તમારે બીજી કોઈ વ્યક્તિની સલાહ લેવાની જરૂર રહેતી નથી. જો તમારે જીવનને જાણવું હોય, તો તમારે આંતરિક દ્રષ્ટિકોણ કેળવવો રહ્યો. પરંતુ ત્યાં સુધી, તમે બાહ્ય સહાયકો જે બનાવવામાં આવેલા છે, તેમનો ઉપયોગ કરી શકો છો.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.