વાત છે 1983ની. જૂનાગઢના કેશોદમાં રહેતા હરદાસભાઈ કરંગિયાને પોતાની દુકાન. ચિત્રલેખાના એ નિયમિત વાચક. સાંજના સમયે ગ્રાહકોની ભીડ ઓછી થાય ત્યારે ચિત્રલેખા વાંચવાની એમની આદત. હરદાસભાઈ કહે છે એમ, ચિત્રલેખાના 1983ના અંકમાં પ્રકાશિત થયેલા એક લેખે એમના જીવનની દિશા જ બદલી નાખી.

એ લેખ વિશ્વના જાણીતા અબજોપતિ હાવર્ડ હ્યુજીસ વિશે હતો. લેખમાં વર્ણન હતું કે કેવી રીતે હાવર્ડ હ્યુજીસે અઢળક સંપત્તિ મેળવી, પોતાનો ખાનગી ટાપુ બનાવ્યો અને દુનિયાના ટોચના પાંચ અમીરોમાં સ્થાન મેળવ્યું… પરંતુ આ બધું મેળવવાની લાયમાં એમણે પોતાની તંદુરસ્તી ગુમાવી દીધી. હ્યુજીસે એક પત્રકારને કહ્યું હતું કે જો મને કોઈ મારું તંદુરસ્ત શરીર પાછું આપી દે, તો હું મારો આખો વૈભવ આપવા તૈયાર છું.

માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે આ લેખ વાંચીને હરદાસભાઈને સમજાયું કે તંદુરસ્તી જ સાચી મૂડી છે. એ ચિત્રલેખાને કહે છે: ‘એ દિવસે મારા હાથમાં ચિત્રલેખાનો એ અંક ન આવ્યો હોત અને મેં હાવર્ડ હ્યુજીસની એ વાત ન વાંચી હોત તો કદાચ હું આજે આટલો તંદુરસ્ત ન હોત. લેખ વાંચ્યા પછી મેં તરત જ બીજા દિવસનું પાંચ વાગ્યાનું એલાર્મ ગોઠવ્યું અને રોજ છ કિલોમીટર દોડવાની શરૂઆત કરી, જે આજે પણ ચાલુ છે. એક લેખ વાંચીને શરૂ થયેલો એ મારો સંકલ્પ આજે જીવનના ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી મારો જીવનમંત્ર બની ગયો છે. મારા જીવનમાં આવેલા આ સકારાત્મક પરિવર્તન પાછળ ચિત્રલેખા એક સચોટ માધ્યમ બન્યું છે.
વાચકોને સવાલ એ થાય કે અત્યારે આ હરદાસભાઈ કેમ અચાનક યાદ આવ્યા?

એનું કારણ એ કે આજે ૬૯ વર્ષની ઉંમરે પણ હરદાસભાઈ નવયુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવે છે. ચિત્રલેખાના આ એક લેખની અસર એવી થઈ કે ગુજરાત રાજ્યની વૉકિંગ સ્પર્ધામાં સતત આઠ વખત એ ચેમ્પિયન રહ્યા છે અને નેશનલ લેવલે દોડની સ્પર્ધામાં કાંસ્યપદક સુધ્ધાં જીત્યા છે. આજે પણ એ રોજ સરેરાશ 15 કિલોમીટર ચાલે છે, ૨૦ મિનિટ સાઈકલિંગ કરે છે. સાથે યોગ અને અન્ય કસરત પણ એમની રોજનીશીનો હિસ્સો છે. અત્યારે તાલાલા ગીરમાં ડેરી પ્રોડક્ટ્સના વ્યવસાયમાં કાર્યરત હરદાસભાઈ આખા ગીર સોમનાથ જિલ્લા માટે તંદુરસ્તીના રોલ મોડેલ બન્યા છે.
(હેતલ રાવ)
View this post on Instagram




